ભારતની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા(SBI)એ સ્વતંત્રતા દિવસના દિવસે કરોડો ગ્રાહકોને ઝટકો આપ્યો છે. SBIએ માર્જિનલ કોસ્ટ ઓફ લેન્ડિંગ રેટ(MCLR)માં વધારો કરવાનો નિર્ણય લીધો છે. બેંકે વિવિધ મુદત માટે તેના MCLRમાં 10 બેસિસ પોઈન્ટના વધારાની જાહેરાત કરી છે. નવા દરો આજે ગુરુવાર, 15 ઓગસ્ટ, 2024થી લાગુ થઇ ગયા છે.
MCLRએ રેટ છે જેની નીચે બેંક ગ્રાહકોને લોન આપી શકતી નથી. MCLR વધારવાના નિર્ણય બાદ ગ્રાહકોની હોમ લોન, કાર લોન, એજ્યુકેશન લોન જેવી અનેક પ્રકારની લોન મોંઘી થઈ ગઈ છે. જેને કારણે પહેલેથી મોંઘવારી વચ્ચે પીસાતા લોકોને ફટકો પડ્યો છે.
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ ઓવરનાઈટ માર્જિનલ કોસ્ટ ઓફ લેન્ડિંગ રેટમાં 10 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે અને તે 8.10 ટકાથી વધીને 8.20 ટકા કરવામાં આવ્યો છે. એક મહિનાનો MCLR 8.35 ટકાથી વધીને 8.45 ટકા થયો છે. ત્રણ મહિનાનો MCLR 8.40 ટકાથી વધીને 8.50 ટકા થયો છે. છ મહિનાનો MCLR 8.75 ટકાથી વધીને 8.85 ટકા અને એક વર્ષનો MCLR 8.85 ટકાથી વધીને 8.95 ટકા થયો છે. બે વર્ષનો MCLR 8.95 ટકાથી વધીને 9.05 ટકા અને ત્રણ વર્ષનો MCLR 9.00 ટકાથી વધીને 9.10 ટકા થયો છે.
સસ્તી લોનની અપેક્ષા રાખતા કરોડો ગ્રાહકોને SBI તરફથી સતત ઝટકા મળી રહ્યા છે. જૂન 2024 થી બેંકે તેના વ્યાજ દરોમાં કુલ ત્રણ વખત વધારો કર્યો છે. છેલ્લા ત્રણ મહિનામાં અમુક મુદત માટેના વ્યાજ દરોમાં 30 બેસિસ પોઈન્ટ્સ સુધીનો વધારો થયો છે. નોંધનીય છે કે રિઝર્વ બેંકની તાજેતરમાં મળેલી MPC બેઠકમાં સતત 9મી વખત રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો.
એસબીઆઈ ઉપરાંત કેનેરા બેંક, યુકો બેંક અને બેંક ઓફ બરોડાએ પણ તાજેતરમાં તેમના MCLR માં વધારો કર્યો હતો. કેનેરા બેંકે તેના MCLRમાં 5 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. બેંકના નવા દરો 12 ઓગસ્ટથી લાગુ થઈ ગયા છે. આ સિવાય યુકો બેંકે તેના વ્યાજ દરોમાં ફેરફાર કર્યો છે અને નવા વ્યાજ દરો 10 ઓગસ્ટથી અમલમાં આવી ગયા છે. બેંક ઓફ બરોડાએ પણ તેના વ્યાજદરમાં વધારો કર્યો છે. બેંકના નવા દરો 12મી ઓગસ્ટ 2024 એટલે કે સોમવારથી અમલમાં આવ્યા છે.
આઇસીએમઆર (ICMR) અને પેનેશિયા બાયોટેકએ ભારતમાં ડેન્ગ્યુની રસી વિકસાવવા માટે પ્રથમ તબક્કાની ત્રીજી ક્લિનિકલ ટ્રાયલની શરૂઆત કરી છે, તેવું કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જણાવ્યું હતું.
ભારતની સ્વદેશી ટેટ્રાવેલેન્ટ ડેન્ગ્યુ રસી, ડેન્ગીઓલ, પેનેશિયા બાયોટેક દ્વારા વિકસાવવામાં આવી છે અને આ અજમાયશમાં પ્રથમ સહભાગીને બુધવારે પંડિત ભગવત દયાલ શર્મા પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, રોહતક ખાતે રસી આપવામાં આવી હતી.
યુનિયન હેલ્થ મંત્રી જેપી નડ્ડાએ જણાવ્યું હતું કે ત્રીજા તબક્કાની ક્લિનિકલ ટ્રાયલ ૧૮ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ૧૯ સાઇટ્સ પર હાથ ધરવામાં આવશે, જેમાં ૧૦૩૩૫થી વધુ સ્વસ્થ પુખ્ત સહભાગીઓ સામેલ છે. તેમણે કહ્યું કે આઇસીએમઆર અને પેનેશિયા બાયોટેક વચ્ચેના આ સહયોગ દ્વારા, અમે માત્ર આપણા લોકોના સ્વાસ્થ્ય અને સુખાકારીને સુનિશ્ચિત કરવા માટે એક પગલું ભરી રહ્યા છીએ એટલું જ નહીં પરંતુ સ્વાસ્થ્ય સંભાળ ક્ષેત્રમાં આત્મનિર્ભર ભારતની અમારી દ્રષ્ટિને વધુ મજબૂત બનાવી રહ્યા છીએ.
હાલમાં, ભારતમાં ડેન્ગ્યુ સામે કોઈ એન્ટિવાયરલ સારવાર અથવા લાઇસન્સ પ્રાપ્ત રસી નથી. અસરકારક રસીનો વિકાસ ચારેય સીરોટાઇપ માટે સારી અસરકારકતા હાંસલ કરવાની જરૂરિયાતને કારણે જટિલ છે. ભારતમાં, ડેન્ગ્યુ વાયરસના તમામ ચાર સીરોટાઇપ ઘણા પ્રદેશોમાં ફરતા અથવા સહ-પ્રસાર માટે જાણીતા છે, તેવું મંત્રાલયના નિવેદનમાં જણાવાયું છે. નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, ભારતીય રસીના પ્રથમ અને બીજા તબક્કાના ક્લિનિકલ ટ્રાયલ ૨૦૧૮-૧૯માં પૂર્ણ થયા હતા, જેનાથી આશાસ્પદ પરિણામો મળ્યા હતા.
