બિઝનેસ Archives - Page 20 of 87 - CIA Live

May 8, 2022
lpg_cylinder.jpg
1min728

સરકારી ઓઈલ કંપનીઓએ માત્ર છ સપ્તાહમાં બીજી વખત ઘરેલુ રાંધણ ગેસના ભાવમાં પ્રતિ સિલિન્ડર રૂ. ૫૦નો વધારો કર્યો છે, જેને પગલે દેશના મોટાભાગના શહેરોમાં ૧૪.૨ કિલોના સબસિડી વગરના સિલિન્ડરની કિંમત રૂ. ૧,૦૦૦ને પાર થઈ ગઈ છે. ગુજરાતમાં પણ દોઢ મહિનામાં એલપીજી સિલિન્ડરનો ભાવમાં ૧૦૦ રૂપિયાનો વધારો થતાં કિંમત રૂ. ૧,૦૦૦ને પાર થયો છે. અગાઉ, ૧૯ કિલોના કોમર્શીયલ સિલિન્ડરના ભાવમાં રૂ. ૧૦૨.૫નો વધારો થતા કિંમત રૂ. ૨૩૫૫ને પાર થઈ હતી.

સરકારે ઘરેલુ રાંધણગેસ પરની સબસિડી પરોક્ષ રીતે ખતમ કરતા એલપીજીના ભાવ રૂ. ૧,૦૦૦ને પાર થઈ ગયા છે. એલપીજીના ભાવમાં વધારો  શનિવારથી અમલી કરાયો છે. આ વધારાના પગલે ગુજરાતમાં મોટાભાગના શહેરોમાં ૧૪.૨ કિલોના ઘરેલુ રાંધણ ગેસનો ભાવ રૂ. ૧,૦૦૦ને પાર થઈ ગયો છે. નવેમ્બર-૨૦૨૦માં કોરોના કાળ વખતે રાંધણગેસ બાટલાનો ભાવ રૂ.૬૦૦ હતો, જે જૂન-૨૦૨૧માં વધીને રૂ.૮૧૪ થયો હતો. પેટ્રોલ, ડીઝલ, એલપીજી સહિતની પેટ્રોલિયમ પેદાશોના ભાવમાં સામાન્ય રીતે દરેક મહિનાની પહેલી અને ૧૫મી તારીખે ભાવમાં ફેરફાર કરવામાં આવે છે. જોકે, માર્ચ ૨૦૨૨માં ૨૨મી તારીખે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારાની સાથે ઘરેલુ એલપીજીના ભાવમાં પણ રૂ.૫૦નો વધારો કરાયો હતો. ત્યાર પછી એપ્રિલમાં એલપીજીમાં કોઈ વધારો કરાયો નહોતો. હવે આજે તા.૭ મેની મધ્યરાત્રિથી ૫૦નો વધારો ઝીંકી દેવાયો છે. આમ, માત્ર દોઢ વર્ષના સમયમાં રાંધણગેસ રૂ.૬૦૦થી વધીને રૂ.૧૦૦૫ ઉપર થઈ ગયો છે. એટલે કે આ સમયમાં એલપીજીના ભાવમાં ૨૦૦ ટકાનો ભાવ વધારો થયો છે.

May 7, 2022
relience.png
1min639

ભારતની સૌથી મોટી ખાનગી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આજે માર્ચ ક્વાર્ટરના અને વિતેલ સમગ્ર નાણાંકીય વર્ષ 2021-22ના નાણાંકીય પરિણામ જાહેર કરવામાં આવ્યા છે. આ સાથે કંપનીના ડિરેક્ટર બોર્ડે 31મી માર્ચ, 2022ના રોજ સમાપ્ત થયેલા નાણાંકીય વર્ષ માટે રૂ.10ના પ્રત્યેક ઇક્વિટી શેર ઉપર રૂ.8ના ડિવિડન્ડની જાહેરાત કરી છે, જે કંપનીની વાર્ષિક સામાન્ય સભામાં સભાસદોની મંજૂરીને આધિન રહેશે.   

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો માર્ચ ક્વાર્ટરમાં કોન્સોલિડેટેડ ધોરણે ચોખ્ખો નફો વાર્ષિક તુલનાએ 20.2 ટકા વધીને રૂ. 18,021 કરોડ થયો છે. તો ગ્રોસ રેવન્યૂ 35.1 ટકની વૃદ્ધિમાં રૂ. 2,32,539 કરોડ નોંધાઇ છે. કંપનીને EBITDA 27.7 ટકા વધીને રૂ. 33,968 કરોડ થયો છે. ત્રિમાસિક દરમિયાન કંપનીની શેરદીઠ આવક 16.7 ટકા વધીને રૂ. 24 થઇ છે.

