CIA ALERT

ઇન્ડીયા Archives - CIA Live

December 20, 2025
image-19.png
1min11

જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (જીજેઈપીસી)ના મતે ભારત-ઓમાન કોમ્પ્રેહેન્સિવ ઈકોનોમિક પાર્ટરશિપ એગ્રિમેન્ટ (સીઈપીએ) કે જે અંતર્ગત ઓમાનમાં ભારતમાંથી જેમ્સ અને જ્વેલરીની આયાત પર ઈમ્પોર્ટ ડ્યુટીને નાબૂદ કરી છે તેને લીધે બન્ને દેશ વચ્ચે થતી નિકાસમાં નોંધપાત્ર પ્રમાણમાં વૃદ્ધિ થશે તથા બન્ને દેશો વચ્ચે પ્રત્યક્ષ વ્યાપાર સંબંધોને વધુ મજબૂતી મળે તેવી આશા છે.

ભારતની ઓમાનમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ અત્યારે 35 મિલિયન યુએસ ડોલર રહી છે(વર્ષ 2024). સીઈપીએ અંતર્ગત ડ્યુટી-ફ્રી એક્સેસ મળવાથી જીજેઈપીસીને એવો અંદાજ છે કે વધારી સારી કિંમતની સ્પર્ધાત્મકતા, વધારે ઉત્પાદનોને લગતા વિકલ્પો તથા ઈન્ડસ્ટ્રીઝ વચ્ચે વધુ સારા સહયોગને લીધે આગામી ત્રણ વર્ષમાં નિકાસ વધીને 150 મિલિયન યુએસ ડોલર સુધી પહોંચી શકે છે.

જીજેઈપીસીના ચેરમેન શ્રી કિરીટ ભણસાલીએ જણાવ્યું હતું કે, “ભારત-ઓમાન સીઈપીએ પ્રત્યક્ષ વ્યાપાર સંબંધોને મજબૂત કરશે અને ઓમાનમાં ભારતના જેમ અને જ્વેલરીની નિકાસ વધારવા માટે એક મુખ્ય માધ્યમ છે.ઝીરો ડ્યુટી એક્સેસથી ભારતીય નિકાસકારો માટે સ્પર્ધાત્મકતામાં ઘણો સુધારો થશે તથા ડાયરેક્ટ સોર્સિંગને ઉત્તેજન મળશે. અમે પોલિશ્ડ ડાયમંડ્સ અને ગોલ્ડ જ્વેલરી માટે ગ્રોથ સારી એવી તક જોઈ રહ્યા છીએ, આ સાથે ચાંદી, પ્લેટિનમ તથા ઈમિટેશન જ્વેલરીની માંગ વધી રહી છે. આ ફ્રેમવર્ક સાથે આગામી ત્રણ વર્ષમાં ઓમાનમાં નિકાસ 35 મિલિયન યુએસ ડોલરથી વધીને આશરે 150 મિલિયન યુએસ ડોલર થઈ શકે છે.”

ભારત અગાઉથી જ ઓમાનને ગોલ્ડ જ્વેલરીનો સૌથી મોટો સપ્લાયર છે, ખાસ કરીને 22 કેરેટના વેડિંગ અને ટ્રેડિશનલ ડિઝાઈનની જ્વેલરીમાં તથા વર્ષ 2024-25માં 80.11 ટકાની મજબૂત વૃદ્ધિ જોવા મળી છે, જે ભારતીય કારીગરોમાં ઊંડા વિશ્વાસને દર્શાવે છે.

સીઈપીએથી મેન્યુફેક્ચરિંગ, ડિઝાઈન કોલોબરેશન તથા ઈન્વેસ્ટમેન્ટ પાર્ટનરશિપને વેગ આપીને મેક ઈન ઈન્ડિયાને પણ સપોર્ટ મળે તેવી આશા છે.ઓમાનની પરંપરાગત સિલ્વર જ્વેલરીમાં મજબૂતી તેમ જ ભારતના મોટા પ્રમાણ, ટેકનોલોજી તથા કૂશળ વર્કફોર્સના ઉત્તમ તાલમેલથી જોઈન્ટ પ્રોડક્ટ ડેવલપમેન્ટ તથા વેલ્યુ-એડેડ મેન્યુફેક્ચરિંગની ઉત્તમ તક મળે છે.
ઓમાનના વ્યૂહાત્મક સ્થાન તથા સ્થિર બિઝનેસ માહોલ સાથે સીઈપીએ આ દેશને જીસીસી, આફ્રિકા તથા પડોશી ક્ષેત્રોમાં ભારતીય જ્વેલરીની નિકાસ માટે એક સંભવિત ગેટવે તરીકે સ્થાપિત કરે છે, જેથી ટ્રેડ એફિશિએન્સી અને પ્રાદેશિક બજાર સુધીની પહોંચ વધુ સારી બને છે.

December 20, 2025
image-17.png
1min11

Assam Accident: આસામના લુમડિંગ ડિવિઝનમાં શનિવારે (20 ડિસેમ્બર) સવારે એક દુ:ખદ દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં જ્યાં સૈરંગ-નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસ જંગલી હાથીઓના ટોળા સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે ટ્રેનનું એન્જિન અને પાંચ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા. એવું કહેવાય છે કે ટોળામાં લગભગ આઠ હાથીઓ હતા, જેમાંથી ઘણાના મોત થયા હતા.

