કર્ણાટક હિજાબ કેસમાં ચુકાદો આપનાર જજને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. ફરિયાદ મળ્યા બાદ પોલીસે કેસ નોંધ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે સોશિયલ મીડિયા પર એક ધમકીભર્યો વીડિયો સામે આવ્યો હતો, ત્યાર બાદ પોલીસે આ કાર્યવાહી કરી હતી. 15 માર્ચે હાઈકોર્ટે શૈક્ષણિક સંસ્થાઓમાં ગણવેશ અંગેના રાજ્ય સરકારના આદેશને યથાવત રાખ્યો હતો. હાલમાં અરજદારો આ મામલે સુપ્રીમ કોર્ટમાં ગયા છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર એડવોકેટ ઉમાપતિએ શનિવારે કર્ણાટક હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલને આ મામલે ફરિયાદ દાખલ કરી છે. ફરિયાદીનું કહેવું છે કે તેને વોટ્સએપ પર એક વીડિયો મળ્યો જેમાં એક વ્યક્તિ ચીફ જસ્ટિસ ઋતુરાજ અવસ્થીને ખુલ્લેઆમ ધમકી આપતો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન તે ઝારખંડના જજની કથિત હત્યાનો પણ ઉલ્લેખ કરી રહ્યો છે.
ફરિયાદીએ કહ્યું કે “સ્પીકરે કર્ણાટકના મુખ્ય ન્યાયાધીશને પણ આવી જ ધમકી આપી છે કે લોકો જાણે છે કે તે ક્યાં ફરવા જાય છે. તે વ્યક્તિએ પરિવારના સભ્યો સાથે જજની ઉડુપી મઠની મુલાકાતનો પણ ઉલ્લેખ કર્યો હતો અને કોર્ટના નિર્ણય વિશે વાત કરતી વખતે અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો.” ફરિયાદીએ એમ પણ કહ્યું કે “આ વીડિયો તમિલનાડુના મદુરાઈમાં શૂટ કરવામાં આવ્યો હોઈ શકે છે.”
અન્ય એક વકીલ સુધા કટવાએ પણ વાયરલ વીડિયો અંગે ફરિયાદ નોંધાવી છે. ચીફ જસ્ટિસ અવસ્થી, જસ્ટિસ કૃષ્ણા દીક્ષિત અને કાઝી એમ ઝૈબુન્નીસાની બનેલી હાઈકોર્ટની ત્રણ સભ્યોની બેંચે હિજાબ કેસમાં ચુકાદો સંભળાવ્યો હતો.
સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં માતા અને પુત્રી સાથે દુષ્કર્મ બાદ હત્યાના કેસમાં કોર્ટે દોષિત હર્ષ સહાયને Dt.7/3/22 ફાંસીની સજા ફટકારી છે જ્યારે સહ આરોપી હરિઓમને આજીવદ કેદની સજા સંભળાવવામાં આવી છે. સાથે જ મૃતકના પરિવારને 7.50 લાખ રૂપિયા ચૂકવવા પણ આદેશ કરવામાં આવ્યો છે.
સુરતના પાંડેસરામાં ચકચારીત માતા-બાળકી પર રેપ બાદ હત્યા મામલે 3 દિવસ પહેલા સુરત કોર્ટે આરોપી હર્ષસહાય રામરાજ ગુર્જરને દોષિત ઠેરવ્યો છે. આ સાથે મદદગારી કરનાર આરોપી હરિઓમ ગુર્જરને પણ દોષિત ઠેરવ્યો છે.
એપ્રિલ 2018માં માસૂમ બાળકી અને તેની માતાની હત્યા કરી ઝાડીઓમાં ફેંકી દીધી હતી. પાંડેસરા પોલીસ સ્ટેશનમાં 6 એપ્રિલ 2018ના રોજ ગુનો નોંધાયો હતો, જેમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની મદદ લેવાતા કેસનો ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી.
