જો બેંકો દ્વારા ખરાબ સિબિલ સ્કોર (CIBIL Score)ને કારણે તમારી લોન એપ્લિકેશન રિજેક્ટ કરી હોય તો હવે ચિંતા કરવાનું કારણ નથી. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ 2025 માટે સિબિલ સ્કોરના નિયમોમાં ફેરફાર કર્યા છે, જેને કારણે લોન લેનારાઓને સરળતા રહેશે અને બેંકો ખરાબ સિબિલ સ્કોરને કારણે તમારી લોન પણ રિજેક્ટ નહીં કરી શકે.
આરબીઆઈ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર હવે બેંકોએ લોન રિજેક્ટ કરવા માટે કેટલાક નક્કી કરવામાં આવેલા નિયમોનું પાલન કરવું પડશે અને વિના કારણ લોન રિજેક્ટ પણ નહીં કરી શકાય. જો તમે પહેલાં કોઈ જગ્યાએ લોન માટે અરજી કરી હશે અને લોન એપ્લિકેશન રિજેક્ટ થઈ હશે તો હવે તમને એ માટેનું કારણ પણ જણાવવામાં આવશે. ચાલો જાણીએ આરબીઆઈના આ નવા નિયમથી તમને શું ફાયદો થશે અને તમારે કઈ વાતનું ધ્યાન રાખવું જોઈએ-
આરબીઆઈ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર હવે કોઈ પણ બેંક કે લોન આપનારી સંસ્થા (NBFC) કોઈ પણ કસ્ટમરની લોન ત્યારે રિજેક્ટ કરી શકશે જ્યારે એમની પાસે ચોક્કસ અને સ્પષ્ટ કારણ હશે. એટલું જ નહીં આરબીઆઈ દ્વારા કસ્ટમરને કારણ જણાવવાનું પણ ફરજિયાત બનાવી દીધું છે.
અત્યાર સુધી અનેક વખત ખરાબ સિબિલને કારણે લોન સીધી રિજેક્ટ કરી દેવામાં આવતી હતી, પરંતુ હવે જો તમારો સિબિલ સ્કોર ખરાબ હોય તો લોનની અરજી રિજેક્ટ કરી દેવામાં આવતી હતી. પરંતુ હવે સિબિલ સ્કોર ખરાબ હશે તો પણ બેંકે પુરા ડોક્યુમેન્ટ્સ અને કમ્યુનિકેશનના આધારે ક્લિયર ડિસિઝન આપવું પડશે.
આરબીઆઈના નવા નિયમ અનુસાર હવે માત્ર સિબિલ સ્કોલના આધારે લોન રિજેક્ટ નહીં કરી શકાય. આ સિવાયના બીજા અનેક ફેક્ટર્સ જેમ કે લોન કરનારની આવક, કરન્ટ ઈએમઆઈ લોડ, બેંકિંગ બિહેવિયર, નોકરીની સ્થિરતા જેવી તમામ બાબતોનું ધ્યાન રાખવું પડશે. આ નવા નિયમથી એવા લોકોને ખૂબ જ રાહત મળસે જેમનો સિબિલ સ્કોર કોઈ કારણ અનુસાર ખરાબ થયો હોય પણ બાદમાં તેમણે ફાઈનાન્શિયલ સિચ્યુએશનને કન્ટ્રોલ કરી લીધી હોય.
નવા નિયમ અનુસાર જો બેંક તમારી લોન એપ્લિકેશન રિજેક્ટ કરે છે તો એસએમએસ, ઈમેલ, કોલ દ્વારા રિજેક્શનનું કારણ જણાવવું જરૂરી છે. એટલું જ નહીં બેંકોએ તમામ રિજેક્ટ કરેલી લોનનો રિપોર્ટ દર મહિને આરબીઆઈને મોકલવો પડશે. આરબીઆઈ દ્વારા આ પગલું એટલે લેવામાં આવ્યું છે જેથી બેંક પોતાની મરજીથી લોકોને લોન આપવાનો કે રિજેક્ટ કરવાનો નિર્ણય ના લઈ શકે.
શેરબજાર પર મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. વીકલી એક્સપાયરી પર અંતે સ્થિતિ સ્પષ્ટ થઈ ચૂકી છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)માં ડેરિવેટિવ્સ (ફ્યુચર એન્ડ ઓપ્શન્સ – F&O)ની એક્સપાયરીનો દિવસ બદલવામાં આવ્યો છે. BSE પર હવે એક્સપાયરી ગુરૂવારે હશે, અત્યારસુધી આ કોન્ટ્રાક્ટ્સ મંગળવારે સમાપ્ત થતા હતા. જ્યારે NSE પર વીકલી એક્સપાયરી હવે મંગળવારે હશે. આ નિયમ ક્યારથી લાગુ થશે તેની તારીખ જાહેર કરાઈ નથી. પરંતુ NSEએ પોતાની એક્સપાયરીને બદલવા માટે ભલામણ કરી હતી, જેને માર્કેટ એક્સચેન્જ રેગુલેટર ‘સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા’ (SEBI) દ્વારા સ્વીકારવામાં આવી છે.
બાકી તમામ ડેરિવેટિવની ગુરૂવારે એક્સપાયરી થશે, પરંતુ તેની માત્ર મંથલી એક્સપાયરી હશે. એટલે કે તેમની એક્સપાયરી માત્ર મહિનાના છેલ્લા ગુરૂવારે હશે.
નોંધનીય છે કે, પહેલાથી જ લોન્ચ થયેલા ડેરિવેટિવ્સ કોન્ટ્રાક્ટ્સની એક્સપાયરી તારીખમાં કોઈ ફેરફાર નહીં થાય. જો કે, લાંબા ગાળાના ઇન્ડેક્સ ઑપ્શન્સ (Long-dated index options)ની એક્સપાયરી તારીખને જરૂરિયાત મુજબ ફરીથી બદલવામાં આવશે.
NSE પર લિસ્ટેડ BSEએ એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું કે, SEBIએ 26 મે 2025ના રોજ એક સર્ક્યુલર જાહેર કર્યું છે, જેમાં BSE દ્વારા પ્રસ્તાવિત સૂચનો પર વિચાર કર્યા બાદ ડેરિવેટિવ્સની એક્સપાયરી ડેટને લઈને કેટલાક મહત્ત્વના ફેરફાર કરાયા છે.
એક્સપાયરી ડે હવે ગુરૂવારે થશે
SEBIએ BSEના આ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે કે ડેરિવેટિવ્સની એક્સપાયરી હવે દર ગુરૂવારે થશે. અત્યાર સુધી આ મંગળવારે થતી હતી.
પહેલા કરતા હાલના કોન્ટ્રાક્ટ્સ પર શું થશે અસર?
જે ડેરિવેટિવ્સ કોન્ટક્ટ્સ પહેલા જ લોન્ચ થઈ ચૂક્યા છે. તેની એક્સપાયરી ડેટમાં કોઈ ફેરફાર નહીં કરવામાં આવે.
જો કે, જે લોન્ગ-ડેટેડ ઇન્ડેક્સ ઓપ્શન હોય છે (એટલે કે લાંબા સમય માટે બનાવવામાં આવેલા), તેની એક્સપાયરી ડેટને પહેલાની જેમ રિઅલાઇન (ફેરફાર) કરાશે.
નવા કોન્ટ્રાક્ટ્સ માટે નવા નિયમો
31 ઓગસ્ટ 2025 સુધીના ડેરિવેટિવ્સ કોન્ટ્રાક્ટ્સની એક્સપાયરી અગાઉ મુજબ જ રહેશે તેમાં કોઇ ફેરફાર નહીં કરાશે.
1 સપ્ટેમ્બર 2025થી જે નવા કોન્ટ્રાક્ટ્સ આવશે, તે ગુરવારે સમાપ્ત થશે. અને મન્થલી કોન્ટ્રાક્ટ્સની એક્સપાયરી દર મહિનાના અંતિમ ગુરુવારે થશે.
1 જુલાઈ 2025 પછીથી કોઈ નવો વીકલી ઇન્ડેક્સ ફ્યુચર્સ કોન્ટ્રાક્ટ લૉન્ચ નહીં થાય.
રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ રેપો રેટમાં 50 બેસિસ પોઇન્ટનો ઘટાડો કર્યો છે. આ ઘટાડા પછી રેપો રેટ 6%થી ઘટીને 5.50% થઈ ગયો છે. આવું કરીને સેન્ટ્રલ બૅન્કે સામાન્ય માણસને મોટી રાહત આપી છે. જેના કારણે મોંઘવારીમાં રાહત મળશે તેમજ હોમ લોન, ઓટો લોન, રિયલ એસ્ટેટમાં રાહત મળશે.
