CIA ALERT

ઇન્ડીયા Archives - CIA Live

November 14, 2025
image-12.png
1min24

લાલ કિલ્લા નજીક દસમી નવેમ્બરના કાર વિસ્ફોટની તપાસનો ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે. આ વિસ્ફોટ તો એક ખતરનાક ષડયંત્રનો નાનો ભાગ હતો. આતંકવાદીઓનો મૂળ ઉદ્દેશ તો બાબરી મસ્જિદ ધ્વંસની વરસી એટલે છઠ્ઠી ડિસેમ્બરના દિલ્હી સહિત દેશમાં 32 કારમાં બોમ્બ મૂકીને શ્રેણીબદ્ધ વિસ્ફોટ કરવાનો હતો. બાબરી ધ્વંસનો બદલો લેવાની યોજના હતી. આ શ્રેણીબદ્ધ ધડાકા માટે બ્રેન્ઝા, સ્વિફ્ટ ડિઝાયર અને i20 જેવી 32 કારનો ઉપયોગ કરવાના હતા.

દસમી નવેમ્બરના i20 કારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તપાસ એજન્સીને અત્યાર સુધીમાં ચાર કાર મળી ચૂકી છે, જ્યારે કેન્દ્ર સરકારે પણ આ હુમલાને આતંકી માન્યો છે. એની વચ્ચે તપાસ એજન્સીએ તપાસ પણ વધુ સઘન બનાવવાના અહેવાલ વચ્ચે હરિયાણાના ખંદાવલી ગામમાં વધુ એક લાવારિસ કાર મળતા ખળભળાટ મચી ગયો છે, જ્યારે તેની તપાસ પણ એનએસજી કરી રહી છે.

સમગ્ર મોડ્યુલનું કેન્દ્ર ફરિદાબાદની અલ ફલાહ યુનિવર્સિટી બની હતી. આસિસ્ટંટ પ્રોફેસર ડોક્ટર મુઝમ્મિલ ગનીએ પોતાના રુમમાં વિસ્ફોટક જમા કર્યો હતો. 20 દિવસ પહેલા પડોશીઓએ પૂછ્યું ત્યારે તેને ચાલાકીથી ‘ખાતરની ગૂણી’ને કાશ્મીરથી લાવ્યા હોવાનું જણાવ્યું હતું. પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ પણ ચકાસવા માટે જપ્ત કર્યા છે, જ્યારે ધરપકડ કરવામાં આવેલા આઠ આરોપીમાંથી છ ડોક્ટર છે. શ્રીનગરનો અન્ય શંકાસ્પદ ડોક્ટર નિસાર ફરાર છે, જે ડોક્ટર્સ એસોસિયેશન ઓફ કાશ્મીરનો પ્રમુખ છે.

વિસ્ફોટનું ષડયંત્ર જાન્યુઆરીમાં રચ્યું હતું. ડોક્ટર મુઝમ્મિલ ગની અને ધમાકામાં માર્યા જનારા ઉમર અલી જાન્યુઆરીમાં લાલ કિલ્લાની રેકી કરી હતી. તેનો મુખ્ય પ્લાન છઠ્ઠી ડિસેમ્બરના હુમલો કરવાનો હતો, પરંતુ મુઝમ્મિલની ધરપકડે યોજનાને ઊંધી પાડી હતી. પોલીસે પચાસથી વધુ સીસીટીવી કેમેરા ઉમરની છેલ્લી મૂવમેન્ટ ટ્રેક કરી હતી. નવમી નવેમ્બરના રાતના ફરિદાબાદથી નીકળ્યા પછી નૂંહમાં રાતમાં વીતાવી, સવારે દિલ્હી આવ્યો અને બપોરના 3.19 વાગ્યે કાર લાલ કિલ્લા નજીક પાર્ક કરી હતી, જે સાંજના 6.52 વાગ્યા જબરદસ્ત ધમાકામાં નાશ થઈ હતી.

દસમી નવેમ્બરના લાલ કિલ્લાના વિસ્ફોટમાં તુર્કીયે કનેક્શન બહાર આવ્યું છે, જ્યાં ઉકાસા નામનો હેન્ડલર પોતાના સાગરિતોને નિર્દેશ આપી રહ્યો હતો. આ બધું કામ સેશન એપ પર ચેટ મારફત કર્યું હતું. સમગ્ર કેસની સુરક્ષા એજન્સી તપાસ કરી રહી છે ત્યારે બ્લાસ્ટના માસ્ટરમાઈન્ડ ઉમર અને શાહિનને કોઈ સાધારણ વ્યક્તિ ગાઈડ કરી રહ્યો નહોતો, પરંતુ તુર્કીયેમાં રહેલ હેન્ડલરના ઈશારે કામ કરતા હતા.

તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી ડોક્ટર ઉમર તુર્કીયે સ્થિત અંકારામાં બેઠેલા એક હેન્ડલરના સંપર્કમાં હતા, જેનું કોડનેમ ઉકાસા જાણવા મળ્યું છે. ફોરેન્સિક તપાસમાં મળેલી ચેટ હિસ્ટ્રી આ કનેક્શનને સૌથી મહત્ત્વની કડી માને છે, જેના આદેશ, ટાઈમિંગ અને ટાર્ગેટ પણ ત્યાંથી મળ્યા હોવાનું કહેવાય છે. આ હેન્ડલરનો કોન્ટેક્ટ JeM (જૈસ-એ-મોહમ્મદ) સાથે છે, જે વિદેશથી નિર્દેશ આપવાની સાથે આર્થિક અને વ્યૂહાત્મક મદદ કરતો હતો. જોકે, તુર્કીયે આ રિપોર્ટનો વિરોધ કર્યો છે, પરંતુ તપાસ એજન્સી તપાસ કરે છે.

તપાસમાં ઉમરના ફોન અને લેપટોપથી એન્ક્રિપ્ટેડ મેસેન્જર Sessionની ચેટ હિસ્ટ્રી મળી છે. એજન્સી માને છે કે આ એપ્લિકેશન મારફત ઉકાસા અને ઉમરની વચ્ચે નિયમિત સંપર્કમાં રહેતા હતા અને ઓપરેશન સંબંધમાં નિર્દેશ આપવામાં આવ્યા હતા. એન્ક્રિપ્ટેડ ચેટ વિદેશી હેન્ડલર્સ અને સ્થાનિક કાર્યકર્તાઓની વચ્ચે ગુપ્ત મેસેજનું આદાન-પ્રદાન કરે છે, જે તપાસને અવરોધે છે. ડિજિટલ પુરાવાની ડીક્રિપ્શન અને ટાઈમલાઈન આ બંને બાબત તપાસનો મુખ્ય ઉદ્દેશ છે.

