આધ્યાત્મિક Archives - CIA Live

January 18, 2026
chardham.jpg
1min41

ઉત્તરાખંડની પવિત્ર ચારધામ યાત્રા પર જનારા શ્રદ્ધાળુ માટે આ વર્ષે મોટા સમાચાર સામે આવ્યા છે. બદ્રીનાથ, કેદારીનાથ, ગંગોત્રી અને યમુનોત્રી ધામની પવિત્રતા અને મર્યાદા જાળવી રાખવા માટે ઉત્તરાખંડ સરકાર અને વહીવટી તંત્રએ એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. હવેથી મંદિર પરિસરમાં મોબાઈલ ફોન અને કેમેરા લઈ જવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકાયો છે. આ નિર્ણય પાછળનો મુખ્ય હેતુ મંદિરોમાં વધતા જતા ‘રીલ’ કલ્ચર અને સોશિયલ મીડિયા બ્લોગિંગ પર લગામ કસવાનો છે.

આ અંગે ગઢવાલ કમિશનર વિનય શંકર પાંડેની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં નિર્ણય લેવાયો હતો. વહીવટીતંત્રના જણાવ્યાનુસાર, છેલ્લા કેટલાક વર્ષોમાં જોવા મળ્યું છે કે શ્રદ્ધાળુઓ દર્શન કરવાને બદલે મંદિરની અંદર ફોટા પાડવામાં અને વીડિયો કે રીલ બનાવવામાં વધુ સમય વિતાવે છે. આ કારણસર માત્ર મંદિરની ગરિમા તો જોખમાય જ છે, પરંતુ ત્યાં દર્શન માટે ઉભેલા અન્ય શ્રદ્ધાળુઓને પણ મુશ્કેલી પડે છે. ભીડનું વ્યવસ્થાપન કરવું પણ કઠિન બને છે. વળી, આ મુદ્દે અન્ય લોકો પણ વારંવાર ફરિયાદ કરે છે, જેથી પવિત્ર ધામોમાં કોઈ પણ વિવાદોને રોકવા માટે આ પગલું લેવાયું છે.

નવા નિયમ મુજબ, બદ્રીનાથમાં સિંહદ્વારથી આગળ અને કેદારીનાથ, ગંગોત્રી તેમજ યમુનોત્રીના મંદિર પરિસરમાં મોબાઈલ લઈ જવાની મનાઈ રહેશે. શ્રદ્ધાળુઓએ દર્શન કરતા પહેલા જ પોતાના મોબાઈલ ફોન અને કેમેરા નક્કી કરેલા કાઉન્ટર પર જમા કરાવવાના રહેશે. બદ્રીનાથ-કેદારીનાથ મંદિર સમિતિ (BKTC) દ્વારા ફોન સુરક્ષિત રાખવા માટે અલગ વ્યવસ્થા કરાશે. જો કે, મંદિરની બહારથી બેકગ્રાઉન્ડમાં જવાબદારીપૂર્વક અને કોઈને ખલેલ ના પહોંચે તે રીતે ફોટો અને વીડિયોગ્રાફી કરવાની છૂટ રહેશે.

આ વર્ષે પણ યાત્રા માટે રજિસ્ટ્રેશન ફરજિયાત રહેશે, જેમાં 60% ઓનલાઇન અને 40% ઓફલાઇન પદ્ધતિ રખાઈ છે. ગત વર્ષે 50 લાખથી વધુ પ્રવાસીએ ચારધામના દર્શન કર્યા હતા, જેને ધ્યાનમાં રાખીને આ વર્ષે રસ્તા, આરોગ્ય અને સુરક્ષા વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવાઈ રહી છે. શ્રદ્ધાળુઓ શાંતિપૂર્ણ અને ભક્તિમય વાતાવરણમાં દર્શન કરી શકે તે તંત્રની પ્રાથમિકતા છે.

January 13, 2026
makarsankranti.jpg
2min35

મકરસંક્રાંતિ 2026: સૂર્યનું મકર રાશિમાં પરિવર્તન, જાણો પુણ્યકાળનું વર્ષ 2026ની શરૂઆતમાં જ આવતા પર્વ મકરસંક્રાંતિને લઈને લોકોમાં ભારે ઉત્સાહ છે. જ્યોતિષશાસ્ત્ર અને ખગોળશાસ્ત્રની દ્રષ્ટિએ આ દિવસનું વિશેષ મહત્વ છે. જ્યોતિષાચાર્ય ડો. હેમીલ પી. લાઠીયાના જણાવ્યા અનુસાર, વર્ષ 2026માં સૂર્ય દેવ મકર રાશિમાં ક્યારે પ્રવેશ કરશે અને દાન-પુણ્યનું શું મહત્વ રહેશે તે અંગેની ખાસ વિગતો પર નજર કરીએ.

સંક્રાંતિનો સમય અને પંચાંગ

આ વર્ષે મકરસંક્રાંતિ એટલે કે સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ 14 જાન્યુઆરી, 2026 ને બુધવારના રોજ થશે.

  • સમય: બપોરે 03:08 મિનિટે (IST)
  • તિથિ: પોષ વદ 11
  • નક્ષત્ર: અનુરાધા
  • ચંદ્ર રાશિ: વૃશ્ચિક
  • લગ્ન: વૃષભ

રાશિ મુજબ દાન: જાણો તમારે શું દાન કરવું જોઈએ?

મકરસંક્રાંતિના પવિત્ર દિવસે યથાશક્તિ દાન કરવાથી વિશેષ પુણ્ય પ્રાપ્ત થાય છે. રાશિ મુજબ નીચે મુજબની વસ્તુઓના દાનનું સૂચન કરવામાં આવ્યું છે.

શાસ્ત્રોક્ત દાન ઉપરાંત પશુ-પંખીઓને ચણ નાખવું અને ગાયોને ઘાસચારો ખવડાવવો એ પણ આજના દિવસે અત્યંત ફળદાયી માનવામાં આવે છે. સૂર્ય ભગવાન જ્યારે ઉત્તર તરફ પ્રયાણ કરે છે ત્યારે તેમની તેજસ્વિતા વધે છે, જે માનવ જીવન અને ખેતી-વેપાર પર પણ સકારાત્મક અસર કરે છે.

જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યનું રાશિ પરિવર્તન ‘સંક્રાંતિ’ તરીકે ઓળખાય છે. સૂર્ય જ્યારે મકર રાશિમાં પ્રવેશે છે ત્યારે તે ઉત્તર તરફ પ્રયાણ કરે છે, જેને આપણે ‘ઉત્તરાયણ’ કહીએ છીએ. સાયન પદ્ધતિ મુજબ સૂર્ય 22 ડિસેમ્બરની આસપાસ રાશિ પ્રવેશ કરે છે, જે ઋતુ ફેરફાર માટે મહત્વનો છે, જ્યારે નિરયન પદ્ધતિ મુજબ 14 જાન્યુઆરીના રોજ મકર સંક્રાંતિ ઉજવાય છે. આ દિવસે કરવામાં આવતી સૂર્ય પૂજા અને દાનનું અનેરું ફળ મળે છે.

December 24, 2025
image-26.png
1min47

જમ્મુ કાશ્મીરના કટરામાં માતા વૈષ્ણો દેવીના દર્શને હતા શ્રદ્ધાળુઓ માટે મોટા સમાચાર પ્રકાશમાં આવ્યા છે. જેના નવા વર્ષે ભીડ નિયંત્રિત કરવા માટે માતા વૈષ્ણોદેવી શ્રાઇન બોર્ડ નિયમોમાં ફેરફાર કર્યા છે. જેમાં હવે આરએફઆઈડી કાર્ડ ઇસ્યુ કર્યા બાદ 24 કલાકમાં પરત આવવું ફરજીયાત બનાવવામાં આવ્યું છે. તેમજ 10 કલાકમાં યાત્રા કરવી જરૂરી છે. આનો અમલ તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવ્યો છે.

માતા વૈષ્ણો દેવીના દર્શને આવતા શ્રદ્ધાળુઓની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે. ત્યારે મંગળવાર Dated 23/12/2025 માતા વૈષ્ણોદેવી શ્રાઇન બોર્ડ દ્વારા શ્રદ્ધાળુઓ માટે સલામત, સરળ યાત્રા સુનિશ્ચિત કરવા માટે વ્યવસ્થાઓની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠક દરમિયાન સીઈઓએ સંબંધિત અધિકારીઓને મુસાફરી વ્યવસ્થાપન અને સુરક્ષા પગલાં વધુ મજબૂત બનાવવા નિર્દેશ આપ્યો. RFID- કાર્ડ દ્વારા યાત્રાના કડક નિયમો પર ભાર મૂકવામાં આવ્યો. તેમજ ખાતરી કરવામાં આવી કે ફક્ત માન્ય RFID કાર્ડ ધરાવતા યાત્રાળુઓને જ આગળ વધવાની મંજૂરી આપવામાં આવે.

જેમાં હવે કટરા રેલ્વે સ્ટેશન નજીક યાત્રા નોંધણી કેન્દ્ર પર શ્રદ્ધાળુઓ રાત્રે 12 વાગ્યા સુધી RFID કાર્ડ મેળવી શકશે.આ અગાઉ આ સેવા રાત્રે 10 વાગ્યા સુધી ઉપલબ્ધ હતી. ટ્રેન દ્વારા મોડી રાત્રે આવતા મુસાફરો દર્શન દેવરી પ્રવેશદ્વાર પર RFID કાર્ડ મેળવી શકે છે. આ સેવા 24 કલાક ઉપલબ્ધ રહેશે.

આ ઉપરાંત આ બેઠકમાં સુરક્ષા એજન્સીઓએ મલ્ટી લેયર સુરક્ષા ગ્રીડ વિશે માહિતી આપી હતી. જેમાં પોલીસ, CRPF અને શ્રાઇન બોર્ડ સુરક્ષાના કર્મચારીઓનો સમાવેશ થાય છે. તેમજ ખતરાની પૂર્વ જાણકારી માટે અદ્યતન સર્વેલન્સ ડીવાઈસના ઉપયોગ પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો.

કટરાથી વૈષ્ણોદેવી મંદિરનું અંતર આશરે 13 કિમી છે. જેમાં શ્રદ્ધાળુઓ પગપાળા, ઘોડા, કુલી, બેટરી કાર અને હેલિકોપ્ટર દ્વારા મંદિર સુધી પહોંચી શકે છે. જેમાં પગપાળા મુસાફરીમાં લગભગ 8 કલાક લાગે છે. સામાન્ય દિવસોમાં મુસાફરીમાં 24 થી 36 કલાકનો સમય લાગે છે.

December 14, 2025
image-7.png
1min69

હિન્દુ ધર્મમાં લગ્ન અને અન્ય માંગલિક કાર્યો હંમેશા શુભ મૂહુર્તમાં જ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, શુભ સમયે કરવામાં આવતા કાર્યો દેવતાઓના આશીર્વાદ અને ગ્રહોના અનુકૂળ પ્રભાવથી સફળ થાય છે અને જીવનમાં સુખ-સમૃદ્ધિ લાવે છે. પરંતુ ખરમાસ શરૂ થતાંની સાથે જ, લગ્ન, મુંડન જેવા મોટા માંગલિક કાર્યો પર રોક લાગી જાય છે. આ વર્ષે ખરમાસ 16 ડિસેમ્બરથી શરૂ થવા જઈ રહ્યો છે, તેથી આ સમયગાળા દરમિયાન લગ્ન નહીં થશે.

આ ઉપરાંત ખરમાસ પહેલા જ અન્ય એક કારણસર લગ્ન પર વિરામ લાગી જશે. વાસ્તવમાં 11 ડિસેમ્બર, 2025ના રોજ શુક્ર ગ્રહ અસ્ત થઈ ચૂક્યો છે. શુક્રને પ્રેમ, વૈવાહિક સુખ અને લગ્નનો કારક ગ્રહ માનવામાં આવે છે. શુક્રના અસ્ત થવાના કારણે પણ લગ્ન માટે શુભ મૂહુર્ત નથી આવતા. આમ 11 ડિસેમ્બર, 2025થી લગ્ન સમારોહ પર રોક લગી ચૂકી છે. હવે સવાલ એ છે કે આ રોક કેટલો સમય ચાલશે અને ફરીથી લગ્નના શુભ મૂહુર્ત ક્યારથી શરૂ થશે.