જો તમે પણ બૅન્કમાંથી લોન લીધી હોય, તો તમારી લોનના EMIમાં ઘટાડો થવાની શક્યતા છે. રેપો રેટમાં ઘટાડા પછી લોનના વ્યાજ દરમાં પણ ઘટાડો થશે. એવામાં જાણીએ કે 20, 30 અને 50 લાખની હોમ લોન પર તમારી EMI કેટલી હશે અને તે પહેલા કરતાં કેટલી ઓછી થશે.
50 લાખની લોન પર કેટલી રાહત મળશે?
જો તમે 30 વર્ષ માટે 50 લાખની હોમ લોન લીધી છે અને તેના બદલામાં તમે 9% વ્યાજ ચૂકવો છો તો તમારે મહિને રૂ. 40,231નો હપ્તો ભરવાનો રહે છે. એવામાં હવે આરબીઆઇએ 50 બેસિસ પોઇન્ટ ઘટાડી દેતાં રૂ. 38,446 હપ્તો ભરવાનો રહેશે. આથી મહિને હપ્તામાં રૂ. 1785 ઓછા ભરવાના થશે.
એવી જ રીતે 30 લાખની હોમ લોન પર 20 વર્ષ માટે 8.5% વ્યાજ ચૂકવવાનું રહે છે. જેનો મહિને રૂ. 26,035નો હપ્તો ભરવાનો રહે છે. હવે રેપો રેટ ઘટતાં વ્યાજ 8% થઈ જશે આથી મહિને રૂ. 25,093 ચૂકવવાના રહેશે એટલે કે રૂ. 942 ઓછા ચૂકવવા પડશે.
ધારો કે રૂ. 20 લાખની લોન 20 વર્ષ માટે 9% વ્યાજે લેવામાં આવી હોય, તો માસિક EMI રૂ. 17,995 થશે. હવે લોનના વ્યાજમાં 50 બેસિસ પોઇન્ટના ઘટાડા પછી, તમારે રૂ.17,356 હપ્તો ભરવાનો થશે એટલે કે તમારે દર મહિને EMIમાં રૂ. 639 ઓછા ચૂકવવા પડશે.
રેપો રેટમાં ઘટાડાથી મોંઘવારીમાં પણ રાહત મળશે. રેપો રેટમાં 0.50%ના બમ્પર ઘટાડા અંગે માહિતી શેર કરતાં RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે બેઠકમાં SDF દર 5.75%થી ઘટાડીને 5.25% કરવામાં આવ્યો છે, જ્યારે MSF દર પણ 6.25%થી ઘટાડીને 5.75% કરવામાં આવ્યો છે. તેમણે નાણાકીય વર્ષ 2026 માટે મોંઘવારીનો અંદાજ વ્યક્ત કરતાં કહ્યું કે વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતા છે. એટલે તેને 3.7% પર રાખવામાં આવ્યો છે. અગાઉ તે 4 ટકા કરવામાં આવ્યો હતો. આ સાથે, RBI ગવર્નરે કહ્યું કે બેઠકમાં કેશ રિઝર્વ રેશિયો(CRR)ને 100 બેસિસ પોઇન્ટ ઘટાડીને 4 ટકાથી 3 ટકા કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.
અમેરિકા ૩૦.૫૧ ટ્રિલિયન ડોલરના જીડીપી સાથે પ્રથમ ક્રમે, ચીન ૧૯.૨૩ ટ્રિલિયન ડોલર સાથે બીજા ક્રમે અને જર્મની ૪.૭૪ ટ્રિલિયન ડોલર સાથે ત્રીજા ક્રમે
ભારતનો જીડીપી વધીને ૪.૧૮૭ ટ્રિલિયન ડોલર થઇ ગયો છે જે જાપાનના જીડીપી ૪.૧૮૬ ડોલર કરતા વધી જતાં ભારત જાપાનને પાછળ મૂકીને વિશ્વનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર બની ગયું છે તેમ નીતિ આયોગના સીઇઓ બીવીઆર સુબ્રમણ્યમે એક નિવેદનમાં જણાવ્યું છે. ૩૦.૫૧ ટ્રિલિયન ડોલરના જીડીપી સાથે અમેરિકા પ્રથમ ક્રમે, ૧૯.૨૩ ટ્રિલિયન ડોલર સાથે ચીન બીજા ક્રમે અને ૪.૭૪ ટ્રિલિયન ડોલર સાથે જર્મની ત્રીજા ક્રમે છે.
‘નીતિ આયોગ’ની ગવર્નિંગ કાઉન્સીલની ૧૦મી બેઠકમાં વિકસિત રાજ્ય, વિકસિત ભારત ૨૦૪૭ નામક પરિસંવાદ પછી પત્રકારોને સંબોધતાં સુબ્રમન્યમે જણાવ્યું હતું કે, ભારતનું અર્થતંત્ર આઈ.એમ.એફ.ના જણાવ્યા પ્રમાણે ૨૦૨૪ સુધી પાંચમું સૌથી વિશાળ અર્થતંત્ર હતું પરંતુ ૨૦૨૫-૨૬ના નાણાંકીય વર્ષમાં જ ભારતનું અર્થતંત્ર ૪ ટ્રિલિયન ડોલર્સે પહોંચી ગયું છે. આથી ભારત, યુ.એસ., ચીન અને જર્મનીનાં અર્થતંત્રોથી જ પાછળ રહેશે.
આ સાથે તેઓએ આશા વ્યક્ત કરી હતી કે ૨, ૨.૫, કે મોડામાં મોડાં ૩ વર્ષમાં ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી આર્થિક સત્તા બની રહેશે.
નીતિ આયોગના સીઈઓએ વધુમાં જણાવ્યું હતું કે ૨૦૨૬ના નાણાંકીય વર્ષ દરમિયાન જ ભારતનું અર્થતંત્ર ૪,૧૮૭.૦૧૭ અમેરિકી ડોલર્સ પહોંચી જશે. ભારતનું અર્થતંત્ર ૨૦૨૫માં ૬.૨ ટકાના દરે અને ૨૦૨૬માં ૬.૩ ટકાના દરે વિકસશે તેમ પણ આઈ.એમ.એફ.ના વર્લ્ડ ઈકોનોમિક આઉટબુકે જણાવ્યું છે. વધુમાં તેમ પણ કહ્યું છે કે ભારતનું અર્થતંત્ર ૨૦૨૫ અને ૨૬માં સૌથી વધુ ઝડપી અર્થતંત્ર બની રહેશે. આઈએમએફે વૈશ્વિક આર્થિક વિકાસ અંગે ઘેરૂં ચિત્ર આપ્યું છે તે જણાવે છે કે ૨૦૨૫માં વૈશ્વિક આર્થિક વિકાસ દર ૨.૮ ટકા છે, જ્યારે ૨૦૨૬માં તે બહુ બહુ તો વધીને ૩.૦ ટકા થવા સંભવ છે.
ભારતની આર્થિક તાકાત અને જાપાનની આર્થિક તાકાતની તુલના કરતાં કેટલાક નિરીક્ષકો કહે છે કે જાપાનનું અર્થતંત્ર ભલે ૪ ટ્રિલિયન ડોલરથી ઓછું રહ્યું હોય પરંતુ તે આશરે ૧૪ કરોડ લોકોમાં વહેંચાયું છે. જ્યારે ભારતનું ૪ ટ્રિલિયનથી વધુ ડોલર્સનું અર્થતંત્ર હોવા છતાં તે ૧૪૦ કરોડ લોકોમાં વહેંચાયેલું છે તે ભૂલવું ન જોઈએ. ભારતને વસતી વધારો ભારે પડે તેમ છે.
