ભારતીય શેરબજારે આજે 27/11/25 ગુરુવારે ઇતિહાસ રચી દીધો છે. લગભગ 14 મહિનાની લાંબી રાહ જોયા બાદ, નિફ્ટી 50 ઇન્ડેક્સ તેના સર્વકાલીન ઉચ્ચ સ્તરને પાર કરી ગયો છે, જેના કારણે રોકાણકારોમાં ખુશીનો માહોલ છે. બજારમાં આવેલી આ તેજીને પગલે રોકાણકારોની સંપત્તિમાં પણ મોટો ઉછાળો જોવા મળ્યો છે.
27/11/2025 સવારના કારોબારમાં નિફ્ટી લગભગ 90 પોઈન્ટના ઉછાળા સાથે 26,295.55ની નવી ઐતિહાસિક સપાટી પર પહોંચી ગયો હતો. આ પહેલા, ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં નિફ્ટીએ 26,277.35નો ઓલ-ટાઇમ હાઈ બનાવ્યો હતો, જેની નીચે તે છેલ્લા 14 મહિનાથી ટ્રેડ કરી રહ્યો હતો. જોકે, સેન્સેક્સ હજુ તેના રેકોર્ડ હાઈથી થોડો દૂર છે. સેન્સેક્સ 300 પોઈન્ટના વધારા સાથે 85,912.94 પર ટ્રેડ કરી રહ્યો છે, જ્યારે તેનો ઓલ-ટાઇમ હાઈ 85,978.25 છે.
BSEના ટોપ 30 શેરોમાંથી 19 શેરોમાં તેજી જોવા મળી રહી છે, જ્યારે 11 શેરો ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યા છે. બજાજ ફાઇનાન્સ અને બજાજ ફિનસર્વના શેર ટોપ પર્ફોર્મર રહ્યા છે, જ્યારે ઝોમેટો અને કોટક મહિન્દ્રા બેન્કના શેરોમાં ઘટાડો જોવા મળ્યો છે. સેક્ટરની વાત કરીએ તો, પીએસયુ બેંક, કન્ઝ્યુમર્સ અને ઓઇલ એન્ડ ગેસ સેક્ટરને બાદ કરતાં બાકીના તમામ સેક્ટરમાં સારી ખરીદી જોવા મળી રહી છે.
આ શેરોમાં જોવા મળી શાનદાર તેજી:
ગણેશ હાઉસિંગ અને પટેલ એન્જિનિયરિંગના શેરમાં 10%થી વધુનો ઉછાળો છે.
ટાટા ટેલિસર્વિસિસ (મહારાષ્ટ્ર) અને જિલેટ ઈન્ડિયાના શેરમાં 5%ની તેજી છે.
તેજસ નેટવર્ક્સ 4%થી વધુ, જ્યારે સ્વાન કોર્પોરેશન 2% વધ્યો છે.
આ સિવાય ટાટા પાવર, બજાજ ફાઇનાન્સ અને શ્રીરામ ફાઇનાન્સના શેરમાં 1.5%નો ઉછાળો જોવા મળી રહ્યો છે.
બજારની એકંદરે સ્થિતિ
બીએસઈ પર કુલ 3,321 શેરોમાંથી 1,853 શેરો તેજી સાથે અને 1,262 શેરો ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા હતા. 85 શેરોમાં અપર સર્કિટ લાગી છે, જ્યારે 60 શેરોમાં લોઅર સર્કિટ લાગી છે. 60 શેરોએ તેમની 52-સપ્તાહની નવી ટોચ બનાવી છે.
T20 World Cup Schedule: T20 વર્લ્ડ કપ 2026ની શરૂઆત 7 ફેબ્રુઆરીથી થશે. ટુર્નામેન્ટની પહેલી મેચ પાકિસ્તાન અને નેધરલેન્ડ્સ વચ્ચે રમાશે. બંને સેમિફાઇનલ માટેના સ્થળો પણ નક્કી કરવામાં આવ્યા છે. પહેલી સેમિફાઇનલ કોલકાતામાં અને બીજી કોલંબોમાં રમાશે. ભારત અને શ્રીલંકા સંયુક્ત રીતે T20 વર્લ્ડ કપનું આયોજન કરશે. ફાઇનલ 8 માર્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. જો પાકિસ્તાન ફાઇનલમાં પહોંચે છે, તો ટાઇટલ મેચ કોલંબોમાં રમાશે.
T20 વર્લ્ડ કપ 2024ની જેમ, આગામી વર્લ્ડ કપમાં 20 ટીમો ભાગ લેશે. ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રુપમાં રાખવામાં આવ્યા છે. ભારત-પાકિસ્તાન મેચ 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં રમાશે. ગત વખતની જેમ, આઠ ટીમો સુપર 8 સ્ટેજમાંથી સેમિફાઇનલ અને પછી ફાઇનલમાં જશે.
ભારતના ગ્રુપમાં કોણ છે?
ભારત, પાકિસ્તાન, યુએસએ, નેધરલેન્ડ અને નામીબિયા એક જ ગ્રુપમાં ડ્રો થયા છે. ભારત તેની પહેલી મેચ 7 ફેબ્રુઆરીએ મુંબઈમાં યુએસએ સામે રમશે. જણાવી દઈએ કે, રોહિત શર્મા ભારત અને શ્રીલંકામાં આગામી T20 વર્લ્ડ કપ માટે ટુર્નામેન્ટ એમ્બેસેડર છે.