ખરમાસ 15 જાન્યુઆરી, 2026ના રોજ સમાપ્ત થઈ જશે, જે પછી સામાન્ય રીતે શુભ કાર્યોની શરૂઆત થઈ જાય છે. પરંતુ આ વખતે લગ્ન પ્રસંગ માટે થોડી વધુ રાહ જોવી પડશે. વાસ્તવમાં શુક્ર ગ્રહ 53 દિવસ સુધી અસ્ત રહેશે અને 1 ફેબ્રુઆરી, 2026ના રોજ ફરીથી ઉદય કરશે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે શુક્ર ઉદય પછી જ લગ્ન અને અન્ય માંગલિક કાર્યો શરૂ કરવામાં આવે છે. તેથી લગ્નની સિઝન ફેબ્રુઆરી 2026થી જ શરૂ થશે.

ફેબ્રુઆરી 2026માં લગ્ન માટે કુલ 12 શુભ મૂહુર્ત છે. જેની તારીખો આ પ્રમાણે છે – 5 ફેબ્રુઆરી, 6 ફેબ્રુઆરી, 8 ફેબ્રુઆરી, 10 ફેબ્રુઆરી, 12 ફેબ્રુઆરી, 14 ફેબ્રુઆરી, 19 ફેબ્રુઆરી, 20 ફેબ્રુઆરી, 21 ફેબ્રુઆરી, 24 ફેબ્રુઆરી, 25 ફેબ્રુઆરી અને 26 ફેબ્રુઆરી.

વસંત પંચમી પર લગ્ન કેમ નહીં થશે

સામાન્ય રીતે વસંત પંચમીને લગ્ન માટે ખૂબ જ શુભ દિવસ માનવામાં આવે છે, કારણ કે તે સિદ્ધ અને અબૂઝ મુહૂર્ત હોય છે. પરંતુ 2026માં વસંત પંચમી પર લગ્ન માટે કોઈ શુભ મુહૂર્ત રહેશે નહીં. કારણ કે 23 જાન્યુઆરીએ આવતી વસંત પંચમી શુક્રના અસ્તના સમયગાળા દરમિયાન આવશે અને આ દરમિયાન લગ્ન કરવા અશુભ માનવામાં આવે છે.

November 25, 2025
image-19.png
3min81

Ayodhya Ram Mandir: આજે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં ધ્વજા ચડાવવામાં આવશે. નવા મંદિરના નિર્માણ બાદ શિખર વિના જ ગયા વર્ષે મંદિરમાં દર્શન ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. હવે શિખર સાથે આખું મંદિર બનીને તૈયાર થયું છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા ચડાવવામાં આવશે. ખાસ વાત એ છે કે શિખર પર લગાવવામાં આવેલો ધ્વજ દંડ અને ધ્વજા બંને અમદાવાદમાં બનાવવામાં આવ્યા છે.

ધ્વજા ચડાવવાનો સંપૂર્ણ કાર્યક્રમ

આજે Date 25/11/2025 બપોરે 12 વાગ્યે વડાપ્રધાન મોદી શ્રી રામ મંદિરમાં ભગવા રંગની ધ્વજા ચડાવશે. સાથે સાથે મંદિરમાં ભગવાન શ્રી રામની પૂજા-અર્ચના પણ કરશે. કાર્યક્રમ સવારે 10 વાગ્યે શરૂ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યા એરપોર્ટથી હેલિકોપ્ટરથી સાકેત વિશ્વવિદ્યાલય પહોંચશે. ત્યાં રોડ શો કરી મંદિર સુધી પહોંચશે. મંદિરમાં આજે સામાન્ય શ્રદ્ધાળુઓને એન્ટ્રી આપવામાં આવશે નહીં. જે તે મહેમાનને QR કોડની મદદથી જ એન્ટ્રી મળશે.

ધર્મ ધ્વજની ખાસિયતો

રામ મંદિરના શિખર પર શોભવા જઈ રહેલા ધ્વજનું નામ ‘ધર્મ ધ્વજ’ છે. તેના ઉપર સૂર્યની આકૃતિ હોવાથી તે ‘સૂર્ય ધ્વજ’ તરીકે પણ ઓળખાઈ રહ્યો છે. આ ધ્વજ હવામાનના પ્રતિકૂળ પરિબળો જેવા કે તીવ્ર તાપ, ભારે વરસાદ અને 60 કિ.મી. પ્રતિ કલાક જેટલી તીવ્ર ગતિના પવનો સામે ટકી રહે એટલો મજબૂત છે.

ધર્મ ધ્વજની લંબાઈ- 22 ફૂટ

પહોળાઈ- 11 ફૂટ

વજન- 2.5 કિલો

રંગ- કેસરી

ધ્વજ પર અંકિત પ્રતીકો- ચક્ર, સૂર્ય, ૐ, કોવિદાર વૃક્ષ

મટીરિયલ- નાયલોન અને રેશમના મિશ્રણથી બનેલું પોલિમર ફેબ્રિક

આયુષ્ય- ત્રણ વર્ષ (દર ત્રણ વર્ષે નવા ધ્વજનું આરોહણ કરાશે)

ધ્વજનો થાંભલો અમદાવાદમાં બનાવાયો છે

આ ધ્વજ જે થાંભલા પર લહેરાશે તે સ્ટીલનો બનેલો છે. તેનું વજન સાડા પાંચ ટન (5500 કિલોગ્રામ) જેટલું છે. 44 ફૂટ ઊંચો આ થાંભલો અમદાવાદના કારીગરોએ તૈયાર કર્યો છે. થાંભલાની ઊંચાઈને ધ્યાનમાં લેતા ધ્વજ જમીનથી લગભગ 205 ફૂટની ઊંચાઈએ ફરકશે.

