વિદ્યાર્થીઓના ડેટા મેળવીને તેમને ફોન કરીને ઓછા પૈસા અને ઓછી મહેનતમાં ડિગ્રી અને ડિપ્લોમા મેળવી આપવાની લાલચ આપતો હતો
ઉત્તર પ્રદેશમાં નોએડા પોલીસે સેક્ટર-63માંથી એક એવી ટોળકીનો પર્દાફાશ કર્યો છે જે દેશભરમાં બોગસ ડિગ્રીઓનું એક નેટવર્ક ચલાવી રહી હતી. આ ટોળકી 20થી 80 હજાર રૂપિયામાં MBA, MTech વગેરેની બોગસ ડિગ્રી અને ડિપ્લોમા ડિગ્રી વેચી રહી હતી. તેઓ ગૂગલ પર બોગસ જાહેરાત આપીને લોકોને ફસાવવાનું કામ કરતા હતા.
પોલીસે આ કેસમાં પટનાના રહેવાસી આનંદ શેખર અને નોએડાના રહેવાસી ચિરાગ શર્માની ધરપકડ કરી છે. બંને પાસેથી વર્ષ 2000, 2002 સુધીની બોગસ ડિગ્રી અને ડિપ્લોમા પણ મળી આવ્યા છે. ADCP સેન્ટ્રલ ઝોન સાદ મિયાંએ આ અંગે માહિતી આપતા જણાવ્યું કે, પોલીસને સેક્ટર-63ની B-44 સ્થિત ઈમારતમાં નકલી માર્કશીટ, ડિપ્લોમા અને ડિગ્રી વેચવાનો ધંધો ચાલી રહ્યો હોવાની બાતમી મળી હતી.
ત્યાર બાદ પોલીસે તે સ્થળે દરોડો પાડ્યો હતો જેમાં બે આરોપીઓ આનંદ અને ચિરાગની ધરપકડ કરવામાં આવી છે. પોલીસને તેમના પાસેથી 85 બોગસ માર્કશીટ, 7 ખાલી માર્કશીટ, 8 નકલી સ્ટેમ્પ, 33 મોબાઈલ ફોન, 14 કોમ્પ્યુટર અને 55 સિમકાર્ડ મળી આવ્યા હતા.
પોલીસે જણાવ્યું કે, નોએડા પહેલા બેંગલુરૂમાં પણ આ પ્રકારે ડિપ્લોમા અને ડિગ્રી વેચવાનો ધંધો કરવામાં આવ્યો હતો. બેંગલુરૂ પોલીસે જાન્યુઆરી 2022માં આનંદની ધરપકડ કરી હતી. ત્યાંથી જામીન મળ્યા બાદ માર્ચ 2022માં તેણે નોએડા આવીને ફરી પોતાનો ગેરકાયદેસર ધંધો શરૂ કર્યો હતો. તેણે પોતે 10 વર્ષથી આ પ્રકારે બોગસ માર્કશીટ, ડિગ્રી અને ડિપ્લોમા વેચવાનું કામ કરી રહ્યો હોવાનો ખુલાસો કર્યો છે.
આરોપી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ગૂગલ દ્વારા જાહેરાત કરતો હતો. તેના માટે પ્રતિ દિવસના હિસાબથી 5,000 રૂપિયાની ચુકવણી પણ કરવામાં આવતી હતી. આ જાહેરાતોમાં તે ડિગ્રી અને ડિપ્લોમાની લાલચ આપીને લોકોને પોતાની જાળમાં ફસાવતો હતો અને એક વખત ફોન આવે અથવા તો કોઈ જાહેરાત પર ક્લિક કરે એટલે તે પોતે જ તે લોકોનો સંપર્ક કરતો હતો અને તેમને ઠગાઈનો શિકાર બનાવતો હતો.
તે સિવાય તે કોચિંગ સંસ્થાઓ, કોલેજીસ વગેરે પાસેથી વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનીઓની વિગતો એકઠી કરીને તેમને ફોન કરતો હતો અને ઓછા પૈસા અને ઓછી મહેનતમાં ડિગ્રી અને ડિપ્લોમા મેળવી આપવાની લાલચ આપતો હતો. આ માટે તે પોતે વિદ્યા ભારતી ઈન્સ્ટિટ્યુટ અને એમ્પિરિયલ ઈન્સ્ટિટ્યુટનો સંચાલક હોવાનું જણાવતો હતો. જોકે વાસ્તવમાં આ નામના કોઈ ઈન્સ્ટિટ્યુટ જ નથી.
– વિપુલ ચૌધરી યુવાન વયથી જ રાજકારણમાં સક્રિય છે અને ગુજરાતના ભૂતપૂર્વ ગૃહમંત્રી રહી ચુક્યા છે
અમદાવાદ, તા. 15 સપ્ટેમ્બર 2022, ગુરૂવાર
ગુજરાતના ભૂતપૂર્વ ગૃહમંત્રી અને દૂધસાગર ડેરી, મહેસાણાના ભૂતપૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે અટકાયત કરી છે. બુધવારે મોડી રાતે વિપુલ ચૌધરીની ગાંધીનગર ખાતેથી અટકાયત કરવામાં આવી હતી. આ કારણે અર્બુદા સેનામાં ભારે રોષ વ્યાપ્યો છે.
વિપુલ ચૌધરીની સાથે જ તેમના પર્સનલ CA શૈલેષ પરીખની પણ અટકાયત કરવામાં આવી છે અને ટૂંક સમયમાં જ બંનેની ધરપકડ કરવામાં આવશે.
