આજે 25 જુલાઈ 2025થી ગુજરાતમાં શિવભક્તો માટે અત્યંત પવિત્ર ગણાતા શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે. આ આખો મહિનો ભક્તો ભક્તિભાવપૂર્વક ભગવાન શિવની પૂજા-અર્ચના કરતા હોય છે, ગુજરાતમાં આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ ગયો છે. શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે શિવમંદિરોમાં ભક્તોની ભારે ભીડ જામવાની છે. આજે વહેલી સવારથી મહાદેવના મંદિરોમાં ભક્તો શિવ પૂજા અને આરાધના માટે ઉમટી પડ્યાં છે. મોટી સંખ્યામાં ભક્તો શિવાલય પહોંચી રહ્યા છે. શિવજીના તમામ ભક્તો આજથી શિવભક્તિમાં લીન રહેવાના છે. શિવજીની પૂજા માટે બીલીપત્ર, ફૂલો અને જળ લઈને મંદિરમાં જઈ રહ્યાં છે.
આ વર્ષે ગુજરાતમાં શ્રાવણ માસનો પ્રારંભ 25મી જુલાઈ એટલે આજથી થયો છે. શ્રાવણ મહિનો 23મી ઓગસ્ટના રોજ પૂર્ણ થશે. આ શ્રાવણ માસમાં કુલ 4 શ્રાવણ સોમવાર આવે છે. જેમાં શિવભક્તો દેવોના દેવ મહાદેવને પ્રસન્ન કરવા માટે સોમવારનું વ્રત કરતા હોય છે. શિવભક્તો શ્રાવણના પહેલા સોમવારથી વ્રતથી ઉપવાસ રાખવાનું શરૂ કરી દેતા હોય છે. અનેક ભક્તો તો આખો શ્રાવણ મહિનો ઉપવાસ કરતા હોય છે. હિંદુ ધર્મમાં શ્રાવણ મહિનાને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. જેથી શ્રાવણ મહિનામાં દાન-પૂર્ણ કરવાનું પણ વધારે મહત્વ હોય છે.
5 જ્યોતિર્લિંગમાં 11 જુલાઈથી શ્રાવણ માસ શરૂ થયો
શ્રાવણ માસની વાત કરવામાં આવે તો, મધ્ય પ્રદેશના મહાકાલેશ્વર, અને ઓમકારેશ્વર, ઉત્તર પ્રદેશના વિશ્વનાથ, ઝારખંડના વૈધનાથ અને ઉત્તરાખંડના કેદારનાથ આ પાંચ જ્યોતિર્લિંગમાં 11 જુલાઈથી શ્રાવણ માસ શરૂ થઈ ગયો છે, જે 9મી ઓગસ્ટ સુધી રહેશે. જ્યારે બાકીના સાત જ્યોતિર્લિંગ જેમાં ગુજરાતનું સોમનાથ અને નાગેશ્વર, મહારાષ્ટ્રનું ત્ર્યંબકેશ્વર, ભીમાશંકર અને ઘૃષ્ણેશ્વર, આંધ્ર પ્રદેશનું મલ્લિકાર્જુન અને તામિલનાડુના રામેશ્વરમમાં આજથી શ્રાવણ માસ શરૂ થયો છે. આ મંદિરોમાં શિવજીના દર્શન કરવા માટે ભક્તોની ભીડ ઉમટી છે.
શિવલિંગ પૂજન અને જળ અભિષેકનું વિશેષ મહત્ત્વ રહેલું છે. શ્રાવણ માસમાં શિવપૂજનના આ ગહન રહસ્ય અને તેના ફાયદાઓ વિશે વિસ્તૃત માહિતી નીચે મુજબ છે.
શાસ્ત્રો અને ધાર્મિક ગ્રંથો અનુસાર, ભગવાન શિવ સૃષ્ટિના સંહારક છે, અને તેઓ તેમના ભક્તો પર ત્વરિત પ્રસન્ન થવા માટે જાણીતા છે. શિવલિંગ પર જળ અભિષેક કરવાની પરંપરા પાછળ એક પૌરાણિક કથા રહેલી છે, જે શિવની કરુણા અને શાંતિનો સંદેશ આપે છે.
પૌરાણિક કથા મુજબ, જ્યારે દેવો અને દાનવોએ અમૃત પ્રાપ્ત કરવા માટે સમુદ્ર મંથન કર્યું, ત્યારે તેમાંથી કિંમતી રત્નો અને અમૃતની સાથે-સાથે હળાહળ વિષ પણ બહાર આવ્યું. આ વિષ એટલું ભયંકર હતું કે તેનાથી સમગ્ર સૃષ્ટિનો નાશ થઈ શકે તેમ હતો. જ્યારે દેવો અને દાનવો ગભરાઈ ગયા, ત્યારે ભગવાન વિષ્ણુએ તેમને આ વિકટ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે ભોલેનાથની શરણમાં જવાની સલાહ આપી.
દેવો અને દાનવોએ ભગવાન શિવ પાસે જઈને પ્રાર્થના કરી. સૃષ્ટિ પરનું સંકટ જોઈને દયાળુ ભોલેનાથે તે સમગ્ર વિષ પોતાના ગળામાં ધારણ કરી લીધું. વિષની તીવ્ર અસરને કારણે તેમનું ગળું વાદળી (નીલ) રંગનું થઈ ગયું, અને તેથી જ તેઓ ‘નીલકંઠ’ તરીકે ઓળખાયા.
વિષને કંઠમાં ધારણ કરવાથી શિવજીને તીવ્ર બળતરા થવા લાગી. આ જોઈને બ્રહ્માજીએ દેવરાજ ઇન્દ્રને પોતાના કમંડળમાંથી જળ લઈને શિવજી પર અભિષેક કરવા જણાવ્યું. ઇન્દ્રએ જળ અભિષેક કરતા જ શિવજીની બળતરા શાંત થવા લાગી. આ પ્રસંગથી પ્રસન્ન થઈને શિવજીએ આશીર્વાદ આપ્યા કે, “જે કોઈ ભક્ત શ્રદ્ધાપૂર્વક મારા પર જળ અભિષેક કરશે, તેની શારીરિક, માનસિક કે આર્થિક બળતરા (કષ્ટ) દૂર થશે અને તેને શાંતિ પ્રાપ્ત થશે.”
આ જ કારણથી, શ્રાવણ માસમાં શિવલિંગ પર જળ અભિષેક કરવાનું વિશેષ મહત્ત્વ છે. શિવભક્તો આ માસ દરમિયાન પૂજા-અર્ચના, વ્રત અને જળાભિષેક કરીને પોતાના અને પોતાના પિતૃઓના કલ્યાણ તથા શાંતિ માટે પ્રાર્થના કરે છે. શિવજીના આ આશીર્વાદ આજે પણ ભક્તોને તૃપ્તિ અને શાંતિનો અનુભવ કરાવે છે.
એક સદીથી વધુ જૂના ‘સાર્વજનિક ગણેશોત્સવ’ને ગુરુવારે સત્તાવાર રીતે ‘મહારાષ્ટ્રનો રાજ્ય ઉત્સવ’ જાહેર કરવામાં આવ્યો હતો, સરકારે ભારપૂર્વક જણાવ્યું કે, તે આ ઉત્સવના સાંસ્કૃતિક વારસાને જાળવવા અને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે. વિધાનસભામાં આ બાબતની જાહેરાત કરતા સાંસ્કૃતિક બાબતોના પ્રધાન આશિષ શેલારે કહ્યું હતું કે, ‘ગણેશોત્સવ ફક્ત એક ઉજવણી નથી. તે મહારાષ્ટ્રના સાંસ્કૃતિક ગૌરવ અને ઓળખનું પ્રતીક છે.’
પ્રધાને એક નિવેદનમાં જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં સાર્વજનિક ગણેશોત્સવ (ગણેશ ઉત્સવની જાહેર ઉજવણી) 1893માં લોકમાન્ય (બાળ ગંગાધર) તિલક દ્વારા શરૂ કરવામાં આવી હતી. ‘આ ઉત્સવનો સાર સામાજિક એકતા, રાષ્ટ્રવાદ, સ્વતંત્રતાની ભાવના, આત્મસન્માન અને આપણી ભાષાના ગૌરવમાં રહેલો છે,’ એમ તેમણે કહ્યું હતું. તેમણે એમ પણ કહ્યું હતું કે, મહારાષ્ટ્ર સરકાર રાજ્ય અને રાષ્ટ્રભરમાં ગણેશોત્સવના સાંસ્કૃતિક વારસાને સાચવવા, પ્રોત્સાહન આપવા અને ઉજવણી કરવા માટે પ્રતિબદ્ધ છે.
‘કેટલાક વ્યક્તિઓએ વિવિધ કોર્ટ અરજીઓ કરીને, ઉજવણીમાં અવરોધ ઊભો કરવાનો પ્રયાસ કરીને આ વર્ષો જૂની જાહેર પરંપરાને અવરોધવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ મહાયુતિ સરકારે ઝડપથી અને નિર્ણાયક રીતે આવા તમામ અવરોધોને દૂર કર્યા હતા,’ એમ તેમણે કહ્યું હતું. પહેલાની સરકારે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (સીપીસીબી)ની માર્ગદર્શિકા ટાંકીને પીઓપી (પ્લાસ્ટર ઓફ પેરિસ)ની મૂર્તિઓ પર નિયંત્રણો લાદ્યા હતા, પરંતુ વ્યવહારુ વિકલ્પો આપ્યા નહોતા. તેમના વિભાગે આ મુદ્દાને વધુ સંતુલિત દૃષ્ટિકોણથી ઉકેલ્યો હતો, એમ તેમણે કહ્યું હતું.
