CIA ALERT

ક્રાઇમ Archives - CIA Live

January 6, 2026
image-3.png
1min11

સુરેન્દ્રનગર જિલ્લામાં 1500 કરોડના જમીન એનએ (બિનખેતી) કરાવવાનું કૌભાંડ રાજ્યભરમાં ચર્ચાનો વિષય બન્યું છે. આ કૌભાંડ મામલે 4 જાન્યુઆરીના રોજ સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્રકુમાર પટેલને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યાં હતા. આજ રોજ આ સમગ્ર મામલાની તપાસ કરવા એસીબી દ્વારા ડીવાયએસપી અને પીઆઇ સહિતના છ અધિકારીઓની એસઆઈટીની રચના કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલાં 2 જાન્યુઆરીની સવારે ઈડીએ સુરેન્દ્રનગર જિલ્લાના તત્કાલીન કલેકટર રાજેન્દ્રકુમાર પટેલની તેમના બંગલામાંથી જ ધરપકડ કરી હતી. ઈડીની પ્રાથમિક તપાસમાં 10 કરોડથી વધુ રૂપિયાની લાંચ લેવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું. છેલ્લા લગભગ 7 વર્ષમાં ગુજરાતમાં અલગ–અલગ જિલ્લાઓમાં ફરજ બજાવતા 6 આઈએએસ અધિકારીઓ સામે ભ્રષ્ટાચાર, લાંચ, જમીન કૌભાંડ, ટેન્ડર ગેરરીતિ અને નૈતિક અધ:પતન જેવા ગંભીર આરોપોના આધારે સસ્પેન્શન કરવામાં આવ્યા છે. ખાસ કરીને સુરત, આણંદ અને જુનાગઢ જેવા જિલ્લાઓમાં કલેક્ટર સ્તરના અધિકારીઓ સામે પગલાં લેવાતા વહીવટી તંત્રની વિશ્વસનીયતા પર સવાલ ઊભા થયા છે.

ગુજરાત એસીબીના એડિશનલ ડાયરેક્ટર બીપીન આહિરેની અધ્યક્ષતામાં ડેપ્યુટી ડાયરેક્ટર, ડીવાયએસપી અને પીઆઈ સહિત કુલ 6 લોકોની એસઆઇટી બનાવવામાં આવી છે. આરોપીઓ દ્વારા વસાવેલી અપ્રમાણસર મિલકત અને સુરેન્દ્રનગર એસીબી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના અંગેની ઝડપી અને નિષ્પક્ષ તપાસ માટે આ એસઆઇટીની રચના ગુજરાત એસીબીના વડા પિયુષ પટેલ દ્વારા કરવામાં આવી છે.

ઈડી દ્વારા કરવામાં આવેલી તપાસમાં 10 કરોડથી વધુ રૂપિયાની લાંચ લેવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું. જેથી રાજેન્દ્ર પટેલની ધરપકડ કરવામાં આવી અને અમદાવાદ કોર્ટમાં રજૂ કરી 10 દિવસના રિમાન્ડ માગ્યા હતા. જોકે, કોર્ટ દ્વારા 7 જાન્યુઆરી સુધીના રિમાન્ડ આપવામાં આવ્યાં હતા. આજે રાજેન્દ્ર પટેલને સસ્પેન્ડ પણ કરી દેવામા આવ્યાં હતાં. આ કેસમાં હજી તપાસ ચાલી રહી છે. ઈડી દ્વારા સતત તપાસ કરવામાં આવી રહી છે, જેથી આ 1500 કરોડના કૌભાંડમાં અન્ય પણ નામો ખુલે તેવી આશંકાઓ છે. હવે આ કેસની તપાસ કરવા માટે એસઆઈટીની રચના કરવામાં આવી છે.

December 23, 2025
image-23.png
1min44

અમદાવાદ ગ્રામ્ય એસ.ઓ.જી.એ ઉત્તરાયણ પહેલાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. સાણંદ, બાવળા, કોઠ અને આણંદમાં પાડવામાં આવેલા દરોડાના તાર છેક દાદરા નગર હવેલી સુધી પહોંચ્યા હતા. બાદમાં એસ.ઓ.જીની ટીમે દાદરા નગરમાં ધમધમતી ગેરકાયદે ચાઇનીઝ દોરી બનાવતી કંપનીને પણ ઝડપી પાડી છે. આ સમગ્ર કાર્યવાહી દરમિયાન પોલીસે કુલ 52,000 જેટલી પ્રતિબંધિત ફિરકીઓ અને મશિનરી સહિત કુલ 2.34 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.

આ ઓપરેશનની શરૂઆત વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં થયેલા દરોડાથી થઈ હતી. સાણંદના રણમલ ગઢ ગામના સીમમાંથી 7.48 લાખની 1872 રીલ સાથે ચાર શખસો, બાવળાની ફેક્ટરીમાંથી 12.91 લાખની 3864 ફિરકી સાથે એક શખસ અને કોઠ પાસે આઈસર ગાડીમાંથી 12.15 લાખના મુદ્દામાલ સાથે બે શખસોની ધરપકડ કરવામાં આવી હતી. આ ઉપરાંત, આણંદ ટાઉન પોલીસ સાથે મળીને 2.01 લાખની 672 ફિરકી પણ જપ્ત કરવામાં આવી હતી. આ તમામ આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું હતું કે પ્રતિબંધિત દોરીનો આ જથ્થો વાપીના વિરેનકુમાર બાબુભાઈ પટેલ દ્વારા મોકલવામાં આવતો હતો.