પેરિસ ઓલિમ્પિક 2024 બાદ વિનેશ ફોગાટને ચાહકોને મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સ (CAS) ભારતની સ્ટાર રેસલર વિનેશ ફોગાટને ઓલિમ્પિકમાં ગેરલાયક ઠર્યા બાદ સિલ્વર મેડલ આપવાની અરજી ફગાવી દીધી છે. વિનેશ ફોગાટે ઓલિમ્પિકમાં ગેરલાયક ઠર્યા બાદ CAS માં કેસ દાખલ કર્યો હતો. આ કેસની સુનાવણી પહેલાં જ થઇ ગઇ હતી. જો કે, ચુકાદો આપવાની તારીખ વારંવાર લંબાવવામાં આવી રહી હતી, જે કારણે સતત સસ્પેન્સ વધી રહ્યો હતો. સમગ્ર દેશની નજર આ કેસ પર હતી. જો કે, હવે સીએએસે વિનેશની અપીલને ફગાવતા હવે તેને સિલ્વર મેડલ મળશે નહી. IOA અધ્યક્ષ પીટી ઉષાએ હતાશા વ્યક્ત કરી
CASએ વિનેશ ફોગાટની અરજી ફગાવતાં ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન (IOA) ના અધ્યક્ષ પીટી ઉષાએ આ મામલે હતાશા વ્યક્ત કરતાં જણાવ્યું કે, કોર્ટનો આ ચુકાદો સાંભળી તેમને ઘણો આશ્ચર્ય થયો છે. અગાઉ પીટી ઉષાએ વિનેશ ફોગાટને ગેરલાયક ઠરાવવા બદલ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે વિરોધ પણ નોંધાવ્યો હતો. CAS દ્વારા અગાઉ ચુકાદો આપવા માટેની તારીખ 16 ઓગસ્ટ સુધી લંબાવી હતી, જો કે 14 ઓગસ્ટે જ ચુકાદો આપી વિનેશની અરજી ફગાવતાં પીટી ઉષાએ આશ્ચર્ય વ્યક્ત કર્યો હતો.
વિનેશ તરફથી સુનાવણી દરમિયાન કરાયેલી દલીલો
વિનેશે દલીલ કરી હતી કે તેણે કોઈ છેતરપિંડી કરી નથી.
તેનું વજન શરીરની કુદરતી રિકવરી પ્રક્રિયાને કારણે વધ્યું હતું.
વિનેશ વતી દલીલ કરવામાં આવી હતી કે પોતાના શરીરની કાળજી લેવી એ એથ્લિટનો મૂળભૂત અધિકાર છે.
વિનેશ વતી એવી પણ દલીલ કરવામાં આવી હતી કે સ્પર્ધાના પહેલા દિવસે તેના શરીરનું વજન નિર્ધારિત મર્યાદા કરતા ઓછું હતું. માત્ર રિકવરીને કારણે વજન વધ્યું છે. સ્વસ્થ રહેવા માટે તેના શરીરને જરૂરી પોષક તત્ત્વો પૂરા પાડવા એ તેનો મૂળભૂત અધિકાર છે.
શું છે CAS?
વર્ષ 1896માં પહેલી વખત ઓલિમ્પિક્સનું આયોજન ગ્રીસમાં કરવામાં આવ્યું હતું. પરંતુ આ પછી કેટલાક વિવાદો ઊભા થવા લાગ્યા. કેટલાક ખેલાડીઓએ નિયમોને લઈને નારાજગી વ્યક્ત કરી હતી. ત્યારે આ બધા વિવાદોને ધ્યાનમાં રાખીને તેમને ઉકેલવા માટે વર્ષ 1984માં ‘કોર્ટ ઑફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સ’ની રચના કરવામાં આવી હતી. તેનું મુખ્ય કાર્યાલય સ્વિત્ઝર્લેન્ડમાં છે. આ એક સ્વતંત્ર સંસ્થા છે, જે રમતગમતને લગતા વિવાદોનું નિરાકરણ લાવે છે.
શું છે ઓલિમ્પિકમાં રેસલિંગના નિયમ?
ઓલિમ્પિકમાં દરેક પહેલવાનનું મેચ પહેલાં વજન કરાય છે. જે દિવસે મેચ હોય, એ જ દિવસે સવારે વજન કરાય છે.
દરેક વેઇટ કેટેગરીમાં ટુર્નામેન્ટ બે દિવસના ગાળામાં લડાય છે. એટલે જે પહેલવાન ફાઇનલમાં પહોંચે, તેમનું સળંગ બે દિવસ વજન કરાય છે.
પહેલી વાર વજન કરાય ત્યારે પહેલવાનો પાસે વજન યોગ્ય કરવા 30 મિનિટનો સમય હોય છે. 30 મિનિટમાં કોઈ પણ પહેલવાન ઇચ્છે તેટલી વાર વજન કરી શકે છે.
બીજી વાર વજન કરે ત્યારે વજન યોગ્ય કરવાનો સમય ફક્ત 15 મિનિટ મળે છે.
વજન કરતી વખતે દરેક પહેલવાને ફક્ત રેસલિંગ કોસ્ચ્યુમ પહેરેલો હોવો જોઈએ.
વજન કર્યા પછી દરેક પહેલવાનના આરોગ્યની તપાસ થાય છે. ત્યારે નખ પણ કાપેલા હોવા જરૂરી છે.
આમ, વિનેશ ફોગાટના કેસમાં સમજીએ તો તેનું વજન એક જ દિવસમાં 100 ગ્રામ વધ્યું, જેના કારણે તેને અયોગ્ય જાહેર કરાઈ હતી.
સેમિફાઇનલમાં શાનદાર વિજય થયો હતો
વિનેશ ફોગાટ મંગળવારે (07 ઑગસ્ટ) રમાયેલી મેચમાં પ્રથમ રાઉન્ડ સુધી 1-0થી આગળ હતી. પછી છેલ્લી ત્રણ મિનિટમાં ક્યુબાની રેસલર પર ડબલ લેગ એટેક કર્યો અને 4 પોઇન્ટ મેળવ્યા હતા. તેણે આ લીડને અંત સુધી જાળવી રાખી હતી અને ફાઇનલમાં જગ્યા બનાવી હતી. આ ઓલિમ્પિકમાં વિનેશની સફર શાનદાર રહી છે. સેમિફાઇનલ પહેલા, વિનેશે ક્વાર્ટર ફાઇનલમાં યુક્રેનની લિવાચ ઉક્સાનાને 7-5થી હરાવી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 ઑગસ્ટ 2024ના રોજ 78મા સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગ સ્વરૂપે લાલ કિલ્લા પર તિરંગો ફરકાવશે. આ વખતે સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી માટે 6,000 મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા છે. પીએમ મોદી સ્વતંત્રતા દિવસ સમારોહમાં રાષ્ટ્રધ્વજ ફરકાવશે અને રાષ્ટ્રને સંબોધન પણ કરશે.