અમે પર્યાવરણને અનુકૂળ વિકલ્પો શોધવા અને પીઓપી ખરેખર પર્યાવરણ માટે હાનિકારક છે કે કેમ તેનું મૂલ્યાંકન કરવા માટે એક વ્યાપક અભ્યાસ શરૂ કર્યો. અમે રાજીવ ગાંધી વિજ્ઞાન આયોગ દ્વારા કાકોડકર સમિતિના માધ્યમથી ઊંડાણપૂર્વક અભ્યાસ શરૂ કર્યો હતો. ‘કેન્દ્રીય પ્રધાન ભૂપેન્દ્ર યાદવે તારણોને મંજૂરી આપી હતી અને અગાઉના પ્રતિબંધો હટાવી લેવામાં આવ્યા. કોર્ટના ચુકાદા મુજબ, હવે પીઓપી મૂર્તિઓ બનાવવા, પ્રદર્શિત કરવા અને વેચાણ કરવાની મંજૂરી છે, એમ તેમણે કહ્યું હતું.
ભાજપના નેતૃત્વ હેઠળની મહાયુતિ સરકારે ગણેશોત્સવ પર સ્પષ્ટ અને સક્રિય વલણ અપનાવ્યું છે. પુણે, મુંબઈ અને રાજ્યભરમાં ભવ્ય ઉજવણી માટે પોલીસ સુરક્ષા હોય, માળખાકીય સુવિધાઓની જરૂરિયાતો હોય કે આર્થિક સહાય હોય, મહારાષ્ટ્ર સરકાર જરૂરી ખર્ચ ઉઠાવશે, એમ તેમણે જાહેર કર્યું હતું.
હું બધા ગણપતિ મંડળોને અપીલ કરું છું કે તેઓ તેમના ઉત્સવોમાં એવા વિષયોનો સમાવેશ કરે જે આપણા સશસ્ત્ર દળોનું સન્માન કરે, સામાજિક પહેલ, ‘ઓપરેશન સિંદૂર’, રાષ્ટ્રની વિકાસલક્ષી સિદ્ધિઓને પ્રકાશિત કરે અને આપણા મહાન નેતાઓને તેમના સુશોભન પ્રદર્શનોમાં શ્રદ્ધાંજલિ આપે, એમ શેલારે કહ્યું હતું. આ વર્ષે 10 દિવસનો ગણપતિ ઉત્સવ 27 ઓગસ્ટથી શરૂ થશે.
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 148ની રથયાત્રા ભકિતપૂર્ણ માહોલમાં સંપન્ન થઇ છે. શહેરના જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરે આજે અષાઢીબીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી હતી. ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં ભકતોના ઘોડાપુર ઉમટ્યા હતા. ભગવાન જગન્નાથજી, તેમના ભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજી નગરચર્યાએ નીકળ્યા ત્યારે ‘જય રણછોડ, માખણચોર’ના જયઘોષ સાંભળવા મળ્યો હતો.
મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ પહિંદવિધિ કરી હતી
ભગવાન ભક્તોને દર્શન આપવા નગરચર્યાએ નીકળ્યા ત્યારે ‘જય રણછોડ, માખણચોર’ના ગગનભેદી નાદ સાથે માહોલ ગુંજી ઉઠ્યો હતો. જેમાં આજે સવારે 4 કલાકે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પરિવાર સાથે હાજર રહ્યા હતા અને મંગળા આરતી કરી હતી. જ્યારે મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ પહિંદવિધિ કરી હતી. ગુજરાતના ગૃહ રાજયપ્રધાન હર્ષ સંઘવી સહિતના મહાનુભાવોની હાજરીમાં ભગવાન જગન્નાથજી, સુભદ્રાજી તથા બલભદ્રજીના ત્રણ રથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.
આ પ્રસ્થાન વખતે ભગવાન જગન્નાથજીની રથયાત્રાને પ્રથમ વખત ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યુ હતું. રથયાત્રાને પગલે શુક્રવાર સવારના 4 વાગ્યાથી ભક્તોની ભીડ ઉમટી હતી. સરસપુર અને કાલુપુરમાં વરસાદના અમીછાંટણા થતા ભક્તો હરખમાં આવી ગયા હતા. રથયાત્રા આખો દિવસ શહેરમાં પરિભ્રમણ કરીને મોડી સાંજે નિજમંદિરે પરત ફરી હતી.
રથયાત્રામાં ગજરાજ, ભજન મંડળીઓ સાથે રાસ ગરબાની રમઝટ થઈ હતી. રથયાત્રામાં 18 ગજરાજ, ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી 101 ટ્રક, અંગ કસરતના પ્રયોગો સાથે 30 અખાડા, 18 ભજન મંડળીઓ અને 3 બેન્ડવાજાવાળા જોડાયા હતા. હરિદ્વાર, અયોધ્યા, નાસિક, ઉજ્જૈન, જગન્નાથપુરી તથા સૌરાષ્ટ્રમાંથી 2500 જેટલા સાધુ-સંતો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. સમગ્ર રૂટ પર ભગવાન જગન્નાથજીના રૂટ પર પુષ્પવર્ષા થતી રહી હતી. સમગ્ર રૂટ પર ભગવાનના દર્શનાર્થે હજારોની સંખ્યામાં ભાવિકોની કતારો જોવા મળી હતી.
148મી પરંપરાગત રથયાત્રા શાંતિપૂર્ણ રહે અને કોઈ અવરોધ કે અનિચ્છનીય બનાવ ન બને તે માટે અભૂતપૂર્વ સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. શહેરમાં લગભગ 23,800 સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા. તંત્ર મુજબ, પહેલી વાર, ભાગદોડ જેવી પરિસ્થિતિને રોકવા માટે આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સ આધારિત સર્વેલન્સ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પ્રથમ વખત એઆઈ ટેકનોલોજીથી ક્રાઉડ મેનેજમેન્ટ કરવામાં આવ્યું હતું.
રથયાત્રાના 16 કિમી લાંબા રૂટ પર લગભગ 4,500 સુરક્ષા કર્મચારીઓ તૈનાત રહ્યા હતા, જ્યારે ટ્રાફિક વ્યવસ્થાપન માટે 1,931 કર્મચારીઓ તૈનાત રહ્યા હતા. સામાન્ય ટ્રાફિક માટે ઘણા રસ્તાઓ બંધ રહેશે. સિનિયર પોલીસ અધિકારીઓએ કંટ્રોલ રૂમ સાથે જોડાયેલા 2,872 બોડી-વર્ન કેમેરા, 41 ડ્રોન અને વિવિધ સ્થળોએ સ્થાપિત 96 કેમેરા અને 25 વોચ ટાવરનો ઉપયોગ કરીને રથયાત્રાનું નિરીક્ષણ કર્યું હતું.
હાથીમાંથી ત્રણ હાથી બેકાબૂ બન્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે, રથયાત્રા પ્રસ્થાન થયા બાદ રથયાત્રામાં સામેલ હાથીમાંથી ત્રણ હાથી બેકાબૂ બન્યા હતા. અચાનક જ આ હાથી રથયાત્રાનો રૂટ છોડીને અન્ય પોળમાં ઘૂસી ગયા હતા. હાથીને ભાગતા આવતા જોઈ લોકોમાં પણ નાસભાગ મચી ગઈ હતી. જેમાં ત્રણ જેટલાં લોકો ઈજાગ્રસ્ત થયા હતા. મળતી માહિતી મુજબ ડી.જેના કારણે ખાડિયા વિસ્તારમાં હાથી બેકાબૂ બન્યા હતા. જો કે, ગણતરીની મિનિટોમાં મહાવતે હાથી પર કાબૂ મેળવી લીધો હતો.
આ ઘટના બાદ 17 હાથીમાંથી 3 હાથીને રથયાત્રામાંથી દુર કરવામાં આવ્યાં હતા. હાલ રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં આગળ વધી હતી. પોલીસની કામગીરીના કારણે કોઈ મોટી જાનહાનિ ટળી હતી. જ્યારે કાલુપુરબ્રિજ પાસે ભગવાન બલભદ્રના રથમાં ખામી સર્જાઈ હતી. રથનું પૈડું ક્ષતિગ્રસ્ત થયું હતું, જેના સ્ક્રૂ બદલી નવું પૈડું લગાવવામાં આવ્યું હતું. એકંદરે ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી.
અમદાવાદમાં ભગવાનની શ્રી જગન્નાથની ભવ્યાતિભવ્ય 148મી રથયાત્રા 27/06/2026 નીકળવાની છે. આ દરમિયાન કોઈ પણ પ્રકારની અઘટિત ઘટના ના બને તે માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરી દેવામં આવી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, રથયાત્રા દરમિયાન માર્ગ પર આગ કે પછી અકસ્માતની ઘટના ના બને તે માટે ફાયરવિભાગ માત્ર 2 થી 4 મિનિટમાં પહોંચી જાય તેવી વ્યવસ્થા કરી દેવામાં આવી છે. રથયાત્રા દરમિયાન રૂટને સમયાંતરે ટ્રાફિક ફ્રી રાખવામાં આવશે. કારણ કે જો કોઈ અકસ્માતની ઘટના ના બને તે માટે પૂરતી વ્યવસ્થા થઈ શકે.