વિપુલ ચૌધરીની મહેસાણા એસીબી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના (સીઆર નંબર 5/2022)ના સંદર્ભમાં અટકાયત કરવામાં આવી છે. તેમની કલમો 406, 409, 420, 465, 467 હેઠળ અને IPCના 468, 471, 120(B) તથા ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની 12, 13(1), 13(2) કલમો અંતર્ગત અટકાયત કરવામાં આવી છે. આ અટકાયતને વિપુલ ચૌધરી દૂધસાગર ડેરીના ચેરમેન હતા તે સમયે થયેલી નાણાકીય ગેરરીતિઓ સાથે સંબંધ છે. ખાનગી ગાડીમાં અને સાદા કપડામાં પહોંચેલી પોલીસે ગાંધીનગરથી વિપુલ ચૌધરીની અટકાયત કરી હતી.
320 કરોડની ઉચાપાતના કેસમાં અટકાયત
જાણવા મળ્યા મુજબ દૂધસાગર ડેરીમાં જે ઉચાપાત થઈ તેની ફરિયાદ બાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવી હતી. તપાસમાં રૂપિયા 320 કરોડ જેટલી મોટી રકમની ઉચાપાત થઈ હોવાનું ખુલ્યું હતું. આ અંગેનો રિપોર્ટ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ગૃહવિભાગની સાથે પોલીસ ભવનને પણ મોકલવામાં આવ્યો હતો.
દૂધસાગર ડેરીમાં આશરે 320 કરોડના બોગસ વ્યવહારો મામલે પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરી અને તેમના CA સામે ફરિયાદ થઈ હતી. આક્ષેપ હતો કે, વિપુલ ચૌધરીએ 17 બોગસ કંપનીઓ બનાવીને 320 કરોડ ટ્રાન્સફર કર્યા હતા. નાણાંકીય ગેરરીતિનો મામલે હોવાથી તેમની તથા તેમના CA શૈલેષ પરીખની પણ અટકાયત કરવામાં આવી છે.
ત્યાર બાદ વિપુલ ચૌધરી અને તેમના CA સામે પગલાં ભરીને આખરે તેમની અટકાયત કરવામાં આવી છે. અટકાયત બાદ વિપુલ ચૌધરી અને તેમના CA શૈલેષ પરીખને ACB ઓફિસ લઈ જવામાં આવ્યા છે અને તેમની ધરપકડ કરીને ઉચાપાત અંગે વધુ જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી શકે છે.
નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી (એનઆઇએ)એ સમગ્ર ભારતમાં ગેંગસ્ટરોના ૬૦ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતાં. દિલ્હી, એનસીઆર, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને પંજાબમાં ૬૦ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતાં.
દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે લોરેન્સ બિશ્નોઇ, બામબિહા ગેંગ અને નિરજ બવાના ગેંગ સાથે સંકળાયેલા ૧૦ ગેંગસ્ટર વિરુદ્ધ અનલોફુલ એક્ટિવિટિસ (પ્રિવેન્શન) એક્ટ (યુએપીએ) હેઠળ એફઆઇઆર દાખલ કરી હતી.
ઉલ્લેખનીય છે કે એક દિવસ અગાઉ પંજાબના ડીજીપી ગૌરવ યાદવે જણાવ્યું હતું કે આતંકવાદી સંગઠનો અને સિધુ મૂસેવાલા મર્ડર કેસમાં ધરપકડ કરાયેલા ગેંગસ્ટરો વચ્ચે મજબૂત સાઠગાંઠ છે.
એનઆઇએના અહેવાલ અનુસાર નિરજ સેહરાવત ઉર્ફે નીરજ બાવના અને તેની ગેંગ પ્રખ્યાત લોકોને નિશાન બનાવી તેમની હત્યા કરવામાં સંડોવાયેલી છે.ં પંજાબી સિંગર સિધુ મૂસેવાલાની હત્યા સાથે સંકળાયલ આતંકી ગેંગના સંબધમાં નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી (એનઆઇએ) દિલ્હી-એનસીઆર, હરિયાણા અને પંજાબમાં દરોડા પાડી રહી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર નિરજ બવાના અને લોરેન્સ બિશ્નોઇ ગેંગ વચ્ચે હાલમાં ગેંગવોર ચાલી રહ્યો છે. પેજાબી સિંગર સિધૂ મૂસેવાલાની હત્યાના થોડાક જ કલાકો પછી નિરજ બવાનાએ જાહેરાત કરી હતી કે તે મૂસેવાલાની હત્યાનો બદલો લેશે અને લોરેન બિશ્નોઇ ગેંગ વિરુદ્ધ કાર્યવાહી કરશે.
ભારત અને વિદેશની જેલોમાં બંધ ગેંગસ્ટરો દ્વારા ચલાવવામાં આવતી ગેંગને પકડવા માટે પણ એનઆઇએ દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યાં છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સિધૂ મૂસેવાલાની હત્યા સાથે સંકળાયેલ ગેંગસ્ટર ગોલ્ડી બરાડ કેનેડામાં છે.
એફઆઇઆર અનુસાર સ્પેશિયલ સેલને માહિતી મળી છે કે લોરેન્સ બિશ્નોઇ, ગોલ્ડી બરાડ, વિક્રમ બરાડ, જગ્ગુ ભગવાનપુરિઆ, સંદીપ, સચિન થાપણ અને અનમોલ બિશ્નોઇ દેશ અને કેનેડા, પાકિસ્તાન અને દુબઇની જેલોમાંથી ઓપરેટ કરી રહ્યાં છે.
એફઆઇઆરમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે લોરેન્સ બિશ્નોઇ ખાલિસ્તાની આતંકવાદી હરવિન્દર સિંહ રિન્દા સાથે સંકળાયેલો છે. જે હાલમાં પાકિસ્તાનમાં રહેતો હોવાનું માનવામાં આવે છે.
અન્ય એક એફઆઇઆરમાં બામ્બિહા ગેંગના સભ્યોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જે લોરેન્સ બિશ્નોઇ ગેંગની પ્રતિસ્પર્ધી ગેંગ છે.બામ્બિહા ગેંગનો લકી પટિઅલ અર્મેનિયાથી, કૌશલ ચૌધરી હરિયાણાની જેલમાંથી અને નિરજ બવાના તિહાર જેલમાંથી ઓપરેટ કરી રહ્યાં છે.