તપાસમાં જાણવા મળ્યું છે કે આઠ શંકાસ્પદો દ્વારા ચાર અલગ અલગ શહેરમાં એક સાથે શ્રેણીબદ્ધ વિસ્ફોટ કરવાનું ષડયંત્ર રચ્યું હતું. પ્લાન અનુસાર નાની-નાની ટીમ દ્વારા અલગ અલગ લોકેશન પર જઈને આઈઈડી પ્લાન્ટ કરવા ઈચ્છતા હતા, જેથી વિનાશ સર્જાય. કહેવાય છે કે સૌથી મોટો હુમલો રોકવા માટે બારમી તારીખના એલર્ટ જારી કર્યું હતું. આ એલર્ટ અને ટાઈમલાઈનને કારણે તમામ એજન્સી સતર્ક હતી, જેનાથી મોટી જાનહાનિ ટળી ગઈ.

November 12, 2025
image-9.png
1min23

બિહાર વિધાનસભા ચૂંટણીના મતદાન માટે મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો, ગઈ કાલે યોજાયેલા બીજા તબક્કામાં લગભગ 69 ટકા મતદાન નોંધાયું, બંને તબક્કા મળીને કુલ લગભગ 66 ટકા મતદાન નોંધાયું, જે ગત વિધાનસભા ચૂંટણી કરતા લગભગ 9.6 ટકા વધુ છે. પરિણામ શુક્રવારે જાહેર થશે એ પહેલા કેટલાક એક્ઝિટ પોલ્સમાં નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ(NDA)ની જીતની આગાહી કરવામાં આવી છે, NDA નેતા એક્ઝિટ પોલ્સને આવકારી રહ્યા છે, તો મહાગઠબંધનના નેતાઓ તેને નકલી ગણાવી રહ્યા છે.

11 નવેમ્બર 2025ના રોજ બીજા અને અંતિમ તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ મેટ્રિઝ, પી-માર્ક, પીપલ્સ પલ્સ, ભાસ્કર, પીપલ્સ ઇનસાઇટ, JVC અને પોલ ડાયરી જેવા એક્ઝિટ પોલ્સમાં અંદાજ લગાવવામાં આવ્યો કે બિહારની કુલ 243 વિધાનસભા બેઠકોમાંથી NDA ને 130થી વધુ બેઠકો મળી શકે છે, જે બહુમતના આંકડા 122થી વધુ છે. જ્યારે એક ન્યુઝ પોર્ટલ જર્નો મિરરે અંદાજ આપ્યો કે મહાગઠબંધનને ઓછામાં ઓછી 130-140 બેઠકો મળી શકે છે, જયારે NDAને 100-110 બેઠકો મળશે.

ભાજપે એક્ઝિટ પોલ્સને આવકાર્યા:

જાહેર થયેલા એક્ઝિટ પોલ્સને કારણે ભાજપ અને સાથી પક્ષોનો ઉત્સાહ વધ્યો છે. ભાજપના સાંસદ દિનેશ શર્માએ એક્ઝિટ પોલ્સનું આવકાર્યા, તેમણે કહ્યું કે બિહારમાંથી આરજેડી અને કોંગ્રેસની સફાઈ શરૂ થઈ ગઈ છે. આ વખતના પરિણામો સૌને ચોંકાવી દેશે.

ભાજપના સાંસદ મનોજ તિવારીએ કહ્યું કે મહાગઠબંધને ચૂંટણી પરિણામો પહેલા જ હાર સ્વીકારી લીધી છે. પ્રચાર દરમિયાન અમને જે સમર્થન મળ્યું એ એક્ઝિટ પોલમાં દેખાઈ રહ્યું છે.

બિહારના નાયબ મુખ્ય પ્રધાન વિજય કુમાર સિંહાએ કહ્યું કે એક્ઝિટ પોલ દર્શાવે છે કે લોકોને વડાપ્રધાન મોદી અને મુખ્ય પ્રધાન નીતિશ કુમાર પર વિશ્વાસ છે. તેમણે કહ્યું કે NDAને એક્ઝિટ પોલ્સ કરવા વધુ બેઠકો મળશે.

મહાગઠબંધને એક્ઝિટ પોલ્સને નકાર્યા:

NDA નેતા એક્ઝિટ પોલનું સ્વાગત કરી રહ્યા છે, જ્યારે મહાગઠબંધને એક્ઝિટ પોલને ફગાવી દીધા છે. મહાગઠબંધનનું માનવું છે કે બિહાર ચૂંટણીના બંને તબક્કામાં રેકોર્ડ મતદાન સત્તા પરિવર્તનના સંકેત આપે છે.

રાષ્ટ્રીય જનતા દળ(RJD) સાંસદ સુધાકર સિંહે જણાવ્યું હતું “વધુ મતદાનને હંમેશા સત્તાધારી સરકાર સામે લોકોના જનાદેશ તરીકે જોવામાં આવે છે. આપણે અંતિમ પરિણામની રાહ જોવી જોઈએ. મને વિશ્વાસ છે કે ‘મહાગઠબંધન’ બિહારમાં સરકાર બનાવશે. એક્ઝિટ પોલ વાસ્તવિક નથી”.

ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન અને સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે એક્ઝિટ પોલ્સને “પૂર્વયોજિત” અને “બનાવટી” ગણાવ્યા. તેમણે બિહારમાં સત્તા પરિવર્તન માટે મતદાન કરવા બદલ બિહારની જનતાના વખાણ કર્યા.

યાદવે એક્ઝિટ પોલના ડેટા અંગે મીડિયા પર કટાક્ષ કરતા અખિલેશ યાદવે કહ્યું, “‘જીસકા દાના ઉસકા ગાના’”

અખિલેશ યાદવે કહ્યું કે 2024ની લોકસભા ચૂંટણી દરમિયાનના એક્ઝિટ પોલની આગાહીઓ ખોટી સાબિત થઈ હતી.

November 11, 2025
image-4.png
1min17

દિલ્હી લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પાસે 10/11/2025 સાંજે એક કારમાં બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટ બાદ અનેક કાર બળીને ખાક થઈ ગઈ હતી. દિલ્હી કાર બ્લાસ્ટમાં 11 લોકોના મોત થયાં છે, જ્યારે 30થી પણ વધારે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે.