T20 વર્લ્ડ કપની પહેલી મેચ 7 ફેબ્રુઆરીએ રમાશે
ICCએ T20 વર્લ્ડ કપ 2026નું શેડ્યૂલ કર્યું જાહેર, ભારત-પાકિસ્તાન વચ્ચે 15 ફેબ્રુઆરીએ રમાશે મેચ 2 – image
ઇથિયોપિયામાં જ્વાળામુખી ફાટવાની સીધી અસર ભારત પર પણ જોવા મળી રહી છે. તેની રાખ આકાશમાં ઊંચે સુધી ફેલાઇ ગઈ છે, જેના કારણે અનેક આંતરરાષ્ટ્રીય ફ્લાઇટનો રૂટ બદલવો પડ્યો હતો. અમુક ફ્લાઇટમાં મોડું થઈ રહ્યું છે અને અમુકને બીજા રસ્તેથી મોકલવામાં આવી રહી છે જેથી વિમાન રાખના વાદળોથી દૂર રહે.
ઇથિયોપિયાના જ્વાળામુખીની રાખના કારણે સોમવારે અનેક એરલાઇન્સે પોતાની ફ્લાઇટ રદ કરી દીધી હતી. જેમાં અકાસા એર, ઇન્ડિગો અને KLM જેવી કંપનીનો સમાવેશ થાય છે.
ઇથિયોપિયાના હાયલી દુબ્બી જ્વાળામુખી ફાટ્યા બાદ ઉત્પન્ન થયેલો વિશાળ રાખનો ગોટો તા.24મી નવેમ્બરને સોમવારે રાત્રે 11 વાગ્યા સુધીમાં દિલ્હી પહોંચી ગયો. હવામાનના જાણકારો છેલ્લાં એક દિવસથી આ રાખના વાદળને જોઈ રહ્યા હતા. આ રાખનું વાદળ લાલ સાગર પાર કરીને આશરે 130 કિ.મી પ્રતિ કલાકની ઝડપે ભારત તરફ વધી રહ્યું હતું. સૌથી પહેલાં આ રાખનું વાદળ ભારતમાં પશ્ચિમી રાજસ્થાનના જોધપુર અને જેસલમેરની ઉપરથી આવ્યું. બાદમાં ધીમે-ધીમે આ રાખનું વાદળ દિલ્હી, હરિયાણા અને રાજસ્થાનના મોટા ભાગોમાં ફેલાઇ ગયું.
નિષ્ણાતોએ જણાવ્યું કે, આ રાખનું વાદળ જમીનથી 25,000થી 45,000 ફૂટ ઊંચાઈ પર છે. તેથી, હાલ લોકોના સ્વાસ્થ્યને જોખમ નથી. પરંતુ, એવું બની શકે કે, અનેક જગ્યાએ થોડી-થોડી રાખની પરત નીચે પડે.
હવામાન વિભાગનું માનવું છે કે, મંગળવારે (25 નવેમ્બર) સવારનો સૂરજ અલગ અને ચમકીલા રંગમાં જોવા મળ્યો. રાખના કારણે પ્રકાશ પર આવી અસર પડી હતી.
CPCB (સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ)ના જણાવ્યા અનુસાર, અહીં એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) સિવિયર એટલે ગંભીર શ્રેણીમાં રેકોર્ડ થયો છે. આ સ્તરે હવા ખૂબ જ ખતરનાક માનવામાં આવે છે અને શ્વાસ લેવામાં સ્વાસ્થ્ય પર તેની તુરંત અસર જોવા મળી શકે છે.
આ સિવાય દિલ્હીની એમ્સ અને સફદરજંગ હોસ્પિટલ પાસે પણ ઝેરી ધુમ્મસ જોવા મળી રહ્યું છે. આખા વિસ્તારમાં ઝેરી ધુમ્મસના કારણે હવામાં બળતરા અનુભવાઇ રહી છે. CPCB અનુસાર, અહીં AQI 323 નોંધાયો છે. જે ખૂબ જ ખરાબ શ્રેણીમાં આવે છે. આવા સ્તરમાં હવા શ્વાસ લેવા લાક નથી હોતી અને ખાસ કરીને વડીલ, બાળકો તેમજ અસ્થમાના દર્દીને વધુ જોખમ હોય છે.
અમેરિકાની હવમાનાની આગાહી વિશે જાણકારી આપનારી વેબસાઇટ એક્યૂવેધર અનુસાર, દિલ્હી અને તેની આસપાસના મોટા ભાગના વિસ્તારોમાં સવારે 6 વાગ્યે AQI 300ની આસપાસ રહ્યો.
CPCB અનુસાર, રાત્રે બે વાગ્યે દિલ્હી-એનસીઆરના મોટાભાગના વિસ્તારમાં AQI 350 પાર રહ્યો છે.
મળતી માહિતી મુજબ. ઇથિયોપિયાના જ્વાળામુખીથી નીકળેલું રાખનું વાધળ મોટાભાગે સલ્ફર ડાયોક્સાઇડથી બનેલું છે. આ વાદળમાં જ્વાળામુખીની રાખની માત્રા ઓછાથી મધ્યમ છે. આ રાખનું વાદળ હવે ઓમાન-અરબ સસાગરના રસ્તેથી મધ્ય ગુજરાતના મેદાની વિસ્તારો સુધી ફેલાઇ ગયું છે.
નોંધનીય છે કે, આ વાદળની AQI પર કોઈ અસર થશે નહીં. જોકે, નેપાળ, હિમાલયના વિસ્તાર અને ઉત્તર પ્રદેશના તરાઈ પ્રદેશમાં સલ્ફર ડાયોક્સાઇડનું સ્તર થોડું વધી શકે છે, કારણ કે રાખના કેટલાક વાદળ પર્વતો સાથે અથડાઈને ચીન તરફ આગળ વધશે. મેદાનોમાં રાખ પડવાની શક્યતા ખૂબ ઓછી છે, જોકે કેટલાક વિસ્તારોમાં થોડી અસર થઈ શકે છે. આ આખું રાખનું વાદળ વાતાવરણના મધ્ય-સ્તરમાં છે, તેથી જમીન પર હવાની ગુણવત્તા પર કોઈ અસર થશે નહીં. રાખનું વાદળ ધીમે ધીમે દિલ્હી, હરિયાણા અને રાજસ્થાન તરફ પણ જશે, પરંતુ સપાટી પર કોઈ પ્રતિકૂળ અસર નહીં થાય. ફક્ત ફ્લાઇટ રિરુટિંગ અથવા વિલંબ થવાની સંભાવના છે, કારણ કે આ વાદળ વિમાનની સલામતીને અસર કરી શકે છે. સપાટી પર કણો પડવાની શક્યતા ખૂબ ઓછી છે.