નવી દિલ્હી : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ ચીનની લોન એપ કેસમાં ડિજિટલ પેમેન્ટ કંપનીઓ પેટીએમ, રેઝરપે અને કેશ ફ્રીના પરિસરો પર દરોડા પાડયા હતા. ચીનના લોકો દ્વારા નિયંત્રિત ‘ગેરકાયદે’ ઈન્સ્ટન્ટ સ્માર્ટફોન આધારિત લોન સાથે સંકળાયેલા કેસમાં ઈડીએ પીએમએલએની જોગવાઈઓ હેઠળ કાર્યવાહી કરી છે. ઈડીએ જણાવ્યું કે શુક્રવારે બેંગ્લુરુમાં પેમેન્ટ ગેટવે કંપનીઓના છ સ્થળો પર દરોડાથી શરૂઆત કરાઈ હતી. ઈડીએ દરોડા દરમિયાન મર્ચન્ટ આઈડી અને ચીનના લોકો તરફથી નિયંત્રિત કંપનીઓના બેન્ક એકાઉન્ટ્સમાં રખાયેલા ૧૭ કરોડ રૂપિયા જપ્ત કર્યા છે. વધુમાં ઈડીના દરોડા હજુ ચાલુ છે.
કેટલીક કંપનીઓ ઓનલાઈન એપના માધ્યમથી લોન્સ આપે છે. આ કંપનીઓ ગેરકાયદે રીતે કામ કરી રહી હતી. તેમાંથી મોટાભાગની ચીની એપ્સ છે. ઈડી આ સોદાઓમાં મની લોન્ડરિંગની સંભાવનાઓની તપાસ કરી રહી છે. ઈડીનું કહેવું છે કે કેટલીક કંપનીઓ ગેરકાયદે રીતે કમાણી કરી રહી છે. તેઓ ભારતીયોના દસ્તાવેજનો ગેરકાયદે ઉપયોગ કરી તેમને ડમી નિર્દેશક બનાવીને આવું કરી રહી છે.
ઈડીનું કહેવું છે કે એપ આધારિત ‘ગેરકાયદે’ ઈન્સ્ટન્ટ લોન કેસમાં એપ કંપનીઓનું નિયંત્રણ ચીની લોકોના હાથમાં છે. આ કંપનીઓ પેમેન્ટ ગેટવે અને બેન્કો પાસે રખાયેલા વિવિધ મર્ચન્ટ આઈડી તથા ખાતાના માધ્યમથી શંકાસ્પદ અને ગેરકાયદે વ્યવસાય કરી રહી હતી. રેઝરપે પ્રાઈવેટ લિમિટેડ, કેશફ્રી પેમેન્ટ્સ અને પેટીએમ પેમેન્ટ સર્વિસીસ લિમિટેડ સાથે જ ચીની લોકો દ્વારા નિયંત્રિત કંપનીઓની તપાસ ચાલી રહી છે.
ઈડીએ કહ્યું કે તેનો મની લોન્ડરિંગ કેસ બેંગ્લુરુ પોલીસના સાઈબર ક્રાઈમ સ્ટેશન દ્વારા દાખલ કરાયેલી ૧૮ એફઆઈઆર પર આધારિત છે. ઈડીએ એમ પણ કહ્યું કે તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે અનેક ચીની લોન એપ કંપનીઓ કોર્પોરેટ બાબતોના મંત્રાલયની એમસીએની વેબસાઈટ પર નોંધણી કરાવાયેલ સરનામા પર કામ નથી કરી રહી. તેઓ નકલી સરનામા પરથી ઓપરેટ કરી રહી છે. વધુમાં આ કેસ એવી કંપનીઓ અને વ્યક્તિઓ વિરુદ્ધ છે, જેઓ મોબાઈલ એપના માધ્યમથી નાની રકમની લોન લેનારા લોકો પાસેથી બળજબરીથી વસૂલી કરી રહી છે અને તેમનું શોષણ કરી રહી હતી.
ભારતમાં લોન એપથી છેતરપિંડી અને બદનામી થયા પછી આત્મહત્યાના અનેક કેસ સામે આવી ચૂક્યા છે. તેમાં ચીની નાગરિકોની સંડોવણી સામે આવી છે. તાજેતરમાં જ તામિલનાડુ પોલીસે લોન એપ કૌભાંડ પકડી પાડયું હતું. પોલીસે ચીનના બે નાગરિક સહિત ચાર આરોપીઓની ધરપકડ પણ કરી હતી.
દેશમાં ઝડપથી સાઈબર ક્રાઈમના કેસ વધ્યા છે અને લોકો મોટી સંખ્યામાં નાણાકીય છેતરપિંડીનો ભોગ બની રહ્યા છે. એપથી તુરંત મળી રહેલી લોન લોકોને દેવાની જાળમાં ફાસવે છે. એક મીડિયા રિપોર્ટ મુજબ જાન્યુઆરી અને ફેબુ્રઆરી ૨૦૨૧ વચ્ચે ૮૧ એપ સ્ટોરની તપાસમાં જણાયું હતું કે તે સમયે ભારતમાં ૧,૧૦૦થી વધુ ડિજિટલ લોન એપ હયાત હતી. તેમાંથી આરબીઆઈએ લગભગ ૬૦૦ એપને ગેરકાયદે ગણાવી હતી. આરબીઆઈના નિર્દેશ પછી ગૂગલ પ્લે સ્ટોરને આ એપને પ્લે સ્ટોરથી હટાવવા નિર્દેશ પણ આપ્યા હતા.
રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં છાશવારે રખડતા ઢોરના કારણે વાહન ચાલકો અને રાહદારીઓના અકસ્માતો તેમજ અઘટિત મૃત્યુની ઘટના બાદ હાઈકોર્ટના આદેશથી ગુજરાતભરમાં ઢોર પકડ ઝુંબેશને સઘન બનાવામાં આવી છે ત્યારે રાજકોટમાં પણ ‘ડે-નાઈટ’ ઢોર પકડવાની કામગીરી કરતા બે કર્મચારીઓની આંખોમાં કેમિકલ પ્રે છાંટીને અજાણ્યા શખસો નાખી છૂટતા બન્ને કર્મચારીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. મ્યુનિ.કચેરીએ આ ઘટનાના ઘેરા પડઘા પડયાં હતાં, એક તબક્કે પૂરતો સુરક્ષા બંદોબસ્ત ફાળવવાની માંગ સાથે મ્યુનિ.કર્મચારીઓ હડતાલ પર ઉતરી આવ્યાં હતાં અને મ્યુનિ.કમિશનરને ઉગ્ર રજૂઆત પણ કરી હતી.’
1/9/22 આજરોજ વહેલી સવારે થોરાળા વિસ્તારમાં શહેરના હાથીખાના વિસ્તારમાં રહેતા ધીરુભાઈ નારણભાઈ ડોરસિયા (ઉ.વ.52) અને મેરુ કરણભાઈ ચાવડા (ઉ.વ.28) ઢોર પકડ પાર્ટી સાથે નિકળ્યાં હતાં, તેઓ ગાયો પકડીને ભાવનગર રોડ સ્થિત મનપાના ઢોરડબ્બે જઈ રહ્યાં હતાં ત્યારે અમૂલ સર્કલ નજીક બાઈક પર આવેલા બે અજાણ્યા બુકાનીધારી શખસે વાહન રોકી તેમની સાથે ઝપાઝપી કરી હતી અને બાદમાં બન્નેએ અચાનક કેમિકલ પ્રે છાટીને નાસી છુટયાં હતાં. પ્રેની અસર થતાં ધીરુભાઈ અને મેરુભાઈની આંખોમાં બળતરા થવા લાગી હતી અને દેખાતું બંધ થઈ ગયું હતું. એક વ્યક્તિની આંખ સોજી ગઈ હતી અને જ્યારે બીજાને હાથમાં ચાંદા પડી ગયાં જતાં બન્નેને ઈન્સ્પેક્ટર નંદાણિયાએ તાબડતોબ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડયાં હતાં.
બનાવ અંગે સારવાર લીધા બાદ હોસ્પિટલ ચોકી સ્ટાફે એમએલસી કેસ જાહેર કર્યા બાદ થોરાળા પોલીસ મથકે અજાણ્યા શખસો વિરુદ્ધ ફરજ રૂકાવટ સહિતની કલમનો ગુનો નોંધ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, ગઈકાલે પણ રેસકોર્સ તેમજ વિરાણી ચોકમાં ઢોર પકડ પાર્ટી પર પથ્થરમારો થયો હોવાનું ઈન્સ્પેક્ટર રવિભાઈએ જણાવ્યું હતું. દરમિયાન આજની ઘટનાના મનપામાં પણ ઘેરા પડઘા પડયાં હતાં. કર્મચારી પરિષદના પ્રમુખ કશ્યપ શુક્લ સહિતના હોદ્દેદારો, કર્મચારી આગેવાનો અને કર્મચારીઓએ મ્યુનિ.કમિશનર અમિત અરોરાને આવેદન પાઠવી ઉગ્ર રજૂઆતો પણ કરી હતી તેમજ ઢોર પકડ સ્ટાફને પૂરતો વિજીલન્સ બંદોબસ્ત આપવાની માંગણી કરી હતી જેને મ્યુનિ.કમિશનરને ગ્રાહ્ય રાખી હતી.
રખડતા ઢોર હવે ગામડાઓમાંથી પણ પકડાશે !
હાઈકોર્ટની ફટકાર બાદ રાજ્યવ્યાપી ઢોરપકડ કાર્યવાહીના આદેશ થયાં છે ત્યારે શહેરી વિસ્તારોની સાથોસાથ હવે ગામડાઓમાં પણ ઢોર પકડવાની કાર્યવાહી શરૂ કરાશે. આજરોજ રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી દ્વારા આ અંગેનો પરિપત્ર જિલ્લાભરના અધિકારીઓને ઈસ્યુ કરવામાં આવ્યો હતો. પરિપત્રમાં જણાવાયું હતું કે, પંચાયત તલાટીઓએ આવતીકાલે ગ્રામ પંચાયતમાં બેઠક કરીને સભ્યોને વાકેફ કરવાના રહેશે. તાલુકા કક્ષાએ તાલુકા વિકાસ અધિકારીને પશુપાલન તથા જીવદયા સાથે સંકળાયેલા આગેવાનો સાથે બેઠક કરીને કામગીરી વિષે માહિતી આપવાની થશે. આગામી તા.5ને સોમવારથી પાલિકાની પાંચ કિ.મીની હદમાં આવતા ગામડાઓ, તાલુકા મથકે તથા 5000થી વધુ વસ્તી ધરાવતા ગામો અને હાઈવે ઉપર ઢોર પકડવા તેમજ તેના પર નિયમાનુસાર કાર્યવાહી કરીને દૈનિક રિપોર્ટ આપવાનો આદેશ કરાયો છે. જો કે, પકડાયેલા ઢોરને ક્યાં રાખવા ? તે મુદ્દો હજુ વણઉકેલ છે.