ફાયર વિભાગે એઆઈની મદદથી રોડ મેપ તૈયાર કર્યો
અમદાવાદ પોલીસ અને રાજ્ય ગૃહ પ્રધાને હર્ષ સંઘવીએ પણ રથયાત્રા રૂટનું પરિક્ષણ કર્યું હતું. રથયાત્રામાં પહેલી વખત ફાયરવિભાગે એઆઈની મદદ લીધી અને રોડ મેપ તૈયાર કર્યો છે. એઆઈ દ્વારા 13 પોઈન્ટ નક્કી કરવામાં આવ્યાં છે. જ્યાં ફાયર વિભાગના કર્મચારીઓને તૈનાત રાખવામાં આવશે. જેથી જરૂર પડે ત્યારે સત્વરે તેમની મદદ લઈ શકાય. ફારયવિભાગ સિવાય 23,884 જવાનો પણ બંદોબસ્ત માટે ખડેપગે રહેવાના છે. આ સાથે સાથે સમગ્ર રથયાત્રા દરમિયાન ગુજરાત પોલીસે 3500 સીસીટીવી કેમેરા દ્વારા મોનિટરિંગ પણ કરશે. તેનો અર્થ એ છે કે, રથયાત્રા પહેલા વ્યવસ્થા અને સુરક્ષાની તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે.
રથયાત્રા દરમિયાન કેટલા આ રૂટ સંપૂર્ણ રીતે બંધ રહેશે
રૂટમાં કરવામાં આવેલા આંશિક ફેરફારની તો તેમાં બસ એસપી રિંગ રોડથી ઈસ્કોન ક્રોસ રોડના બદલે ઇસ્કોન ક્રોસ રોડથી લો ગાર્ડન જશે. ભાડજ સર્કલથી નરોડા ગામ જતી બસ ભાડજ સર્કલથી સરકારી લીથો પ્રેસ જશે, જ્યારે મણિનગરથી ગોતા વસંતનગરની બસ ગોતાથી એલ.ડી. કોલેજ સુધી જશે. ઓઢવ રિંગ રોડથી એલડી સુધીની બસ આસ્ટોડિયા સુધી જશે. માહિતી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી છે. જેથી બસમાં મુસાફરી કરતા લોકોએ આ વાતનું ખાસ ધ્યાન રાખવું
કેટલીક જગ્યાને નો પાર્કિંગ ઝોન જાહેર કરાઈ
રથયાત્રા દરમિયાન જો તમે વાહન લઈને જવાના છો તો આ રૂટનું ખાય ધ્યાન રાખવું જેમાં ખમાસા ચાર રસ્તા, જમાલપુર ચાર રસ્તા, જમાલપુર ફૂલ બજાર, રાયખડ ચાર રસ્તા, આસ્ટોડિયા દરવાજા, આસ્ટોડિયા ચકલા, કાલુપુર સર્કલ, સારંગપુર સર્કલ, કાલુપુર સર્કલ, કાલુપુર બ્રિજ, સરસપુર, શારદાબહેન હોસ્પિટલ, અમદુપુરા, કાલુપુર સર્કલ, પ્રેમદરવાજા, દરિયાપુર દરવાજા, દિલ્હી ચકલા, શાહપુર દરવાજા, શાહપુર ચકલા, રંગીલા ચોકી, આર. સી. સ્કૂલ, ઘી કાંટા, પાનકોર નાકા, માણેકચોક, ગોળ લીમડા સહિત 31 જગ્યાઓને નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યાં છે.
અયોધ્યાઃ શ્રીરામ જન્મભૂમિમાં આજે સવારે 6.30 કલાકથી બીજા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની શરૂઆત થઈ હતી. ત્રણ દિવસ સુધી ચાલનારા આ સમારોહમાં રામ દરબાર, શિવલિંગ, ગણપતિ, હનુમાન, સૂર્ય, ભગવતી અને અન્નપૂર્ણાની સાથે શેષાવતાર મંદિરમાં દેવ વિગ્રહની પ્રાણ પ્રતિષ્ઠા થશે. રામ મંદિરને રોશનીથી શણગારવામાં આવ્યું છે.
ત્રિદિવસીય સમારોહમાં મંગળવાર અને બુધવારે સવારે 6.30 કલાકથી 12 કલાક સુધી પૂજા-અનુષ્ઠાન થશે. જેમાં 1978 મંત્રોની સાથે અગ્નિ દેવતાને આહુતિ આપવામાં આવશે. તેમજ રામરક્ષા સ્તોત્ર, હનુમાન ચાલીસા તથા અન્ય ભક્તિ ભજનોનો પાઠ કરવામાં આવશે. મુખ્ય સમારોહ 5 જૂને થશે. જેમાં રામ દરબાર (શ્રીરામ, સીતા, લક્ષ્મણ અને હનુમાન)ની પ્રાણ પ્રતિષ્ઠાની સાથે સાથે સાત અન્ય મંદિરોમાં દેવ પ્રતિમાની સ્થાપના થશે.
રામ જન્મભૂમિમાં બીજા પ્રાણ પ્રતિષ્ઠાના પ્રથમ દિવસે પંચાગ પૂજન, મંડપ પ્રવેશ, યજ્ઞ મંડપ પૂજન, ગ્રહ યોગ, અગ્નિસ્થાપન, વન, કર્મ કુટી, જળાધિવાસ અનુષ્ઠાન થશે. શ્રીરામ જન્મભૂમિ પરિસરમાં રામ દરબાર સહિત તમામ મંદિરમાં સ્થાપિત મૂર્તિઓના શુદ્ધિકરણની પ્રક્રિયાનો આજે સવારથી આરંભ થયો હતો.5 જૂને થનારો મુખ્ય સમારોહ ઐતિહાસિક હશે. આ દિવસે રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠાની સાથે સાથે સાત અન્ય મંદિરોમાં પણ પ્રાણ પ્રતિષ્ઠા થશે.
સોમનાથની મુસાફરી કરતા મુસાફરો માટે સારા સમાચાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં ગુજરાતના લોકોને નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની ભેટ આપી છે, જે સાબરમતી (અમદાવાદ) થી વેરાવળ (સોમનાથ મંદિર) સુધી દોડશે. આ ટ્રેન કુલ 438 કિમીનું અંતર ફક્ત 7 કલાકમાં કાપશે, જેના કારણે હવે ભક્તો અને પ્રવાસીઓ લાંબા થાક વિના સરળતાથી સોમનાથ મંદિર પહોંચી શકશે.
આ વંદે ભારત ટ્રેન અઠવાડિયામાં છ દિવસ ચલાવવામાં આવશે અને આ ટ્રેન ગુરુવારે દોડશે નહીં. મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને ટ્રેનનો સમય નક્કી કરવામાં આવ્યો છે. તે સાબરમતીથી સવારે 5:25 વાગ્યે ઉપડશે અને બપોરે 12:25 વાગ્યે વેરાવળ પહોંચશે. પરત ફરતી વખતે આ ટ્રેન વેરાવળથી બપોરે 2:40 વાગ્યે ઉપડશે અને રાત્રે 9:35 વાગ્યે ફરીથી સાબરમતી સ્ટેશન પહોંચશે.
મુસાફરી દરમિયાન ટ્રેન વિરમગામ, સુરેન્દ્રનગર, વાંકાનેર, રાજકોટ અને જૂનાગઢ સહિત પાંચ મુખ્ય સ્ટેશનો પર ઉભી રહેશે. આ હોલ્ટ ફક્ત સ્થાનિક મુસાફરો માટે જ ફાયદાકારક રહેશે નહીં પરંતુ ગિરનાર પર્વત અને અન્ય ધાર્મિક સ્થળોની યાત્રાને પણ સરળ બનાવશે.
સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ આધુનિક સુવિધાઓથી સજ્જ છે. તેમાં એસી ચેર કાર અને એક્ઝિક્યુટિવ ચેર કારના વિકલ્પો છે, જેમાં આરામદાયક બેઠક વ્યવસ્થા, જીપીએસ આધારિત મુસાફરોની માહિતી પ્રણાલી, ઓટોમેટિક દરવાજા અને વધુ સારી સલામતી સુવિધાઓ છે.
આ ટ્રેનના લોન્ચિંગ સાથે વડા પ્રધાન મોદીએ દાહોદમાં બનેલા ભારતના પ્રથમ 9000 હોર્સપાવર ડી-90 ઇલેક્ટ્રિક એન્જિનનું પણ ઉદ્ઘાટન કર્યું, જે મેક ઇન ઇન્ડિયા પહેલ હેઠળ સ્વદેશી ટેકનોલોજીથી વિકસાવવામાં આવ્યું છે. આ ટ્રેન દ્વારા ફક્ત ધાર્મિક પ્રવાસનને જ નહીં પરંતુ ગુજરાતના રેલ્વે માળખાને પણ એક નવું પરિમાણ મળશે. સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસના સંચાલન સાથે સોમનાથ જેવા પવિત્ર સ્થળોની મુસાફરી હવે પહેલા કરતાં વધુ સરળ અને આરામદાયક બનશે.
