CIA ALERT

ક્રાઇમ Archives - CIA Live

December 2, 2025
image-2.png
1min17

કેન્દ્રીય નાણાં મંત્રીએ લોકસભામાં આપેલી માહિતી મુજબ, ભાગેડૂ આર્થિક અપરાધીઓ પાસેથી બાકી વસૂલાતની કુલ રકમમાં ₹ 26,645 કરોડની મુદ્દલ રકમ અને ₹ 31,437 કરોડના વ્યાજનો સમાવેશ થાય છે.

સંસદનું શિયાળુ સત્ર 1 ડિસેમ્બર, 2025થી શરૂ થઈ ગયું છે. સત્રના પહેલા દિવસે સંસદમાં જબરદસ્ત હોબાળો મચી ગયો હતો. આ દરમિયાન, સરકારના મંત્રીઓએ સાંસદો દ્વારા પૂછવામાં આવેલા ઘણા પ્રશ્નોના જવાબ પણ આપ્યા હતા. સંસદમાં મોદી સરકારે જણાવ્યું છે કે ‘ભાગેડુ આર્થિક અપરાધી’ જાહેર કરાયેલા 15 લોકો પર ભારતની જાહેર ક્ષેત્રની બેંકોના કુલ ₹ 58,082 કરોડના લેણા બાકી છે. આ માહિતી કેન્દ્રીય નાણાં મંત્રાલયે સોમવારે લોકસભામાં આપી હતી. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી આ રકમમાં 31 ઓક્ટોબર 2025 સુધીમાં ₹26,645 કરોડની મુદ્દલ રકમ અને ₹31,437 કરોડના વ્યાજનો સમાવેશ થાય છે.

ભાગેડુ આર્થિક અપરાધીઓની યાદીમાં વિજય માલ્યા, મેહુલ ચોક્સી અને નીરવ મોદી જેવા મોટા નામોનો સમાવેશ થાય છે, જેમને ભાગેડુ આર્થિક અપરાધી અધિનિયમ, 2018 (FEOA) હેઠળ FEO એટલે ભાગેડૂ આર્થિક અપરાધી જાહેર કરવામાં આવ્યા છે. 15 ભાગેડુઓ માંથી 9 જાહેર ક્ષેત્રની બેંકોના નાણાકીય છેતરપિંડી કેસમાં સંકળાયેલા છે. નાણાં રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ લોકસભામાં લેખિત જવાબમાં આ સંખ્યા અને બાકી રકમની પુષ્ટિ કરી છે.

અત્યાર સુધીમાં બેંકો આ ભાગેડુ આર્થિક અપરાધીઓ પાસેથી લગભગ 19,187 કરોડ રૂપિયા વસૂલ કરવામાં સક્ષમ છે. આનો અર્થ એ છે કે કુલ 58,082 કરોડ રૂપિયાના દાવામાંથી લગભગ 33% વસૂલ કરવામાં આવ્યા છે. 15 ભાગેડુઓ માંથી બે બેંકો સાથે વન ટાઇમ સેટલમેન્ટની વાટાઘાટો કરી ચૂક્યા છે. સરકાર સંપત્તિ જપ્ત કરવા, પ્રત્યાર્પણ કરવા અથવા બાકીની રકમ વસૂલવા માટે કાનૂની કાર્યવાહી કરવાનું ચાલુ રાખી રહી છે.

આરોપી ભાગેડુઓ દ્વારા કરવામાં આવેલા આ ડિફોલ્ટ જાહેર ક્ષેત્રની બેંકો અને નાણાકીય પ્રણાલી માટે એક મોટો પડકાર છે. 31 હજાર કરોડ રૂપિયાથી વધુનું મોટું વ્યાજ એ દર્શાવે છે કે જવાબદારીઓ કેટલી ઝડપથી વધી રહી છે. હકીકત એ છે કે અત્યાર સુધીમાં બાકી રકમનો માત્ર એક તૃતીયાંશ ભાગ જ વસૂલવામાં આવ્યો છે. આ આંકડા નાણાકીય ગુનાને કેવી રીતે રોકવા અને તેના પર કાર્યવાહી કરવી તે વિશે પણ ચિંતા કરી રહ્યા છે.

સંસદના શિયાળુ સત્રનો પ્રથમ દિવસ તોફાની હતો. વિપક્ષ એસઆઈઆર અને દિલ્હી બ્લાસ્ટ જેવા મુદ્દાઓ પર ચર્ચાની માંગ કરી રહ્યું છે, જ્યારે કેન્દ્ર સરકાર આ સત્રમાં 10 મહત્વપૂર્ણ બિલ લાવવાની તૈયારી કરી રહી છે. સરકાર પણ એક દિવસ માટે વંદે માતરમ પર ચર્ચા કરવા માંગે છે.

December 1, 2025
image.png
1min18

છોટા ઉદેપુર પોલીસે એમ્બ્યુલન્સ જેવી બનાવેલી મારુતિ વાનને અટકાવી અને સ્ટ્રેચર નીચે છુપાવેલી ભારતીય બનાવટની વિદેશી દારૂ (IMFL) ની 928 બોટલો જપ્ત કરી, જેમાં બુટલેગરો દ્વારા દારૂની હેરાફેરી કરવાનો વધુ એક કથિત પ્રયાસનો પર્દાફાશ થયો છે.