ઢોરને રખડતા મૂકનાર સામે ગુનો નોંધીને પગલાં લેવાશે
શહેરના માર્ગો પર ઢોરને રખડતાં મૂકી દેનાર પશુપાલક સામે ફોજદારી ગુનો નોંધીને કાર્યવાહી કરવાની કાયદામાં જોગવાઇ છે. આ જોગવાઇનો કડક અમલ કરાશે. એટલું જ નહીં પણ ઢોર પકડ પાર્ટીને એસઆરપી અને પોલીસનો પૂરતો બંદોબસ્ત આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ભારતીય ફોજદારી ધારામાં માનવ જિંદગી જોખમમાં મૂકે તે રીતે ઢોરને રખડતાં મૂકી દેનાર સામે ગુનો નોંધવાની જોગવાઇ છે. આઇપીસીની કલમ 289 હેઠળ પશુપાલક સામે ગુનો નોંધી શકાય છે. આ ગુનામાં છ માસની કેદ અને દંડની જોગવાઇ છે.
રાજકોટવાસીઓને ઢોરના ત્રાસમાંથી મુકત કરાવવા માટે મહાપાલિકા દ્વારા આયોજન કરાયું છે. મનપા દ્વારા રસ્તા પર રખડતાં ઢોરને પકડવા માટે ઢોર પકડ પાર્ટી પણ છે. આ ઢોર પકડ પાર્ટીના ફૂટેલા કર્મચારીઓ દ્વારા માલધારીઓને તે કયા વિસ્તારમાં જાય છે તેની સૂચના આપી દેવામાં આવે છે. તેના કારણે રસ્તા પર રખડતાં ઢોરને માલધારી યુવકો શેરીમાં ખદેડી મૂકે છે. કેટલાય કિસ્સામાં ઢોર પકડ પાર્ટી પર હુમલો પણ કરવામાં આવે છે. આ સંજોગોમાં ઢોર પકડ પાર્ટી સારી રીતે કામ કરી શકે અને તેના પર હુમલો ન થાય તે માટે એસઆરપી જવાન અને પોલીસનો બંદોબસ્ત આપવાનું પોલીસ કમિશનર દ્વારા આયોજન કરાયું છે. ઢોર પકડ પાર્ટી સાથે હથિયારધારી એસઆરપીમેન અને’ પોલીસનો બંદોબસ્ત રાખવાનું નક્કી કરાયું છે.
– ગુજરાત એટીએસ અને મુંબઇ એન્ટી નાર્કોટિક્સ સેલનું ઓપરેશન
– સાવલી નજીક મોક્સી ખાતેની કેમિકલ ફેક્ટરીમાંથી 225 કિલો અને પાનોલી જીઆઇડીસીની કંપનીમાંથી 513 કિલો એમડી ડ્રગ્સ સાથે 7ની અટકાયત
– દેશના યુવાધનને બરબાદ કરવાનું ષડયંત્ર ઝડપાયું
સાવલી,અંક્લેશ્વર : વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મોક્સી ગામે નેક્ટર કેમ નામની કેમિકલ કંપનીમાં ગુજરાત એટીએસની ટીમે દરોડો પાડીને એમડી ડ્રગ્સનો ૨૨૫ જથ્થો ઝડપી પાડયો છે આ ડ્રગ્સની કિમત આંતર રાષ્ટ્રીય બજારમાં આશરે ૧,૧૨૫ કરોડ થાય છે. બીજી બાજુ મુંબઇની એન્ટી નાર્કોટિક્સ સેલના વરલી યુનિટે ભરૂચ જિલ્લામાં પાનોલી જીઆઇડીસીની એક કંપની પર દરોડો પાડીને ૫૧૩ કિલો એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડીને સાતની અટકાયત કરી છે. આમ આ ડ્રગ્સની કિંમત ૧૦૨૬ કરોડ થાય છે. ગુજરાતમાં એક જ દિવસમાં આશરે ૨૧૫૧ કરોડની કિંમતનું આશરે ૭૩૮ કિલો એમડી ડ્રગ્સ ઝડપી પાડયું છે. આમ દેશના યુવાધનને ડ્રગ્સના રવાડે ચડાવી બરબાદ કરવાનું ષડયંત્ર ઝડપી પાડયું છે.
ગુજરાત એ.ટી.એસ.ને માહિતી મળી હતી કે,વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મોક્સી ગામે એક ફેક્ટરીમાં એમ.ડી.ડ્રગ્સનું ઉત્પાદન થાય છે. જેથી,એ.ટી.એસ.ની ટીમે મોક્સી ગામે આવેલી નેક્ટર કેમ નામની કંપનીમાં દરોડો પાડયો હતો.કંપનીમાંથી કોઇ ભાગી ના જાય તે માટે કંપનીને ચારે તરફથી ઘેરી લેવામાં આવી હતી.કંપનીમાં તપાસ કરતા એમ.ડી.ડ્રગ્સનો શંકાસ્પદ જથ્થો મળી આવ્યો હતો.જેથી,ફોરેન્સિક નિષ્ણાંતની ટીમને સ્થળ પર બોલાવીને તપાસ કરાવવામાં આવી હતી.પ્રાથમિક તપાસ દરમિયાન પકડાયેલો જથ્થો એમ.ડી.ડ્રગ્સ હોવાનું જણાઇ આવ્યું હતું.પોલીસે ૨૨૫ કિલો એમ.ડી.ડ્રગ્સ કિંમત ૧,૧૨૫ કરોડનું જપ્ત કર્યુ છે.ડીવાય.એસ.પી.કે કે પટેલે જણાવ્યું હતું કે,ફેક્ટરીમાં એમ.ડી.ડ્રગ્સનો જથ્થો રાખવામાં આવ્યો હતો.આ ડ્રગ્સનો જથ્થો અન્ય કોઇ સ્થળેથી તૈયાર થઇને અહીંયા સંગ્રહ કરવામાં આવ્યો હતો.એમ.ડી.ડ્રગ્સનો જથ્થો ક્યાં તૈયાર કરવામાં આવ્યો હતો ? તે અંગે તપાસ ચાલી રહી છે.ફેક્ટરીમાંથી કંપનીના માલિક પીયૂષ પટેલ અને એક કર્મચારી હાજર મળી આવ્યા હતા.તેઓની પૂછપરછ ચાલી રહી છે.ગુજરાતના ઇતિહાસમાં એમ.ડી.ડ્રગ્સનો આ સૌથી મોટો જથ્થો છે.આ કંપની વિવિધ પ્રકારના કેમિકલનું ઉત્પાદન કરે છે.અને કોરોના કાળમાં કોરોના સંબંધિત કેમિકલનું ઉત્પાદન થતું હતું.
