જે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડ-૧૯ના કેસ વધ્યા છે અથવા જ્યાં કોરોનાના સક્રિય કેસ વધારે છે એમને રસીકરણ અને ટેસ્ટિંગ વધારવાની, કોરોનાના દરદીઓને શોધીને એમને સારવાર મળે માટે યુદ્ધસ્તરે કામ કરવાની તાકિદ કેન્દ્ર સરકારે આપી હતી. શનિવારની બેઠક દરમિયાન કેન્દ્ર સરકારે એમને ખાનગી હૉસ્પિટલોનો સહકાર લઇને ઓછામાં ઓછા ૧૫ દિવસ અને વધુમાં વધુ ૨૮ દિવસનું ટાઇમટેબલ બનાવવા જણાવ્યું હતું. આવાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આરટી-પીસીઆર ટેસ્ટ વધારવાની, ફરીથી સક્રિય દરદીના સંપર્કમાં આવેલા લોકોને શોધીને યોગ્ય પગલાં લેવાની, જ્યાં કેસની સંખ્યા વધારે હોય એવા જિલ્લાઓ કે વિસ્તારોમાં કોરોનાના પ્રતિબંધોનું કડકાઇથી પાલન કરવાની અને દર સક્રિય કેસનાં સંપર્કમાં આવેલા ઓછામાં ઓછા ૨૦ જણને શોધવાની સલાહ આપવામાં આવી હતી.
કેન્દ્રના સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણ અને નીતી આયોગના સભ્ય (સ્વાસ્થ્ય) વિનોદ કે. પોલે શનિવારે હરિયાણા, આંધ્ર પ્રદેશ, ઓડિશા, ગોવા, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને કેન્દ્રશાસિત પ્રદેશ દિલ્હી અને ચંડીગઢના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય યોજનાના સ્વાસ્થ્ય સચિવ તથા ડિરેક્ટર સાથે વાતચીત કરી હતી. આ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં તાજેતરમાં કોરોનાના દરદીઓમાં રોજના હિસાબે વધારો નોંધાયો હતો. બેઠક દરમિયાન એમણે કોરોનાની માર્ગદર્શિકાના પાલન અંગે સમીક્ષા કરી હતી અને દરેક રાજ્યો કે કેન્દ્રશાસિત પ્રદેશોના જે જિલ્લાઓમાં આવા કેસની સંખ્યા વધી રહી છે, એ આસપાસનાં જિલ્લા અને રાજ્યોમાં ફેલાવાનો મોટો ભય હોવાથી એ ચિંતાનો વિષય ગણાય.
સ્વાસ્થય મંત્રાલય તરફથી જાહેર કરેલા આંકડા અનુસાર ભારતમાં છેલ્લા 24 કલાકમાં Covid-19ના 17,407 નવા કેસ સામે આવ્યા છે, ત્યાર બાદ સંક્રમિતોની કુલ સંખ્યા 1,11,39,516 થઈ ગઈ છે. આ સાથે જ 89 લોકોના મોત નીપજ્યાં છે અને કોરોનાથી થયેલા મૃત્યુદર 1,57,435 થઈ ગયો છે. દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા 1,73,413 અને સાજા થયેલા દર્દીઓની કુલ સંખ્યા 1,08,26,075 થઈ ગઈ છે.
આઈસીએમઆર મુજબ દેશમાં 3 માર્ચ સુધી 21 કરોડ 91 લાખ 78 હજાર 908 નમૂનાઓનું કોરોના પરીક્ષણ કરવામાં આવ્યું છે. તેમાંથી બુધવારે 7,75,631 નમૂનાઓની તપાસ કરવામાં આવી હતી. જણાવી દઈએ કે ગયા વર્ષે 16 સપ્ટેમ્બરના રોજ સંક્રમણના કુલ 50 લાખ કેસ, 28 સપ્ટેમ્બરના રોજ 60 લાખ, 11 ઑક્ટોબરના રોજ 70 લાખ, 29 ઑક્ટોબરના રોજ 80 લાખ અને 20 નવેમ્બરના રોજ 90 લાખ અને 19 ડિસેમ્બરના રોજ એક કરોડના પાર આંકડો ચાલી ગયો હતો.
Gujarat on 3/3/21 @ 9pm
રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના કુલ 475 કેસ નોંધાયા છે તો તેની સામે રાજ્યમાં 24 કલાકમાં 358 દર્દીઓ સ્વસ્થ થયા છે. જેથી હવે કોરોના મહામારીમાં રાજ્યમાં કુલ 264195 દર્દીઓ કોરોનાને હરાવવામાં સફળ રહ્યાં છે. જેથી રાજ્યનો રિકવરી રેટ પણ 97.40%એ પહોંચ્યો છે.