સ્ટેન્ડએલોન ધોરણે કંપનીનો ચોખ્ખો નફો 45.6 ટક ઉછળીને રૂ. 11,094 કરોડ અને ગ્રોસ રેવન્યૂ 54.3 ટકા વધીને રૂ. 1,40,061 કરોડ થઇ છે. 

31મી માર્ચે સમાપ્ત થયેલા નાણાંકીય વર્ષ 2021-22માં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો કોન્સોલિડેટેડ ધોરણે રૂ. 67,845 કરોડનો ચોખ્ખો નફો કર્યો છે જે વાર્ષિક તુલનાએ 26% વધારે છે. તેવ જ રીતે આવક 47 ટકા વધીને રૂ. 7,92,756 કરોડ થઇ છે. EBITDA 28.8% વધીને રૂ.  1,25,687 કરોડ થયો છે.

May 6, 2022
sensex_down.jpg
1min605

અમેરિકન બજારોમાં ગઈકાલે Dt 5/5/22 આવેલા આંચકાની અસર આજે 6/5/22 ભારતીય Share બજારમાં જોવા મળી હતી જેમાં સેન્સેક્સ (BSE Sensex) માં 1000 પોઈન્ટ અને Nifty50 માં 310 પોઇન્ટનો ઘટાડો થયો હતો. આજે 6/5/22 બજાર ખૂલતા જ નિફ્ટી અને સેન્સેક્સમાં 1.5 ટકાથી મોટો ઘટાડો આવ્યો હતો. સૌથી વધારે નુકસાન મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં જોવા મળ્યું હતું અને તેમાં 2.5 ટકા જેટલો ઘટાડો થયો હતો. આજે India VIX 4 ટકા વધીને 21.11 થયો હતો. એન્જલ વનના સમીત ચવાણે જણાવ્યું કે અમે હમણાં રોકાણ કરવાના બદલે સાઈડલાઈનમાં રહેશું અને બે-ત્રણ દિવસ સુધી સ્થિતિનો અભ્યાસ કરીશું.

At 11 am સેન્સેક્સ 54646 પર અને નિફ્ટી 16368 પર હતો. અમેરિકન બજારમાં ગઈકાલે 5/5/22, રાતે 3 ટકાનો કડાકો (US Market Crash) આવતા ભારતીય બજાર પણ ધ્રુજી ઉઠ્યું હતું.

વિશ્વભરની સેન્ટ્રલ બેન્કો વ્યાજના દર વધારી રહી છે તેથી દુનિયામાં ફુગાવાથી વિપરીત સ્થિતિ સ્ટેગફ્લેશન આવવાની બીક છે. વૃદ્ધિ નબળી હોવા છતાં ફુગાવાને અંકુશમાં રાખવા માટે રેટ વધારવામાં આવ્યા છે તેની બજાર પર માઠી અસર પડી છે.

ગુરુવારે Dt.5/5/22 બેન્ક ઓફ ઇંગ્લેન્ડે (Bank of England) ચેતવણી આપી હતી કે 2023માં યુકેના અર્થતંત્રમાં સંકોચન આવી શકે છે. ઇંગ્લેન્ડે 10 ટકાથી વધારે ફુગાવાની શક્યતા દર્શાવી છે.

એક દિવસ અગાઉ યુએસ ફેડે (US Fed) પોલિસી રેટમાં અડધા ટકાનો વધારો કર્યો હતો અને હજુ પણ રેટ વધારવામાં આવશે તેવા સંકેત આપ્યા હતા. છેલ્લા 22 વર્ષમાં યુએસમાં રેટમાં સૌથી મોટો વધારો થયો છે જ્યારે યુએસના GDPમાં 1.4 ટકાનો ઘટાડો થયો હતો. ભારતમાં પણ રિઝર્વ બેન્કે (RBI rate hike) પોલિસી રેટમાં 0.40 ટકાનો વધારો કર્યો છે અને કેશ રિઝર્વ રેશિયો પણ વધાર્યો છે.