ધ્વજની સ્થાપના માટે અનોખી યાંત્રિક વ્યવસ્થા

રામમંદિરના શિખર પર ધ્વજને ફરકાવવા માટે વપરાતું દોરડું અત્યંત મજબૂત અને ભારે છે, તેથી તેને માનવબળ વડે ખેંચવું કઠિન અને જોખમભર્યું છે. આ પડકારના નિરાકરણ માટે વિશેષ રીતે ડિઝાઇન કરાયેલી યાંત્રિક સિસ્ટમ ગોઠવાઈ છે. આ સિસ્ટમમાં દોરડાને બે બાજુ સંતુલિત રાખવા અને સરળતાથી ખેંચવા અને ઢીલ આપવા વિશિષ્ટ મશીનો લગાવાયા છે.

અમદાવાદમાં તૈયાર કરાયેલી ધ્વજાની ખાસિયત:

અયોધ્યા રામ મંદિર માટે અન્ય કઈ કઈ વસ્તુઓ અમદાવાદમાં તૈયાર કરાઈ?

મુખ્ય મંદિર તથા આસપાસના 6 મંદિરના ધ્વજ દંડ

મંદિર ઉપર લાગતાં કડા

મંદિરના દરવાજાના હાર્ડવેર

મંદિર માટેની દાનપેટી

ભગવાનના આભૂષણ મૂકવા માટે બ્રાસનું કબાટ

વૈદિક સાહિત્ય આધારિત પ્રતીકોનું આધ્યાત્મિક અર્થઘટન

આ ધ્વજ એક ગહન આધ્યાત્મિક સંદેશવાહક છે. તેના પર અંકિત દરેક પ્રતીકનું ઐતિહાસિક અને ધાર્મિક મહત્ત્વ છે. ધ્વજનો કેસરી રંગ ત્યાગ, પવિત્રતા અને આધ્યાત્મિક શક્તિનું પ્રતીક મનાય છે. ધ્વજના મધ્યભાગમાં અંકિત ચક્ર ધર્મ અને ન્યાયની ગતિશીલતાનું પ્રતિનિધિત્વ કરે છે. ચક્ર સાથે સૂર્યવંશનું પ્રતિનિધિત્વ કરતો સૂર્ય, સર્વવ્યાપી પરમાત્માનું ચિહ્ન ‘ૐ’ અને વાલ્મીકિ રામાયણમાં વર્ણવેલ પવિત્ર કોવિદાર (બકુલ) વૃક્ષનું પ્રતીક પણ શોભાયમાન છે. આ બધાં પ્રતીકો ભગવાન રામના જીવન, મૂલ્યો અને સિદ્ધાંતો સાથે ગહન રીતે જોડાયેલા છે. તેથી આ ધ્વજની સંપૂર્ણ ડિઝાઇન વેદિક સાહિત્ય પર આધારિત છે.

ભારતીય સેનાનો સહયોગ

આ ઐતિહાસિક ઘટનાની તૈયારી અત્યંત સચોટ અને વ્યવસ્થિત રીતે થઈ રહી છે. ધ્વજના વિશાળ આકાર, ઊંચાઈ અને સંવેદનશીલ પ્રકૃતિને લીધે તેને ખૂબ કાળજીપૂર્વક ફરકાવવું પડે એમ હોવાથી આ કામ ભારતીય સેનાને સોંપાયું છે. સેનાના જવાનો ધ્વજ ફરકાવવાની સમગ્ર પ્રક્રિયાના વ્યાપક રિહર્સલ પણ કર્યું હતું, જેથી સમારોહના દિવસે બધું નિર્વિઘ્ને પૂર્ણ થઈ શકે. સેનાના અધિકારીઓએ ધ્વજના વજન અને યાંત્રિક પદ્ધતિમાં સુધારા માટે પણ મહત્ત્વપૂર્ણ સૂચનો આપ્યા હતા. શરુઆતમાં ધ્વજનું વજન 11 કિલોગ્રામ રાખવાનો પ્રસ્તાવ હતો, પરંતુ સેનાના સૂચન પર તેને હળવો બનાવાયો હતો, જેથી દોરડા પરનું દબાણ ઘટે.

આ ઐતિહાસિક ક્ષણનો સમારોહ 25 નવેમ્બર, 2025ના રોજ આયોજિત છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે અને ધ્વજ સ્થાપનાનો શુભારંભ કરશે. રામ મંદિર ટ્રસ્ટના સભ્ય ડૉ. અનિલ મિશ્રા અને તેમના પત્ની સમારોહના મુખ્ય યજમાન છે. ધ્વજ સ્થાપના અગાઉના દિવસોમાં વિસ્તૃત ધાર્મિક વિધિ કરાઈ રહી છે. અયોધ્યા અને કાશીના પ્રખ્યાત વિદ્વાનો દ્વારા નવગ્રહ પૂજા, યજ્ઞ, વેદોના શ્લોકો, રામ રક્ષા સ્તોત્ર, વાલ્મીકિ રામાયણ અને રામચરિત માનસના પાઠ કરીને પવિત્ર વાતાવરણ સર્જાઈ રહ્યું છે.

October 14, 2025
image-13.png
2min508

દિવાળીના પાંચ દિવસના તહેવારનું સૂંપૂર્ણ કેલેન્ડર, ધનતેરસથી લઇને ભાઇ બીજ ક્યારે છે, જાણો તારીખ અને શુભ મુહૂર્ત

દિવાળી પાંચ દિવસનો ભવ્ય તહેવાર છે. દરેક દિવસનું પોતાનું ધાર્મિક મહત્વ અને અલગ પૂજા વિધિઓ છે. આ તહેવાર ધનતેરસથી શરૂ થાય છે અને ભાઈબીજ સાથે સમાપ્ત થાય છે. ચાલો આ વર્ષે ધનતેરસ, કાળી ચૌદસ, દિવાળી (મહાલક્ષ્મી પૂજા), બેસતું વર્ષ (ગોવર્ધન પૂજા) અને ભાઈબીજ કઇ તારીખે આવે છે તે જાણીએ

દિવાળી હિન્દુ ધર્મના સૌથી મહત્વપૂર્ણ તહેવારોમાંથી એક છે. લોકો આખું વર્ષ આ તહેવારની આતુરતાથી રાહ જુએ છે. આ તહેવારને હવે થોડા દિવસો જ બાકી છે. દિવાળી ફક્ત રોશની અને ફટાકડાનો તહેવાર નથી, પરંતુ તે અંધકાર પર પ્રકાશ, બુરાઇ પર અચ્છાઇ અને અસત્ય પર સત્યના વિજયનું પ્રતીક છે.