તપાસના અંતે SOGની ટીમે દાદરા નગર હવેલી ખાતે આવેલી ‘વંદના ઇન્ડસ્ટ્રીઝ’ પર દરોડો પાડ્યો હતો, જ્યાં ગેરકાયદે સિન્થેટિક (ચાઈનીઝ) દોરીનું ઉત્પાદન કરવામાં આવતું હતું. અહીંથી પોલીસે 1.50 કરોડની કિંમતની 43,192 રીલ અને 50 લાખની મશીનરી તથા રો-મટીરિયલ સીઝ કર્યું છે. આમ, અલગ-અલગ સ્થળોએથી કુલ 1.82 કરોડની કિંમતની 52,000 ફિરકીઓ અને વાહનો-મોબાઈલ સહિત કુલ 2.34 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે પ્રતિબંધિત દોરીના મસમોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.

December 15, 2025
image-11.png
1min43

ભાગનગરના કાળિયાબીડ વિસ્તારમાં ભક્તિનગર લીલા સર્કલ નજીકથી એક અત્યંત ચોંકાવનારી અને શરમજનક ઘટના સામે આવી છે. એક નિવૃત્ત અધિકારીએ તેમના પરિચિત પરિવારની બાળકી સાથે દુષ્કર્મ આચરતા માનવતા અને બાળ સુરક્ષા પર ગંભીર સવાલો ઊભા થયા છે. આ ઘટનાને પગલે શહેરભરમાં ભારે રોષ અને આક્રોશ વ્યાપી ગયો છે.

મળતી માહિતી અનુસાર, આરોપીની ઓળખ હસમુખ ઉર્ફે ઋષિ પંડ્યા તરીકે થઈ છે, જે ભાવનગરના બહુમાળી ભવન ખાતે જિલ્લા સહકારી મંડળીમાં ક્લાસ-ટુ અધિકારી તરીકે ફરજ બજાવી ચૂક્યા હતા અને હાલ નિવૃત્ત જીવન જીવતા હતા. આરોપી હસમુખ પંડ્યાએ સગીરાના ઓળખીતા પરિવાર સાથે સારો વ્યવહાર કેળવીને તેમનો સંપૂર્ણ વિશ્વાસ જીતી લીધો હતો.

બાળકીના માતા-પિતા નોકરી કરતા હોવાથી બાળકીને સ્કૂલેથી લાવવા-મૂકવા જવાનો સમય ન મળતો હોવાનો આરોપીએ લાભ લીધો હતો. આરોપીએ બાળકીને સ્કૂલેથી લાવવા-મૂકવાની તેમજ ઘરે રમવા મોકલવાની જવાબદારી સ્વીકારી હતી.

ફરિયાદ મુજબ, બનાવના દિવસે આરોપીના પત્ની અને અપરિણીત દીકરો કામથી ઘરેથી બહાર ગયા હતા. ઘરમાં કોઈ ન હોવાનો લાભ લઈને આરોપી હસમુખ પંડ્યાએ પોતાના ઘરે સગીર બાળકી સાથે આ ઘૃણાસ્પદ દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે સગીરાના પરિવારની ફરિયાદના આધારે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી હસમુખ ઉર્ફે ઋષિ પંડ્યાની અટકાયત કરી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાએ સમાજમાં મોટો આઘાત પેદા કર્યો છે.

December 8, 2025
image-5.png
1min51

ગોવાના અરપોરા વિસ્તારમાં આવેલા ‘બર્ચ બાય રોમિયો લેન’ નાઇટક્લબમાં શનિવારે 6/12/25 મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી, જેમાં 25 લોકોના મોત થયા હતા. મૃતકોમાં ચાર પ્રવાસી અને 14 કર્મચારીનો સમાવેશ થાય છે. છ લોકો ઘાયલ થયા છે અને તેમની હાલત સ્થિર છે. પણજીથી 25 કિમી દૂર અરપોરા ખાતે ‘બર્ચ બાય રોમિયો લેન’ નાઈટક્લબના ગ્રાઉન્ડ ફ્લોર પર ફસાઈ ગયા હોવાથી મોટા ભાગના લોકોના મૃત્યુ ગૂંગળામણને કારણે થયા હતા.

અગ્નિકાંડ મુદ્દે રાજ્યના મુખ્ય પ્રધાન પ્રમોદ સાવંતે કહ્યું છે કે ક્લબના ચીફ જનરલ મેનેજર રાજીવ મોદક, જનરલ મેનેજર વિવેક સિંહ, બાર મેનેજર રાજીવ સિંઘાનિયા અને ગેટ મેનેજર રિયાંશુ ઠાકુરની પોલીસે અટક કરી છે. આ તમામની વિરુદ્ધ બેદરકારી અને નિયમોના ઉલ્લંઘનનો આરોપ છે. ક્લબના માલિક સૌરભ લુથરા અને ગૌરવ લુથરાની સામે એફઆઈઆર નોંધ્યો છે, જ્યારે ક્લબના માલિકની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે, એમ પોલીસે જણાવ્યું હતું. રાજ્યમાં ગેરકાયદે ક્લબ અને કમર્શિયલનું ઓડિટ કરીને ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાઓને રોકવા માટે એસઓપી બનાવવામાં આવશે.

ક્લબને તોડવાની નોટિસ ઉચ્ચ અધિકારી દ્વારા રોકવામાં આવી હતી

બાંધકામ ગેરકાયદે હતું પરંતુ ક્લબને આપવામાં આવેલી તોડી પાડવાની નોટિસ ઉચ્ચ અધિકારી દ્વારા રોકવામાં આવી હતી. મુખ્ય પ્રધાન પ્રમોદ સાવંતે સલામતીના ધોરણોનું ઉલ્લંઘન છતાં તેને ચલાવવા દેનારા અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. રાજ્યના મુખ્ય સચિવ ડોક્ટર અને ડીજીપીને દોષી અધિકારીઓની ઓળખ કરીને તાત્કાલિક કાર્યવાહી કરવાનો નિર્દેશ કર્યો છે.