ભારતમાં શુદ્ધ પ્રત્યક્ષ વિદેશી રોકાણ (એફડીઆઇ) પ્રવાહમાં ઘટાડો દેશમાં રોકાણ સંબધિત મોટી અનિશ્ચિતતાઓને દર્શાવે છે અને મોટી સંખ્યામાં કંપનીઓ વિદેશમાં રોકાણ કરવાનું પસંદ કરી રહી છે. એઆઇસીસીના મહાસચિવ જયરામ રમેશે સોશિયલ મીડિયા એક્સ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે તાજેતરમાં જારી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)ના આંકડોઓ પરથી જાણવા મળે છે કે ૨૦૨૪-૨૫માં ભારતનો નેટ એફડીઆઇ પ્રવાહ ૯૬ ટકા ઘટીને માત્ર ૦.૪ અબજ ડોલર રહી ગયું છે. તેમણે જણાવ્યું હતું કે આ ભારે ઘટાડા અંગે સત્તાવાર રીતે જે કંઇ પણ સ્પષ્ટતા કરવામાં આવી રહી હોય પણ સાચી વાત એ છે કે આ મોટો ઘટાડો ભારતમાં રોકાણ અંગે ભારે અનિશ્ચિતતા દર્શાવે છે જેના કારણે ફક્ત વિદેશી રોકાણકાર જ નહીં પણ ભારતીય કંપનીઓ પણ હતોત્સાહિત થઇ રહી છે અને હવે તે દેશમાં રોકાણ કરવાને બદલે વિદેશમાં રોકાણ કરવાને પ્રાથમિકતા આપી રહી છે.
આઇએમએફના આંકડા દર્શાવી રહ્યાં છે કે ભારત ટૂંક સમયમાં જર્મનીને પાછળ છોડીને વિશ્વનું ત્રીજા નંબરનું અર્થતંત્ર બની જશે. એપ્રિલમાં છપાયેલ આઇએમએફના વર્લ્ડ ઇકોનોમિક આઉટલુકના તાજેતરના રિપોર્ટ અનુસાર નાણાકીય વર્ષ ૨૦૨૬ માટે ભારતનો નોમિનલ જીડીપી લગભગ ૪૧૮૭.૦૧૭ બિલિયન અમેરિકન ડોલર સુધી પહોંચવાની આશા છે. આ જાપાનના સંભવિત જીડીપીથી થોડું વધારે છે. જેનો અંદાજ ૪૧૮૬.૪૩૧ બિલિયન ડોલર છે. જો કરન્ટ પ્રાઇસ (નોમિનલ) જીડીપીના આધારે આઇએમએફના અત્યારના ચાર્ટને જોઇએ તો સ્પુષ્ટ દેખાય છે કે ભારત ૨ થી ૨.૫ વર્ષમાં જર્મનીને પાછળ છોડી દેશે.
જાન્યુઆરી, ૨૦૨૫માં આઇએમએફએ નાણાકીય વર્ષ ૨૦૨૫ અને ૨૦૨૬ માટે ભારતનો જીડીપી ગ્રોથ રેટ ૬.૫ ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે. ગ્રામીણ વિસ્તારોમાં ઘરેલુ ખર્ચમાં થઇ રહેલી વૃદ્ધિને કારણે ભારતીય અર્થતંત્ર ઝડપથી આગળ વધી રહ્યું છે. ૨૦૨૫ની શરૂઆતમાં ભારત વિશ્વના જીડીપી રેન્કિંગમાં પાંચમાં ક્રમે હતું જે હવે ચૌથા ક્રમે આવી ગયું છે. ભારતીય અર્થતંત્ર ઇન્ફરમેશન ટેકનોલોજી, સેવાઓ, કૃષિ અને મેન્યુફેકચરિંગ જેવા પ્રમુખ ક્ષેત્રો દ્વારા સંચાલિત છે. બીજી તરફ જર્મની એક વિકસિત અર્થતંત્ર છે અને ત્યાં જીડીપીમાં ભારત જેવો ગ્રોથ સંભવ નથી.
કેન્દ્ર સરકારે હાઈટેક પહેલાના ભાગરૂપે દેશભરમાં ચિપ આધારીત ઈ-પાસપોર્ટ સેવા શરૂ કરી દીધી છે. દેશમાં આ નવી સુવિધા શરૂ થવાની સાથે વિદેશ પ્રવાસ કરનારા ભારતીય નાગરિકોને અનેક ફાયદા થશે સાથે જ ઈમિગ્રેશન પ્રક્રિયા, સુરક્ષા અને કૉન્ટેક્ટલેટ થઈ જશે. દેશમાં આ નવી પહેલ શરૂ થતાની સાથે જ ભારત અમેરિકા, યુકે, ફ્રાન્સ, જાપાન અને કેનેડા જેવા 120 દેશોમાં સામેલ થઈ ગયા છે, જેઓ પહેલેથી જ ઈ-પાસપોર્ટનો ઉપયોગ કરી રહ્યા છે.
ઈ-પાસપોર્ટ એક ઈલેક્ટ્રોનિક ડોક્યુમેન્ટ છે. તેની પાછળના ભાગે એક RFID ચિપ અને એન્ટીના હોય છે. આ ચિપમાં પાસપોર્ટ ધારકનું નામ, જન્મતારીખ, પાસપોર્ટ નંબર, ફેસ અને ફિંગરપ્રિન્ટ જેવી બાયોમેટ્રિક અને વ્યક્તિગત માહિતી સુરક્ષીત રહે છે. આ ડેટા આંતરરાષ્ટ્રીય સુરક્ષા નિયમો BAC, PA અને EAC અનુસાર એન્ક્રિપ્ટેડ છે.
ઈ-પાસપોર્ટની સેવાનો પાયલોટ પ્રોજેક્ટ પ્રથમ તબક્કામાં નાગપુર, ભુવનેશ્વર, જમ્મૂ, ગોવા, શિમલા, જયપુર, ચેન્નાઈ, હૈદરાબાદ, ગુજરાતનું સુરત, રાયપુર, અમૃતસર, રાંચી, દિલ્હી જેવા શહેરોમાં લાગુ કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે જૂન-2025 સુધીમાં દેશભરમાં લાગુ કરવાનો લક્ષ્યાંક નિર્ધારીત કર્યો છે.
ઈ-પાસપોર્ટના કારણે ઈમિગ્રેશન પ્રક્રિયા વધુ સરલ અને આધુનિક બનશે. પ્રવાસીઓ હવે ઈ-ગેટ્સમાંથી ઓટોમેટેડ તેમજ કોન્ટેક્ટલેસ પ્રોસેરમાંથી પ્રવેશ કરી શકશે. આ નવી સુવિધાના કારણે વેઈટિંગ સહિત અનેક ઝંઝટમાંથી છૂટકારો મળશે અને મુસાફરો સરળતાથી અને આરામદાયક મુસાફરી કરી શકશે.
ઈ-પાસપોર્ટ મેળવવા ઈચ્છુક નાગરિક પાસપોર્ટ સેવા પોર્ટલ પર અરજી કરી શકે છે. તેઓએ નજીકના પાસપોર્ટ સેવા કેન્દ્ર અથવા પોસ્ટ ઓફિસ પાસપોર્ટ કેન્દ્ર પર જઈને બાયોમેટ્રિકની માહિતી આપવાની રહેશે. આગામી સમયમાં ઈ-પાસપોર્ટમાં ડિજિટલ વિઝા, મોબાઈલ પાસપોર્ટ વૉલેટ, આધાર તેમજ ડિજિલોકર ઈન્ટીગ્રેશન જેવા ફિચર્સ જોડવામાં આવી શકે છે. આ સુવિધાના કારણે પ્રવાસીનો પ્રવાસ સંપૂર્ણ ડિજિટલ અને પેપરલેસ થઈ જશે.
જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (જીજેઇપીસી)ની સુરત સ્થિત રિજિયોનલ કચેરી દ્વારા છેલ્લા બે દિવસ દરમિયાન આયોજિત કરવામાં આવેલી ત્રીજી લેબગ્રોન બાયર્સ સેલર્સ મીટમાં અમેરીકા, બૈરુત, કઝાકિસ્તાન સહિત જુદા જુદા 8 દેશોમાંથી આવેલા 18 જેટલા વેરીફાઇડ વિદેશી ખરીદારો સુરતના લેબગ્રોન ડાયમંડ માર્કેટથી એટલા પ્રભાવિત થયા કે તેમણે મુક્તમને કહ્યું કે સુરત જેટલા સસ્તા અને સારી ક્વોલિટીના લેબગ્રોન ડાયમંડ બીજે ક્યાંયથી મળ્યા નથી. તેમણે સુરત અને મુંબઇના હીરા બજારમાં જે પ્રમાણે પ્રોફેશનલિઝન અને પારદર્શી વેપારની સિસ્ટમ જોઇ એવી ક્યાંય ન હોવાનો અભિપ્રાય આપ્યો હતો. અનેક ખરીદારો એવા છે કે જેઓ નેચરલ ડાયમંડનો બિઝનેસ કરી રહ્યા હતા પરંતુ, પહેલીવાર સુરત આવ્યા છે અને હવે તેઓ લેબગ્રોન ડાયમંડ્સમાં વેપારની ઉદભવનારી અસિમીત તકને પામી ચૂક્યા છે અને તેઓ કહે છે કે હીરા બજારના વર્લ્ડ માર્કેટમાં લેબગ્રોન ડાયમંડનો પ્રભાવશાળી સમય હજુ આવવાનો બાકી છે. વિશ્વની યુવા પેઢીને હવે લેબગ્રોન ડાયમંડ્સ અને તેમાંથી બનેલા જ્વેલરી આકર્ષી રહી છે.