રાજ્યમાં નવા કેસમાંથી અમદાવાદમાં 117, સુરતમાં 96, વડોદરામાં 94 તેમજ રાજકોટમાં 65 દર્દીઓનો સમાવેશ થાય છે. જ્યારે રાજ્યમાં કુલ 2638 એક્ટિવ કેસમાંથી 39 દર્દીઓને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યાં છે. જ્યારે 2599 સ્ટેબલ છે. રાજ્યમાં 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશનમાં 1 મોત નોંધાતા હવે રાજ્યમાં કુલ મૃત્યુઆંક પણ 4412એ પહોંચ્યો છે.
રાજ્યમાં છોટા ઉદેપુર, ડાંગ, સુરેન્દ્રનગર અને તાપી એમ કુલ 4 જિલ્લામાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી.કોરોના વેક્સીનેશનના બીજા તબક્કામાં 60 વર્ષથી વધુ વયના તેમજ 45-60 વર્ષના ગંભીર બીમારી ધરાવતા કુલ 60,093 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યુ હતું.
ભારતની સ્વદેશી વેક્સિનના ફેઝ-3ની ક્લિનિકલ ટ્રાયલ્સના પરિણામો જાહેર કરવામાં આવ્યા
ભારત બાયોટેક Bharat Biotech દ્વારા કોરોના વાયરસ માટે બનાવવામાં આવેલી Covaxin વેક્સિન કોવિડ-19ના નવા સ્ટ્રેઈન સામે 81% સુધી અસરકારક સાબિત થઈ છે. ભારત બાયોટેકે કોરોના સામે લડવા કોવેક્સિ નામની વેક્સિન તૈયાર કરી છે. હવે કંપનીએ બુધવારે તેના ફેઝ-3ની ક્લિનિકલ ટ્રાયલ્સના પરિણામો જાહેર કર્યા છે.
કંપનીએ જણાવ્યું છે કે આ ટ્રાયલ્સમાં કોવેક્સિન 81% સુધી અસરકારક સાબિત થઈ છે. એટલું જ નહીં કંપનીએ કહ્યું છે કે આ કોરોનાના નવા સ્ટ્રેઈન સામે પણ રક્ષણ આપી શકે છે. નોંધનીય છે કે ભારત સરકાર દ્વારા કોરોનાની બે વેક્સિનને ઈમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી આપી છે. જેમાં સીરમ ઈન્સ્ટિટ્યુટ દ્વારા બનાવવામાં આવી રહેલી ઓક્સફોર્ડ-એસ્ટ્રાઝેનેકાની કોવિશિલ્ડ વેક્સિન છે. જ્યારે બીજી ભારત બાયોટેક દ્વારા તૈયાર કરવામાં આવેલી સ્વદેશી વેક્સિન કોવેક્સિન છે.
હૈદરાબાદની કંપની ભારત બાયોટેકે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) સાથે મળીને વેક્સિન તૈયાર કરી છે. સરકારે જ્યારે તેને ઈમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી આપી હતી ત્યારે તેનો વિરોધ પણ થયો હતો કેમ કે તેના ફેઝ-3ના પરિણામો અગાઉ તેને મંજૂરી આપવામાં આવી હતી. જોકે, હવે તેના ફેઝ-3ના પરિણામો ઘણા હકારાત્મક જોવા મળ્યા છે.
ભારત બાયોટેકના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર ડોક્ટર કૃષ્ણા એલ્લાએ જણાવ્યું હતું કે અમારા માટે આ દિવસ ઘણી મોટી સિદ્ધિનો દિવસ છે. ક્લિનિકલ ટ્રાયલ્સના ત્રણેય ફેઝમાં અમે 27,000 વોલેન્ટિયર્સ પર વેક્સિનનો પ્રયોગ કર્યો છે. ફેઝ-3 ક્લિનિકલ ટ્રાયલ્સના પરિણામ સાથે તે સાબિત થઈ ગયું છે કે કોવેક્સિન કોવિડ-19 વિરુદ્ધ અસરકારક છે. આ વેક્સિન ઝડપથી બદલાઈ રહેલા કોરોનાના અન્ય સ્ટ્રેઈન સામે પણ અસરકારક છે.