આ આગની તપાસ માટે રાજ્ય સરકારે એક વિશેષ કમિટી ગઠન કરી છે, જેમાં સાઉથ ગોવાના ક્લેક્ટર, ફાયર એન્ડ ઈમર્જન્સી સર્વિસીસના ડેપ્યુટી ડાયરેક્ટર અને ફોરેન્સિક ડાયરેક્ટરનો સમાવેશ કરવામાં આવ્યો છે. દરમિયાન આ આગની દુર્ઘટના મુદ્દે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સહિત અન્ય લોકોએ જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો હતો.

ઝારખંડના ગામના રહેવાસીઓએ મૃતદેહ ઘરે લઈ જવાની કરી માગણી

ગોવામાં નાઇટક્લબમાં લાગેલી ભીષણ આગનો ભોગ બનેલા લોકોના પરિજનો અને પરિચિતો આજે એક સરકારી હોસ્પિટલના શબઘરની બહાર એકઠા થઇને તેમના પ્રિયજનો વિશે માહિતી મેળવવા માટે આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા.

ઝારખંડના એક ગામના કેટલાક રહેવાસીઓએ જણાવ્યું કે તેઓ મૃતદેહો સ્વીકારશે નહીં અને નાઇટક્લબના માલિકને મૃતદેહો ઘરે પાછા લઇ જવાની વ્યવસ્થા કરવાની માંગ કરી હતી.

તેમણે વધુમાં કહ્યું કે તેમના પરિવારના ચાર સભ્યો ઉત્તર ગોવાના અરપોરામાં નાઇટક્લબમાં હેલ્પર અને રસોઇયા તરીકે કામ કરતા હતા. જ્યાં શનિવારની મધરાતે લાગેલી ભીષણ આગમાં ૨૫ લોકોના જીવ ગયા હતા. જ્યારે છ લોકો ઘાયલ થયા હતા.

ઝારખંડના મજૂરોનું એક ટોળું સવારથી પણજી પાસે ગોવા મેડિકલ કોલેજ અને હોસ્પિટલ(જીએમસીએચ)ના શબઘરની બહાર તેમના સંબંધીઓ વિશે માહિતી મેળવવા માટે રાહ જોઇને બેઠું હતું. ગોવા પોલીસના કર્મચારીઓ બર્ચ બાય રોમિયો લેન નાઇટક્લબમાં આગ લાગવાની દુઃખદ ઘટના બાદ શબઘરમાં રાખવામાં આવેલા મૃતદેહોની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જેમાંથી કેટલાક મૃતદેહો બળી ગયા હતા.

25 મૃતકમાં 14 સ્ટાફના સભ્યનો સમાવેશ, સાતની ઓળખ બાકી

પોલીસના જણાવ્યા અનુસાર મૃતકોમાં ૨૫ લોકોનો સમાવેશ થાય છે, જેમાં ચાર પ્રવાસીઓ અને ૧૪ સ્ટાફ સભ્યો સામેલ છે. જ્યારે બાકીના સાત લોકોની ઓળખ હજુ સુધી થઇ શકી નથી. અરપોરામાં એક જગ્યાએ સુરક્ષા ગાર્ડ તરીકે કામ કરતાં ઝારખંડના નંદલાલ નાગે જણાવ્યું કે આગમાં મૃત્યુ પામેલા લોકોમાં તેમના ગામના ચાર લોકો હોવાની આશંકા છે.

તેમણે વધુમાં કહ્યું કે ઝારખંડના મારા ગામમાંથી ચાર લોકો(પીડિતો) છે, જેમાંથી એક મારા ભાઇનો દીકરો છે. તે બધા નાઇટક્લબમાં હેલ્પર અને રસોઇયા તરીકે કામ કરતા હતા. નાગે જણાવ્યું કે પીડિતો પાંચ વર્ષ પહેલા ઝારખંડથી ગોવા આવ્યા હતા અને ત્યારથી વિવિધ હોટેલ અને નાઇટ ક્લબમાં કામ કરી રહ્યા હતા.

આગ લાગી ત્યારે ઓછામાં ઓછા 100 લોકો ફ્લોર પર હતા

રાજ્ય પોલીસે શરૂઆતમાં કહ્યું હતું કે આગ સિલિન્ડર બ્લાસ્ટને કારણે લાગી હતી, જ્યારે કેટલાક પ્રત્યક્ષદર્શીઓએ દાવો કર્યો હતો કે આગ ક્લબના પહેલા માળે લાગી હતી જ્યાં પ્રવાસીઓ ડાન્સ કરી રહ્યા હતા. હૈદરાબાદના પ્રવાસી ફાતિમા શેખે કે જ્યારે આગ લાગી ત્યારે ઓછામાં ઓછા 100 લોકો ડાન્સ ફ્લોર પર હતા અને બચવાના પ્રયાસમાં તેમાંથી કેટલાક નીચે રસોડામાં દોડી ગયા જ્યાં તેઓ સ્ટાફ સાથે ફસાઈ ગયા હતા. આગ લાગવાથી અચાનક હોબાળો મચી ગયો. અમે ક્લબની બહાર દોડી ગયા અને જોયું કે આખું માળખું આગમાં લપેટાયેલું હતું.” તેણીએ કહ્યું કે સપ્તાહના અંતે નાઈટક્લબ ખીચોખીચ ભરેલું હતું.