ધનતેરસ – 18 ઓક્ટોબર

દિવાળી મહાપર્વની શરૂઆત આ દિવસ થાય છે. દેવી લક્ષ્મી અને ભગવાન કુબેરની પૂજા કરવામાં આવે છે. લોકો નવા વાસણો, સોનું, ચાંદી અને ઘરેણાં ખરીદે છે. આ વર્ષે ધનતેરસ 18 ઓક્ટોબરને શનિવારના રોજ આવે છે.

તેરસ તિથિનો પ્રારંભ : 18 ઓક્ટોબર બપોરે 12:18 વાગ્યે
તેરસ તિથિ સમાપ્ત : 19 ઓક્ટોબર બપોરે 1:51 વાગ્યે
ધનતેરસ પૂજા મુહૂર્ત: સાંજે 7:16 થી 8:20 વાગ્યા સુધી (સમયગાળો: 1 કલાક 4 મિનિટ)
પ્રદોષ કાલ: સાંજે 5:48-રાત્રે 8:20
વૃષભ કાલ: સાંજે 7:16 -રાત્રે 9:11

કાળી ચૌદસ (નરક ચતુર્દશી) – 19 ઓક્ટોબર

નરકાસુર પર ભગવાન કૃષ્ણની જીતનું પ્રતીક છે. સ્નાન અને પૂજા કરીને બુરાઇ પર અચ્છાઇની જીતની ઉજવણી કરવામાં આવે છે. તેને કાળી ચૌદસ, નરક ચતુર્દશી અને નાની દિવાળી પણ કહેવામાં આવે છે. 2025માં કાળી ચૌદસ રવિવારને 19 ઓક્ટોબરના રોજ આવશે.

અભ્યંગ સ્નાન મુહૂર્ત – સવારે 5:13 થી 6:25
સમયગાળો – 1 કલાક 12 મિનિટ

દિવાળી – 20 ઓક્ટોબર

દિવાળી મુખ્ય તહેવાર છે. ભગવાન રામ, માતા સીતા અને લક્ષ્મણના અયોધ્યા પાછા ફરવા બદલ ઉજવણી કરાય છે. ઘરોને દીવા અને રંગોળીથી શણગારવામાં આવે છે. સાંજે માતા લક્ષ્મી અને ભગવાન ગણેશ પૂજા કરવામાં આવે છે. 2025માં મહાલક્ષ્મી પૂજા 20 ઓક્ટોબરને સોમવારે થશે.

અમાસ તિથિ શરૂ: 20 ઓક્ટોબર બપોરે 3:44 વાગ્યે
અમાસ તિથિ સમાપ્ત : 21 ઓક્ટોબર સાંજે 5:54 વાગ્યે
લક્ષ્મી પૂજા મુહૂર્ત: સાંજે 7:08 થી 8:18 સુધી (સમયગાળો 1 કલાક 11 મિનિટ)
પ્રદોષ કાલ: સાંજે 5:46 – રાત્રે 8:18
વૃષભ કાલ: સાંજે 7:08 – રાત્રે 9:03
આ પણ વાંચો – ઘરમાં ગરીબી અને આર્થિક તંગીથી મુક્તિ અપાવશે કેરીના પાનની આ યુક્તિ, ભાગ્યના દરવાજા ખુલશે

પડતર દિવસ કે ધોકો – 21 ઓક્ટોબર

આ વખતે બે અમાસ હોવાના કારણે વચ્ચે પડતર દિવસ એટલે કે ધોકો આવ્યો છે. 20 ઓક્ટોબરે દિવાળી છે અને 21 ઓક્ટોબરે ધોકો છે. 22 ઓક્ટોબરે બેસતુ વર્ષ મનાવવામાં આવશે.

બેસતુ વર્ષ અને ગોવર્ધન પૂજા – 22 ઓક્ટોબર

ગુજરાતમાં નવા વર્ષની શરૂઆત થાય છે. તેને બેસતુ વર્ષ કે ગુજરાતી નવું વર્ષ કહેવામાં આવે છે. તે દિવસે બધા એકબીજાને નવા વર્ષની શુભકામના પાઠવે છે. આ દિવસે ઉત્તર ભારતમાં ગોવર્ધન પૂજા કરાય છે. 2025માં ગોવર્ધન પૂજા 22 ઓક્ટોબરને બુધવારે થશે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન કૃષ્ણએ ગ્રામજનોની રક્ષા માટે ગોવર્ધન પર્વત ઉપાડ્યો હતો. આ દિવસે અન્નકુટ તૈયાર કરવામાં આવે છે અને ગોવર્ધનની પૂજા કરવામાં આવે છે.

એકમ તિથિ શરૂ : 21 ઓક્ટોબર સાંજે 5:54 વાગ્યે
એકમ તિથિ સમાપ્ત : 22 ઓક્ટોબર રાત્રે 8:16 વાગ્યે
ગોવર્ધન પૂજા સવારનું મુહૂર્ત: સવારે 6:26 થી 8:42 (2 કલાક 16 મિનિટ)
સાંજે મુહૂર્ત: બપોરે 3:29 થી 5:44 (2 કલાક 16 મિનિટ)

ભાઈબીજ – 23 ઓક્ટોબર

દિવાળીના પાંચ દિવસના તહેવારનો છેલ્લો દિવસ ભાઇ બીજ છે. ભાઈ-બહેનના સંબંધને મજબૂત બનાવવાનો દિવસ છે. બહેનો તેમના ભાઈઓના લાંબા આયુષ્ય અને ખુશી માટે પ્રાર્થના કરે છે અને ભાઈઓ તેમને ભેટો આપે છે. 2025માં ભાઈબીજ ગુરુવારને 23 ઓક્ટોબરના રોજ છે.

