ગુજરાતમાં કોરોના વાયરસથી સંક્રમિત થયેલાં દર્દીઓને શોધવા માટે રાજ્યભરમાં કરાતા ટેસ્ટનો આંક તા.25મીએ સવારે આઠ વાગ્યે પૂરા થયેલા છેલ્લા ચોવીસ કલાકના ૬૧,૯૦૪ ટેસ્ટને ઉમેરતાં ૪૦.૪૮ લાખ સુધી પહોંચ્યો છે. આ ટેસ્ટથી નવા ૧૪૦૮ સાથે અત્યાર સુધીમાં કુલ પોઝિટિવ કેસનો આંક વધીને ૧,૨૮,૯૪૯ સુધી પહોંચ્યો છે. એમાંથી ચોવીસ કલાકમાં વધુ ૧૫૧૦ ડિસ્ચાર્જ થતાં સાજા થનારનો આંક પણ વધીને ૧,૦૯,૨૧૧ થયો છે. જોકે, વધુ ૧૪ મળી કુલ ૩૩૮૪ દર્દીઓના કોરોના સંક્રમણથી મૃત્યુ થયા છે.
છેલ્લા ચોવીસ કલાકમાં સૌથી વધુ કેસ સુરતમાંથી ૨૭૮ મળ્યા છે એમાં શહેરમાંથી ૧૭૬ અને ગ્રામ્યના ૧૦૨ કેસનો સમાવેશ થાય છે. જોકે, ગ્રામ્ય વિસ્તારના વધુ ૩ દર્દી અને શહેરના બે મળી કુલ પાંચ દર્દીના કોરોનાથી મૃત્યુ થયા છે. આ જ રીતે અમદાવાદમાંથી નવા ૧૫૬ કેસ અને ગ્રામ્યમાંથી ૨૭ કેસ ઉમેરાયા છે. શહેરના વધુ ૩ દર્દીના મૃત્યુ થયા છે. રાજકોટ શહેરમાંથી નવા ૧૦૨ કેસ મળ્યા છે એની સાથે બે દર્દીના મૃત્યુ થયા છે જ્યારે રાજકોટ આસપાસના તાલુકાઓમાંથી વધુ ૪૫ કેસ નોંધાયા છે અને એક દર્દીનું મૃત્યુ થયું છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ પછી ગંભીર સ્થિતિનો સામનો કરતાં જામનગરમાંથી નવા ૯૧ કેસ મળ્યા છે અને ગ્રામ્યમાંથી ૭ કેસ આવ્યા છે.
વડોદરા જિલ્લામાં કુલ ૧૩૨ કેસમાં શહેરમાંથી નવા ૯૧ સંક્રમિત મળ્યા છે. જ્યારે એક એક દર્દીના મૃત્યુ સરકારી ચોપડે નોંધાયા છે. આ સિવાય ગાંધીનગરમાંથી નવા ૫૦ કેસ મળ્યા છે એમાં શહેરમાંથી ૨૭ કેસનો સમાવેશ થાય છે. આ સાથે એક દર્દીનું મૃત્યુ પણ નોંધાયું છે. ભાવનગર શહેરમાંથી ૨૫ કેસ અને ગ્રામ્યમાંથી ૧૩ કેસ તેમજ જૂનાગઢમાંથી ૧૮-૧૮ કેસ મળી કુલ ૩૬ કેસ નોંધાયા છે.