નદીના બેકવોટરમાં નાઈટક્લબ આવેલું છે, જેનો રસ્તો સાંકડો

નાઈટક્લબ અરપોરા નદીના બેકવોટરમાં આવેલું છે અને તેમાં પ્રવેશ અને બહાર નીકળવાનો રસ્તો સાંકડો છે. સાંકડી ગલીઓને કારણે ફાયર બ્રિગેડ માટે ક્લબમાં જવાનો કોઈ રસ્તો નહોતો અને તેમના ટેન્કરો સ્થળથી લગભગ 400 મીટર દૂર પાર્ક કરવા પડતા હતા. ફાયર અને ઇમરજન્સી સર્વિસીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે સાંકડી ગલીને કારણે સ્થળ સુધી પહોંચવું મુશ્કેલ બન્યું હતું, જેના કારણે આગ પર કાબૂ મેળવવો એક પડકારજનક કાર્ય બની ગયું હતું. તેમણે કહ્યું કે મોટા ભાગના મૃત્યુ ગૂંગળામણને કારણે થયા હતા કારણ કે પીડિતો ગ્રાઉન્ડ ફ્લોર પર ફસાયેલા રહ્યા હતા.

ક્લબના માલિકનો ભાગીદાર સાથે વિવાદ થતા ફરિયાદ કરી હતી

અરપોરા-નાગોઆ પંચાયતના સરપંચ રોશન રેડકરે જણાવ્યું હતું કે ક્લબ સૌરવ લુથરા ચલાવી રહ્યો હતો જેનો તેના ભાગીદાર સાથે વિવાદ હતો. તેમની વચ્ચે વિવાદ થયો હતો અને તેમણે એકબીજા વિરુદ્ધ પંચાયતમાં ફરિયાદ નોંધાવી હતી. અમે પરિસરનું નિરીક્ષણ કર્યું હતું અને જાણવા મળ્યું હતું કે તેમની પાસે ક્લબ બનાવવાની પરવાનગી નથી.” રેડકરે જણાવ્યું હતું કે પંચાયતે તોડી પાડવાની નોટિસ જાહેર કરી હતી, જેને પંચાયત નિયામક મંડળના અધિકારીઓએ સ્ટે આપ્યો હતો.

December 2, 2025
image-2.png
1min41

કેન્દ્રીય નાણાં મંત્રીએ લોકસભામાં આપેલી માહિતી મુજબ, ભાગેડૂ આર્થિક અપરાધીઓ પાસેથી બાકી વસૂલાતની કુલ રકમમાં ₹ 26,645 કરોડની મુદ્દલ રકમ અને ₹ 31,437 કરોડના વ્યાજનો સમાવેશ થાય છે.

સંસદનું શિયાળુ સત્ર 1 ડિસેમ્બર, 2025થી શરૂ થઈ ગયું છે. સત્રના પહેલા દિવસે સંસદમાં જબરદસ્ત હોબાળો મચી ગયો હતો. આ દરમિયાન, સરકારના મંત્રીઓએ સાંસદો દ્વારા પૂછવામાં આવેલા ઘણા પ્રશ્નોના જવાબ પણ આપ્યા હતા. સંસદમાં મોદી સરકારે જણાવ્યું છે કે ‘ભાગેડુ આર્થિક અપરાધી’ જાહેર કરાયેલા 15 લોકો પર ભારતની જાહેર ક્ષેત્રની બેંકોના કુલ ₹ 58,082 કરોડના લેણા બાકી છે. આ માહિતી કેન્દ્રીય નાણાં મંત્રાલયે સોમવારે લોકસભામાં આપી હતી. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી આ રકમમાં 31 ઓક્ટોબર 2025 સુધીમાં ₹26,645 કરોડની મુદ્દલ રકમ અને ₹31,437 કરોડના વ્યાજનો સમાવેશ થાય છે.

ભાગેડુ આર્થિક અપરાધીઓની યાદીમાં વિજય માલ્યા, મેહુલ ચોક્સી અને નીરવ મોદી જેવા મોટા નામોનો સમાવેશ થાય છે, જેમને ભાગેડુ આર્થિક અપરાધી અધિનિયમ, 2018 (FEOA) હેઠળ FEO એટલે ભાગેડૂ આર્થિક અપરાધી જાહેર કરવામાં આવ્યા છે. 15 ભાગેડુઓ માંથી 9 જાહેર ક્ષેત્રની બેંકોના નાણાકીય છેતરપિંડી કેસમાં સંકળાયેલા છે. નાણાં રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ લોકસભામાં લેખિત જવાબમાં આ સંખ્યા અને બાકી રકમની પુષ્ટિ કરી છે.

અત્યાર સુધીમાં બેંકો આ ભાગેડુ આર્થિક અપરાધીઓ પાસેથી લગભગ 19,187 કરોડ રૂપિયા વસૂલ કરવામાં સક્ષમ છે. આનો અર્થ એ છે કે કુલ 58,082 કરોડ રૂપિયાના દાવામાંથી લગભગ 33% વસૂલ કરવામાં આવ્યા છે. 15 ભાગેડુઓ માંથી બે બેંકો સાથે વન ટાઇમ સેટલમેન્ટની વાટાઘાટો કરી ચૂક્યા છે. સરકાર સંપત્તિ જપ્ત કરવા, પ્રત્યાર્પણ કરવા અથવા બાકીની રકમ વસૂલવા માટે કાનૂની કાર્યવાહી કરવાનું ચાલુ રાખી રહી છે.

આરોપી ભાગેડુઓ દ્વારા કરવામાં આવેલા આ ડિફોલ્ટ જાહેર ક્ષેત્રની બેંકો અને નાણાકીય પ્રણાલી માટે એક મોટો પડકાર છે. 31 હજાર કરોડ રૂપિયાથી વધુનું મોટું વ્યાજ એ દર્શાવે છે કે જવાબદારીઓ કેટલી ઝડપથી વધી રહી છે. હકીકત એ છે કે અત્યાર સુધીમાં બાકી રકમનો માત્ર એક તૃતીયાંશ ભાગ જ વસૂલવામાં આવ્યો છે. આ આંકડા નાણાકીય ગુનાને કેવી રીતે રોકવા અને તેના પર કાર્યવાહી કરવી તે વિશે પણ ચિંતા કરી રહ્યા છે.