બીજ તિથિ શરૂ : 22મી ઓક્ટોબરે રાત્રે 8:16 વાગ્યે
બીજ તિથિ સમાપ્ત : 23 ઓક્ટોબરે રાત્રે 10:46 વાગ્યે
ભાઈ દૂજ તિલક (બપોરે) સમય: બપોરે 1:13 થી 3:28 સુધી (2 કલાક 15 મિનિટ)

September 22, 2025
image-27.png
1min198

Navratri 2025: પ્રથમ નોંરતે માતા શૈલપુત્રીની પુજા

નવરાત્રી એટલે માતાજીની ભક્તિ આરાધનાનું પાવન પર્વ. નવરાત્રીના નવે નવ દિવસ માતાજીના નવ સ્વરૂપ એટલે કે નવ દુર્ગાની વિશેષ પૂજા કરવામાં આવે છે. નવ દુર્ગાની પૂજા કરવાથી ભક્તને માતાજીના આશીર્વાદ મળે છે, આધ્યાત્મિક ઉન્નતિ થાય છે અને જીવનના તમામ કષ્ટોમાંથી મુક્તિ મળે છે. હિન્દુ પંચાગ મુજબ શારદીય નવરાત્રી 2025 આસો સુદ એકમ તિથિથી શરૂ થાય છે. આ વખતે 22 સપ્ટેમ્બર 2025, સોમવારે આસો સુદ એકમ તિથિ છે, આ તારીખ શારદીય નવરાત્રી શરૂ થશે. તો 2 ઓક્ટોબર, 2025ના ગુરુવારે દશેરા સાથે શારદીય નવરાત્રી સમાપ્ત થશે. આ દરમિયાન ભક્તો માતા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરે છે. નવરાત્રીના નવ દિવસને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આ સમય દરમિયાન માંસ, મદિરાપાન કરવામાં આવતું નથી. એવું માનવામાં આવે છે કે જે ભક્ત સંપૂર્ણ ભક્તિથી માતાની પૂજા કરે છે તે તેના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે છે.

ચાલો જાણીયે નવરાત્રીમાં જગજનની જગદંબાના નવ દુર્ગાના નામ સ્વરૂપ અને પૂજા વિધિ અને મહત્વ

નવરાત્રીના પ્રથમ દિવસ નવ દુર્ગાના પ્રથમ સ્વરૂમ શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. નંદી ઉપર સવાર માતા શૈલપુત્રીની પૂજા કરવાથી સાધકનું મન મૂલાધાર ચક્રમાં સ્થિર થાય છે. ચાલો જાણીયે માતા શૈલપુત્રી કથા, મંત્ર, આરતી અને પૂજા કરવાથી શું લાભ થાય છે. નવરાત્રીના પ્રથમ દિવસે નવ દુર્ગાના પ્રથમ સ્વરૂપ શૈલપુત્રી માતાજીની પુજા કરવામાં આવશે. ઘટ સ્થાપન સાથે નવરાત્રીની શરૂઆત થાય છે, જેને કળશ સ્થાપન પણ કહેવાય છે. માતા શૈલપુત્રી પર્વતરાજા હિમાલયના પુત્રી છે. સફેદ વસ્ત્રોમાં સુશોભિત માતા શૈલપુત્રીના જમણા હાથમાં ત્રિશૂળ અને ડાબા હાથમાં કમળ છે. માતાના કપાળ પર ચંદ્ર સુશોભિત છે. શૈલીપુત્રી માતાની સવારી નંદી છે.

નવરાત્રીના પ્રથમ દિવસે શૈલપુત્રી માતાની પૂજાા કરવાથી સાધક પોતાનું મન મુલાધર ચક્રમાં સ્થિર કરે છે, શૈલપુત્રીની પૂજા કરવાથી મૂલાધર ચક્ર જાગૃત થાય છે, જેનાથી યોગ સાધના આરંભ થાય છે. એવી માન્યતા છે કે, માતા શૈલપુત્રીની પૂજા કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. ઉપરાંત, જો તમે માતા શૈલપુત્રીની પૂજા કરતી વખતે ઉપવાસની વાર્તા વાંચતા નથી, તો પૂજા અધૂરી માનવામાં આવે છે. આવો જાણીએ મા શૈલપુત્રીની વાર્તા

માતા શૈલપુત્રીની કથા

પૌરાણિક કથા અનુસાર, રાજા દક્ષે તેમના મહેલમાં એક યજ્ઞનું આયોજન કર્યું હતું, જેમાં તેમણે બધા દેવી-દેવતાઓને આમંત્રણ આપ્યું હતું. પરંતુ તેમણે પોતાના અપમાનનો બદલો લેવા માટે શિવાજીને બોલાવ્યા નહીં. માતા સતીએ ભગવાન શિવને તેમના પિતા દ્વારા આયોજિત યજ્ઞમાં જવાની ઇચ્છા વ્યક્ત કરી. સતીના આગ્રહથી ભગવાન શિવે પણ તેમને જવા દીધા. પરંતુ જ્યારે સતી પિતાના ઘરે યજ્ઞમાં પહોંચ્યા ત્યારે પિતા દક્ષે બધાની સામે ભગવાન શિવ માટે અપમાનજનક શબ્દો કહ્યા. પિતાની વાત સાંભળીને માતા સતી ખૂબ જ નિરાશ થયા અને તેણે યજ્ઞની વેદીમાં કૂદીને પોતાનો દેહ ત્યાર કર્યો. જે પછી માતા સતી એ પર્વતરાજ હિમાલયના ઘરે બીજો જન્મ લીધો, ત્યાં તેમને શૈલપુત્રી કહેવામાં આવ્યા હતા.