સરકાર પક્ષે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર પી.એન.પરમારે દલીલો કરી હતી. સમગ્ર કેસમાં જે તે સમયે પોલીસે આરોપી સામે પુરાવા ભેગા કર્યા હતા. શરૂઆતમાં બંને માતા-દીકરી છે એ જ ખબર ન હતી. કારણ કે બંનેની લાશ જુદી-જુદી જગ્યાએથી મળી આવી હતી. બાદમાં ડીએનએ કરતા બંને માતા અને દીકરી હોવાની પૃષ્ટિ થઈ હતી. તપાસમાં સામે આવ્યું કે, નરાધમે બાળકી પર બળાત્કાર પણ ગુજાર્યો હતો અને દીકરીની સામે માતાની હત્યા કર્યા બાદ બાળકીના ગુપ્તાંગમાં લાકડી નાંખી મોતને ઘાટ ઉતારી દેવાઈ હતી.
માતાની હત્યા લગભગ 4 દિવસમાં જ માતાના મૃતદેહ બાદ બાળકીનો મૃતદેહ પણ મળી આવ્યો હતો. બન્નેની ઓળખ માટે પોલીસે લગભગ 6500 પોસ્ટર દેશના તમામ રાજ્યોમાં લગાડી પરિવાર શોધવાનો પ્રયાસ કર્યો હતો. છતાંય કોઈ સફળતા મળી નહોતી. જોકે આખરે એક CCTV કેમેરાની ફૂટેજના આધારે કડી મળી હતી અને કારમાં સવાર આરોપીઓ પકડાઈ ગયા અને પૂછપરછમાં તેમને ગુનો કબૂલ કરી લીધો હતો. તપાસમાં એવો પણ ખુલાસો થયો હતો કે, માતા અને દીકરીને રાજસ્થાનના એક ગામમાંથી કામ અપાવવાના બહાને સુરતના કામરેજ ખાતે લવાયા હતા. જ્યાં એક ક્ન્સ્ટ્ર્ક્શન સાઈટ પર કામ અપાવ્યા બાદ આરોપીઓએ પહેલા માતા અને બાદમાં દીકરીની હત્યા કરી બંને લાશ અલગ-અલગ જગ્યાએ ફેંકી દીધી હતી.
2008માં અમદાવાદમાં થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં વિશેષ અદાલતે આજે તા.18મી ફેબ્રુઆરીને, શુક્રવારે સવારે 49 દોષિતોને સજા સંભળાવી છે. જેમાં 38ને મૃત્યુદંડની સજા જ્યારે 11ને આજીવન કેદની સજા આપવાનો હુકમ વિશેષ અદાલતે કર્યો છે. અમદાવાદ બોંબ બ્લાસ્ટ કેસના દોષિતોને સજા સંભળાવવાની હોવાથી સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને અમદાવાદ સ્થિત વિશેષ કોર્ટ અને તેની આસપાસ ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ શ્રેણીબદ્ધ બ્લાસ્ટ કેસમાં કોર્ટે 49 આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા અને સજા માટે 18 ફેબ્રુઆરીની તારીખ નક્કી કરી હતી.
ઉલ્લેખનીય છે કે, 2008માં અમદાવાદના વિસ્તારોમાં શ્રેણીબદ્ધ બ્લાસ્ટ થયા હતા. સ્પેશિયલ જજ એ.આર.પટેલની કોર્ટે આદેશ પસાર કરવાની તારીખ 18 ફેબ્રુઆરી નક્કી કરી હતી અને આજે શુક્રવારે આ અંગે પોતાનો ચુકાદો આપ્યો હતો.
આ લોકોને ન્યાય મળ્યો
બોમ્બ વિસ્ફોટો 26 જુલાઈ 2008ના રોજ અમદાવાદમાં થયા હતા. 70 મિનિટમાં 56 લોકોના મોત થયા હતા. આ બોમ્બ વિસ્ફોટોમાં 200થી વધુ લોકો ઘાયલ થયા હતા. ઘટનાના બાદ આ કેસ 13 વર્ષથી વધુ સમય સુધી કોર્ટમાં ચાલ્યો અને ગયા અઠવાડિયે વિશેષ અદાલતે 49 લોકોને દોષિત જાહેર કર્યા હતા અને અન્ય 28 લોકોને નિર્દોષ જાહેર કર્યા હતા.
કોર્ટે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં 77 આરોપીઓ સામે ટ્રાયલની કાર્યવાહી પૂરી કરી હતી. ટ્રાયલ હેઠળના 78 આરોપીઓમાંથી એક સરકારી સાક્ષી બન્યો હતો. પોલીસનો દાવો છે કે આરોપીઓ આતંકવાદી સંગઠન ઈન્ડિયન મુજાહિદ્દીન સાથે સંકળાયેલા હતા. ઈન્ડિયન મુજાહિદ્દીનના આતંકવાદીઓએ 2002ના ગોધરા રમખાણોનો બદલો લેવાનું કાવતરું ઘડ્યું હોવાનો આરોપ છે.