મહત્ત્વની વાત એ છે કે, આ દુર્ઘટનામાં કોઈ મુસાફરોને નુકસાન પહોંચ્યું નથી. અકસ્માતને કારણે ઉપલા આસામ અને ઉત્તરપૂર્વમાં રેલ સેવાઓ ખોરવાઈ ગઈ છે. રેલવેએ બચાવ કામગીરી શરૂ કરી છે અને વૈકલ્પિક વ્યવસ્થા કરીને મુસાફરોની આગળની મુસાફરી સુનિશ્ચિત કરવાની પ્રક્રિયામાં છે.

December 16, 2025
image-12.png
1min21

દેશના પાટનગર દિલ્હીમાં છેલ્લા બે મહિનાથી સતત વાયુ પ્રદૂષણમાં વધારો થઈ રહ્યો છે. સરકાર દ્વારા આકરા પ્રતિબંધો છતાં AQIમાં કોઈ સુધાર આવી શક્યો નથી. દિવસેને દિવસે પરિસ્થિતિ વિકટ બનતી જાય છે. AQI સતત 400થી 450ને પાર જઈ રહ્યો છે. આજે આનંદવિહારમાં 493 AQI નોંધાયો. જે બાદ હવે અન્ય દેશો દિલ્હી માટે ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી રહ્યા છે.

વિવિધ દેશોએ ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી

સિંગાપોર હાઈ કમિશને પોતાના નાગરિકો માટે એડવાઈઝરીમાં કહ્યું છે કે ખાસ કરીને દિલ્હી-NCRમાં રહેતા અથવા મુસાફરી કરતાં નાગરિકો સતર્ક રહે તથા AQI જોતાં રહે.

બ્રિટેનના FCDO વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે ઉત્તર ભારતમાં ઓકટોબરથી ફેબ્રુઆરી દરમિયાન વાયુ પ્રદૂષણ આરોગ્ય માટે મોટો ખતરો છે. ગર્ભવતી મહિલાઓ, હૃદય અને શ્વાસ સંબંધી રોગથી પીડિત દર્દીઓ ભારતની યાત્રા કરતાં પહેલા ડૉક્ટરની સલાહ લે. બાળકો અને વૃદ્ધો પર પ્રદૂષણની ગંભીર અસર થઈ શકે છે.

કેનેડાએ પણ એડવાઈઝરી આપતા કહ્યું છે કે નિયમિત રૂપે AQI જોતાં રહો. દિલ્હી જેવા શહેરી વિસ્તારોમાં પ્રદૂષણ અને ધુમ્મસના કારણે શિયાળામાં પરિસ્થિતિ અત્યંત ગંભીર હોય છે.

નોંધનીય છે કે પ્રદૂષણ અને ધુમ્મસના કારણે દિલ્હીના કેટલાક વિસ્તારોમાં AQI 500ની નજીક નોંધાયો છે. પરિસ્થિતિ એટલી ખરાબ છે કે વિઝિબિલિટી ન હોવાના કારણે વિમાન સેવાઓ પ્રભાવિત થઈ છે. દિલ્હી એરપોર્ટ પર 228 ફ્લાઈટ્સ રદ કરવાની નોબત આવી છે.

ખરાબ હવાના કારણે દિલ્હીની સાથે સાથે નોઈડા અને ગાઝિયાબાદમાં પાંચમા ધોરણ સુધીની શાળાઓ ઓનલાઈન અથવા હાઈબ્રિડ મોડલ પર ચલાવવાના આદેશ અપાયા છે. મોટા ભાગના નિર્માણ કાર્યો પર રોક લગાવી દેવામાં આવી છે તથા ઓફિસોમાં 50 ટકા સ્ટાફ સાથે જ કામ કરવામાં આવી રહ્યું છે.

December 15, 2025
image-8.png
1min25


ભારતીય શેરબજારમાં સપ્તાહના પ્રથમ દિવસે, સોમવારે 15/12/2025, રોકાણકારોમાં નિરાશાનો માહોલ જોવા મળ્યો હતો, જ્યારે ચલણ બજારમાં રૂપિયાએ અત્યાર સુધીનું સૌથી નીચલું સ્તર નોંધાવ્યું હતું. વિદેશી ભંડોળના સતત વેચાણ અને વૈશ્વિક બજારોના નબળા સંકેતોને કારણે બજારમાં દબાણ જોવા મળ્યું હતું. સેન્સેક્સ 280 પોઈન્ટના ઘટાડા સાથે અને નિફ્ટી 25,950ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો.

બજારમાં કેમ બોલાયો કડાકો?

બજારની સૌથી મોટી ચિંતા રૂપિયાના ઐતિહાસિક ઘટાડાને લઈને હતી. ભારતીય રૂપિયો આજે અમેરિકન ડોલર સામે વધુ ગગડીને 90.71 ની નવી રેકોર્ડ નીચી સપાટીએ પહોંચી ગયો હતો. આયાતકારો દ્વારા ડોલરની ભારે માંગ અને વિદેશી રોકાણકારો દ્વારા ભારતીય બજારમાંથી સતત નાણાં પાછા ખેંચવાને કારણે રૂપિયા પર ભારે દબાણ જોવા મળી રહ્યું છે. નિષ્ણાતોના મતે, જો આ વલણ ચાલુ રહેશે તો આયાત મોંઘી થઈ શકે છે, જેની સીધી અસર પેટ્રોલ-ડીઝલના ભાવ અને મોંઘવારી પર પડી શકે છે.