પહલગામ હુમલા વચ્ચે ચારધામ યાત્રા સ્થળોએ આતંકવાદ વિરોધી સ્ક્વોડ તૈનાત
6 હજારથી વધુ પોલીસ જવાનો, અર્ધ સૈન્ય દળોની 10 કંપનીઓ, 17 પીએસી કંપનીઓ તૈનાત, એસડીઆરએફની 63 પોસ્ટ તૈયાર
15 સુપર ઝોનમાં બે હજારથી વધુ સીસીટીવી કેમેરા તૈનાત, પર્યટન સ્થળોએ વિશેષ સુરક્ષાની તૈયારી કરાઇ
30 એપ્રીલે યમુનોત્રી-ગંગોત્રી જ્યારે 2 મેના રોજ કેદારનાથ અને 4 મેના બદ્રીનાથ ધામના કપાટ ખોલાશે
જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકીઓએ પર્યટકોને ટાર્ગેટ કરીને હુમલો કર્યો હતો. આ હુમલાને લઇને સમગ્ર તંત્ર એલર્ટ પર છે. એવામાં ઉત્તરાખંડની ચારધામ યાત્રા શરૂ થવા જઇ રહી છે. ૩૦મી એપ્રીલથી ઉત્તરાખંડમાં ભારે સુરક્ષા વચ્ચે ચારધામ યાત્રાનો પ્રારંભ થશે. હાલ વેકેશનનો સમયગાળો છે, એવામાં બહુ જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ચારધામ યાત્રામાં સામેલ થાય તેવા અહેવાલો છે. આતંકી હુમલો અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓના ધસારાને ધ્યાનમાં રાખીને યાત્રાની સુરક્ષા વધારી દેવામાં આવી છે.
પહલગામ હુમલા બાદ ઉત્તરાખંડમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. ઉત્તરાખંડની ચારધામ યાત્રાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. આ યાત્રામાં સામેલ થનારા શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે છ હજારથી વધુ પોલીસકર્મીઓને તૈનાત કરાયા છે. આ ઉપરાંત ૧૭ પીએસી કંપની, ૧૦ અર્ધ સૈન્ય દળોની કંપનીઓ પણ તૈનાત કરવામાં આવી છે. ૧૫ સુપર ઝોનમાં બે હજારથી વધુ સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે. આ વખતે ચારેય ધામોમાં એન્ટી ટેરેરિસ્ટ સ્ક્વોડ પણ તૈનાત કરાશે. કોઇ પણ પ્રકારની આફતને પહોંચી વળવા માટે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ૬૩ પોસ્ટ બનાવવામાં આવી છે.
એવા અહેવાલો છે કે આ વખતે અગાઉ કરતા પણ વધુ શ્રદ્ધાળુઓ ચારધામ યાત્રાએ આવી શકે છે અને સંખ્યા ૬૦ લાખ સુધી પહોંચી શકે છે. સુરક્ષા અંગે માહિતી આપતા રાજ્યના ડીજીપી દીપમ સેઠે કહ્યું હતું કે જવાનોની તૈનાતીની સાથે ગુપ્ત એજન્સીઓ પણ એલર્ટ પર છે. ચાર ધામ યાત્રા બુધવારે ૩૦ એપ્રીલના રોજ શરૂ થવા જઇ રહી છે. ૨૮મી એપ્રીલથી ઓફલાઇન રજિસ્ટ્રેશન શરૂ કરી દેવાયું હતું. જે માટે ૨૦ કાઉંટર તૈયાર કરાયા છે. ૬૦ ટકા રજિસ્ટ્રેશન ઓનલાઇન જ્યારે બાકીનું ૪૦ ટકા રજિસ્ટ્રેશન ઓફલાઇન કરવાનો નિર્ણય લેવાયો છે.
પહેલા દિવસે ઓફલાઇન રજિસ્ટ્રેશન માટે ૧૦૦૦નો સ્લોટ ફાળવવામાં આવ્યો છે. ૩૦ એપ્રીલના રોજ અક્ષય તૃતીયાથી યાત્રાનો આરંભ થશે અને બુધવારે ગંગોત્રી-યમુનોત્રી ધામના કપાટ પણ ખોલવામાં આવશે. જે બાદ બીજી મેના રોજ કેદારનાથ અને પછી ચાર મેના રોજ બદ્રીનાથના કપાટ ખોલવામાં આવશે. જાણકારી અનુસાર ચાર ધામની યાત્રા માટે આશરે ૨૦ લાખથી વધુ શ્રદ્ધાળુઓ રજિસ્ટ્રેશન કરાવી ચુક્યા છે. આ ચાર ધામ યાત્રામાં હિમાલયી ક્ષેત્રના હિન્દુ ધાર્મિક પવિત્ર સ્થળો યમુનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદ્રીનાથનો સમાવેશ થાય છે. યાત્રાના શરૂઆતના પોઇન્ટ હરિદ્વારમાં પણ ઓફલાઇન રજિસ્ટ્રેશન કેન્દ્ર તૈયાર કરાયું છે જ્યાં ૨૦ કાઉન્ટર તૈનાત છે. જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલો થયો તે બહુ જ જાણીતુ પર્યટન સ્થળ છે, એવામાં હાલ દેશના પર્યટન સ્થળોએ પણ ચાંપતી નજર રાખવામાં આવી રહી છે ત્યારે ચારધામ યાત્રાના પર્યટન સ્થળોએ પણ સુરક્ષાની પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે.
અક્ષય તૃતીયાનું ભારતીય સંસ્કૃતિમાં વિશેષ રીતે મહત્ત્વ રહેલું છે. આ તિથિને શુભ માનવામાં આવે છે. માહિતી પ્રમાણે જેનો ક્ષય થતો નથી, તે અક્ષય તરીકે ઓળખાય છે. તો આવો જાણીએ અખાત્રીજે કરેલું કોઈ પણ કાર્ય કેમ અક્ષય બને છે, અને કોની પૂજા કરવાથી કેવું ફળ પ્રાપ્ત થાય છે. હિન્દુ પંચાંગ પ્રમાણે આજે એટલે કે 30 એપ્રિલના રોજ અખાત્રીજ મનાવવામાં આવશે.
આ તિથિ સતયુગની આદિ તિથિ હોવાથી યુગાદિ કહેવાય છે. સર્વ પાપનો નાશ કરનાર અને સર્વ સુખ આપનાર છે, આ તિથિના દિવસે કરવામાં આવતાં કર્મનો નાશ થતો નથી, માટે તે કર્મ અક્ષય બને છે, જેથી અક્ષય તૃતીયા તરીકે ઓળખાય છે. આ તિથિએ પુણ્ય સ્નાન, જપ, હોમ, મંત્ર, સિદ્ધિ વગેરે કાર્ય કરવાથી તેનું ફળ પણ અક્ષય બને છે
આજે કલિયુગમાં પણ આ તિથિનો ભાવ ખૂબ જ રહેલો છે, જેમાં લોકો યંત્ર સિદ્ધિ, સોનુ, જમીન, વાહન ખરીદી ઉપરાંત લગ્ન કરવા જેવી બાબતને ખૂબ જ પ્રાધાન્ય આપે છે, કેમ કે આ કાર્ય દીર્ઘ બને. હાલમાં પણ આ દિવસ લગ્ન માટે કેટલાક પ્રાંતમાં કે પરિવારમાં વધુ પ્રધાન્યરૂપ જોવા મળે છે. કેમ કે તેઓની માન્યતા મુજબ આ દિવસે કરેલા લગ્ન ઘણા દોષને દૂર કરે છે, એટલે આ દિવસે લગ્ન પણ વધુ જોવા મળે છે, કેટલીક જગ્યાએ વિદ્વાનોના માર્ગદર્શન પ્રમાણે વિશિષ્ટ કાર્યના આયોજન પણ થતા હોય છે.
ધર્મ ધ્યાનમાં માનનાર આ દિવસે યંત્ર જેવા કે, શ્રી યંત્ર, કનકધારા યંત્ર, લક્ષ્મી નારાયણ યંત્ર વગેરેની સિદ્ધિ કે વિશેષ પૂજા કરતા હોય છે. યંત્ર પર મંત્રનો પ્રભાવ ઉપજાવી તેના ફળને અક્ષય પ્રાપ્તિની ભાવના રાખવામાં આવે છે. વિદ્વાનો પાસેથી કે ધર્મ ગ્રંથમાં અક્ષય તૃતીયાની વિસ્તૃત માહિતી, વ્રત, પૂજાની જાણકારી મેળવી શકાય છે, આપણને ઈશ્વરની કૃપાથી વર્ષમાં કેટલાક વિશિષ્ટ દિવસ, સમય વરદાનરૂપી મળેલા છે. જેનો સદુપયોગ જીવન અને સમાજને શ્રેષ્ઠ બનાવવા માટેનો હોય છે.