આઈસીએમઆર એ જણાવ્યું છે કે સ્વતંત્ર ડેટા સેફ્ટી અને મોનિટરિંગ બોર્ડ દ્વારા ચકાસવામાં આવેલા પરિણામો દેખાડે છે કે કોવેક્સિન દેશમાં વિવિધ વયજૂથમાં અને વેરિયન્ટ્સના SARS-Cov-2 સામે ઘણી જ અસરકારક છે. સંપૂર્ણ સ્વદેશી કોવિડ-19 વેક્સિન (કોવેક્સિન)ની 8 મહિનાથી ઓછી બેન્ચ-બેડસાઈડ જર્ની વૈશ્વિક જાહેર આરોગ્ય સમુદાયમાં આવરોધો સામે લડવા અને મજબૂતી ઊભા રહેવા માટે આત્મનિર્ભર ભારતની અપાર શક્તિ દેખાડે છે.
બોલીવુડ સ્ટાર્સ ફરી એકવાર ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટના રડારમાં આવી ગયા છે. મળતી માહિતી મુજબ ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે અભિનેત્રી તાપસી પન્નૂ, ડિરેક્ટર અનુરાગ કશ્યપ, નિર્માતા મધુ મન્ટેના અને ડિરેક્ટર વિકાસ બહલના ઘરે દરોડા પાડ્યા છે. ઈન્કમ ટેક્સ વિભાગ ફેન્ટમ ફિલ્મ્સ સાથે સંકળાયેલા લોકોની તપાસ કરી રહ્યું છે. ફેન્ટમ ફિલ્મ્સ પર કરચોરીનો આરોપ છે.
ફેન્ટમ ફિલ્મ્સની સ્થાપના અનુરાગ કશ્યપ, વિક્રમાદિત્ય મોટવાણી, મધુ મન્ટેના અને વિકાસ બહલ દ્વારા કરવામાં આવી હતી. વર્ષ 2018માં વિકાસ બહલ પર યોન શોષણના આરોપો બાદ આ કંપની પતી ગઈ અને ચારેય પાર્ટનર અલગ થઈ ગયા હતા. ફિલ્મ પ્રોડક્શન ઉપરાંત આ કંપની ડિસ્ટ્રિબ્યુશનનું કામ પણ કરતી હતી.
મીડિયા રિપોર્ટ મુજબ, મુંબઈમાં અભિનેત્રી તાપસી પન્નૂ, ડાયરેક્ટર અનુરાગ કશ્યપના ઘર સહિત 22 સ્થળોએ આવકવેરાના દરોડા પાડવામાં આવ્યા છે. આ ઉપરાંત પૂણેમાં પણ ઘણાં સ્થળોએ આવકવેરા વિભાગની ટીમ તપાસ કરી રહી છે. ઈન્કમ ટેક્સ ડિપાર્ડમેન્ટના રડાર પર હાલમાં 4 કંપનીઓ છે.
નાયબ મુખ્યમંત્રી તેમજ રાજ્યના નાણામંત્રી નીતિન પટેલે આજે રાજ્યનું 2021-22નું બજેટ રજૂ કરી દીધું છે. આ બજેટનું કદ 2,27,029 કરોડ રુપિયાનું છે. ગુજરાતના અત્યારસુધીના સૌથી મોટા બજેટમાં આરોગ્ય, શિક્ષણ તેમજ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. પોતાની બજેટ સ્પીચમાં નીતિન પટેલે આગામી પાંચ વર્ષમાં બે લાખ લોકોને સરકારી નોકરી આપવાનું વચન આપ્યું છે. આ ઉપરાંત, અમદાવાદ-મહેસાણા હાઈવેને સિક્સ લેન બનાવવાની તેમજ અમદાવાદ-ગાંધીનગર અને સુરત સિવાય વડોદરા, રાજકોટ, ભાવનગર અને જામનગરમાં પણ મેટ્રો દોડાવવા માટે આયોજન કરાયું છે.
587.88 કરોડ રુપિયાન પુરાંત દર્શાવતા આ બજેટમામં મહેસૂલી આવક 1,67,969.40 કરોડ, મહેસૂલી ખર્ચ 1,66,760.80 કરોડ અંદાજવામાં આવ્યા છે. જ્યારે મહેસૂલી હિસાબ પર પુરાંત 1208.60 કરોડ, મૂડીની આવક 50751 કરોડ, લોન અને પેશગીઓ વગેરે સહિત મૂડી ખર્ચ 56,571.72 કરોડ, મૂડી હિસાબ પર ખાધ (માઈનસ) 5820.72 કરોડ અંદાજવામાં આવ્યા છે. કોરોનાને કારણે સરકારે આ બજેટમાં કોઈ નવા કરવેરા નથી નાખ્યા અને પ્રવર્તમાન વેરામાં કોઈ પ્રકારનો વધારો પણ નથી કર્યો.
ગૃહ વિભાગ માટે 7960 કરોડની જોગવાઈ
– ગૃહ વિભાગમાં વિવિધ સંવર્ગની 3020 નવી જગ્યા ઉભી કરાશે
– 41 શહેરોમાં 6000થી વધુ સીસીટીવી કેમેરા લગાડાશે.