DGCAની એડવાઇઝરી
રવિવારે ઇથોપિયાના હેઇલ ગબ્બિન જ્વાળામુખીના વિસ્ફોટ બાદ, ભારતના નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) એ બધી એરલાઇન્સને એક એડવાઇઝરી જાહેર કરી હતી, જેમાં તેમને ઊંચાઈ પર અને જ્વાળામુખીની રાખ ફેલાતી હોય તેવા વિસ્તારો પર ઉડાન ટાળવાની સલાહ આપવામાં આવી હતી. રાખના વાદળ વિમાનના એન્જિન અને ફ્લાઇટ સલામતી માટે જોખમ ઊભો કરી શકે છે, તેથી એરલાઇન્સને તેમના રૂટ અને ઊંચાઈ બદલવાની સલાહ આપવામાં આવી છે. આ પરિસ્થિતિ ભારત માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે કારણ કે, રાખના સૂક્ષ્મ કણો વિમાનના એન્જિનને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. તેથી, નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) એ તમામ ભારતીય એરલાઇન્સને તાત્કાલિક ચેતવણી જારી કરી છે.
સાઉથ આફ્રિકા સામેની વન-ડે સિરીઝ માટે ભારતની ટીમ જાહેર : લાંબા સમયની આતુરતા પછી વિરાટ કોહલી અને રોહિત શર્મા ઘરઆંગણે રમતા જોવા મળશે : રવીન્દ્ર જાડેજા અને ઋતુરાજ ગાયકવાડનું કમબૅક : અક્ષર પટેલ આઉટ : જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજને આરામ
સાઉથ આફ્રિકા સામે ૩ મેચની વન-ડે સિરીઝ માટે કે. એલ. રાહુલને ભારતીય ટીમનો કૅપ્ટન જાહેર કરવામાં આવ્યો છે. ટીમ ઇન્ડિયાનો રેગ્યુલર કૅપ્ટન શુભમન ગિલ અને વાઇસ કૅપ્ટન શ્રેયસ ઐયર બન્ને ઈજાને કારણે રમી શકે એમ ન હોવાથી સિલેક્ટર્સે રાહુલની પસંદગી કરી છે. આ સિરીઝ માટે જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજને આરામ આપવામાં આવ્યો છે, જ્યારે મોહમ્મદ શમીને ટીમમાં સ્થાન મળ્યું નહોતું.
રોહિત શર્મા, વિરાટ કોહલી, તિલક વર્મા, રિષભ પંત, રવીન્દ્ર જાડેજા અને ઋતુરાજ ગાયકવાડને પણ ટીમમાં સમાવી લેવામાં આવ્યા છે; જ્યારે અક્ષર પટેલને સ્થાન નહોતું મળ્યું. ટીમમાં ધ્રુવ જુરેલે પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. હાર્દિક પંડ્યા અવેલેબલ ન હોવાને લીધે નીતીશ કુમાર રેડ્ડીએ પણ તેનું સ્થાન જાળવી રાખ્યું છે. ૩૦ નવેમ્બરે રાંચીમાં પહેલી વન-ડેથી આ સિરીઝની શરૂઆત થશે.
ગુજરાતમાં ખાદ્યતેલના ભાવ આસમાને પહોંચ્યા છે. સીંગતેલ ઉપરાંત કપાસીયા તેલ, પામોલીન, વનસ્પતિ ઘીના ભાવ પણ બેફામ વધારો થયો છે. ખાદ્યતેલના વધતા ભાવ લોકોથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. અમદાવાદ ખાતે સીંગતેલ (નવો ડબ્બો)નો ભાવ અમદાવાદ ખાતે 15 કિલો સીંગતેલ નવા ડબ્બાનો ભાવ નીચામાં રૂપિયા 2600, ઉપરમાં રૂપિયા 2650 રહ્યા હતા. જ્યારે સીંગતેલ નવો ડબ્બો 15 લીટરમાં રૂપિયા 2400 રહ્યા હતા.
સીંગતેલ સહિત અન્ય ખાદ્યતેલના ભાવમાં વધારો
અમદાવાદ તેલ બજારમાં કપાસીયા તેલ 15 કિલો નવા ડબ્બાનો ભાવ નીચામાં રૂપિયા 2250 અને ઊંચામાં રૂપિયા 2350 રહ્યાં હતા. જ્યારે સોયાબીન 15 કિલોમાં નવો ડબ્બો રૂપિયા 2280 હતો. દિવેલનો ભાવ રૂપિયા 2250 રહ્યો હતો.
પામોલીન નવા ડબ્બાનો ભાવ રૂપિયા 2150
અન્ય ખાદ્ય તેલોની જાતોમાં પામોલીન નવા ડબ્બાનો ભાવ રૂપિયા 2150, કોપરેટ રૂપિયા 5800, સરસીયુ મોળું રૂપિયા 2470, સરસીયુ તીખુ રૂપિયા 2600 રહ્યા હતા. 15 લીટરમાં સનફ્લાવર તેલ રૂપિયા 2280, મકાઈ તેલ 15 લીટરમાં રૂપિયા 2100, કપાસીયા તેલ પાંચ લીટર રૂપિયા 700થી રૂપિયા 730 રેન્જમાં કામકાજ ધરાવતા હતા. જ્યારે સીંગતેલ 5 લીટરનો ભાવ રૂપિયા 750થી રૂપિયા 790 વચ્ચે રહ્યો હતો.