આ સમગ્ર ઘટના અંગે અમિત શાહે કહ્યું કે, આજે સાંજે, લગભગ 7 વાગ્યાની આસપાસ, દિલ્હીના લાલ કિલ્લા નજીક સુભાષ માર્ગ ટ્રાફિક સિગ્નલ પર હ્યુન્ડાઇ i20 કારમાં વિસ્ફોટ થયો છે. આ વિસ્ફોટમાં કેટલાક રાહદારીઓ ઘાયલ થયા અને કેટલાક વાહનોને નુકસાન થયું છે. પ્રાથમિક અહેવાલો પ્રમાણે, કેટલાક લોકોએ જીવ ગુમાવ્યો છે. વિસ્ફોટની માહિતી મળ્યાના 10 મિનિટની અંદર દિલ્હી ક્રાઇમ બ્રાન્ચ અને દિલ્હી સ્પેશિયલ બ્રાન્ચની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. NSG અને NIA ટીમો, FSL સાથે, હવે સંપૂર્ણ તપાસ શરૂ કરી દીધી છે. નજીકના તમામ CCTV કેમેરાની તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

આ સમગ્ર બ્લાસ્ટ અંગે વડાપ્રધાન મોદીએ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સાથે ફોન પર વાત કરીને જાણકારી લીધી હતી. આ સાથે સાથે અમિત શાહ પણ આ ઘટના મામલે સતત પોલીસ અને સુરક્ષા અધિકારીઓ પાસેથી અપડેટ લઈ રહ્યાં છે. બ્લાસ્ટ બાદ સમગ્ર દિલ્હીમાં હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.

દિલ્હી વિસ્ફોટમાં સત્તાવાર રીતે 8 લોકોના મોત, પીએમ મોદીએ મૃતક પરિવારો પ્રત્યે સંવેદના વ્યકત કરી…

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી વિસ્ફોટ અંગે પ્રતિક્રિયા આપી છે. એક્સ પર પીએમ મોદીએ વિસ્ફોટમાં જીવ ગુમાવનારાઓના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી. તેમણે કહ્યું, સત્તાવાળાઓ વિસ્ફોટથી પ્રભાવિત લોકોને સહાય પૂરી પાડી રહ્યા છે.

ગૃહમંત્રી અમિત શાહે અન્ય અધિકારીઓ સાથે પરિસ્થિતિની સમીક્ષા કરી છે. દિલ્હી વિસ્ફોટમાં અત્યાર સુધી સત્તાવાર રીતે 8 લોકોના મોત થયા છે. તેમજ મળતી માહિતી મુજબ એક પોલીસે એક શંકાસ્પદ વ્યકિતની અટકાયત પણ કરી છે.

અમિત શાહે દિલ્હીના બ્લાસ્ટ સ્થળની મુલાકાત લીધી

આ ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હોસ્પિટલમાં ઘાયલોને મળ્યા હતા. તેમજ તેની બાદ ઘટના સ્થળની પણ મુલાકાત લીધી હતી. આ સમગ્ર ઘટના અંગે અમિત શાહે કહ્યું કે, આજે સાંજે લગભગ 7 વાગ્યાની આસપાસ દિલ્હીના લાલ કિલ્લા નજીક સુભાષ માર્ગ ટ્રાફિક સિગ્નલ પર હ્યુન્ડાઇ i20 કારમાં વિસ્ફોટ થયો છે. આ વિસ્ફોટમાં કેટલાક રાહદારીઓ ઘાયલ થયા અને કેટલાક વાહનોને નુકસાન થયું છે. પ્રાથમિક અહેવાલો પ્રમાણે, કેટલાક લોકોએ જીવ ગુમાવ્યો છે.

દિલ્હી સ્પેશિયલ બ્રાન્ચની ટીમો ઘટનાસ્થળે પહોંચી

આ વિસ્ફોટની માહિતી મળ્યાના 10 મિનિટની અંદર દિલ્હી ક્રાઇમ બ્રાન્ચ અને દિલ્હી સ્પેશિયલ બ્રાન્ચની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. NSG અને NIA ટીમો, FSLસાથે, હવે સંપૂર્ણ તપાસ શરૂ કરી દીધી છે. નજીકના તમામ CCTV કેમેરાની તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

November 7, 2025
sensex_down.jpg
1min22

શેરબજાર માટે 7/11/25 શુક્રવાર ફરી બ્લેક ફ્રાઇડ બની રહ્યો છે. એશિયન શેરબજારના નકારાત્મક સંકેત અને FIIની વેચવાલીથી શુક્રવારે સેન્સેક્સ 161 પોઇન્ટ ઘટી 83,150 ખુલ્યો હતો. શેરબજારમાં ભારે વેચવાલીથી સેન્સેક્સ 600 પોઇન્ટથી વધુ તૂટ્યો અને 82690 લેવલ નીચે ઉતરી ગયો છે. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 25,509 લેવલથી નીચા ગેપમાં આજે 25433 ખુલ્યો હતો.

ડોલર સામે રૂપિયો ઘટાડે ખુલ્યો

શુક્રવારે યુએસ ડોલર સામે ભારતીયો રૂપિયો ઘટીને 88.66 ખુલ્યો હતો. ગુરુવારે રૂપિયાનો બંધ ભાવ 82.62 હતો.

ઈન્ફોસિસ શેર બાયબેક રેકોર્ડ ડેટ જાહેર

ઈન્ફોસિસ કંપનીએ તેના 18000 કરોડ રૂપિયાના શેર બાયબેક માટે રેકોર્ડ ડેટ 14 નવેમ્બર જાહેર કરી છે. આ તારીખ સુધી જે શેરધારકોના નામ શેરના લાભાર્થી માલિક તરીકે રજિસ્ટર ઓફ મેમ્બર ઓફ ધ કંપની કે ડિપોઝિટરીના રેકોર્ડમાં હશે, તે શેર બાયબેકમાં ભાગ લઇ શકશે. આ કંપનીનું અત્યાર સુધીનું સૌથી મોટું શેર બાયબેક છે. આજે બીએસઇ પર ઇન્ફોસિસનો શર પોણો ટકા ઘટી 1455 રૂપિયા બોલાતો હતો.