2008માં અમદાવાદના અલગ-અલગ વિસ્તારોમાં થયેલા સિરિયલ બ્લાસ્ટ કેસનો ચુકાદો આજે Dt.8/2/22 જાહેર થઈ ગયો છે. સ્પેશિયલ કોર્ટના જજ એ.આર. પટેલે આ કેસનો ચુકાદો આપ્યો હતો. કોર્ટે 49 આરોપીઓને દોષિત જાહેર કર્યા છે. જે આરોપીઓને દોષિત જાહેર કરાયા છે તેમને 09 ફેબ્રુઆરીના રોજ સજા સંભળાવવામાં આવી શકે છે.
આ લોકો અમદાવાદના ગુનેગાર
ઈમરાન શેખ,
ઈકબાલ શેખ,
સમશુદ્દીન શેખ,
ગ્યાસુદ્દીન અન્સારી,
મહોમંદ આરીફ,
મહમંદ ઉસ્માન,
યુનુસ મન્સુરી,
કમરુદ્દીન નાગોરી,
આમીલ શેખ,
સિબલી અબ્દુલ કરીમ,
સફદર હુસૈન નાગોરી,
હાબિદ હુસૈન મુલ્લા,
મહંમદ સાજિદ,
મુક્તિ અબુ બશર,
અબ્બાસ સમેજા,
જાવેદ શેખ,
અતિકુર રહેમાન,
મહેંદી હસન,
ઈમરાન શેખ,
ઉમર કબીરા,
સલીમ સિપાહી,
અફઝલ ઉસ્માની,
મહંમદ સાદિક,
મહંમદ આરીફ,
આસિફ, રફિયુદ્દીન,
મહંમત આરીફ,
કયામુદ્દીન કાપડિયા,
મહંમત સૈફ,
જિશાન અહેમદ,
જિયાઉલ રહેમાન,
મહંમદ શકીલ,
અનિક,
મહંમદ અકબર,
ફઝલ રહેમાન,
મહંમદ નૌશાદ,
અહમદ બાવા,
સફરુદ્દીન,
સૈફુર રહેમાન,
મહંમદ અન્સાર,
સાદુ અલી,
મહંમદ તનવીર પઠાણ,
મહંમદ શકીલ,
આમીન ઉર્ફે રાજા,
મહંમદ મૌમીન,
મહંમદ અબરાર,
મહંમદ રફી ઉર્ફે જાવીદ
77માંથી 28 જેટલા આરોપીઓને શંકાનો લાભ આપીને કોર્ટે નિર્દોષ છોડી દેવાનો હુકમ કર્યો છે. પોલીસે આ કેસમાં 77 આરોપીઓની ધરપકડ કરી કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા, જ્યારે આઠ આરોપી હજુય નાસતા ફરે છે. શહેરને હચમચાવી દેનારી આ ઘટનામાં 56 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો, જ્યારે 244 ઈજાગ્રસ્ત થયા હતા.
સિરિયલ બ્લાસ્ટમાં ટિફિન, સ્કૂટર તેમજ કારનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમાંય ઘાયલોને સિવિલ હોસ્પિટલમાં લઈ જવાઈ રહ્યા હતા ત્યારે ત્યાં પણ પ્રચંડ વિસ્ફોટ થતાં મોટી સંખ્યામાં જાનહાનિ થઈ હતી તેમજ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
આ કેસમાં કુલ 1163 લોકોને સાક્ષી તરીકે કોર્ટ સમક્ષ રજૂ કરાયા હતા. કાયદાકીય કાર્યવાહીમાં વધુ વિલંબ ના થાય તે માટે 1237 સાક્ષીઓને પડતા મૂકવામાં આવ્યા હતા. આ કેસમાં મોટાભાગના સાક્ષીઓએ ફીટ જુબાની આપી હતી. અમદાવાદમાં સિરિયલ બ્લાસ્ટ થયા બાદ સુરતમાં પણ અલગ-અલગ વિસ્તારોમાંથી બોંબ મળી આવ્યા હતા. અમદાવાદમાં 20 અલગ-અલગ સ્થળોએ 21 બ્લાસ્ટ થયા હતા, જેમાં અમદાવાદની સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરનો પણ સમાવેશ થાય છે. આ મામલે અમદાવાદમાં 20 અને સુરતમાં 15 ફરિયાદ નોંધાઈ હતી.