શુક્રવારે 28/11/25 છોટા ઉદેપુર જિલ્લા પોલીસે બુટલેગરો દ્વારા દારૂની હેરાફેરીનો નવો કિમીયો નિષ્ફળ બનાવ્યો છે. છોટા ઉદેપુર પોલીસે એમ્બ્યુલન્સ જેવી બનાવેલી મારુતિ વાનને અટકાવી અને સ્ટ્રેચર નીચે છુપાવેલી ભારતીય બનાવટની વિદેશી દારૂ (IMFL) ની 928 બોટલો જપ્ત કરી, જેમાં બુટલેગરો દ્વારા દારૂની હેરાફેરી કરવાનો વધુ એક કથિત પ્રયાસનો પર્દાફાશ થયો છે.

શુક્રવારે વહેલી સવારે સિહોદ જનતા ચોકડી પાસે ગુજરાત રજીસ્ટ્રેશન નંબર ધરાવતી મારુતિ વાનની રાહ જોતા પાવી જેતપુર પોલીસ સ્ટેશનના અધિકારીઓ રાહ જોઈ રહ્યા હતા. શંકાસ્પદ એમ્બ્યુલન્સ આવી, જેના પર ગુજરાત સરકાર અને 108 ઇમરજન્સી તેમજ અન્ય તબીબી પ્રતીકો લખેલા હતા. તેની બારીઓ લીલા રંગના હોસ્પિટલના પડદાથી ઢંકાયેલી હતી, પોલીસ અધિકારીઓએ ડ્રાઇવરને બાજુ પર રોકવાનો સંકેત આપ્યો. જોકે સૂચનાઓનું પાલન કરવાને બદલે ડ્રાઇવર પોલીસ ચેકપોસ્ટથી આગળ ભાગી ગયો, જેના પરિણામે પોલીસે ઝડપી ગતિએ પીછો કર્યો હતો.

એમ્બ્યુલન્સને રોકતા પોલીસે દર્દીઓ માટેના સ્ટ્રેચર નીચેથી 928 વિદેશી દારીની બોટલો મળી આવી અને તેને લીલા રંગના હોસ્પિટલના કપડાથી ઢાંકી દેવામાં આવી હતી. જોકે ડ્રાઈવર ઘટનાસ્થળેથી ભાગી જવામાં સફળ રહ્યો હતો.

હાલમાં પાવી જેતપુર પોલીસે ફરાર એમ્બ્યુલન્સ ચાલક અને આ દારૂના કન્સાઇનમેન્ટ પાછળ સંકળાયેલા મુખ્ય સૂત્રધારોને ઝડપી પાડવા માટે જુદી જુદી દિશાઓમાં ચક્રો ગતિમાન કર્યા છે. આ મામલે ગુનો નોંધીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

November 14, 2025
image-12.png
1min44

લાલ કિલ્લા નજીક દસમી નવેમ્બરના કાર વિસ્ફોટની તપાસનો ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે. આ વિસ્ફોટ તો એક ખતરનાક ષડયંત્રનો નાનો ભાગ હતો. આતંકવાદીઓનો મૂળ ઉદ્દેશ તો બાબરી મસ્જિદ ધ્વંસની વરસી એટલે છઠ્ઠી ડિસેમ્બરના દિલ્હી સહિત દેશમાં 32 કારમાં બોમ્બ મૂકીને શ્રેણીબદ્ધ વિસ્ફોટ કરવાનો હતો. બાબરી ધ્વંસનો બદલો લેવાની યોજના હતી. આ શ્રેણીબદ્ધ ધડાકા માટે બ્રેન્ઝા, સ્વિફ્ટ ડિઝાયર અને i20 જેવી 32 કારનો ઉપયોગ કરવાના હતા.

દસમી નવેમ્બરના i20 કારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તપાસ એજન્સીને અત્યાર સુધીમાં ચાર કાર મળી ચૂકી છે, જ્યારે કેન્દ્ર સરકારે પણ આ હુમલાને આતંકી માન્યો છે. એની વચ્ચે તપાસ એજન્સીએ તપાસ પણ વધુ સઘન બનાવવાના અહેવાલ વચ્ચે હરિયાણાના ખંદાવલી ગામમાં વધુ એક લાવારિસ કાર મળતા ખળભળાટ મચી ગયો છે, જ્યારે તેની તપાસ પણ એનએસજી કરી રહી છે.

સમગ્ર મોડ્યુલનું કેન્દ્ર ફરિદાબાદની અલ ફલાહ યુનિવર્સિટી બની હતી. આસિસ્ટંટ પ્રોફેસર ડોક્ટર મુઝમ્મિલ ગનીએ પોતાના રુમમાં વિસ્ફોટક જમા કર્યો હતો. 20 દિવસ પહેલા પડોશીઓએ પૂછ્યું ત્યારે તેને ચાલાકીથી ‘ખાતરની ગૂણી’ને કાશ્મીરથી લાવ્યા હોવાનું જણાવ્યું હતું. પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ પણ ચકાસવા માટે જપ્ત કર્યા છે, જ્યારે ધરપકડ કરવામાં આવેલા આઠ આરોપીમાંથી છ ડોક્ટર છે. શ્રીનગરનો અન્ય શંકાસ્પદ ડોક્ટર નિસાર ફરાર છે, જે ડોક્ટર્સ એસોસિયેશન ઓફ કાશ્મીરનો પ્રમુખ છે.

