CIA ALERT

ડેવલપમેન્ટ Archives - Page 35 of 139 - CIA Live

May 27, 2021
night_curfew.jpg
1min372

ગુજરાતમાં કોરોનાના કેસોમાં થઇ રહેલા વધારાને કારણે રાજ્યનાં 36 શહેરમાં રાત્રે 8થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ લાદવામાં આવ્યો હતો. આ કર્ફ્યૂની મુદત 27 મે સુધી રાખવામાં આવી હતી. હવે રાજ્યમાં કોરોના ધીમે ધીમે નિયંત્રિત થઈ રહ્યો હોવાથી રાજ્યમાં કર્ફ્યૂમાં લોકોને આંશિક રાહત આપવામાં આવી છે.

વિજય રૂપાણીએ રાજ્યનાં 36 શહેરમાં એક કલાકની રાહત આપીને કર્ફ્યૂનો સમય રાત્રે 9થી સવારે 6 વાગ્યા સુધી અમલી કરવાની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં હાલમાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિતનાં 8 મહાનગર અને 36 શહેરમાં રાત્રિ કર્ફ્યૂ ચાલી રહ્યો છે, જેની મુદત આજે પૂર્ણ થતાં કોરોનાના કેસોની સંખ્યાઘટી રહી હોવા છતાં રાજ્ય સરકાર કોઈ જોખમ લેવા માગતી નથી. હવે આ મુદત પૂર્ણ થતી હોવાથી મુખ્યપ્રધાન રૂપાણીએ આજે રાજ્યનાં 36 શહેરમાં કર્ફ્યૂના સમયમાં એક કલાકનો ઘટાડો કરીને લોકોને આંશિક રાહત આપી છે.

સરકારે લીધેલા નિર્ણય મુજબ તમામ દુકાનો, લારી-ગલ્લા, શાપિંગ કોમ્પલેક્સ, માર્કાટિંગ યાર્ડ, હેર કાટિંગ સલૂન, બ્યુટીપાર્લર અને તમામ વેપાર સવારે 9થી બપોરના 3 સુધી ચાલુ રહી શકશે. જ્યારે બાગ-બગીચા, ધાર્મિક સ્થળો, સિનેમાગૃહો, જિમ, સ્પા, સ્વામિંગ પૂલ, ધાર્મિક-સામાજિક-રાજકીય કાર્યક્રમો પર પ્રતિબંધ યથાવત રખાયો છે. લગ્ન માટે 50 વ્યક્તિ અને અંતિમવિધિ માટે 20 વ્યક્તિની મર્યાદા યથાવત રખાઇ છે. સરકારી, અર્ધસરકારી, ખાનગી કચેરીઓ 50 ટકા સ્ટાફથી ચાલુ રહી શકશે. પબ્લિક બસસેવા 50 ટકા મુસાફર ક્ષમતા સાથે ચાલશે. હોટલ-રેસ્ટોરાં સવારે 9થી રાત્રિના 8 વાગ્યા સુધી ચાલુ રહી શકશે, પણ માત્ર ટેકઅવે અને હોમડિલિવરીની સુવિધા આપી શકશે. તેમજ અન્ય નિયંત્રણો યથાવત રાખવામાં આવ્યા છે. વેપાર-ધંધાને વધારાની છૂટ નહીં અપાતા વેપારીઓમાં કચવાટ ફેલાયો છે.

સરકારે લગાવેલા આંશિક લોકડાઉનમાં કેસ ઘટતાં આંશિક અનલોકની શરૂઆત કરવામાં આવી હતી. જેના પરિણામ 36 શહેરમાં ગત શુક્રવારથી રાજ્યમાં તમામ પ્રકારની દુકાનો, શાપિંગ કોમ્પ્લેક્સ, લારી-ગલ્લાને સવારે 9થી બપોરે 3 વાગ્યા સુધી ખુલ્લાં રાખવાની મંજૂરી અપાઇ છે.

May 27, 2021
toll_plaza.jpg
1min386

નેશનલ હાઇવે ઑથોરિટી ઑફ ઇન્ડિયા (એનએચએઆઇ)એ 26/5/21 બુધવારે જણાવ્યું હતું કે ટૉલપ્લાઝા ખાતે વાહનોએ પીક અવર્સદરમિયાન વાહન દીઠ ૧૦ સેક્ધડથી વધુ સમય રાહ ના જોવી પડે એ માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.