આ વર્ષે સ્વતંત્રતા દિવસની થીમ ‘વિકસિત ભારત @2047’ રાખવામાં આવી છે. કેન્દ્ર સરકારનું લક્ષ્ય વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવાનું છે. એટલે વર્ષ 2047માં ભારત તેની આઝાદીની 100મી વર્ષગાંઠ ઉજવશે. કેન્દ્ર સરકારે આ પહેલા કેન્દ્રીય બજેટ રજૂ કરતી વખતે કહ્યું હતું કે, બજેટનો ઉદ્દેશ્ય 2047 સુધીમાં વિકસિત ભારતનો પાયો નાખવાનો છે.
કેવો હશે આ સમારોહ ?
વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાલ કિલ્લા પર પહોંચશે ત્યારે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, સંરક્ષણ રાજ્ય મંત્રી સંજય શેઠ અને સંરક્ષણ સચિવ ગિરધર અરમાને દ્વારા સ્વાગત કરવામાં આવશે. સંરક્ષણ સચિવ દિલ્હી વિસ્તારના જનરલ ઑફિસર કમાન્ડિંગ (GOC) લેફ્ટનન્ટ જનરલ ભાવનીશ કુમારનો વડાપ્રધાન સાથે પરિચય કરાવવામાં આવશે.
પીએમને સલામી સ્થળ સુધી કોણ લઈ જશે?
દિલ્હી ક્ષેત્રના GOC વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સલામી સ્થળ પર લઈ જશે, જ્યાં સંયુક્ત આંતર-સેવાઓ અને દિલ્હી પોલીસના ગાર્ડ તેમને સલામી આપશે. આ સાથે એવું કહેવામાં આવ્યું હતું કે, એ પછી પીએમ મોદી ગાર્ડ ઑફ ઓનરનું નિરીક્ષણ કરશે. પીએમ માટે ગાર્ડ ઑફ ઓનર ટુકડીમાં આર્મી, નેવી, ઍરફૉર્સ અને દિલ્હી પોલીસના એક-એક અધિકારી અને 24 જવાનો સામેલ હશે.
રાષ્ટ્રધ્વજ ફરકાવવા પ્રશાસન પર જશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાર્ડ ઑફ ઓનરનું નિરીક્ષણ કર્યા પછી લાલ કિલ્લા તરફ આગળ વધશે. જ્યાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, સંરક્ષણ રાજ્ય પ્રધાન સંજય શેઠ, ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ, આર્મી ચીફ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવશે. સ્ટાફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી, નેવી ચીફ એડમિરલ દિનેશ કે. ત્રિપાઠી અને ઍરફૉર્સ ચીફ એર ચીફ માર્શલ વી. આર. ચૌધરી કરશે અને દિલ્હી ક્ષેત્રના GOC રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે પીએમ મોદીને મંચ પર લઈ જશે.
ધ્વજ ફરકાવવામાં કોણ મદદ કરશે?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં લેફ્ટનન્ટ સંજીત સૈની મદદ કરશે. ધ્વજ ફરકાવ્યા બાદ 1721 ફિલ્ડ બેટરી(સેરેમોનિયલ)ના બહાદુર ગનર્સ દ્વારા 21 તોપોની સલામી આપવામાં આવશે. રાષ્ટ્રિય ધ્વજ ગાર્ડમાં આર્મી, નેવી અને ઍરફૉર્સના એક-એક અધિકારી અને 32 અન્ય રેન્કના કર્મચારીઓ અને 128 દિલ્હી પોલીસ કર્મચારીઓનો પણ સમાવેશ થયેલો છે.
હેલિકોપ્ટર દ્વારા ફૂલોની વર્ષા કરાશે
રાષ્ટ્રધ્વજ ફરકાવ્યા બાદ તેને રાષ્ટ્રિય સલામી આપવામાં આવશે. સલામી દરમિયાન પંજાબ રેજિમેન્ટ મિલિટરી બેન્ડ, જેમાં JCO અને 25 અન્ય રેન્કનો સમાવેશ થાય છે તેમના દ્વારા રાષ્ટ્રગીત વગાડવામાં આવશે. આ બેન્ડનું નેતૃત્વ સુબેદાર મેજર રાજિન્દર સિંહ કરશે. ધ્વજ ફરકાવ્યા બાદ ભારતીય વાયુસેનાના બે અદ્યતન હેલિકોપ્ટર દ્વારા સ્થળ પર પુષ્પવર્ષા કરવામાં આવશે.
ફૂલોની વર્ષા કર્યા બાદ પીએમ મોદી રાષ્ટ્રને સંબોધિત કરશે અને તેમનું ભાષણ પત્યા પછી નેશનલ કેડેટ કોર્પ્સ (NCC) કેડેટ્સ રાષ્ટ્રગીત ગાશે. આ સાથે દેશભરની વિવિધ શાળાઓના કુલ 2,000 છોકરા અને છોકરીઓ કેડેટ્સ (આર્મી, નેવી અને ઍરફૉર્સ) સમારોહમાં ભાગ લઈ રહ્યા છે.
મહેમાનો કોણ છે?
વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા યુવાનો, આદિવાસી સમાજ, ખેડૂતો અને મહિલાઓને પણ અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે. તેમજ અટલ ઇનોવેશન મિશન અને પીએમ (પ્રાઇમ મિનિસ્ટર સ્કૂલ ફોર ઇમર્જિંગ ઇન્ડિયા) યોજનાનો લાભ મેળવનાર વિદ્યાર્થીઓ અને ‘મેરી માટી મેરા દેશ’ હેઠળ માય યુથ ઇન્ડિયા (MY ભારત) અને રાષ્ટ્રીય સેવા યોજનાના સ્વયંસેવકો પણ કાર્યક્રમમાં ભાગ લેશે.
આ સમારોહમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ, પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાના લાભાર્થીઓ અને ખેડૂત ઉત્પાદક સંગઠનોના પ્રતિનિધિઓ પણ ભાગ લેશે. માન્યતા પ્રાપ્ત સામાજિક આરોગ્ય કાર્યકર્તાઓ (ASHAs), સહાયક નર્સ મિડવાઇવ્સ (ANMs) અને આંગણવાડી કાર્યકરો, લખપતિ દીદી અને ડ્રોન દીદી પહેલ અને સખી કેન્દ્ર યોજનાના લાભાર્થીઓ પણ આ કાર્યક્રમમાં ભાગ લેશે.