સેન્સેક્સની વાત કરીએ તો શુક્રવારનું સેન્સેક્સનું ક્લૉઝિંગ 85,267.66 પર થયું હતું જે આજે 15/12/25 સોમવારે ખુલતા જ 84,840.32 પર પહોંચી ગયું હતું. જે 427 પોઈન્ટનો કડાકો દર્શાવે છે. જોકે પછીથી તેમાં રિકવરી જોવા મળી હતી. જ્યારે નિફ્ટીની વાત કરીએ તો શુક્રવારનું ક્લૉઝિંગ 26046.95 પર હતું. જે આજે 15/12/25 સોમવારે ખુલતા જ 25,904.75 પર પહોંચી ગયું હતું. જે 142 પોઈન્ટનો કડાકો દર્શાવે છે. જોકે પછીથી એમાં પણ રિકવરી દેખાઈ હતી.

શેરબજારની વાત કરીએ તો, સવારે બજાર ઘટાડા સાથે ખુલ્યું હતું. દિવસ દરમિયાન બજારમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યો. આઈટી અને ફાઇનાન્સિયલ સર્વિસ જેવા ક્ષેત્રોમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું. જોકે, કેટલાક મિડ-કેપ અને સ્મોલ-કેપ શેરોમાં ખરીદી જોવા મળી હતી, પરંતુ તે બજારને મોટા ઘટાડાથી બચાવી શકી ન હતી. રોકાણકારો હવે આગામી દિવસોમાં આવનારા ફુગાવાના આંકડા અને વૈશ્વિક બજારના સંકેતો પર નજર રાખી રહ્યા છે, જેના આધારે બજારની આગામી દિશા નક્કી થશે.

December 13, 2025
image-6.png
1min24

સ્ટાર ફૂટબોલર લિયોનલ મેસી કોલકાતા પહોંચ્યો

આર્જેન્ટિનાના સુપરસ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસ્સી શનિવારે (13મી ડિસેમ્બર) કોલકાતા પહોંચ્યા હતા અને તેમની બહુપ્રતિક્ષિત ‘GOAT ઈન્ડિયા ટૂર 2025’ની શરૂઆત કરી હતી. 14 વર્ષના લાંબા ગાળા બાદ ભારતમાં લિયોનેલ મેસ્સીના આગમનને લઈને કોલકાતામાં ચાહકોનો ઉત્સાહ ચરમસીમાએ પહોંચ્યો હતો.

લિયોનેલ મેસ્સી મિયામી અને દુબઈ થઈને મોડી રાત્રે કોલકાતા પહોંચ્યા હોવા છતાં, તેમની એક ઝલક મેળવવા માટે હજારો ચાહકો નેતાજી સુભાષ ચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય એરપોર્ટની બહાર એકઠા થયા હતા.

મેસ્સીના ફેન્સનો ઉત્સાહ એટલો વધારે હતો કે પોલીસે ટર્મિનલની આસપાસ કડક સુરક્ષા વ્યવસ્થા જાળવી રાખવી પડી હતી. હજારો ફેન્સ લિયોનેલ મેસ્સીના નામના સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા અને આર્જેન્ટિનાના ધ્વજ લહેરાવી રહ્યા હતા. કેટલાક ફેન્સ તો બેરિકેડ પર પણ ચઢી ગયા હતા.

ટૂરના આયોજક સતાદ્રુ દત્તાએ આ ક્ષણને આનંદની ગણાવતા કહ્યું કે, ’14 વર્ષ પછી મેસ્સીની ભારત મુલાકાત ખૂબ જ આનંદની ક્ષણ છે. ભારતમાં ફૂટબોલનું જોડાણ ફરી વધી રહ્યું છે.ટ

મેસ્સીનો 13/12/25 કાર્યક્રમ

કોલકાતામાં મેસ્સીનો દિવસ યુવા ભારતી સ્ટેડિયમ ખાતેની મુખ્ય ઇવેન્ટ્સ સાથે વ્યસ્ત રહેવાનો છે. શનિવારે સવારે 9:30થી 10:30 વાગ્યા સુધી પસંદગીના મહેમાનો માટે ખાનગી મુલાકાત અને શુભેચ્છા સમારંભ યોજાશે. તે વર્ચ્યુઅલી તેમના નામ પરથી એક પ્રતિમાનું ઉદ્ઘાટન કરશે, જે કોલકાતા શહેર સાથેના તેમના ખાસ જોડાણને દર્શાવે છે.

દિવસનું મુખ્ય આકર્ષણ યુવા ભારતી સ્ટેડિયમ ખાતેની એક ફ્રેન્ડલી મેચ હશે, જેમાં હજારો દર્શકો હાજર રહેવાની અપેક્ષા છે. મેસ્સીનો પ્રવાસ એ જ સ્ટેડિયમમાં ચાહકો સાથેના વાતચીત કાર્યક્રમ સાથે સમાપ્ત થશે. આ ઇવેન્ટ્સની ટિકિટોની શરૂઆતની કિંમત લગભગ 4,500 રૂપિયા હતી, જે ભારે માંગને કારણે ઝડપથી વેચાઈ ગઈ હતી. કોલકાતા વર્ષોમાં તેની સૌથી મોટી ફૂટબોલ ઇવેન્ટ માટે સજ્જ થઈ રહ્યું છે.

