કસ્ટમ્સ વિભાગના એર ઇન્ટેલિજન્સ યુનિટે (એઆઇયુ) મુંબઈ એરપોર્ટ પર પાંચ કરોડ રૂપિયાથી વધુની કિંમતનો દાણચોરીનો ગાંજો પકડી પાડ્યો હતો અને આ પ્રકરણે સુરતના યુવક સહિત બે જણની ધરપકડ કરી હતી.
એઆઇયુના અધિકારીઓએ ધરપકડ કરેલા બંને જણની ઓળખ સુરતના કતારગામ, સિંગણપોર ખાતે રહેતા હાર્દિક પ્રાગજીભાઇ ભદાણી (24) અને દિલ્હીના રહેવાસી મોહંમદ સામી (23) તરીકે થઇ હતી. બંનેને સ્થાનિક અદાલતમાં હાજર કરાતાં તેમને જુડિશિયલ કસ્ટડી ફટકારવામાં આવી હતી. હાર્દિક ભદાણીના વકીલ તરીકે અરુણ ગુપ્તા અને આશિષ સિંહ કોર્ટમાં હાજર રહ્યા હતા અને તેમણે દલીલ કરી હતી.
બૅંગકોક ખાતેથી ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટમાં શનિવારે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આવેલા હાર્દિક ભદાણીને એઆઇયુના અધિકારીઓએ શંકાના આધારે આંતર્યો હતો. તેના સામાનની તલાશી લેવામાં આવતાં છ વેક્યુમ સીલ્ડ પેકેટ્સમાંથી 2.87 કરોડ રૂપિયાની કિંમતનો 2873 ગ્રામ હાઇડ્રોપોનિક ગાંજો મળી આવ્યો હતો. આથી હાર્દિક ભદાણી સામે ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરવામાં આવી હતી.
દરમિયાન બૅંગકોકથી ફ્લાઇટમાં રવિવારે મુંબઇ એરપોર્ટ પર આવેલા મોહંમદ સામીની 2.39 કરોડ રૂપિયાની કિંમતના ગાંજા સાથે ધરપકડ કરાઇ હતી. સામીની અંગત તલાશીમાં કશું મળ્યું નહોતું, પણ તેની ટ્રોલી બેગમાં આઠ ફૂડ પેકેટ, બે સ્નેક બોક્સ તથા છ સિગારેટ પેકેટ્સમાં એરટાઇટ પ્લાસ્ટિકના પેકેટમાંથી ગાંજો મળી આવ્યો હતો.
સામીએ પૂછપરછમાં જણાવ્યું હતું કે 4 ઑગસ્ટે દિલ્હીના શહજાદ નામના શખસે તેને બૅંગકોકથી ટ્રોલી બેગ લાવવા માટે કહ્યું હતું, જેની વિમાન ટિકિટની વ્યવસ્થા પણ કરી આપી હતી. બેગ મુંબઈમાં લાવીને સોંપાતા પચાસ હજાર રૂપિયા તથા અન્ય ખર્ચ આપવાનું તેને આશ્ર્વાસન અપાયું હતું.
રાજ્યમાં નકલીનો જાણે કે રાફડો ફાટ્યો તેમ લાગે છે. નકલી લોકો પછી હવે નકલી તંબાકુ ફેક્ટરી ઝડપાઈ હતી. શહેરના વરાછા વિસ્તારના તિરુપતિ નગરમાં એક બિલ્ડિંગના પ્રથમ માળેથી આ ફેક્ટરી ઝડપાઈ હતી. 22 દિવસથી આ કારોબાર ચાલતો હતો.
2.13 લાખનો મુદ્દામાલ જપ્ત ઝોન 1 ડીસીપી આલોક કુમારના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમે દરોડો પાડ્યો હતો. પોલીસે નકલી તંબાકુ બનાવતા આરોપી હર્ષદ કાછડીયા નામના યુવકની ધરપકડ કરી હતી. પોલીસે સ્થળ પરથી 2.13 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જેમાં બાગબાન તંબાકુના 15,100 પાઉચ, 10-10 કિલોની તંબાકુ ભરેલી 6 બેગ, 1.75 કિલોનો રેપર રોલ, 3 સિલ્વર પ્લાસ્ટિક રેપર રોલ, ઈલેકટ્રોનિક વજન કાંટો અને તંબાકુ બનાવતા મશીન સીલ કર્યા હતા.
પોલીસ મુજબ, આરોપી હર્ષદ કાછડીયા પહેલા પણ નકલી માલ બનાવવા અને જુગારના મામલે પકડાયો હતો. નકલી તંબાકુના રેકેટમાં તેની સાથે કોણ કોણ સામેલ છે તે જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. આ ઉપરાંત તેણે 22 દિવસમાં કોને કોને તંબાકુ વેચી તેની પણ તપાસ શરૂ કરી હતી.