પેરિસ ઓલિમ્પિકના ભારતીય ખેલાડીઓ પણ સામેલ
મળતી માહિતી પ્રમાણે પેરિસ ઓલિમ્પિક 2024માં ભાગ લઈ રહેલા ભારતીય ખેલાડીઓને પણ અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે. MyGov અને ઓલ ઇન્ડિયા રેડિયોના સહયોગથી સંરક્ષણ મંત્રાલય દ્વારા આયોજિત વિવિધ ઓનલાઇન સ્પર્ધાઓના ત્રણ હજાર (3,000) વિજેતાઓ પણ સમારોહમાં હાજરી આપશે.
યુક્રેનની હરીફને હરાવી: પ્રી-ક્વૉર્ટરમાં ફોગાટે જાપાનની ડિફેન્ડિંગ ચૅમ્પિયનને છેલ્લી પાંચ સેકન્ડમાં પછાડી હતી ભારતની ટોચની કુસ્તીબાજ વિનેશ ફોગાટે પૅરિસ ઑલિમ્પિક્સના રેસલિંગના 50 કિલો વર્ગમાં બે ઐતિહાસિક વિજય મેળવ્યા હતા. પહેલાં તો તેણે ચાર વાર વર્લ્ડ ચૅમ્પિયન બની ચૂકેલી તેમ જ 2021ની ટોક્યો ઑલિમ્પિક્સમાં ચૅમ્પિયન બનેલી જાપાનની યુઇ સુસાકીને પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં 3-2થી હરાવી દીધી હતી અને પછી ક્વૉર્ટર ફાઇનલમાં યુક્રેનની ઑક્સાના લિવાચને 7-5થી પરાસ્ત કરીને પહેલી વાર ઑલિમ્પિક્સની સેમિ ફાઇનલમાં એન્ટ્રી કરી હતી.
29 વર્ષની ફોગાટ યુક્રેનની હરીફ સામે ભારે સંઘર્ષપૂર્ણ મુકાબલો જીતીને મેડલની લગોલગ પહોંચી ગઈ હતી. જાપાનની યુઇ સુસાકી સામેના રોમાંચક મુકાબલામાં ફોગાટે ખાસ કરીને છેલ્લી પાંચ સેક્ધડમાં પર્ફોર્મન્સ ખૂબ સુધારીને સુસાકીને પછાડી હતી.
આ પ્રી-ક્વૉર્ટર ફાઇનલ મુકાબલો 50 કિલો વર્ગમાં હતો જેમાં આ સ્પર્ધાની સર્વોચ્ચ ક્રમાંકિત અને ડિફેન્ડિંગ ચૅમ્પિયન સુસાકીએ 1-0થી સરસાઈ લીધી હતી. ત્યાર પછી પણ સુસાકી આગળ વધી હતી અને 2-0થી સરસાઈ લીધી હતી. જોકે પછીથી ફોગાટે આક્રમક મૂડમાં આવીને અને સમજદારીથી સુસાકી પર પ્રભુત્વ મેળવ્યું હતું અને 3-2થી જીતી ગઈ હતી.
સુસાકીએ પોતાની વિરુદ્ધમાં આપવામાં આવેલા નિર્ણયને પડકાર્યો હતો, પરંતુ તેની એ ચૅલેન્જને નકારવામાં આવી હતી અને ફોગાટને જ વિજેતા ગણાવવામાં આવી હતી.
ફોગાટ અગાઉની બે ઑલિમ્પિક્સમાં મેડલ જીતવામાં નિષ્ફળ રહી હતી.
ભારતના ઑલિમ્પિક ચૅમ્પિયન નીરજ ચોપડાએ મંગળવારે ભાલાફેંકમાં શરૂ થયેલા ક્વૉલિફિકેશન રાઉન્ડમાં ધમાલ મચાવી દીધી હતી. તેણે પહેલા જ પ્રયાસમાં ભાલો 89.34 મીટર દૂર ફેંકીને ફાઇનલ માટેનું ક્વૉલિફિકેશન મેળવી લીધું હતું.
2021ની ટોક્યો ઑલિમ્પિક્સમાં પહેલા સ્થાને આવીને ગોલ્ડ મેડલ જીતનાર આર્મીમૅન નીરજનો સીઝનનો આ બેસ્ટ થ્રો હતો.
84 મીટરનું અંતર પાર કરનાર ઍથ્લીટની ફાઇનલના ક્વૉલિફિકેશન માટેની તક વધી જતી હોય છે અને 26 વર્ષના નીરજે ટોક્યો ઑલિમ્પિક્સમાં પહેલા પ્રયાસમાં જ એ અંતર પાર કરી લીધું હતું. આ વખતે અહીં પણ તેણે પ્રથમ રાઉન્ડમાં ભાલો 84 મીટરથી ક્યાંય દૂરના અંતરે ફેંકીને ક્વૉલિફિકેશન હાંસલ કરી લીધું.
પાકિસ્તાનનો ઍથ્લીટ અર્શદ નદીમ જે નીરજનો મિત્ર અને હરીફ છે, તેણે ક્વૉલિફિકેશન રાઉન્ડમાં ભાલો 86.59 મીટર દૂર ફેંકીને ફાઇનલમાં એન્ટ્રી કરી લીધી હતી.
અર્શદ નદીમ કૉમનવેલ્થ ગેમ્સનો ગોલ્ડ-મેડલિસ્ટ છે. જોકે તે ઘણી મોટી સ્પર્ધાઓમાં નીરજ સામે ઝાંખો પડી ચૂક્યો છે. ગ્રૂપ-એમાં ભારતનો જ કિશોર જેના ફાઇનલમાં પહોંચવા સંઘર્ષ કરી રહ્યો હતો, કારણકે તેણે ભાલો 80.73 મીટર દૂર ફેંક્યો હતો. છેવટે નીરજ ચોપડાવાળા ગ્રૂપ-બીના ઍથ્લીટોના પરિણામો આવતાં જાહેરાત થઈ હતી કે કિશોર જેનાએ આ સ્પર્ધામાંથી એક્ઝિટ કરવી પડી હતી.
કુલ 12 ઍથ્લીટને ફાઇનલમાં પહોંચવા મળે છે. ગ્રૂપ-એમાં ઍન્ડરસન પીટર્સે ભાલો 88.83 મીટર દૂર ફેંક્યો હતો અને ફાઇનલમાં આસાનીથી પ્રવેશ મેળવ્યો હતો.
હિમાચલ પ્રદેશના પાટનગર શિમલા અને કુલ્લુમાં શ્રીખંડ મહાદેવ પાસે ગ્લેશિયર અને વાદળ ફાટતા થયેલા ભૂસ્ખલનથી ૫૦ લોકોનાં મોતની આશંકા સેવાઈ રહી છે. હિમાચલમાં ભારે વરસાદના કારણે રામપુરના સમેજ ગામમાં ૩૬ લોકો લાપતા છે જ્યારે કુલ્લુના બાગી પુલમાં છ લોકો હજુ પણ ગુમ થઈ ગયા છે. આ સિવાય ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ, ઝારખંડમાં પણ મૂશળધાર વરસાદ પડયો હતો.