વિસ્ફોટનું ષડયંત્ર જાન્યુઆરીમાં રચ્યું હતું. ડોક્ટર મુઝમ્મિલ ગની અને ધમાકામાં માર્યા જનારા ઉમર અલી જાન્યુઆરીમાં લાલ કિલ્લાની રેકી કરી હતી. તેનો મુખ્ય પ્લાન છઠ્ઠી ડિસેમ્બરના હુમલો કરવાનો હતો, પરંતુ મુઝમ્મિલની ધરપકડે યોજનાને ઊંધી પાડી હતી. પોલીસે પચાસથી વધુ સીસીટીવી કેમેરા ઉમરની છેલ્લી મૂવમેન્ટ ટ્રેક કરી હતી. નવમી નવેમ્બરના રાતના ફરિદાબાદથી નીકળ્યા પછી નૂંહમાં રાતમાં વીતાવી, સવારે દિલ્હી આવ્યો અને બપોરના 3.19 વાગ્યે કાર લાલ કિલ્લા નજીક પાર્ક કરી હતી, જે સાંજના 6.52 વાગ્યા જબરદસ્ત ધમાકામાં નાશ થઈ હતી.

દસમી નવેમ્બરના લાલ કિલ્લાના વિસ્ફોટમાં તુર્કીયે કનેક્શન બહાર આવ્યું છે, જ્યાં ઉકાસા નામનો હેન્ડલર પોતાના સાગરિતોને નિર્દેશ આપી રહ્યો હતો. આ બધું કામ સેશન એપ પર ચેટ મારફત કર્યું હતું. સમગ્ર કેસની સુરક્ષા એજન્સી તપાસ કરી રહી છે ત્યારે બ્લાસ્ટના માસ્ટરમાઈન્ડ ઉમર અને શાહિનને કોઈ સાધારણ વ્યક્તિ ગાઈડ કરી રહ્યો નહોતો, પરંતુ તુર્કીયેમાં રહેલ હેન્ડલરના ઈશારે કામ કરતા હતા.

તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી ડોક્ટર ઉમર તુર્કીયે સ્થિત અંકારામાં બેઠેલા એક હેન્ડલરના સંપર્કમાં હતા, જેનું કોડનેમ ઉકાસા જાણવા મળ્યું છે. ફોરેન્સિક તપાસમાં મળેલી ચેટ હિસ્ટ્રી આ કનેક્શનને સૌથી મહત્ત્વની કડી માને છે, જેના આદેશ, ટાઈમિંગ અને ટાર્ગેટ પણ ત્યાંથી મળ્યા હોવાનું કહેવાય છે. આ હેન્ડલરનો કોન્ટેક્ટ JeM (જૈસ-એ-મોહમ્મદ) સાથે છે, જે વિદેશથી નિર્દેશ આપવાની સાથે આર્થિક અને વ્યૂહાત્મક મદદ કરતો હતો. જોકે, તુર્કીયે આ રિપોર્ટનો વિરોધ કર્યો છે, પરંતુ તપાસ એજન્સી તપાસ કરે છે.

તપાસમાં ઉમરના ફોન અને લેપટોપથી એન્ક્રિપ્ટેડ મેસેન્જર Sessionની ચેટ હિસ્ટ્રી મળી છે. એજન્સી માને છે કે આ એપ્લિકેશન મારફત ઉકાસા અને ઉમરની વચ્ચે નિયમિત સંપર્કમાં રહેતા હતા અને ઓપરેશન સંબંધમાં નિર્દેશ આપવામાં આવ્યા હતા. એન્ક્રિપ્ટેડ ચેટ વિદેશી હેન્ડલર્સ અને સ્થાનિક કાર્યકર્તાઓની વચ્ચે ગુપ્ત મેસેજનું આદાન-પ્રદાન કરે છે, જે તપાસને અવરોધે છે. ડિજિટલ પુરાવાની ડીક્રિપ્શન અને ટાઈમલાઈન આ બંને બાબત તપાસનો મુખ્ય ઉદ્દેશ છે.

તપાસમાં જાણવા મળ્યું છે કે આઠ શંકાસ્પદો દ્વારા ચાર અલગ અલગ શહેરમાં એક સાથે શ્રેણીબદ્ધ વિસ્ફોટ કરવાનું ષડયંત્ર રચ્યું હતું. પ્લાન અનુસાર નાની-નાની ટીમ દ્વારા અલગ અલગ લોકેશન પર જઈને આઈઈડી પ્લાન્ટ કરવા ઈચ્છતા હતા, જેથી વિનાશ સર્જાય. કહેવાય છે કે સૌથી મોટો હુમલો રોકવા માટે બારમી તારીખના એલર્ટ જારી કર્યું હતું. આ એલર્ટ અને ટાઈમલાઈનને કારણે તમામ એજન્સી સતર્ક હતી, જેનાથી મોટી જાનહાનિ ટળી ગઈ.

November 11, 2025
image-4.png
1min26

દિલ્હી લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પાસે 10/11/2025 સાંજે એક કારમાં બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટ બાદ અનેક કાર બળીને ખાક થઈ ગઈ હતી. દિલ્હી કાર બ્લાસ્ટમાં 11 લોકોના મોત થયાં છે, જ્યારે 30થી પણ વધારે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે.