વૈશાખ સુદ ત્રીજ યુગાદિ તિથિ છે. એક ગણતરી મુજબ મેષ સંક્રાંતિ દરમિયાન આવતી હોય છે, એટલે સૂર્ય મેષ રાશિમાં હોય, જે તેની ઉચ્ચ રાશિ છે અને સુદ ત્રીજ તિથિ હોવાથી ચંદ્ર વૃષભમાં તેની ઉચ્ચ રાશિમાં હોય છે. આ યોગ વિશિષ્ટ હોય છે, જેમાં સૂર્ય અને ચંદ્ર પોતપોતાની ઉચ્ચ રાશિમાં હોય છે.
સૂર્ય અને ચંદ્રને આપણે પ્રત્યક્ષ દેવ તરીકે ઓળખીએ છીએ. જો આ દિવસે ઉપવાસ કરી દાન ધર્મ કરવામાં આવે તો ઉત્તમલોકની પ્રાપ્તિ થાય છે. આ દિવસે લક્ષ્મીનારાયણનું પૂજન કરવામાં આવે તો ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે, તેમજ ગંગા સ્નાન કરવાથી પણ પાપનો નાશ થાય છે.
પૂજા કરવાનો શુભ સમય :
સવારે 11.01 થી 12.30 બપોરે 03.50 થી 05.20 સાંજે 05.21 થી 06.55 રાત્રે 08.20 થી 10.55
વિશ્વ નવકાર મહામંત્ર દિવસ નિમિત્તે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના વિજ્ઞાનભવનમાં આયોજિત સમારોહમાં ભાગ લીધો હતો અને સંબોધન કર્યું હતું. નરેન્દ્ર મોદી જે બોલ્યા એ અહીં શબ્દશઃ રજૂ કર્યું છે
વિજ્ઞાનભવનમાં આયોજિત વિશ્વ નવકાર મહામંત્ર દિવસના સમારોહમાં નરેન્દ્ર મોદી.
આ ૯ સંકલ્પો તમારી સાથે લઈ જાઓ
પાણી બચાવો માતાના નામે એક વૃક્ષ સ્વચ્છતાનું મિશન વોકલ ફૉર લોકલ દેશદર્શન કુદરતી ખેતી હેલ્ધી લાઇફસ્ટાઇલ યોગ અને રમતને જીવનમાં સ્થાન ગરીબોને સહાય
આ રહ્યું તેમનું સંબોધન:
જય જિનેન્દ્ર,
મન શાંત છે, મન સ્થિર છે, ફક્ત શાંતિ છે, એક અદ્ભુત અનુભૂતિ છે, શબ્દોની પેલે પાર, વિચારોની પેલે પાર નવકાર મહામંત્ર હજી પણ મનમાં ગુંજતો રહે છે…
નમો અરિહંતાણં॥
નમો સિદ્ધાણં॥
નમો આયરિયાણં॥
નમો ઉવજ્ઝાયાણં॥
નમો લોએ સવ્વસાહૂણં॥
9 April 2025 વિજ્ઞાનભવનમાં આયોજિત સમારોહમાં નરેન્દ્ર મોદીને વિશ્વ નવકાર મંત્ર દિવસનો મેમેન્ટો આપતા આયોજકો અને આ ક્ષણને વધાવતા શ્રાવકો.
એક સ્વર, એક પ્રવાહ, એક ઊર્જા, કોઈ ઉતાર-ચડાવ નહીં. ફક્ત સ્થિરતા, ફક્ત સમતા. એક સમાન ચેતના, સમાન લય અને અંદરથી સમાન પ્રકાશ. હું હજી પણ નવકાર મહામંત્રની આ આધ્યાત્મિક શક્તિને મારી અંદર અનુભવી રહ્યો છું. થોડાં વર્ષો પહેલાં હું બૅન્ગલોરમાં એક સામૂહિક મંત્રોચ્ચારનો સાક્ષી બન્યો હતો. આજે મને એ જ અનુભવ અને એ જ લાગણી સાથે જોવા મળ્યાં હતાં. આ વખતે દેશ અને વિદેશમાં લાખો-કરોડો પુણ્યશાળી આત્માઓ એક ચેતના સાથે જોડાયેલા, એકસાથે બોલાયેલા શબ્દો, એકસાથે ઊર્જા જાગૃત આ ખરેખર અભૂતપૂર્વ છે.
આ શરીરનો જન્મ ગુજરાતમાં થયો હતો, જ્યાં દરેક શેરીમાં જૈન ધર્મનો પ્રભાવ દેખાય છે અને બાળપણથી જ મને જૈન આચાર્યોનો સાથ મળ્યો છે.
નવકાર મહામંત્ર ફક્ત એક મંત્ર નથી. એ આપણી શ્રદ્ધાનું કેન્દ્ર છે. આપણા જીવનનો મૂળ સૂર અને એનું મહત્ત્વ ફક્ત આધ્યાત્મિક નથી. તે દરેકને પોતાનાથી લઈને સમાજ સુધીનો માર્ગ બતાવે છે. તે લોકોથી દુનિયા સુધીની સફર છે. આ મંત્રનો દરેક શબ્દ જ નહીં, દરેક અક્ષર પણ પોતાનામાં એક મંત્ર છે. જ્યારે આપણે નવકાર મહામંત્રનો જાપ કરીએ છીએ ત્યારે આપણે પંચ પરમેષ્ઠીને નમન કરીએ છીએ. પંચ પરમેષ્ઠી કોણ છે? અરિહંત – જેમણે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, જે મહિમાવાન માણસોને જ્ઞાન આપે છે, જેની પાસે ૧૨ દૈવી ગુણો છે. સિદ્ધ – જેમણે ૮ કર્મોનો નાશ કર્યો છે, મોક્ષ પ્રાપ્ત કર્યો છે તે ૮ શુદ્ધ ગુણો ધરાવે છે. આચાર્ય – જેઓ મહાવ્રતનું પાલન કરે છે, જેઓ માર્ગદર્શક છે તેમનું વ્યક્તિત્વ ૩૬ ગુણોથી સંપન્ન છે. ઉપાધ્યાય – જેઓ શિક્ષણમાં મુક્તિના માર્ગનું જ્ઞાન આપે છે, જેઓ ૨૫ ગુણોથી ભરપૂર છે. સાધુ – જેઓ તપસ્યાના અગ્નિમાં પોતાની પરીક્ષા લે છે. જેઓ મુક્તિ પ્રાપ્તિ તરફ આગળ વધી રહ્યા છે તેમનામાં પણ ૨૭ મહાન ગુણો છે.
જ્યારે આપણે નવકાર મહામંત્રનો જાપ કરીએ છીએ ત્યારે આપણે ૧૦૮ દૈવી ગુણોને નમન કરીએ છીએ, આપણે માનવતાના કલ્યાણને યાદ કરીએ છીએ. આ મંત્ર આપણને યાદ અપાવે છે – જ્ઞાન અને કર્મ જીવનની દિશા છે, ગુરુ પ્રકાશ છે અને માર્ગ એ છે જે અંદરથી આવે છે. નવકાર મહામંત્ર કહે છે કે પોતાના પર વિશ્વાસ રાખો, પોતાની યાત્રા શરૂ કરો, દુશ્મન બહાર નથી, દુશ્મન અંદર છે. નકારાત્મક વિચારસરણી, અવિશ્વાસ, દ્વેષ, સ્વાર્થ આ બધા દુશ્મનો છે જેમને હરાવવા એ જ ખરો વિજય છે અને આ જ કારણ છે કે જૈન ધર્મ આપણને બહારની દુનિયાને નહીં પણ પોતાને જીતવા માટે પ્રેરણા આપે છે. જ્યારે આપણે આપણી જાતને જીતી લઈએ છીએ ત્યારે આપણે અરિહંત બનીએ છીએ અને તેથી નવકાર મહામંત્ર એ કોઈ માગ નથી, એ માર્ગ છે. એક એવો માર્ગ જે વ્યક્તિને અંદરથી શુદ્ધ કરે છે, જે માનવીને સુમેળનો માર્ગ બતાવે છે.
નવકાર મહામંત્ર સાચા અર્થમાં માનવધ્યાન, સાધના અને આત્મશુદ્ધિનો મંત્ર છે. આ મંત્ર વૈશ્વિક દૃષ્ટિકોણ ધરાવે છે. આ શાશ્વત મહામંત્ર ભારતની અન્ય શ્રુતિ-સ્મૃતિ પરંપરાઓની જેમ પેઢી દર પેઢી પહેલાં મૌખિક રીતે સદીઓ સુધી, પછી શિલાલેખો દ્વારા અને અંતે પ્રાકૃત હસ્તપ્રતો દ્વારા અને આજે પણ આપણને માર્ગદર્શન આપે છે. નવકાર મહામંત્ર એ યોગ્ય જ્ઞાન સાથે પાંચ પરમ દેવતાઓની પૂજા છે. આ સાચો દૃષ્ટિકોણ છે, સાચું ચારિત્ર્ય છે અને સૌથી ઉપર મોક્ષ તરફ દોરી જતો માર્ગ છે.