November 3, 2025
image.png
1min46

ભારતની મહિલા ક્રિકેટરોએ Date 02/11/2025, રવિવારે નવો ઇતિહાસ સર્જ્યો. તેમણે અહીં ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં સાઉથ આફ્રિકાને વન-ડે વર્લ્ડ કપની ફાઇનલમાં બાવન રનથી હરાવીને ટાઇટલ જીતી લીધું હતું. ભારતીય મહિલા ક્રિકેટરો પહેલી જ વાર વર્લ્ડ કપ જીતી છે. અગાઉ બે વખત 2005માં અને 2017માં ફાઇનલમાં હારી ગયા બાદ ભારતે ત્રીજી વાર ફાઇનલમાં પ્રવેશ કર્યો અને સર્વોચ્ચ ટ્રોફી જીતી લીધી.

ભારતના પુરુષોની વન-ડે ટીમે 1983માં કપિલ દેવના નેતૃત્વમાં પહેલી વર્લ્ડ કપ ટ્રોફી મેળવી હતી અને હવે હરમનપ્રીત કૌરે ભારતની મહિલા ક્રિકેટને આ અપ્રતિમ સિદ્ધિ અપાવી છે. ઘરઆંગણે આવેલી ટ્રોફીને ભારતીય ટીમે પોતાના કબજામાં કરી જ લીધી. હરમનપ્રીત, વાઇસ કૅપ્ટન સ્મૃતિ મંધાના સહિત તમામ ભારતીય ખેલાડીઓ ભાવુક થઈને રડી હતી, એકમેકને ભેટી હતી. બીજી તરફ, સાઉથ આફ્રિકાની પ્લેયર્સ પરાજયના આઘાતમાં હતાશ હતી.

વરસાદના વિઘ્નોને કારણે લગભગ બે કલાક મોડી શરૂ થયેલી ફાઇનલમાં સાઉથ આફ્રિકાએ ટૉસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરી હતી. પ્રથમ બૅટિંગ મળ્યા બાદ ભારતે 50 ઓવરમાં સાત વિકેટે 298 રન કર્યા હતા જેના જવાબમાં સાઉથ આફ્રિકાની ટીમ 45.3 ઓવરમાં 246 રને ઑલઆઉટ થઈ હતી. સ્પિન-ઑલરાઉન્ડર દીપ્તિ શર્મા (9.3-0-39-5) ફાઇનલની સુપરસ્ટાર બોલર હતી. બીજી બે સ્પિનર શેફાલી વર્માએ બે વિકેટ અને શ્રી ચરનીએ એક વિકેટ લીધી હતી.

ભારતે બૅટિંગ મળ્યા બાદ 50 ઓવરમાં સાત વિકેટે 298 રન કરીને સાઉથ આફ્રિકાને 299 રનનો તોતિંગ તથા મુશ્કેલ લક્ષ્યાંક આપ્યો હતો. સાઉથ આફ્રિકાની કૅપ્ટન લૉરા વૉલ્વાર્ટ સહિત કેટલીક ગણતરીની બૅટર્સને ભારતીય બોલર્સ કાબૂમાં રાખતાં ભારતીય મહિલાઓ માટે પહેલી વર્લ્ડ કપ ટ્રોફી જીતવી મુશ્કેલ કામ નહોતું એવું મનાતું હતું અને થયું પણ એવું જ. વિમેન ઇન બ્લૂ ટ્રોફી જીતીને રહી.

ભારતના 298 રનમાં ખાસ કરીને શેફાલી વર્મા (87 રન, 78 બૉલ, બે સિક્સર, સાત ફોર), દીપ્તિ શર્મા (58 રન, 58 બૉલ, એક સિક્સર, ત્રણ ફોર), સ્મૃતિ મંધાના (45 રન, 58 બૉલ, આઠ ફોર) તેમ જ વિકેટકીપર રિચા ઘોષ (34 રન, 24 બૉલ, બે સિક્સર, ત્રણ ફોર)ના યોગદાન હતા. જેમિમા રૉડ્રિગ્સે 24 રન અને કૅપ્ટન હરમનપ્રીતે 20 રન કર્યા હતા. પેસ બોલર આયાબૉન્ગા ખાકાએ સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી.

ઇંગ્લૅન્ડ સામેની સેમિ ફાઇનલમાં સેન્ચુરી (169 રન) કરનાર કૅપ્ટન લૉરા વૉલ્વાર્ટે રવિવારે લડાયક ઇનિંગ્સ (101 રન, 98 બૉલ, એક સિક્સર, અગિયાર ફોર)માં સદી ફટકારી ત્યારે સેલિબ્રેશન ટાળ્યું હતું, કારણકે તેની ટીમ હારી રહી હતી. છેવટે 42મી ઓવરમાં વૉલ્વાર્ટે દીપ્તિ શર્માના બૉલમાં બિગ શૉટ માર્યો અને મિડ વિકેટ પરથી દોડી આવેલી અમનજોત કૌરે જગલિંગ ઍક્ટમાં (ત્રીજા અટૅમ્પ્ટમાં) તેનો અફલાતૂન કૅચ ઝીલી લીધો હતો. એ સાથે ફાઇટિંગ સ્પિરિટ સાથે રમેલી ઓપનર વૉલ્વાર્ટની યાદગાર ઇનિંગ્સનો અંત આવ્યો હતો.

વૉલ્વાર્ટ ઓપનિંગમાં આવ્યા બાદ આઉટ જ નહોતી થતી એટલે ભારતીય બોલર્સે તેની સામા છેડા પરની બૅટરને લક્ષ્યાંક બનાવી હતી અને એક પછી એક બૅટરને આઉટ કરીને સાઉથ આફ્રિકાની ટીમને માનસિક દબાણમાં લાવી હતી. ભારતીય ફીલ્ડર્સની ફીલ્ડિંગ થોડી ખરાબ હતી. જોકે દીપ્તિએ 36મી ઓવરમાં ડર્કસેન (35 રન)નો કૅચ છોડ્યા બાદ તેને આઉટ કરી હતી.

ભારતની સાવચેતીભરી શરૂઆત

સાંજે ભારતે બૅટિંગ મળ્યા બાદ સાવચેતીભરી શરૂઆત કરી હતી અને પછીથી આક્રમક અભિગમ અપનાવ્યો હતો. ઓપનર્સ શેફાલી વર્મા અને સ્મૃતિ મંધાનાએ ચોક્કા પર ચોક્કા ફટકારીને હજારો પ્રેક્ષકોનું મનોરંજન કર્યું હતું અને જીત માટેનો પાયો નાખવાની શરૂઆત કરી હતી.