સંસદના શિયાળુ સત્રનો પ્રથમ દિવસ તોફાની હતો. વિપક્ષ એસઆઈઆર અને દિલ્હી બ્લાસ્ટ જેવા મુદ્દાઓ પર ચર્ચાની માંગ કરી રહ્યું છે, જ્યારે કેન્દ્ર સરકાર આ સત્રમાં 10 મહત્વપૂર્ણ બિલ લાવવાની તૈયારી કરી રહી છે. સરકાર પણ એક દિવસ માટે વંદે માતરમ પર ચર્ચા કરવા માંગે છે.

December 1, 2025
image.png
1min35

છોટા ઉદેપુર પોલીસે એમ્બ્યુલન્સ જેવી બનાવેલી મારુતિ વાનને અટકાવી અને સ્ટ્રેચર નીચે છુપાવેલી ભારતીય બનાવટની વિદેશી દારૂ (IMFL) ની 928 બોટલો જપ્ત કરી, જેમાં બુટલેગરો દ્વારા દારૂની હેરાફેરી કરવાનો વધુ એક કથિત પ્રયાસનો પર્દાફાશ થયો છે.

શુક્રવારે 28/11/25 છોટા ઉદેપુર જિલ્લા પોલીસે બુટલેગરો દ્વારા દારૂની હેરાફેરીનો નવો કિમીયો નિષ્ફળ બનાવ્યો છે. છોટા ઉદેપુર પોલીસે એમ્બ્યુલન્સ જેવી બનાવેલી મારુતિ વાનને અટકાવી અને સ્ટ્રેચર નીચે છુપાવેલી ભારતીય બનાવટની વિદેશી દારૂ (IMFL) ની 928 બોટલો જપ્ત કરી, જેમાં બુટલેગરો દ્વારા દારૂની હેરાફેરી કરવાનો વધુ એક કથિત પ્રયાસનો પર્દાફાશ થયો છે.

શુક્રવારે વહેલી સવારે સિહોદ જનતા ચોકડી પાસે ગુજરાત રજીસ્ટ્રેશન નંબર ધરાવતી મારુતિ વાનની રાહ જોતા પાવી જેતપુર પોલીસ સ્ટેશનના અધિકારીઓ રાહ જોઈ રહ્યા હતા. શંકાસ્પદ એમ્બ્યુલન્સ આવી, જેના પર ગુજરાત સરકાર અને 108 ઇમરજન્સી તેમજ અન્ય તબીબી પ્રતીકો લખેલા હતા. તેની બારીઓ લીલા રંગના હોસ્પિટલના પડદાથી ઢંકાયેલી હતી, પોલીસ અધિકારીઓએ ડ્રાઇવરને બાજુ પર રોકવાનો સંકેત આપ્યો. જોકે સૂચનાઓનું પાલન કરવાને બદલે ડ્રાઇવર પોલીસ ચેકપોસ્ટથી આગળ ભાગી ગયો, જેના પરિણામે પોલીસે ઝડપી ગતિએ પીછો કર્યો હતો.

એમ્બ્યુલન્સને રોકતા પોલીસે દર્દીઓ માટેના સ્ટ્રેચર નીચેથી 928 વિદેશી દારીની બોટલો મળી આવી અને તેને લીલા રંગના હોસ્પિટલના કપડાથી ઢાંકી દેવામાં આવી હતી. જોકે ડ્રાઈવર ઘટનાસ્થળેથી ભાગી જવામાં સફળ રહ્યો હતો.

હાલમાં પાવી જેતપુર પોલીસે ફરાર એમ્બ્યુલન્સ ચાલક અને આ દારૂના કન્સાઇનમેન્ટ પાછળ સંકળાયેલા મુખ્ય સૂત્રધારોને ઝડપી પાડવા માટે જુદી જુદી દિશાઓમાં ચક્રો ગતિમાન કર્યા છે. આ મામલે ગુનો નોંધીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

November 14, 2025
image-12.png
1min80

લાલ કિલ્લા નજીક દસમી નવેમ્બરના કાર વિસ્ફોટની તપાસનો ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે. આ વિસ્ફોટ તો એક ખતરનાક ષડયંત્રનો નાનો ભાગ હતો. આતંકવાદીઓનો મૂળ ઉદ્દેશ તો બાબરી મસ્જિદ ધ્વંસની વરસી એટલે છઠ્ઠી ડિસેમ્બરના દિલ્હી સહિત દેશમાં 32 કારમાં બોમ્બ મૂકીને શ્રેણીબદ્ધ વિસ્ફોટ કરવાનો હતો. બાબરી ધ્વંસનો બદલો લેવાની યોજના હતી. આ શ્રેણીબદ્ધ ધડાકા માટે બ્રેન્ઝા, સ્વિફ્ટ ડિઝાયર અને i20 જેવી 32 કારનો ઉપયોગ કરવાના હતા.

દસમી નવેમ્બરના i20 કારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તપાસ એજન્સીને અત્યાર સુધીમાં ચાર કાર મળી ચૂકી છે, જ્યારે કેન્દ્ર સરકારે પણ આ હુમલાને આતંકી માન્યો છે. એની વચ્ચે તપાસ એજન્સીએ તપાસ પણ વધુ સઘન બનાવવાના અહેવાલ વચ્ચે હરિયાણાના ખંદાવલી ગામમાં વધુ એક લાવારિસ કાર મળતા ખળભળાટ મચી ગયો છે, જ્યારે તેની તપાસ પણ એનએસજી કરી રહી છે.