એનએચએઆઇએ જણાવ્યું હતું કે આ માર્ગદર્શિકાને કારણે વાહનોનો પ્રવાહ સરળ અને સુલભ બનશે.

ફાસ્ટૅગ સિસ્ટમના સંપૂર્ણ અમલીકરણ બાદ દેશના ટૉલપ્લાઝા પર વાહનોની લાંબી લાઇન હવે ભૂતકાળનો વિષય બની ગઇ છે, એની નોંધ કરતા એનએચએઆઇએ જણાવ્યું હતું કે જો કોઇ પણ કારણસર ટૉલબુથથી ૧૦૦ મીટરથી વધુ લાંબી વાહનોની લાઇન હોય તો જ્યાં સુધી લાઇન ૧૦૦ મીટરથી ઓછી ના થાય ત્યાં સુધી વાહનોને ટૉલ ભર્યા વિના જવા દેવામાં આવશે.

આ માટે ટૉલબુથ પર ૧૦૦ મીટરના અંતરે પીળી લાઇન દોરવામાં આવશે, જે જોઇને ટૉલપ્લાઝા ઑપરેટરોને તેમની જવાબદારીનું ભાન થશે.

May 27, 2021
yaas.jpg
2min368

૧૩૦-૧૪૫ની ઝડપે ફૂંકાતા પવન સાથે યાસ વાવાઝોડાએ બંગાળ, ઓડિશા સહિત પૂર્વભારતનાં કિનારાઓ પર બુધવારે ત્રાટક્યા બાદ વીસ લાખથી વધુ લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાવાયું હતું અને બંને રાજ્યમાં મળીને ચાર જણે પોતાના જીવ ગુમાવ્યા હતા.

સવારે અંદાજે નવ વાગ્યે વાવાઝોડું ઓડિશાના ધામરા બંદર નજીક જમીન પર ત્રાટક્યા બાદ નીચાણવાળા વિસ્તારોમાં અનેક કાચા ઘરો પાણીના જોરદાર વહેણ સાથે તણાયા હતા.

ઓડિશામાં ૫.૮ લાખ અને પં. બંગાળમાં પંદર લાખ મળીને કુલ વીસ લાખથી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

વાવાઝોડું પોતાની સાથે બંને રાજ્યોમાં ૧૩૦-૧૪૫ની ઝડપે સૂસવાટા મારતો પવન અને અતિભારે વરસાદ લાવ્યો હતો.

બંગાળની સરકારે વાવઝોડાને લીધે એક કરોડ લોકોને અસર થઇ હોવાનો દાવો કર્યો હતો.

બાલેશ્ર્વર જિલ્લાના બહાનાગા અને રેમુના બ્લૉક્સ તથા ભદ્રક જિલ્લાના ધામરા અને બાસુદેવપુરના અનેક ગામોમાં સમુદ્રના પાણી પ્રવેશ્યા હોવાની અને પ્રશાસન સ્થાનિકોની મદદથી સમુદ્રનું પાણી બહાર કાઢવાની મથામણ કરી રહ્યું હોવાની માહિતી ઓડિશાના સત્તાવાર સૂત્રોએ જણાવી હતી.

આર્મી, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ), સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એસડીઆરએફ), રાજ્યની પોલીસ તથા સિવિલ ડિફેન્સના સ્વયંસેવકો લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે રાતદિવસ કામ કરી રહ્યા છે. મયુરભંજ જિલ્લામાં પડેલા ભારે વરસાદને લીધે બુધાબાલંગ નદીમાં પૂર આવવાનો ભય ઊભો થયો છે. બપોર સુધીમાં નદીમાં ૨૧ મીટર પાણી વહેતું હતું અને ખતરાની નિશાની ૨૭ મીટરની છે. પૂનમની ભરતી અને વાવાઝોડાને લીધે આવેલા અતિથી અતિ ભારે વરસાદને લીધે બંને રાજ્યની અનેક નદીઓ બંને કાંઠે વહી રહી છે અને એમાં પૂર આવવાની શક્યતા ઊભી થઇ છે.