May 5, 2022
rbi.png
1min539

ભારતીય રિઝર્વ બૅન્ક (આરબીઆઇ)ની આર્થિક નીતિ નક્કી કરતી સમિતિએ વ્યાજદર વધારવાની કરેલી જાહેરાતથી ઘર, વાહન અને અન્ય ચીજો પર લીધેલી લોનનો ઇએમઆઇ (ઇક્વેટેડ મંથલી ઇન્સ્ટોલમેન્ટ) વધી જશે.

બૅન્ચમાર્ક પૉલિસી રેટ (રેપો) તાત્કાલિક અમલથી ૪૦ બૅસિસ પૉઇન્ટ્સ વધારીને ૪.૪ ટકા કરાયો છે. પૉલિસી રેટમાં ૨૦૧૮ના ઑગસ્ટ બાદ કરાયેલા આ સૌપ્રથમ વધારાને લીધે વ્યક્તિગત અને કૉપૉર્રેટ્સ માટે લોન (કરજ) મોંઘી થશે. કૅશ રિઝર્વ રૅશિયો ૨૧ મેથી અમલમાં આવે એ રીતે પચાસ બૅસિસ પૉઇન્ટ્સ વધારીને ૪.૫ ટકા કરાયો હોવાથી બૅન્કોએ મધ્યવર્તી બૅન્કમાં વધુ નાણાં જમા કરાવવા પડશે.

આરબીઆઇના ગવર્નર શક્તિકાંતા દાસે વીડિયો સંદેશામાં સંબંધિત જાહેરાત કરી હતી. આ નિર્ણયને લીધે બૅન્કિંગ સિસ્ટમમાંની પ્રવાહિતા (લિક્વિડિટી)માંથી અંદાજે રૂપિયા ૮૭,૦૦૦ કરોડ ઘટવાની શક્યતા છે. તેમણે રિવર્સ રેપો રેટનો કોઇ ઉલ્લેખ નહિ કર્યો હોવાથી તે યથાવત્ (૩.૫ ટકા) રખાયો હોવાનું મનાય છે. સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટી રેટ હવે ૪.૧૫ ટકા અને માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી રેટ તેમ જ બૅન્ક રેટ ૪.૬૫ ટકા રહેશે.

આર્થિક નીતિને લગતી સમિતિએ ફુગાવાને કાબૂમાં લેવા અને વિકાસને વેગ આપવા બીજીથી ચોથી મે સુધી યોજેલી બેઠક બાદ સંબંધિત નિર્ણય જાહેર કરાયો હતો. ભારતીય રિઝર્વ બૅન્કની આર્થિક નીતિ નક્કી કરતી સમિતિની આગામી બેઠક છઠ્ઠીથી આઠમી જૂન સુધી યોજાશે અને તે વખતે પણ રેપો રેટ ઓછામાં ઓછો પચીસ બેસિસ પૉઇન્ટ વધવાની આશા રખાય છે.

રિઝર્વ બૅન્કે આંતરરાષ્ટ્રીય સમસ્યાને ધ્યાનમાં રાખીને ફુગાવાનો દર ઊંચો રહેવાનો ભય વ્યક્ત કર્યો હતો. ખાતર અને ખેતી માટેની અન્ય સામગ્રીમાંના ભાવવધારાને લીધે દેશમાં ખાદ્યાન્નની કિંમત પર સીધી માઠી અસર થશે. ઘઉંની વિશ્ર્વભરમાં ઊભી થયેલી અછતને લીધે સ્થાનિક બજારમાં પણ ઘઉંના ભાવ ઊંચા રહેવાની શક્યતા. (એજન્સી)