– પોલીસ તંત્ર માટે 876 વાહનો ખરીદવામાં આવશે
– પોલીસ આધુનિકીકરણ માટે 26 કરોડની જોગવાઈ
બંદરો અને વાહન વ્યવહાર વિભાગ માટે 1478 કરોડની જોગવાઈ
– 800 ડિલક્ષ અને 200 સ્લીપર કોચ મળીને 1000 નવી એસટી બસો કાર્યરત કરાશે. લાંબા અંતરની મુસાફરી માટે 500 વોલ્વો બસ પીપીપી ધોરણે શરુ કરાશે
– એસટી દ્વારા 50 ઈલેક્ટ્રીક બસો સંચાલનમાં મૂકાશે. 50 સીએનજી વાહનોનો પણ સમાવેશ કરાશે
ભારતમાં કોરોનાના ૮૪.૧૬ ટકા અથવા ૧.૬૮ લાખ સક્રિય દરદી પાંચ રાજ્યના હોવાની અને છ રાજ્ય તથા કેન્દ્રશાસિત પ્રદેશમાં સક્રિય દરદીની સાપ્તાહિક ટકાવારી રાષ્ટ્રીય સરેરાશ બે ટકા કરતા વધારે હોવાની માહિતી કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે આપી હતી.
દેશના કોરોનાના કુલ સક્રિય દરદીમાંથી ૬૭.૮૪ ટકા દરદી તો મહારાષ્ટ્ર અને કેરળના છે.
જે છ રાજ્ય તથા કેન્દ્રશાસિત પ્રદેશમાં સક્રિય દરદીની સાપ્તાહિક ટકાવારી રાષ્ટ્રીય સરેરાશ બે ટકા કરતા વધારે છે, એમાં મહારાષ્ટ્ર, કેરળ, ગોવા, ચંડીગઢ, પંજાબ અને ગુજરાતનો સમાવેશ થાય છે. એમાંય સૌથી વધુ સાપ્તાહિક મહારાષ્ટ્રમાં ૧૦.૦૨ ટકા સક્રિય દરદીનો વધારો નોંધાયો હતો.
મંત્રાલયે જણાવ્યા અનુસાર ભારતમાં મંગળવારે સવારે ૮ વાગ્યા સુધીમાં કોરોનાના ૧૨,૨૮૬ નવા કેસ નોંધાયા હતા અને એ સાથે કુલ કેસની સંખ્યા વધીને ૧,૧૧,૧૨,૨૪૧ થઇ હતી.
હાલ ભારતમાં ૧,૬૮,૩૫૮ સક્રિય દરદી છે, જે કુલ દરદીના ૧.૫૧ ટકા થાય છે અને એમાંથી ૮૦.૩૩ ટકા સક્રિય દરદીઓ પાંચ રાજ્યના છે.
ગત ૨૪ કલાકમાં દેશના સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં ૬,૩૯૭ અને ત્યાર બાદ કેરળમાં ૧,૯૩૮ કેસ નોંધાયા હતા.
દેશના સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં ૪૬.૮૨ ટકા અને ત્યાર બાદ કેરળમાં ૨૮.૬૧ ટકા કેસ છે.
કેન્દ્ર સરકાર રાજ્યોને સતત કોરોનાની માર્ગદર્શિકાનું સખતાઇથી પાલન કરાવવાની સલાહ આપતી રહે છે અને કોરોનાનો રોગચાળો વધુ ન ફેલાય એ માટે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સતત સલાહ અને સૂચનો આપતી રહે છે.
ભારતમાં કોરોનાના મંગળવાર સુધીમાં કુલ ૧,૦૭,૯૮,૯૨૧ દરદી સાજા થયા હતા અને સાજા થનાર દરદીની ટકાવારી ૯૭.૦૭ ટકા નોંધાઇ હતી. ગત ૨૪ કલાકમાં ૯૧ વ્યક્તિએ કોરોનાને કારણે પોતાના જીવ ગુમાવ્યા હતા અને એમાંથી મહારાષ્ટ્રમાં ૩૦ વ્યક્તિએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યા હતા.
મુંબઈ સહિત નવી મુંબઈમાં કોરોનાના કેસમાં નિરંતર વધારો થઈ રહ્યોે છે ત્યારે રેલવે સ્ટેશન પર ‘ક્રાઉડ કંટ્રોલ’ના ભાગરૂપે મુંબઈ મેટ્રોપોલિટન રિજન (એમએમઆર)ના મહત્ત્વના ટર્મિનસ ખાતે પ્લૅટફૉર્મ ટિકિટના ભાવ ૫૦ રૂપિયા લેવામાં આવશે, એમ સત્તાવાર જણાવાયું હતું.