આ સમગ્ર ઘટના અંગે અમિત શાહે કહ્યું કે, આજે સાંજે, લગભગ 7 વાગ્યાની આસપાસ, દિલ્હીના લાલ કિલ્લા નજીક સુભાષ માર્ગ ટ્રાફિક સિગ્નલ પર હ્યુન્ડાઇ i20 કારમાં વિસ્ફોટ થયો છે. આ વિસ્ફોટમાં કેટલાક રાહદારીઓ ઘાયલ થયા અને કેટલાક વાહનોને નુકસાન થયું છે. પ્રાથમિક અહેવાલો પ્રમાણે, કેટલાક લોકોએ જીવ ગુમાવ્યો છે. વિસ્ફોટની માહિતી મળ્યાના 10 મિનિટની અંદર દિલ્હી ક્રાઇમ બ્રાન્ચ અને દિલ્હી સ્પેશિયલ બ્રાન્ચની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. NSG અને NIA ટીમો, FSL સાથે, હવે સંપૂર્ણ તપાસ શરૂ કરી દીધી છે. નજીકના તમામ CCTV કેમેરાની તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

આ સમગ્ર બ્લાસ્ટ અંગે વડાપ્રધાન મોદીએ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સાથે ફોન પર વાત કરીને જાણકારી લીધી હતી. આ સાથે સાથે અમિત શાહ પણ આ ઘટના મામલે સતત પોલીસ અને સુરક્ષા અધિકારીઓ પાસેથી અપડેટ લઈ રહ્યાં છે. બ્લાસ્ટ બાદ સમગ્ર દિલ્હીમાં હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.

દિલ્હી વિસ્ફોટમાં સત્તાવાર રીતે 8 લોકોના મોત, પીએમ મોદીએ મૃતક પરિવારો પ્રત્યે સંવેદના વ્યકત કરી…

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી વિસ્ફોટ અંગે પ્રતિક્રિયા આપી છે. એક્સ પર પીએમ મોદીએ વિસ્ફોટમાં જીવ ગુમાવનારાઓના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી. તેમણે કહ્યું, સત્તાવાળાઓ વિસ્ફોટથી પ્રભાવિત લોકોને સહાય પૂરી પાડી રહ્યા છે.

ગૃહમંત્રી અમિત શાહે અન્ય અધિકારીઓ સાથે પરિસ્થિતિની સમીક્ષા કરી છે. દિલ્હી વિસ્ફોટમાં અત્યાર સુધી સત્તાવાર રીતે 8 લોકોના મોત થયા છે. તેમજ મળતી માહિતી મુજબ એક પોલીસે એક શંકાસ્પદ વ્યકિતની અટકાયત પણ કરી છે.

અમિત શાહે દિલ્હીના બ્લાસ્ટ સ્થળની મુલાકાત લીધી

આ ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હોસ્પિટલમાં ઘાયલોને મળ્યા હતા. તેમજ તેની બાદ ઘટના સ્થળની પણ મુલાકાત લીધી હતી. આ સમગ્ર ઘટના અંગે અમિત શાહે કહ્યું કે, આજે સાંજે લગભગ 7 વાગ્યાની આસપાસ દિલ્હીના લાલ કિલ્લા નજીક સુભાષ માર્ગ ટ્રાફિક સિગ્નલ પર હ્યુન્ડાઇ i20 કારમાં વિસ્ફોટ થયો છે. આ વિસ્ફોટમાં કેટલાક રાહદારીઓ ઘાયલ થયા અને કેટલાક વાહનોને નુકસાન થયું છે. પ્રાથમિક અહેવાલો પ્રમાણે, કેટલાક લોકોએ જીવ ગુમાવ્યો છે.

દિલ્હી સ્પેશિયલ બ્રાન્ચની ટીમો ઘટનાસ્થળે પહોંચી

આ વિસ્ફોટની માહિતી મળ્યાના 10 મિનિટની અંદર દિલ્હી ક્રાઇમ બ્રાન્ચ અને દિલ્હી સ્પેશિયલ બ્રાન્ચની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. NSG અને NIA ટીમો, FSLસાથે, હવે સંપૂર્ણ તપાસ શરૂ કરી દીધી છે. નજીકના તમામ CCTV કેમેરાની તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

November 7, 2025
image-1.png
1min46

 એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. મહિલા રેન્જ ફોરેસ્ટ ઓફિસર તેમની કારમાંથી લોહી લુહાણ હાલતમાં મળી આવ્યા હતા. કારમાં તેમની સાથે તેમનો પુત્ર પણ હતો. આરએફઓને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સીટી સ્કેન કરતાં તેમના માથામાં ગોળી હોવાનું સામે આવ્યું હતું.

કામરેજના જોખા ગામે રહેતા સોનલબેન સોલંકી સુરત વન વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર તરીકે ફરજ બજાવે છે. તેણે 2020માં સુરત ખાતે આરટીઓ ઓફિસર તરીકે ફરજ બજાવતાં નિકુંજ ગોસ્વામી સાથે લગ્ન કર્યા હતા. છેલ્લા એકાદ વર્ષથી બંને વચ્ચે કોઈ કારણોસર તકરાર ચાલતી હતી. જેના કારણે આરએફઓ માતા-પિતા અને ભાઈ સાથે રહેતા હતા.

તાજેતરમાં તેઓ તેમની પર્સનલ કારની સફાઈ કરતા હતા ત્યારે પાછળના ભાગેથી જીપીએસ ચાલુ હાલતમાં મળ્યું હતું. જે અંગે તેમણે કામરેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ગુરુવારે સવારે સોનલ સોલંકી તેમના ચાર વર્ષના પુત્ર સાથે કામરેજ જવા નીકળ્યા હતા. આ સમયે જોખાથી કામરેજ જતાં રોડ પર ફાયરિંગ થતાં માથાના ભાગે ગોળી વાગી હતી અને તેમણે કારનું સંતુલન ગુમાવતા ઝાડ સાથે અથડાઈ હતી.