રિઝર્વ બૅન્કની નીતિના મુખ્ય મુદ્દા

  • ભારતીય રિઝર્વ બૅન્ક (આરબીઆઇ)ની આર્થિક નીતિ નક્કી કરતી સમિતિએ ત્રણ દિવસની બેઠકને અંતે જાહેર કરેલા નિર્ણયના મુખ્ય મુદ્દા નીચે મુજબ છે:
  • બૅન્ચમાર્ક પૉલિસી રેટ (રેપો) તાત્કાલિક અમલથી ૪૦ બૅસિસ પૉઇન્ટ્સ વધારીને ૪.૪ ટકા કરાયો.
  • પૉલિસી રેટમાં ૨૦૧૮ના ઑગસ્ટ બાદ કરાયેલા આ સૌપ્રથમ વધારાને લીધે વ્યક્તિગત અને કૉપૉર્રેટ્સ માટે લૉન (કરજ) મોંઘી થશે.
  • કૅશ રિઝર્વ રૅશિયો ૨૧ મેથી અમલમાં આવે એ રીતે પચાસ બૅસિસ પૉઇન્ટ્સ વધારીને ૪.૫ ટકા કરાયો.
  • આર્થિક નીતિને લગતી સમિતિએ ફુગાવાને કાબૂમાં લેવા અને વિકાસને વેગ આપવા બીજીથી ચોથી મે સુધી યોજેલી બેઠક બાદ સંબંધિત નિર્ણય જાહેર કરાયો.
  • ફુગાવાનો દર ઊંચો રહેવાની ભીતિ.
  • ખાતર અને ખેતી માટેની અન્ય સામગ્રીમાંના ભાવવધારાને લીધે દેશમાં ખાદ્યાન્નની કિંમત પર સીધી માઠી અસર થશે.
  • ઘઉંની વિશ્ર્વભરમાં ઊભી થયેલી અછતને લીધે સ્થાનિક બજારમાં પણ ઘઉંના ભાવ ઊંચા રહેવાની શક્યતા.
  • ભારતીય રિઝર્વ બૅન્કની આર્થિક નીતિ નક્કી કરતી સમિતિની આગામી બેઠક છઠ્ઠીથી આઠમી જૂન સુધી યોજાશે.
May 3, 2022
Telegram.png
1min712

ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ ટેલિગ્રામે એક નવું ફીચર શરૂ કર્યું છે. નવા ફીચરથી હવે યુઝર્સ મેસેજિંગ એપથી જ ક્રિપ્ટો પેમેન્ટ પણ કરી શકશે. 

Telegram Drops TON Cryptocurrency Project After US Prohibits Global  Distribution – Bitcoin News

આ નવી સર્વિસિસ સાથે યુઝર્સ અન્ય ટેલિગ્રામ યુઝર્સોને ટેલિગ્રામની જ ક્રિપ્ટોકરન્સી ટોનકોઇન-TONCOIN મોકલી શકે છે. આ માટે કોઈ ટ્રાન્ઝેક્શન ફી પણ નહિ ચૂકવવી પડે. આ ક્રિપ્ટો પેમેન્ટ સર્વિસિસ માટે કંપનીએ ઓપન નેટવર્ક (TON) બ્લોકચેન વિકસાવ્યું છે. આ ફીચર અંગે કંપનીએ કહ્યું કે આ સર્વિસ સાથે યુઝર્સને લાંબા વોલેટ એડ્રેસ આપવાની જરૂર નહીં પડે અને તેના કન્ફરમેશનની પણ રાહ જોવી પડશે નહીં.

લગભગ 55 કરોડ લોકો ટેલિગ્રામનો ઉપયોગ કરે છે. 

કંપનીએ અગાઉ ક્રિપ્ટો ટોકન અને પેમેન્ટ સિસ્ટમ લાવવાની યોજના બનાવી હતી પરંતુ ઓસ્ટ્રેલિયા સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન (SEC) તરફથી કાનૂની પડકાર મળ્યા બાદ આ યોજના કોરણે મૂકવામાં આવી હતી.

ટેલિગ્રામ વર્ષ 2019મા SECના રડાર હેઠળ આવ્યું જ્યારે ટેલિગ્રામે પોતાનું ટોકન ડેવલપ કરવા માટે 1.7 અબજ ડોલરનું ભંડોળ એકત્ર કર્યું હતુ. SECએ તેને ગેરકાયદેસર ટોકન ઓફર ગણાવ્યું હતું. આ પછી ટેલિગ્રામે SECને દંડ આપીને રોકાણકારોને મૂડી પરત કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

May 2, 2022
cia_gst.jpg
1min423

ભારતમાં કુલ્લ જીએસટી વસૂલાતમાં નવો વિક્રમ સર્જાયો છે. વસ્તુ અને સેવાકર (જીએસટી) વસૂલાતથી એપ્રિલ 2022માં દેશની સરકારને કુલ્લ 1.67 લાખ કરોડથી વધુ કમાણી થઇ છે. એવું પહેલીવાર થયું છે, જ્યારે જીએસટી વસૂલાત 1.50 લાખ કરોડને આંબી ગઇ છે. એપ્રિલ 2022માં રૂા. 1,67,590 કરોડની વસૂલાત થઇ છે.