ચીનના રૂ. ૧૦૦૦ કરોડના હવાલા કૌભાંડમાં સંડોવાયેલી કંપનીઃ સી.એ. ફર્મ સામે પણ ફરિયાદઃ સાવરિયા ઇન્ટરનેશનલના ડિરેક્ટર મુકુન્દ કુર્ને, સુમિત રમેશ બોદ્રા,નિલમ સુમિત બોદ્રા તથા જે.પી. હિરપરા એન્ડ કંપનીની સંડોવણી
રૂ. ૧૦૦૦ કરોડની છેતરપિંડી કરીને પરદેશમાં નાણાં મોકલી આપનાર ચાર્લી પેન્ગ ઉર્ફી લૂ સેન્ક સાથે સંકળાયેલા સાવરિયા ઇન્ટરનેશનલ પ્રાઈવેટ લિમિટેડ સામે રજિસ્ટ્રાર ઓફ કંપનીઝે નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. રૂ. ૧૦૦૦ કરોડના મની લૉન્ડરિંગના કૌભાંડમાં આ કંપનીની પણ સંડોવણી હોવાનો નિર્દેશ મળતા અને રજિસ્ટ્રાર ઑફ કંપનીઝમાં વાર્ષિક હિસાબો રજૂ ન કરવા બદલ કંપની સામે કેસ ફાઈલ કરવામાં આવ્યો છે. ચાર્લી પેન્ગ સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કેસ ફાઈલ કરેલો છે.
સાવરિયા ઇન્ટરનેશનલ પ્રાઈવેટ લિમિટેડના મુકન્દ દત્તાત્રેય કુર્ને, સુમિત કુમાર રમેશભાઈ બોદ્રા, નિલમ સુમિત બોદ્રા અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જે.પી. હિરપરા એન્ડ કંપની સામે ફરિયાદ કરવામાં આવી છે. સુરતમાં અભિષેક શોપિંગ સેન્ટરમાં આવેલી જે.પી. હિરપરા એન્ડ કંપની અંગે ઇન્સ્ટિટયૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને પણ ફરિયાદ કરવામાં આવી છે. આ કંપની સાથે સંકળાયેલા તમામ પ્રોફેશનલ્સ સામે ફરિયાદ ફાઈલ કરવામાં આવી છે. જુલાઈ ૨૦૧૨માં કંપનીની સ્થાપના કર્યા પછી આજ સુધીમાં કંપનીએ એક પણ વાર રજિસ્ટ્રાર ઓફ કંપનીઝમાં વાર્ષિક હિસાબો રજૂ ન કર્યા હોવાથી પણ તેની સામે ફરિયાદ કરવામાં આવી છે.
બિટકોઈન અને અન્ય ક્રિપ્ટો કરન્સી સામે માઈનિંગ મશીનમાં રોકાણ કરવાની લાલચ આપીને લોકોને લલચાવીને એસબીડબ્લ્યુ સાઉથ એશિયન પ્રા.લિ. નામની કંપની છેતરપિંડી કરતી હોવાની એક ફરિયાદ રજિસ્ટ્રાર ઓફ કંપનીઝે નારણપુરા પોલીસ સ્ટેશનમાં કરી છે. અમેરિકાની બિટકોઈન માઈનિંગ કંપની ૨૧ આઈએનસી સાથે તે જોડાયેલી હોવાનો દાવો કરવામાં આવતો હતો. આ માઈનિંગ મશીનમાં રોકાણ કરવાને નામે લોકોને લલચાવવાનું કામ કંપની કરતી હતી. તેમના નાણાં માઈનિંગ મશીનમાં રોકવામાં આવતા હતા, તેના માધ્યમથી ક્રિપ્ટો કરન્સીમાં નાણાંનું રોકાણ કરવામાં આવતું હોવાનું જણાવવામાં આવતું હતું.