દેશમાં આજથી ચાર નવા લેબર કોડ લાગુ કરવાનો ઐતિહાસિક નિર્ણય લેવાયો છે. નવા કાયદામાં શ્રમિકો અને નોકરીદાતાના હિતમાં અનેક બાબતો સામે કરાઈ છે. કાયદા મુજબ હવે નવા શ્રમિકોને ફરજિયાત નિમણૂક પત્ર આપવા પડશે. આ ઉપરાંત સમયસર પગાર અને લઘુતમ વેચન પણ આપવું પડશે. કેન્દ્ર સરકારે જૂના 29 શ્રમ કાયદાઓ ખતમ કરીને ચાર નવા કાયદા લાગુ કર્યા છે. સરકારે કહ્યું છે કે, નવા કાયદાના કારણે શ્રમિકોની સુરક્ષા વધશે, ઉદ્યોગો માટે પણ સ્પર્ધાત્મક વાતાવરણ બનશે. શ્રમ મંત્રાલયે જણાવ્યું છે કે, નવા કાયદા દ્વારા તમામ શ્રમિકોને, ખાસ કરીને અનૌપચારિક ક્ષેત્રના કામદારો, ગિગ વર્કર્સ, પ્રવાસી મજૂરો અને મહિલાઓ માટે શ્રેષ્ઠ વેતન, સામાજિક સુરક્ષા અને સ્વાસ્થ્ય-સુરક્ષાની ખાતરી આપવામાં આવશે.
ચાર નવા કાયદા
(1) Code on Wages (2019)
(2) Industrial Relations Code (2020)
(3) Code on Social Security (2020)
(4) Occupational Safety, Health & Working Conditions (OSHWC) Code (2020)
ચાર નવા કાયદાઓની મુખ્ય બાબતો…
1… નિમણૂંક પત્ર : હવે તમામ શ્રમિકોની નોકરી શરુ થાય તે સમયે નિમણૂક પત્ર આપવાનું ફરજિયાત કરાયું છે. આનાથી રોજગાર અને શરતોમાં પારદર્શિતા વધશે.
2… લઘુતમ વેતન : દેશભરમાં લઘુતમ વેતન લાગુ કરવામાં આવશે, જેથી કોઈ પણ પગાર એટલો ઓછો ન હોય કે જીવન નિર્વાહ મુશ્કેલ બની જાય.
4… સ્વાસ્થ્ય અને સુરક્ષા : 40 વર્ષથી વધુ ઉંમરના તમામ શ્રમિકો માટે વાર્ષિક મફત આરોગ્ય તપાસ (Health Checkup) ફરજિયાત કરવામાં આવશે. આ ઉપરાંત, એક રાષ્ટ્રીય OSH બોર્ડ દ્વારા ઉદ્યોગોમાં સુરક્ષા ધોરણોને એકસમાન (સમાનરૂપ) બનાવવામાં આવશે.
5… મહિલાઓ માટે સમાનતા : મહિલાઓ હવે રાતની શિફ્ટમાં કામ કરી શકશે, જેની અગાઉ ઘણા સેક્ટરોમાં મંજૂરી નહોતી. જોકે આ માટે નોકરી દાતાએ સુરક્ષાનાં પગલાં અને તેમની મંજૂરી સુનિશ્ચિત કરવી પડશે.
6… અનૌપચારિક શ્રમિકોને સુરક્ષા : ગિગ વર્કર્સ અને પ્લેટફોર્મ વર્કર્સને પ્રથમ વખત કાનૂની ઓળખ મળશે. તેમને પીએફ, વીમો અને પેન્શન જેવા સામાજિક સુરક્ષા લાભો મળી શકશે અને પ્લેટફોર્મ કંપનીઓએ તેમના માટે યોગદાન આપવું પડશે.
7… કાનૂની અનુપાલન સરળ : હવે અનેક રજિસ્ટ્રેશન અને રિપોર્ટિંગ પ્રક્રિયાઓને બદલે સિંગલ લાઇસન્સ અને સિંગલ રિટર્ન મોડેલ આવશે, જેનાથી કંપનીઓ પરનો અનુપાલન બોજ ઘટશે.
વિવાદોનું સમાધાન કરવા માટે બે સભ્યનું ટ્રિબ્યુનલ
આ ઉપરાંત નવી વ્યવસ્થામાં ‘ઇન્સ્પેક્ટર-કમ-ફેસિલિટેટર’ હશે, જેઓ મોટાભાગે માર્ગદર્શન આપશે અને દંડાત્મક કાર્યવાહી નહીં કરે. ઔદ્યોગિક વિવાદોનું સમાધાન કરવા માટે બે સભ્યનું ટ્રિબ્યુનલ હશે, જ્યાં કર્મચારીઓ સીધી રીતે જઈ શકે છે. સરકારનો દાવો છે કે, આ સંહિતાઓના કારણે શ્રમિકોને વ્યાપક સામાજિક સુરક્ષા અને સન્માન મળશે, જ્યારે ઉદ્યોગોને ઓછી જટિલતા અને શ્રેષ્ઠ મૂડી રોકાણ માટેની તક મળશે.
Date 21/11/25 વિદેશી હુંડીયામણ બજારમાં આજે અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયો ૮૯.૪૯ના નવા તળીયે પટકાયો હતો. જોકે, કામકાજના અંતે તે ૮૯.૪૨ના મથારે બંધ રહ્યો હતો. ડોલરના ભાવ આજે રૂપિયા સામે ઝડપી ૭૧ પૈસા વધી જતાં ડોલર સામે રૂપિયો ૦.૭૯ ટકા ગબડયો હતોે.