કાંઠાના કેટલાક વિસ્તારોમાં નારિયેળના ઝાડ જેટલાં ઊંચા સમુદ્રના મોજાં આવતા હોવાની માહિતી સૂત્રોએ જણાવી હતી.

બિનસત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર ઝાડ પડવાથી ઓડિશામાં બે જણનું અને ઘર પડવાથી એક મહિલાનું મોત થયું હતું. એક વ્યક્તિનું બંગાળમાં અકસ્માતે મોત થયું હતું.

અનેક જિલ્લામાં વીજળીની લાઇનો શરૂ કરવા માટે ભગિરથ પ્રયત્ન ચાલી રહ્યા છે.

વાવાઝોડું બુધવારે મધ્યરાત્રી સુધીમાં ઝારખંડ પહોંચવાનો અંદાજ હવામાન ખાતાએ જાહેર કર્યો હતો. ઝારખંડમાં પણ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાનું કામ યુદ્ધસ્તરે ચાલી રહ્યું છે.

બંગાળની સરકારે રાજ્યમાં ત્રણ લાખ ઘરોને નુકસાન થયું હોવાનો અને અસરગ્રસ્ત વિસ્તારોમાં રૂ. ૧૦ કરોડની સાધનસામગ્રી પહોંચાડી હોવાનો દાવો કર્યો હતો.

આવતા ૨૪ કલાકમાં બંને રાજ્યના અનેક જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી હવામાન ખાતાએ કરી છે.

બંગાળમાં યાસ વાવાઝોડાનો કેર: કિનારાના વિસ્તારો જળબંબાકાર

કોલકાતા: પશ્ર્ચિમ બંગાળમાં યાસ વાવાઝોડાને કારણે કિનારાના અનેક વિસ્તારોમાં છાતીસમાણા પાણી ભરાયા હતા. પૂર્વ મિદનાપુરના દિઘા સહિતના અનેક વિસ્તારો અને દક્ષિણ ૨૪ પરગણામાં જોરદાર પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો.

વંટોળમાં સપડાયેલા લોકોને બચાવવા માટે રાજ્યના બધા જ સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષાદળના જવાનો તહેનાત કરવામાં આવ્યા છે.

કોવિડને કારણે લાદવામાં આવેલા લૉકડાઉનને કારણે બજારો અને રસ્તાઓ ખાલી હોવાથી સ્થિતિ કાબૂમાં છે. અનેક ઠેકાણે ઝાડો ઉખડી ગયા છે અને લગભગ સમુદ્ર કિનારા નજીકના વિસ્તારોમાં પાણી ભરાયા છે. લોકો પોતાના ઢોર સાથે સુરક્ષિત સ્થળે જવા માટે મથામણ કરી રહેલા દેખાયા હતા. અનેક લોકોના ઘરોમાં પાણી પ્રવેશ્યા હતા.

શંકરપુરમાં કિનારા નજીકની એક શાળા સમુદ્રના વિશાળ મોજાને કારણે તણાઇ ગઇ હોવાની વાત જાણવા મળી

હતી.

May 26, 2021
skyscrapers.jpg
1min378

 ગુજરાતમાં ઊંચા આઈકોનિક બિલ્ડિંગ સ્ટ્રક્ચરના નિર્માણનો માર્ગ વધુ સરળ થયો છે કારણકે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આઈકોનિક બિલ્ડિંગ સ્ટ્રક્ચર નિર્માણ અંગેના જાહેરનામાને ફાઈનલ મંજૂરી આપી છે. મુખ્યમંત્રીએ અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ગાંધીનગર એમ 5 મહાનગરની આગવી ઓળખ ઊભી થઇ શકે તેવી સ્કાય રાઈઝ્ડ આઈકોનિક ઈમારતોના બાંધકામ માટેના સીજીડીઆર-2017ના રેગ્યુલેશનમાં ફેરફાર કરતા પ્રાથમિક જાહેરનામા અન્વયે આવેલા વાંધા સૂચનોને ધ્યાને લીધા બાદ આ જાહેરનામાને આખરી મંજૂરી આપી છે.