હિમાચલ પ્રદેશના ત્રણ જિલ્લામાં વાદળ ફાટવાથી ભારે વિનાશ વેરાયો છે. અનેક ઈમારતોને નુકસાન ઘયું છે તથા અનેક લોકો લાપતા થઈ ગયા હોવાની માહિતી મળી છે. આ લોકોને શોધવા માટે સર્ચ ઓપરેશન પણ ચલાવાઈ રહ્યું છે. આવા સમયે મંત્રી વિક્રમાદિત્ય સિંહે કહ્યું છે કે આ દુર્ઘટનામાં અંદાજે ૫૦ લોકો માર્યા ગયા હોવાની આશંકા છે. જોકે, સત્તાવાર સંખ્યા સર્ચ ઓપરેશન પૂરું થયા પછી જ કહી શકાશે.
શિમલા જિલ્લાના રામપુરના સમેજ ગામમાં વાદળ ફાટવાની દુર્ઘટના સર્જાઈ હતી. આ સમયે એક પ્રવાસીએ શૂટ કરેલો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં ગ્લેશિયર તૂટવાથી ભારે વિનાશ સર્જાયો હતો. આ વિસ્તારમાં એનડીઆરએફ, આઈટીબીપી, એસડીઆરએફ, સીઆઈએસએફ, પોલીસ અને હોમગાર્ડ સહિત કુલ ૪૧૦ બચાવ કર્મચારી ડ્રોનની મદદથી સર્ચ ઓપરેશન કરી રહ્યા છે. સમેજ ગામમાં બચાવ કર્મચારીઓને જોઈને એક વૃદ્ધ બક્શી રામે કહ્યું કે, શ્રીખંડ ભૂસ્ખલનમાં તેમણે તેમના પરિવારના ૧૬ લોકોને ગુમાવી દીધા છે.
દરમિયાન ઉત્તરાખંડમાં ભારે વરસાદના કારણે હિમાલયમાં આવેલા યાત્રાધામ કેદારનાથમાં હજારો શ્રદ્ધાળુઓ ફસાયા છે, જેમને બચાવવા માટે ત્રણ દિવસથી બચાવ અભિયાન ચલાવાઈ રહ્યું છે, જેમાં ૧૦,૫૦૦થી વધુ શ્રદ્ધાળુઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. કેટલાક લોકોને એરફોર્સના હેલિકોપ્ટર્સથી એરલિફ્ટ કરાયા હતા. અધિકારીઓએ કહ્યું કે, કેદારનાથ, બિમ્બલિ અને ગૌરિકુંડમાં ૧,૩૦૦થી વધુ શ્રદ્ધાળુઓ ફસાયા છે, પરંતુ તેઓ સલામત છે. શ્રદ્ધાળુઓને બચાવવા માટે એનડીઆરએફ, એસડીઆરએફ અને પોલીસના કર્મચારીઓ બચાવ અભિયાનમાં કામે લાગ્યા છે. ઈન્ડિયન એરફોર્સના ચિનૂક અને એમઆઈ-૧૭ હેલિકોપ્ટર્સ પણ કેટલાક શ્રદ્ધાળુઓને એરલિફ્ટ કરી રહ્યા છે.
પૂર્વ ભારતમાં ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં પણ મૂશળધાર વરસાદે ભારે વિનાશ વેર્યો છે. ઝારખંડમાં છેલ્લા બે દિવસમાં વરસાદના કારણે કેટલાક માર્ગો ધોવાઈ ગયા છે, વૃક્ષો મૂળમાંથી ઊખડી ગયા છે, મકાનોને ભારે નુકસાન થયું છે જ્યારે એક પૂલ પણ તૂટી પડયો છે. જોકે, રાજ્યમાં હજુ સુધી જાનહાનીના કોઈ સમાચાર નોંધાયા નથી તેમ હવામાન અધિકારીએ કહ્યું હતું.
દેવગૌડા પરિવારને માથું કૂટવાનો વારો, પૈસાદાર પરિવારના ફરજંદ પ્રજ્વલ સામે અત્યાર સુધીમાં બળાત્કારના ત્રણ કેસ નોંધાયેલા છે
દેવ ગૌડા પરિવાર પાસે પ્રજ્વલને બચાવવા માટેનું મુખ્ય હથિયાર સેક્સ ટેપ્સને બનાવટી સાબિત કરવાનું હતું પણ એફએસએલના રીપોર્ટે આ હથિયારને સાવ બુઠ્ઠું કરી નાંખ્યું છે. પ્રજ્વલ સામે અત્યાર સુધી બળાત્કારના ત્રણ કેસ નોંધાયેલા છે. પ્રજ્વલની કામવાળીની ફરિયાદ પ્રમાણે, પોતે ૨૦૧૯થી ૨૦૨૨ દરમિયાન પ્રજ્વલના ઘરે કામ કરતી હતી ત્યારે પ્રજ્વલ તથા તેના ધારાસભ્ય બાપ રેવન્નાએ તેને વારંવાર હવસનો શિકાર બનાવીને શરીર સંબંધ બાંધ્યા હતા. પ્રજ્વલ તેની દીકરીને પણ ગંદા વીડિયો કોલ કરીને શરીર સંબંધ બાંધવા દબાણ કરતો હતો. જેડીએસની એક મહિલા નેતા સાથે પણ પ્રજ્વલ તેની ઓફિસમાં જ શરીર સુખ માણતો હતો એવી મહિલાની ફરિયાદ છે.
લોકસભાની ચૂંટણી પહેલાં ખળભળાટ મચાવનારા પ્રજ્વલ રેવન્ના સેક્સ કાંડમાં મહત્વનો વળાંક આવ્યો છે. પ્રજ્વલ રેવન્નાના અલગ અલગ મહિલાઓ સાથેના સેક્સના ૨૯૭૬ વીડિયો અને સેંકડો અશ્લીલ ફોટા સાથેની પેન ડ્રાઈવ ચૂંટણી પહેલાં ફરતી થતાં પ્રજ્વલ જર્મની ભાગી ગયો હતો. બહુ મથાવ્યા પછી પ્રજ્વલ હાજર થયો ત્યારે તેણે દાવો કરેલો કે, આ સેક્સ ટેપ્સ મોર્ફ કરેલી અને એડિટ કરાયેલી એટલે કે બનાવટી છે. પોતાના પરિવારને રાજકીય રીતે ખતમ કરવા નકલી સેક્સ સીડીઓ ફરતી કરાઈ છે. પ્રજ્વલનો પરિવાર પણ આ રેકર્ડ વગાડયા કરતો હતો.