જેમ્સ એન્ડ જ્વેલરી એક્ષ્પોર્ટ પ્રમોશન કાઉન્સિલના ચેરમેન જયંતિ સાવલિયાએ કહ્યું કે જીજેઇપીસીની આ ત્રીજી લેબગ્રોન ડાયમંડ બાયર્સ સેલર્સ મીટ છે, પહેલી બે સમિટ અત્યંત ફળદાયી નિવડી હતી. જેમાં જીજેઇપીસી ખરીદારોને વેરીફાઇડ કરે છે અને આ એવી સમીટ છે કે જેમાં વિદેશી ખરીદારો માટે કોઇ સ્ટોલ્સ કે ડિસ્પ્લે હોતા નથી પરંતુ, સીધા જ ડાયમંડ ગ્રોઅર્સ તેમજ જ્વેલરી મેન્યુફેક્ચરર્સ સાથે વનટુ વન મિટીંગ થાય છે, ફેક્ટરી વિઝીટ થાય છે અને સ્થાનિક ઉત્પાદકોને બિઝનેસ લિડ્સ મળે છે તેમજ ભવિષ્યના ઓર્ડરો પણ મળે છે. વિદેશી ખરીદારો માટે સુરતમાંથી સુરતના ટોચના ૧૧ લેબગ્રોન ડાયમંડ ગ્રોવર્સ (ઉત્પાદકો), લૂઝ લેબગ્રોન કટ & પોલીશ્ડ ડાયમંડ્સ સપ્લાયર્સ તેમજ લેબગ્રોન ડાયમંડ જ્વેલરી મન્યુફેક્ચરર્સને પસંદ કરવામાં આવ્યા હતા. તમામે તમામ ખરીદારો વેરીફાઇડ હોય છે અને ખરીદારોને આવવા જવા માટેની વિમાની ટિકીટ, હોટેલમાં સ્ટે, ઇન્ટરર્નલ ટ્રાન્સપોર્ટેશનથી લઇને દરેક સુવિધા જીજેઇપીસી દ્વારા જ પૂરી પાડવામાં આવે છે.
સૌથી સસ્તા લેબગ્રોન ડાયમંડ્સ સુરતમાંથી જ મળેઃ ઓલ્ગા ગોન્ઝાલેઝ, ન્યુયોર્ક
વિદેશી ખરીદારોએ આજે સુરતના મિડીયા પર્સન્સ સાથે વાતચીત કરી હતી જેમાં અમેરીકાના ન્યુયોર્કથી આવેલા ઓલ્ગા ગોન્ઝાલેઝે જણાવ્યું કે સુરતના હીરા બજારમાં આવીને એવો અહેસાસ થયો કે વિશ્વમાં સૌથી સસ્તા અને સારા લેબગ્રોન ડાયમંડ્સ સુરત સિવાય બીજે ક્યાંયથી મળી શકે નહીં. સુરતના લેબગ્રોન ડાયમંડ જ્વેલરીની વિશાળ રેન્જ અને ડિઝાઇન એવી છે કે શું ખરીદવું અને શું ન ખરીદવું એવી મૂંઝવણ થાય. તેમણે નેચરલ ડાયમંડ અને લેબગ્રોન સીવીડી ડાયમંડ્સ વચ્ચે કિંમતોમાં રહેલા ભારે તફાવતને કારણે હવે અમેરીકા સમેત સમગ્ર વિશ્વના હીરા ઝવેરાત બજારોમાં લેબગ્રોન ડાયમંડનું પ્રભુત્વ વધી રહ્યું હોવાનું જણાવતા કહ્યું કે ચીનના એચ.પી.એચ.ટી. ડાયમંડ્સ અંગે કોઇ જ ખ્યાલ નથી પણ ભારતમાં ખાસ કરીને સુરતમાં જે રીતે લેબગ્રોન ડાયમંડ્સનું ઉત્પાદન (ગ્રોઇંગ), કટીંગ, પોલિશિંગ થઇને પોલિશ્ડ હીરો બને છે એ નેચરલ ડાયમંડથી કંઇ કમ નથી.
ચીન કરતા બહેતર ક્વોલિટી અને કિંમતો સુરતના સીવીડી લેબગ્રોનનીઃ એસ્લી અદિલખાન, કઝાકિસ્તાન
કઝાકિસ્તાનથી આવેલી ગોલ્ડ જ્વેલરીની મહિલા વિક્રેતા એસલી એદિલખાન કહ્યું કે તેમનું ક્ષેત્ર હોંગકોંગના જ્વેલરી ટ્રેન્ડથી પ્રભાવિત છે. હોંગકોંગમાં ચાઇનીઝ લેબગ્રોન ડાયમંડ્સ અને તેની જ્વેલરી ઉપલબ્ધ હતી. તેમણે ખરીદવા માટે પ્રયત્નો કર્યા ત્યારે ખ્યાલ આવ્યો કે કિંમતોથી લઇને ક્વોલિટી કોમ્પ્રોમાઇસ થઇ રહી હતી. પછી તેમને જીજેઇપીસીની બાયર્સ સેલર્સ મીટ ઇવેન્ટ અંગે જાણકારી મળી અને તેઓ સુરત આવ્યા. સુરતમાં સીવીડી લેબગ્રોન ડાયમંડ્સની મેકીંગ પ્રોસેસ, જ્વેલરી મેન્યુફેક્ચરીંગ, ડિઝાઇનિંગ રેન્જ અને સૌથી આકર્ષક કિંમતોથી ભારે પ્રભાવિત થયા. એસલીએ પત્રકારોને કહ્યું કે સુરતમાં જેટલા સસ્તા સીવીડી લેબગ્રોન ડાયમંડ્સ મળ્યા તેટલા સસ્તા હવે ક્યાંય મળી શકે તેમ નથી. સુરતના લેબગ્રોન ડાયમંડ માર્કેટ પર એટલા આફરીન થયા કે હવે તેઓ સુરત સિવાય લેબગ્રોન ડાયમંડ અન્ય ક્યાંયથી ખરીદવાનું વિચારશે પણ નહીં.
સુરત જેવી વિશાળ રેન્જ અને સૌથી સસ્તા લેબગ્રોન બીજે ક્યાંય નહીં મળેઃ ઓલ્ગા તારાસોવા, ન્યુયોર્ક
ન્યુયોર્કથી આવેલા અન્ય એક મહિલા ખરીદાર ઓલ્ગા તારાસોવાએ પણ કહ્યું કે લેબગ્રોન ડાયમંડનું ખરેખર સૌથી સારુ અને સસ્તુ બજાર જો કોઇ હોય તો એ સુરત છે. સુરતમાં અમને જે રેન્જ અને વેરાઇટી મળી અને એ પણ ક્વોલિટી અને સૌથી સસ્તા દરે મળી એ જાણીને ખૂબ આનંદ થયો અને હવે અમે અમારી ખરીદીની પ્રક્રિયા માટે સુરતને જ પહેલી પસંદગી આપીશું. તેમણે કહ્યું કે આ અગાઉ ક્યારેય તેમણે લેબગ્રોન ડાયમંડ્સમાં ડીલ કર્યું નથી પણ સુરતમાં જીજેઇપીસીની બાયર્સ સેલર્સ મીટમાં આવ્યા પછી જે અનુભવ થયો અને હવે સમગ્ર વિશ્વમાં લેબગ્રોન ડાયમંડ્સનો પ્રભાવ વધવાનો છે ત્યારે લેબગ્રોન ડાયમંડના વેપારની શરૂઆત સુરતથી કરવાનો આનંદ છે.