કંપની વિરુદ્ધ આર.ઓ.સી.-રજિસ્ટ્રાર ઓફ કંપની દ્વારા કરવામાં આવેલી ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે ક્રિપ્ટો કરન્સીના વેચાણ દ્વારા તેઓ મોટો આર્થિક લાભ મેળવી રહ્યા છે. તદુપરાંત શિંગુ ટેક્નોલોજી અને એસ.બી.ડબ્લ્યુ. સાઉથ એશિયન પ્રાઈવેટ લિમટેડન નામની કંપનીની સ્થાપના રજની કોહલી નામના કંપની સેક્રેટરી દ્વારા કરવામાં આવી હતી. આ કંપની ભારતમાં ડમી ડિરેક્ટર ઊભા કરી આપવાની કામગીરી પણ કરતી હતી. તેમ જ વિઝા ફેસિલિટેટર તથા ચાઈનીઝ ડિરેક્ટર્સ પૂરા પાડવાની કામગીરી પણ કરતી હતી. લોકો પાસેથી ભંડોળ મેળવીને માત્ર પેપર પર ઊભી કરવામાં આવેલી શૅલ કંપનીઓ મારફતે તે નાણાં વિદેશમાં ડાયવર્ટ કરી દેવાતા હતા.નાણાં વિદેશમા ંડાયવર્ટ થઈ ગયા પછી બારતીય વ્યક્તિઓને તે કંપનીના ડિરેક્ટરના હોદ્દા પર ગોઠવી દેવામાં આવતા હતા. આર્થિક રીતે નબળી અને ગરજાઉ વ્યક્તિને ડિરેક્ટર બનાવી દેવામાં આવતા હતા. કંપની રૃા. ૨ કરોડ કે તેનાથી વધુના રોકાણની વાત કરતી હોવા છતાંય તેનો કોઈ જ બિઝનેસ નોહોતો. ખોટા અને મેન્યુપ્યુલેટેડ એકાઉન્ટ બનાવવાની કામગીરી પણ આ કંપની કરતી હતી.
તા.6 જાન્યુઆરી 2022ની વહેલી સવારે સુરત નજીક સુરતના સચિન GIDC વિસ્તારમાં નિન્જા મિલની સામે, વરસાદી પાણીના નિકાલ માટેની ગટરમાં ગેરકાનૂની રીતે ઝેરી કેમિકલ ઠાલવતી વખતે થયેલા ગેસ લિકેજને કારણે થયેલી ગૂંગળામણને કારણે 6 લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે 23 જેટલા લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
6-6 લોકોનો ભોગ લેનારી ઘટનામાં સફાળા જાગેલા તંત્રોએ તાબડતોડ એ વાત શોધી કાઢી હતી કે ઝેરી કેમિકલ ભરીને આવેલું ટેન્કર ક્યાંથી આવ્યું હતું. મળતી માહિતી મુજબ ઝેરી કેમિકલ અંકલેશ્વર, વડોદરા, દહેજ સહિતથી ઠાલવવા માટે અહીં આવે છે, જેમાં આજે આવેલું ટેન્કર દહેજથી આવ્યું હોવાનું સામે આવ્યું છે.
IT ટીમને તિજોરીઓમાં ખચોખચ ભરેલા નોટોના બંડલો મળી આવ્યા, રોકડ ગણવા માટે 4 મશીનો પણ ઓછા પડ્યા
કાનપુરનાં પરફ્યુમના વેપારી અને સપા નેતા પીયૂષ જૈનના ઘરેથી ઈન્કમટેક્સને રૂ. 150 કરોડથી વધુની રકમ મળી છે. ગુરુવારે બપોરે આવકવેરા વિભાગની ટીમે જૈનના ઘરે દરોડા પાડ્યા હતા. આનંદપુરી વિસ્તારમાં પીયૂષ જૈનના ઘરેથી નોટોના મોટ-મોટા બંડલ મળી આવ્યા છે. જેની કેટલીક તસવીરો પણ સામે આવી છે. ખાસ વાત એ છે કે પીયૂષ જૈન અખિલેશ યાદવની નજીકના છે. અને તેણે હાલમાં જ સમાજવાદી પરફ્યુમ પણ લોન્ચ કર્યું હતું.