પોલીસે આ મામલે હાલ પરિવારજનોની પૂછપરછ કરીને બનાવનું કારણ જાણવા માટે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી. મહિલા આરએફઓને ગોળી વાગ્યાની ઘટના ટૉક ઓફ ધ ટાઉન બની હતી.

October 28, 2025
Cia_business_news-1280x936.jpg
1min4392

મિત્ર-પરીવાર સાથે સુરતથી બાયરોડ ઉદયપૂર જઇ રહેલા સુરતના ટેક્ષટાઇલ ઉદ્યોગપતિ અને ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રેસિડેન્ટ આશિષ ગુજરાતી પર ગઇ તા.26મી ઓક્ટોબરે ઉદયપુર હાઇ-વે પર લૂંટારાઓએ હુમલો કરીને સાડાત્રણ લાખથી વધુની માલમતાની લૂંટ ચલાવી હોવાની કેફિયત ખુદ આશિષ ગુજરાતીએ ટેલિફોનિક સંદેશાથી વ્યક્ત કરી હતી. આશિષ ગુજરાતીએ આ અંગે રાજસ્થાન પોલિસમાં ફરીયાદ દાખલ કરાવી છે.

ટેલિફોનિક વાતચીતમાં જાણિતા ટેક્ષટાઇલ ઉદ્યોગપતિ અને ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ આશિષ ગુજરાતીએ કહ્યું કે તેઓ તા.26મી ઓક્ટોબરે સવારે સુરતથી ઉદયપુર જવા માટે તેમની પત્ની અને મિત્ર પરીવાર સાથે ટોયોટા હાઇરાઇડર કારમાં નીકળ્યા હતા. રાત્રે સાડા અગિયારના સુમારે તેમણે ઉદયપુર હાઇ-વે પર રામદેવજી મંદિરની સામે પીપલી નજીક લઘુશંકા માટે કાર થોભાવી હતી. એ દરમિયાન બાઇક પર આવેલા ત્રણ વ્યક્તિઓએ આશિષ ગુજરાતી જ્યાં ઉભા હતા ત્યાં બાઇક ઉભી રાખીને આશિષ ગુજરાતી કંઇ સમજે એ પહેલા જ હુમલાખોરોએ આશિષ ગુજરાતીને તેમની પાસેના બધા રૂપિયા આપી દેવા હિન્દીભાષામાં ધમકી આપી હતી. આશિષ ગુજરાતી સ્વસ્થતા કેળવે એ પહેલા તો એક લુંટારાએ તેમનું પાકીટ અને અને ખિસ્સામાંથી રોકડા રૂપિયા લૂંટી લીધા હતા. આશિષ ગુજરાતીએ સ્વસ્થતા કેળવીને પ્રતિકાર કરવાની કોશિષ કરી હતી, એ દરમિયાન લૂંટારાઓ તેમની કાર પાસે પહોંચી ગયા અને તેમના પત્ની તથા કારમાં બેઠેલા બીજા મુસાફરોને ધમકી આપવા લાગ્યા કે જો તમે બધા પૈસા નહીં આપો તો તેઓ મને મારી નાંખશે. પ્રતિકાર કરતાં આશિષ ગુજરાતી પણ કાર પાસે પહોંચી જતા લૂંટારામાંથી એક લૂંટારાએ આશિષ ગુજરાતીના માથા પર લાકડાના ફટકાથી જોરદાર ફટકો મારતા તેમના માથામાંથી લોહી નીકળવા લાગ્યું હતી એ દરમિયાન લૂંટારાએ વધુ હુમલો કરીને આશિષ ગુજરાતીના હાથની આંગળીમાં પહેરેલી હીરાની વીંટી પણ લૂંટી લીધી હતી.

આ દરમિયાન આશિષ ગુજરાતીના પત્નીએ સમયસૂચકતા વાપરીને કાર રોડ પર આડી મૂકાવી દીધી જેથી પસાર થતાં અન્ય વાહનો ફરજિયાત ઉભા રહ્યા હતા અને એ જોઇને લૂંટારાઓ ભાગી છૂટ્યા હતા. એ પછી લોહી નીગળતી હાલતમાં આશિષ ગુજરાતીને અન્ય કારચાલકે ફર્સ્ટ એઇડ બોક્સ આપીને તેમના માથામાંથી નીકળતું લોહી બંધ કરાવ્યું હતું અને એ પછી સ્વસ્થતા કેળવીને આશિષ ગુજરાતીએ સમગ્ર ઘટનાની જાણ પોલિસને કરી હતી.

ચેમ્બરના પૂર્વ પ્રમુખ આશિષ ગુજરાતીએ આ અંગે રાજસ્થાન પોલિસને આપેલી ફરીયાદમાં તેમના પર હુમલો કરીને હુમલાખોરો રોકડા રૂ.15 હજાર, રૂ.3 લાખની કિંમતની હીરાની વીંટી ડેબિટ કાર્ડ અને ડ્રાઇવિંગ લાઇસન્સ વગેરે ધરાવતું પાકીટ વગેરેની માલમતા લૂંટી હોવાનું જણાવ્યું હતું.