આ સેક્સ ટેપ્સની સત્યતાની ચકાસણી કરવા ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (એફએસએલ)માં મોકલાયેલી. એફએસએલના રીપોર્ટ પ્રમાણે, પ્રજ્વલની સેક્સ સીડીઓ અસલી છે અને તેમાં કોઈ છેડછાડ કરાયેલી નથી. એફએસએલ દ્વારા કેસની તપાસ કરી રહેલી સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (એસઈઆઈટી)ને અપાયેલા રીપોર્ટમાં સાફ લખાયેલું છે કે, એક પણ સેક્સ ટેપ મોર્ફર્ડ, એનિમેટેડ કે એડિટેડ નથી.
એફએસએલના રીપોર્ટમાં એવું પણ કહેવાયું છે કે, સેક્સ ટેપ્સમાં દેખાતી વ્યક્તિનો શારિરિક દેખાવ પ્રજ્વલ રેવન્નાને મળતો આવે છે. ઘણી સેક્સ ટેપ્સમાં વ્યક્તિનો ચહેરો સ્પષ્ટ નથી દેખાતો તેથી તેમાં પ્રજ્વલ જ છે એવું ના કહી શકાય પણ મોટા ભાગના વીડિયોમાં પ્રજ્વલ જ છે એ સ્પષ્ટ છે એવું રીપોર્ટમાં કહેવાયું છે.
એફએસએલના રીપોર્ટના પગલે પ્રજ્વલ ફરતે ગાળિયો વધારે કસાયો છે એ સ્પષ્ટ છે. દેવ ગૌડા પરિવાર પાસે પ્રજ્વલને બચાવવા માટેનું મુખ્ય હથિયાર તેની સેક્સ ટેપ્સને બનાવટી સાબિત કરવાનું હતું પણ એફએસએલના રીપોર્ટે આ હથિયારને સાવ બુઠ્ઠું કરી નાંખ્યું છે. પ્રજ્વલ સામે બીજા મજબૂત પુરાવા છે જ. પ્રજ્વલ સામે અત્યાર સુધી બળાત્કારના ત્રણ કેસ નોંધાયેલા છે.
આ પૈકી પહેલો કેસ ૨૮ એપ્રિલે તેમની કામવાળીએ નોંધાવેલો. કામવાળીની ફરિયાદ પ્રમાણે, પોતે ૨૦૧૯થી ૨૦૨૨ દરમિયાન પ્રજ્વલના ઘરે કામ કરતી હતી ત્યારે પ્રજ્વલ તથા તેના ધારાસભ્ય બાપ રેવન્નાએ તેને વારંવાર હવસનો શિકાર બનાવીને શરીર સંબંધ બાંધ્યા હતા. પ્રજ્વલ તેની દીકરીને પણ ગંદા વીડિયો કોલ કરીને શરીર સંબંધ બાંધવા દબાણ કરતો હતો એવો આક્ષેપ મહિલાએ કર્યો છે. આ કેસમાં પોલીસને પ્રજ્વલે કરેલા અશ્લીલ વીડિયો કોલનાં રેકોર્ડિંગ મળેલાં છે.
મહિલા તથા તેની દીકરીએ નોંધાવેલા બે અલગ અલગ કેસો ઉપરાંત જેડીએસની એક મહિલા નેતાએ પણ પ્રજ્વલ સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. પ્રજ્વલ સાંસદ હોવાથી તેની પાસે લોકોનાં કામ કરાવવા જતી કાર્યકર સાથે પ્રજ્વલ તેની ઓફિસમાં જ શરીર સુખ માણતો હતો એવી મહિલાની ફરિયાદ છે. પ્રજ્વલે આ મહિલા સાથેના સેક્સ સંબંધોનું રેકોર્ડિંગ કરેલું ને તેના પુરાવા પણ મળ્યા છે. આ ત્રણ કેસના પુરાવા જોતાં પ્રજ્વલને ફિટ કરી દેવા માટે કર્ણાટક પોલીસની એસઆઈટી પાસે મજબૂત પુરાવા છે. હવે એફએસએલના રીપોર્ટમાં તમામ સેક્સ ટેપ પણ સાચી હોવાનું સાબિત થતાં પ્રજ્વલ સામે પુરાવાની કોઈ કમી જ નહીં રહે.
આ સંજોગોમાં અત્યારે પ્રજ્વલ બરાબરનો ભેખડે ભરાયેલો છે એ સ્પષ્ટ છે. લોકોએ લોકસભાની ચૂંટણીમાં તેને હરાવીને આક્રોશ ઠાલવ્યો છે તેથી તેની રાજકીય કારકિર્દી સામે પણ સવાલ છે. જેડીએસ દ્વારા તેને સસ્પેન્ડ કરી દેવાયો છે. પ્રજ્વલના કાકા કુમારસ્વામી અત્યારે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારમાં મંત્રી છે પણ એ ખુલ્લેઆમ તેનો બચાવ કરી શકે તેમ નથી એ જોતાં પ્રજ્વલ માટે છટકવું મુશ્કેલ છે.
જો કે રાજકારણમાં ક્યારે ચિત્ર બદલાઈ જાય ને રાજકારણીઓ પણ ક્યારે બદલાઈ જાય એ નક્કી નહીં. ભવિષ્યમાં કર્ણાટકની કોંગ્રેસ સરકાર જેડીએસ સાથે સોદાબાજી કરી લે તો પ્રજ્વલ બચી જાય એવું પણ બને. રાજકારણમાં આ પ્રકારની સોદાબાજી નવી વાત નથી. નેતાઓ રાજકીય સ્વાર્થને ખાતર ગમે તેવી સોદાબાજી કરતાં ખચકાતા નથી હોતા.
અત્યાર સુધી કોંગ્રેસ સરકારે જેડીએસ સાથે સોદાબાજી કરીને પ્રજ્વલને બચાવવામા તેને રસ હોવાના કોઈ સંકેત આપ્યા નથી પણ ચિત્ર ક્યારે બદલાઈ જાય એ નક્કી નહીં.
લોકસભાની ચૂંટણી હમણાં જ પતી છે તેથી સાડા ચાર વર્ષ પછીની વાત છે. કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણીને પણ સાડા ત્રણ વર્ષની વાર છે તેથી અત્યારે કોંગ્રેસને જેડીએસની ગરજ નથી પણ ભવિષ્યમાં ગરજ ઉભી થાય તો કોંગ્રેસ જેડીએસ સાથે હાથ મિલાવીને પ્રજ્વલને બચાવી લે એવું બને.