મુખ્યમંત્રીએ તારીખ 18 ઓગસ્ટ, 2020ના દિવસે રાજ્યના 5 મહાનગરમાં હવે સિંગાપોર-દુબઈની જેમ સ્કાય સ્ક્રેપર્સ, ગગનચુંબી ઈમારતો-આઈકોનિક સ્ટ્રક્ચર્સના બાંધકામને પરવાનગી આપવા માટેની જાહેરાત કરવા સાથે પ્રાથમિક જાહેરનામું-પ્રાઈમરી નોટિફિકેશન મંજૂર કર્યું હતું અને આ સંદર્ભમાં વિભાગ દ્વારા વાંધા-સૂચનો મગાવવામાં આવેલા હતા. મુખ્યમંત્રીએ આ પ્રાથમિક જાહેરનામા સંદર્ભે આવેલા વાંધા સૂચનો ધ્યાને લીધા બાદ હવે ગગનચુંબી ઈમારતો હાઈરાઈઝ્ડ બિલ્ડિંગ સ્ટ્રક્ચરના નિર્માણ અંગેના જાહેરનામાને ફાઈનલ મંજૂરી આપી છે. આ મંજૂરી મળતા રાજ્યના પાંચ મહાનગરમાં આભને આંબતા હાઈરાઈઝ્ડ બિલ્ડિંગ્સ સ્ટ્રક્ચરના નિર્માણનો નવો યુગ શરૂ થશે.

ઊંચી બિલ્ડિંગ –ઊંચી ઇમારતો માટેના રેગ્યુલેશન્સનું આખરી જાહેરનામું પ્રસિદ્ધ થવાની સાથે જ અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ગાંધીનગર કોર્પોરેશન તેમજ સત્તા મંડળો દ્વારા ગગનચુંબી ઈમારતોને મંજૂરી આપી શકાશે. એટલું જ નહીં દેશ અને દુનિયાના અન્ય શહેરો સાથે ગુજરાતના શહેરો પણ પોતાની આગવી ઓળખ ધરાવતા હાઈરાઈઝ્ડ આઇકોનિક સ્ટ્રક્ચર બાંધી શકશે. મુખ્યમંત્રીએ ઊંચા-હાઈરાઈઝ્ડ ઈમારતોના નિર્માણ અંગેના આખરી જાહેરનામાને મંજૂરી આપીને પ્રજાહિત નિર્ણયોની કડીમાં એક નવી સિદ્ધિ ઉમેરી છે.

એટલું જ નહીં વિજય રૂપાણીએ આયોજનબદ્ધ શહેરી વિકાસને આગળ ધપાવતા વધુ 3 ફાઈનલ ટી.પી. સ્કીમ અને 2 ડ્રાફ્ટ ટી.પી. સ્કીમ પર મંજૂરીની મહોર લગાવી છે. મુખ્યમંત્રી દ્વારા મંજૂર કરવામાં આવેલી બે ડ્રાફ્ટ ટી. પી. સ્કીમમાં ભાવનગર શહેરની ટી.પી. સ્કીમ નં. 30 (ચિત્રા) તથા શામળાજી મંદિર પરિસર તથા આસપાસના વિકાસ માટે જરૂરી ફેરફારો સાથેની ટી. પી. સ્કીમને મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત અમદાવાદની ફાઈનલ ટી.પી.સ્કીમ નં 51 (પૂર્વ ખોખરા-મહેમદાબાદ), મેમનગર નં-1 (સેકન્ડ વેરીડ) તથા ગાંધીનગરની ફાઈનલ ટી. પી. સ્કીમ નં. 9/બી (વાસણા-હડમતિયા-સરગાસણ-વાવોલ)નો સમાવેશ થાય છે.

May 26, 2021
subodh-k-jaiswal.jpg
1min376

સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI)ના નવા વડા અંગે મંગળવારે મોડી રાત્રે નિર્ણય લેવાય છે. આપીએસ અધિકારી સુબોધ કુમાર જયસ્વાલને નવા સીબીઆઈ ડાયરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમનો કાર્યકાળ બે વર્ષનો રહેશે. કેન્દ્ર સરકારે મંગળવારે જયસ્વાલને સીબીઆઈના નવા વડા તરીકે નિયુક્ત કરાયા હોવાની જાહેરાત કરી હતી. જયસ્વાલ 1985 બેચના ઈન્ડિયન પોલીસ સર્વિસ (આઈપીએસ) અધિકારી છે અને તેઓ અગાઉ મહારાષ્ટ્રમાં ડારેક્ટર જનરલ પદે પણ રહ્યા હતા. સીબીઆઈ ડાયરેક્ટર બન્યા તે અગાઉ તેઓ કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (સીઆઈએસએફ)ના ડાયરેક્ટર જનરલ હતા.