બૈરુતથી આવેલા એક ખરીદારે ત્યાં સુધી કહ્યું કે રીટેલ માર્કેટમાંથી ખરીદી કરીએ અને વ્હોલસેલ માર્કેટમાંથી ખરીદી કરીએ ત્યારે ક્વોલિટી, ક્વોન્ટીટી અને ભાવમાં કેવો ફરક જોવા મળે તેવી અનુભૂતિ સુરતના લેબગ્રોન ડાયમંડ માર્કેટને જોયા પછી થઇ છે. એવું લાગી રહ્યું છે કે વિશ્વના સૌથી સસ્તા લેબગ્રોન ડાયમંડ્સ ખરીદવા હોય તો સુરત જ આવવું પડે. તેમણે કહ્યું કે તેઓ બીજી વખત સુરતમાં જીજેઇપીસી આયોજિત બાયર્સ સેલર્સ મીટમાં આવ્યા છે અને જે રીતની જ્વેલરી સુરતના ઝવેરાત ઉત્પાદકો બનાવીને વેચી રહ્યા છે એ સમગ્ર વિશ્વના બજારોના ગ્રાહકોને આકર્ષવા માટે કાફી છે. તેમણે સુરતને હીરા અને હીરા જડીત જ્વેલરી ખરીદવા માટેનું સૌથી ઉત્તમ સ્થળ તરીકે ગણાવ્યું હતું.
અમેરીકા કેનેડા સમેત 8 દેશોમાંથી ખરીદારો સુરત આવ્યા
સુરત ખાતે યોજાયેલી જીજેઇપીસીની ત્રીજી લેબગ્રોન બાયર્સ સેલર્સ મીટમાં લેબગ્રોન હીરા ઝવેરાતની ખરીદી માટે અમેરીકા, યુનાઇટેડ કિંગ્ડમ, કેનેડા, કઝાકિસ્તાન, રશિયન ફેડરેશન, સાઉદી અરેબિયા, યુ.એ.ઇ. અને લેબેનોનથી 20 જેટલા વેરીફાઇડ ખરીદારો આવ્યા હતા. આ ખરીદારો ગ્લોબલ જ્વેલરી બ્રાન્ડ્સના પરચેઝ મેનેજર્સથી લઇને બિઝનેસ ડેવલપર્સ હતા. કેટલાક એવા પણ ખરીદારો હતા કે જેઓ પહેલીવાર નેચરલ ડાયમંડ્સમાંથી લેબગ્રોન ડાયમંડ્સના કારોબાર તરફ વળ્યા છે.
“ધ સઘર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ઍન્ડ ઇંડસ્ટ્રીઝ, સુરત(SGCCI)” દ્વારા આયોજીત “ગોલ્ડનજ્યુબિલી એવાર્ડ ૨૦૨૩ – ૨૪” માટે સુરત-તાપી જીલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લીમીટેડ , સુમુલ ડેરી સુરત સંઘના ચલથાણ ખાતેના ટેઈક હોમ રાશન (THR) પ્લાન્ટ દ્વારા “કલરટેક્ષ એવાર્ડ ફોર આઉટ સ્ટેન્ડિંગ પર્ફોમન્સ ઇન એનર્જિ કન્ઝર્વેશન” કેટેગરીમાં અરજી કરવામાં આવેલ હતી. તદ ઉપરાંત રાજ્યની અગ્રણી અલગ-અલગ ઇંડસ્ટ્રીઝમાંથી અરજીઓ કરવામાં આવેલ હતી. જે પૈકી સુમુલ ડેરી સુરત સંઘના ચલથાણ ખાતેના ટેઈક હોમ રાશન (THR) પ્લાન્ટ બધા માપદંડો માં અગ્રેસર રહયો હતો. જે માટે સુમુલ ડેરી – ટેક હોમ રાશન પ્લાન્ટને પ્રથમ પુરસ્કાર મળવા જઈ રહેલ છે. આ એવોર્ડ સુરત અને તાપી જીલ્લાના દૂધ ઉત્પાદકોને સમર્પિત કરવામાં આવશે. સુમુલ ડેરીએ સમગ્ર ભારત વર્ષમાં ફ્રૂડ પ્રોસેસિંગ ક્ષેત્રે નામ રોશન કરેલ છે .
ટેઈક હોમ રાશન (THR) પ્લાન્ટ દ્વારા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ તેમજ ભારત સરકાર સંકલિત બાળ વિકાસ યોજના દ્વારા નાના બાળકો, કિશોરીઓ, સગર્ભા અને સ્તનપાન કરાવતી માતાઓને રેડી ટુ કુક ટેક હોમ રાશન ખોરાક પૂરો પાડે છે. આ પ્રોડક્ટના ઉત્પાદન માટે અનુક્રમે કૈરા, બનાસકાંઠા અને સુરત દૂધ સંઘમાં ત્રણ હાઇટેક પ્લાન્ટ 200 મેટ્રિક ટન/દિવસની ક્ષમતા સાથે સ્થાપિત કરવામાં આવ્યા છે. જેમાં ફક્ત અને ફક્ત સુમુલ ડેરી સુરત સંઘના ચલથાણ ખાતેના ટેઈક હોમ રાશન (THR) પ્લાન્ટને એનર્જિ કન્ઝર્વેશન ક્ષેત્રે પ્રથમ વખત “ધ સઘર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ઍન્ડ ઇંડસ્ટ્રીઝ “ દ્વારા આયોજીત “ગોલ્ડન જ્યુબિલી એવાર્ડ ૨૦૨૩ – ૨૪” માં સકારાત્મક પ્રયાસો થકી પ્રથમ સ્થાને એવોર્ડ મળવા જઈ રહયો છે.
આ એવોર્ડ તા.૧૬.૦૪.૨૦૨૫, બુધવાર ના દિને પ્લૅટિનમ હોલ,ધ સઘર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ઍન્ડ ઇંડસ્ટ્રીઝ (SGCCI),સરસાના,સુરત ખાતે સુમુલ ડેરીના ચેરમેનશ્રી, વાઈસ ચેરમેનશ્રી, બોર્ડ ડીરેક્ટરશ્રીઓ, મેનેજીંગ ડીરેક્ટરશ્રી તથા યુનિટ હેડ દ્વારા સ્વીકારવામાં આવશે.
ગોલ્ડન જ્યુબિલી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા એવાર્ડ આપવા માટે ઉર્જા બચત – ઇલેક્ટ્રિકલ અને થર્મલ, ચોક્કસ ઉર્જા વપરાશમાં ઘટાડો – ઇલેક્ટ્રિકલ અને થર્મલ, એનર્જી ઓડિટ,૧૦૦% ક્ષમતાનો ઉપયોગ, શ્રેષ્ઠ ગુણવત્તા અને સલામતી નિયંત્રણો, ફૂડ પ્રોસેસીંગ ટેકનોલોજી, સાયન્ટિફિક ઇનોવેશન અને સ્ટેટ ઓફ ધ આર્ટ ટેકનોલોજીનો અમલ જેવા માપદંડનો સમાવેશ થયેલ છે.
સુમુલ ડેરી તથા તેમના અલગ-અલગ યુનિટ ને રાષ્ટ્રીય (ભારત સરકાર) તથા વિવિધ સંસ્થાઓં દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં અલગ-અલગ કેટેગરીમાં કુલ ૧૩ એવોર્ડ મળેલ છે જેની યાદી આ પ્રમાણે છે.
(૬) ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ (SGCCI) ૨૦૧૯-૨૦, કલર ટેક્ષ ઉર્જા બચત એવોર્ડ, સુમુલ ડેરી સુરત, પ્રથમ પુરષ્કાર
(૭) ગોલ્ડન જ્યુબિલી મેમોરીયલ ટ્રસ્ટ ૨૦૨૦-૨૧, પર્યાવરણ સંરક્ષણ અને પ્રદૂષણ નિયંત્રણ એવોર્ડ, સુમુલ ડેરી સુરત, પ્રથમ પુરષ્કાર
(૮) મિલેટ ઈયર – ૨૦૨૩ (FSSI) એવોર્ડ
(૯) આઈ.ડી.એ. દ્વારા આયોજીત શ્રેષ્ઠ પ્રોસેસિંગ ટેકનોલોજીનો સ્વીકાર કરી 2 થી 5 લાખ લિટર પ્રતિ દિવસની પ્રોસેસિંગ ક્ષમતા કેટેગરીમાં નવી પારડી, પ્રથમ પુરષ્કાર – ૨૦૨૪
(૧૦) વૃક્ષારોપણ કાર્યક્રમમાં ફેડરેશન સાથે સંકળાયેલ તમામ ડેરી પૈકી સુમુલ ડેરીએ છેલ્લા ચાર વર્ષમાં ૪૦ લાખથી વધુ વૃક્ષો વાવી ચાર એવોર્ડ મેળવેલ છે.
