ગુજરાતમાં 6 મહાનગરપાલિકા, 231 તાલુકા પંચાયત, 31 જિલ્લા પંચાયત અને 55 નગરપાલિકામાં નવેમ્બરના અંતમાં અથવા ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં જે તે સ્થાનિક સ્વરાજ્યની મુદત પૂરી થયા બાદ વહીવટદારની નિમણૂક હાથ ધરવામાં આવશે.
રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આગામી નવેમ્બરના અંતમાં અથવા ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને 3 માસ માટે મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જો કે આ ચૂંટણીઓ આગામી સમયમાં સ્થિતિની સમીક્ષા કરીને યોજવાની પ્રક્રિયા હાથ ધરાશે.
રાજ્ય ચૂંટણી પંચે આજે સત્તાવાર રીતે જણાવ્યું હતું કે,’ રાજ્યની 6 મહાનગરપાલિકા, 55 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયત અને 231 તાલુકા પંચાયતની મુદત નવેમ્બરમાં સમાપ્ત થતી હોવાનાં કારણે ચૂંટણી યોજાવાની હતી જો કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો વ્યાપ અને કોવિડ 19 મહામારીનાં કારણે પરિસ્થિતિની સમીક્ષા કરતા રાજ્ય ચૂંટણી પંચે આ ચૂંટણીઓ આગામી 3 માસ સુધી મોકૂફ રાખવાનો નિર્ણય કરીને જાહેરનામું બહાર પાડયું છે. સાથે સાથે 3 મહિના બાદ પરિસ્થિતિની સમીક્ષા કરાશે અને ત્યારબાદ ચૂંટણી અંગેનો નિર્ણય લેવામાં આવશે.
રાજ્ય ચૂંટણી પંચને આ અગાઉ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ મોકૂફ રાખવા માટે કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ, ગુજરાત રાજ્ય પ્રથામિક શિક્ષકસંઘ, ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો, ગુજરાત માધ્યમિક શિક્ષણક સંઘ મહામંડળ અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક સંઘ, ગુજરાત રાજ્ય તલાટી મહામંડળ, ગુજરાત આરોગ્ય કર્મચારી મહામંડળ, નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી, રાષ્ટ્રીય શૈશિક મહામસંઘ, જામનગર જિલ્લા પંચાયત કર્મચારી સંઘ, ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક’ શિક્ષક સંઘ, જિલ્લા પંચાયત પ્રમુખ પાટણ, મહાનગરપાલિકા પ્રાથમિક શિક્ષક સંઘ, કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘ, ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળ, વેલ્ફેર પાર્ટી ઓફ ઇન્ડિયા સહિતના સંગઠનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી અને કહ્યું હતું કે, આંધ્રપ્રદેશ અને ગોવામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ મોકૂફ રખાઈ છે તો ગુજરાતમાં પણ મોકૂફ કરવામાં આવે.
રાજ્ય ચૂંટણી પંચ દ્વારા 6 મહાનરગપાલિકાઓની સામાન્ય ચૂંટણીમાં કુલ 144 વોર્ડમાંથી વોર્ડ દીઠ 4 સભ્યો લેખે 576 સભ્યોની ચૂંટણી કરવા માટે 11,581 જેટલાં મતદાન મથક ઉપર મતદાન લેવાનું થાય છે. આ 6 મહાનગરપાલિકામાં કુલ 1.11 કરોડ મતદાતાઓ નોંધાયેલા છે. એ જ રીતે 55 નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં કુલ 517 વોર્ડમાંથી વોર્ડ દીઠ 4 સભ્ય લેખે 2,068 સભ્યોની ચૂંટણી કરવા માટે 4,498 જેટલા મતદાન મથક ઉપર મતદાન લેવાનું થાય છે અને ત્યાં પણ 42.79 લાખ મતદાતાઓ નોંધાયેલા છે. એ જ રીતે 31 જિલ્લા પંચાયત અને 231 તાલુકા પંચાયતોનો સામાન્ય ચૂંટણી એક સાથે યોજાય છે. 1 મતદારે 2 મત આપવાના હોય છે જેનું મતદાન 31,345 મતદાન મથક ઉપર થાય છે. જેના ઉપર આશરે 2.50 કરોડ મતદાતાઓ નોંધાયેલા છે. 31 જિલ્લા પંચાયતમાં 980 મતદાર મંડળમાંથી 980 સભ્યોની ચૂંટણી યોજાતી હોય છે. એજ રીતે 231 તાલુકા પંચાયતોમાં 4,778 મતદાર મંડળોમાંથી 4,778 સભ્યોની ચૂંટણી કરવાની હોય છે. આમ નવેમ્બર-2020માં યોજાનાર સામાન્ય ચૂંટણીમાં કુલ 6419 વોર્ડ માંથી 8402 સભ્યો માટે 47,400 મતદાન મથકો ઉપર મતદાન લેવાનું થતું હોય છે. જે માટે 4.04 કરોડ મતદાતાઓએ મતદાન કરવાનું હોયછે.
ચૂંટણી પંચનું એવું માનવું છે કે, તાજેતરમાં જે રીતે કોરોના મહામારી ચાલી રહી છે અને માર્ચ, 2020 પછી ગુજરાતમાં કોરોના કેસમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. જો નવેમ્બર માસમાં ચૂંટણી યોજાય તો રાજકીય પક્ષો દ્વારા રેલી સહિત સભાનું આયોજન થાય, જેને લઇને મોટા પ્રમાણમાં લોકો’ એકઠા થાય. આમ, કોરોનાની આવી પરિસ્થિતિમાં મોટી મેદની એકત્રિત થાય તો કોરોના સંક્રમિતના કેસોમાં વધારો થવાની શક્યતાને ધ્યાનમાં રાખીને હાલ પૂરતું રાજ્ય ચૂંટણી પંચ દ્વારા 3 માસ માટે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.