કેબિનેટ નિયુક્તિ સમિતિએ કરેલા ઓર્ડર મુજબ જયસ્વાલ સીબીઆઈની કમાન સંભાળશે. અગાઉ ઋષિ કુમાર શુક્લાનો કાર્યકાળ ફેબ્રુઆના પ્રથમ સપ્તાહમાં પૂર્ણ થયા બાદ આ પદ ખાલી પડ્યું હતું. શુક્લાની નિવૃતિ બાદ એડિશનલ ડાયરેક્ટર પ્રવીણ સિન્હા વચગાળાના પ્રમુખ તરીકે સીબીઆઈના કેસો પર ધ્યાન આપી રહ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સોમવારે સીબીઆઈના નવા ડાયરેક્ટરની નિમણૂક માટે ઉચ્ચ સ્તરીય કમિટીએ સીઆઈએસએફના ડાયરેક્ટર જનરલ સુબોધ કુમાર જયસ્વાલ, એસએસબીના ડાયરેક્ટર જનરલ રાજેશ ચંદ્રા તેમજ કેન્દ્રીય ગૃહ મંત્રાલયમાં વિશેષ સચિવ વી એસ કે કૌમુદીના નામની યાદી તૈયાર કરી હતી. આ બેઠકમાં વડાપ્રધાન ઉપરાંત લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી અને ભારતના ચીફ જસ્ટિસ એન વી રમન્ના પણ હાજર હતા. આ બેઠક વડાપ્રધાન નિવાસે યોજાઈ હતી.

May 25, 2021
maharashtra.jpg
1min373

દર્દીઓ બહાર ફર્યે રાખે છે અને બીજા લોકોને સંક્રમિત કરે છે, કોરોના આવતો નથી

કોરોનાના એસિમ્ટમેટીક (લક્ષણો નહીં ધરાવતા) દર્દીઓ કોરોના ટેસ્ટમાં પોઝીટીવ આવ્યા પછી પણ હોમ આઇસોલેટ થવાને બદલે ફરી રહ્યા છે, લોકોને મળી રહ્યા છે, અને તેના કારણે તેમના સંપર્કમાં આવતા લોકો પણ કોરોનાનો ભોગ બની રહ્યા છે. સમગ્ર ભારતમાં આ પ્રકારે કોરોનાના લક્ષણો નહીં ધરાવતા દર્દીઓ ભારે ઉપદ્રવી બન્યા છે. મહારાષ્ટ્ર રાજ્યએ આ સમસ્યાના નિરાકરણ સ્વરૂપે આજરોજ તા.25મી મે 2021ના રોજ મહારાષ્ટ્રમાં કોરોના દર્દીઓના હોમ આઇસોલેશન પર પ્રતિબંધ મૂકી દીધો છે. હવે મહારાષ્ટ્રમાં કોઇપણ વ્યક્તિને કોરોના પોઝીટીવ નિદાન થાય એટલે તેમણે ઇન્સ્ટીટ્યુશનલ કોરન્ટાઇન સેન્ટરમાં ફરજિયાત પણે દાખલ થવું જ પડશે.

મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ જણાવ્યું કે, રાજ્યના ઘણા જિલ્લામાં કોરોનોના કેસમાં ઘટાડો નથી આવી રહ્યો. જાણવા મળ્યું છે કે, હોમ આઈસોલેશનમાં રહેવા દરમિયાન કોરોના પોઝીટીવ લોકો ઘરમાં રહેવાને બદલે બહાર ફરતા હોય છે. આવા દર્દીઓથી બીજા લોકો પણ કોરોના સંક્રમિત થાય છે. આ ઘટનાઓને જોતા મહારાષ્ટ્ર રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે. જેથી આ જગ્યાઓ પર હોમ આઈસોલેશનને સંપૂર્ણ રીતે બંધ કરી કરી દેવાશે. હવે અહીંના કોરોના દર્દીઓને કોવિડ સેન્ટરમં જવું પડશે. હવે, રાજ્યમાં બધા નવા કોરોના દર્દીઓને હોમ આઈસોલેશનને બદલે કોવિડ સેન્ટરમાં રહેવું પડશે. ટોપેએ જણાવ્યું કે, રાજ્યનો રિકવરી રેટ ઝડપથી વધી રહ્યો છે. આશા વર્કર્સને કોરોના ટેસ્ટિંગની ટ્રેનિંગ અપાશે.