માર્ચ મહિનામાં’ 1,42,095 કરોડ રૂપિયા જીએસટી વસૂલાત થઇ હતી, જે અગાઉના મહિનાઓ કરતાં સૌથી વધુ હતી.
એપ્રિલ 2021માં જીએસટીરૂપે વસૂલાત રૂા. 1,39,708 કરોડ થઇ હતી. આમ, વાર્ષિક આધાર પર જીએસટી વસૂલાતમાં 20 ટકા વધારો આવ્યો છે. દેશમાં મહારાષ્ટ્ર, કર્ણાટક, ગુજરાત, તામિલનાડુ અને’ ઉત્તરપ્રદેશ એ પાંચ રાજ્યોમાં સૌથી વધુ વસૂલાત થઇ છે. એક વર્ષના ગાળામાં મહારાષ્ટ્રમાં 25 ટકા, કર્ણાટકમાં 19,’ ગુજરાતમાં 17 ટકા, ઉત્તરપ્રદેશમાં 16, તામિલનાડુમાં 10 ટકા વસૂલાત વધી છે. ખાસ ઉલ્લેખનીય છે કે, છૂટક તેમજ જથ્થાબંધ મોંઘવારીમાં વિક્રમસર્જક વધારા વચ્ચે જીએસટી વસૂલાતે વિક્રમ સર્જ્યો છે.

April 29, 2022
gpbs.jpg
1min447

સરસાણા ઈન્ટરનેશનલ એક્ઝિબિશન કન્વેન્શન સેન્ટર ખાતે સરદાર ધામ આયોજીત ત્રિદિવસીય ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ 2022 અને એક્ઝિબિશનનું 29મી એપ્રિલના રોજ સવારે 11 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વર્ચ્યુઅલી ઉદ્દઘાટન કરશે.  30 હજાર ચોરસ મીટર વિસ્તારમાં 950 સ્ટોલ છે.

આઈ.ટી. ફૂડ અને બેવરેજીસ, ફાર્માસ્યુટિકલ, ડેરી, કૃષિ, એન્જિનિયરીંગ, રબર, ડાયમંડ અને ટેક્ષટાઈલ સહિતના 15થી વધુ સેક્ટરના ઉદ્યોગકારો 2 હજારથી વધારે પ્રોડક્ટ પ્રદર્શનમાં મુકાશે. મહિલા ઉદ્યોગ સાહસિકો, કૃષિ અને ડેરી માટે સ્ટોલમાં 50 ટકા રાહત છે.

4 લાખથી વધારે લોકોએ સમીટમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી દીધું છે. ત્યારે 700 એકરમાં પાર્કિંગની વ્યવસ્થા છે. જેમાં 7 હજાર કાર અને 50 હજાર બાઈક પાર્કિંગ થઈ શકશે.

April 26, 2022
lic.jpg
1min462

ભારતના સૌથી મોટા આઈપીઓની જાહેરાત થઈ ગઈ છે. અહેવાલ અનુસાર લાઈફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા(LIC)ના આઈપીઓને મંજૂરી મળી ગઈ છે.

સરકારે જીવન વીમા નિગમના શેર વેચીને રૂ. 21,000 કરોડ એકત્ર કરવાની યોજના બનાવી છે. રિપોર્ટ અનુસાર સરકારે ઓફર ફોર સેલ થકી રૂ. 21,000 કરોડ એકત્ર કરવા માટે 4થી મેના રોજ આઈપીઓ બજારમાં ખુલ્લો મુકશે.

અહેવાલ અનુસાર LICનો IPO 4થી મેના રોજ ખુલશે અને 9મી મે,2022ના રોજ બંધ થશે. 2જી મેના રોજ ભરણું એન્કર ઈન્વેસ્ટરો માટે ખુલશે. 