December 5, 2025
image-4.png
1min55

સતત ત્રીજા દિવસે ઈન્ડિગોની 550થી વધુ ફ્લાઈટ રદ,

Indigo Crisis News : ગુરુવારે સતત ત્રીજા દિવસે વિમાનના પ્રવાસીઓની મુશ્કેલીઓનો અંત આવ્યો ન હતો. દેશના ત્રણ મહત્વના એરપોર્ટ પરથી ઇન્ડિગોએ 550 થી વધુ ફ્લાઇટસ ગુરુવારે રદ કરી હતી. મુંબઇ, દિલ્હી, બેંગ્લુરુ, ચેન્નઇ, હૈદ્રાબાદ, અમદાવાદ, કોલકત્તા એમ તમામ એરપોર્ટસ પર પ્રવાસીઓ હેરાન થયા હતા. તેઓ ધારેલા આયોજનોમાં પહોંચી શક્યા ન હતા. જોકે આ તમામ ગરબડ માટે ઈન્ડિગોએ તમામ મુસાફરોની માફી માગી હતી.

સોશિયલ મીડિયા પર મોટાં એરપોર્ટના ટર્મિનલ પર પ્રવાસીઓનાં ટોળાં જામ્યા હોય અને ઈન્ડિગોના સ્ટાફ સાથે બોલાચાલી કરી રહ્યાં હોય તેવાં દ્રશ્યો વાયરલ થયાં હતાં. કેટલાય પ્રવાસીઓએને ફલાઈટ માટે છથી 12 કલાક સુધી રાહ જોવાનો વારો આવતાં તેમનાં બીપી વધી ગયાં હતાં તો કેટલાક પ્રવાસીઓ તેમના મહત્વના આયોજનો ખોરવાઈ જતાં રડી પડયાં હતાં. લોકોએ સોશિયલ મીડિયા પર અનેક પોસ્ટસ તથા વીડિયો વાયરલ કરી સરકાર પાસે આ પરિસ્થિતિમાંથી ઉગરવા માટે મદદની પોકાર કરી હતી. જોકે, ઈન્ડિગો સત્તાવાળાઓએ હાથ ઊંચા કરી દીધા હતા.

સેંકડો પ્રવાસીઓ નિર્ધારિત ડોમેસ્ટિક એરપોર્ટ પર પહોંચી શક્યા ન હોવાથી કનેક્ટિંગ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટસ પણ ચૂકી ગયા હતા. એવિયેશન રેગ્યુલેટર ડીજીસીએ ઇન્ડિગો એરલાઇન્સનો જવાબ માગ્યો હતો. ફ્લાઇટસ ખોરવાઇ રહી છે તે બાબતમાં પ્લાન લઇને આવવાનું ઇન્ડિગોને કહેવામાં આવ્યું હતું.

દિલ્હીના ઇંદિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ગુરુવારે 44 ઇનકમિંગ અને ડિપાર્ટિંગ ફ્લાઇટસ રદ કરાઇ હતી. એક પ્રવક્તાએ કહ્યું કે ગઇકાલના ચેકઇન સિસ્ટમ ખોરવાઇ હતી તે પછી એરલાઇને એરપોર્ટને અને ગ્રાહકોને જાણ કરી હતી. બેંગ્લુરુના કેમ્પેગોવડા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કુલ 70 ફ્લાઇટસ રદ થઇ હતી જેમાં 40 ડિપાર્ટિંગ અને 30 ઇનકમિંગ ફ્લાઇઠસ રદ કરાઇ હતી.

મુંબઇ એરપોર્ટ પર 86 ફ્લાઇટસ રદ કરાઇ હતી જેમાં 45 ડિપાર્ટિંગ અને ૪૧ ઇનકમિંગ ફ્લાઇટસ હતી. ચેન્નઇ એરપોર્ટ પર 13 ડિપાર્ટિંગ અને 13 ઇનકમિંગ ફ્લાઇટસ રદ થઇ હતી.

ચેન્નઇમાં હવામાન પ્રતિકૂળ હતું તે પણ એક કારણ હતુ તેવું એક સ્ત્રોતે કહ્યું હતું. એક એરલાઇનના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે બુધવારે એરલાઇનનું સર્વર ધીમુ પડી ગયું હતું. બોર્ડિંગ પાસ ઇસ્યુ કરવામાં ઘણો વિલંબ થયો હતો. અને ફ્લાઇટસ પણ મોડી પડી હતી. ઇન્ડિગોમાં કોકપીટ ક્રૂ અને કેબિન ક્રૂ બંનેની શોર્ટેજ ચાલે છે. તાજેતરમાં એક ઇન્ટરનેશનલ એરલાઇને દિલ્હી અને મુંબઇમાં ભરતી ઝુંબેશ હાથ ધરી હતી. તે પણ એક કારણ હોવાનું માનવામાં આવે છે.

ઇન્ડિગોએ એક નિવેદનમાં કહ્યું હતું કે કામકાજ રાબેતા મુજબ કરવા અને સમયસર ફ્લાઇટસ ઉડાડવાનો અમે નિર્ધાર કર્યો છે. અમારો તાત્કાલિક લક્ષ્ય છે. ગ્રાહકોને સારો અનુભવ આપવાનો વાયદો નિભાવવામાં કંપની નિષ્ફળ છે તેવું સીઇઓએ સ્ટાફને મોકલેલા સંદેશમાં કહ્યું હતું સામાન્ય સ્થિતિ બહાલ કરવી સહેલું નથી તેવું તેમણે સ્વીકાર્યું હતું.

ઈન્ડિગો દ્વારા ઓછી ભરતીના કારણે સંકટ: પાયલોટ સંગઠન

ઇન્ડિગો ઘણા સમયથી ક્રૂની ઓછી ભરતી કરવાનું વલણ અપનાવી રહ્યું છે અને પાયલોટસની ભરતી તો લગભગ બંધ કરી દીધુ તેવું ફેડરેશન ઓફ ઇન્ડિયન પાયલોટસ (એફઆઇપી)એ ગુરુવારે કહ્યું હતું.