આપણે જાણીએ છીએ કે જીવનનાં ૯ તત્ત્વો છે. આ ૯ તત્ત્વો જીવનને પૂર્ણતા તરફ લઈ જાય છે. તેથી આપણી સંસ્કૃતિમાં ૯નું વિશેષ મહત્ત્વ છે. જૈન ધર્મમાં નવકાર મહામંત્ર, નવ તત્ત્વો, નવ ગુણો અને અન્ય પરંપરાઓમાં નવ ખજાના, નવદ્વાર, નવગ્રહ, નવદુર્ગા, નવધા ભક્તિ, નવ સર્વત્ર છે. દરેક સંસ્કૃતિમાં દરેક પ્રથામાં. ૯ વાર અથવા ૨૭, ૫૪, ૧૦૮ વાર એટલે કે ૯ના ગુણાંકમાં પણ જાપ કરો. શા માટે? કારણ કે ૯ પૂર્ણતાનું પ્રતીક છે. ૯ પછી બધું જ પુનરાવર્તન થાય છે. ૯ને કોઈ પણ વસ્તુ સાથે ગુણાકાર કરો, જવાબનું મૂળ ફરીથી ૯ છે. આ ફક્ત ગણિત નથી, એ ગણિત નથી. આ ફિલસૂફી છે. જ્યારે આપણે પૂર્ણતા પ્રાપ્ત કરીએ છીએ ત્યારે આપણું મન, આપણું મગજ સ્થિરતા સાથે ઉપર તરફ જવા લાગે છે. નવી વસ્તુઓની કોઈ ઇચ્છા નથી. પ્રગતિ પછી પણ આપણે આપણા મૂળથી દૂર જતા નથી અને આ જ મહામંત્ર નવકારનો સાર છે.
નવકાર મહામંત્રનું આ દર્શન વિકસિત ભારતના વિઝન સાથે જોડાયેલું છે. મેં લાલ કિલ્લા પરથી કહ્યું છે – વિકસિત ભારતનો અર્થ વિકાસની સાથે-સાથે વારસો પણ છે! એક એવું ભારત જે અટકશે નહીં, એક એવું ભારત જે થોભશે નહીં. જે ઊંચાઈઓને સ્પર્શશે પણ પોતાના મૂળથી કપાશે નહીં. વિકસિત ભારતને એની સંસ્કૃતિ પર ગર્વ થશે. એટલા માટે આપણે આપણા તીર્થંકરોના ઉપદેશોનું જતન કરીએ છીએ. જ્યારે ભગવાન મહાવીરના બે હજાર પાંચસો પચાસમા નિર્વાણ મહોત્સવનો સમય આવ્યો ત્યારે અમે એને સમગ્ર દેશમાં ઊજવ્યો. આજે જ્યારે વિદેશથી પ્રાચીન મૂર્તિઓ પાછી આવે છે ત્યારે આપણા તીર્થંકરોની મૂર્તિઓ પણ પાછી આવે છે. તમને એ જાણીને ગર્વ થશે કે પાછલાં વર્ષોમાં ૨૦થી વધુ તીર્થંકરોની મૂર્તિઓ વિદેશથી પરત કરવામાં આવી છે જે કોઈક સમયે ચોરાઈ ગઈ હતી.
ભારતની ઓળખને આકાર આપવામાં જૈન ધર્મની ભૂમિકા અમૂલ્ય રહી છે. અમે એને બચાવવા માટે પ્રતિબદ્ધ છીએ. મને ખબર નથી કે તમારામાંથી કેટલા લોકો નવું સંસદભવન જોવા ગયા હશે. અને જો તમે ત્યાં ગયા હોત તો પણ તમે ધ્યાનથી જોયું હોત કે નહીં? તમે જોયું, નવી સંસદ લોકશાહીનું મંદિર બની ગયું. ત્યાં પણ જૈન ધર્મનો પ્રભાવ સ્પષ્ટપણે દેખાય છે. શાર્દુલ દ્વારમાં પ્રવેશતાંની સાથે જ સ્થાપત્ય ગૅલરીમાં સમ્મેતશિખર દૃશ્યમાન છે. લોકસભાના પ્રવેશદ્વાર પર તીર્થંકરની પ્રતિમા છે, આ પ્રતિમા ઑસ્ટ્રેલિયાથી પરત કરવામાં આવી છે. બંધારણ ગૅલરીની છત પર ભગવાન મહાવીરનું એક અદ્ભુત ચિત્ર છે. દક્ષિણ ભવનની દીવાલ પર બધા ૨૪ તીર્થંકરો એકસાથે છે. કેટલાક લોકોને જીવંત થવામાં સમય લાગે છે, તે લાંબી રાહ જોયા પછી આવે છે; પરંતુ તે મજબૂત રીતે આવે છે. આ ફિલસૂફીઓ આપણા લોકશાહીને દિશા બતાવે છે અને સાચો રસ્તો બતાવે છે. પ્રાચીન આગમ ગ્રંથોમાં જૈન ધર્મની વ્યાખ્યાઓ ખૂબ જ સંક્ષિપ્ત સૂત્રોમાં લખવામાં આવી છે. જેમ કે – वत्थु सहावो धम्मो, चारित्तम् खलु धम्मो, जीवाण रक्खणं धम्मो.
આ મૂલ્યોને અનુસરીને અમારી સરકાર સબકા સાથ, સબકા વિકાસના મંત્ર પર આગળ વધી રહી છે.
જૈન ધર્મનું સાહિત્ય ભારતના બૌદ્ધિક ગૌરવનો આધાર છે. આ જ્ઞાનનું જતન કરવું એ આપણી ફરજ છે અને તેથી જ આપણે પ્રાકૃત અને પાલીને શાસ્ત્રીય ભાષાઓનો દરજ્જો આપ્યો. હવે જૈન સાહિત્ય પર વધુ સંશોધન શક્ય બનશે. અને સાથીઓ,
ભાષા ટકી રહેશે તો જ્ઞાન ટકી રહેશે, ભાષા વધશે તો જ્ઞાન વધશે. તમે જાણો છો કે આપણા દેશમાં સેંકડો વર્ષ જૂની જૈન હસ્તપ્રતો છે. દરેક પાનું ઇતિહાસનો અરીસો છે. એ જ્ઞાનનો મહાસાગર છે. समया धम्म मुदाहरे मुणी – સમાનતામાં ધર્મ છે. जो सयं जह वेसिज्जा तेणो भवइ बंद्गो – જે જ્ઞાનનો દુરુપયોગ કરે છે એનો નાશ થાય છે. कामो कसायो खवे जो, सो मुणी – पावकम्म-जओ – જે બધી ઇચ્છાઓ અને જુસ્સા પર વિજય મેળવે છે તે સાચો ઋષિ છે.
કમનસીબે ઘણા મહત્ત્વપૂર્ણ ગ્રંથો ધીમે-ધીમે અદૃશ્ય થઈ રહ્યા હતા. એટલા માટે આપણે જ્ઞાન ભારતમ્ મિશન શરૂ કરવા જઈ રહ્યા છીએ. આ વર્ષના બજેટમાં આની જાહેરાત કરવામાં આવી છે. દેશમાં કરોડો હસ્તપ્રતોનો સર્વે કરવાની તૈયારીઓ ચાલી રહી છે. પ્રાચીન વારસાનું ડિજિટાઇઝેશન કરીને આપણે પ્રાચીનતાને આધુનિકતા સાથે જોડીશું. બજેટમાં આ ખૂબ જ મહત્ત્વપૂર્ણ જાહેરાત હતી અને તમારે લોકોએ ખૂબ ગર્વ અનુભવવો જોઈએ. જોકે તમારું ધ્યાન ૧૨ લાખ રૂપિયાની આવકવેરા-મુક્તિ તરફ ગયું હશે. સમજદાર વ્યક્તિ માટે એક ઇશારો પૂરતો છે.
આ મિશન જે આપણે શરૂ કર્યું છે એ પોતે જ એક અમૃત સંકલ્પ છે! નવું ભારત AI દ્વારા શક્યતાઓનું અન્વેષણ કરશે અને આધ્યાત્મિકતા દ્વારા વિશ્વને માર્ગ બતાવશે.
જેટલો મેં જૈન ધર્મને જાણ્યો અને સમજ્યો છે, જૈન ધર્મ ખૂબ જ વૈજ્ઞાનિક અને એટલો જ સંવેદનશીલ છે. આજે દુનિયા જે પરિસ્થિતિઓનો સામનો કરી રહી છે – યુદ્ધ હોય, આતંકવાદ હોય કે પર્યાવરણીય સમસ્યાઓ હોય – આવા પડકારોનો ઉકેલ જૈન ધર્મના મૂળભૂત સિદ્ધાંતોમાં રહેલો છે. જૈન પરંપરાના પ્રતીકમાં લખેલું છે – परस्परोग्रहो जीवानाम – જેનો અર્થ થાય છે કે વિશ્વના બધા જીવો એકબીજા પર આધારિત છે. તેથી જૈન પરંપરા સૌથી સૂક્ષ્મ હિંસાને પણ પ્રતિબંધિત કરે છે. આ પર્યાવરણ સંરક્ષણ, પરસ્પર સંવાદિતા અને શાંતિનો શ્રેષ્ઠ સંદેશ છે. આપણે બધા જૈન ધર્મના પાંચ મુખ્ય સિદ્ધાંતો વિશે પણ જાણીએ છીએ, પરંતુ બીજો એક મહત્ત્વપૂર્ણ સિદ્ધાંત છે – બહુવચનવાદ. આજના યુગમાં અનેકાંતવાદનું દર્શન વધુ સુસંગત બન્યું છે. જ્યારે આપણે બહુલવાદમાં માનીએ છીએ ત્યારે યુદ્ધ અને સંઘર્ષની પરિસ્થિતિઓ ઊભી થતી નથી. પછી લોકો બીજાઓની લાગણીઓને સમજે છે અને તેમનો દૃષ્ટિકોણ પણ સમજે છે. મારું માનવું છે કે આજે સમગ્ર વિશ્વને અનેકાંતવાદનાં દર્શનને સમજવાની જરૂર છે.