કોવિડ-૧૯ મહામારી અને ઉનાળુ વેકેશનને કારણે મધ્ય રેલવેના સૌથી ગીચ-વ્યસ્ત સ્ટેશન પર પ્લૅટફૉર્મ ટિકિટનું ભાડું ૧૦ રૂપિયાના બદલે હવેથી ૫૦ રૂપિયા વસૂલાશે. મધ્ય રેલવેના ગીચ ટર્મિનસ પૈકી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી), દાદર, લોકમાન્ય ટિળક ટર્મિનસ (એલટીટી) સહિત મુંબઈ રિજનમાં થાણે, પનવેલ તથા ભિવંડી રોડ સ્ટેશન વગેરે ટર્મિનસ પર પ્લૅટફૉર્મની ટિકિટનું ભાડું રૂ. ૫૦ લેવામાં આવશે, એમ મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શિવાજી સુતારે જણાવ્યું હતું.
પ્લૅટફૉર્મ ટિકિટનું નવું ભાડું પહેલી માર્ચથી લઈને ૧૫મી જૂન સુધીના સમયગાળા દરમિયાન વસૂલવામાં આવશે. વેકેશનના સમયગાળા દરમિયાન કોવિડના કેસમાં વધારો થઈ રહ્યો હોવાથી સ્ટેશન પર પ્રવાસીઓની સંખ્યા નિયંત્રણમાં રાખવાના ઉદ્દેશને લઈ ઉપરોક્ત નિર્ણય લેવામાં આવ્યો છે. ફેબ્રુઆરીના બીજા અઠવાડિયાથી મુંબઈ શહેરમાં કોરોનાના કેસમાં વધારો થયો છે, જેમાં અત્યાર સુધીમાં મુંબઈમાં કોરોનાના ૩.૨૫ લાખથી વધુ કેસ નોંધાયા છે, જ્યારે મૃતકની સંખ્યા ૧૧,૪૦૦ થઈ છે.
ગુજરાત વિધાનસભાનું 31 દિવસિય બજેટ સત્ર આજરોજ તા. 1 માર્ચ 2021ને સોમવારથી શરુ થયું છે, આ સત્ર તા. 1લી, એપ્રિલ 2021ના દિવસે પૂરું થશે. આ સત્ર દરમ્યાનમાં 10 દિવસ રજાની રજા રહેશે અને 20 દિવસ ગૃહનું કામકાજ થશે.
સામાન્ય રીતે ગૃહની બેઠક’ પ્રથમ કે બીજા દિવસે સરકારનું બજેટ રજૂ થતું હોય છે પરંતુ આ વખતે બેઠકના પ્રથમ દિવસે જ રાજ્યના બે પૂર્વ મુખ્યપ્રધાનો અને 11 જેટલા પૂર્વ ધારાસભ્યોના નિધન બદલના શોક-પ્રસ્તાવો રજૂ થશે ત્યારબાદ ગૃહની બેઠક મુલતવી રહેશે.
બેઠકના બીજા દિવસે પાલિકા, જિલ્લા-તાલુકા પંચાયતોની ચૂંટણીના પરિણામો જાહેર થવાના હોવાથી રજા રહેશે. જ્યારે 3જી, માર્ચે ગૃહની બે બેઠક મળશે. જેમાં પ્રથમ બેઠકમાં જ લગભગ સવારના 11 વાગ્યાની આસપાસ રાજ્ય સરકારનું વર્ષ 2021-22નું વાર્ષિક બજેટ રજૂ કરાશે.
ચાલુ નાણાકીય વર્ષમાં સરકારનું બજેટનું કુલ કદ રૂ. 2.17 લાખ કરોડ જેટલું છે પરંતુ આ વર્ષમાં કોરોના-લોકડાઉનની અસરને કારણે સરકારની વેરાની આવકો ઘટી હોવાથી વર્ષ 2021-22નું કદ રુ. 2.30 કરોડની આસપાસ રહે તેવી સંભાવના છે.
રાજ્ય વિધાનસભાના આ વખતના બજેટ સત્રમાં સરકારને તેની કામગીરી બદલ ઘેરી શકાય તેવા મોંઘવારી, કોરોના, લોકડાઉન, મંદી, બેકારી ઉપરાંતના સંખ્યાબંધ મુદ્દાઓ છે. જેને લઈ વિપક્ષ કોંગ્રેસ, વર્તમાન સરકાર પર પસ્તાળ પાડી શકે છે પરંતુ તાજેતરની મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં કોંગ્રેસના સંપૂર્ણ રકાશની સ્થિતિ જોતાં કોંગ્રેસના સભ્યોનું નૈતિક બળ તૂટયું છે અને તેનો ભરપૂર લાભ સત્તાધારી પક્ષ-ભાજપ ઉઠાવશે.