એપેલેટ ટ્રિબ્યુનલે આઈસીઆઈસીઆઈ બેંકના ભૂતપૂર્વ સીઈઓ ચંદા કોચરને વિડીયોકોન ગુ્રપને રૂ.૩૦૦ કરોડની લોન મંજૂર કરવાના બદલામાં રૂ.૬૪ કરોડની લાંચ લેવા બદલ દોષિત ઠેરવ્યા છે. ૩, જુલાઈના રોજ આપેલા વિગતવાર આદેશમાં, ટ્રિબ્યુનલે ચૂકાદો આપ્યો હતો કે, ચૂકવણી કોચરના પતિ દીપક દ્વારા વિડીયોકોન સાથે સંકળાયેલી કંપની દ્વારા કરવામાં આવેલી ‘ક્વિડ પ્રો ક્વો’નો સ્પષ્ટ કેસ હતો.
અપીલકર્તાઓ (ઈડી) દ્વારા આપવામાં આવેલ ઈતિહાસનું વર્ણન અને સમર્થન પીએમએલએ કાયદાની કલમ ૫૦ હેઠળના નિવેદનોના સંદર્ભના પ્રકાશમાં પુરાવા દ્વારા કરવામાં આવ્યું છે, જે સ્વીકાર્ય છે અને જેના પર વિશ્વાસ કરી શકાય છે, એમ ટ્રિબ્યુનલે (એપેલેટ ટ્રિબ્યુનલ અન્ડર સ્મગલર્સ એન્ડ ફોરેન એક્સચેન્જ મેનીપ્યુલેટર્સ (ફોરફેચર ઓફ પ્રોપર્ટી) એક્ટ (એસએએફઆઈએમએ) જણાવ્યું હતું. ટ્રિબ્યુનલે એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ઈડી)ના કેસને સમર્થન આપ્યું છે અને ભારપૂર્વક જણાવ્યું છે કે, કોચરે તેમના હિતોના સંઘર્ષનો ખુલાસો કરવામાં નિષ્ફળ રહ્યા હતા અને લોન મંજૂરી આઈસીઆઈસીઆઈ બેંકની આંતરિક નીતિઓનું ઉલ્લંઘન કરે છે. ટ્રિબ્યુનલે કોચરને અગાઉ રૂ.૭૮ કરોડની સંપત્તિ જાહેર કરીને રાહત આપવા બદલ એડ્જ્યુડિકેટીંગ ઓથોરિટીની ટીકા કરી હતી.
ટ્રિબ્યુનલના જણાવ્યા મુજબ, આઈસીઆઈસીઆઈ બેંક દ્વારા રૂ.૩૦૦ કરોડની લોન વિતરિત થયાના એક દિવસ પછી, રૂ.૬૪ કરોડની ચૂકવણી વિડીયોકોનની એન્ટિટી એસઈપીએલમાંથી નુપાવર રિન્યુએબલ્સ પ્રાઈવેટ લિમિટેડ (એનઆરપીએલ)ને રૂટ કરવામાં આવી હતી, જે કંપની દિપક કોચર દ્વારા અસરકારકરીતે નિયંત્રિત હતી. જ્યારે એનઆરપીએલ કાગળ પર વિડીયોકોનના ચેરમેન વેણુગોપાલ ધૂતની માલિકીની હોવાનું દર્શાવવામાં આવ્યું હતું, ત્યારે ટ્રિબ્યુનલે ભારપૂર્વક જણાવ્યું હતું કે, કંપનીનું વાસ્તવિક નિયંત્રણ દિપક પાસે હતું, જેઓ તેના મેનેજિંગ ડિરેકટર તરીકે પણ સેવા આપી હતી.
આ આરોપો પુરાવા અને પીએમએલએ કાયદાની કલમ ૫૦ હેઠળ નોંધાયેલા નિવેદનો દ્વારા પુષ્ટિ મળે છે. ટ્રિબ્યુનલે નોંધ્યું હતું કે, નાણાના ટ્રેલને ક્વિડ પ્રો ક્વોનો સીધો પુરાવો જાહેર કર્યો હતો. ટ્રિબ્યુનલે ઉમેર્યું હતું કે, લોન મંજૂરી સમિતિના ભાગરૂપે સેવા આપતી વખતે, ચંદા કોચરે બેંકના હિતોના સંઘર્ષના નિયમોનું ઉલ્લંઘન કરીને, ઉધાર લેનાર સાથેના તેમના પતિના વ્યવસાયિક સંબંધો જાહેર કરવામાં નિષ્ફળ રહ્યા હતા.
એક કડક ટિપ્પણીમાં, અપીલ ટ્રિબ્યુનલે એડજ્યુડિકેટિંગ ઓથોરિટીના નવેમ્બર ૨૦૨૦ના નિર્ણયની ટીકા કરી છે, જેણે કોચર અને તેમના સહયોગીઓની ટાંચમાં લેવાયેલી સંપત્તિઓને મુક્ત કરવાની મંજૂરી આપી હતી. ન્યાયિક સત્તાવાળાએ મહત્વપૂર્ણ ભૌતિક તથ્યોને અવગણ્યા અને એવા તારણો કાઢ્યા જે રેકોર્ડનો વિરોધાભાસ કરે છે. જેથી અમે તેના તારણોને સમર્થન આપી શકતા નથી, એમ ટ્રિબ્યુનલે જણાવ્યું છે. ઈડીના વલણને સમર્થન આપતા, ટ્રિબ્યુનલે ઉમેર્યું કે, એજન્સીએ મજબૂત દસ્તાવેજી પુરાવા અને ઘટનાઓની સ્પષ્ટ સમયરેખાના આધારે સંપત્તિઓ વાજબી રીતે જપ્ત કરી હતી. જે તારણ કાઢે છે કે, સમગ્ર વ્યવહાર-લોન મંજૂર કરવી, ભંડોળનું ટ્રાન્સફર કરવું અને કોચરના પતિ દ્વારા નિયંત્રિત પેઢીમાં નાણાનું રૂટિંગ-સત્તાનો ગંભીર દુરૂપયોગ અને નૈતિક આચરણનો ભંગ દર્શાવે છે.