આજે દુનિયાનો ભારત પર વિશ્વાસ વધુ ઊંડો બની રહ્યો છે. આપણા પ્રયત્નો, આપણાં પરિણામો હવે પોતાનામાં પ્રેરણા બની રહ્યાં છે. વૈશ્વિક સંસ્થાઓ ભારત તરફ જોઈ રહી છે. શા માટે? કારણ કે ભારત આગળ વધી ગયું છે અને જ્યારે આપણે આગળ વધીએ છીએ ત્યારે આ ભારતની વિશેષતા છે, જ્યારે ભારત આગળ વધે છે ત્યારે બીજાઓ માટે રસ્તા ખૂલે છે. આ જૈન ધર્મની ભાવના છે. હું ફરીથી કહીશ, સંપરોપગ્રહ જીવનમ! જીવન ફક્ત પરસ્પર સહયોગથી જ ચાલે છે. આ વિચારસરણીને કારણે ભારત પાસેથી વિશ્વની અપેક્ષાઓ પણ વધી છે અને અમે અમારા પ્રયાસો પણ વધુ તીવ્ર બનાવ્યા છે. આજે સૌથી મોટી કટોકટી છે; ઘણી કટોકટીઓમાંથી એક કટોકટી સૌથી વધુ ચર્ચામાં આવે છે – આબોહવા પરિવર્તન. આનો ઉકેલ શું છે? ટકાઉ જીવનશૈલી. એટલા માટે ભારતે મિશન લાઇફ શરૂ કર્યું. મિશન લાઇફ એટલે પર્યાવરણ માટે જીવનશૈલી અને જૈન સમુદાય સદીઓથી આ રીતે જીવી રહ્યો છે. સરળતા, સંયમ અને ટકાઉપણું તમારા જીવનનો મુખ્ય ભાગ છે. જૈન ધર્મમાં કહેવામાં આવ્યું છે – અપરિગ્રહ. હવે આ વાત લોકો સુધી પહોંચાડવાનો સમય છે. હું તમને વિનંતી કરું છું કે તમે ગમે ત્યાં હો, દુનિયાના કોઈ પણ ખૂણામાં હો, ગમે તે દેશમાં હો, મિશન લાઇફના ધ્વજવાહક બનો.
આજની દુનિયા માહિતીની દુનિયા છે. જ્ઞાનનો ભંડાર હવે દેખાવા લાગ્યો છે, પણ न विज्जा विण्णाणं करोति किंचि! શાણપણ વિનાનું જ્ઞાન ફક્ત ભારેપણું છે, કોઈ ઊંડાણ નથી. જૈન ધર્મ આપણને શીખવે છે કે સાચો માર્ગ ફક્ત જ્ઞાન અને શાણપણ દ્વારા જ મળે છે. આ સંતુલન આપણા યુવાનો માટે સૌથી મહત્ત્વપૂર્ણ છે. અમે ઇચ્છીએ છીએ કે જ્યાં ટેક્નૉલૉજી હોય ત્યાં સ્પર્શ પણ હોવો જોઈએ. જ્યાં કૌશલ્ય છે ત્યાં આત્મા પણ હોવો જોઈએ. નવકાર મહામંત્ર આ શાણપણનો સ્રોત બની શકે છે. નવી પેઢી માટે આ મંત્ર ફક્ત એક જાપ નથી, એ એક દિશા છે.
૯ સંકલ્પ
આજે જ્યારે નવકાર મહામંત્રનો જાપ સમગ્ર વિશ્વમાં આટલી મોટી સંખ્યામાં એકસાથે થઈ રહ્યો છે ત્યારે હું ઇચ્છું છું કે આપણે બધા, આજે આપણે જ્યાં પણ બેઠા હોઈએ, ફક્ત આ રૂમમાં જ નહીં – આ ૯ સંકલ્પો તમારી સાથે લઈ જાઓ. તમે તાળીઓ નહીં પાડો, કારણ કે તમને લાગશે કે મુશ્કેલી આવી રહી છે. પહેલો સંકલ્પ – પાણી બચાવવાનો સંકલ્પ. તમારામાંથી ઘણા લોકો મહુડીની યાત્રા પર ગયા હશે. ત્યાં બુદ્ધિસાગરજી મહારાજે ૧૦૦ વર્ષ પહેલાં કંઈક કહ્યું હતું એ ત્યાં લખેલું છે. બુદ્ધિસાગર મહારાજજીએ કહ્યું હતું કે ‘કરિયાણાની દુકાનોમાં પાણી વેચાશે…’ ૧૦૦ વર્ષ પહેલાં કહ્યું હતું. આજે આપણે એ ભવિષ્ય જીવી રહ્યા છીએ. આપણે પીવા માટે કરિયાણાની દુકાનમાંથી પાણી ખરીદીએ છીએ. હવે આપણે દરેક ટીપાનું મૂલ્ય સમજવું પડશે. દરેક ટીપાને બચાવવાની આપણી ફરજ છે.
બીજો સંકલ્પ – માતાના નામે એક વૃક્ષ. છેલ્લા કેટલાક મહિનામાં દેશમાં ૧૦૦ કરોડથી વધુ વૃક્ષો વાવવામાં આવ્યાં છે. હવે દરેક વ્યક્તિએ પોતાની માતાના નામે એક વૃક્ષ વાવવું જોઈએ અને માતાના આશીર્વાદ મુજબ એનું જતન કરવું જોઈએ. જ્યારે તમે મને ગુજરાતની ધરતી પર સેવા કરવાની તક આપી ત્યારે મેં એક પ્રયોગ કર્યો. તો મેં તારંગાજીમાં એક તીર્થંકર વન બનાવ્યું હતું. તારંગાજી ઉજ્જડ સ્થિતિમાં છે. જો પ્રવાસીઓ આવે તો તેમને બેસવાની જગ્યા મળે અને હું આ તીર્થંકર જંગલમાં જે વૃક્ષ નીચે આપણા ૨૪ તીર્થંકરો બેઠા હતા એ વૃક્ષ શોધીને રોપવા માગતો હતો. મેં પ્રયત્નોમાં કોઈ કમી રાખી નહીં, પણ કમનસીબે હું ફક્ત ૧૬ વૃક્ષો જ ભેગાં કરી શક્યો; મને ૮ વૃક્ષો મળ્યાં નહીં. જે વૃક્ષો નીચે તીર્થંકરો ધ્યાન કરતા હતા એ લુપ્ત થઈ જાય તો શું આપણા હૃદયમાં કોઈ વેદના થાય છે? તમે પણ નક્કી કરો કે હું એ વૃક્ષ વાવીશ જે નીચે દરેક તીર્થંકર બેઠા હતા અને હું એ વૃક્ષ મારી માતાના નામે વાવીશ.
ત્રીજો સંકલ્પ – સ્વચ્છતાનું મિશન. સ્વચ્છતામાં સૂક્ષ્મ અહિંસા છે, હિંસાથી મુક્તિ છે. આપણી દરેક શેરી, દરેક વિસ્તાર, દરેક શહેર સ્વચ્છ હોવાં જોઈએ, દરેક વ્યક્તિએ એમાં યોગદાન આપવું જોઈએ, ખરુંને?
ચોથો સંકલ્પ – લોકલ માટે વોકલ. એક કામ કરો, ખાસ કરીને મારા યુવાનો, યુવાન મિત્રો, દીકરીઓ, સવારે ઊઠવાથી લઈને રાત્રે સૂવા સુધી તમે ઘરમાં જે કંઈ પણ વસ્તુઓ વાપરો છો, બ્રશ કરો, કાંસકો કરો, ગમે એ કરો, બસ એક યાદી બનાવો કે એમાંથી કેટલી વસ્તુઓ વિદેશી છે. તમારા જીવનમાં કેવા પ્રકારની બાબતો પ્રવેશી છે એ જોઈને તમે પોતે પણ આશ્ચર્યચકિત થઈ જશો. પછી નક્કી કરો કે આ અઠવાડિયે હું ત્રણ વસ્તુઓ ઘટાડીશ, આવતા અઠવાડિયે હું પાંચ વસ્તુઓ ઘટાડીશ અને પછી ધીમે-ધીમે દરરોજ ૯ વસ્તુઓ ઘટાડીશ અને એક પછી એક નવકાર મંત્રનો જાપ કરતી વખતે એક પછી એક ઘટાડો કરતી રહીશ.
જ્યારે હું કહું છું કે વોકલ ફૉર લોકલ, ભારતમાં બનેલી વસ્તુઓ જે ભારતમાં તેમ જ સમગ્ર વિશ્વમાં વેચાય છે. આપણે સ્થાનિકને વૈશ્વિક બનાવવું પડશે. આપણે એવાં ઉત્પાદનો ખરીદવાં પડશે જેમાં ભારતીયના પરસેવાની સુગંધ હોય અને ભારતીય માટીની સુગંધ હોય અને બીજાઓને પણ પ્રેરણા મળે.