દેવ ગૌડાના પરિવાર પાસે પુષ્કળ પૈસો છે અને પોતાની વફાદાર મતબેંક છે. એક જમાનામાં મુસ્લિમોનો મોટો વર્ગ દેવ ગૌડાને વફાદાર હતો પણ હવે મુસ્લિમો કોંગ્રેસ તરફ વળી ગયા છે. અલબત્ત દેવ ગૌડાની પોતાની જ્ઞાાતિ વોક્કાલિગાનો મોટો વર્ગ દેવ ગૌડા સાથે છે. આ વોક્કાલિગા મતબેંકના કારણે જ ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં ભાજપની બેઠકો બચી ગઈ. કર્ણાટકમાં લોકસભાની ૨૮ બેઠકોમાંથી ભાજપે ૧૭ અને જેડીએસે ૨ બેઠકો જીતી. એનડીએને ૧૯ જ્યારે સત્તાધારી કોંગ્રેસને માત્ર ૯ બેઠકો મળી તેનું કારણ દેવ ગૌડાની વોક્કાલિંગા મતબેંક છે. ભવિષ્યમાં આ મતબેંકને પોતાની તરફ વાળવા કોંગ્રેસ જેડીએસ સાથે હાથ મિલાવી શકે, પ્રજ્વલને બચાવ શકે. આશા રાખીએ કે એવું ના બને કેમ કે પ્રજ્વલનો અપરાધ બહુ મોટો છે. ભાજપને સેંકડો સ્ત્રીઓને હવસનો શિકાર બનાવનારા પ્રજ્વલનાં કરતૂતોની ખબર હોવા છતાં આંખ આડા કાન કરીને જેડીએસ સાથે જોડાણ કરી લીધું. તેના કારણે તેની ભલે થોડી જ ઘટી પણ આબરૂ સાવ જતી રહી.
પ્રજ્વલે મહિલા અધિકારીઓ સાથે સેક્સ માણીને વીડિયો બનાવી બ્લેકમેઈલ કરી
પ્રજ્વલ રેવન્નાની હવસનો શિકાર ઘણી બધી મહિલા અધિકારીઓ પણ બની છે. પ્રજ્વલ તેમને બ્લેકમેઈલિંગ કરીને પોતાનું ધાર્યું કરાવતો હતો એવો આક્ષેપ ખુદ ભાજપના જ નેતા દેવરાજ ગૌડાએ કર્યો હતો. દેવરાજ ગૌડાએ કર્ણાટક ભાજપ પ્રમુખ બી.વાય વિજયેન્દ્રને ૮ ડીસેમ્બર, ૨૦૨૩ના રોજ લખેલ પત્રમાં લખેલું કે, એચ.ડી. દેવગૌડાના પરિવારજનો સામે અત્યંત ગંભીર પ્રકારના આક્ષેપો છે.
ગૌડાએ લખેલું કે, પ્રજ્વલ રેવન્નાના સેક્સ વીડિયોની પેન ડ્રાઈવ ફરતી થઈ છે. તેમાં ૨૯૭૬ વીડિયો છે અને આ પૈકી કેટલાક વીડિયોમાં દેખાતી મહિલાઓ સરકારી અધિકારી છે. સેક્સ વીડિયોનો ઉપયોગ તેમને બ્લેકમેઈલ કરીને વારંવાર સેક્સ સંબંધો બાંધવાની ફરજ પાડવા તથા પોતાનાં કામો કરાવવા માટે થાય છે એવો આક્ષેપ ગૌડાએ કર્યો હતો.
પ્રજ્વલના પિતા એચ.ડી. રેવન્ના અને તેની માતા ભવાની પુત્રની કામલીલા પર ઢાંકપિછોડો કરી રહ્યાં હોવાનો આક્ષેપ પણ ગૌડાએ કર્યો હતો. સંખ્યાબંધ મહિલા અધિકારીઓએ પ્રજ્વલ સાથે સેક્સ સંબધો હોવાની કબૂલાત કરી છે પણ કોઈ ફરિયાદ નોંધાવવા આગળ આવ્યું નથી.
ગૌડાએ ચેતવણી આપી હતી કે, પ્રજ્વલ રેવન્નાના સેક્સ વીડિયો અને ફોટો સાથેની બીજી પેન ડ્રાઈવ કોંગ્રેસની નેતાગીરી પાસે પણ પહોંચી ગઈ છે. ભાજપ લોકસભાની ચૂંટણીમાં જેડીએસ સાથે જોડાણ કરે તો આ વીડિયો કોંગ્રેસ માટે બ્રહ્માસ્ત્ર સાબિત થશે અને ભાજપની છાપ બળાત્કારીના પરિવાર સાથે જોડાણ કરનારી પાર્ર્ટી તરીકેની પડી જશે તેથી ભાજપની ઈમેજને જોરદાર ફટકો પડશે.
પ્રજ્વલ સેક્સ કાંડના મામલે કર્ણાટકમાં ભાજપ અને જેડીએસ વચ્ચે તણાવ શરૂ થઈ ગયો છે. ભાજપે સિધ્ધરામૈયાના કહેવાતા ભ્રષ્ટાચાર સામે સાત દિવસની પદયાત્રા શરૂ કરી છે. બેંગલુરૂથી મૈસૂરની આ પદયાત્રામાં પહેલાં કેન્દ્રીય મંત્રી કુમારસ્વામી સહિતના જેડીએસના બીજા નેતા પણ જોડાવાના હતા પણ છેલ્લી ઘડીએ કુમારસ્વામી ખસી ગયા. ભાજપે હસ્સનના ધારાસભ્ય પ્રીતમ ગૌડાને પદયાત્રામાં સામેલ કર્યા તેના વિરોધમાં કુમારસ્વામીએ જેડીએસ યાત્રામાં નહી જોડાય એવું એલાન કર્યું છે.
કુમારસ્વામીનું કહેવું છે કે, ભાજપે પ્રીતમ ગૌડાને પદયાત્રામાં સામેલ કરીને સમગ્ર દેવ ગૌડા પરિવારનું અપમાન કર્યું છે. કુમારસ્વામીના દાવા પ્રમાણે, પ્રજ્વલ રેવન્નાની સેક્સ સીડી અને અશ્લીલ ફોટોની પેન ડ્રાઈવ પ્રીતમ ગૌડાએ ફરતી કરી હતી. કુમારસ્વામીએ સવાલ કર્યો છે કે, એચ.ડી. દેવગૌડાના પરિવાર સામે ઝેર ફેલાવનારી વ્યક્તિ સાથે હું મંચ પર બેસું એ શક્ય છે ?