સમગ્ર મોડ્યુલનું કેન્દ્ર ફરિદાબાદની અલ ફલાહ યુનિવર્સિટી બની હતી. આસિસ્ટંટ પ્રોફેસર ડોક્ટર મુઝમ્મિલ ગનીએ પોતાના રુમમાં વિસ્ફોટક જમા કર્યો હતો. 20 દિવસ પહેલા પડોશીઓએ પૂછ્યું ત્યારે તેને ચાલાકીથી ‘ખાતરની ગૂણી’ને કાશ્મીરથી લાવ્યા હોવાનું જણાવ્યું હતું. પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ પણ ચકાસવા માટે જપ્ત કર્યા છે, જ્યારે ધરપકડ કરવામાં આવેલા આઠ આરોપીમાંથી છ ડોક્ટર છે. શ્રીનગરનો અન્ય શંકાસ્પદ ડોક્ટર નિસાર ફરાર છે, જે ડોક્ટર્સ એસોસિયેશન ઓફ કાશ્મીરનો પ્રમુખ છે.

વિસ્ફોટનું ષડયંત્ર જાન્યુઆરીમાં રચ્યું હતું. ડોક્ટર મુઝમ્મિલ ગની અને ધમાકામાં માર્યા જનારા ઉમર અલી જાન્યુઆરીમાં લાલ કિલ્લાની રેકી કરી હતી. તેનો મુખ્ય પ્લાન છઠ્ઠી ડિસેમ્બરના હુમલો કરવાનો હતો, પરંતુ મુઝમ્મિલની ધરપકડે યોજનાને ઊંધી પાડી હતી. પોલીસે પચાસથી વધુ સીસીટીવી કેમેરા ઉમરની છેલ્લી મૂવમેન્ટ ટ્રેક કરી હતી. નવમી નવેમ્બરના રાતના ફરિદાબાદથી નીકળ્યા પછી નૂંહમાં રાતમાં વીતાવી, સવારે દિલ્હી આવ્યો અને બપોરના 3.19 વાગ્યે કાર લાલ કિલ્લા નજીક પાર્ક કરી હતી, જે સાંજના 6.52 વાગ્યા જબરદસ્ત ધમાકામાં નાશ થઈ હતી.

દસમી નવેમ્બરના લાલ કિલ્લાના વિસ્ફોટમાં તુર્કીયે કનેક્શન બહાર આવ્યું છે, જ્યાં ઉકાસા નામનો હેન્ડલર પોતાના સાગરિતોને નિર્દેશ આપી રહ્યો હતો. આ બધું કામ સેશન એપ પર ચેટ મારફત કર્યું હતું. સમગ્ર કેસની સુરક્ષા એજન્સી તપાસ કરી રહી છે ત્યારે બ્લાસ્ટના માસ્ટરમાઈન્ડ ઉમર અને શાહિનને કોઈ સાધારણ વ્યક્તિ ગાઈડ કરી રહ્યો નહોતો, પરંતુ તુર્કીયેમાં રહેલ હેન્ડલરના ઈશારે કામ કરતા હતા.

તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી ડોક્ટર ઉમર તુર્કીયે સ્થિત અંકારામાં બેઠેલા એક હેન્ડલરના સંપર્કમાં હતા, જેનું કોડનેમ ઉકાસા જાણવા મળ્યું છે. ફોરેન્સિક તપાસમાં મળેલી ચેટ હિસ્ટ્રી આ કનેક્શનને સૌથી મહત્ત્વની કડી માને છે, જેના આદેશ, ટાઈમિંગ અને ટાર્ગેટ પણ ત્યાંથી મળ્યા હોવાનું કહેવાય છે. આ હેન્ડલરનો કોન્ટેક્ટ JeM (જૈસ-એ-મોહમ્મદ) સાથે છે, જે વિદેશથી નિર્દેશ આપવાની સાથે આર્થિક અને વ્યૂહાત્મક મદદ કરતો હતો. જોકે, તુર્કીયે આ રિપોર્ટનો વિરોધ કર્યો છે, પરંતુ તપાસ એજન્સી તપાસ કરે છે.

તપાસમાં ઉમરના ફોન અને લેપટોપથી એન્ક્રિપ્ટેડ મેસેન્જર Sessionની ચેટ હિસ્ટ્રી મળી છે. એજન્સી માને છે કે આ એપ્લિકેશન મારફત ઉકાસા અને ઉમરની વચ્ચે નિયમિત સંપર્કમાં રહેતા હતા અને ઓપરેશન સંબંધમાં નિર્દેશ આપવામાં આવ્યા હતા. એન્ક્રિપ્ટેડ ચેટ વિદેશી હેન્ડલર્સ અને સ્થાનિક કાર્યકર્તાઓની વચ્ચે ગુપ્ત મેસેજનું આદાન-પ્રદાન કરે છે, જે તપાસને અવરોધે છે. ડિજિટલ પુરાવાની ડીક્રિપ્શન અને ટાઈમલાઈન આ બંને બાબત તપાસનો મુખ્ય ઉદ્દેશ છે.

તપાસમાં જાણવા મળ્યું છે કે આઠ શંકાસ્પદો દ્વારા ચાર અલગ અલગ શહેરમાં એક સાથે શ્રેણીબદ્ધ વિસ્ફોટ કરવાનું ષડયંત્ર રચ્યું હતું. પ્લાન અનુસાર નાની-નાની ટીમ દ્વારા અલગ અલગ લોકેશન પર જઈને આઈઈડી પ્લાન્ટ કરવા ઈચ્છતા હતા, જેથી વિનાશ સર્જાય. કહેવાય છે કે સૌથી મોટો હુમલો રોકવા માટે બારમી તારીખના એલર્ટ જારી કર્યું હતું. આ એલર્ટ અને ટાઈમલાઈનને કારણે તમામ એજન્સી સતર્ક હતી, જેનાથી મોટી જાનહાનિ ટળી ગઈ.