SGCCI દ્વારા તા. ૧૧થી ૧૩ એપ્રિલ, ર૦રપ દરમ્યાન સરસાણા સ્થિત SIECC ડોમમાં ‘સ્માર્ટ એજ્યુકેશન એક્ષ્પો– ર૦રપ’અને ‘સુરત સ્ટાર્ટઅપ સમિટ– ર૦રપ’યોજાશે
સ્માર્ટ એજ્યુકેશન એક્ષ્પોમાં વિદ્યાર્થીઓ અને યુવા પેઢીને એક છત નીચે ગુજરાત અને ભારતમાં જ નહીં પણ વિદેશમાં પણ તેમની જરૂરિયાતો અને મહત્વાકાંક્ષાઓને પૂર્ણ કરવા વિવિધ વિકલ્પો જોવાની એક મોટી તક મળી રહેશે.
ધો.10થી લઇને પોસ્ટ ગ્રેજ્યુએટમાં અભ્યાસ કરી રહેલા અને ભવિષ્યમાં અભ્યાસ કરવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે આ એજ્યુકેશન એક્ષ્પો અત્યંત મહત્વની માહિતી પૂરી પાડનાર બની રહેશે.
સ્ટાર્ટઅપ, એન્જલ ઇન્વેસ્ટરો અને સ્ટાર્ટઅપમાં રોકાણ કરવા ઇચ્છતા ઉદ્યોગ સાહસિકો એક છત નીચે એકત્રિત થશે, જેથી સ્ટાર્ટઅપને રોકાણકારો મળી રહેશે અને તેના થકી તેઓ પોતાના સ્ટાર્ટઅપને આગળ લઇ જઇ વધુ મજબૂત કરી શકશે
સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા તા. ૧૧, ૧ર અને ૧૩ એપ્રિલ, ર૦રપ દરમિયાન સવારે ૧૦:૦૦થી સાંજે ૭:૦૦ કલાક દરમ્યાન સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર, સરસાણા, સુરત ખાતે ‘સ્માર્ટ એજ્યુકેશન એક્ષ્પો– ર૦રપ’અને ‘સુરત સ્ટાર્ટઅપ સમિટ– ર૦રપ’નું આયોજન કરવામાં આવ્યું છે.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી વિજય મેવાવાલાએ જણાવ્યું હતું કે, સુરત એ ટેક્ષ્ટાઇલ અને ડાયમંડ ઇન્ડસ્ટ્રીના એમએસએમઇ હબ તરીકે ઓળખાય છે ત્યારે શહેરના આર્થિક વિકાસ માટે જેવી રીતે ઉદ્યોગ – ધંધાઓની પ્રગતિ જરૂરી છે એવી જ રીતે સમાજના ઉત્થાન માટે શિક્ષણ ક્ષેત્રે પણ વિકાસની એટલી જ જરૂર રહેલી છે. ખાસ કરીને માનવ સભ્યતા માટે સર્વશ્રેષ્ઠ શિક્ષણની શોધ હંમેશા સર્વોચ્ચ પ્રાથમિકતા રહી છે. આધુનિક શિક્ષણની અસર સમગ્ર ભારતીય સમાજ પર દેખાય છે. માનવીને જીવનના વિકાસમાં શિક્ષણનું અત્યંત મહત્વ રહેલું છે.
ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સ્માર્ટ એજ્યુકેશન એક્ષ્પોના આયોજન પાછળ ઘણા હેતુઓ છે. સુરતના નાગરિકોને ડિજિટલ યુગમાં પ્રાથમિક શિક્ષણને સુધારવાનું મહત્વ સમજાવવા અને શિક્ષણના ક્ષેત્રમાં થઈ રહેલા ફેરફારોને અનુરૂપ બનાવવા, શિક્ષણ પ્રણાલીમાં ઉચ્ચતમ ધોરણો લાવવાના સામાન્ય ધ્યેય સાથે સ્થાનિક સંસ્થાઓ સાથે વ્યવસાયિક ભાગીદારી રચવા માટે, ભારતીય અને આંતરરાષ્ટ્રીય સમકક્ષો માટે નવી તકો ઊભી કરવી, સ્માર્ટ એજ્યુકેશન/લર્નિંગના વલણો પર સંશોધન અને વિચારમંથન કરી શકાય તે માટે આ એક્ષ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત શૈક્ષણિક ક્ષેત્રે એક ગતિશીલ પ્લેટફોર્મ બનાવવા, જ્યાં શિક્ષણ સંસ્થાઓ તેમની શૈક્ષણિક પ્રતિષ્ઠાને અને અદ્યતન વ્યાવસાયિક અભ્યાસક્રમો પ્રદર્શિત કરી શકે, જે સૌથી અસરકારક રીતે મહત્વાકાંક્ષી યુવાનો સાથે ત્વરિત જોડાણ બનાવે છે.
સ્માર્ટ એજ્યુકેશન એક્ષ્પો અને સુરત સ્ટાર્ટઅપ સમિટનો ઉદ્ઘાટન સમારોહ શુક્રવાર, તા. ૧૧ એપ્રિલ, ર૦રપના રોજ સવારે ૧૦:૦૦ કલાકે સેમિનાર હોલ– એ, SIECC ડોમ, સરસાણા, સુરત ખાતે યોજાશે. જેમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાતના રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઇ પાનશેરિયા પધારશે અને તેમના વરદ હસ્તે એક્ષ્પોનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ સમારોહમાં ગુજરાતના ઇન્ડસ્ટ્રીઝ કમિશનર શ્રી પી. સ્વરૂપ (યબક) અને સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના ચેરમેન શ્રી ભરત શાહ અતિથિ વિશેષ તરીકેનું સ્થાન શોભાવશે.
સ્માર્ટ એજ્યુકેશન એક્ષ્પોમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી, ઓરો યુનિવર્સિટી, ગુજરાત વિદ્યાપીઠ યુનિવર્સિટી, પી.પી. સવાણી યુનિવર્સિટી, સાબરમતિ યુનિવર્સિટી, ડો. ડી.વાય. પાટીલ જ્ઞાન પ્રસાદ યુનિવર્સિટી, ડો. ડી.વાય. પાટીલ વિદ્યાપીઠ, ગણપત યુનિવર્સિટી, ઇન્સ્ટીટયુટ ઓફ એડવાન્સ રિસર્ચ, જોન એફ. કેનેડી યુનિવર્સિટી ઓફ મેડીસિન, નવરચના યુનિવર્સિટી, પંડિત દિનદયાળ એનર્જી યુનિવર્સિટી, પૂણેની પિંપરી ચિંચવડ યુનિવર્સિટી, પ્લાસ્ટઇન્ડિયા ઇન્ટરનેશનલ યુનિવર્સિટી, સિગ્મા યુનિવર્સિટી, વિદ્યાપીઠ યુનિવર્સિટી, સિલ્વર ઓક યુનિવર્સિટી, ઇઝી બિઝનેસ સ્કૂલ, મુંબઇની મોડાર્ટ, યુ.એ.ઇ.ની બ્રિટ્સ ઇમ્પેરિયલ યુનિવર્સિટી કોલેજ, ડીઇસી એબ્રોડ પ્રાઇવેટ લિમિટેડ, ફોર્ચ્યુન એજ્યુકેશન હબ, ગ્લોબલ રિસર્ચ ઇમિગ્રેશન, નેશનલ કોમ્પ્યુટર્સ, પાર્લેઝ મોન્ડીયલ, આર.જી. ઇન્ટરનેશનલ, એડયુમેટ ઇમિગ્રેશન, એ.ઇ.સી.સી. સ્ટડી એબ્રોડ કન્સલ્ટન્ટ્સ અને વીઝા થિયરી દ્વારા ભાગ લેવામાં આવ્યો છે.