શેરબજાર તૂટતાં કરન્સી બજારમાં આજે રૂપિયા પર દબાણ વધ્યું હતું સામે રૂપિયાને તૂટતો અટકાવવા માટે રિઝર્વ બેન્કના પ્રયત્નો પણ આજે અપેક્ષા કરતાં ધીમા રહ્યા હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા. ડોલરના ભાવ રૂ.૮૮.૭૧ વાળા આજે સવારેે રૂ.૮૮.૬૯ ખુલી નીચામાં ભાવ રૂ.૮૮.૬૦ સુધી ઉતર્યા પછી ભાવ ઝડપી ઉછળી ઉંચામાં રૂ.૮૯ની સપાટી પાર કરી રૂ.૮૯.૪૯ની નવી ટોચ બતાવી છેલ્લે રૂ.૮૯.૪૨ બંધ રહ્યા હતા.
વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ તૂટતાં ઘરઆંગણે કરન્સી બજારમાં આજે આરંભના સોદાઓમાં ડોલર સામે રૂપિયો ઉંચો રહ્યો હતો પરંતુ ત્યારબાદ શેરબજાર તૂટતાં રૂપિયો બપોર પછી ઝડપી ગબડતો જોવા મળ્યો હતો. દરમિયાન, કરન્સી બજારમાં ચર્ચાતી વાતો મુજબ ઈરાનના ક્રૂડ ઓઈલના ટ્રેડના સંદતર્ભમાં અમેરિકાએ ભારતની અમુક કંપનીઓ સામે વિવિધ અંકુશો લાદતાં કરન્સી બજારમાં રૂપિયામાં તીવ્ર પીછેહટ દેખાઈ હતી.
આ પૂર્વે રૂપિયામાં રૂ.૮૮.૮૦ના તળિયાના ભાવ સપ્ટેમ્બરમાં દેખાયા હતા અને આજે રૂપિયો ઝડપી તૂટી રૂ.૮૯ના નવા તળિયાને તોડી રૂ.૮૯.૪૯ સુધી ઉતરી જતાં કરન્સી બજારના ખેલાડીઓ સ્તબ્ધ બની ગયા હતા. રૂપિયો તૂટતાં તથા ડોલરના ભાવ ઉછળતાં દેશમાં આયાત થતી વિવિધ ચીજોની ઈમ્પોર્ટ કોસ્ટ હવે વધી જશે તથા તેના પગલે ફુગાવો તથા મોંઘવારી વધી જવાની ભીતિ બજારના જાણકારો બતાવી રહ્યા હતા.
ભારતમાં વેપાર ખાધ વધતાં તથા નિકાસમાં ઘટાડો નોંધાતાં તેની અસર પણ રૂપિયા પર નેગેટીવ જોવા મળી હતી. સોનાની આયાત વધતાં તેની અસર પણ કરન્સી બજાર પર દેખાઈ હતી. દરમિયાન, ભારત તથા અમેરિકા વચ્ચે વેપાર કરારમાં થઈ રહેલા વિલંબના પગલે પણ રૂપિયા પર દબાણ વધ્યું હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા.
વિશ્વ બજારના સૂત્રોના જણાવ્યા મુજબ અમેરિકામાં આગળ ઉપર વ્યાજના દરમાં વધુ ઘટાડો થવાની શક્યતા ઘટતાં તેની અસર ડોલર પર પોઝીટીવ તથા રૂપિયા પર નેગેટીવ જોવા મળી હતી. આગળ ઉપર ડોલરના ભાવ વધુ વધી રૂ.૯૦ થઈ જવાની શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા. વિશ્વ બજારમાં ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ વધી ઉંચામાં ૧૦૨થી ૧૦૩ સુધી જવાની શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા. દેશમાંથી ડોલરનો આઉટફલો પણ વધ્યાની ચર્ચા બજારમાં આજે સંભળાઈ હતી.
ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ આજે ઉંચામાં ૧૦૦.૧૯ થઈ ૧૦૦.૦૭ રહ્યાના સમાચાર મળ્યા હતા. દરમિયાન, રૂપિયા સામે આજે બ્રિટીશ પાઉન્ડના ભાવ ૧૧ પૈસા વધી ૧૧૬.૧૩ રહ્યા હતા જ્યારે યુરોપીયન કરન્સી યુરોના ભાવ ૧૯ પૈસા વધી રૂ.૧૦૨.૪૫ રહ્યા હતા. જાપાનની કરન્સી આજે ૦.૩૩ ટકા ઘટી હતી.ચીનની કરન્સી રૂપિયા સામે ૦.૦૭ ટકા ઉંચકાઈ હતી.
એર શોના અંતિમ દિવસે હવાઈ કરતબ કરતાં અચાનક ફાઈટર જેટમાંથી ધૂમાડો નીકળતા બંધ થયા પછી અકસ્માત સર્જાયો
તેજસના અકસ્માતનું કારણ જાણવા એરફોર્સે કોર્ટ ઓફ ઈન્ક્વાયરીનો આદેશ આપ્યો
દુબઈ : દુનિયાના સૌથી મોટા એર શોમાંના એક દુબઈ એર શોમાં શુક્રવારે ભારતનું સ્વદેશી મલ્ટી-રોલ લાઈટ કોમ્બેટ ફાઈટર જેટ તેજસ હવામાં કરતબ બતાવતા અચાનક તૂટી પડયું હતું. આ વિમાન અકસ્માતમાં ભારતીય એરફોર્સના પાઈલટ નયન સ્યાલનું પણ મોત નીપજ્યું હતું. ભારતીય કંપની હિન્દુસ્તાન એરોનોટિક્સના ફાઈટર વિમાનના અકસ્માત અંગે ભારતીય એરફોર્સેે તપાસનો આદેશ આપી દીધો છે. આ પહેલાં માર્ચ ૨૦૨૪માં જેસલમેરમાં તેજસ ફાઈટર જેટનો પહેલો અકસ્માત થયો હતો.