સ્મૃતિ આઉટ, જેમિમાની એન્ટ્રીથી પબ્લિક ખુશ

ભારતે 18મી ઓવરમાં 100 રન પૂરા કર્યા બાદ ઓપનર સ્મૃતિ મંધાનાએ વિકેટ ગુમાવી હતી. લેફ્ટ-આર્મ સ્પિનર ક્લૉ ટ્રાયૉનને આ મૅચમાં પહેલી જ વખત બોલિંગ મળી અને તેણે સ્મૃતિની વિકેટ અપાવી હતી. સ્મૃતિની વિકેટ પડ્યા બાદ જેમિમા રૉડ્રિગ્સ મેદાન પર ઊતરતાં જ હજારો પ્રેક્ષકોએ તેને તાળી પાડીને તેમ જ તેના નામનાં બૅનર સાથે આવકારી હતી. મેન્સ ક્રિકેટમાં દાયકાઓથી જેમ કોઈ લોકપ્રિય ખેલાડી મેદાન પર આવતાં પ્રેક્ષકો ખુશી વ્યક્ત કરતા હોય છે એવું હવે મહિલા ક્રિકેટમાં પણ જોવા મળ્યું છે.

શેફાલી પ્રથમ સેન્ચુરી ચૂકી

ભારતની યુવાન અને આક્રમક ઓપનર શેફાલી વર્મા (87 રન) ધમાકેદાર પર્ફોર્મ કરીને માત્ર 13 રન માટે વન-ડે કરીઅરની પહેલી સેન્ચુરી ચૂકી ગઈ હતી. તેણે સ્મૃતિ મંધાના (45 રન) સાથે 104 રનની અને જેમિમા રૉડ્રિગ્સ (24 રન, 37 બૉલ, એક ફોર) સાથે 62 રનની ભાગીદારી કરી હતી. ઑસ્ટ્રેલિયા સામેની સેમિ ફાઇનલમાં મૅચ-વિનિંગ અણનમ 127 રન કરનાર જેમિમા પેસ બોલર ખાકાના બૉલમાં કૅપ્ટન વૉલ્વાર્ટને કૅચ આપી બેઠી હતી. એ પહેલાં, ખાકાના જ બૉલમાં શેફાલી સુન લુસના હાથમાં કૅચઆઉટ થઈ હતી.

ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં સાઉથ આફ્રિકા સામેની ફાઇનલમાં ભારતે 35 ઓવરમાં 200 રન પૂરા કર્યા પછી રનમશીનને વેગ આપ્યો હતો, પરંતુ 223મા રને હરમનપ્રીત ક્રૉસ બૅટથી રમવા જતાં ક્લીન બોલ્ડ થઈ ગઈ હતી. સાઉથ આફ્રિકન ફીલ્ડર્સની ખરાબ ફીલ્ડિંગ વચ્ચે 40 ઓવરમાં ભારતનો સ્કોર 4/229 હતો. ત્યાર બાદ સ્કોર થોડો ધીમો પડી ગયો હતો અને 42મી ઓવરને અંતે સ્કોર 4/243 હતો. દીપ્તિ શર્મા (41 રન) સાથે અમનજોત કૌર (11 રન) રમી રહી હતી.

October 31, 2025
image-19.png
1min75

ICC મહિલા વર્લ્ડ કપ 2025ની બીજી સેમીફાઈનલમાં ગુરૂવારે (30 ઓક્ટોબર) ભારતે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને 5 વિકેટથી હરાવીને ઈતિહાસ રચ્યો છે. આ જીત સાથે જ ભારત વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચી ગયું છે. હવે 2 નવેમ્બરે ભારતીય ટીમ ફાઈનલમાં સાઉથ આફ્રિકા સામે ટકરાશે.

ઓસ્ટ્રેલિયાએ ટીમ આ ટૂર્નામેન્ટમાં આ મેચ સિવાયની તમામ મેચ જીતી હતી, પરંતુ ભારતીય ટીમે એલીસ હીલીની ટીમનો વિજય રથ રોકી દીધો. ઓસ્ટ્રેલિયાએ પહેલા બેટિંગ કરતા 49.5 ઓવર 338 રન બનાવ્યા હતા. ઓલઆઉટ થયેલા ઓસ્ટ્રેલિયાએ ભારત માટે 339 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. ભારત માટે જેમિમાએ સદી ફટકારી અને કેપ્ટન હરમનપ્રીત સાથે ત્રીજી વિકેટ માટે 167 રનોની ભાગીદારી કરી જેનાથી ભારતે 48.3 ઓવરમાં પાંચ વિકેટ પર 341 રન બનાવીને મેચ પોતાના નામે કરી.

પુરુષ કે મહિલા ક્રિકેટ નોક આઉટમાં સૌથી મોટો ચેઝ

વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા આખી ટુર્નામેન્ટમાં હાર્યું ન્હોતું પરંતુ હવે તેને બહાર કરી દેવાયું છે. સતત 25 વનડે જીત્યા બાદ ઓસ્ટ્રેલિયન મહિલા ટીમ ભારતીય ટીમ સામે હારી છે. આ વખતે નવો દેશ વર્લ્ડ ચેમ્પિયન બનશે. બીજી તરફ પુરુષ કે મહિલા ક્રિકેટ નોક આઉટમાં સૌથી મોટો ચેઝ કર્યો છે.

ઓસ્ટ્રેલિયાનો પ્રથમ ઇનિંગ્સનો સૌથી મોટો સ્કોર

ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો અને 49.5 ઓવરમાં 338 રનમાં થઈ ગયું. આ મહિલા વર્લ્ડ કપ સેમિફાઇનલમાં સૌથી વધુ સ્કોર છે. ઓસ્ટ્રેલિયાએ બુધવારે ગુવાહાટીમાં દક્ષિણ આફ્રિકા અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી પ્રથમ સેમિફાઇનલમાં સ્થાપિત રેકોર્ડને તોડી નાખ્યો. મહિલા વર્લ્ડ કપ નોકઆઉટ મેચમાં આ બીજો સૌથી વધુ સ્કોર છે. મહિલા વર્લ્ડ કપ નોકઆઉટ મેચમાં સૌથી વધુ સ્કોર 2022માં ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ફાઇનલમાં બન્યો હતો. તે સમયે ઓસ્ટ્રેલિયાએ પાંચ વિકેટે 356 રન બનાવ્યા હતા. આ ઓસ્ટ્રેલિયાનો વર્લ્ડ કપમાં ભારત સામે પ્રથમ ઇનિંગ્સનો સૌથી મોટો સ્કોર છે. ત્યારે ભારતીય મહિલા ટીમે નોક આઉટમાં સૌથી મોટો ચેઝ કર્યો છે.