સુરતના સરથાણા વિસ્તારમાં ઝોન 1 એલસીબી અને સરથાણા પોલીસે સંયુક્ત ઓપરેશન પાર પાડીને ડુપ્લિકેટ સોનાના દાગીના બનાવતી એક મોટી ગેંગનો પર્દાફાશ કર્યો હતો. આ કાર્યવાહીમાં પોલીસે ૧૨ આરોપીની ધરપકડ કરી હતી અને બનાવટી સોનાના દાગીના બનાવવામાં વપરાતી સામગ્રી સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ઝડપાયેલા ૧૨ શખસ પૈકી ૫ અમરેલી જિલ્લાના, ૪ ભાવનગર જિલ્લાના, ૧ ગીર સોમનાથનો અને ૨ મહારાષ્ટ્રના હોવાની વિગતો મળી હતી.
પોલીસને મળેલી ગુપ્ત બાતમીના આધારે ઉતરાણ પોલીસ મથકની હદમાં આવેલા વેલંજાની રૂદ્રાક્ષ સોસાયટીમાં એક ઘરમાં ડુપ્લિકેટ સોનાના દાગીના બનાવવાનું કારખાનું ચલાવવામાં આવતું હતું. આ ગેંગ ચેઈનના માત્ર હુકમાં ૨૩ ટકા સોનું ઉમેરી દાગીના બનાવતી હતી અને તેના પર હોલમાર્કનો સિક્કો મારીને વેચાણ કરતી હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે આ કારખાનું છેલ્લા બે વર્ષથી કાર્યરત હતું.
આ સમગ્ર રેકેટનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે મુખ્ય આરોપી વિવેક વાઘેલા સહિતના આરોપીઓ યોગી ચોક ખાતે આવેલા શિવ મંદિર જ્વેલર્સમાં ડુપ્લિકેટ સોનાની ચેઇન વેચવા ગયા હતા. જ્વેલર્સના માલિકને સોનું ડુપ્લિકેટ હોવાનો ખ્યાલ આવતા તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. જોકે, આરોપી હરીશ ખટાણા અને વિમલ નામના બે આરોપીઓ ડુપ્લિકેટ સોનું આપીને ફરાર થઈ ગયા હતા.
સુરતના સરથાણા વિસ્તારમાં ઝોન 1 એલસીબી અને સરથાણા પોલીસે સંયુક્ત ઓપરેશન પાર પાડીને ડુપ્લિકેટ સોનાના દાગીના બનાવતી એક મોટી ગેંગનો પર્દાફાશ કર્યો હતો. આ કાર્યવાહીમાં પોલીસે ૧૨ આરોપીની ધરપકડ કરી હતી અને બનાવટી સોનાના દાગીના બનાવવામાં વપરાતી સામગ્રી સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ઝડપાયેલા ૧૨ શખસ પૈકી ૫ અમરેલી જિલ્લાના, ૪ ભાવનગર જિલ્લાના, ૧ ગીર સોમનાથનો અને ૨ મહારાષ્ટ્રના હોવાની વિગતો મળી હતી.
પોલીસને મળેલી ગુપ્ત બાતમીના આધારે ઉતરાણ પોલીસ મથકની હદમાં આવેલા વેલંજાની રૂદ્રાક્ષ સોસાયટીમાં એક ઘરમાં ડુપ્લિકેટ સોનાના દાગીના બનાવવાનું કારખાનું ચલાવવામાં આવતું હતું. આ ગેંગ ચેઈનના માત્ર હુકમાં ૨૩ ટકા સોનું ઉમેરી દાગીના બનાવતી હતી અને તેના પર હોલમાર્કનો સિક્કો મારીને વેચાણ કરતી હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે આ કારખાનું છેલ્લા બે વર્ષથી કાર્યરત હતું.
આ સમગ્ર રેકેટનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે મુખ્ય આરોપી વિવેક વાઘેલા સહિતના આરોપીઓ યોગી ચોક ખાતે આવેલા શિવ મંદિર જ્વેલર્સમાં ડુપ્લિકેટ સોનાની ચેઇન વેચવા ગયા હતા. જ્વેલર્સના માલિકને સોનું ડુપ્લિકેટ હોવાનો ખ્યાલ આવતા તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. જોકે, આરોપી હરીશ ખટાણા અને વિમલ નામના બે આરોપીઓ ડુપ્લિકેટ સોનું આપીને ફરાર થઈ ગયા હતા.
જ્વેલર્સના માલિકની ફરિયાદના આધારે પોલીસે અલગ અલગ ટીમ બનાવીને આરોપીઓ સુધી પહોંચી દરોડા પાડ્યા હતા. પોલીસે ઘટનાસ્થળ પરથી ચાર ચેઈન, ચેઈન બનાવવાનું મશીન, અને હોલમાર્કનો સિક્કો સહિતની સામગ્રી જપ્ત કરી છે. પોલીસે કુલ 12 આરોપીઓની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે અને આ મામલે ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. આ કૌભાંડમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે.