September 29, 2025
image-31.png
1min73

દિલ્હીની એક ખાનગી સંસ્થામાં 17 વિદ્યાર્થિનીઓનું શોષણ કરવાના આરોપી અને બની બેઠેલા સ્વામી ચૈતન્યાનંદ સરસ્વતીની દિલ્હી પોલીસે ધરપકડ કરી હતી. વિદ્યાર્થિનીઓ દ્વારા ફરિયાદ દાખલ કરાવવામાં આવી તે બાદથી પોલીસ આ બાબાને શોધી રહી હતી, જોકે તે આગરાની એક હોટેલમાં છુપાયો હતો જ્યાંથી પોલીસે તેને ઝડપી પાડયો હતો અને કોર્ટમાં રજુ કર્યો હતો.
ચૈતન્યાનંદને દિલ્હીની કોર્ટે પાંચ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો હતો. ૬૨ વર્ષીય આ બાબાએ શૈક્ષણિક સંસ્થામાં અભ્યાસ કરતી ગરીબ વર્ગની અનેક વિદ્યાર્થિનીઓનો વોટ્સએપ દ્વારા સંપર્ક કર્યો હતો અને તેને શારીરિક સંબંધ બાંધવા માટે બળજબરી કરતો હતો. વિદ્યાર્થિનીઓને બદલામાં વિદેશ મોકલવાની લાલચ આપતો હતો. રોષે ભરાયેલી વિદ્યાર્થિનીઓએ આ બાબાની સામે પોલીસમાં જઇને ફરિયાદ કરી દીધી હતી. જે બાદથી પોલીસ તેને શોધી રહી હતી.

કોર્ટમાં જ્યારે બાબાને રજુ કરવામાં આવ્યો ત્યારે આ સમગ્ર મામલે નવા ખુલાસા થયા હતા, તપાસકર્તાઓએ કહ્યું હતું કે બાબાએ અનેક વિદ્યાર્થિનીઓને ધમકીઓ આપી હતી, વિદ્યાર્થિનીઓની અવર જવર પર નજર રાખવા સીસીટીવી કેમેરા લગાવાયા હતા, કેટલાક કેમેરા તો બાથરૂમ સુધી લગાવાયા હતા. બીજી તરફ બાબાના વકીલે દલીલ કરી હતી કે મને પરેશાન કરવા પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવી રહ્યો છે. જોકે ફરિયાદીના વકીલે દલીલ કરી હતી કે બાબાને કસ્ટડીમાં લેવો જરૂરી છે કેમ કે તેની પૂછપરછ કરવાની બાકી છે. બીજી તરફ બાબાને શોધવામાં પોલીસે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો, કેમ કે બાબા પોતાને પીએમઓ સાથે સંકળાયેલો હોવાનું જુઠ બોલીને બચાવતો ફરતો હતો, તેણે અત્યાર સુધીમાં અનેક સ્થળો બદલ્યા હતા. જોકે અંતે પોલીસે તેને આગરાની એક હોટેલમાંથી ઝડપી પાડયો હતો.

September 15, 2025
1min130

સુરત પોલીસે હાઈ-પ્રોફાઈલ સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. જહાંગીરપુરા વિસ્તારમાં આવેલી પાર્ક પેવેલિયન હોટેલમાં હાઈ-પ્રોફાઈલ સેક્સ રેકેટ ચાલતું હોવાની બાતમી મળતી પોલીસે રેડ પાડી હતી.

સુરત પોલીસે પાર્ક પેવેલિયન હોટેલમાંથી13 વિદેશી મહિલાઓ અને 9 પુરુષ સહિત કુલ 22 લોકોની અટકાયત કરી છે. પ્રાથમિક તપાસ પ્રમાણે આ હાઈ-પ્રોફાઇલ સેક્સ રેકેટ વોટ્સએપ દ્વારા ચાલતું હતું. પોલીસે રેડ પાડીને તેનો પર્દાફાશ કરી દીધો છે.

વિગતે વાત કરવામાં આવે તો, પોલીસ જ્યારે પાર્ક પેવેલિયન હોટેલના ચોથા માળે પહોંચી ત્યારે દરવાજો બંધ હતાં. જેથી પોલીસે લોક તોડી અંદર પ્રવેશ કર્યો હતો. અંદર 7 લોકો મળ્યા હતા. જેમાંથી મેનેજર તરીકે કામ કરતો રૂપેશ ઉર્ફે મેક્સી રમેશ મિશ્રાએ સ્વીકાર્યું કે, તે ગ્રાહકો પાસેથી રૂપિયા લઈને મહિલાઓને મોકલતો હતો.

આ સાથે સંજય હિંગડે, રાહુલ સોલંકી અને બિપીન ઉર્ફે બંટી બાબરીયા પણ આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સામેલ હોવાનું સામે હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું. આ રેકેટનો મુખ્ય સંચાલક વિજય મોહન કસ્તુરે હોવાનું ખુલ્યું છે, જે હોટલના ખર્ચા અને સ્ટાફના પગારનું સંચાલન કરતો હતો.

આ સમગ્ર કૌભાંડ મામલે જ્યારે રૂપેશ મિશ્રા સાથે પુછપરછ કરવામાં આવી ત્યારે તેણે ખુલાસો કર્યો હતો કે, એક ગ્રાહક પાસેથી મળતા 3,500 રૂપિયામાંથી 2,000 રૂપિયા કમિશન તરીકે રાખવામાં આવતા અને 1,500 રૂપિયા મહિલાઓને આપવામાં આવતા હતાં.

પોલીસે આ મામલે ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ 1956 તથા ભારતીય ન્યાય સંહિતા, 2023ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે હોટલના સંચાલકો અને ગ્રાહકો સહિત કુલ 9 આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે 13 વિદેશી મહિલાઓને વધુ પૂછપરછ પોલીસ સ્ટેશન મોકલવામાં આવી હતી.