દરોડાની જે તસવીરો સામે આવી છે તેમાં તિજોરીમાં નોટોનાં બંડલો પેક કરીને રાખવામાં આવી હોવાનું જોવા મળ્યું છે. 500 રૂપિયાની નોટોના બંડલ બનાવીને રોકડ રાખવામાં આવી હતી. આ બંડલોને એ રીતે પેક કરવામાં આવ્યા હતા જેથી તેને આરામથી ગમે ત્યાં કુરિયર કરી શકાય. સૂત્રોએ જણાવ્યું હતું કે આઈટીની ટીમ ચાર નોટ કાઉન્ટીંગ મશીન સાથે આવી પહોંચી હતી. બાદમાં નોટો ગણવા માટે બીજા પણ મશીનો મંગાવવામાં આવ્યા હતા.
IT નાં સૂત્રોએ જણાવ્યું હતું કે આ રકમ એટલી વધારે છે કે મોડી રાત સુધી તેઓ 4 મશીનોમાંથી 40 કરોડ રૂપિયા ગણી શક્યા છે. બાકીની નોટોની ગણતરી આજે થશે. ગણતરી કર્યા પછી, રકમ 150 કરોડથી વધુ નીકળવાની આશંકા છે. SBIના અધિકારીઓને પણ નોટો ગણવા માટે બોલાવવામાં આવ્યા છે. તેમની મદદથી રોકડની ગણતરી કરવામાં આવી રહી છે.
બિઝનેસમેન પીયૂષ જૈન સપા પ્રમુખ અખિલેશ યાદવના નજીકના છે. થોડા દિવસો પહેલા પીયૂષ જૈને સમાજવાદી પાર્ટી નામનું પરફ્યુમ લોન્ચ કર્યું હતું. આ માટે તે ચર્ચાઓમાં પણ રહ્યા છે. અધિકારીઓનામ જણાવ્યા મુજબ પીયૂષ જૈનની લગભગ 40 કંપનીઓ છે. આમાં ઘણી શેલ કંપનીઓ પણ સામેલ છે. આ કંપનીઓ દ્વારા કરચોરી કરવામાં આવી છે. પરફ્યુમ કન્નૌજમાં બને છે અને મુંબઈમાં તેમનો શોરૂમ છે. જ્યાંથી દેશ-વિદેશમાં પરફ્યુમ સપ્લાય કરવામાં આવે છે.
તક્ષશિલા અગ્નિકાંડમાં સંડોવાયેલાં બિલ્ડર હરસુખ વેકરિયાને હાઇકોર્ટે રૂ.35 લાખનું વળતર વાલીઓને આપવાની શરતે અઢી વર્ષે જામીન પર મુક્ત કર્યો છે. આ સાથે જ સમગ્ર કેસમાં સંડોવાયેલાં કુલ 14 આરોપીઓ પૈકી 12ને કોર્ટે જામીન આપી દીધા છે. હવે જેલમાં ટ્યુશન ક્લાસિસ સંચાલક ભાર્ગવ બુટાણી અને બિલ્ડર દિનેશ વેકરિયા છે.
હાઇકોર્ટે આરોપી હરસુખ વેકરિયાને રૂ.35 લાખ 4 મહિનાના ગાળામાં જમા કરાવવાનો આદેશ કર્યો છે. આરોપી 26 મે 2019ના રોજથી જેલમાં છે. નોંધનીય છે કે, સરથાણા ખાતે તક્ષશિલા આર્કેડમાં આગ લાગતા 22 વિદ્યાર્થીઓના કરૂણ મોત નીપજ્યા હતા. પોલીસે ગુનો નોંધી કુલ 14 આરોપીઓની ધરપકડ કરી હતી.
તક્ષશિલા કેસની ટ્રાયલ ચાલી રહી છે. આજે બે પંચોની ઉલટ-સરતપાસ લેવામાં આવી હતી. ત્યારબાદ મૂળ ફરિયાદી તરફે એડવોકેટ પિયુષ માંગુકિયાએ બંને પંચની ફેર તપાસની માંગ કરી હતી. જેની પર હવે 1લી જાન્યુઆરીના રોજ હુકમ આવશે.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી હેડ કલાર્કની પરીક્ષાના પેપર લીક મુદ્દે આખરે સરકારે પેપર ફૂટ્યાનું સ્વીકાર્યું છે અને આ મામલે પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી છે. આ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રેસ કોન્ફરન્સ કરીને વધુ ખુલાસાઓ કર્યા છે. તેમણે મીડિયાને જણાવ્યું કે, ‘પહેલા ક્યારેય પગલાં નહીં લેવાયા તેવા પગલાં આ કેસમાં લેવામાં આવશે. ગુનેગારને એવી સજા કરવામાં આવશે કે ભવિષ્યમાં ફરી કોઈ આવું કરવાની હિંમત નહીં કરે.’
હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું કે, પેપર લીક કેસમાં અત્યાર સુધી 6 લોકોની ધરપકડ કરી છે. આ મામલે પ્રાતિંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં પોલીસે 406, 409, 420, 120 મુજબ ગુનો દાખલ કર્યો છે, અને આગામી સમયમાં વધુ કલમો ઉમેરવામાં આવશે. કેસમાં હજી 4 આરોપી ફરાર છે અને જલ્દીથી તેમની પણ ધરપકડ કરવામાં આવશે. હાલ કેસની તપાસ ચાલી રહી છે અને આ અંગે વધુ માહિતી આપવામાં આવશે. તેમજ કેસના મૂળ સુધી પહોંચ્યા બાદ પરીક્ષા રદ કરવી કે નહીં તે અંગે નિર્ણય લેવાશે.
ગૃહ રાજ્યમંત્રી વધુમાં જણાવ્યું હતું કે, મામલો સામે આવ્યા બાદ 3 દિવસ સુધી સતત તપાસ ચાલી હતી. જેમાં સામે આવ્યું હતું કે, એક જ જિલ્લામાં 3 ગ્રુપમાં પેપર સોલ્વ કરવામાં આવ્યા હતા. પોલીસે પહેલા શકમંદોને પકડવાનું કામ કર્યું હતું અને પહેલા જ દિવસે 6 લોકોને પકડી લેવામાં આવ્યા હતા અને ત્યારબાદ આ કેસમાં સંડોવાયેલા તમામ આરોપીઓ સામે પ્રાતિંજ પોલીસ સ્ટેશનમાં વિવિધ કલમો સાથે હવે ફરિયાદ નોંધવામાં છે. કેસના મૂળ સુધી પહોંચવા માટે સરકાર કટિબદ્ધ છે અને સમગ્ર મામલે કડક કાર્યવાહી કરવામાં આવશે.
Reported on 16/12/21
હેડ કલાર્કની પરીક્ષાનું પેપર લીક થયાના મામલે ભારે ચકચાર મચી ગઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરાએ કરેલો ઈ-મેઈલ જિલ્લા પોલીસને મળતા LCBએ તપાસ તેજ કરી છે અને કૌભાંડમાં સંડોવાયેલા શખ્સોની ધરપકડ કરવા માટેના ચક્રો ગતિમાન કર્યા હતા. જો કે, સમગ્ર મામલે આજે રાજ્ય સરકાર દ્વારા વધુ ખુલાસાઓ થવાની શક્યતા છે.
પ્રાંતિજના ઉંછાના એક ફાર્મ હાઉસમાંથી હેડ કલાર્કની પરીક્ષાનું પેપર લીક થયા હોવાનો યુવરાજસિંહ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા અને યુવરાજસિંહે તેના પુરાવા મીડિયા સામે પણ મૂક્યા હતા અને બે કારના નંબર પણ જાહેર કર્યા હતા જે તપાસ દરમિયાન હિંમતનગર બાયપાસ રોડ પરથી મળી આવી હોવાનું જાણવા મળ્યું છે.
પેપર લીક કૌભાંડ મામલે સમગ્ર જિલ્લામાં હડકંપ મચી ગયો છે, ત્યારે શંકાસ્પદ નંબરોવાળી બંને કાર હિંમતનગરથી મળી આવતા મામલો વધુ ગરમાયો છે. યુવરાજસિંહે જાહેર કરેલી ગાંડી નંબરના માલિક મીડિયા સામે આવ્યા હતા અને આ ષડયંત્રમાં તેમની કોઈ ભૂમિકા નથી તેવી સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, છેલ્લા 20 દિવસથી ગાડી મારી પાસે જ છે. સીસીટીવી ફૂટેજ તથા સમગ્ર પુરાવા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
હેડ કલાર્કની પરીક્ષાના પેપર લીક મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે મિટીંગનો દોર જારી રાખ્યો હતો અને તપાસની માહિતી મેળવી હતી. તેઓ સાબરકાંઠા પોલીસના પણ સતત સંપર્કમાં રહ્યા હતા. જેથી શુક્રવાર એટલે કે આજે રાજ્ય સરકાર દ્વારા આ મામલે વધુ સત્તાવાર માહિતી અપાશે તેવું જાણવા મળ્યું છે.