કુમારસ્વામીના વલણે ભાજપને આંચકો આપ્યો છે કેમ કે. પ્રીતમ ગૌડાએ સેક્સ ટેપ ફરતી કરીને પ્રજ્વલને ઉઘાડો પાડયો છે, દેવ ગૌડા પરિવાર સામે કોઈ ઝેર ફેલાવ્યું નથી. પ્રીતમ ગૌડાની હાજરી સામે વાંધો લઈને કુમારસ્વામી આડકતરી રીતે સેક્સ કાંડના આરોપી પ્રજ્વલનો બચાવ કરી રહ્યા છે.
પેરિસ ઓલિમ્પિકમાં ભારતની પુરુષ હોકી ટીમે આજે ઇતિહાસ રચી દીધો છે. આ ટીમે 42 વર્ષ પછી ઓસ્ટ્રેલિયાને ઓલિમ્પિકમાં હરાવ્યું છે. છેલ્લે ભારતે 1972માં ભારતે ઓસ્ટ્રેલિયાને ઓલિમ્પિકમાં હરાવ્યું હતું. ભારતે આ મેચમાં શરૂઆતથી જ પ્રભુત્વસભર રમત રમી હતી. ભારતનો 3-2 થી વિજય થયો હતો. આ સાથે ભારત પુલમાં બીજા ક્રમે છે. અગાઉ ભારત બેલ્જિયમ સામે 2-1થી હાર્યું હતું.
ભારતે ન્યુઝીલેન્ડ અને આયર્લેન્ડ સામે જીત મેળવી હતી, જ્યારે આર્જેન્ટિના સામે 1-1થી ડ્રો રમી હતી. આ સાથે ભારત પોતાના પુલમાં બીજા ક્રમે પહોંચી ગયું છે. ભારત અને ઓસ્ટ્રેલિયાની હોકી ટીમો પેરિસ ઓલિમ્પિકના ગ્રુપ બીમાં છે. આ ગ્રુપમાં બેલ્જિયમ ચારેય મેચ જીતીને આ ગ્રુપમાં નંબર વન પર છે. આ મેચ અગાઉ ઓસ્ટ્રેલિયા 9 પોઈન્ટ સાથે બીજા અને ભારત 7 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને હતું. આર્જેન્ટિનાના પણ 7 પોઈન્ટ હતા. પરંતુ ગોલ તફાવતમાં પાછળ હોવાને કારણે તે ભારતથી પાછળ હતું. આયર્લેન્ડ અને ન્યુઝીલેન્ડ તેમની ચારેય મેચ હારી ચૂક્યા છે અને ટાઇટલની રેસમાંથી બહાર થઇ ગયા છે.
ભારત તરફથી અભિષેકે પહેલો ગોલ ફટકાર્યો હતો. ત્યાર બાદ કેપ્ટન હરમનપ્રીતે બે ગોલ ફટકાર્યા હતા. આ બંને ગોલ તેણે પેનલ્ટીમાંથી ગોલમાં કન્વર્ટ કર્યા હતા. ભારતનું ડિફેન્સ પણ જોરદાર રહ્યું હતું. ઓસ્ટ્રેલિયાના ગોલ કરવાના ઘણા પ્રયાસો ગોલકીપર શ્રીજેશના કારણે નિષ્ફળ ગયા હતા. ભારત તરફથી મિડ ફિલ્ડની રમત પણ શાનદાર રહી હતી.
છેલ્લે ભારત ઓલિમ્પિકમાં 1972માં મ્યુનિક ગેમ્સમાં ઓસ્ટ્રેલિયા સામે જીત્યું હતું. ઓસ્ટ્રેલિયા ગયા ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યું હતું અને ભારતે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. 52 પહેલા ભારતે મેળવેલી જીત ઘાસના મેદાનમાં રમાયેલી મેચ હતી. ભારતે આ સાથે મેડલની આશા જગાડી છે.
જીએસટી કલેકશનમાં વૃદ્ધિ જળવાઈ રહી છે. જુલાઈનું જીએસટી કલેકશન ૧૦.૩ ટકા વધીને રુ. ૧.૮૨ લાખ કરોડ થયું છે, આ કલેકશન અત્યાર સુધીનું ત્રીજા નંબરનું સૌથી ઊંચુ કલેકશન છે. આમ એપ્રિલથી જુનના ક્વાર્ટરમાં કુલ રુ. ૭.૩૯ લાખ કરોડનું જીએસટી કલેકશન થયું છે. આ કલેકશન એપ્રિલ ૨૦૨૪માં રુ. ૨.૧૦ લાખ કરોડ, એપ્રિલ ૨૦૨૩ના રુ. ૧.૮૭ લાખ કરોડ પછીનું ત્રીજા નંબરનું કલેકશન છે.
જુલાઈમાં કુલ રુ. ૧૬,૨૮૩ કરોડના રિફંડ પછી જોઈએ તો નેટ જીએસટી કલેકશન રુ. ૧.૬૬ લાખ કરોડ થયું છે. આમ તેમાં વાર્ષિક ધોરણે ૧૪.૪ ટકાનો વધારો થયો છે. જીએસટીની કુલ આવક રુ. ૧.૮૨ લાખ કરોડ થઈ તેમા આઇજીએસટી (ઇન્ટિગ્રેટેડ જીએસટી) પેટે રુ. ૯૬,૪૪૭ કરોડની આવક થઈ છે. તેનું કારણ કમ્પેન્સેશન સેસ પેટે રુ. ૧૨,૯૫૩ કરોડની થયેલી જંગી આવક છે. આ ઉપરાંત સેન્ટ્રલ જીએસટી પેટે રુ. ૩૨,૩૮૬ કરોડ અને સ્ટેટ જીએસટી પેટે રુ. ૪૦,૨૮૯ કરોડની આવક થઈ છે.
સ્થાનિક પ્રવૃત્તિઓમાં વધારો થવાથી કર ટેક્સ પેટે આવક ૮.૯ ટકા વધી રુ. ૧.૩૪ લાખ કરોડ થઈ હતી. જ્યારે આયાતવેરા પેટે આવક ૧૪.૨ ટકા વધી રુ. ૪૮,૦૩૯ કરોડ થઈ હતી. ડેલોઇટ ઇન્ડિયાના પાર્ટનર એમએસ મણિએ જણાવ્યું હતું કે કુલ જીએસટી આવકમાં ૧૦.૩ ટકા વધારો થયો છે, પરંતુ તે બાબત રસપ્રદ છે કે જીએસટી આવકમાં સ્થાનિક પુરવઠા કરતાં આયાત પેટે વધુ આવક થઈ છે. જૈને જણાવ્યું હતું કે આગામી મહિનાઓમાં તહેવારો આવવાના હોવાથી જીએસટી કલેકશનની આવકમાં ઉછાળો આવી શકે છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.