અભિનેતા ડિનો મોરિયા હાલમાં પોતાની ફિલ્મો માટે નહીં પરંતુ મુંબઈના બહુચર્ચિત મીઠી નદી કૌભાંડ મામલે ચર્ચામાં છે. તે આ કૌભાંડની તપાસમાં ફસાઈ રહ્યો છે. આ કેસમાં અભિનેતાના ભાઈ સેન્ટિનો મોરિયાનું નામ પણ સામેલ છે. કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ લગભગ એક ડઝન સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. EDના સૂત્રોએ જણાવ્યું કે, ડિનો મોરિયાના ભાઈ સેન્ટિનોને પૂછપરછ માટે સમન્સ પાઠવવામાં આવ્યું છે.
મુખ્ય આરોપીના કોલ રેકોર્ડ્સ પરથી અનેક લોકના નામ સામે આવ્યા
સૂત્રો પાસથી મળેલી માહિતી પ્રમાણે આ કૌભાંડમાં મુખ્ય આરોપીના કોલ રેકોર્ડ્સ પરથી અનેક લોકના નામ સામે આવ્યા છે. મીઠી નદી કૌભાંડના મુખ્ય આરોપી કેતન કદમના કોલ રેકોર્ડસની તપાસમાં ડિનો મોરિયાનું નામ સામે આવ્યું છે. આરોપ છે કે, મીઠી નદી કૌભાંડના આરોપી કેતન સાથે ડિનો મોરિયા અને તેના ભાઈ સેન્ટિનોએ ઘણી વખત ફોન કોલ પર વાતચીત થઈ છે.
ED પહેલાં મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખાની ટીમે અભિનેતા ડિનો મોરિયા અને તેના ભાઈ બંનેની પૂછપરછ કરી છે. બંનેને ગત અઠવાડિયે જ પૂછપરછ માટે બોલાવ્યા હતા.
વાસ્તવમાં મુંબઈ મહાનગરપાલિકાએ થોડા સમય પહેલા મીઠી નદીની સફાઈ કરાવી હતી. આ કૌભાંડ મુંબઈ મહાનગરપાલિકા દ્વારા મીઠી નદીની સફાઈમાં ઉપયોગમાં લેવાતા સ્લજ પુશર્સ અને ડ્રેજિંગ મશીનોની ખરીદી અને વેચાણ સાથે સંબંધિત છે. એવો આરોપ છે કે, આ મશીનો કોચી સ્થિત કંપની મેટપ્રોપ ટેકનિકલ સર્વિસીસ પ્રાઈવેટ લિમિટેડ પાસેથી ઊંચા ભાવે ભાડે લેવામાં આવ્યા હતા અને આમાં મોટી નાણાકીય ગેરરીતિઓ આચરવામાં આવી હતી. આ કેસમાં કેતન કદમ અને જય જોશી મુખ્ય આરોપી છે.
આ બંને પર મેટપ્રોપ કંપનીના અધિકારીઓ અને બીએમસીના સ્ટોર્મ વોટર ડ્રેનેજ વિભાગના અધિકારીઓની મિલીભગતથી કરોડો રૂપિયાનું કૌભાંડ કરવાનો આરોપ છે. કથિત રીતે મીઠી નદીના કથિત ડિસિલ્ટિંગ કૌભાંડમાં મ્યુનિસિપલ કોર્પોરેશનને 65.54 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે.
પહલગામમાં આતંકી હુમલા બાદ ગુજરાત સરકાર પણ એલર્ટ થઈ ગઇ છે ત્યારે વિવિધ વિસ્તારોમાંથી પાકિસ્તાનીઓને શોધી શોધીને તગેડી મૂકવામાં આવી રહ્યા છે ત્યારે અમદાવાદ અને સુરતથી એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. બંને મોટા શહેરોમાં દરોડા દરમિયાન શહેરમાંથી લગભગ 500થી વધુ શંકાસ્પદ બાંગ્લાદેશીઓ પકડાયાનો દાવો કરાયો છે જેમાં મહિલા અને પુરુષો બંને સામેલ છે. જેમાં અમદાવાદમાંથી 400થી વધુ જ્યારે સુરતમાંથી 100થી વધુ બાંગ્લાદેશીઓની અટકાયતના અહેવાલ મળી રહ્યા છે. આ લોકોના દસ્તાવેજોની ચકાસણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.
6 ટીમ બનાવીને તમામ શંકાસ્પદોની અટકાયત કરી લેવામાં આવી છે અને તેમના દસ્તાવેજોની ચકાસણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યાનુસાર સુરતના સચિન, ઉન, લાલગેટ અને લિંબાયત સહિતના અમુક વિસ્તારોમાં આ દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે પ્રાથમિક તપાસમાં એવો દાવો કર્યો હતો કે આ લોકો પાસે ભારત સરકાર દ્વારા માન્ય આધારકાર્ડ પણ મળી આવ્યા છે. જ્યારે અમદાવાદમાં ચંડોળા તળાવ વિસ્તારમાંથી 400થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી હતી જેમના શંકાસ્પદ બાંગ્લાદેશી હોવાની જાણકારી મળી રહી છે.
ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા તમામ રાજ્યોને આદેશ આપવામાં આવ્યો હતો કે 48 કલાકમાં તમામ પાકિસ્તાનીઓને વતન ભેગા કરવામાં આવે. જેના પર કાર્યવાહી કરતી વખતે જ પોલીસના હાથે આ બાંગ્લાદેશીઓ ચઢી ગયાનો દાવો કરાયો છે. રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી અગાઉ જ પાકિસ્તાની નાગરિકોને પણ અલ્ટીમેટમ આપી ચૂક્યા હતા. મળતી માહિતી અનુસાર અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વિદેશી ઘૂસણખોરો સામે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ક્રાઈમ બ્રાન્ચની સાથે સાથે આ તપાસમાં એસઓસી, ઈઓડબ્લ્યૂ અને ઝોન 6 હેડક્વાર્ટરની ટીમોએ કોમ્બિંગ હાથ ધર્યું હતું જેમાં 400 થી વધુ શંકાસ્પદ બાંગ્લાદેશીઓ ઝડપાયા હતા.
અમદાવાદમાં વિદેશથી એમડી ડ્રગ્સ, ચરસ અને ગાંજાની દાણચોરીની મોટી ઘટના બની છે અને રમકડાંની આડમાં આ કૃત્ય કરવામાં આવી રહ્યું હતું. અમદાવાદની ક્રાઈમ બ્રાન્ચે આ મામલે મોટી કાર્યવાહી કરતાં લગભગ 3.45 કરોડની કિંમતનો જથ્થો ઝડપી પાડ્યો હતો. વિદેશથી પાર્સલની આડમાં ઓનલાઇન મંગાવેલું ડ્રગ્સ ફોરેન પોસ્ટ ઓફિસથી ઝડપી પાડ્યું હતું. ઉલ્લેખનીય છે અગાઉ પણ ડાર્ક વેબ અને અલગ-અલગ વીપીએનની મદદથી ઓનલાઈન મંગાવવામાં આવતા ડ્રગ્સના જથ્થાને ઝડપી પાડવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર હોળી ધૂળેટીના તહેવારોના ટાળે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ડ્રગ્સનો મોટો જથ્થો પકડી પાડ્યો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે છેલ્લા કેટલાક સમયથી ડાર્ક વેબ અને અલગ અલગ વીપીએનને મદદથી વિદેશથી ઓનલાઇન ડ્રગ્સ મંગાવવામાં આવી રહ્યું છે. જેને લઇને ક્રાઇમ બ્રાન્ચ અને અન્ય એજન્સીઓ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી હતી. આ દરમિયાન ફોરેન પોસ્ટ ઓફિસમાં શંકાસ્પદ કુરિયર પહોંચ્યા હોવાની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી. જેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે રેડ પાડી તપાસ કરતાં આ કુરિયરમાં રમકડાંની આડમાં સંતાડેલું 3.45 કરોડનું ડ્રગ્સ મળી આવ્યું હતું.
આ ડ્રગ્સમાં ચરસ, હાઇબ્રીડ ગાંજો અને એમ.ડી. ડ્રગ્સ હોવાનું જાણવા મળ્યું છે. આ ડ્રગ્સનો જથ્થો થાઇલેન્ડ, કેનેડા અને યુએસએ જેવા દેશોમાંથી ઓર્ડર કરવામાં આવતા હોવાની શંકા છે. આ સમગ્ર મામલે ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી સમગ્ર રેકેટનો પર્દાફાશ કરવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ પાસેથી મળતી માહિતી પ્રમાણે, ઓનલાઈન આ ડ્રગ્સ મંગાવવામાં આવ્યું હતું. પરંતુ તેના રિસિવર અંગેની તપાસ ચાલી રહી છે. યુએસએ, કેનેડા અને થાઈલેન્ડ જેવા દેશોમાંથી ડાર્ક વેબથી આ ઓર્ડર કરવામાં આવ્યો હોવાની શક્યતા છે. જે સંદર્ભે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ તપાસ કરી રહી છે.