એફઆઇપીએ એવિયેશન રેગ્યુલેટર ડીજીસીએને પત્ર લખીને જણાવ્યું હતું કે ઇન્ડિગોએ ઇન્ડસ્ટ્રીના વલણથી વિપરીત ઓછા મેનપાવર વ્યૂહરચના અપનાવી છે, પાયલોટસના આરામના કલાકો અને ડયુટી- સમયમાં ફેરફારોના નિયમો અંગે કંપનીને જાણ હતી અને ભરતી કરવા બે વર્ષનો સમય મળ્યો હતો. પણ ખર્ચ ઘટાડવા પાયલોટસની નવી ભરતી બંધ કરી હતી. અન્ય એરલાઇન્સના પાયલોટસને નહીં લેવા અંગેના કરારો કર્યા હ તા પાયલોટસના પગાર વધારો અટકાવ્યો હતો.

નવા ક્રૂ- રોસ્ટિંગ ધારા ધોરણે અમલમાં આવ્યા અને શિયાળો, પ્રતિકૂળ હવામાન, એરપોર્ટસનું કન્જેશન વિગેરે પરિબળોના લીધે બફર કેપેસિટી (વધારાના કર્મચારીઓ)ની જરૂર પડી હતી ત્યારે તકલીફ પડી ગઇ છે. ટુંકા ગાળાના નિર્ણયો અને કાર્યક્ષમ ભરોસાપાત્ર નીવડવાને બદલે એરલાઇને ખર્ચ ઘટાડવા પર ધ્યાન આપ્યું હોવાથી આવી કટોકટીનું નિર્માણ થયું છે.

December 2, 2025
image-2.png
1min28

કેન્દ્રીય નાણાં મંત્રીએ લોકસભામાં આપેલી માહિતી મુજબ, ભાગેડૂ આર્થિક અપરાધીઓ પાસેથી બાકી વસૂલાતની કુલ રકમમાં ₹ 26,645 કરોડની મુદ્દલ રકમ અને ₹ 31,437 કરોડના વ્યાજનો સમાવેશ થાય છે.

સંસદનું શિયાળુ સત્ર 1 ડિસેમ્બર, 2025થી શરૂ થઈ ગયું છે. સત્રના પહેલા દિવસે સંસદમાં જબરદસ્ત હોબાળો મચી ગયો હતો. આ દરમિયાન, સરકારના મંત્રીઓએ સાંસદો દ્વારા પૂછવામાં આવેલા ઘણા પ્રશ્નોના જવાબ પણ આપ્યા હતા. સંસદમાં મોદી સરકારે જણાવ્યું છે કે ‘ભાગેડુ આર્થિક અપરાધી’ જાહેર કરાયેલા 15 લોકો પર ભારતની જાહેર ક્ષેત્રની બેંકોના કુલ ₹ 58,082 કરોડના લેણા બાકી છે. આ માહિતી કેન્દ્રીય નાણાં મંત્રાલયે સોમવારે લોકસભામાં આપી હતી. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી આ રકમમાં 31 ઓક્ટોબર 2025 સુધીમાં ₹26,645 કરોડની મુદ્દલ રકમ અને ₹31,437 કરોડના વ્યાજનો સમાવેશ થાય છે.

ભાગેડુ આર્થિક અપરાધીઓની યાદીમાં વિજય માલ્યા, મેહુલ ચોક્સી અને નીરવ મોદી જેવા મોટા નામોનો સમાવેશ થાય છે, જેમને ભાગેડુ આર્થિક અપરાધી અધિનિયમ, 2018 (FEOA) હેઠળ FEO એટલે ભાગેડૂ આર્થિક અપરાધી જાહેર કરવામાં આવ્યા છે. 15 ભાગેડુઓ માંથી 9 જાહેર ક્ષેત્રની બેંકોના નાણાકીય છેતરપિંડી કેસમાં સંકળાયેલા છે. નાણાં રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ લોકસભામાં લેખિત જવાબમાં આ સંખ્યા અને બાકી રકમની પુષ્ટિ કરી છે.

અત્યાર સુધીમાં બેંકો આ ભાગેડુ આર્થિક અપરાધીઓ પાસેથી લગભગ 19,187 કરોડ રૂપિયા વસૂલ કરવામાં સક્ષમ છે. આનો અર્થ એ છે કે કુલ 58,082 કરોડ રૂપિયાના દાવામાંથી લગભગ 33% વસૂલ કરવામાં આવ્યા છે. 15 ભાગેડુઓ માંથી બે બેંકો સાથે વન ટાઇમ સેટલમેન્ટની વાટાઘાટો કરી ચૂક્યા છે. સરકાર સંપત્તિ જપ્ત કરવા, પ્રત્યાર્પણ કરવા અથવા બાકીની રકમ વસૂલવા માટે કાનૂની કાર્યવાહી કરવાનું ચાલુ રાખી રહી છે.

આરોપી ભાગેડુઓ દ્વારા કરવામાં આવેલા આ ડિફોલ્ટ જાહેર ક્ષેત્રની બેંકો અને નાણાકીય પ્રણાલી માટે એક મોટો પડકાર છે. 31 હજાર કરોડ રૂપિયાથી વધુનું મોટું વ્યાજ એ દર્શાવે છે કે જવાબદારીઓ કેટલી ઝડપથી વધી રહી છે. હકીકત એ છે કે અત્યાર સુધીમાં બાકી રકમનો માત્ર એક તૃતીયાંશ ભાગ જ વસૂલવામાં આવ્યો છે. આ આંકડા નાણાકીય ગુનાને કેવી રીતે રોકવા અને તેના પર કાર્યવાહી કરવી તે વિશે પણ ચિંતા કરી રહ્યા છે.