જેમિમાએ ગૌતમ ગંભીરનો રેકોર્ડ તોડ્યો

જેમિમાએ ઓસ્ટ્રેલિયા સામેની સેમિફાઇનલમાં અણનમ 127 રન ફટકાર્યા, જે વર્લ્ડ કપ નોકઆઉટ મેચમાં ભારત માટે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની. ગંભીરે અગાઉ 2011ના વનડે વર્લ્ડ કપ ફાઇનલમાં શ્રીલંકા સામે 97 રન બનાવીને વર્લ્ડ કપ નોકઆઉટ મેચમાં ભારત માટે સૌથી વધુ ઇનિંગ્સનો રેકોર્ડ બનાવ્યો હતો. હવે, જેમિમાહએ ગંભીરને પાછળ છોડી દીધો છે.

વર્લ્ડ કપમાં નોકઆઉટમાં ભારતનો સૌથી વધુ ઇનિંગ્સ (પુરુષો અને મહિલા)

127* રન – જેમિમા રોડ્રિગ્સ વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા, સેમિફાઇનલ, 2025
97 રન – ગૌતમ ગંભીર વિરુદ્ધ શ્રીલંકા, ફાઇનલ, 2011
91* રન – એમએસ ધોની વિરુદ્ધ શ્રીલંકા, ફાઇનલ, 2011
89 રન – હરમનપ્રીત કૌર વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા, સેમિફાઇનલ, 2025
હરમનપ્રીત અને જેમીમાએ બનાવ્યો નવો રેકોર્ડ

ઓસ્ટ્રેલિયા સામે મહિલા વર્લ્ડ કપ સેમિફાઇનલમાં કેપ્ટન હરમનપ્રીત કૌર અને જેમીમા રોડ્રિગ્ઝે શાનદાર બેટિંગ કરી હતી. બંને બેટ્સમેનોએ ભારતની ઇનિંગ્સને સ્થિર રાખી હતી. હરમનપ્રીત અને જેમિમાએ સદીની ભાગીદારી કરીને એક નવો રેકોર્ડ બનાવ્યો. હરમનપ્રીત અને જેમીમાની ભાગીદારી મહિલા વર્લ્ડ કપ નોકઆઉટ મેચમાં કોઈપણ વિકેટ માટે સૌથી વધુ હતી.

ભારતીય ટીમ ત્રીજી વખત વનડે વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચી છે. ટીમ આ પહેલા 2005 અને 2017માં પણ ફાઈનલમાં પહોંચી હતી. ભારતે અત્યાર સુધીમાં ક્યારેય વર્લ્ડ કપની ટ્રોફી જીતી નથી અને હવે તેની પાસે ચેમ્પિયન બનવાની શાનદાર તક છે. ભારત માટે જેમિમા 134 બોલ પર 127 રન બનાવીને અણનમ રહી, જ્યારે હરમનપ્રિતે 88 બોલ પર 89 રન બનાવ્યા. ઓસ્ટ્રેલિયા તરફથી કિમ ગાર્થ અને એનાબલ સદરલેન્ડને 2-2 વિકેટ મળી.

મારા પર વિશ્વાસ રાખનારા દરેકનો આભાર: જેમિમા

પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યા પછી જેમિમાએ કહ્યું, ‘સૌ પ્રથમ, હું ભગવાનનો આભાર માનું છું કારણ કે હું એકલી આ કરી શકી ન હોત. હું જાણું છું કે ભગવાન જ મને આ મુશ્કેલ સમયમાંથી પસાર કરાવ્યો. હું મારા માતા, પિતા, મારા કોચ અને આ સમયગાળા દરમિયાન (મારા ખરાબ ફોર્મ દરમિયાન) મારા પર વિશ્વાસ રાખનારા દરેકનો આભાર માનવા માગુ છું. છેલ્લા ચાર મહિના ખરેખર મુશ્કેલ રહ્યા છે, પરંતુ તે એક સ્વપ્ન જેવું લાગે છે અને હજુ સુધી સંપૂર્ણપણે સાકાર થયું નથી.’

October 30, 2025
image-18.png
1min178

આપણામાંથી અનેક લોકો અજાણ્યા નંબર પરથી આવતા ફોન ઉપાડવાનું ટાળતા હોય છે અને આ નંબર કોનો છે એ જાણવા અનેક લોકો થર્ડ પાર્ટી એપનો સહારો પણ લેતા હોય છે. પરંતુ હવે ટેલિકોમ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) દ્વારા લેવામાં આવેલા એક મહત્ત્વના પગલાંને કારણે નંબર સેવ નહીં હોય તો પણ મોબાઈલ પર કોલ કરનારનું નામ જોવા મળશે. ચોંકી ઉઠ્યા ને? ચાલો તમને આ વિશે વિસ્તારથી જણાવીએ…

ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન (DoT) દ્વારા કોલ કરનારના નંબરની સાથે તેનું નામ પણ સ્ક્રીન પર દેખાવવું જોઈએ એવો પ્રસ્તાવ ટેલિકોમ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. આ ફીચરને કોલિંગ નેમ પ્રેઝેન્ટેશન (CNAP) તરીકે ઓળખવામાં આવે છે, જે કોલરની જાણકારી તેના રજિસ્ટ્રેશનના આધારે આપશે.

ટ્રાઈની વાત માનીએ તો સીએનએપી સર્વિસ તમામ ભારતીય ટેલિકોમ યુઝર્સ માટે બાય ડિફોલ્ટ ઓન રહેશે. જો કોઈ આ ફિચરનો ઉપયોગ નથી કરવા માંગતું તો તે ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડરને તેને બંધ કરવા માટે રિક્વેસ્ટ કરી શકે છે.

એક વખત આ ફીચર રોલઆઉટ થઈ જશે ત્યાર બાદ કોલ કરનારની જાણકારી રિસીવરના ફોન નંબર સાથે જોવા મળશે અને આ માટે તમારે કોઈ થર્ડ પાર્ટી એપની જરૂર નહીં રહે. વર્તમાન સમયમાં યુઝર્સ આ માટે ટ્રુકોલર જેવી એપની મદદ લઈ રહ્યા છે. એવો વિશ્વાસ વ્યક્ત કરાઈ રહ્યો છ કે આ પગલાંથી રિસીવરને કોલ કરનારની માહિતી મળશે. આ સિવાય સ્પેમ કોલ્સની સમસ્યાને ઘટાડવામાં પણ મદદ મળશે.