September 10, 2025
image-20.png
1min115

ગુજરાતમાં મનરેગા, નલ સે જલ સહિત અન્ય સરકારી યોજના જાણે કમાણીની યોજના બની રહી છે. રાજનેતા અને અધિકારી ભેગા મળીને ભ્રષ્ટાચાર આચરી રહ્યાં છે છતાંય સરકાર-મંત્રી છેવાડાના માનવીને લાભ મળ્યો છે તેવા ગુણગાન ગાઈ રહ્યાં છે. ગુજરાત વિધાનસભામાં આ મુદ્દો ઉઠતાં ખુદ મંત્રીએ એ વાતનો સ્વીકાર કર્યો કે, મહીસાગર જિલ્લામાં નલ સે જલ યોજનામાં કૌભાંડ આચરવામાં આવ્યુ છે, જેમાં અત્યાર સુધીમાં 12 સરકારી કર્મચારીઓ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.

દાહોદ જિલ્લામાં મનરેગા કૌભાંડ આચરવામાં આવ્યું છે, જેમાં મંત્રી બચુ ખાબડના બંને દીકરાની સંડોવણી બહાર આવી છે. જોકે, આના કારણે સરકારની પ્રતિષ્ઠાનું ધોવાણ થયુ છે. મનરેગા યોજના પછી નલ સે જલ યોજનામાં પણ ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. મહીસાગરમાં આ યોજનામાં મોટાપાયે ગેરરીતિ આચરવામાં આવી છે. આ મામલે વિધાનસભામાં વિપક્ષે આરોપોની છડી વરસાવતાં મંત્રી કુંવરજી બાવળિયાએ એ વાતનો સ્વીકાર કર્યો કે, નલ સે જલ યોજનામાં ગોટાળો થયો છે.

ગૃહમાં વિપક્ષના નેતા ડૉ. તુષાર ચૌધરીએ સવાલ કર્યો કે, લેખિતમાં એવો જવાબ અપાયો છે કે, કોઈ ગેરરીતી થઇ નથી. સાચુ શું છે? ત્યારે મંત્રીએ કબૂલ્યું કે, નલ સે જલ યોજના મામલે ફરિયાદ મળતાં મહીસાગર જિલ્લાના 630 ગામોમાં તપાસ કરવામાં આવી ત્યારે ગેરરીતિ ધ્યાને આવી હતી. અત્યાર સુધીમાં 122 એજન્સી પાસેથી 2.97 કરોડની વસૂલાત કરાઈ છે. આ ઉપરાંત 43 પાણી સમિતિઓ પાસેથી નાણાંની રિકવરી કરવા આદેશ કરાયા છે અને 122 એજન્સીઓને ડીબોર્ડ કરાઈ છે.

એવો ખુલાસો થયો છે કે, તાલુકા પંચાયતના સભ્યોની પણ નલ સે જલ કાંભાડમાં સંડોવણી હોય શકે છે, તેથી આ મામલે પણ તપાસ કરવામાં આવી રહી છે. મનરેગા અને નલ સે જલ યોજનામાં ભાજપના મળતિયાઓએ જ ભ્રષ્ટાચાર આચર્યો છે તેવો વિપક્ષે આક્ષેપ કર્યો છે. અત્યાર સુધીમાં મહીસાગર જિલ્લામાં 714 ગામો પૈકી 680 ગામોમાં ઘરે-ઘરા નળ લગાવવાની કામગીરી કરાઈ રહી છે. જોકે, સરકારે દાવો કર્યો કે, જલ જીવન મિશન અંતર્ગત નલ સે જલ યોજના હેઠળ રાજ્યમાં કુલ 91 લાખ ઘરને નળ કનેક્શનથી જોડવામાં આવ્યાં છે.

September 5, 2025
image-7.png
2min106
પક્ષગંભીર ગુનાવાળા મંત્રીઓ
ભાજપ૮૮
કોંગ્રેસ૧૮
ડીએમકે૧૪
ટીએમસી૦૮
તેલુગુદેશમ૧૩
આમ આદમી૦૫
  • કેન્દ્રના 72માંથી 29 અને રાજ્ય સરકારોના 273 પ્રધાનો ‘ક્રિમિનલ’ : એડીઆર
  • કુલ 302 પ્રધાનોમાંથી 174 મંત્રી સામે ગંભીર ફોજદારી ગુનો ભાજપના 336માંથી 40 ટકા એટલે કે 136 મંત્રી ક્રિમિનલ
  • આંધ્રની તેલુગુદેશમના પાર્ટીના 96 ટકા મંત્રીઓ એટલે કે 23માંથી 22ની સામે ફોજદારી કેસ નોંધાયેલા છે

દેશના રાજકારણને અપરાધમુક્ત કરવાની વાતો ફક્ત વાતો જ લાગે છે, દેશનું રાજકારણ ગુનાખોરીથી મુક્ત થવાની સંભાવના સ્વપ્નવત લાગે તેવી વાત એડીઆર રિપોર્ટમાં આવી છે. એડીઆર રિપોર્ટ મુજબ દેશના કુલ ૪૭ ટકા પ્રધાનો એટલે કે લગભગ અડધો અડધ પ્રધાન સામે ફોજદારી કેસ ચાલી રહ્યા છે. આ સંજોગોમાં રાજકારણ ગુનામુક્ત તો ન થાય, પણ ગુનાયુક્ત થયું હોવાની જરૂર કહી શકાય.