સંસદના શિયાળુ સત્રનો પ્રથમ દિવસ તોફાની હતો. વિપક્ષ એસઆઈઆર અને દિલ્હી બ્લાસ્ટ જેવા મુદ્દાઓ પર ચર્ચાની માંગ કરી રહ્યું છે, જ્યારે કેન્દ્ર સરકાર આ સત્રમાં 10 મહત્વપૂર્ણ બિલ લાવવાની તૈયારી કરી રહી છે. સરકાર પણ એક દિવસ માટે વંદે માતરમ પર ચર્ચા કરવા માંગે છે.

December 2, 2025
cia_gst.jpg
1min19

  • ઓક્ટોબરમાં જીએસટી કલેક્શન રૂ. 1.96 લાખ કરોડ હતું
  • ગયા વર્ષે નવેમ્બરમાં જીએસટી કલેક્શન 1.69 લાખ કરોડ હતું : લક્ઝરી વસ્તુઓ પર સેસથી થનારી આવક દૂર કરાતા જીએસટી કલેક્શન ઘટયું

ભારતનું જીએસટી કલેક્શન નવેમ્બર, ૨૦૨૫માં ઘટીને ૧.૭૦ લાખ કરોડ રૂપિયા રહ્યું છે. જે ચાલુ વર્ષનું સૌથી ઓછું કલેક્શન છે. જો કે ગયા વર્ષનાં નવેમ્બરની સરખામણીમાં જીએસટી કલેક્શનમાં ૦.૭ ટકાની વૃદ્ધિ જોવા મળી છે તેમ સત્તાવાળાઓએ એક નિવેદનમાં જણાવ્યું છે. લક્ઝરી વસ્તુઓ પર સેસથી થનારી આવકને દૂર કરાતા આ ઘટાડો જોવા મળ્યો છે.

નવેમ્બર, ૨૦૨૫માં કુલ જીએસટી કલેક્શન ૧.૭૦ લાખ કરોડ રૂપિયા રહ્યું છે. જે ગયા વર્ષે નવેમ્બરમાં ૧.૬૯ લાખ કરોડ રૂપિયા હતું. ઉલ્લેખનીય છે કે ઓક્ટોબર, ૨૦૨૫માં જીએસટી કલેક્શન ૧.૯૬ લાખ કરોડ રૂપિયા હતું.

ઉલ્લેખનીય છે કે ઘરેલુ વપરાશને વેગ આપવા અને વૈશ્વિક પરિબળોથી ભારતીય અર્થતંત્રને બચાવવાનાં હેતુથી એક મોટા સુધારણા હેઠળ સરકારે ૨૨ સપ્ટેમ્બરથી જીએસટીનાં ચાર દરો ઘટાડીને બે જ કરી દીધા છે.

હવે ફક્ત પાંચ અને ૧૮ એમ બે દરો રાખવામાં આવ્યા છે. જે અગાઉ ૫,૧૨,૧૮ અને ૨૮ હતાં. લક્ઝરી વસ્તુઓ પર ૪૦ ટકાનો અલગ દર રાખવામાં આવ્યો છે.

૨૨ સપ્ટેમ્બર, ૨૦૨૫થી જીએસટી કમ્પનસેશન ફક્ત તમાકુ અને પાન-મસાલા પર લગાવવામાં આવે છે. જે અગાઉ લક્ઝરી, સિન ડીમેરિટ વસ્તુઓ અલગ અલગ દરે નાખવામાં આવતો હતો.

સૂત્રોએ જણાવ્યું હતું કે કુલ જીએસટી કલેક્શનની ગણતરીમાં સેસને સામેલ કરવામાં આવ્યો નથી કારણકે કમ્પનસેશન સેસ હવે એક અસ્થાયી વ્યવસ્થા છે.

નવેમ્બર, ૨૦૨૫માં હરિયાણા, આસામ અને કેરળમાં જીએસટી આવકમાં અનુક્રમે ૧૭,૧૮ અને ૮ ટકાની વૃદ્ધિ જોવા મળી છે. જ્યારે મધ્ય પ્રદેશ અને ઓડિશામાં જીએસટી આવકમાં અનુક્રમે ૧૭ અને ૧૮ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં પણ જીએસટીની આવકમાં ચાર ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.

December 1, 2025
sir-extended.png
1min33

  • ચૂંટણી પંચે ‘સર’ની સમય મર્યાદા લંબાવી, 11મી સુધી ફોર્મ ભરી શકાશે
  • 16 ડિસે.એ ડ્રાફ્ટ રોલ, 14 ફેબુ્ર.એ અંતિમ મતદાર યાદી જાહેર કરાશે

દેશના ૧૨ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ‘સર’ની ‘ટૂંકી ટાઈમલાઈન’ના કારણે જનતા અને જમીન પરના ચૂંટણી કર્મચારીઓ માટે સમસ્યા ઊભી થઈ રહી હોવાના વિપક્ષના આક્ષેપોના પગલે ચૂંટણી પંચે ‘સર’ કાર્યક્રમની સમય મર્યાદા એક સપ્તાહ માટે લંબાવી છે. હવે મતદારો ૧૧મી ડિસેમ્બર સુધી તેમના ફોર્મ ભરી શકશે તથા અંતિમ મતદાર યાદી ૧૪ ફેબુ્રઆરીએ જાહેર કરાશે. દરમિયાન રવિવારે રાજસ્થાન-ઉત્તર પ્રદેશમાં ત્રણ બીએલઓનાં મોત થયા હતા.