મહારાષ્ટ્રમાં હજુ પણ ઘણા જિલ્લા એવા છે, જે કોરોના મહામારીના કારણે રેડ ઝોનમાં છે. અહીં હજુ પણ સતત કોરોનાનો ખતરો જળવાયેલો છે. આ જિલ્લામાં પોઝિટિવિટી રેટ 10 ટકાથી પણ વધુ છે. તેમાં કોલ્હાપુર, સાંગલી, સાતારા, યવતમાલ, અમરાવતી, રત્નાગિરી, સિંધુદુર્ગ, સોલાપુર, અકોલા, બુલઢાણા, વાશિમ, ગડચિરોલી, અહમદનગર અને ઉસ્માનાબાદ જેવા જિલ્લા સામેલ છે.

મહારાષ્ટ્રના આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ જણાવ્યું છે કે, રાજ્યના 18 જિલ્લામાં કોરોના મહામારીના દર્દીઓનો પોઝિટિવિટ રેટ હજુ પણ ઘણો વધારે છે.

May 25, 2021
rain-1280x720.jpg
1min473

ગુજરાતમાં તાજેતરમાં આવેલા તૌકતે વાવાઝોડાની વિદાય બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. હજી વાવાઝોડાની નુકસાનીનો સરવે ચાલી રહ્યો છે. ત્યાં હવામાન વિભાગે ફરીવાર કમોસમી વરસાદની આગાહી કરી છે. 27થી 28 ની વચ્ચે હળવાથી ભારે વરસાદ વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં વરસશે. જ્યારે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ,’ દીવમાં સુકુ વાતાવરણ રહેશે. તે ઉપરાંત નાઉકાસ્ટ તરફથી પણ અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગે જણાવ્યા અનુસાર હાલમાં દક્ષિણ-પશ્ચિમ દિશાનો પવન નીચલા સ્તર પર ફૂંકાઈ રહ્યો છે. તેના કારણે ભેજનું પ્રમાણ સવારે 73 ટકા અને સાંજે 49 ટકા જેટલું ઉંચું રહે છે. હવામાન ખાતાની આગાહી મુજબ અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે. મહત્તમ તાપમાન 38 ડિગ્રી રહેશે. મહત્તમ તાપમાનમાં આગામી 24 કલાક સુધી કોઈ ફેરફાર થશે નહીં. ત્યારબાદ 2થી 3 ડિગ્રી સુધી તાપમાન વધશે. ભેજયુક્ત પવનના કારણે સ્થિતિ એવી બની છે કે લોકો પરસેવે રેબઝેબ થઇ રહ્યા છે. આવી ગરમી, બફારો અને પરસેવો વળવાની ઘટના ચોમાસામાં” બનતી હોય છે. કેમકે ત્યારે ગરમી ખાસ્સી ઘટી ગઈ હોય છે. હજુ તો વૈશાખ માસ ચાલી રહ્યો છે અને આકરાં તાપ પડવા જોઈએ તેના બદલે ગરમી ઘટી ગઈ છે.

May 24, 2021
cyclone.jpg
1min357
Cyclonic Storm YAAS Latest Update: बंगाल की खाड़ी में उठा चक्रवाती तूफान  'यास' ला सकता है बड़ी तबाही, हाई अलर्ट जारी - Cyclonic storm yaas latest update  cyclone may hit today high

બંગાળની ખાડીમાં સર્જાયેલું ચક્રવાતી વાવાઝોડું ‘યાસ’ 1ર કલાકમાં વિકરાળ બની તા.ર6મી મેના રોજ ઓડિશા અને પશ્ચિમ બંગાળના કિનારા પર ત્રાટકશે અને વાવાઝોડું પસાર થતી વખતે 1પપ-16પ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે તેવી ચેતવણી હવામાન વિભાગે
આપી છે.