November 11, 2025
image-4.png
1min55

દિલ્હી લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પાસે 10/11/2025 સાંજે એક કારમાં બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટ બાદ અનેક કાર બળીને ખાક થઈ ગઈ હતી. દિલ્હી કાર બ્લાસ્ટમાં 11 લોકોના મોત થયાં છે, જ્યારે 30થી પણ વધારે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે.

આ સમગ્ર ઘટના અંગે અમિત શાહે કહ્યું કે, આજે સાંજે, લગભગ 7 વાગ્યાની આસપાસ, દિલ્હીના લાલ કિલ્લા નજીક સુભાષ માર્ગ ટ્રાફિક સિગ્નલ પર હ્યુન્ડાઇ i20 કારમાં વિસ્ફોટ થયો છે. આ વિસ્ફોટમાં કેટલાક રાહદારીઓ ઘાયલ થયા અને કેટલાક વાહનોને નુકસાન થયું છે. પ્રાથમિક અહેવાલો પ્રમાણે, કેટલાક લોકોએ જીવ ગુમાવ્યો છે. વિસ્ફોટની માહિતી મળ્યાના 10 મિનિટની અંદર દિલ્હી ક્રાઇમ બ્રાન્ચ અને દિલ્હી સ્પેશિયલ બ્રાન્ચની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. NSG અને NIA ટીમો, FSL સાથે, હવે સંપૂર્ણ તપાસ શરૂ કરી દીધી છે. નજીકના તમામ CCTV કેમેરાની તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

આ સમગ્ર બ્લાસ્ટ અંગે વડાપ્રધાન મોદીએ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સાથે ફોન પર વાત કરીને જાણકારી લીધી હતી. આ સાથે સાથે અમિત શાહ પણ આ ઘટના મામલે સતત પોલીસ અને સુરક્ષા અધિકારીઓ પાસેથી અપડેટ લઈ રહ્યાં છે. બ્લાસ્ટ બાદ સમગ્ર દિલ્હીમાં હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.

દિલ્હી વિસ્ફોટમાં સત્તાવાર રીતે 8 લોકોના મોત, પીએમ મોદીએ મૃતક પરિવારો પ્રત્યે સંવેદના વ્યકત કરી…

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી વિસ્ફોટ અંગે પ્રતિક્રિયા આપી છે. એક્સ પર પીએમ મોદીએ વિસ્ફોટમાં જીવ ગુમાવનારાઓના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી. તેમણે કહ્યું, સત્તાવાળાઓ વિસ્ફોટથી પ્રભાવિત લોકોને સહાય પૂરી પાડી રહ્યા છે.

ગૃહમંત્રી અમિત શાહે અન્ય અધિકારીઓ સાથે પરિસ્થિતિની સમીક્ષા કરી છે. દિલ્હી વિસ્ફોટમાં અત્યાર સુધી સત્તાવાર રીતે 8 લોકોના મોત થયા છે. તેમજ મળતી માહિતી મુજબ એક પોલીસે એક શંકાસ્પદ વ્યકિતની અટકાયત પણ કરી છે.

અમિત શાહે દિલ્હીના બ્લાસ્ટ સ્થળની મુલાકાત લીધી

આ ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હોસ્પિટલમાં ઘાયલોને મળ્યા હતા. તેમજ તેની બાદ ઘટના સ્થળની પણ મુલાકાત લીધી હતી. આ સમગ્ર ઘટના અંગે અમિત શાહે કહ્યું કે, આજે સાંજે લગભગ 7 વાગ્યાની આસપાસ દિલ્હીના લાલ કિલ્લા નજીક સુભાષ માર્ગ ટ્રાફિક સિગ્નલ પર હ્યુન્ડાઇ i20 કારમાં વિસ્ફોટ થયો છે. આ વિસ્ફોટમાં કેટલાક રાહદારીઓ ઘાયલ થયા અને કેટલાક વાહનોને નુકસાન થયું છે. પ્રાથમિક અહેવાલો પ્રમાણે, કેટલાક લોકોએ જીવ ગુમાવ્યો છે.

દિલ્હી સ્પેશિયલ બ્રાન્ચની ટીમો ઘટનાસ્થળે પહોંચી

આ વિસ્ફોટની માહિતી મળ્યાના 10 મિનિટની અંદર દિલ્હી ક્રાઇમ બ્રાન્ચ અને દિલ્હી સ્પેશિયલ બ્રાન્ચની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. NSG અને NIA ટીમો, FSLસાથે, હવે સંપૂર્ણ તપાસ શરૂ કરી દીધી છે. નજીકના તમામ CCTV કેમેરાની તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

November 7, 2025
image-1.png
1min80

 એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. મહિલા રેન્જ ફોરેસ્ટ ઓફિસર તેમની કારમાંથી લોહી લુહાણ હાલતમાં મળી આવ્યા હતા. કારમાં તેમની સાથે તેમનો પુત્ર પણ હતો. આરએફઓને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સીટી સ્કેન કરતાં તેમના માથામાં ગોળી હોવાનું સામે આવ્યું હતું.

કામરેજના જોખા ગામે રહેતા સોનલબેન સોલંકી સુરત વન વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર તરીકે ફરજ બજાવે છે. તેણે 2020માં સુરત ખાતે આરટીઓ ઓફિસર તરીકે ફરજ બજાવતાં નિકુંજ ગોસ્વામી સાથે લગ્ન કર્યા હતા. છેલ્લા એકાદ વર્ષથી બંને વચ્ચે કોઈ કારણોસર તકરાર ચાલતી હતી. જેના કારણે આરએફઓ માતા-પિતા અને ભાઈ સાથે રહેતા હતા.