ચૂંટણી પંચે બિહાર પછી હવે ૧૨ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ‘સર’ શરૂ કર્યો છે, જેનો પહેલો તબક્કો ચાર ડિસેમ્બરે પૂરો થવાનો હતો. જોકે, સરની કામગીરીના બોજ અને અનેક પ્રકારની જટીલતાઓના કારણે વ્યાપક સમસ્યાઓ ઊભી થઈ રહી છે તથા કામના બોજથી બીએલઓનાં મોત થઈ રહ્યા છે અથવા તેઓ આત્મહત્યા કરી રહ્યા છે તેવા વિપક્ષના આક્ષેપોના કારણે ચૂંટણી પંચે રવિવારે ‘સર’ની ટાઈમલાઈન સાત દિવસ લંબાવી છે.

ચૂંટણી પંચે જણાવ્યું કે, હવે સરનો પહેલો તબક્કો જે ૪ ડિસેમ્બરે પૂરો થવાનો હતો તે ૧૧ ડિસેમ્બરે પૂરો થશે. એટલે કે મતદારો ૧૧ ડિસેમ્બર સુધી તેમના ફોર્મ ભરી શકશે. ચૂંટણી પંચે જાહેર કરેલી નોટિસ મુજબ પુનરીક્ષણ પછી મતદાર યાદીનો મુસદ્દો ૧૬ ડિસેમ્બરે પ્રકાશિત કરાશે અને અંતિમ મતદારા યાદી હવે ૧૪ ફેબુ્રઆરીએ પ્રકાશિત કરાશે. મતદારો ૧૧ ડિસેમ્બરે ફોર્મ ભરીને આપે પછી ૧૨થી ૧૫ ડિસેમ્બર વચ્ચે કંટ્રોલ ટેબલ તૈયાર કરાશે.

ચૂંટણી પંચે કહ્યું કે, આ સમયમાં બધા જ ૧૨ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદારોની કાચી યાદી એટલે કે ડ્રાફ્ટ રોલ તૈયાર કરાશે. મતદારો તેમના વાંધા ૧૬ ડિસેમ્બરથી ૧૫ જાન્યુઆરી વચ્ચે નોંધાવી શકશે. આ સમયમાં મતદારોના જવાબ મેળવાશે. ૧૦ ફેબુ્રઆરીએ બધા જ માપદંડો પર મતદાર યાદીના ડ્રાફ્ટ રોલની ચકાસણી થશે. ત્યાર પછી ૧૪ ફેબુ્રઆરીએ અંતિમ મતદાર યાદી પ્રકાશિત કરાશે.

મતદાર યાદી સુધારણા માટે એસઆઈઆરનું કામ કરી રહેલા બીએલઓ પર કામનું વધુ દબાણ હોવાના અહેવાલો વચ્ચે ચૂંટણી પંચે બીએલઓનું માનદ વેતન રૂ. ૬,૦૦૦થી વધારીને રૂ. ૧૨,૦૦૦ તેમજ બીએલઓ સુપરવાઈઝરનું ભથ્થું રૂ. ૧૨,૦૦૦થી વધારીને રૂ. ૧૮,૦૦૦ કરવાની જાહેરાત કરી છે. આ સાથે ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળની મમતા સરકારને બીએલઓ અને સુપરવાઈઝરને સુધારેલા ભથ્થાંની ચૂકવણી તાત્કાલિક અસરથી કરવા નિર્દેશ આપ્યા છે.

દરમિયાન રાજસ્થાનના ધોલપુરમાં બીએલઓની કામગીરી કરતા ૪૨ વર્ષના અનુજ ગર્ગ શનિવારે મોડી રાતે મતદારોનો ડેટા અપલોડ કરતી વખતે તેમના જ ઘરમાં ફસડાઈ પડયા હતા અને તેમનું નિધન થયું હતું.

પરિવારનો દાવો છે કે એસઆઈઆરની કામગીરીના અત્યાધિક બોજના કારણે તેમનું મોત થયું છે. એજ રીતે ઉત્તર પ્રદેશના બિજનૌરમાં ધામપુર વિસ્તારમાં બીએલઓ ૫૬ વર્ષીય શોભારાનીનું કાર્ડિઆક અરેસ્ટના કારણે મોત થયું હતું. તેમના પરિવારે પણ બીએલઓની કામગીરીનો અત્યાધિક બોજ હોવાનો દાવો કર્યો હતો. ઉત્તર પ્રદેશના મોરાદાબાદમાં ૪૬ વર્ષના બીએલઓ સર્વેશ સિંહે આત્મહત્યા કરી લીધી હતી. ચાર પુત્રીઓના પિતા સર્વેશ સિંહે સુસાઈડ નોટમાં દાવો કર્યો હતો કે તેમને એસઆઈઆરની કામગીરી માટે પર્યાપ્ત સમય આપવામાં આવ્યો નહોતો.

બીએલઓને ટાઈગર સફારી, હેલિકોપ્ટર જોય રાઈડનું ઈનામ!