સુરતના પુણા કેનાલ રોડના રેડ એન્ડ વ્હાઈટ મલ્ટીમીડીયા એજ્યુકેશન ઉપરાંત ક્રીએટીવ ઇન્સ્ટીટ્યુટ અને એડીટેક ઇન્સ્ટીટ્યુટ ગેરકાયદેસર ચાલે છે તેવી રીલ્સ વાયરલ કરી બાદમાં પ્રેસ કોન્ફરન્સ કરી ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી રૂ.1 કરોડની ખંડણી માંગ્યા બાદ રૂ.60 લાખમાં પતાવટ કરવા તૈયાર થઈ રૂ.1.50 લાખ બળજબરીથી પડાવી બાકીની રકમ લેવા આવેલા એનએસયુઆઈના સુરત પ્રમુખ, ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ, બે કાર્યકર સહિત પાંચ સારોલી પોલીસના હાથે રંગેહાથ ઝડપાયા હતા.જયારે આ પ્રકરણમાં સામેલ બે ને સારોલી પોલીસે વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
મૂળ અમરેલી બગસરા ડેરી પિપરીયાના વતની અને સુરતમાં સરથાણા જકાતનાકા ડી માર્ટની પાછળ શાંતિનગર સોસાયટી વિભાગ 2 ઘર નં.145 માં રહેતા 35 વર્ષીય હસમુખભાઇ રમેશભાઇ રફાળીયા પુણા કેનાલ રોડ વનમાળી જંકશન નજીક શેલ આમંત્રણ રેસ્ટોરન્ટ પાસે રેડ એન્ડ વ્હાઈટ મલ્ટીમીડીયા એજ્યુકેશનના નામે વેબ ડિઝાઇનીંગ, વેબ ડેવલોપમેન્ટ, ગ્રાફીક્સ વિગેરે જેવા સ્કીલ કોર્સ કરાવે છે.ગત પહેલી જાન્યુઆરીના રોજ હસમુખભાઈ ઇન્સ્ટીટ્યુટ પર હાજર હતા ત્યારે ઈન્સ્ટાગ્રામમાં ગેરકાયદેસર ચાલતી પ્રાઈવેટ સ્ટડી સેન્ટરો અને સંલગ્ન યુનિવર્સીટીઓ સામે ફોજદારી ગુનો દાખલ કરવા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીના કુલપતિને રજુઆત કરવામાં આવી તેવી પોસ્ટ હતી.બીજા દિવસે તે જ ઈન્સ્ટાગ્રામ આઈડી ઉપર તેમનું ઇન્સ્ટીટ્યુટ બોગસ ડિગ્રી તો નથી આપતું તેમ કહી મિતેશ હડીયા સ્વર્ણીમ યુનિવર્સીટીના કોઈ વિદ્યાર્થી સાથે વાત કરતો હોય તેવો ઓડિયો મુકવામાં આવ્યો હતો.
તેના બે દિવસ બાદ હસમુખભાઈના ઇન્સ્ટીટ્યુટમાં મેનેજર લક્ષ્મણભાઈ પ્રજાપતિને અજાણ્યા નંબર પરથી વ્હોટ્સએપ કોલ આવ્યો હતો અને કોલ કરનારે પોતાની ઓળખ રવિ પુછડીયા તરીકે આપી તમારી સંસ્થાની પોસ્ટ મૂકી છે તે બાબતે સમજવું છે તેથી તમને મળવું છે તેવી વાત કરી હતી.ત્યાર બાદ રવિ અવારનવાર ફોન કરતો હતો અને તે સાથે તે જ ઈન્સ્ટાગ્રામ આઈડી ઉપર હસમુખભાઈની ઇન્સ્ટીટ્યુટ ઉપરાંત તેમના મિત્ર કેયુરભાઇ વરસડીયાની ક્રીએટીવ ડીઝાઇન એન્ડ મલ્ટીમીડીયા ઇન્સ્ટીટ્યુટ અને અન્ય મિત્ર ધવલભાઇ લુણાગરીયાની એડીટેક ઇન્સ્ટીટ્યુટ અંગે પણ તે બોગસ હોવાની પોસ્ટ મુકતા હતા.ત્યાર બાદ રવિ વતી અભિષેકે ફોન કરી જો આપણી મીટીંગ થાય તો અમે આ અંગે પ્રેસ કોન્ફરન્સ કરવાના છે તે નહીં કરીએ તેવી વાત કરી હતી.બાદમાં ફરી ફોન કરી તમે બોગસ ડિગ્રી વેચો છો તેવા ખોટા કેસમાં ફસાવી 10 વર્ષ જેલમાં રહેવાની સજા કરાવીશું તેવી ધમકી આપતા હસમુખભાઈ તેમની સાથે મિટિંગ કરવા તૈયાર થયા હતા.
13 જાન્યુઆરીની સાંજે રવિ અને અભિષેક હસમુખભાઈને મળવા સારોલી ઈંડા ગલી પાસે ઓર્બીટ ટાવર નજીક આવ્યા હતા.ત્યાં ત્રણેય સંસ્થા માટે પતાવટ કરવા તેમણે રૂ.1 કરોડની માંગણી કરી હતી.તે પછી પ્રિત ચાવડા, કિશોરસિંહ ડાભીએ ઉધનામાં મિટિંગ કરતા રકઝક બાદ તેઓ રૂ.60 લાખ લેવા તૈયાર થયા હતા.ત્યાર બાદ ધીરેન્દ્ર સોલંકી અને પ્રિત મળ્યા ત્યારે રૂ.1.50 લાખ તેમને આપ્યા હતા.ત્યાર બાદ બાકીના રૂ.58.50 લાખ માટે તેઓ સતત ફોન કરતા હોય હસમુખભાઈએ સારોલી પોલીસ મથકમાં અરજી કરી હતી.આથી પોલીસે ગતરોજ હસમુખભાઈના ઈન્સ્ટીટ્યુટની આગળ ક્રીકેટ બોક્સ બાજુ જવાની ગલી પાસે પ્રિત ચાવડા, રવિ પુછડીયા, મિતેશ હડીયા, ધીરેન્દ્ર સોલંકી અને તુષાર મકવાણા કાર ( નં.જીજે-36-આર-6618 ) માં આવ્યા અને હસમુખભાઈએ તેમને રૂ.5 લાખ ભરેલી બેગ આપી તે સમયે રવિએ બેગમાં રૂ.58.50 લાખ પુરા છે ને તેવું પૂછ્યું તે સાથે જ પોલીસે તેમને રંગેહાથ ઝડપી લીધા હતા.