પેપર લીક મામલે હજી સઘન તપાસ ચાલી રહી છે, ત્યારે સંપૂર્ણ પરીક્ષા રદ કરવામાં આવશે કે જે ઉમેદવારોએ પેપર ફૂટી ગયા તેનો લોભ લીધો છે તેટલાની રદ કરાશે તે સવાલ ઉભો થયો છે. ગૌણ સેવા પસંદગી મંડળના પદાધિકારીઓ આ મામલે પોલીસ તપાસમાં શું નીકળે તેની રાહ જોઈ રહ્યા છે. તો બીજી તરફ પેપર ફૂટ્યાની માહિતી અને પુરાવા મીડિયા સમક્ષ રજૂ કરનાર યુવરાજસિંહનું કહેવું છે કે, નૈતિકાના આધારે અસિત વોરા રાજીનામું આપે. જો કે, શિક્ષણમંત્રી અસિત વોરાના સમર્થનમાં નિવેદન આપ્યું છે અને કહ્યું કે સમગ્ર મામલની તપાસ કરવામાં આવશે.
સુરતના પાંડેસરાની અઢી વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરી તેની હત્યા કરવાના કેસમાં પોલીસે આરોપીની ધરપકડ કરી 8 દિવસમાં ચાર્જશીટ રજૂ કરી હતી. જેમાં 7 દિવસમાં ટ્રાયલ પૂર્ણ કરાઇ હતી. તા.6 ડિસેમ્બર 2021ને સોમવારે કોર્ટે આરોપી આ કેસમાં તકસીરવાર ઠેરવાયો હતો. જેમાં આજે તા.7મી ડિસેમ્બર 2021ને મંગળવારે કોર્ટે આરોપીને ફાંસીની સજા આપવાનો ચૂકાદો ફક્ત 33 દિવસમાં જ જાહેર કર્યો હતો. આ સાથે જ અઢી વર્ષની બાળકીને ન્યાય મળ્યો છે. બાળકીના પરિવારજનોને રૂ.20 લાખનું વળતર ચૂકવવા પણ કોર્ટે આદેશ કર્યો છે.
આરોપીને કડક સજા અપાવવા માટે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ ધારદાર દલીલો કરતાં જણાવ્યુ કે, આરોપીએ બાળકીની જ નહીં, ભારતના ભવિષ્યની હત્યા કરી છે.
આરોપી સામેનો કેસ રેરેસ્ટ ઓફ રેર છે, તેને મહત્તમ એવી ફાંસીની જ સજા આપવી જોઇએ. આ માટે સરકાર તરફે કુલ 31 એવા ચુકાદા રજૂ કરવામાં આવ્યા હતા જેમા બાળકી પર દુષ્કર્મ ગુજારી હત્યા કરનારા આરોપીઓને ફાંસીની સજા આપવામાં આવી હોય. આજે બાળકી પર આરોપીએ ગુજારેલાં અમાનુષી અત્યાચારની કહાણી સરકારી દલીલ સ્વરૂપે સાંભળતા જ અનેક લોકો ‘ઓહ માય ગોડ’ બોલી ઉઠયા હતા.
દિવાળીની આગળી રાત્રિ એટલે કે ચોથી નવેમ્બરના રોજ માત્ર અઢી વર્ષની બાળકીનું અપહરણ કરીને પરપ્રાંતિય કામદાર ગુડ્ડુ યાદવ બાળકીનું અપહરણ કરીને વડોદ નજીક ઝાડીઝાખરાંમાં લઈ ગયો હતો અને બાળકી પર દુષ્કર્મ ગુજારી તેનું ગળુ દબાવીને હત્યા કરી નાંખી હતી. આરોપી બે દિવસ બાદ પોલીસે ઝબ્બે કર્યો હતો. એ પછી પાંડેસરા પોલીસે 7 જ દિવસમાં ચાર્જશીટ રજૂ કરી દીધી હતી અને સરકાર પક્ષે અત્યંત ઝડપમાં ટ્રાયલ પુરી કરી દેવામાં આવી હતી. કુલ 69 સાક્ષી પૈકી સરકાર પક્ષે 42 સાક્ષી જ ચકાસ્યા હતા.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.