આ ઉપરાંત આ એક્ષ્પોમાં યુ.કે., યુ.એસ.એ., દુબઇ, સિંગાપોર, જર્મની, ફ્રાન્સ, નેધરલેન્ડ અને આયર્લેન્ડની વિવિધ યુનિવર્સિટીઓ અને શૈક્ષણિક ઇન્સ્ટીટયુટ્સમાં વિદ્યાર્થીઓને પ્રવેશથી માંડીને ત્યાં રહેવા સુધીની વ્યવસ્થાની સંપૂર્ણ માહિતી આપવામાં આવશે. વિદેશની યુનિવર્સિટીઓની વિસ્તૃત જાણકારી વિદ્યાર્થીઓ તથા વાલીઓને મળી રહે તે માટે એક્ષ્પોમાં જુદા જુદા પેવેલિયન બનાવવામાં આવ્યા છે, આથી વિદ્યાર્થીઓ ગ્લોબલ એજ્યુકેશન સ્ટાન્ડર્ડ્સ વિષે જાણકારી મેળવી શકશે. આ એક્ષ્પો શિક્ષણવિદો અને વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના પ્રતિનિધિઓ સાથે સીધો સંપર્ક કરવાની તક આપશે. આ એક્ષ્પોમાં દિવ્યાંગો દ્વારા બનાવવામાં આવેલી ગીફટ – સ્ટેશનરીના સ્ટોલ પણ રાખવામાં આવ્યા છે.
સ્માર્ટ એજ્યુકેશન એક્ષ્પોમાં ભાગ લેનારી યુનિવર્સિટીઓની વાત કરીએ તો ભારતની ર૦ જેટલી યુનિવર્સિટી ભાગ લીધો છે. જ્યારે યુકેની ૧ર, યુએસએની ૧૯, દુબઇની પ, સિંગાપોરની ૧, જર્મનીની ૬, ફ્રાન્સની ૪, નેધરલેન્ડની ૧, આર્યલેન્ડની ૩ તથા એમબીબીએસની ૩ યુનિવર્સિટીએ ભાગ લીધો છે. આ ઉપરાંત હોટેલ મેનેજમેન્ટની ર, કુકીંગની ર, જ્વેલરી ઇન્ડસ્ટ્રીની ૪ અને ઇન્ટિરિયર ડિઝાઇનની ૧ તથા અન્ય ૧૪ જેટલા ઇન્સ્ટીટયુટ દ્વારા પણ એક્ષ્પોમાં ભાગ લેવામાં આવ્યો છે. આ તમામ યુનિવર્સિટી અને એજ્યુકેશનલ ઇન્સ્ટીટયુટના પ્રતિનિધિઓ દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓને શૈક્ષણિક કારકિર્દી તથા અભ્યાસક્રમો વિષે વિસ્તૃત જાણકારી આપવામાં આવશે.
ચેમ્બર પ્રમુખ શ્રી વિજય મેવાવાલાએ વધુમાં જણાવ્યું હતું કે, ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સુરતમાં સ્ટાર્ટ–અપ ઇકો સિસ્ટમને બુસ્ટ કરવા માટે તેમજ સુરતના ઉદ્યોગકારોમાં અવેરનેસ લાવવાના હેતુથી ‘સુરત સ્ટાર્ટ–અપ સમિટ– ર૦રપ’નું આયોજન કરવામાં આવ્યું છે. આ સમિટમાં આઇટી, સાયબર સિકયુરિટી, સોફટવેર ટેકનોલોજી, લોજિસ્ટીકસ, ઇન્વેન્શન લર્નિંગ, બિલીંગ સોફટવેર, ઓટોમેશન, ડિજિટલ પ્લેટફોર્મ અને બેન્કીંગ સર્વિસ વિગેરે ક્ષેત્રોમાં પ૦થી વધુ સ્ટાર્ટ–અપ કરનારા ઉદ્યોગ સાહસિકોએ ભાગ લીધો છે, જેમાંથી મોટા ભાગના સ્ટાર્ટ–અપ સુરતના છે. આ ઉપરાંત બેંગ્લોર, ઉત્તરાખંડ, અમદાવાદ, વલસાડ, વાપી, નવસારી અને ગાંધીનગરના સ્ટાર્ટ–અપે પણ ભાગ લીધો છે. આ તમામ સ્ટાર્ટઅપ તેઓની પ્રોડકટને ડિસ્પ્લે કરશે.
ચેમ્બર ઓફ કોમર્સ આ સમિટ થકી એવું પ્લેટફોર્મ પૂરુ પાડવા જઇ રહયું છે કે જ્યાં સ્ટાર્ટ–અપ, એન્જલ ઇન્વેસ્ટરો અને સ્ટાર્ટ–અપમાં રોકાણ કરવા ઇચ્છતા ઉદ્યોગ સાહસિકો એક છત નીચે એકત્રિત થશે. જેથી સ્ટાર્ટ–અપને રોકાણકારો મળી રહેશે અને તેના થકી તેઓ પોતાના સ્ટાર્ટ–અપને આગળ લઇ જઇ વધુ મજબુત કરી શકશે. સમિટમાં ભાગ લેનારા તમામ સ્ટાર્ટ–અપ પોતાના આઇડિયાને એકઝીબીટ કરશે. સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાત મેન્યુફેકચરીંગ હબ છે ત્યારે સુરત સ્ટાર્ટ–અપ માટે ફાયનાન્સ કેપિટલ હબ બને તે માટે આ સમિટ થકી પ્રયાસ કરવામાં આવી રહયો છે. આ સમિટની મુલાકાત માટે દેશભરમાંથી ૧૦ હજારથી વધુ ઉદ્યોગકારોને આમંત્રિત કરવામાં આવ્યા છે.
સુરત સ્ટાર્ટઅપ સમિટ દરમ્યાન વિવિધ વિષયો પર પેનલ ડિસ્કશન અને સેમિનારો યોજાશે, જેમાં ભારત સરકાર અને ગુજરાત સરકારના અધિકારીઓ દ્વારા સ્ટાર્ટઅપ માટેની યોજનાઓ વિષે જાણકારી આપવામાં આવશે. આ ઉપરાંત ગુજરાત સરકારનું ઇનોવેટીવ હબ એટલે કે આઇહબ, સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન અને દેશભરમાંથી સ્ટાર્ટઅપના નિષ્ણાંતો દ્વારા ઉદ્યોગ સાહસિકોને માર્ગદર્શન આપવામાં આવશે. સાથે જ સુરતની કોલેજોમાં ભણતા વિદ્યાર્થીઓ અને યુવાઓને ક્રિએટીવ આઇડીયા વિચારવાની તકો માટે માહિતી આપશે.
સુરત સ્ટાર્ટઅપ સમિટના આયોજન માટે ચેમ્બરને ભારત સરકારના સ્ટાર્ટઅપ ઇન્ડિયા, ગુજરાત સરકારની ઇન્ડસ્ટ્રીઝ કમિશનર ઓફિસ, ગુજરાત સરકારનો ઇન્ડસ્ટ્રીયલ એક્ષ્ટેન્શન બ્યુરો (ઇન્ડેક્ષ્ટબી) અને સ્ટાર્ટઅપ ગુજરાતનો સહયોગ પ્રાપ્ત થયો છે.
આ પ્રસંગે ચેમ્બરના ઉપ પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસી, તત્કાલિન નિવૃત્ત પ્રમુખ શ્રી રમેશ વઘાસિયા, માનદ્ મંત્રી શ્રી નિરવ માંડલેવાલા, માનદ્ ખજાનચી શ્રી મૃણાલ શુકલ, ઓલ એકઝીબીશન્સ ચેરમેન શ્રી બિજલ જરીવાલા, સ્માર્ટ એજ્યુકેશન એક્ષ્પોના ચેરમેન શ્રી મહેશ પમનાની, સુરત સ્ટાર્ટઅપ સમિટના ચેરમેન સીએ મયંક દેસાઇ તથા કો–ચેરમેનો શ્રી અમિત શાહ અને શ્રી પુનિત ગજેરા ઉપસ્થિત રહયા હતા.
અમેરિકાના ટેરિફ વોરની અસરથી ભારતીય શેરબજારમા ભારે અફડા તફડી જોવા મળી છે. જેમા આજે Date 7/04/2025 સપ્તાહના પ્રથમ દિવસે સેન્સેક્સ 3914.75ના વિક્રમી ઘટાડા સાથે 71,449.94 પોઈન્ટ પર ખુલ્યો હતો. જ્યારે નિફ્ટી પણ આજે 1146 પોઈન્ટના ઘટાડા સાથે 21,758.40 પોઈન્ટ પર ખુલ્યો. આજે ઘણી મોટી કંપનીઓના શેર 10-10 ટકાના ઘટાડા સાથે ખુલ્યા હતા. આ શેરબજારના કોરોના બાદનો સૌથી મોટો કડાકો છે. જેના લીધે રોકાણકારોના નિરાશા જોવા મળી રહી છે. વૈશ્વિક સ્તરે ટ્રેડવૉરની શરુઆત સાથે જ શેરબજારમાં ભૂકંપ આવ્યો છે. સેન્સેક્સ આજે 3939.68 પોઇન્ટના કડાકા સાથે 71425.01ની બોટમે પહોંચ્યો હતો. નિફ્ટીમાં પણ ઐતિહાસિક 1160.8 પોઇન્ટનો કડાકો નોંધાયો છે. રોકાણકારોની મૂડીમાં આજે 20 લાખ કરોડનું ધોવાણ થયું છે. શુક્રવારે 403.34 લાખ કરોડ સામે બીએસઈ માર્કેટ કેપ આજે 383 લાખ કરોડ થયું છે.
