રાજ્ય સરકારે એલઆરડી અને પીએસઆઈની ભરતી માટે શારીરિક કસોટીમાંથી મેરિટ પદ્ધતિ હટાવવાનો નિર્ણય કર્યો છે. હવે શારીરિક કસોટી પાસ કરનાર તમામ ઉમેદવારો લેખિત પરીક્ષા આપી શકશે.
રાજ્ય સરકારના આ નિર્ણય અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, પોલીસના સબ ઈન્સ્પેક્ટર અને લોકરક્ષક સંવર્ગોની સીધી ભરતીમાં રાજ્યમાં વધુમાં વધુ શિક્ષિત યુવાનોને લેખિત પરીક્ષામાં ભાગ લેવાની તક મળી રહે તે હેતુથી પરીક્ષામાં જરૂરી સુધારાઓ કરવા અંગે રાજ્ય સરકાર દ્વાર મહત્વનો નિર્ણય કરવામાં આવેલ છે.
તમામ ઉમેદવારોની માગણી અને લાગણીને ધ્યાને લઈને રાજ્ય સરકાર દ્વારા ઉમેદવારોના વ્યાપક હિતમાં હકારાત્મક વિચારણા કરીને સબ ઈન્સ્પેક્ટર સંવર્ગોમાં 15 ગણા અને લોક રક્ષક સંવર્ગોમાં 8 ગણા મેરિટ મેરિટોરિયસ ઉમેદવારોને આગામી તબક્કાની લેખિત પરીક્ષામાં ભાગ લેવા માટેની પ્રવર્તમાન જોગવાઈઓને રદ કરીને શારીરિક કસોટીમાં પાસ થનાર તમામ ઉમેદવારોને લેખિત પરીક્ષામાં ભાગ લેવા સંદર્ભે પરીક્ષા નિયમોમાં જરૂરી સુધારો કરવામાં આવેલ છે.
એડિશનલ ડીજીપી હસમુખ પટેલે ટ્વીટ કરીને નવા નિયમો અંગે માહિતી આપી હતી. તેઓએ પોસ્ટ કરતાં લખ્યું હતું કે, લોકરક્ષક ભરતી નિયમોમાં ફેરફાર: શારીરિક કસોટી પાસ કરનાર એટલે કે 25 મિનિટમાં પાંચ કિલોમીટર દોડનાર પુરુષ તથા 9.5 મિનિટમાં 1600 મીટર દોડનાર મહિલા તથા ઉંચાઇ- વજન- છાતીના ધોરણમાં પાસ થનાર તમામ ઉમેદવારોને લેખિત પરીક્ષાની તક આપવામાં આવશે. લોકરક્ષક ભરતીમાં ઉમેદવારે દોડવામાં લીધેલા સમયને આધારે તેમને માર્ક્સ મળશે અને તે મેરીટમાં ધ્યાને લેવામાં આવશે.
રાજ્યમાં કોરોના વાયરસની મહામારીના કારણે પેન્ડિંગ રહેલી પોલીસ વિભાગની ભરતીની કાર્યવાહી ઝડ૫થી થાય અને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સારી બને તે હેતુથી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા રાજ્યના ગૃહ વિભાગ હસ્તક વિવિધ પોલીસ સંવર્ગની 27,847 જગ્યાઓ ભરવાનો મહત્વનો નિર્ણય કરાયો હતો.
આ ભરતી અંગે અગાઉ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, રાજ્યમાં બિન-હથિયારી પોલીસ સબ ઈન્સ્પેક્ટર, હથિયારી પોલીસ સબ ઈન્સ્પેક્ટર (પ્લાટૂન કમાન્ડર), ઈન્ટેલિજન્સ ઓફિસર, બિન-હથિયારી અસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર, લોકરક્ષક તથા મોટર ટ્રાન્સપોર્ટ અને વાયરલેસ જેવા ટેક્નિકલ સંવર્ગોના પોલીસ સબ ઈન્સ્પેક્ટર અને ટેક્નિકલ ઓપરેટર તથા હોમગાર્ડ્સ અને ગ્રામ રક્ષક દળ (માનદ)ની મળીને અંદાજીત 27,847 જગ્યાઓ માટે ભરતીનું આયોજન આગામી 100 દિવસમાં કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.