સારોલી પોલીસે આ અંગે હસમુખભાઈની ફરિયાદના આધારે ખંડણીનો ગુનો નોંધી પાંચેયની ધરપકડ કરી તેમના બે સાથી અભીષેક ચૌહાણ અને કિશોરસિંહ ડાભીને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.આ સંદર્ભે યોજાયેલી પત્રકાર પરિષદમાં એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમે માહિતી આપતા જણાવ્યું હતું કે ખંડણી માંગતા ઝડપાયેલા એનએસયુઆઈના કાર્યકરો હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે.
ધીરેન્દ્રસિંહ સોલંકી આ પ્રકરણ ચાલતું હતું ત્યારે જ સુરત શહેર એનએસયુઆઈ પ્રમુખ બન્યો હતો
ત્રણ એજ્યુકેશન ઇન્સ્ટીટ્યુટને બદનામ કરી રૂ.1 કરોડની ખંડણી માંગતા પોલીસે જે પાંચની ધરપકડ કરી છે તેમાં એનએસયુઆઈના સુરત શહેર પ્રમુખ ધીરેન્દ્રસિંહ સોલંકી, ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ મિતેશ ધીરૂભાઈ હડીયા અને બે કાર્યકર રવિ રામજીભાઈ પુછડીયા અને પ્રિત વાઘેશભાઈ ચાવડાનો સમાવેશ થાય છે.તે પૈકી ધીરેન્દ્રસિંહ સોલંકી આ પ્રકરણ ચાલતું હતું ત્યારે જ 23 જાન્યુઆરીના રોજ સુરત શહેર એનએસયુઆઈ પ્રમુખ બન્યો હતો.
એનએસયુઆઈએ પ્રદેશ ઉપપ્રમુખ, સુરત પ્રમુખને સસ્પેન્ડ કર્યા : સભ્ય નથી તે તુષારને પણ સસ્પેન્ડ કરી ભાંગરો વાટ્યો
રૂ.1 કરોડની ખંડણી માંગવાના ગુનામાં ઝડપાતા એનએસયુઆઈના ગુજરાત પ્રદેશ પ્રભારી અંકુશ ભટનાગર અને પ્રદેશ અધ્યક્ષ નરેન્દ્ર સોલંકીએ પ્રદેશ ઉપપ્રમુખ મિતેશ હડીયા, સુરત પ્રમુખ ધીરેન્દ્રસિંહ સોલંકી, બે કાર્યકર રવિ પુછડીયા અને પ્રિત ચાવડાને એનએસયુઆઈમાંથી સસ્પેન્ડ કર્યા હતા.જોકે, જે સભ્ય નથી તે તુષાર મકવાણાને પણ સસ્પેન્ડ કરી ભાંગરો વાટ્યો હતો.
કોણ કોણ પકડાયું
(1) વ્યવસાયે ડોક્ટર મિતેશ ધીરૂભાઈ હડીયા ( ઉ.વ.26, રહે.ઘર નં.65, શીવપાર્ક સોસાયટી, ગીતાંજલી સ્કુલ પાસે, ગોડાદરા નહેર, ગોડાદરા, સુરત. મૂળ રહે.કાતર, તા.રાજુલા, જી.અમરેલી ) (2) ચા નાસ્તાની દુકાન ધરાવતો અને સાથે અભ્યાસ કરતો ધીરેન્દ્રસિંહ મહેંદ્રસિંહ સોલંકી ( ઉ.વ.28, રહે.804, અંબીકાનગર, ગુજરાત હાઉસીંગ બોર્ડ, સાયણ રોડ, અમરોલી, સુરત. મૂળ રહે.વાંકાબોરડી, તા.શહેરા, જી.પંચમહાલ ) (3) વિદ્યાર્થી રવિ રામજીભાઈ પુછડીયા ( ઉ.વ.28, રહે.એલ-103, સુમન સંગીની, મગોબ, સુરત. મૂળ રહે.જુનાપઢી, તા.કેશોદ, જી.જુનાગઢ ) (4) બેકાર પ્રિત વાઘેશભાઈ ચાવડા ઉ.વ-24 ધંધો-બેકાર રહે-બી/27, વશીકોલોની, ત્રણ રસ્તા પાસે, ઉધના, સુરત. મૂળ રહે.મહેન્દ્રનગર, મોરબી ) (5) એલઆઈસીમાં નોકરી કરતા તુષાર ગોપાલભાઈ મકવાણા ( ઉ.વ.31, રહે.સિધ્ધાર્થ સોસાયટી, ત્રાજપોર ચાર રસ્તા પાસે, મોરબી. મૂળ રહે.રાજપરા, જી.રાજકોટ )
કાર ચાલકે ડિવાઇડર કૂદાવી છ લોકોને અડફેટે લીધાં, બે ભાઈઓનું ઘટનાસ્થળે જ નિપજ્યું મોત
ગુજરાતના સુરતમાંથી અકસ્માતના ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. શુક્રવારે (7 ફેબ્રુઆરી) મોડી રાત્રે પૂરપાટ ઝડપે આવતા કારચાલકે કાર ડિવાઈડર કૂદાવીને એક બાદ એક છ વાહનોને અડફેટે લીધા હતાં. અકસ્માતમાં બે સગા ભાઈના મોતની ખબર સામે આવી રહી છે. જોકે, અન્ય ચાર લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
સુરતના આઉટર રિંગરોડ પર લસકાણા વાલક અબ્રામા બ્રિજ પર શુક્રવારે (8 ફેબ્રુઆરી) મોડી રાત્રે પૂરપાટ ઝડપે આવેલી કારના ચાલકે ગાડી પરથી કાબૂ ગુમાવ્યો હતો. બાદમાં પૂરપાટ ઝડપે આવતી આ ગાડી ડિવાઈડર કૂદાવી સામેના રોડમાં પહોંચી ગઈ હતી. આ દરમિયાન ગાડીએ સામેના રોડે આવતા કુલ પાંચ વાહનો સહિત છ લોકોને અડફેટે લીધા હતાં. જેમાં બે સગા ભાઈનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. આ સિવાય એક મહિલા સહિત ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હતાં. સમગ્ર મામલે આસપાસના લોકોએ એકત્રિત થઈ તાત્કાલિક ધોરણે તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. તમામ લોકો હાલ ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે.