શૈલપુત્રી માતાનો મંત્ર

ૐ દેવી શૈલપુત્ર્યૈ નમ: (ॐ देवी शैलपुत्र्यै नमः॥)

वन्दे वाञ्छितलाभाय चन्द्रार्धकृतशेखराम्।वृषारुढां शूलधरां शैलपुत्रीं यशस्विनीम्॥

માતા શૈલપુત્રીને આ પ્રસાદ અર્પણ કરો

નવરાત્રીના પ્રથમ દિવસે દેવી શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. માતા દુર્ગાના શૈલપુત્રી સ્વરૂપને ગાયના ઘી, દૂધથી બનેલી વસ્તુઓ અર્પણ કરવાની પરંપરા છે. તમે ગાયના દૂધમાંથી બનેલી બરફી, પેંડા માતાને અર્પણ કરી શકાય છે.

September 17, 2025
image-24-1280x800.png
1min152

આસો માસની નવરાત્રિનો પાવન પર્વ 22 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યો છે, જે દરમિયાન ભક્તો શક્તિની ઉપાસના કરી જીવનના મનોરથો પૂર્ણ કરશે. જ્યોતિષાચાર્ય ડૉ. હેમીલ પી. લાઠીયાએ નવરાત્રિના આધ્યાત્મિક મહત્ત્વ અને તેના યોગ્ય વિધિવિધાન વિશે સવિસ્તાર માહિતી આપી છે.

જીવનમાં પૂજા-ભક્તિનું મહત્ત્વ હંમેશા રહ્યું છે. નવરાત્રિ, શિવરાત્રી, હોળી જેવી રાત્રિ પૂજા દ્વારા ભક્તો ઈશ્વરની નજીક જઈ શકે છે. વર્ષમાં આવતી ચાર નવરાત્રિઓમાંથી આસો માસની નવરાત્રિનું વિશેષ મહત્ત્વ છે, જેમાં ગરબા રમવાનું પણ એક ખાસ કારણ હોય છે. નવરાત્રિ દરમિયાન થતા ઘટ (કુંભ) સ્થાપનનો પણ એક વિશેષ ભાવ રહેલો છે. આ માટે સવારે, બપોરે અભિજીત નક્ષત્રમાં કે સંધ્યા સમયે શુભ યોગમાં સ્થાપના કરવાનું સૂચન કરવામાં આવે છે, પરંતુ રાત્રે સ્થાપન ન કરવું જોઈએ.

નવરાત્રિ દરમિયાન ઘટની અંદર પ્રગટાવવામાં આવતો અખંડ દીપ ખૂબ પ્રભાવશાળી ગણાય છે. તેના પ્રકાશથી ઉત્પન્ન થતી શક્તિશાળી ઊર્જા ભક્તિ કરનારની આભામાં વધારો કરે છે અને ઘરમાં સકારાત્મક શક્તિનો સંચાર કરે છે. આ દીપક દ્વારા ભક્ત પોતાના જીવનનો ઉદ્ધાર કરી શકે છે અને ઘરમાંથી નકારાત્મક શક્તિઓને દૂર કરી શકે છે. જોકે, પૂજા અને વિધિ માટે યોગ્ય માર્ગદર્શન ખૂબ જરૂરી છે, કારણ કે માતાજી ભક્તનો ભાવ જોઈને પ્રસન્ન થાય છે.

પૂજા દરમિયાન ભક્તો પોતાની પરંપરા અને પ્રાંતીય રિવાજોનું પાલન કરતા હોય છે. કેટલાક વિદ્વાનોના મતે, નવરાત્રિ દરમિયાન રાહુકાળમાં વિશિષ્ટ પાઠ કરવાથી ત્વરિત ફળ પ્રાપ્ત થાય છે, જેનું રહસ્ય યોગ્ય વિદ્વાન પાસેથી જાણી શકાય છે. નવરાત્રિ પછી ઘટનું ઉથપાન શુભ યોગ મુજબ સવારના સમયે કરવું જોઈએ.

September 7, 2025
pitru-paksh25.png
1min161

Shraddh Paksha 2025: ભાદરવા વદ (કૃષ્ણ) પક્ષને પિતૃપૂજન અને શ્રાદ્ધ પક્ષ તરીકે ઓળખવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન પિતૃઓનું શ્રાદ્ધ અને તર્પણ કરવામાં આવે છે જેથી તેમને શાંતિ અને સદ્ગતિ મળે. જ્યોતિષાચાર્ય ડૉ. હેમિલ પી. લાઠિયાના જણાવ્યા અનુસાર વર્ષ 2025 માટે, શ્રાદ્ધ પક્ષનો પ્રારંભ આવતી કાલ તારીખ 8મી સપ્ટેમ્બર, સોમવારથી થશે અને તેનું સમાપન 21મી સપ્ટેમ્બર, રવિવારના રોજ થશે.

શ્રાદ્ધ પક્ષ 2025: તિથિ અને તારીખ

શ્રાદ્ધ પક્ષ 2025: આવતીકાલથી શરૂ થશે શ્રાદ્ધ, જાણો પિતૃપૂજનની મહત્ત્વની તિથિઓ અને તેનું મહત્ત્વ 2 – image

મહત્ત્વપૂર્ણ તિથિઓ અને તેમનું મહત્ત્વ

શ્રાદ્ધ પક્ષ 2025: આવતીકાલથી શરૂ થશે શ્રાદ્ધ, જાણો પિતૃપૂજનની મહત્ત્વની તિથિઓ અને તેનું મહત્ત્વ 3 – image

શ્રાદ્ધ પક્ષમાં કેટલીક તિથિઓનું વિશેષ મહત્ત્વ હોય છે:

તિથિ 3 અને 4: આ બંને તિથિઓ એકસાથે છે. જે લોકોની તિથિ 3 અથવા 4 હોય, તેઓ આ દિવસે શ્રાદ્ધ કરી શકે છે.

તિથિ 9 (નવમી): આ તિથિને સૌભાગ્યવતી સ્ત્રી શ્રાદ્ધ તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે એવી સ્ત્રીઓનું શ્રાદ્ધ કરવામાં આવે છે જેમનું મૃત્યુ સૌભાગ્ય અવસ્થામાં થયું હોય.