આ વખતના વિધાનસભાના સત્રની કામગીરી મુજબ, બેઠકના પ્રથમ દિવસે રાજ્યપાલ દ્વારા ગૃહને જે સંબોધન કરાશે, તેનો આભાર માનતી ચર્ચા 3 દિવસ સુધી ચાલશે ત્યારબાદ સરકારને હાલના ચાલુ બજેટ કરતાં જ્યાં વધુ ખર્ચ કર્યો હશે ત્યાં વધારાની રકમની માગણી કરતાં પૂરક બજેટ ઉપર 2 દિવસ સુધી ચર્ચા થશે. એવી જ રીતે નાણાપ્રધાન નીતિન પટેલ દ્વારા રાજ્ય સરકારનું જે વર્ષ 2021-22 માટેનું બજેટ રજૂ કરાશે. તેના ઉપર ગૃહમાં 4 દિવસ સુધી ચર્ચા કરાશે. 9 દિવસની આ ચર્ચાઓ બાદ રાજ્ય સરકારના 26 વિવિધ વિભાગોના બજેટ (માગણીઓ) પરની ચર્ચા આરંભાશે. જે 12 દિવસ સુધી ચાલશે. અંતે 31મી, માર્ચે રાજ્ય સરકારે રજૂ કરેલા બજેટ મુજબ તેને ખર્ચ કરવાની સત્તા આપતું વિનિયોગ વિધેયક રજૂ કરીને પસાર કરી દેવાશે. જ્યારે 1લી એપ્રિલના અંતિમ દિવસે સરકારી વિધેયકો અને છેલ્લા દિવસનો પ્રસ્તાવ રજૂ કરાશે. આ વખતના બજેટ સત્રમાં કુલ 4 દિવસ ડબલ બેઠકો યોજાશે. જેમાં સત્રના બીજા જ દિવસે રજા રહેવાની હોવાથી તે દિવસનું કામકાજ 3 માર્ચે બે બેઠક યોજીને પૂરું કરાશે. એવી જ રીતે 10 માર્ચ, 16 અને 23 માર્ચે બે બેઠક યોજાશે.
વિધાનસભાના આ બજેટ સત્ર દરમિયાન મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ જાહેર કર્યા મુજબ લવ જેહાદ ઉપરનું વિધેયક રજૂ કરાશે. જેમાં હિંદુ યુવતી સાથે મુસ્લિમ ઉપરાંત અન્ય કોઈપણ ધર્મના યુવક લગ્ન કરશે તો, તેના માટેની વ્યાખ્યા નક્કી કરાશે. જેની સામેની કાયદાકીય કાર્યવાહી માટેની પ્રક્રિયા, સક્ષમ સત્તા મંડળ રચાશે. જો, યુવક ગુનેગાર ઠરે તો, તેને સામે દંડનીય કે જેલની સજા સહિતની જોગવાઈઓ થશે. આ વિધેયક ઉપર ગૃહમાં ચર્ચા થશે અને અંતે તે બહુમતિથી પસાર કરાશે. આ ઉપરાંત ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી (સુધારા) વિધેયક, ગુજરાત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી (સુધારા) વિધેયક, ગુજરાત રાજવીત્તિય જવાબદારી (સુધારા) વિધેયક, ગુજરાત અગ્નિનિવારણ અને જીવન સુરક્ષા ઉપાય વિષયક (સુધારા) વિધેયક ઉપરાંત અન્ય 7 જેટલા વિધેયકો રજૂ કરાશે.
દેશમાં પહેલી માર્ચ, સોમવારથી ૬૦ વર્ષથી મોટી ઉંમરના વરિષ્ઠ નાગરિકો અને ૪૫થી વધુ વયના અન્ય બીમારી ધરાવતા લોકોને કોરોનાની રસી આપવાનું શરૂ થવાનું છે, પણ અનેક વરિષ્ઠ નાગરિકો હજી આ રસી લેવા અંગે અવઢવમાં છે અથવા તેઓને પૂરતી જાણકારીનો અભાવ છે.
કોરોનાના રસીકરણનો બીજો સૌથી મોટો તબક્કો શરૂ થવાનો છે ત્યારે કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે ખાનગી હૉસ્પિટલો કોવિડ-૧૯ની રસી માટે વધુમાં વધુ અઢીસો રૂપિયા લઇ શકશે.