બીએસઈ ખાતે કુલ ટ્રેડેડ 3877 પૈકી માત્ર 320 શેરમાં પણ સુધારો જોવા મળ્યો હતો. જ્યારે 3429 શેર કડડભૂસ થયા છે. 727 સ્ક્રિપ્સ વર્ષના તળિયે અને 520 સ્ક્રિપ્સમાં લોઅર સર્કિટ નોંધાઈ છે. શેરબજારમાં કોવિડ મહામારી જેવા મોટા કડાકા પાછળનું કારણ ટેરિફના લીધે વૈશ્વિક સ્તરે મંદીના એંધાણ છે. વૈશ્વિક શેરબજારોમાં અફરાતફરીના માહોલ છે.
આજે સેન્સેક્સની 30 કંપનીઓમાંથી ફક્ત 1 કંપનીનો શેર વધારા સાથે ખુલ્યો અને અન્ય બધી 29 કંપનીઓના શેર ઘટાડા ખુલ્યા. બીજી તરફ નિફ્ટીની તમામ 50 કંપનીઓના શેર ઘટાડા સાથે ખુલ્યા હતા. સેન્સેક્સ કંપનીઓમાં, ફક્ત ભારતી એરટેલનો શેર 0.90 ના વધારા સાથે ખુલ્યો. જ્યારે, ટાટા સ્ટીલનો શેર આજે ૮.૨૯ ટકાના મહત્તમ ઘટાડા સાથે ખુલ્યો હતો.
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ટેરિફ પ્લાનમાં ક્યાંય પીછેહટ કરતાં જોવા ન મળતાં વૈશ્વિક શેરબજારોમાં મોટાપાયે વેચવાલી વધી છે. અમેરિકન સ્ટોક માર્કેટમાં કોવિડ મહામારી જેવી સ્થિતિ જોવા મળી હતી. ડાઉ જોન્સ 2231 પોઇન્ટ, નાસડેક 962 પોઇન્ટ જ્યારે એશિયન શેરબજારોમાં નિક્કેઈ 2370.25 પોઇન્ટ હેંગસેંગ 2445 પોઇન્ટ તૂટ્યો છે. યુરોપિયન સ્ટોક માર્કેટ પણ 5 ટકા સુધી તૂટ્યા હતા. જેની અસર ભારતીય શેરબજાર પર પણ જોવા મળી છે. ટ્રમ્પે ટેરિફના કારણે વૈશ્વિક સ્તરે આર્થિક મંદી તેમજ ટ્રેડવૉર મામલે સ્પષ્ટતા કરી હતી કે, તેને આ નુકસાનની ચિંતા નથી. તે નમતું નહીં મૂકે, ટેરિફ એ અમેરિકાની આર્થિક સ્થિતિ માટે દવા રૂપે કામ કરશે. તે સુચારુ વેપાર નીતિ બનાવશે.
બ્લેક મંડે શું છે ?
19 ઓક્ટોબર 1987ના રોજ બ્લેક મંડે એ એવો સમય હતો જ્યારે વિશ્વભરના બજારો તૂટી પડ્યા હતા, યુએસ ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 22.6 ટકા ઘટ્યો હતો. આ ઘટનાએ વૈશ્વિક શેરબજારમાં મંદી લાવી દીધી, જેના કારણે બ્લેક મન્ડે નાણાકીય ઇતિહાસના સૌથી ખરાબ દિવસોમાંનો એક બન્યો. આ દિવસે S&P 500 30 ટકા ઘટ્યો. આખો મહિનો આ અંધાધૂંધી ચાલુ રહી અને નવેમ્બર 1987 ની શરૂઆતમાંમોટાભાગના મુખ્ય શેરબજાર સૂચકાંકોએ તેમના મૂલ્યના 20 ટકા થી વધુ ગુમાવ્યા હતા.
સોનુ ચાંદી જેવી કિંમતી ધાતુઓમાં પણ ભારે વેચાવાલી
અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિ, નીતિને પગલે અમેરિકા સહિતની વિશ્વભરની ઈક્વિટી માર્કેટમાં ગાબડાં પડતાં રોકાણકારોને થયેલી વ્યાપક નુકસાની સરભર કરવા માટે રોકાણકારો સોનામાં નફારૂપી વેચવાલીનું દબાણ વધતાં ગત શુક્રવારે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે સોનાના ભાવ એક ટકા કરતાં વધુ માત્રામાં ઘટીને સાડાત્રણ સપ્તાહની નીચી સપાટીએ પહોંચ્યા હતા, જ્યારે ચાંદીના ભાવ સાત મહિનાના તળિયે પહોંચ્યા હતા. વધુમાં આજે લંડન ખાતે સત્રના આરંભે સોનામાં ધીમો ભાવઘટાડો આગળ ધપ્યો હતો અને ચાંદીમાં તળિયેથી ધીમો સુધારો જોવા મળ્યો હતો. જોકે, આજે સ્થાનિક ઝવેરી બજારમાં મધ્યસત્ર દરમિયાન ગત શુક્રવારના વિશ્વ બજારનાં નિરુત્સાહી અહેવાલને ધ્યાનમાં લેતા સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 2603થી 2613નો કડાકો બોલાઈ ગયો હતો અને ભાવ રૂ. 89,000ની અંદર ઉતરી ગયા હતા, જ્યારે ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. 4535નાં ગાબડાં સાથે રૂ. 89,000ની અંદર ઉતર્યા હતા.
સ્થાનિક સોનાચાંદી બજારમાં આજે મધ્યસત્ર દરમિયાન બન્ને કિંમતી ધાતુઓમાં ગત શુક્રવારના વૈશ્વિક બજારના નિરુત્સાહી અહેવાલે સ્ટોકિસ્ટો અને રોકાણકારોની વ્યાપક વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું જેમાં ખાસ કરીને 999 ટચ ચાંદીમાં ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ પણ નિરસ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. 4535નાં ગાબડાં સાથે રૂ. 89,000ની અંદર ઉતરીને રૂ. 88,375ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે મધ્યસત્ર દરમિયાન સોનામાં પણ સ્ટોકિસ્ટો અને રોકાણકારોની છૂટીછવાઈ નફારૂપી વેચવાલી અને જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ નિરસ રહેતાં 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 2603 ઘટીને રૂ. 88,047 અને રૂ. 2813 ઘટીને રૂ. 88,401ના મથાળે રહ્યા હતા. જોકે, આજે આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો 39 પૈસા નબળો ક્વૉટ થઈ રહ્યો હોવાથી સ્થાનિકમાં સોનાની આયાત પડતરમાં વધારો થવાની વિશ્વ બજારની સરખામણીમાં ભાવઘટાડો થોડોઘણો મર્યાદિત રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીએ 170 કિમીની પદયાત્રા કરી આજે દ્વારકાધીશના દર્શન કર્યા. દ્વારકામાં તમામ જ્ઞાતિ-સમાજ, હૉટેલ એસોસિયેશન, વેપારી મંડળ, સામાજિક સંસ્થાઓ તથા દ્વારકાના સ્થાનિકોએ અનંત અંબાણીને જગતના નાથના નગરમાં વધાવ્યા હતા.
પદયાત્રાના સમાપન બાદ અનંત અંબાણીએ આજે ગોમતિપૂજન કર્યું. શારદાપીઠ ખાતે પાદુકાપૂજનનો પણ લાભ લીધો હતો. અનંત અંબાણીની સાથે તેમના માતા નીતા અંબાણી તથા પત્ની રાધિકાએ પણ ભગવાન દ્વારકાધીશના ચરણમાં શીશ નમાવ્યું હતું. આ પ્રસંગે અંબાણી પરિવાર તરફથી 10 હજાર જેટલા પરિવારના એક લાખ લોકોની પ્રસાદી સેવા કરાઇ. આ ઉપરાંત રામનવમીના પાવન અવસર પર દ્વારકાધીશના દર્શન કરવા આવેલા ભક્તોમાં પણ પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.