વાવાઝોડાના ખતરાને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે સવારે રાજ્યો, કેન્દ્રિય મંત્રાલયો-એજન્સીઓની તૈયારીઓની સમીક્ષા બેઠક યોજી રાહત-બચાવ, કિનારાના વિસ્તારોમાંથી ઝડપી સ્થળાંતર અંગે નિર્દેશ આપ્યા હતા. સંભવિત ખતરાને ધ્યાને લઈ નેવી અને એનડીઆરએફની કુલ 46 ટીમ તૈનાત કરાઈ છે. રાહત બચાવ કામગીરી માટે નેવીના જહાજ, હેલિકોપ્ટર મોકલવામાં આવ્યા છે. અન્ય પ જહાજ અને 13 ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.

હવામાન વિભાગે જણાવ્યુ કે બંગાળની ખાડીનું લો પ્રેશર ર4 મે સુધીમાં અતિ ભયંકર વાવાઝોડામાં બદલાઈ જશે.

1ર કલાકમાં તે ડિપ્રેશનમાં કેન્દ્રિત થઈ વિકરાળ વાવાઝોડુ બની ઉત્તર, ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધે તેવી સંભાવના છે. વાવાઝોડાને પગલે ઓડિશા, પ.બંગાળ, ઝારખંડ, સિક્કિમમાં તા.રપ અને ર6 મે દરમિયાન ઝડપી પવન સાથે ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી આપી છે.

May 23, 2021
taukatecyclone.jpg
1min578

મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં વાવાઝોડાને પરિણામે મકાનો, ઝુપડાઓ વગેરેને થયેલા નુકસાનની સહાય ચૂકવવાનો મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.

તૌકતે વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ભારે નુકસાન થયું છે. ખેડૂતોના પાક, વૃક્ષો અને કાચા-પાકા મકાનો પણ તૂટી ગયા છે.

આ બેઠકમાં બાદ મુખ્યમંત્રીએ કહ્યું કે વાવાઝોડાના પરિણામે નુકસાન-નાશ પામેલા કાચા-પાકા મકાનો, ઝૂંપડાઓ, અંશત: નુકસાન પામેલા કાચા મકાનો વગેરે અંગેનો સર્વે અસરગ્રસ્ત વિસ્તારોમાં જિલ્લા તંત્રો દ્વારા હાથ ધરવામાં આવી રહ્યો છે. વાવાઝોડાને પરિણામે રાજ્યમાં સંપૂર્ણ નાશ પામેલા મકાનો માટે 95100 રૂપિયાની સહાય રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે તેવું નક્કી કરવામાં આવ્યું.

શહેરી વિકાસ તેમજ પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં આવા સર્વે માટે અન્ય જિલ્લાઓમાંથી વધારાનો મેન પાવર બોલાવીને સર્વેની કામગીરી વેગવાન બનાવવા માં આવી છે. નુકસાન અંગે નુકસાન સહાયના ધોરણો મુખ્યમંત્રીએ જાહેર કર્યા છે

વાવાઝોડાને પરિણામે રાજ્યમાં સંપૂર્ણ નાશ પામેલા મકાનો માટે 95,100ની સહાય રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે.

  • – અંશત: નુકસાન પામેલા કાચા- પાકા મકાનો એટલે કે છાપરા- નળીયા ઉડી ગયા હોય, કોઇ દિવાલ ધારાશાયી થઈ ગઈ હોય તેવા મકાનો માટે 25,000ની સહાય અપાશે
  • – આ વાવાઝોડાને પરિણામે જે ઝૂંપડાઓ નાશ પામ્યા છે તે ઝૂંપડાઓ માટે 10,000ની સહાય
  • -તેમજ પશુ રાખવાની જગ્યા ગમાણ- વાડાને થયેલા નુકસાન માટે 5000 રૂપિયાની સહાય રાજ્ય સરકાર આપશે