પરંતુ, તેની આડમાં એમ.ડી.ડ્રગ્સ બનાવવામાં આવતું હોવાની જાણકારી મળી હતી.પરંતુ,રેડ પછી આ જગ્યાનો ગોડાઉન તરીકે ઉપયોગ થતો હોવાનું જાણવા મળ્યું છે.
પાનોલી જીઆઇડીસીની કંપનીમાંથી 513 કિલો ડ્રગ્સ જપ્ત
ભરૂચ જિલ્લાના અંક્લેશ્વર નજીક પાનોલી જીઆઇડીસીની એક ફાર્મા કંપનીમાંથી મુંબઇની એન્ટી નાર્કોટિક્સ સેલના વરલી યુનિટે દરોડો પાડી અંદાજે ૫૧૩ કિલો એમડી ડ્રગ્સ ઝડપી પાડયું છે. આ ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય કિંમત રૃા.૧૦૨૬ કરોડ આંકવામાં આવી રહી છે.
મુંબઇની એન્ટી નાર્કોટિક્સ સેલના વરલી યુનિટ દ્વારા ગઇરાતે ભરૂચ જિલ્લા પોલીસની મદદ મેળવી પાનોલી જીઆઇડીસીની ઇન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ કંપનીમાં દરોડો પાડયો હતો. દરોડા દરમિયાન પ્રતિબંધિત એમડી ડ્રગ્સનો વિપુલ જથ્થો મળી આવ્યો હતો, જે પાવડર તેમજ પ્રવાહી સ્વરૂપે હતો.
આ સમગ્ર કાર્યવાહી અંગે જોકે પોલીસ તંત્રે કોઇ સતાવાર વિગતો જાહેર કરી નથી, હાલ પોલીસે સમગ્ર કાર્યવાહીમાં એક મહિલા સહિત સાત લોકોની અટકાયત કરી છે. વડોદરા જિલ્લામાં સાવલી નજીક મોક્સી ગામે નેક્ટર કેમ કંપનીમાં ગુજરાત એટીએસ દ્વારા જે દરોડો પાડીને અંદાજે ૨૦૦ કિલો એમડી ડ્રગ્સ પકડી પાડયું તેની સાથે સાથે પાનોલી જીઆઇડીસી ખાતેની કંપનીમાં પણ દરોડા પાડતા રાજ્યમાં સંભવત પ્રથમ વખત આટલી મોટી માત્રામાં પ્રતિબંધિત એમડી ડ્રગ્સ પકડી પાડવામાં આવ્યું છે.
આ કંપની પાનોલી જીઆઇડીસીમાં ડાઇઝ અને ડાઇ ઇન્ટરમીડિયેટના નામે ૫ વર્ષ અગાઉ શરૂ થઇ હતી, જેમાં રૂપિયા ૪૪૨ લાખનું રોકાણ કરવામાં આવ્યું હતું. હવે જ્યારે આ કંપનીમાંથી રૂપિયા ૧૦૨૬ કરોડનું એમડી ડ્રગ્સ ઝડપાયું છે, તેનાથી સ્થાનિક ઉદ્યોગ જગત પણ ચોંકી ઊઠયું છે.
ભૂતકાળમાં ગુજરાત એટીએસે પાનોલી જીઆઇડીસીની મીરા કેમિકલની આડમાં એમડી ડ્રગ્સનું ઉત્પાદન થતું હોવાનો પર્દાફાશ કર્યો હતો.
દરમ્યાન તપાસ એજન્સી દ્વારા ડ્રગ્સ કયાં મોકલવામાં આવનાર હતું, ક્યારથી ડ્રગ્સનું નેટવર્ક ચાલે છે, તે અંગે માહિતી મેળવવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
વધુમાં મળતી માહિતી પ્રમાણે આ કંપનીમાંથી એમડી ડ્રગ્સ મુંબઇ, કર્ણાટક તેમજ ગોવા મોકલવામાં આવતુ હતું. મુંબઇ નાર્કોટિક્સ વિભાગની ટીમે મુંબઇના નાલા સોપારા ખાતેથી હાલ એક ડ્રગ પેડલરને ઝડપી પાડયો હતો તેની પૂછપરછમાં પાનોલીમાં એમડી ડ્રગ્સ બનતું હોવાની વિગતો બહાર આવ્યા બાદ ગત રાત્રિથી ગુજરાતમાં બે ઠેકાણે દરોડા પાડયા હતા.
તપાસ ટીમે ૮૧૨ કિલો કરતા વધારે સફેદ પાવડર જપ્ત કર્યો હતો. જે એમડી(મેફેડ્રોન) ડ્રગ્સ તૈયાર કરવામાં વપરાય છે. આ ઉપરાંત ૩૯૭ કિલો કરતા વધારે છીકણી રંગના ટુકડા કબજે કર્યા છે. જે પણ આ ડ્રગ્સ તૈયાર કરવામાં વપરાય છે. આમ, કુલ ૧૨૧૮ કિલો કરતા વધારે વજનનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેની કુલ કિંમત ૨૪૩૫ કરોડ થાય છે.