તિથિ 12 (બારસ): આ દિવસે સંન્યાસીનું શ્રાદ્ધ કરવામાં આવે છે, એટલે કે જે લોકોએ સંન્યાસ લીધો હોય તેમનું શ્રાદ્ધ આ તિથિએ કરવામાં આવે છે.

તિથિ 14 (ચૌદશ): આ દિવસ શસ્ત્રપીડિતનું શ્રાદ્ધ કરવા માટે ખાસ છે, જે લોકોનું મૃત્યુ અકાળે અથવા અકસ્માતને કારણે થયું હોય તેમનું શ્રાદ્ધ આ દિવસે કરવામાં આવે છે.

તિથિ 15/30 (અમાસ): આ દિવસને સર્વપિતૃ અમાસ તરીકે ઓળખવામાં આવે છે. જે લોકોને તેમના પિતૃઓની તિથિ યાદ ન હોય, તેઓ આ દિવસે સર્વપિતૃઓનું શ્રાદ્ધ કરી શકે છે. આ દિવસે પૂનમનું શ્રાદ્ધ પણ કરવામાં આવે છે.

September 6, 2025
1min102

ભાદરવી પૂનમને લઇને અંબાજી જતાં તમામ માર્ગો પદયાત્રિકોના જય અંબે ના નાદની ગુંજી ઉઠયા છે. પૂનમે મોટી સંખ્યામાં લોકો દર્શન માટે જતા હોય છે. જોકે આ વર્ષે ભાદરવી પૂનમના દિવસે એટલે કે 7 સપ્ટેમ્બરને રવિવારે ચંદ્રગ્રહણ છે.જેથી ચંદ્રગ્રહણના કારણે પવિત્ર શક્તિપીઠ અંબાજી મંદિરમાં દર્શન અને ધજા ચડાવવાના સમયમાં વિશેષ ફેરફાર કરવામાં આવ્યો છે. આ સિવાય રાજ્યના પ્રખ્યાત સોમનાથ, શામળાજી અને દ્વારકાના મંદિરમાં પણ ગ્રહણને કારણે દર્શનના સમયમમાં ફેરફાર કરાયો છે.

અંબાજી મંદિર

સવારની આરતી : 06:00 થી 06:30
દર્શન સમય : 06:00 થી 10:00
દર્શન બંધ : 10:00 થી 12:00
શયનકાળ આરતી : 12:00 થી 12:30
જાળીમાંથી દર્શન : 12:30 થી 05:00 (સાંજે)
મંદિર સંપૂર્ણ બંધ : 05:00 પછી

ભાદરવી પૂનમના દિવસે બપોરે 12:30 વાગ્યા બાદ માઇભક્તો મંદિરમાં પ્રવેશી શકશે નહીં. આ સમય પછી ધજા પણ ચઢાવી શકાશે નહીં. જોકે સાંજે 5 વાગ્યા સુધી માત્ર જાળીમાંથી દર્શન કરવાની પરવાનગી રહેશે. 8 સપ્ટેમ્બર 2025થી મંદિરની દર્શન અને આરતીના તમામ સમય રોજની જેમ રાબેતા મુજબ રહેશે.

સોમનાથ મંદિર

ચંદ્રગ્રહણને કારણે શાસ્ત્રોક્ત વિધિ મુજબ સોમનાથ મંદિર અને ટ્રસ્ટ હસ્તકના તમામ મંદિરોમાં નિયમિત પૂજા-આરતી મોકૂફ રહેશે. મંદિરમાં મધ્યાન્હ પૂજન-આરતી અને સાંધ્ય આરતી બંધ રહેશે. દર્શનાર્થીઓ માટે મંદિર ખુલ્લું રહેશે. ગ્રહણ દરમિયાન બપોરની મહાપૂજા આરતી, સાંજની આરતી, ગંગાજળ અભિષેક, બિલ્વપૂજા, ધ્વજાપૂજા, સોમેશ્વર મહાપૂજન, યજ્ઞ, રુદ્રાભિષેક અને પાઠાત્મક અનુષ્ઠાન સહિતની તમામ પૂજા બંધ રહેશે. ગ્રહણ મોક્ષ બાદ 8 સપ્ટેમ્બરના રોજ પ્રાતઃ દૈનિક પૂજા અને આરતી પુનઃપ્રારંભ થશે.

શામળાજી મંદિર

શામળાજી મંદિર ટ્રસ્ટના મેનેજર પ્રવિણભાઇ ચૌધરીએ જણાવ્યું કે, વિશ્વ પ્રસિધ્ધ યાત્રાધામ શ્રી શામળાજી વિષ્ણુ મંદિર ભાદરવા સુદ પૂનમને રવિવારે ખગ્રાસ ચંદ્રગ્રહણ હોવાથી દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે. સાંજે 6 કલાક સુધી દર્શન કરી શકાશે. રવિવારે રાતે ગ્રહણ હોવાથી મંદિર સાંજે 6 વાગે બંધ થશે. સોમવારે સવારે મંદિરમાં પખાલવિધિ કરાશે.

દ્વારકા મંદિર

પૂનમના દિવસે ચંદ્રગ્રહણ હોવાથી દ્વારકા ખાતે દ્વારકાધીશ મંદિરમાં ભગવાનના દર્શન ક્રમમાં ફેરફાર કરાયો છે. સવારે 6 વાગ્યે મંગલા આરતી ભક્તોની હાજરીમાં કરવામાં આવશે. ત્યારબાદ સવારના અન્ય ક્રમ નિત્ય મુજબ રહેશે. બીજી બાજુ બપોરે 1:30 વાગ્યે મંદિર બંધ થશે. બપોરે મંદિર બંધ થયા બાદ સામાન્ય દિવસોમાં સાંજે મંદિર ખુલતું હોય છે પરંતુ સાંજે ચંદ્રગ્રહણ હોવાથી મંદિર બંધ રહેશે. જે બાદ તા. 8 ને સોમવારના રોજ નીચે મુજબ મંદિર દર્શન ખુલશે.