ચૂંટણી પંચ દ્વારા ૧૨ રાજ્યોમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ‘સર’ની પ્રક્રિયા હાથ ધરાઈ છે, જેની જવાબદારી બીએલઓને સોંપાઈ છે. બીએલઓ પર કામનું અત્યાધિક દબાણ હોવાના આક્ષેપો થઈ રહ્યા છે ત્યારે મધ્ય પ્રદેશમાં નિશ્ચિત સમય મર્યાદા કરતાં વહેલા કામગીરી પૂરી કરનારા ‘સુપર બીએલઓ’ ટાઈગર સફારી, મુવી ટિકિટ અને હેલિકોપ્ટર રાઈડ જેવા શાનદાર ઈનામો મેળવી રહ્યા છે.

મધ્ય પ્રદેશના જબલપુરની સ્નેહલતા પટેલે તેમનાં કાર્યક્ષેત્રના તમામ બૂથોનું ૧૦૦ ટકા ડિજિટાઈઝેશન પૂરું કરતાં પહેલા બીએલઓ સુપરવાઈઝર બન્યા હતા. તેમણે પનાગર વિધાનસભા ક્ષેત્રના ૭,૭૦૬ મતદારોના ફોર્મ સમય પહેલાં અપલોડ કરી દેતા તેમને પીએમ શ્રી હેલી પ્રવાસન સેવાના માધ્યમથી પ્રખ્યાત પ્રવાસન સ્થળ કાન્હા અને બાંધવગઢનો હવાઈ પ્રવાસ કરાવાયો હતો. એ જ રીતે રીવા જિલ્લામાં ૧૨ બીએલઓએ સમય પહેલાં કામગીરી પૂરી કરતાં તેમને પરિવાર સાથે વ્હાઈટ ટાઈગર સફારી મુકુંદપુર અને ફિલ્મ ટિકિટના ઈનામ અપાયા હતા.

November 29, 2025
image-27.png
1min36

રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન આગામી ૪થી અને ૫મી ડિસેમ્બરે બે દિવસ માટે ભારતના પ્રવાસે આવશે. રશિયા-ભારત વચ્ચે વાર્ષિક સમિટ યોજાવાની છે તેમાં પુતિન ભાગ લેશે. આ બેઠકમાં બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર, ડિફેન્સ, ઉર્જા સહિતના ક્ષેત્રોના કરારો થાય તેવી શક્યતા છે. બંને દેશો વચ્ચે લોકલ કરન્સીમાં આદાન-પ્રદાન અંગે પણ ચર્ચા થશે. પુતિન સમક્ષ ભારત વધુ એક વખત યુક્રેન-રશિયા યુદ્ધમાં શાંતિ સ્થપાય તે માટે રજૂઆત કરશે.

ભારત રશિયા પાસેથી એસ-૩૦૦ રશિયન મિસાઈલ્સ ખરીદવાનું છે : તેમજ જૂની થઈ ગયેલી એસ-૪૦૦ એર ડીફેન્સ સિસ્ટમના સ્થાને નવી એસ-૪૦૦ ડીફેન્સ સિસ્ટમ ખરીદશે. તે ઉપરાંત બીજી પાંચ એસ-૪૦૦ સ્કવોડ્રન્સ પણ ખરીદવાનું છે. આ પ્રકારના કરારો થાય તેવી પ્રબળ શક્યતા છે.મીડિયા રિપોર્ટ પ્રમાણે ભારત રશિયાને રીકવેસ્ટ ફોર પ્રપોઝલ (આરએફપી) મોકલવાનું છે. આ એસ-૪૦૦ વિમાનોની ૩ સ્કવોડ્રન્સ તો ભારત પાસે છે જ, જે ઓપરેશન સિન્દૂર સમયે કાર્યરત હતી. તે ઉપરાંત બીજી પાંચ સ્કવોડ્રન્સ માટે રશિયાના પ્રમુખ પુતિનભારત આવે ત્યારે સોદો પાકો કરવામાં આવશે. આ ફીફથ જનરેશન ફાયટર્સ વાસ્તવમાં ભારત પોતાના જ એએમસીએ (એડવાન્સ્ડ મીડીયમ કોમ્બેટ એરક્રાફટસ ૨૦૩૫ માં કાર્યરત થાય તે પહેલાની વચગાળાની વ્યવસ્થા સમાન છે. બીજી તરફ સુખોઈ-૫૭, કે એફ-૩૫ બેમાંથી એક અંગે હજી કોઈ નિર્ણય લેવાયો નથી.રશિયન પાનસ્ટર મિસાઈલ્સ સશસ્ત્ર તેવા કામીકાઝે ડ્રોન્સનો સામનો કરવા માટે છે.એસ-૪૦૦ ને ભારતમાં સુદર્શન ચક્ર કહેવાય છે. કારણ કે રશિયન બનાવટના આ એસ-૪૦૦ ટ્રાયમ્ફ એર ડીફેન્સ મિસાઈલ, દુનિયાની કોઈપણ એર ડીફેન્સ સિસ્ટીમની બરાબર કરી શકે તેમ છે. તે નામ ભગવાન વિષ્ણુનાં સુદર્શન ચક્ર ઉપરથી અપાયું છે. રશિયાની અલ્માઝ- એન્તે (સરકારી) કંપની દ્વારા બનાવવામાં આવેલા એસ-૪૦૦ મિસાઈલ્સ વિમાનો ડ્રોન તેમજ મિસાઈલ્સને ૬૦૦ કિ.મી. દૂરથી પકડી પાડે છે અને ૪૦૦ કિલોમીટરે તેને તોડી પાડી શકે છે. ટૂંકમાં ભારત કોઈ મહાયુદ્ધ આવી પડેતો તે સામે સજ્જ બની રહ્યું છે.