સીએનએપી વિના લેન્ડલાઈન કે મોબાઈલ નંબર માત્ર કોલિંગ લાઈન આઈડેન્ટિફિકેશન હેઠળ જોવા મળે છે. હાલમાં ઈન્ડિયન ટેલિકોમ નેટવર્ક્સ ને માત્ર કોલિંગ લાઈન આઈડેન્ટિફિકેશન ઈનકમિંગ કોલ દરમિયાન દેખાડવાનું હોય છે. સીએનએપીને લઈને કોઈ નિયમ જારી નથી કરવામાં આવ્યા. પરંતુ ટ્રાઈ દ્વારા ડોટના આ પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે પહેલાં ડોટ દ્વારા એક ટ્રાયલ કરવામાં આવ્યું હતું કે જેમાં 4જી અને 5જી નેટવર્ક પર આ સર્વિસને સિલેક્ટેડ શહેરોમાં રજૂ કરવામાં આવી હતી. આ સર્વિસને સર્કિટ સ્વીચ અને પેકેટ સ્વીચ નેટવર્ક બંને પર ટેસ્ટ કરવાની કરવાની હતી. જોકે, એમાં અનેક સમસ્યાઓ બાદ માત્ર પેકેટ સ્વીચ નેટવર્ક પર ટેસ્ટ કરવામાં આવી હતી.

છે ને એકદમ કામની અને મહત્ત્વની માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરીને તેમના જ્ઞાનમાં પણ ચોક્કસ અભિવૃદ્ધિ કરજો હં ને? આવી જ બીજી કામની અને મહત્ત્વની જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.

October 27, 2025
image-17-1280x720.png
1min392

અન્ય રાજ્યોમાંથી પ્રવેશ કરતા વાહનો પર ઉત્તરાખંડ સરકારે ગ્રીન ટેક્સ નાખ્યો છે. નાના વાહનો પર ૮૦ રૂપિયા જ્યારે ટ્રક જેવા હેવી વાહનો પર ૭૦૦ રૂપિયા ગ્રીન ટેક્સ લાગશે. રાજ્યના સરહદી વિસ્તારોમાં આશરે ૩૭ જેટલા કેમેરા લગાવાયા છે. જે વાહનોની અવરજવર પર નજર રાખશે. કેમેરા દ્વારા મેળવાયેલા ડેટા નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાને પહોંચાડાશે. જે બાદ ઓટોમેટિક સિસ્ટમથી ટેક્સ વસુલી લેવાશે. 

આ ડિસેમ્બર મહિનાથી ઉત્તરાખંડમાં પ્રવેશ કરનારા અન્ય રાજ્યના વાહનો પર ગ્રીન સેસ કે ટેક્સ લાગશે, પર્યાવરણને ધ્યાનમા ંરાખીને રાજ્ય સરકાર દ્વારા આ વસૂલાત કરવાનો નિર્ણય લેવાયો છે. ઉત્તરાખંડમાં અનેક ધાર્મિક સ્થળો આવેલા છે જ્યાં બહારથી હજારો વાહનો આવતા જતા હોય છે. જોકે હવે બહારના આ વાહનો પર રૂપિયા ૮૦થી ૭૦૦ સુધી ટેક્સ લાગશે. કાર જેવા નાના વાહનો પર ૮૦ રૂપિયા, નાના માલ વાહક વાહન પર ૨૫૦ રૂપિયા, બસો પર ૧૪૦ રૂપિયા અને ટ્રકો પર વજન મુજબ ૧૨૦થી ૭૦૦ રૂપિયા સુધીનો આ ગ્રીન સેસ લાગશે. 

જે પણ વાહનો ઉત્તરાખંડ રાજ્યમાં જ નોંધાયેલા હશે તેમને ફિલ્ટર કરીને ગ્રીન ટેક્સમાંથી બાકાત કરી દેવાશે જ્યારે ઉત્તરાખંડ બહાર નોંધાયેલા વાહનોને કેમેરામાં કેદ કરીને સોફ્ટવેરની મદદથી એનપીસીઆઇ ડેટાબેઝમાં મોકલવામાં આવશે. જ્યાંથી આપમેળે જ ફાસ્ટેગથી ઓટોમેટિક આ ટેક્સ કપાઇ જશે. આશરે ૩૭ જેટલા સ્થળો પર ઓટોમેટેડ નંબર પ્લેટ રિકગ્નિશન (એએનપીઆર) કેમેરા લગાવવામાં આવ્યા છે. ઉત્તરાખંડ સરકારનું અનુમાન છે કે આ ગ્રીન સેસની મદદથી રાજ્ય સરકારને દર વર્ષે આશલે ૧૦૦થી ૧૫૦ કરોડ રૂપિયાની આવક થશે. ગ્રીન સેસની વસુલાત માટે એક ખાનગી કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. જોકે ટુ વ્હીલર, ઇલેક્ટ્રિક વાહનો, સીએનજી વાહનો, સરકારી વાહનો, એમ્બ્યુલંસ, ફાયર બ્રિગેડ વગેરે વાહનોને આ ટેક્સમાંથી છૂટ આપવામાં આવી છે. જો કોઇ વાહન ૨૪ કલાકમાં બીજી વખત રાજ્યમાં પ્રવેશ કરશે તો તેને ફરી આ ગ્રીન સેસ નહીં આપવો પડે.    

October 27, 2025
image-16-1280x720.png
1min309

ભારત અને મુખ્ય ભૂમિ ચીન વચ્ચે 5 વર્ષ પછી ગતરોજ તા.26મી ઓક્ટોબરને રવિવારે સીધી ફ્લાઇટ્સ ફરી શરૂ થઇ ચૂકી છે, ઇન્ડિગોની ફ્લાઇટ રવિવારે રાત્રે 10 વાગ્યે કોલકાતાના નેતાજી સુભાષ ચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય વિમાનમથકથી ઉડાન ભરી હતી. કોવિડ-19 ને વૈશ્વિક રોગચાળો જાહેર કરવામાં આવ્યો તે પહેલાં, 2020ની શરૂઆતથી, ચીનના ખાસ વહીવટી ક્ષેત્ર હોંગકોંગ સિવાય, દેશો વચ્ચેની એરલાઇન સેવાઓ બંધ કરી દેવામાં આવી હતી.

Dated 26/10/2025 રવિવારે રાત્રે 10 કલાકે કોલકાતાથી ઉડાન ભરનારી ઈન્ડિગોની ફ્લાઇટ 6E 1703 એ તા.27મી ઓક્ટોબરને સોમવારે વહેલી સવારે દક્ષિણ ચીનના શહેર ગુઆંગઝુ શહેરના એરપોર્ટ પર ઉતરાણ કર્યું હતું, આ ફ્લાઇટમાં લગભગ 180 મુસાફરો ભારતથી ચીન પહોંચ્યા હતા.