દુબઈમાં પાંચ દિવસના એર શોનો શુક્રવારે અંતિમ દિવસ હતો. દુનિયાના ૨૦૦ જેટલા ફાઈટર જેટ અહીં આવ્યા હતા. અલ મક્તૂમ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ભારતનું સ્વદેશી તેજસ ફાઈટર જેટ હવાઈ કરતબ કરતું હતું ત્યારે અચાનક જ બપોરે ૨.૧૦ કલાકે વિમાન તૂટી પડયું હતું. આ દુર્ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે તેજસ વિમાન ઉપર જાય છે અને હવામાં કરતબ કરતું નીચે આવે છે. પછી ફરીથી ઉડ્ડયન કરતા ઉપર જાય છે. ત્યાં સુધી તેજસ જેટમાંથી ધૂમાડો નીકળતો રહે છે. પછી અચાનક તેમાંથી ધૂમાડો નીકળતો બંધ થઈ જાય છે. ત્યાર પછી અચાનક ફાઈટર જેટ નીચે પડવા લાગે છે અને થોડીક જ સેકન્ડમાં તૂટી પડે છે. આ સમયમાં પાયલટને બહાર નીકળવાનો પણ સમય મળતો નથી. જમીન પર પડતાં જ તેજસ આગના ગોળામાં ફેરવાઈ ગયું અને થોડીક જ વારમાં ત્યાં માત્ર રાખનો ઢગલો બચ્યો હતો. મીડિયા અહેવાલ મુજબ તેજસના અકસ્માતના લગભગ દોઢ કલાક પછી એર શો માં રશિયન નાઈટ ફ્લાઈગ સાથે ફ્લાઈટ ડેમોસ્ટ્રેશન્સ ફરી શરૂ થયું હતું. આ વિમાન અકસ્માતમાં હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લાના પાયલટ નયન સ્યાલનું મોત નીપજ્યું હતું તેમ હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. તેમણે પાયલટના નિધન બદલ ખેદ વ્યક્ત કર્યો હતો. ભારતીય એરફોર્સના પ્રવક્તાએ કહ્યંર કે, દુબઈ એર શોમાં એરફોર્સનું એક તેજસ ફાઈટર જેટ દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું છે. એરફોર્સ પાયલટના મૃત્યુ પર ખેદ વ્યક્ત કરે છે અને આ દુ:ખના સમયમાં સંપૂર્ણ રીતે પાયલટના શોકગ્રસ્ત પરિવારની સાથે છે. દુર્ઘટનાનું કારણ જાણવા માટે કોર્ટ ઓફ ઈન્ક્વાયરીના આદેશ આપી દેવાયા છે. અકસ્માતનું કારણ વ્યાપક તપાસ પછી સામે આવશે.
પાયલટ એર શો જોવા આવેલા લોકો માટે ડેમોસ્ટ્રેશન ફ્લાઈટ ઉડાવી રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. વિમાન અકસ્માતની જાણ થતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, સીડીએસ જન. અનિલ ચૌહાણ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પાયલટના મોત અંગે ખેદ વ્યક્ત કર્યો હતો અને પાયલટના પરિવારને સાંત્વના પાઠવી હતી તેમજ આ મુશ્કેલ સમયમાં સમગ્ર રાષ્ટ્ર તેમની સાથે છે તેમ કહ્યું હતું.
વર્ષ ૨૦૦૧માં પહેલી ટેસ્ટ ફ્લાઈટથી લઈને ૨૪ વર્ષના ઈતિહાસમાં સિંગલ સીટર ફાઈટર જેટ તેજસના માત્ર બે જ અકસ્માત થયા છે, જેમાં પહેલો અકસ્માત ગયા વર્ષે માર્ચમાં રાજસ્થાનના જેસલમેરમાં થયો હતો. તે સમયે પોખરણના રણમાં ત્રણેય સૈન્યના સૈન્ય અભ્યાસ ‘ભારત શક્તિ’માં ભાગ લઈને તેજસ પાછં ફરતું હતું ત્યારે અકસ્માત થયો હતો. તેજસનો બીજો અકસ્માત શુક્રવારે દુબઈમાં થયો હતો. જોકે, કોઈ આંતરરાષ્ટ્રી એર શોમાં તેજસનો આ પહેલો અકસ્માત હતો. તેજસ ફાઈટર જેટે ૨૦૦૧માં પહેલું ઉડ્ડયન કર્યા પછી ૨૩ વર્ષ સુધી તેના અકસ્માતનો એક પણ કેસ નોંધાયો નહોતો.
લાલ કિલ્લા નજીક દસમી નવેમ્બરના કાર વિસ્ફોટની તપાસનો ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે. આ વિસ્ફોટ તો એક ખતરનાક ષડયંત્રનો નાનો ભાગ હતો. આતંકવાદીઓનો મૂળ ઉદ્દેશ તો બાબરી મસ્જિદ ધ્વંસની વરસી એટલે છઠ્ઠી ડિસેમ્બરના દિલ્હી સહિત દેશમાં 32 કારમાં બોમ્બ મૂકીને શ્રેણીબદ્ધ વિસ્ફોટ કરવાનો હતો. બાબરી ધ્વંસનો બદલો લેવાની યોજના હતી. આ શ્રેણીબદ્ધ ધડાકા માટે બ્રેન્ઝા, સ્વિફ્ટ ડિઝાયર અને i20 જેવી 32 કારનો ઉપયોગ કરવાના હતા.
