સંતાન પ્રાપ્તિની ટ્રીટમેન્ટ માટે આવેલી શહેરની એક પરણિતા સાથે દુષ્કર્મ કર્યાની પોલીસ ફરીયાદ જેની સામે નોંધાયેલી છે એ સુરતના નાનપુરાની મી એન્ડ મમ્મી હોસ્પિટલના ડો. પ્રફુલ દોશી આજે ત્રીજા દિવસે પણ પોલીસની પહોંચની બહાર છે. પોલીસ કાર્યવાહીથી સંતાતા ફરતા ડો.પ્રફુલ દોશીને શોધવા માટે પોલીસ તમામ પ્રયાસો કરી રહી છે. ડો. પ્રફુલ દોશી દંપતિ સાથે ઘરોબો ધરાવતા લોકો સુધી પોલીસે પહોંચીને કોઇપણ સંજોગોમાં તેમને હાજર કરાવવા માટે ચીમકીઓ આપી દીધી છે. અલબત્ત હજુ સુધી ડો.પ્રફુલ દોશીએ પોલીસમાં હાજર થવા અંગે કોઇ હરકત કરી નથી. ડો.નિરવ શાહ અને ડો.રૂપલ શાહે ડો. દોશીને કારણે મુશ્કેલીમા મૂકાવું પડ્યું છે. બે દિવસથી પોલીસે બન્નેની આકરી પૂછપરછ કરી છે અને હજુ પણ તેમના પર પ્રેશર છે કે તાત્કાલિક ડો. પ્રફુલને હાજર કરાવે અન્યથા આકરી પોલીસ કાર્યવાહીનો સામનો કરવો પડશે.
ડો.પ્રફુલ દોશી સામેના પોલીસ કેસ અંગે શહેરના તબીબ આલમમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. તબીબોમાં મોરલ એથિક્સના મુદ્દે ડો.પ્રફુલ દોશીના મુદ્દે બે ફાડચા પડી ગયા છે. તબીબો માને છે કે જો ડો. પ્રફુલ દોશી નિદોર્ષ હોત તો તેમણે પોલીસ કાર્યવાહીથી સંતાવાને બદલે તેનો સામનો કરવો જોઇતો હતો. તેની જગ્યાએ ત્રણ દિવસથી લાપતા બનીને ડો.પ્રફુલ દોશીએ એ શંકાને બળવતર બનાવી છેકે તેઓ કસૂરવાર છે.

ગઇકાલ તા.7મી સપ્ટેમ્બરે પોલીસે ડો.નિરવ શાહની પૂછપરછ કરી હતી આજે સૂત્રોએ આપેલી માહિતી મુજબ ડો.નિરવ શાહના પત્ની ડો.રૂપલ શાહની પોલીસે ઘનિષ્ઠ પૂછપરછ કરી હોવાની વિગતો જાણવા મળી છે. ડો.રૂપલ શાહ અને ડો.દોશી દંપતિ એક જ પ્રીમાઇસીસમાં કન્સલ્ટીંગ ધરાવવા સાથે અમૂક બિઝનેસમાં પાર્ટનર હોવાનું જાણવા મળે છે.
ડો.રૂપલ શાહ કે ડો.નિરવ શાહ જાણે છે કે ડો.પ્રફુલ દોશી ભૂગર્ભમાં કયા સ્થળે છૂપાયા હોઇ શકે. મિડીયા રિપોર્ટ પ્રમાણે ડો.દોશી મુંબઇ કે ઉત્તર ગુજરાત તરફ હોવાની શંકા છે, અલબત્ત તેમના વિષે પોલીસ કોઇ ચોક્કસ માહિતી મેળવી શકી નથી.
બીજી તરફ ભોગ બનેલી પરણિતાને ન્યાય અપાવવા માટે પ્રજાપતિ સમાજ સામે આવ્યો છે. તા.7મી સપ્ટેમ્બરે પોલીસ તંત્રમાં રજૂઆતો કર્યા બાદ પ્રજાપતિ સમાજના આગેવાનોએ સમાજની એક મિટીંગ અમરોલીમાં બોલાવી છે. જે અંગે મિડીયામાં આ પ્રમાણે મેસેજ વાઇરલ થયા છે.






