સૌથી મોટો ફાયદો સુરતના હીરા અને ટેક્ષટાઇલ ઉદ્યોગકારોને

સુરતના ટેક્ષટાઇલ અને ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો ચીનના વેપારીઓ, ઉત્પાદકો સાથે સીધો વેપાર ચાલી રહ્યો છે. છેલ્લા પાંચ વર્ષથી ભારત અને ચીન વચ્ચે સીધી ફ્લાઇટ ન હોવાના કારણે સુરતના વેપારીઓએ વાયા હોંગકોંગ કે થાઇલેન્ડ કે સિંગાપોર થઇને ચીનના ગંતવ્ય સ્થાને પહોંચવું પડતું હતું. સુરતના ઉદ્યોગકારો માટે આ પ્રકારે વાયા ફ્લાઇટથી ચીન પહોંચવું ખર્ચાળ પણ હતું અને સમય વ્યય કરનારું પણ નિવડતું હતું. પરંતુ, હવે ભારતમાં કોલકાત્તા અને આગામી દિવસોમાં દિલ્હીથી ચીનની સીધી ફ્લાઇટ શરૂ થવાની હોઇ સુરતના ઉદ્યોગકારોને મોટો ફાયદો છે.

સુરતના અનેક વેપારીઓ ચીનના લેબગ્રોન ડાયમંડના ખરીદારો છે. એથી વિશેષ ટેક્ષટાઇલ ઉદ્યોગકારો એરજેટ, વોટરજેટ, રેપીયર જેકાર્ડ જેવી મશીનરી તેમજ સ્પેરપાર્ટસ માટે નિયમિત રીતે ચીનની મુલાકાતે જતા હોય છે. એવી જ રીતે જ્વેલરી વિક્રેતાઓ પણ નિયમિત રીતે ચીન અવરજવર કરતા હોય છે તેમના માટે ભારતથી ચીનની ડાયરેક્ટ ફ્લાઇટ અત્યંત ઉપયોગી બની રહેશે.

ટિકીટનો ભાવ રૂ.35 હજારની આસપાસ

ઇન્ડિગોના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર પીટર એલ્બર્સે એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું કે, “અમને ભારત અને મુખ્ય ભૂમિ ચીન વચ્ચે દૈનિક, નોન-સ્ટોપ ફ્લાઇટ્સ ફરી શરૂ કરવાની જાહેરાત કરતા આનંદ થાય છે. અમને ભારતના બે બિંદુઓથી ચીન સાથે સીધી કનેક્ટિવિટી ફરી શરૂ કરનારા પ્રથમ દેશોમાં સામેલ થવાનો ગર્વ છે. આનાથી ફરી એકવાર લોકો, માલસામાન અને વિચારોની અવરજવર સરળ બનશે, સાથે સાથે વિશ્વના બે સૌથી વધુ વસ્તી ધરાવતા દેશો અને ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓ વચ્ચે દ્વિપક્ષીય સંબંધો પણ મજબૂત બનશે. આ ખૂબ જ મહત્વપૂર્ણ પગલા સાથે, અમે ચીનમાં વધુ સીધી ફ્લાઇટ્સ શરૂ કરવાનું વિચારી રહ્યા છીએ.”

ઇન્ડિગો વેબસાઇટ મુજબ, સોમવારે નેતાજી સુભાષ ચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી ચીનના ગુઆંગઝુ શહેરની ફ્લાઇટ ટિકિટની કિંમત રૂ. 35,673 હશે. કિંમતમાં વધઘટ થવાની શક્યતા છે.

October 18, 2025
ind-vs-aus.jpg
1min68

ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે રવિવારે (ભારતીય સમય મુજબ સવારે 9.00 વાગ્યાથી) વન-ડે સિરીઝની પ્રથમ મૅચ શરૂ થશે અને એ સાથે રોહિત શર્મા તથા વિરાટ કોહલી જેવા બે મહારથીઓના પર્ફોર્મન્સ પર સૌની નજર રહેશે જ, નવા સુકાની શુભમન ગિલ ટેસ્ટ પછી હવે વન-ડેમાં સુકાન કેવી રીતે સંભાળે છે અને બૅટિંગમાં પોતે કેવું પર્ફોર્મ કરે છે એ જોવામાં પણ સૌને રસ રહેશે.

ઉલ્લેખનીય છે કે ભારતીયો છેલ્લે ડિસેમ્બર, 2020માં ઑસ્ટ્રેલિયા (Australia)માં વન-ડે શ્રેણી રમ્યા હતા જેમાં આરૉન ફિન્ચના સુકાનમાં વિરાટ કોહલી ઍન્ડ કંપનીનો 1-2થી પરાજય થયો હતો.

જોકે એ શ્રેણીની છેલ્લી વન-ડે એટલે કે બીજી ડિસેમ્બર, 2020ના રોજ રમાઈ હતી જેમાં ભારતે (India) 13 રનથી વિજય મેળવીને પોતાનો વાઇટવૉશ ટાળ્યો હતો. ખુદ વિરાટે એમાં 63 રન કર્યા હતા. જોકે એ મૅચના બીજા મૅચ-વિનર્સ આ વખતની સિરીઝમાં નથી.

પાંચ વર્ષ પહેલાંની એ મૅચમાં હાર્દિક પંડ્યાએ અણનમ 92 રન અને રવીન્દ્ર જાડેજાએ અણનમ 66 રન કરીને ભારતને 302/5નો તોતિંગ સ્કોર અપાવ્યો હતો. શાર્દુલ ઠાકુરની ત્રણ તેમ જ જસપ્રીત બુમરાહ અને નટરાજનની બે-બે વિકેટ અને જાડેજા-કુલદીપની એક-એક વિકેટને કારણે ઑસ્ટ્રેલિયાની ટીમ 289 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ જતાં ભારતનો રોમાંચક વિજય થયો હતો.

ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે 1980થી 2025 સુધીમાં કુલ 152 વન-ડે રમાઈ છે જેમાંથી 84 ઑસ્ટ્રેલિયાએ અને 58 ભારતે જીતી છે. 10 વન-ડે અનિર્ણીત રહી છે. ઑસ્ટ્રેલિયાની ધરતી પર ભારતીયો એની સામે 54 વન-ડે રમ્યા છે જેમાંથી માત્ર 14 જીત્યા છે અને 38 હાર્યા છે. બે મૅચ અનિર્ણીત રહી છે.