તાજેતરમાં તેઓ તેમની પર્સનલ કારની સફાઈ કરતા હતા ત્યારે પાછળના ભાગેથી જીપીએસ ચાલુ હાલતમાં મળ્યું હતું. જે અંગે તેમણે કામરેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ગુરુવારે સવારે સોનલ સોલંકી તેમના ચાર વર્ષના પુત્ર સાથે કામરેજ જવા નીકળ્યા હતા. આ સમયે જોખાથી કામરેજ જતાં રોડ પર ફાયરિંગ થતાં માથાના ભાગે ગોળી વાગી હતી અને તેમણે કારનું સંતુલન ગુમાવતા ઝાડ સાથે અથડાઈ હતી.

પોલીસે આ મામલે હાલ પરિવારજનોની પૂછપરછ કરીને બનાવનું કારણ જાણવા માટે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી. મહિલા આરએફઓને ગોળી વાગ્યાની ઘટના ટૉક ઓફ ધ ટાઉન બની હતી.

October 28, 2025
Cia_business_news-1280x936.jpg
1min4448

મિત્ર-પરીવાર સાથે સુરતથી બાયરોડ ઉદયપૂર જઇ રહેલા સુરતના ટેક્ષટાઇલ ઉદ્યોગપતિ અને ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રેસિડેન્ટ આશિષ ગુજરાતી પર ગઇ તા.26મી ઓક્ટોબરે ઉદયપુર હાઇ-વે પર લૂંટારાઓએ હુમલો કરીને સાડાત્રણ લાખથી વધુની માલમતાની લૂંટ ચલાવી હોવાની કેફિયત ખુદ આશિષ ગુજરાતીએ ટેલિફોનિક સંદેશાથી વ્યક્ત કરી હતી. આશિષ ગુજરાતીએ આ અંગે રાજસ્થાન પોલિસમાં ફરીયાદ દાખલ કરાવી છે.

ટેલિફોનિક વાતચીતમાં જાણિતા ટેક્ષટાઇલ ઉદ્યોગપતિ અને ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ આશિષ ગુજરાતીએ કહ્યું કે તેઓ તા.26મી ઓક્ટોબરે સવારે સુરતથી ઉદયપુર જવા માટે તેમની પત્ની અને મિત્ર પરીવાર સાથે ટોયોટા હાઇરાઇડર કારમાં નીકળ્યા હતા. રાત્રે સાડા અગિયારના સુમારે તેમણે ઉદયપુર હાઇ-વે પર રામદેવજી મંદિરની સામે પીપલી નજીક લઘુશંકા માટે કાર થોભાવી હતી. એ દરમિયાન બાઇક પર આવેલા ત્રણ વ્યક્તિઓએ આશિષ ગુજરાતી જ્યાં ઉભા હતા ત્યાં બાઇક ઉભી રાખીને આશિષ ગુજરાતી કંઇ સમજે એ પહેલા જ હુમલાખોરોએ આશિષ ગુજરાતીને તેમની પાસેના બધા રૂપિયા આપી દેવા હિન્દીભાષામાં ધમકી આપી હતી. આશિષ ગુજરાતી સ્વસ્થતા કેળવે એ પહેલા તો એક લુંટારાએ તેમનું પાકીટ અને અને ખિસ્સામાંથી રોકડા રૂપિયા લૂંટી લીધા હતા. આશિષ ગુજરાતીએ સ્વસ્થતા કેળવીને પ્રતિકાર કરવાની કોશિષ કરી હતી, એ દરમિયાન લૂંટારાઓ તેમની કાર પાસે પહોંચી ગયા અને તેમના પત્ની તથા કારમાં બેઠેલા બીજા મુસાફરોને ધમકી આપવા લાગ્યા કે જો તમે બધા પૈસા નહીં આપો તો તેઓ મને મારી નાંખશે. પ્રતિકાર કરતાં આશિષ ગુજરાતી પણ કાર પાસે પહોંચી જતા લૂંટારામાંથી એક લૂંટારાએ આશિષ ગુજરાતીના માથા પર લાકડાના ફટકાથી જોરદાર ફટકો મારતા તેમના માથામાંથી લોહી નીકળવા લાગ્યું હતી એ દરમિયાન લૂંટારાએ વધુ હુમલો કરીને આશિષ ગુજરાતીના હાથની આંગળીમાં પહેરેલી હીરાની વીંટી પણ લૂંટી લીધી હતી.

આ દરમિયાન આશિષ ગુજરાતીના પત્નીએ સમયસૂચકતા વાપરીને કાર રોડ પર આડી મૂકાવી દીધી જેથી પસાર થતાં અન્ય વાહનો ફરજિયાત ઉભા રહ્યા હતા અને એ જોઇને લૂંટારાઓ ભાગી છૂટ્યા હતા. એ પછી લોહી નીગળતી હાલતમાં આશિષ ગુજરાતીને અન્ય કારચાલકે ફર્સ્ટ એઇડ બોક્સ આપીને તેમના માથામાંથી નીકળતું લોહી બંધ કરાવ્યું હતું અને એ પછી સ્વસ્થતા કેળવીને આશિષ ગુજરાતીએ સમગ્ર ઘટનાની જાણ પોલિસને કરી હતી.

ચેમ્બરના પૂર્વ પ્રમુખ આશિષ ગુજરાતીએ આ અંગે રાજસ્થાન પોલિસને આપેલી ફરીયાદમાં તેમના પર હુમલો કરીને હુમલાખોરો રોકડા રૂ.15 હજાર, રૂ.3 લાખની કિંમતની હીરાની વીંટી ડેબિટ કાર્ડ અને ડ્રાઇવિંગ લાઇસન્સ વગેરે ધરાવતું પાકીટ વગેરેની માલમતા લૂંટી હોવાનું જણાવ્યું હતું.