April 25, 2022
gpbs.jpg
1min885

Jayesh Brahmbhatt 98253 44944

આગામી તા.29, 30 એપ્રિલ અને 1લી મે દરમિયાન સુરતના સરસાણા સ્થિતિ ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર ખાતે યોજાઇ રહેલી ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ (GPBS) એક્ષ્પો સુરતનો જ નહીં પણ ગુજરાતનો સૌથી મેગા એક્ષ્પો બની રહેશે. 927 જેટલા એક્ઝિબિટર્સને તેમની પ્રોડેક્ટ અને સર્વિસીઝનું નિદર્શન અને વેચાણ કરવા માટે ત્રણ વર્ષમાં પણ નહીં મળે તેવો પ્રતિસાદ ત્રણ દિવસના એક્ષ્પોમાં મળી રહેશે. જીપીબીએસ એક્ષ્પો એટલા માટે જંબો એક્ષ્પો બની રહેવાનો કેમકે ત્રણ દિવસ (પ્રતિ દિન 8 કલાક)માં પ્રતિ કલાકે 29 હજારથી વધુ મુલાકાતીઓ આ એક્ષ્પોની મુલાકાત લેશે અને તેના માટેનું ઇવેન્ટ મેનેજમેન્ટ અત્યંત માઇક્રો લેવલથી કરવામાં આવ્યું હોવાનું એક્ષ્પોના કન્વીનર મનિષ કાપડીયા અને જીપીબીએસના પ્રધાન સેવક ગગજી સુતરીયાએ CiA Live News Web ને જણાવ્યું હતું.

CiA Live News Web: તા.29, 30 એપ્રિલ અને 1લી મે 2022 દરમિયાન સુરતના સરસાણા સ્થિત કન્વેન્શન સેન્ટર ખાતે યોજાનારી ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટની માહિતી આપવા માટે આજે સુરત ખાતે યોજાયેલા પ્રેસ કોન્ફરન્સને સરદારધામના પ્રધાન સેવક ગગજી સુતરીયા, જીપીબીએસ સુરતના કન્વીનર મનિષ કાપડીયા, સરદારધામના ઉપાધ્યક્ષ યુરો ફુડ્સના મનહરબાઇ સાસપરા, ગણપતભાઇ ધામેલિયા અને વિપુલભાઇ સાચપરાએ સંબોધન કર્યું હતું.

ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ (જીપીબીએસ) 2018 અને 2020માં અમદાવાદ, ગાંધીનગર ખાતે યોજાયા બાદ સુરત ખાતે એપ્રિલ માસાન્તે યોજાઇ રહ્યું છે. અગાઉના બન્ને જીપીબીએસ કરતા ડબલથી સ્ટ્રેન્થથી યોજવામાં આવેલા આ એક્ષ્પોમાં કુલ 927 જેટલા એક્ઝિબિટર્સ પોતાની 2000થી વધુ પ્રોડક્ટ્સ અને સેવાઓનું નિદર્શન, વેચાણ અને ભવિષ્યની ડિલ્સ કરી શકે તે માટે તેમને દરેક પ્રકારની અનુકૂળતા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. 1500થી વધુ લોકો છેલ્લા પંદર દિવસથી દિવસ રાત એક કરીને ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટની પ્રત્યેક કામગીરીને બારીકાઇથી આખરીઓપ આપી રહ્યા છે.

આજે Dt.25/04/2022 ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ અંગે સંસ્થાના પ્રધાન સેવક ગગજી સુતરીયા, સુરત ઇવેન્ટના કન્વીનર મનિષ કાપડીયા તેમજ અન્યોએ જણાવ્યું હતું કે જે રીતે પ્રાચીન કાળથી સુરત વેપાર વણજ માટે જાણિતું હતું એવી જ રીતે સમગ્ર વિશ્વમાં સુરતના વેપાર વણજના પતાકા ગ્લોબલ ગુજરાત બિઝનેસ સમિટથી ફરકશે. બન્ને આગેવાનોએ ઉમેર્યું કે આ ફક્ત પાટીદારોની બિઝનેસ ઇવેન્ટ નથી, પણ વીસ ટકાથી વધુ એક્ઝિબિટર્સ અને 30 ટકાથી વધુ મુલાકાતીઓ સર્વજ્ઞાતિના છે. ગ્લોબલ ગુજરાત બિઝનેસ સમિટમાં 927 એક્ઝિબિટર્સ પૈકી 475થી વધુ એક્ઝિબિટર્સ સુરત કે દક્ષિણ ગુજરાતના છે.

મનિષ કાપડીયાએ જણાવ્યું કે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ એક એવું પ્લેટફોર્મ છે કે જે પ્રોડ્ક્ટના ઉત્પાદક કે સર્વિસના પ્રોવાઇડર્સને ત્રણ વર્ષમાં નહીં મળે તેટલો રિસ્પોન્સ ફક્ત ત્રણ દિવસના એક્ષ્પોમાંથી મળશે. સમગ્ર ગુજરાતમાંથી લોકો જીપીબીએસની મુલાકાતે આવી રહ્યા છે. તા.25મી એપ્રિલ સુધીમાં 2.62 લાખથી વધુ લોકોએ તો મુલાકાત માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન પણ કરાવી દીધું છે.