May 20, 2021
Modi-Rupani_Cyclone.jpg
1min496

ગુજરાતમાં વાવઝોડાથી થયેલા વ્યાપક નુકસાનને પગલે ગુજરાતની મુલાકાતે આવી પહોંચેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધા બાદ અમદાવાદ ખાતે મુખ્ય પ્રધાન સાથે સમીક્ષા બેઠક યોજીને કેન્દ્ર સરકાર તરફથી તત્કાળ રાહત કામગીરી માટે રૂપિયા એક હજાર કરોડની સહાય આપવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત રાજ્યમાં કોવિડ-૧૯ અંગે પણ સારવાર અને અન્ય વ્યવસ્થાઓની જાણકારી પણ તેમણે મેળવી હતી. વડા પ્રધાને ગુજરાતના લોકોને સંપૂર્ણ સાથસહકારની ખાતરી પણ આપી હતી.

તેમણે કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર રાજ્યમાં કેટલી હદે નુકસાન થયું છે એનું મૂલ્યાંકન કરવા આંતર-મંત્રીમંડળીય ટીમને રાજ્યની મુલાકાત લેવા મોકલશે તેમ જ કેન્દ્ર સરકાર અસરગ્રસ્ત રાજ્યોમાં માળખાગત સુવિધાઓની પુન:સ્થાપના અને એનું પુન:નિર્માણ કરવા માટે તમામ મદદ કરશે. રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચક્રવાતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને રૂપિયા બે લાખ અને ઇજાગ્રસ્ત લોકોને રૂપિયા ૫૦,૦૦૦ની સહાય આપવાની પણ જાહેરાત તેમણે કરી હતી.

વડા પ્રધાન મોદીએ બુધવારે ચક્રવાત તૌકેતથી ઊભી થયેલી સ્થિતિની સમીક્ષા કરવા ગુજરાતની મુલાકાત લીધી હતી. ઉના (ગીર સોમનાથ), જાફરાબાદ (અમરેલી), મહુવા (ભાવનગર) અને દીવમાં ચક્રવાતથી અસર પામેલા વિસ્તારોનો હવાઈ સર્વે કર્યો હતો.

વડા પ્રધાને મુલાકાત દરમિયાન કોવિડ મહામારી સાથે સંબંધિત સ્થિતિની પણ સમીક્ષા કરી હતી. રાજ્ય સરકારના વહીવટીતંત્રએ મહામારી સામે લડવા માટે હાથ ધરવામાં આવેલા પગલાં વિશે જાણકારી આપી હતી અને વડા પ્રધાને મહામારીનું નિવારણ કરવા માટે પગલાં લેવામાં આવે એ સુનિશ્ર્ચિત કરવા પર ભાર મૂક્યો હતો.

નરેન્દ્ર મોદીએ ભારતના વિવિધ વિસ્તારોમાં ચક્રવાતને કારણે અસર પામેલા તમામ લોકોની સાથે હોવાની લાગણી વ્યક્ત કરી હતી તથા આ આપત્તિ દરમિયાન પોતાના સગાંસંબંધીઓ ગુમાવનાર લોકો પ્રત્યે દુ:ખ અને શોકની લાગણી વ્યક્ત કરી હતી.

તેમણે કેરળ, કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન રાજ્યો તથા દીવ અને દમણ તથા દાદરા નગર હવેલી કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચક્રવાતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને રૂપિયા બે લાખ અને ઇજાગ્રસ્ત લોકોને રૂ. ૫૦,૦૦૦ની સહાય આપવાની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર ચક્રવાત પછી ઊભી થયેલી સ્થિતિમાં અસરગ્રસ્ત રાજ્યોની સરકારો સાથે સંકલન સ્થાપિત કરીને કામ કરી રહી છે. આ રાજ્યો માટે તાત્કાલિક નાણાકીય સહાય આપવામાં આવશે, જે માટે સંબંધિત રાજ્ય સરકારોએ કેન્દ્ર સરકાર સમક્ષ તેમની આકારણી રજૂ કરવી પડશે, જેના આધારે નાણાકીય સહાયનો નિર્ણય લેવામાં આવશે.

તેમણે નુકસાન થયેલા ઘરો અને અસરગ્રસ્ત વિસ્તારોમાં મિલકતોનું સમારકામ કરવાની પણ અપીલ કરી હતી.