દસમી નવેમ્બરના i20 કારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તપાસ એજન્સીને અત્યાર સુધીમાં ચાર કાર મળી ચૂકી છે, જ્યારે કેન્દ્ર સરકારે પણ આ હુમલાને આતંકી માન્યો છે. એની વચ્ચે તપાસ એજન્સીએ તપાસ પણ વધુ સઘન બનાવવાના અહેવાલ વચ્ચે હરિયાણાના ખંદાવલી ગામમાં વધુ એક લાવારિસ કાર મળતા ખળભળાટ મચી ગયો છે, જ્યારે તેની તપાસ પણ એનએસજી કરી રહી છે.
સમગ્ર મોડ્યુલનું કેન્દ્ર ફરિદાબાદની અલ ફલાહ યુનિવર્સિટી બની હતી. આસિસ્ટંટ પ્રોફેસર ડોક્ટર મુઝમ્મિલ ગનીએ પોતાના રુમમાં વિસ્ફોટક જમા કર્યો હતો. 20 દિવસ પહેલા પડોશીઓએ પૂછ્યું ત્યારે તેને ચાલાકીથી ‘ખાતરની ગૂણી’ને કાશ્મીરથી લાવ્યા હોવાનું જણાવ્યું હતું. પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ પણ ચકાસવા માટે જપ્ત કર્યા છે, જ્યારે ધરપકડ કરવામાં આવેલા આઠ આરોપીમાંથી છ ડોક્ટર છે. શ્રીનગરનો અન્ય શંકાસ્પદ ડોક્ટર નિસાર ફરાર છે, જે ડોક્ટર્સ એસોસિયેશન ઓફ કાશ્મીરનો પ્રમુખ છે.
વિસ્ફોટનું ષડયંત્ર જાન્યુઆરીમાં રચ્યું હતું. ડોક્ટર મુઝમ્મિલ ગની અને ધમાકામાં માર્યા જનારા ઉમર અલી જાન્યુઆરીમાં લાલ કિલ્લાની રેકી કરી હતી. તેનો મુખ્ય પ્લાન છઠ્ઠી ડિસેમ્બરના હુમલો કરવાનો હતો, પરંતુ મુઝમ્મિલની ધરપકડે યોજનાને ઊંધી પાડી હતી. પોલીસે પચાસથી વધુ સીસીટીવી કેમેરા ઉમરની છેલ્લી મૂવમેન્ટ ટ્રેક કરી હતી. નવમી નવેમ્બરના રાતના ફરિદાબાદથી નીકળ્યા પછી નૂંહમાં રાતમાં વીતાવી, સવારે દિલ્હી આવ્યો અને બપોરના 3.19 વાગ્યે કાર લાલ કિલ્લા નજીક પાર્ક કરી હતી, જે સાંજના 6.52 વાગ્યા જબરદસ્ત ધમાકામાં નાશ થઈ હતી.
દસમી નવેમ્બરના લાલ કિલ્લાના વિસ્ફોટમાં તુર્કીયે કનેક્શન બહાર આવ્યું છે, જ્યાં ઉકાસા નામનો હેન્ડલર પોતાના સાગરિતોને નિર્દેશ આપી રહ્યો હતો. આ બધું કામ સેશન એપ પર ચેટ મારફત કર્યું હતું. સમગ્ર કેસની સુરક્ષા એજન્સી તપાસ કરી રહી છે ત્યારે બ્લાસ્ટના માસ્ટરમાઈન્ડ ઉમર અને શાહિનને કોઈ સાધારણ વ્યક્તિ ગાઈડ કરી રહ્યો નહોતો, પરંતુ તુર્કીયેમાં રહેલ હેન્ડલરના ઈશારે કામ કરતા હતા.
તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી ડોક્ટર ઉમર તુર્કીયે સ્થિત અંકારામાં બેઠેલા એક હેન્ડલરના સંપર્કમાં હતા, જેનું કોડનેમ ઉકાસા જાણવા મળ્યું છે. ફોરેન્સિક તપાસમાં મળેલી ચેટ હિસ્ટ્રી આ કનેક્શનને સૌથી મહત્ત્વની કડી માને છે, જેના આદેશ, ટાઈમિંગ અને ટાર્ગેટ પણ ત્યાંથી મળ્યા હોવાનું કહેવાય છે. આ હેન્ડલરનો કોન્ટેક્ટ JeM (જૈસ-એ-મોહમ્મદ) સાથે છે, જે વિદેશથી નિર્દેશ આપવાની સાથે આર્થિક અને વ્યૂહાત્મક મદદ કરતો હતો. જોકે, તુર્કીયે આ રિપોર્ટનો વિરોધ કર્યો છે, પરંતુ તપાસ એજન્સી તપાસ કરે છે.
તપાસમાં ઉમરના ફોન અને લેપટોપથી એન્ક્રિપ્ટેડ મેસેન્જર Sessionની ચેટ હિસ્ટ્રી મળી છે. એજન્સી માને છે કે આ એપ્લિકેશન મારફત ઉકાસા અને ઉમરની વચ્ચે નિયમિત સંપર્કમાં રહેતા હતા અને ઓપરેશન સંબંધમાં નિર્દેશ આપવામાં આવ્યા હતા. એન્ક્રિપ્ટેડ ચેટ વિદેશી હેન્ડલર્સ અને સ્થાનિક કાર્યકર્તાઓની વચ્ચે ગુપ્ત મેસેજનું આદાન-પ્રદાન કરે છે, જે તપાસને અવરોધે છે. ડિજિટલ પુરાવાની ડીક્રિપ્શન અને ટાઈમલાઈન આ બંને બાબત તપાસનો મુખ્ય ઉદ્દેશ છે.