સરકારી આરોગ્ય કેન્દ્રોમાં રસીકરણ વિનામૂલ્યે કરવામાં આવશે, પણ ખાનગી આરોગ્ય કેન્દ્રોમાં લોકોએ રસી મુકાવવાના અઢીસો રૂપિયા આપવા પડશે.
સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર રસીનો ભાવ રૂ. ૧૫૦ છે અને સર્વિસ ચાર્જ તરીકે ખાનગી હૉસ્પિટલો અને કેન્દ્રો વધુમાં વધુ રૂ. ૧૦૦ લઇ શકશે. આ રીતે ખાનગીમાં રસી મુકાવનારને કુલ રૂ. ૨૫૦નો ખર્ચ કરવાનો રહેશે.
કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આ બાબતની માહિતી આપી દીધી છે.
કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે ૬૦થી વધુ વયની બધી જ વ્યક્તિ અને એકથી વધુ રોગ ધરાવતી ૪૫થી વધુ વયની કોઇપણ વ્યક્તિ ૧લી માર્ચથી કોવિડ-૧૯ની રસી મુકાવી શકશે અને એ માટે તેઓ ત્રણ રીતે રજિસ્ટ્રેશન કરાવી શકશે.
રસીકરણ માટે પોતાનું નામ નોંધાવવાની રીતો આ પ્રમાણે છે: પહેલી રીત ઑનલાઇનની છે અને આ રીત હેઠળ લાભકર્તા અગાઉથી પોતાનું નામ ઑનલાઇન નોંધાવી શકશે. આ માટે એમણે કો-વિન ૨.૦ પોર્ટલ અથવા આરોગ્ય સેતુ જેવી અન્ય ઍપ મારફત પોતાનું નામ નોંધાવવાનું રહેશે. આ પોર્ટલ અને ઍપ્સ પર સરકારી તેમ જ ખાનગી રસીકરણ કેન્દ્રોના નામ, રસીકરણ માટે નિયત કરેલા સમય અને તારીખની માહિતી આપેલી હશે. વ્યક્તિ પોતાની મરજી પ્રમાણે સરકારી અથવા ખાનગી કેન્દ્રની પસંદગી કરીને અપોઇન્ટમેન્ટ બુક કરાવી શકશે.
બીજી રીત ઑનસાઇટ નોંધણીની છે. ઑનલાઇન નોંધણી ન કરાવી શકતી વ્યક્તિ રસીકરણ કેન્દ્ર પર જઇને પોતાનું નામ નોંધાવીને રસીકરણ કરાવી શકશે.
ત્રીજી રીત સંયુક્ત નોંધણીની છે અને એમાં ચોક્કસ જૂથનું રસીકરણ કરવા માટે નોંધણી કરવામાં આવશે. એ માટે બધાં જ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પોતાની વ્યવસ્થા કરવા જણાવાયું છે.
રસી મુકાવવા માગતા લાભકર્તા સરકારી કેન્દ્રમાં રસી મુકાવે કે ખાનગી કેન્દ્રમાં, એમણે રસીકરણ કેન્દ્રમાં નીચે જણાવ્યામાંથી કોઇપણ એક ફોટો આઇડી કાર્ડ સાથે લઇ જવાનો રહેશે. માન્ય ફોટો આઇડી કાર્ડમાં આધાર કાર્ડ, મતદાતા ઓળખપત્ર, ઑનલાઇન નોંધણીની બાબતમાં નોંધણી વખતે જણાવેલો ચોક્કસ ફોટો આઇડી કાર્ડ.
૪૫થી વધુ વયની અને ૫૯ વર્ષ સુધીની બહુરોગ ધરાવતી વ્યક્તિ પાસે નોંધણીકૃત મૅડિકલ પ્રૅક્ટિશનર્સ દ્વારા રોગ વિશે પ્રમાણિત સર્ટિફિકેટ, રોજગારનું પ્રમાણપત્ર/સત્તાવાર આઇડી કાર્ડ (ફોટો અને જન્મતારીખ સાથેનો કોઇપણ એક) હોવું જરૂરી છે.
જે વ્યક્તિ સરકારી કેન્દ્રોમાં રસી મુકાવવા જશે, એમને મફતમાં રસી આપવામાં આવશે. ભારત સરકાર રસીની કિંમત ચૂકવશે. કેન્દ્ર સરકાર જરૂરી રસી ખરીદીને પ્રત્યેક રાજ્યોને મોકલશે. ખાનગી કેન્દ્રો રસીકરણ માટે રૂ. ૨૫૦ની ફી લેશે,
રસીકરણ માટેની ખાનગી સંસ્થાઓ અને હૉસ્પિટલોમાં જરૂરી સુવિધા વિશેના દિશાનિર્દેશ બધાં જ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આપવામાં આવ્યા છે.