પાંચમો સંકલ્પ – દેશનું વિઝન. તમે દુનિયાભરમાં ફરવા જઈ શકો છો; પણ પહેલાં ભારતને જાણો, તમારા ભારતને જાણો. આપણું દરેક રાજ્ય, દરેક સંસ્કૃતિ, દરેક ખૂણો, દરેક પરંપરા અદ્ભુત છે, અમૂલ્ય છે. એ જોવું જોઈએ અને આપણે એને નહીં જોઈએ અને કહીશું કે જો દુનિયા તેને જોવા આવે તો તે કેમ આવશે ભાઈ. હવે જો આપણે ઘરે આપણાં બાળકોને મહાનતા નહીં આપીએ તો પછી પાડોશમાં કોણ આપશે?
છઠ્ઠો સંકલ્પ – કુદરતી ખેતી અપનાવવાનો. જૈન ધર્મમાં કહેવાય છે – जीवो जीवस्स नो हन्ता – એક જીવ બીજા જીવનો ખૂની ન બનવો જોઈએ. આપણે ધરતીમાતાને રસાયણોથી મુક્ત કરવી પડશે. આપણે ખેડૂતોની સાથે ઊભા રહેવું પડશે. કુદરતી ખેતીનો મંત્ર દરેક ગામમાં લઈ જવો પડશે.
સાતમો સંકલ્પ – સ્વસ્થ જીવનશૈલી અપનાવો. ખોરાકમાં ભારતીય પરંપરા તરફ પાછા ફરવું જોઈએ. બાજરી શ્રીઅન્ન શક્ય એટલી વધુ પ્લેટોમાં હોવી જોઈએ અને સ્થૂળતાને દૂર રાખવા માટે ખોરાકમાં ૧૦ ટકા ઓછું તેલ હોવું જોઈએ! અને તમે અકાઉન્ટિંગ જાણો છો, પૈસા બચશે અને કામ થશે.
જૈન પરંપરા કહે છે – तपेणं तणु मंसं होइ। તપસ્યા અને આત્મસંયમ દ્વારા શરીર સ્વસ્થ બને છે અને મન શાંત બને છે. આ માટે એક મોટું માધ્યમ યોગ અને રમતગમત છે. તેથી આઠમો સંકલ્પ એ છે કે જીવનમાં યોગ અને રમતગમતનો સમાવેશ કરવો. ઘર હોય કે ઑફિસ, સ્કૂલ હોય કે પાર્ક, આપણે રમવું અને યોગ કરવા એ આપણા જીવનનો એક ભાગ બનાવવો પડશે. નવમો ઠરાવ ગરીબોને મદદ કરવાનો ઠરાવ છે. કોઈનો હાથ પકડીને, કોઈની થાળી ભરીને આ જ ખરી સેવા છે.
હું ગૅરન્ટી આપું છું કે આ નવા સંકલ્પો આપણને નવી ઊર્જા આપશે. આપણી નવી પેઢીને એક નવી દિશા મળશે અને આપણા સમાજમાં શાંતિ, સંવાદિતા અને કરુણા વધશે. અને હું ચોક્કસ એક વાત કહીશ કે જો મેં મારા પોતાના ભલા માટે આમાંથી એક પણ નવો સંકલ્પ લીધો હોય તો એ ન કરશો. ભલે તમે મારા પક્ષના ભલા માટે કર્યું હોય, પણ એ ન કરો. હવે તમારે કોઈ પ્રતિબંધો ન હોવા જોઈએ. અને બધા મહારાજસાહેબ પણ મારી વાત સાંભળી રહ્યા છે. હું તેમને વિનંતી કરું છું કે જો મારા આ શબ્દો તમારા મોઢામાંથી નીકળશે તો શક્તિ વધશે.
રત્નત્રય, દસલક્ષણ, સોળ કારણ, પર્યુષણ વગેરે જેવા આપણા મહાન તહેવારો આત્મકલ્યાણનો માર્ગ મોકળો કરે છે. એ જ વિશ્વ નવકાર મહામંત્ર આ દિવસ વિશ્વમાં સતત સુખ, શાંતિ અને સમૃદ્ધિમાં વધારો કરે. મને આપણા આચાર્ય ભગવંતોમાં સંપૂર્ણ વિશ્વાસ છે અને તેથી મને તમારામાં પણ વિશ્વાસ છે. હું આજે ખુશ છું અને હું આ ખુશી વ્યક્ત કરવા માગું છું, કારણ કે હું પહેલાં પણ આ વસ્તુઓ સાથે સંકળાયેલો છું. મને ખૂબ આનંદ છે કે આ કાર્યક્રમ માટે ચારેય જૂથો એકસાથે આવ્યાં છે. આ સ્ટૅન્ડિંગ ઓવેશન મોદી માટે નથી, હું એને એ ચારેય સંપ્રદાયોના તમામ મહાપુરુષોનાં ચરણોમાં સમર્પિત કરું છું. આ આયોજન, આ આયોજન આપણી પ્રેરણા, આપણી એકતા, આપણી એકતા અને એકતાની શક્તિની લાગણી અને એકતાની ઓળખ બની છે. આપણે દેશમાં એકતાનો સંદેશ આ રીતે લઈ જવો પડશે. આપણે ભારત માતા કી જય કહેનારા દરેકને સામેલ કરવા પડશે. આ એક વિકસિત ભારત બનાવવા માટેની ઊર્જા છે. એ એનો પાયો મજબૂત બનાવશે.
આજે આપણે સૌભાગ્યશાળી છીએ કે દેશમાં ઘણી જગ્યાએ આપણને ગુરુભગવાનના આશીર્વાદ પણ મળી રહ્યા છે. આ વૈશ્વિક કાર્યક્રમનું આયોજન કરવા બદલ હું સમગ્ર જૈન પરિવારને સલામ કરું છું. આજે હું આપણા આચાર્ય ભગવંત, મહારાજસાહેબ, મુનિમહારાજ, દેશ અને વિદેશમાં એકઠાં થયેલાં શ્રાવકો અને શ્રાવિકાઓને મારા શ્રદ્ધાપૂર્વક પ્રણામ કરું છું. હું ખાસ કરીને JITOને આ કાર્યક્રમનું આયોજન કરવા બદલ અભિનંદન આપું છું. નવકાર મંત્ર કરતાં JITO માટે વધુ તાળીઓ પડી રહી છે. JITO ઍપેક્સના ચૅરમૅન પૃથ્વીરાજ કોઠારીજી, પ્રમુખ વિજય ભંડારીજી, ગુજરાતના ગૃહપ્રધાન હર્ષ સંઘવીજી, JITOના અન્ય અધિકારીઓ અને દેશ અને દુનિયાના ખૂણે-ખૂણેથી આવેલા મહાનુભાવો, આપ સૌને આ ઐતિહાસિક આયોજન માટે શુભકામનાઓ.
“ભયે પ્રગટ કૃપાલા” અયોધ્યામાં ભગવાન રામના જન્મોત્સવની દિવ્ય ઉજવણી; સુર્યતિલકનાં અલૌકિક દર્શન અયોધ્યા: રામનગરી અયોધ્યામાં આરાધ્ય ભગવાન શ્રીરામની જન્મજયંતિ પર ચારે બાજુ આનંદ છે. મર્યાદા પુરુષોતમ ભગવાન શ્રીરામનાં જન્મોત્સવની રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે ઉજવણી કરવામાં આવી હતી. બપોરનાં બરાબર 12 વાગ્યે, ભગવાન શ્રીરામનાં જન્મોત્સવની ઉજવણીન આરંભ થયો હતો. ભગવાન રામનાં લલાટ પર સૂર્ય તિલક કરવામાં આવ્યું હતું. જન્મોત્સવની દિવ્ય ઉજવણીનાં સહભાગી થવા માટે દેશમાંથી જ નહીં પણ વિદેશથી પણ શ્રદ્ધાળુઓ પહોંચ્યા અયોધ્યા પહોંચ્યા છે.
આ અલૌકિક ક્ષણમાં ભગવાનના પ્રાગટ્યની આરતી કરવામાં આવી હતી. રામ મંદિરમાં મહાઆરતીની સાથે ભગવાનને સૂર્ય કિરણોથી અભિષેક પણ કરવામાં આવ્યો હતો. રામ મંદિરમાં સૂર્ય તિલકની તૈયારીઓ માટે ઇસરો અને સીબીઆરઆઈના વૈજ્ઞાનિકોની એક ટીમે અહીં કેમ્પ કર્યો હતો.
આજે ચૈત્ર મહિનાની નવમીનો દિવસ છે અને આજના દિવસે ભગવાન શ્રીરામનો પ્રાગટ્યોત્સવ ઉજવવામાં આવે છે. આજે રામનવમીની દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. ભગવાન શ્રીરામની જન્મભૂમિ અયોધ્યામાં તેનો અનેરી રોનક છે અને ભગવાન રામના જન્મોત્સવનાં સાક્ષી બનવા માટે અને તેની એક ઝલક મેળવવા માટે ઉત્સુક હજારો શ્રદ્ધાળુઓ અયોધ્યા પહોંચી રહ્યા છે.
ભગવાન શ્રીરામની જન્મભૂમિ અયોધ્યામાં રામનવમીનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અયોધ્યા નગરીને પુષ્પો અને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવી છે. શ્રીરામ જન્મભૂમિ અને રામ મંદિરના મુખ્ય દ્વારને પણ રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યા છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.