પાનોલીની કંપનીનો માલિક દિક્ષિત કેમેસ્ટ્રીમાં માસ્ટર ડિગ્રી ધરાવે છે
એન્ટી નાર્કોટિક્સ સેલના ડેપ્યુટી કમિશનર દત્તા નલાવડેના જણાવાયા મુજબ પાનોલી યુનિટનો માલિક ગિરિરાજ દિક્ષિત કેમેસ્ટ્રીમાં માસ્ટર ડિગ્રી ધરાવે છે. તા.૩ ના રોજ નાલા સોપારામાં ૭૦૦ કિલો એમડી ડ્રગ્સ, પ્રતિબંધિત સિન્થેટિક ડ્રગનો જથ્થો ઝડપી પાડયો હતો. જેની કિંમત ૧૪૦૦ કરોડ થાય છે. શમસુલ્લાહ ઓબેદુલ્લાહ ખાન (૩૮), અયુબ ઇઝહાર અહેમદ શેખ (૩૩), રેશમા સંજયકુમાર ચંદન (૪૯), રિયાઝ અબ્દુલ સતાર મેમણ (૪૩), પ્રેમ પ્રકાશ પ્રશાંતસિંહ (૫૨) અને કિરણ પવારને રેડ દરમિયાન ઝડપી પાડયા હતા દિક્ષિતની ફેક્ટરીમાંથી મુંબઇના પેડલર્સ અને આજુબાજુના વિસ્તારોમાં માલ સપ્લાય થતો હતો. દિક્ષિત અને તેના સાગરીતોએ પ્રયોગો કરીને એમડી ડ્રગ્સની ફોર્મ્યુલા વિકસાવી હતી.
– શ્રીકાંત નોઈડાની સોસાયટીમાં મહિલા સાથે ગેરવર્તણૂક મામલે ફરાર હતો
નોઈડાની ગ્રાન્ડ ઓમેક્સ સોસાયટી (Grand Omaxe Society)માં મહિલા સાથે ગેરવર્તણૂક કરનારા કથિત નેતા શ્રીકાંત ત્યાગી (Srikant Tyagi)ની પોલીસે ધરપકડ કરી લીધી છે. ત્યાગી સાથે પોલીસે 3 લોકોની મેરઠથી ધરપકડ કરી છે. શ્રીકાંત નોઈડાની સોસાયટીમાં મહિલા સાથે ગેરવર્તણૂક મામલે ફરાર હતો. આ પહેલા નોઈડા પોલીસે ગેંગસ્ટરની કાર્યવાહી કરી તેના પર 25 હજારનું ઈનામ પણ જાહેર કર્યું હતું.
મળતી માહિતી પ્રમાણે શ્રીકાંત ત્યાગી સતત પત્ની અને વકીલ સાથે વાત કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. તેના કારણે જ પોલીસને તેના લોકેશનની જાણકારી મળી હતી. ત્યારબાદ પોલીસે મેરઠથી તેની ધરપકડ કરી છે.
પોલીસે મંગળવારે તેની પત્નીને બીજી વખત કસ્ટડીમાં લીધી હતી. આ અગાઉ પોલીસે શુક્રવારે પણ ત્યાગીની પત્નીને કસ્ટડીમાં લઈ 24 કલાક સુધી પૂછપરછ કરી હતી.
આ પહેલા નોઈડા પોલીસે ગેંગસ્ટરની કાર્યવાહી કરી તેના પર 25 હજારનું ઈનામ પણ જાહેર કર્યું હતું. આરોપીને શોધવા માટે નોઈડા પોલીસની 8 ટીમો 3 રાજ્યમાં તેને શોધી રહી હતી. સોમવારે સોસાયટીમાં તેમના મકાનમાં ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું. આરોપીઓ પર દબાણ લાવવા માટે GST ટીમે ભાંગેલમાં તેની દુકાનો પર પણ દરોડા પાડ્યા હતા.
– જાતિનું અપમાન કરતી ટિપ્પણી કરી ત્યારે પીડિતા ત્યાં હાજર નહોતી: યૂટયુબરની દલીલોને હાઇકોર્ટે ફગાવી
નવી દિલ્હી : સોશિયલ મીડિયા પર પોસ્ટ કે કોમેંટ આડેધડ થતી હોય છે, જેમાં જાતિ આધારીત કોમેંટ કે પોસ્ટ પણ કરવામાં આવતી હોય છે. જોકે હવેથી કોઇ જાતિ આધારીત પોસ્ટ કે કોમેંટ થાય તો તેવા કેસમાં એસસી, એસટી કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી શકે છે. હાલ આ જ પ્રકારનો એક મામલો કેરળ હાઇકોર્ટમાં ચાલી રહ્યો છે.
કેરળ હાઇકોર્ટમાં એક યૂટયૂબર દ્વારા અરજી કરવામાં આવી છે. જેની સુનાવણી ચાલી રહી છે.
અરજદાર યૂટયૂબર દ્વારા એક ઇન્ટરવ્યૂમાં એસસી, એસટી સમાજની એક મહિલા સામે કથિતરુપે અપમાનજનક નિવેદન આપવામાં આવ્યું હતું. આ નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ થતા વાઇરલ થઇ ગયો હતો. જે બાદ આરોપીની ધરપકડ કરી લેવામાં આવી હતી. હવે આરોપી દ્વારા કેરળ હાઇકોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરવામાં આવી છે.
જોકે કેરળ હાઇકોર્ટે આરોપી યૂટયૂબરની જામીન અરજીને ફગાવી દીધી છે. આ દરમિયાન જ્યારે કોર્ટમાં દલિલો ચાલી રહી હતી ત્યારે આરોપીએ એવો તર્ક આપ્યો હતો કે પીડિતા મારા આ ઇન્ટરવ્યૂ અને મે કોમેંટ કરી ત્યારે તે હાજર નહોતી. તેથી એસસી, એસટી એક્ટ અંતર્ગત આ મામલે કેસ જ નથી બનતો.