માહિતી અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે વિશ્ર્વના સૌથી મોટા રસીકરણનો બીજો તબક્કો સોમવારથી શરૂ કરવામાં આવશે. આ તબક્કામાં ૬૦ વર્ષથી વધુ વયની કોઇપણ વ્યક્તિ (આપણા દેશમાં એ દસ કરોડથી વધુ નહીં હોય) અને ૪૫થી વધુ વયની વિવિધરોગ ધરાવતી વ્યક્તિને ૧૦,૦૦૦ સરકારી સારવાર કેન્દ્રો અને ૨૦,૦૦૦ ખાનગી હૉસ્પિટલોમાં રસી આપવામાં આવશે.
વિશ્ર્વનું સૌથી મોટું રસીકરણ ૧૬મી જાન્યુઆરીએ શરૂ થયું હતું અને ભારતે ૧,૦૭,૬૭,૦૦૦ વ્યક્તિને પહેલા અને ૧૪ લાખ વ્યક્તિને બીજા તબક્કામાં રસી આપી હતી.
એ તબક્કે મુખ્યત્વે સ્વાસ્થ્ય કર્મચારીઓને રસી આપવામાં આવી હતી અને એમને બધાને સરકાર દ્વારા મફતમાં રસી આપવામાં આવી હતી. ભારતમાં રસીકરણ સફળ રહ્યું છે અને ભાગ્યે જ કોઇ ફરિયાદ આવી છે.
નાયબ મુખ્યમંત્રીએ આ સાથે સ્પષ્ટતા કરી છે કે આરોગ્ય વિભાગ દ્વારા માન્ય ખાનગી હોસ્પિટલોમાં કોરોના વેક્સિન આપવામાં આવશે. જેમાં રુ. 150 વેક્સિનની કિંમત પેટે અને રુ. 100 વહીવટી ચાર્જ સ્વરુપે એમ કુલ મળીને રુ. 250 પ્રતિ ડોઝ લેવામાં આવશે.
દેશની સાથે સાથે ગુજરાતમાં પણ પહેલી માર્ચથી એટલે કે સોમવારથી 60 વર્ષ કે તેથી મોટી ઉંમરના તેમજ 45થી 59 વર્ષના કો-મોર્બિડ કન્ડીશન ધરાવતા લોકોને કોરોના રસી આપવાની શરૂઆત થશે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરાત કરી છે કે, કોરોના વાયરસ સામે હેલ્થ વર્કર અને ફ્રન્ટલાઈન વર્કર્સનને રક્ષણ આપવા રસીકરણ અભિયાનની પૂર્ણાહુતિ સાથે જ હવે કેન્દ્ર સરકારના માર્ગદર્શન મુજબ રાજ્યમાં પહેલી માર્ચથી સામાન્ય નાગરિકો માટે પણ રસીકરણની પ્રક્રિયા શરું કરવાં આવશે. આ સાથે જ નાયબ મુખ્યમંત્રીએ ટ્વિટ કરીને જણાવ્યું છે કે કેન્દ્ર સરકાર દ્વારા સમાન્ય નાગરીકો માટે કોરોના વેકસીનની કિંમત નક્કી કરવામાં આવી છે જે અંતર્ગત ખાનગી હોસ્પિટલમાં કોરોના વેક્સિન લેવા માટે રુ. 250 ચૂકવવા પડશે જ્યારે સરકારી હોસ્પિટલમાં આ વેક્સિન વિનામૂલ્યે આપવામાં આવશે.
45થી 59 વર્ષની ઉંમરના કો-મોર્બિડ કન્ડીશન ધરાવતા નાગરિકો માટે 20 પ્રકારની ગંભીર બીમારી કેન્દ્ર સરકારે નિયત કરી છે. જેમાં એક વર્ષમાં હાર્ટ એટેક આવ્યો હોય, હાર્ટની ગંભીર બીમારી, જન્મજાત બીમારી, કેથેટર, સ્ટેન્ટ મૂકાયા હોય, કિડની અને લિવરની ગંભીર બીમારી, ડાયાબિટીસ, હાઈપરટેંશન અને એન્ઝાયટી એમ ત્રણ ભેગી બીમારી, કેન્સર, HIV, સિક્લસેલ, થેલેસેમિયા મેજરનો સમાવેશ થાય છે. જે લોકોને આ બીમારીની સારવાર ચાલતી હોય તેમણે રજિસ્ટ્રર્ડ મેડિકલ પ્રેક્ટિશનરનું સર્ટિફિકેટ પણ જોડીને રસીકરણ માટે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.