વિદ્યાર્થીઓ પર ફી ભરવ માટે દબાણ ન કરવાનો નિર્દેશ આપતા સુરત કલેક્ટરના પરિપત્ર પર ગુજરાત હાઇકોર્ટે સ્ટે ફરમાવ્યો છે. સુરતની અમુક શાળાઓ અંગે મળેલી ફરિયાદના આધારે કલેક્ટર આયુષ ઓકે તમામ શાળઆઓને પરિપત્ર પાઠવ્યો હતો કે ફીની બાબત શાળા અને વાલીઓ વચ્ચેની છે, તેમાં બાળકોને વચ્ચે લાવી તેમને ફી ભરવા માટે દબાણ ન કરવું જોઇએ. આ પરિપત્ર સામે શાળા સંચાલકોએ હાઇકોર્ટમાં પિટિશન કરી છે.
સુરતની સ્વનિર્ભર શાળાઓ તરફથી કરવામાં આવેલી પિટિશનમાં હાઇકોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી કે માત્ર એક-બે શાળામાં બનેલી ઘટનાના આધારે કલેક્ટર આવો જનરલ પરિપત્ર કરી શકે નહીં. જો કલેક્ટરે રાષ્ટ્રીય બાળ અધિકાર સુરક્ષા આયોગને મળેલી સૂચનાના આધારે કાર્યવાહી કરવી હોય તો કાયદા પ્રમાણે તેના ઘણાં રસ્તા છે. આવી રીતે બધી શાળાને તે કાર્યવાહીના દાયરામાં લાવી શકાય નહીં.
રાજ્ય સરકારે સામા પક્ષે બચાવમાં દલીલ કરી હતી કે આયોગને મળેલી ફરિયાદ અને આયોગની સૂચના બાદ આ પરિપત્ર કરાયો છે, અન્ય કોઇ હેતુ કલેક્ટરનો નથી. જો કે જસ્ટિસ ભાર્ગવ ડી. કારિયાએ સરકારને ટકોર કરી હતી કે જો આયોગની સૂચનાના આાધારે કાર્યવાહી કરવી હોય તો અન્ય રીતે થઇ શકે છે, આવી રીતે જનરલ ઓર્ડર આપી શકાય નહી. કોર્ટે હાલ પરિપત્ર પર સ્ટે ફરમાવી કેસમાં આયોગને પક્ષકાર બનાવવા નિર્દેશ આપ્યો છે.

