વડાપ્રધાન મોદી વર્ચ્યુઅલ ઉદઘાટન કરશે

સુરતના આંગણે યોજાઇ રહેલા ગુજરાતના સૌથી મેગા એક્ષ્પો, ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટનું ઉદઘાટન તા.29મી એપ્રિલના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલથી લઇને કેન્દ્ર અને રાજ્ય સરકારના અનેક મંત્રીઓ જીપીબીએસના ઉદઘાટન સમારોહમાં ઉપસ્થિત રહેવાના છે.

ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટમાં 38 ટકા ભાગીદારી સરકારની

જીપીબીએસ સુરતના આયોજક પૈકી પ્રધાન સેવક ગગજી સુતરીયા અને મનિષ કાપડીયાએ જણાવ્યું કે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટમાં અંદાજે 7 લાખ મુલાકાતીઓ ત્રણ જ દિવસમાં ઉમટી પડશે. આ એવી ઇવેન્ટ છે કે જો કોઇપણ વસ્તુ કે સેવાને લોકો સુધી પહોંચાડવી હોય તો અત્યંત હાથવગું માધ્યમ છે અને એટલે જ 38 ટકા સ્ટોલ્સ રાજ્ય અને કેન્દ્ર સરકારના જુદા જુદા ડિપાર્ટમેન્ટ્સની વિવિધ યોજનાઓ અને માહિતીઓ માટેના સ્ટોલ્સ છે.

April 22, 2022
coal.jpg
1min462

દેશના કેટલાય રાજ્યોમાં કોલસાની અછત સર્જાતા આઠ-આઠ કલાકનો વીજકાપ મૂકાયો છે. ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક, કેરળ જેવા રાજ્યોમાં ત્રણથી લઈને આઠ-આઠ કલાકનો વીજકાપ મૂકાઈ રહ્યો છે. થર્મલ પ્લાન્ટમાં કોલસાની અછત સર્જાઈ હોવાથી આ સ્થિતિનું નિર્માણ થયું છે.

કયા રાજ્યોમાં વીજકટોકટી 

ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક, કેરળ, મહારાષ્ટ્ર, ઓડિશા

ભારતના કેટલાય મોટા રાજ્યોમાં વીજળીની કટોકટી સર્જાઈ ગઈ છે. કોલસાની અછતના કારણે વીજળીનું ઉત્પાદન ઘટયું છે. વીજળીનું ઉત્પાદન ઘટતા આઠ-આઠ કલાકનો પાવરકટ લાગુ થયો છે. ઉનાળાની શરૃઆત સાથે જ ભારતના કેટલાય રાજ્યોમાં વીજળીની ગંભીર કટોકટીનું નિર્માણ થયું છે. ખાસ તો ઉત્તર પ્રદેશના ગ્રામ્ય વિસ્તારોમાં કેટલાક ગામડાંઓમાં ૧૦-૧૦ કલાક સુધી વીજળીનો કાપ મૂકાય છે. માર્ચ મહિનામાં યોગ્ય રીતે વીજળી મળતી હતી, પરંતુ એપ્રિલમાં ભર ઉનાળે અચાનક વીજળીનો કાપ લાગુ કરી દેવામાં આવ્યો છે. ઉત્તર પ્રદેશમાં વીજ બિલ સમયસર ન ચૂકવનારા મોટા ૩.૬૪ લાખ ગ્રાહકોના વીજ-જોડાણો કાપી નાખવામાં આવ્યા હતા. તે ઉપરાંત ૧૮૨ કરોડ રૃપિયા વસૂલાયા હતા. વીજળી ચોરીના કેસ પણ વધ્યા હતા. વીજ ચોરીના ૨૬૩૯૬ મામલા નોંધાયા હતા. ઉત્તર પ્રદેશમાં વીજળીની ગંભીર અછત છેલ્લાં એક સપ્તાહથી સર્જાઈ ગઈ છે.તે ઉપરાંત ઉત્તરાખંડમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં આઠથી ૧૦ કલાક વીજળી ગૂલ રહે છે. પંજાબ-હરિયાણામાં વીજળીની ખપત ૩૦ ટકા સુધી વધી હતી, તેના પરિણામે એપ્રિલ માસમાં અછત સર્જાઈ ગઈ છે. સામાન્ય રીતે મે-માસમાં વીજ કાપની સ્થિતિ સર્જાતી હોય છે તેના બદલે આ રાજ્યોમાં એપ્રિલમાં જ ત્રણથી આઠ કલાકનો વીજકાપ લાગુ કરાયો છે. હરિયાણામાં વીજળીનો કાપ મૂકાતા ઔદ્યોગિક ઉત્પાદન પણ ઘટી ગયું છે. પંજાબ, હરિયાણા ઉપરાંત આંધ્રપ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક, મહારાષ્ટ્ર, કેરળ, ઓડિશા જેવા રાજ્યોના ગ્રામ્ય વિસ્તારોમાં વીજ કાપ મૂકી દેવામાં આવ્યો છે.