ગુજરાત લઠ્ઠાકાંડમાં મોતનો બિનસત્તાવાર આંકડો 75થી વધુ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે હવે આ મામલે ગૃહ વિભાગ એક્શનમાં આવ્યુ છે. ગૃહ વિભાગે SP કક્ષાના 2 અધિકારીઓની બદલી કરી છે તથા PSI સહિત 5 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બોટાદ SP કરન રાજ વાઘેલા અને અમદાવાદ ગ્રામ્ય એસપી વીરેંદ્રસિંહ યાદવની બદલી કરવામાં આવી છે. બોટાદના DYSP એસ.કે.ત્રિવેદીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને ધોળકાના DYSP એન.વી.પટેલને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બરવાળાના PSI ભગીરથ સિંહ વાળા અને કરાયારાણપુરના PSI શૈલેન્દ્ર સિંહ રાણાને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
ધોળકા તથા બોટાદમાં DYSP એન.વી.પટેલ (ધોળકા) તથા DYSP એસ.કે.ત્રિવેદી (બોટાદ)ની ફરજ દરમિયાન આ વિસ્તારમાં ઝેરી કામિકલ યુક્ત દારૂનું મોટા પાયે બોટાદના બરવાળા, રાણપુર તાલુકો તથા અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના વિવિધ વિસ્તારોમાં વેચાણ થતાં ઝેરી કેમિકલ યુક્ત દારૂ પીવાના કારણે આશરે 42 (સત્તાવાર આંકડો) (બિનસત્તાવાર આંક 75) થી વધુ વ્યક્તિઓના મોત થયા છે. ગુજરાતમાં દારૂબંધીની નીતિ અમલમાં છે તેમ છતાં તેમના કાર્યવિસ્તારમાં મોટા પાયે ઝેરી કેમિકલ યુક્ત દારૂની હેરાફેરી રોકવામાં તેમજ તેનું વેચાણ અને સેવનને રોકવામાં નિષ્ફળ રહ્યા છે જે તેમની ફરજમાં ગંભીર નિષ્કાળજી તેમજ નિષ્ઠાનો અભાવ દર્શાવે છે તેથી બંને DYSP એન.વી.પટેલ (ધોળકા) તથા એસ.કે.ત્રિવેદી (બોટાદ)ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
આ સસ્પેન્ડ કરાયેલ DYSP એસ.કે.ત્રિવેદી અને એન.વી.પટેલ ફરજ મોકૂફી દરમિયાન ગુજરાત રાજ્ય સેવા નિયમો 1971ના નિયમ-15ની જોગવાઈ પ્રમાણે તેઓ કોઈ સ્થળે નોકરી સ્વીકારી શકશે નહીં કે ધંધો રોજગાર કરી શકશે નહીં. અને જો તેઓ ધંધો કે, રોજગાર કરતા પકડાશે તો તેઓની આવી વર્તણૂક નિયમો પ્રમાણે ગેરવર્તણૂક ગણાશે અને તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. તથા તેઓ નિર્વાહભથ્થા અંગે દાવો કરી શકશે નહીં.
– હરિયાણાના ગૃહમંત્રી અનિલ વિજે કહ્યું હતું કે, આરોપીઓ સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે, ભલે ગમે તેટલી પોલીસ તૈનાત કરવી પડે
હરિયાણામાં ખનન માફિયાઓની બેફામતા ફરી એકવાર સામે આવી છે. જાણકારી અનુસાર, નૂહમાં ખનન માફિયાઓએ DSP પર ગાડી ચડાવી દીધી હતી. જેના કારણે DSP સુરેન્દ્ર વિશ્નોઈનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
જણાવવામાં આવી રહ્યું છે કે, DSP સુરેન્દ્ર વિશ્નોઈ તાવડુ ખાતે તૈનાત હતા. તેઓ તાવડુના પહાડમાં ગેરકાયદે ખનન થતું હોવાની બાતમી આધારે દરોડો પાડવા ગયા હતા. કાર્યવાહી દરમિયાન DSP સુરેન્દ્ર સિંહ વિશ્નોઈએ ખનન સ્થળ પર પથ્થર ભરેલી ટ્રકને રોકવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં તેઓને ડમ્પર વડે ટક્કર મારવામાં આવી હતી અને આ કારણે DSPનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
કહેવામાં આવી રહ્યું છે કે, તેમને સવારે 11:00 વાગ્યે માઈનિંગની માહિતી મળી હતી. ત્યારબાદ તે પોતાના સ્ટાફ સાથે 11:30 વાગ્યે પહોંચી ગયા હતા. જ્યારે પોલીસ ત્યાં પહોંચી તો તેમને જોઈને ખનન માફિયાઓએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો અને આ દરમિયાન ડીએસપીને ટક્કર મારવામાં આવી હતી.
હરિયાણાના ગૃહમંત્રી અનિલ વિજે કહ્યું હતું કે, આરોપીઓ સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે. ભલે ગમે તેટલી પોલીસ તૈનાત કરવી પડે, અમે કોઈને બક્ષશું નહીં અને આકરી કાર્યવાહી કરશું.
આ ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. પોલીસે આરોપીની શોધખોળ હાથધરી હતી અને આરોપીને ઝડપી પાડેલ છે. આ ઘટના બાદ પોલીસ વિભાગમાં ફળભળાટ મચી ગયો છે. આઈજી અને નુહના એસપી ઘટનાસ્થળે પહોંચી ગયા છે. ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.
હરિયાણામાં ખનન માફિયાઓ દ્વારા ઉદ્ધતાઈનો આ પહેલો કિસ્સો નથી પરંતુ અગાઉ પણ આવી અનેક ઘટનાઓ સામે આવી છે. આ અગાઉના કિસ્સાની વાત કરવામાં આવે તો, સોનીપત ખાતે ગેરકાયદેસર ખાણકામ સાથે સંકળાયેલી ટોળકીએ સ્પેશિયલ એન્ફોર્સમેન્ટ ટીમ પર જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં સૈનિકને માર મારીને ઘાયલ કરવામાં આવ્યો હતો અને ASIનો યુનિફોર્મ ફાડી નાખવામાં આવ્યો હતો.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.