
નવી દિલ્હીમાં રોયલ થાઈ એમ્બેસીએ 11/12/24, બુધવારે જાહેરાત કરી છે કે ભારતના વિઝીટર્સ માટે થાઈલેન્ડના ઈ-વિઝા ભારતમાં 1 જાન્યુઆરી, 2025થી ઉપલબ્ધ કરાવવા આવશે. થાઇલેન્ડ દૂતાવાસે એ બાબતે પણ માર્ગદર્શિત કર્યા કે ભારતીય પાસપોર્ટ ધારકો ઈ-વિઝા લઈને થાઈલેન્ડમાં 60 દિવસ સુધી રોકાણ કરી શકશે.
થાઇ એમ્બેસીના જણાવ્યા મુજબ, બિન-થાઈ નાગરિકોએ તમામ પ્રકારના વિઝા માટે https://www.thaievisa.go.th વેબસાઇટ પર અરજી કરવાની રહેશે. અરજદાર પોતે અથવા અન્ય પ્રતિનિધિઓ દ્વારા અરજી કરી શકે છે. જો કે એક વાતનું ધ્યાન રાખવું કે જો કોઈ પ્રતિનિધિ દ્વારા સબમિટ કરવામાં આવેલી અરજી અધૂરી હશે તો તેના માટે એમ્બેસી અને કોન્સ્યુલેટ જનરલ જવાબદાર રહેશે નહીં. અરજી કઈ રીતે કરવી તેની પ્રક્રિયા ઉપરની વેબસાઇટ પર જોઈ શકાય છે.
એમ્બેસીની નવી માર્ગદર્શિકામાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ઑફલાઇન પેમેન્ટ વિકલ્પ દ્વારા અરજી કરનારાઓએ વિઝા ફી ચૂકવવી પડશે. આ માટે સંબંધિત એમ્બેસી અને કોન્સ્યુલેટ જનરલના ઓફલાઈન પેમેન્ટ ઓપ્શન પર વિગતો આપવાની રહેશે. જો કે એ બાબત સ્પષ્ટ છે કે વિઝા ફી કોઈપણ સંજોગોમાં પરત કરવામાં આવશે નહીં. વિઝા પ્રક્રિયામાં ફી મળ્યાની તારીખથી લગભગ 14 કાર્યકારી દિવસો લાગી શકે છે.
થાઈલેન્ડ ભારતીય પ્રવાસીઓ માટે ખૂબ આકર્ષણનું કેન્દ્ર છે. બેંગકોક, પટાયા, ફૂકેટ, ચિયાંગ માઈ અને કોહ સમુઈ સહિતના સ્થળોએ ભારતીય પ્રવાસીઓનો ઘસારો જોવા મળે છે. વર્ષ 2019માં 20 લાખથી વધુ ભારતીય પ્રવાસીઓએ થાઈલેન્ડની મુલાકાત લીધી હતી. માત્ર કોવિડ-19ના ગાળામાં જ પ્રવાસીઓનો ધસારો ઘટ્યો હતો. પરંતુ ત્યારબાદ ભારતીય પ્રવાસીઓની સંખ્યામાં ઝડપથી વધારો થયો. જો કે તેનો સીધો ફાયદો થાઈલેન્ડને થાય છે.