ઊંચા ગજાના સાહિત્યકાર તેમ જ બાહોશ અભિનેતા અને બહુમુખી પ્રતિભા ધરાવતા પ્રખર બુદ્ધિજીવી તરીકેની ઓળખ ધરાવતા ગિરીશ કર્નાડનું ગઇ કાલે બૅન્ગલુરુમાં તેમના નિવાસસ્થાને અવસાન થયું હતું. સાહિત્ય, રંગભૂમિ અને ફિલ્મોમાં પાંચ દાયકા દરમિયાન મૂઠી ઊંચેરું યોગદાન આપી અમીટ છાપ છોડી જનારા 81 વર્ષના કર્નાડ કેટલાક સમયથી બીમાર હતા. મુખ્યત્વે ક્ધનડ ભાષામાં લેખન, નાટ્યપ્રવૃત્તિ તેમ જ ફિલ્મોે કરનારા ગિરીશ કર્નાડે હિંદી ફિલ્મોમાં અભિનય પણ કર્યો હતો. આધુનિક નાટ્યલેખનમાં બંગાળીમાં બાદલ સરકાર અને મરાઠીમાં વિજય તેંડુલકરનું જે માતબર કક્ષાનું યોગદાન રહ્યું છે એવું યોગદાન ગિરીશ કર્નાડનું ગણાય છે. તેમના

પરિવારમાં પત્ની સરસ્વતી, લેખક-પત્રકાર પુત્ર રઘુ કર્નાડ તેમ જ પુત્રી રાધા છે. તેમની અંતિમ ઇચ્છા અનુસાર કોઇ પણ પ્રકારની ધાર્મિક વિધિ નહીં કરવામાં આવે. મુખ્ય પ્રધાનના કાર્યાલય દ્વારા તેમના માનમાં ગઇ કાલે રજા જાહેર કરવામાં આવી હતી તેમ જ ત્રણ દિવસનો રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે.
બહુમુખી પ્રતિભા ધરાવતા કર્નાડને જ્ઞાનપીઠ અવૉર્ડ ઉપરાંત પદ્મ શ્રી તેમ જ પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત 1960ના દાયકામાં ઑક્સફર્ડ યુનિવર્સિટી તરફથી પ્રતિષ્ઠિત ર્હોડ્સ સ્કૉલરશિપ એનાયત થયા બાદ તેમણે ફિલોસોફી, પોલિટિકલ સાયન્સ અને ઇકોનૉમિક્સમાં માસ્ટર્સ ઑફ આર્ટ્સની ડિગ્રી મેળવી હતી. ક્ધનડ ભાષામાં લખેલાં તેમનાં નાટકોનો અનુવાદ અંગ્રેજી ઉપરાંત બીજી અન્ય ભાષાઓમાં પણ થયો હતો. ઐતિહાસિક અને પૌરાણિક કથાઓને સમકાલીન સંદર્ભમાં રજૂ કરવામાં તેમની હથોટી હતી.
ફિલ્મ ઍન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર અને ચૅરમૅન એમ બેઉ પદ સંભાળનારા તેઓ એકમાત્ર વ્યક્તિ હતા. 2000થી 2003 દરમિયાન તેમણે લંડન સ્થિત નહેરુ સેન્ટરના ડિરેક્ટરની પણ જવાબદારી સંભાળી હતી. હિંદી અને ક્ધનડ ભાષાની ફિલ્મો માટે તેમને લેખક અને દિગ્દર્શક તરીકે નૅશનલ અવૉર્ડ સુધ્ધાં મળ્યા હતા. સાઉથના ફિલ્મફેર અવૉર્ડથી પણ તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. સ્પષ્ટવક્તા હોવાને કારણે તેઓ ઘણી વખત વિવાદમાં સપડાયા હતા. ટાગોરના નાટકોની ટીકા તેમ જ 2014ની ચૂંટણી વખતે વડા પ્રધાનના પદ માટે નરેન્દ્ર મોદીના વિરોધના પ્રસંગે વિવાદ થયો હતો.
મોટા ભાગના લોકોમાં તેમની પ્રમુખ ઓળખ હિંદી ફિલ્મોના એક ઊચ્ચ કક્ષાના અભિનેતાની છે. જોકે, રંગભૂમિ પર તેમનું યોગદાન વિશાળ ફલકનું છે. તેમનું પહેલું નાટક ‘યયાતિ’ 1961માં આવ્યું હતું. ત્યાર બાદ ‘તુઘલખ’ અને ‘હયવદન’ આ બે નાટકોએ તેમને મૂઠી ઊંચેરા સાબિત કરી દીધા હતા. ક્ધનડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ તેમનું મોટું યોગદાન રહ્યું છે. ક્ધનડ ભાષાની ફિલ્મો ઉપરાંત તેમણે વખણાયેલી કેટલીક હિંદી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. 1975માં આવેલી ‘નિશાંત’થી તેમની હિંદી ફિલ્મ કારકિર્દીની વિધિવત્ શરૂઆત થઇ હતી. ત્યાર બાદ ‘મંથન’ અને ‘નિશાંત’ જેવી પૅરેલલ સિનેમાની ફિલ્મોમાં અભિનય કરવા ઉપરાંત ‘મેરી જંગ’ અને ‘મનપસંદ જેવી કમર્શિયલ ફિલ્મો પણ કરી હતી. સલમાનની ‘એક થા ટાઇગર’ તેમ જ ‘ટાઇગર ઝિંદા હૈ’ ફિલ્મોમાં અભિનય કરનારા ગિરીશ કર્નાડ ‘શિવાય’ અને ‘ચૉક એન ડસ્ટર’માં પણ જોવા મળ્યા હતા. નાગેશ કુકુનરની ચાર ફિલ્મોમાં તેમણે અભિનય કર્યો હતો જેમાં ‘ઇકબાલ’, ડોર’, એઇટ બાય ટેન તસવીર’ તેમ જ ‘આશાએં’નો સમાવેશ છે. તેમના નાટકો ઇબ્રાહિમ અલકાઝી, અલેક પદમસી તેમ જ સત્યદેવ દુબે જેવા રંગભૂમિના દિગ્ગજ ડિરેક્ટરોએ દિગ્દર્શિત કર્યા હતા. ‘વંશવૃક્ષ’ નામની ક્ધનડ ફિલ્મમાં તેમણે પહેલી વખત દિગ્દર્શન પર હાથ અજમાવ્યો હતો. ત્યાર બાદ શશી કપૂર નિર્મિત ‘ઉત્સવ’નું તેમ જ 1977ની ‘ગોધૂલિ’નું દિગ્દર્શન પણ તેમણે જ કર્યું હતું.
સાઉથની તેમ જ હિંદી ફિલ્મોમાં અભિનય કરનારા કર્નાડ ટેલીવિઝનના ટચૂકડા પડદા પર પણ જોવા મળ્યા હતા. ‘માલગુડી ડેઝ’ અને ‘ઇન્દ્રધનુષ’ સિરિયલોમાં તેમનો અભિનય ટીવીના દર્શકોને યાદ હશે. દૂરદર્શન પર અઠવાડિયામાં એક વાર આવતા ‘ટર્નિંગ પોઇન્ટ’ નામના સાયન્સ પ્રોગ્રામનું સંચાલન તેઓ કરતા હતા. લોકો સમજી શકે એવી સાદી ભાષામાં વિજ્ઞાનની આધુનિક શોધો રજૂ કરવામાં આવતી હતી.