તપાસમાં જાણવા મળ્યું છે કે આઠ શંકાસ્પદો દ્વારા ચાર અલગ અલગ શહેરમાં એક સાથે શ્રેણીબદ્ધ વિસ્ફોટ કરવાનું ષડયંત્ર રચ્યું હતું. પ્લાન અનુસાર નાની-નાની ટીમ દ્વારા અલગ અલગ લોકેશન પર જઈને આઈઈડી પ્લાન્ટ કરવા ઈચ્છતા હતા, જેથી વિનાશ સર્જાય. કહેવાય છે કે સૌથી મોટો હુમલો રોકવા માટે બારમી તારીખના એલર્ટ જારી કર્યું હતું. આ એલર્ટ અને ટાઈમલાઈનને કારણે તમામ એજન્સી સતર્ક હતી, જેનાથી મોટી જાનહાનિ ટળી ગઈ.
બિહાર વિધાનસભા ચૂંટણીના મતદાન માટે મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો, ગઈ કાલે યોજાયેલા બીજા તબક્કામાં લગભગ 69 ટકા મતદાન નોંધાયું, બંને તબક્કા મળીને કુલ લગભગ 66 ટકા મતદાન નોંધાયું, જે ગત વિધાનસભા ચૂંટણી કરતા લગભગ 9.6 ટકા વધુ છે. પરિણામ શુક્રવારે જાહેર થશે એ પહેલા કેટલાક એક્ઝિટ પોલ્સમાં નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ(NDA)ની જીતની આગાહી કરવામાં આવી છે, NDA નેતા એક્ઝિટ પોલ્સને આવકારી રહ્યા છે, તો મહાગઠબંધનના નેતાઓ તેને નકલી ગણાવી રહ્યા છે.
11 નવેમ્બર 2025ના રોજ બીજા અને અંતિમ તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ મેટ્રિઝ, પી-માર્ક, પીપલ્સ પલ્સ, ભાસ્કર, પીપલ્સ ઇનસાઇટ, JVC અને પોલ ડાયરી જેવા એક્ઝિટ પોલ્સમાં અંદાજ લગાવવામાં આવ્યો કે બિહારની કુલ 243 વિધાનસભા બેઠકોમાંથી NDA ને 130થી વધુ બેઠકો મળી શકે છે, જે બહુમતના આંકડા 122થી વધુ છે. જ્યારે એક ન્યુઝ પોર્ટલ જર્નો મિરરે અંદાજ આપ્યો કે મહાગઠબંધનને ઓછામાં ઓછી 130-140 બેઠકો મળી શકે છે, જયારે NDAને 100-110 બેઠકો મળશે.
ભાજપે એક્ઝિટ પોલ્સને આવકાર્યા:
જાહેર થયેલા એક્ઝિટ પોલ્સને કારણે ભાજપ અને સાથી પક્ષોનો ઉત્સાહ વધ્યો છે. ભાજપના સાંસદ દિનેશ શર્માએ એક્ઝિટ પોલ્સનું આવકાર્યા, તેમણે કહ્યું કે બિહારમાંથી આરજેડી અને કોંગ્રેસની સફાઈ શરૂ થઈ ગઈ છે. આ વખતના પરિણામો સૌને ચોંકાવી દેશે.
ભાજપના સાંસદ મનોજ તિવારીએ કહ્યું કે મહાગઠબંધને ચૂંટણી પરિણામો પહેલા જ હાર સ્વીકારી લીધી છે. પ્રચાર દરમિયાન અમને જે સમર્થન મળ્યું એ એક્ઝિટ પોલમાં દેખાઈ રહ્યું છે.
બિહારના નાયબ મુખ્ય પ્રધાન વિજય કુમાર સિંહાએ કહ્યું કે એક્ઝિટ પોલ દર્શાવે છે કે લોકોને વડાપ્રધાન મોદી અને મુખ્ય પ્રધાન નીતિશ કુમાર પર વિશ્વાસ છે. તેમણે કહ્યું કે NDAને એક્ઝિટ પોલ્સ કરવા વધુ બેઠકો મળશે.
મહાગઠબંધને એક્ઝિટ પોલ્સને નકાર્યા:
NDA નેતા એક્ઝિટ પોલનું સ્વાગત કરી રહ્યા છે, જ્યારે મહાગઠબંધને એક્ઝિટ પોલને ફગાવી દીધા છે. મહાગઠબંધનનું માનવું છે કે બિહાર ચૂંટણીના બંને તબક્કામાં રેકોર્ડ મતદાન સત્તા પરિવર્તનના સંકેત આપે છે.
રાષ્ટ્રીય જનતા દળ(RJD) સાંસદ સુધાકર સિંહે જણાવ્યું હતું “વધુ મતદાનને હંમેશા સત્તાધારી સરકાર સામે લોકોના જનાદેશ તરીકે જોવામાં આવે છે. આપણે અંતિમ પરિણામની રાહ જોવી જોઈએ. મને વિશ્વાસ છે કે ‘મહાગઠબંધન’ બિહારમાં સરકાર બનાવશે. એક્ઝિટ પોલ વાસ્તવિક નથી”.
ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન અને સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે એક્ઝિટ પોલ્સને “પૂર્વયોજિત” અને “બનાવટી” ગણાવ્યા. તેમણે બિહારમાં સત્તા પરિવર્તન માટે મતદાન કરવા બદલ બિહારની જનતાના વખાણ કર્યા.
યાદવે એક્ઝિટ પોલના ડેટા અંગે મીડિયા પર કટાક્ષ કરતા અખિલેશ યાદવે કહ્યું, “‘જીસકા દાના ઉસકા ગાના’”
અખિલેશ યાદવે કહ્યું કે 2024ની લોકસભા ચૂંટણી દરમિયાનના એક્ઝિટ પોલની આગાહીઓ ખોટી સાબિત થઈ હતી.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.