મળતી માહિતી મુજબ, આ અકસ્માત એટલો ભયાનક હતો કે, ગાડીના આગળના ભાગ આખો તૂટી યો હતો. આ સિવાય ગાડી જે વાહન સાથે અથડાઈ હતી તેનો પણ ભૂકો બોલાઈ ગયો હતો. ગાડીનો નંબર GJ 05-RF-0317 નોંધવામાં આવ્યો હતો.
નોંધનીય છે કે, અકસ્માત દરમિયાન ગાડીમાં ચાર લોકો સવાર હતાં. જેમાંથી એક શખસને સ્થાનિકોએ ત્યારે જ પકડી લીધો હતો. જોકે, કાર ચાલક સહિત અન્ય બે ફરાર થઈ ગયાં હતાં. બાદમાં સ્થાનિકો દ્વારા જ સમગ્ર મામલે પોલીસને જાણ કરી આ શખસને પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો. હાલ, સમગ્ર મામલે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
સુરતના હજીરાથી ભાવનગરના ઘોઘા વચ્ચે ચાલતી રો-રો ફેરી મારફતે મોકલાતો દારૂ સ્ટેટ મોનીટરીંગ સેલે એક જ મહિનામાં બીજી વખત ઝડપી લીધો છે. સ્ટેટ મોનીટરીંગ સેલે હજીરા સ્થિત રો-રો ફેરીના પાર્કિંગમાં પાર્ક કરેલા આઇશર ટેમ્પોમાં લેમીનેશન કરી રાખેલા સ્ટીમ બોઈલરનું લેમીનેશન દૂર કરી અંદર તપાસ કરતા તેમાંથી 19.20 લાખ રૂપિયાની દારૂની 19,200 બોટલ મળી હતી.
સ્ટેટ મોનીટરીંગ સેલના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ, પીએસઆઈ વી.સી.જાડેજા અને ટીમે મળેલી બાતમીના આધારે હજીરા સ્થિત રો-રો ફેરીના પાર્કિંગમાં પાર્ક કરેલા આઇશર ટેમ્પોમાં લેમીનેશન કરી રાખેલા સ્ટીમ બોઈલરનું લેમીનેશન દૂર કરી અંદર તપાસ કરી હતી. તેમાંથી 19.20 લાખની દારૂની 19,200 બોટલ મળી આવી હતી. સ્ટેટ મોનીટરીંગ સેલે ટેમ્પો ચાલક હુસેન મહેબૂબ નદાફુ અને ટેમ્પો માલિક હીરાલાલ બાશા નદાફુને ઝડપી ધરપકડ કરી હતી. આ ઉપરાંત સ્ટેટ મોનીટરીંગ સેલે દારૂ, બોઈલર, ટેમ્પો, બે મોબાઈલ ફોન અને રોકડ મળી કુલ 36.09 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી ટેમ્પોના ચાલક અને માલિકની ધરપકડ કરી હતી.
આરોપીની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે,આ દારૂનો જથ્થો ગીર સોમનાથના વેરાવળ ખાતે એક વ્યક્તિને તેના મોબાઈલ નંબર ઉપર સંપર્ક કરીને આપવાનો હતો, બાદમાં આ જથ્થો સંભવતઃ જૂનાગઢ પહોંચાડવાનો હતો. આ રીતે દારૂ લઈ જવાની તેમની છઠ્ઠી ટ્રીપ હતી.
ઉલ્લેખનીય છે કે ગત સાતમી જાન્યુઆરીના રોજ સ્ટેટ મોનીટરીંગ સેલે રો-રો ફેરીમાં દમણથી જૂનાગઢ મોકલતો 26.63 લાખ રૂપિયાનો દારૂ ઝડપી પાડી બે વ્યક્તિની ધરપકડ કરી હતી. તેમની પણ તે બીજી ટ્રીપ હતી.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.