ભારતમાં કોલસા અને ક્રૂડ ઉપર વીજળીની સપ્લાયનો આધાર છે. આ વર્ષે કોલસાની ભારે અછત સર્જાતા આ સ્થિતિ આવી પડી છે. માર્ચ મહિનામાં ખૂબ તાપ પડયો હતો, તેના કારણે માર્ચ માસમાં જ ધારણાં કરતાં વધુ વીજળીનો જથ્થો વપરાયો હતો. માર્ચમાં વધુ વીજળીની જરૃર પડતાં એપ્રિલમાં અછત સર્જાઈ છે. મોટાભાગના થર્મલ પ્લાન્ટમાં કોલસાની અછત સર્જાઈ ગઈ છે. 

દેશના મોટા ૧૬૪માંથી ૨૭ થર્મલ પ્લાન્ટમાં માત્ર ૦થી પાંચ ટકા કોલસાનો જથ્થો છે. ૩૦ ટકા થર્મલ પ્લાન્ટમાં ૧૦ ટકા કે એનાથી પણ ઓછો કોલસો બચ્યો છે. સેન્ટ્રલ ઈલેક્ટ્રિસિટી ઓથોરિયાના આંકડાં પ્રમાણે ડેઈલી સ્ટોકમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ૨૧ થર્મલ પ્લાન્ટમાં ૬થી ૧૦ ટકા જેટલો કોલસો ઉપલબ્ધ છે. ૧૬૪ મોટા થર્મલ પ્લાન્ટ પૈકી ૪૮ એટલે કે ૨૯ ટકા પાસે ૧૦ ટકા જેટલો કોલસો માંડ બચ્યો છે.

કોલસા મંત્રાલયના સૂત્રોના કહેવા પ્રમાણે દેશના કુલ કોલસાની જરૃરિયાતમાંથી ૨૦ ટકા જેટલો જથ્થો ઓસ્ટ્રેલિયા સહિતના દેશોમાંથી આયાત થાય છે. અત્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં કોલસો મોંઘો થયો હોવાથી ભારતીય કંપનીઓએ કોલસાની આયાત ઘટાડી દીધી છે. પરિણામે કોલસાનો જથ્થો ઘટી ગયો છે.

અહેવાલો પ્રમાણે દેશમાં કોલસાનો જથ્થો નવ વર્ષમાં સૌથી ઓછો થઈ ચૂક્યો છે. તેના કારણે આગામી દિવસોમાં વીજળીની કટોકટી વધારે ઘેરી બને તેવી શક્યતા છે.

સરકારી આંકડાં પ્રમાણે દેશમાં એપ્રિલ માસના પહેલા સપ્તાહમાં જ વીજળીની માગમાં ૧.૪ ટકાનો વધારો થયો હતો. માર્ચ મહિનો ખૂબ જ ગરમ રહ્યો હતો અને એપ્રિલ માસના પહેલા સપ્તાહમાં જ અસહ્ય ગરમી પડવાનું શરૃ થયું હતું. એના કારણે દેશમાં સરેરાશ ૧.૪ ટકા વીજળીની જરૃરિયાત વધી હતી. માર્ચની શરૃઆતમાં વીજળીની માગમાં ૦.૫ ટકાનો ઘટાડો થયો હતો, પરંતુ માર્ચના અંતમાં અચાનક ગરમી વધી પડતાં વીજળીની જરૃરિયાત પણ વધી ગઈ હતી.