એડીઆર (એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ) પણ ત્યારે આવ્યો છે જ્યારે સંસદમાં ત્રણ બિલ રજૂ કરવામાં આવ્યા છે જેમા વડાપ્રધાન, મુખ્યપ્રધાનો અને પ્રધાનોની ધરપકડ થાય કે પાંચ વર્ષ કે તેનાથી વધારે સમયની સજા માટેના ગંભીર ફોજદારી ગુના માટે સળંગ ૩૦ દિવસ સુધી અટકાયતમાં રાખવામાં આવે તો તેમણે હોદ્દા પરથી રાજીનામુ આપવું પડશે. એડીઆરે આ માટે દેશની કુલ ૨૭ વિધાનસભા, ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશો અને કેન્દ્રીય કેબિનેટ પ્રધાનોના કુલ ૬૪૩ સોગંદનામાની ચકાસણી કરી હતી, તેમા તેણે જોયું કે કુલ ૩૦૨ પ્રધાનો એટલે કે અડધોઅડધ કહેવાય તેટલા પ્રધાનોની સામે ફોજદારી કેસો હોવાનું જણાઈ આવ્યું હતું. આ ૩૦૨ પ્રધાનોમાં ૬૦ ટકાથી પણ વધારે એટલે કે ૧૭૪ પ્રધાનોની સામે તો ગંભીર ફોજદારી કેસ છે, એમ રિપોર્ટે જણાવ્યું હતું.

એડીઆર વિશ્લેષણ મુજબ ભાજપના કુલ ૩૩૬ પ્રધાનમાં ૪૦ ટકા એટલે કે ૧૩૬ પ્રધાનાએ તો પોતે જ તેમની સામે ફોજદારી કેસ હોવાનું જાહેર કર્યુ છે. તેમા ૨૬ ટકા એટલે કે ૮૮ પ્રધાનોની સામે ગંભીર ગુના છે.

કોંગ્રેસ ચાર રાજ્યોમાં સત્તામાં છે. તેના ૭૪ ટકા એટલે કે ૪૫ પ્રધાનોની સામે ફોજદારી કેસ છે. તેમા ૩૦ ટકા એટલે કે ૧૮ની સામે ગંભીર ગુના નોંધાયેલા છે.

આ ઉપરાંત ડીએમકેના કુલ ૩૧ પ્રધાનોમાંથી ૨૭ એટલે કે ૮૭ ટકા સામે ફોજદારી કેસ છે. જ્યારે ૪૫ ટકા એટલે કે ૧૪ની સામે ગંભીર ફોજદારી ગુના નોંધાયેલા છે. તૃણમૂલ કોંગ્રેસના ૩૩ ટકા એટલે કે ૪૦માંથી ૧૩ની સામે ફોજદારી કેસ નોંધાયેલા છે. તેમા ૨૦ ટકા એટલે કે ૮ની સામે ગંભીર ગુના છે.

તેલુગુદેશમ પાર્ટીમાં ગુનેગાર પ્રધાનોનું સૌથી ઊંચું પ્રમાણ છે. તેમા કુલ ૨૩ પ્રધાનોમાંથી ૨૨ પ્રધાનો સામે એટલે કે ૯૬ ટકા પ્રધાનો સામે ગુના નોંધાયેલા છે. તેમાથી ૫૭ ટકા એટલે કે ૧૩ પ્રધાનની સામે ગંભીર ગુના નોંધાયેલા છે. આમ આદમી પાર્ટી (આપ)ના પ્રધાનોમાં જોઈએ તો ૧૬માંથી ૧૧ એટલે કે ૬૯ ટકા પ્રધાનો સામે ફોજદારી કેસો છે. તેમાથી પાંચ એટલે કે ૩૧ ટકા સામે ગંભીર કેસો છે. હવે રાષ્ટ્રીય સ્તરે જોઈએ તો ૭૨ કેન્દ્રીય પ્રધાનોમાંથી ૪૦ ટકા એટલે કે ૨૯ પ્રધાનોએ તેમની સામે ફોજદારી કેસ હોવાનું સોગંદનામામાં જણાવ્યું છે.

રાજ્યોમાં જોઈએ તો કુલ ૧૧ વિધાનસભામાં આંધ્રપ્રદેશ, તમિલનાડુ, બિહાર, ઓડિશા, મહારાષ્ટ્ર, કર્ણાટક, પંજાબ, તેલંગણા, હિમાચલ પ્રદેશ અને પુડુચેરીના ૬૦ ટકાથી વધારે પ્રધાનોની સામે ફોજદારી કેસ છે. તેનાથી વિપરીત હરિયાણા, જમ્મુ-કાશ્મીર, નાગાલેન્ડ અને ઉત્તરાખંડના પ્રધાનોની સામે કોઈ ફોજદારી કેસ જ નોંધાયા નથી.

પ્રધાનો- ક્રિમિનલ કેસ

દેશના કુલ પ્રધાન ૬૪૩

ફોજદારી કેસ ૩૦૨

ભાજપના પ્રધાન ૧૩૬

કોંગ્રેસના પ્રધાન ૦૪૫

ડીએમકેના પ્રધાન ૦૩૧

ટીએમસીના મંત્રી ૦૧૩

તેલુગુદેશમ મંત્રી ૦૨૨

આપના પ્રધાન ૦૧૧

કેન્દ્રીય પ્રધાન ૦૨૯