CIA ALERT

રમત જગત Archives - CIA Live

July 28, 2025
image-16.png
1min15

મૅન્ચેસ્ટર ઑલ્ડ ટ્રેફર્ડના ઇતિહાસમાં ભારતીયો ઇંગ્લૅન્ડ સામે અગાઉ ક્યારેય ટેસ્ટ (test) નહોતા જીત્યા અને ગઈ કાલે પણ ન જીતી શક્યા, પરંતુ શુભમન ગિલના નેતૃત્વમાં ટીમ ઇન્ડિયા (india)ના બૅટ્સમેનોએ જે અસરદાર લડત બતાવી અને ચોથી ટેસ્ટ ડ્રૉ કરાવી એ ભારત માટે એક રીતે વિજય જ કહેવાય, કારણકે 311 રનની સરસાઈ લીધા પછી પણ બ્રિટિશરો (England) ભારતને બાકીના દોઢ દિવસમાં હરાવી ન શક્યા. ઊલટાનું, ભારતીય ટીમે સેકન્ડ ઇનિંગ્સમાં લીડ ઊતર્યા બાદ બીજા 114 રન બનાવીને દેશની આબરૂ સાચવી હતી.

જબરદસ્ત ફાઇટિંગ સ્પિરિટવાળા રવીન્દ્ર જાડેજા (107 અણનમ, 185 બૉલ, 218 મિનિટ, એક સિક્સર, તેર ફોર) તેમ જ વૉશિંગ્ટન સુંદર (101 નૉટઆઉટ, 206 બૉલ, 298 મિનિટ, એક સિક્સર, નવ ફોર)ની જોડીએ 334 બૉલમાં 203 રનની અતૂટ ભાગીદારી કરીને બ્રિટિશરોને વિજયથી વંચિત રાખ્યા હતા.

આપણ વાંચો: માન્ચેસ્ટર ટેસ્ટ: ભારતીય ટીમ માટે રાહતના સમાચાર, રિષભ પંત બેટિંગ કરી શકશે

બન્ને ટીમના કૅપ્ટનો રમતના અંતની લગભગ એક કલાક પહેલાં ડ્રૉ માટે સહમત થયા ત્યારે ભારતનો બીજા દાવનો સ્કોર 4/425 હતો જે રન તેમણે 143 ઓવરમાં બનાવ્યા હતા.

એ પહેલાં, કૅપ્ટન શુભમન ગિલે (103 રન, 238 બૉલ, 379 મિનિટ, બાર ફોર) ડ્રૉ માટેનો પાયો નાખ્યો હતો. તેની અને કે. એલ. રાહુલ (90 રન, 230 બૉલ, 300 મિનિટ, આઠ ફોર) વચ્ચે 188 રનની બહુમૂલ્ય ભાગીદારી થઈ હતી.

યશસ્વી અને સુદર્શન ઝીરોમાં આઉટ થયા હતા, પરંતુ ત્યાર તેમના પછી બૅટિંગ કરનાર ચારમાંથી ત્રણ બૅટ્સમેને સેન્ચુરી ફટકારી. બ્રિટિશરોએ કુલ સાત બોલર અજમાવ્યા અને એમાં ક્રિસ વૉક્સ (23-4-67-2) સૌથી સફળ હતો.

ઇંગ્લૅન્ડ પાંચ મૅચની આ સિરીઝમાં 2-1થી આગળ છે. હવે 31મી જુલાઈથી ઓવલમાં છેલ્લી ટેસ્ટ રમાશે જે જીતીને ભારતીયોએ શ્રેણી ડ્રૉ કરાવવી પડશે.

July 14, 2025
image-3-1280x852.png
1min27

વર્લ્ડ નંબર ખેલાડી જેનિક સિનરે ઈતિહાસ રચી દેતાં પહેલીવાર વિમ્બલડન મેન્સ સિંગલ્સની ફાઈનલમાં વિજયી થઈ ટ્રોફી જીતી લીધી. સિનરે ગ્રાસકોર્ટ પર સતત બે વર્ષ સુધી ખિતાબ જીતનારા સ્પેનના કાર્લોસ અલ્કારાઝને  ત્રણ કલાક ચાલેલી ફાઈનલમાં 4-6, 6-4, 6-4, 6-4 થી હરાવીને ખિતાબ જીત્યો હતો. 

સિનરે તેની કારકિર્દીનો આ ચોથો ગ્રાન્ડ સ્લેમ ખિતાબ જીત્યો હતો. 148 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર કોઈ ઈટાલિયન ખેલાડી વિમ્બલડનનું ટાઈટલ જીત્યો હતો. આ સાથે સિનરે ગત મહિને ફ્રેન્ચ ઓપનની ફાઈનલમાં અલ્કારાઝ સામેની હારનો હિસાબ ચૂકતે કરી દીધો. 

પહેલીવાર આવું થયું 

બંને વચ્ચેની ફાઈનલ મેચ એટલા માટે પણ રસપ્રદ હતી કેમ કે પહેલીવાર વિમ્બલડન મેન્સ ફાઈનલમાં બે એવા ખેલાડી સામ-સામે રમી રહ્યા હતા જેમનો જન્મ 2000ની સાલ બાદ થયું હતું. ફાઇનલની શરૂઆત અલ્કારાઝે આક્રમક અંદાજમાં કરી હતી અને પ્રથમ સેટ 6-4થી જીતી લીધો હતો. જોકે પછી તે એક પણ સેટ ન જીતી શક્યો. 

July 7, 2025
image-1.png
1min43
  • બર્મિંગહામના એજબેસ્ટન મેદાનમાં ભારતની 58 વર્ષના ટેસ્ટ વિજયની આતુરતાનો અંત
  • બીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડ 608ના ટાર્ગેટ સામે ૨૭૧માં સમેટાતા ૩૩૬ રનથી હાર્યું ભારતે જીત સાથે શ્રેણીમાં 1-1થી બરોબરી મેળવી : પ્લેયર ઓફ ધ મેચ કેપ્ટન ગીલ
  • બીજી ઈનિંગમાં આકાશ દીપની છ સાથે ટેસ્ટમાં કુલ 10 વિકેટ

રોહિત-કોહલીની નિવૃત્તિ અને બુમરાહ જેવા સ્ટાર બોલરની ગેરહાજરી છતાં પ્લેયર ઓફ ધ મેચ યુવા કેપ્ટન ગીલના ૨૬૯ અને ૧૬૧ રન તેમજ બીજી ઈનિંગમાં આકાશદીપની છ વિકેટની મદદથી ભારતે બર્મિંગહામમાં રમાયેલી શ્રેણીની બીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડને ૩૩૬ રનથી કારમો પરાજય આપ્યો હતો. આ સાથે બર્મિંગહામના એજબેસ્ટનમાં ભારતના ટેસ્ટ વિજયના ૫૮ વર્ષના ઈંતજારનો આખરે અંત આવ્યો હતો અને ટીમ ઈન્ડિયાએ અહીં નવમી ટેસ્ટમાં આખરે જીતનું ખાતું ખોલાવ્યું હતુ.

ભારત બર્મિંગહામમાં ટેસ્ટ જીતનારી એશિયાની પહેલી ટીમ બની હતી. ભારતે જીતવા માટે આપેેલા ૬૦૮ રનના વિશાળ પડકારનો પીછો કરતાં ઈંગ્લેન્ડની ટીમ બીજી ઈનિંગમાં ૨૭૧ રન સમેટાઈ ગઈ હતી. આકાશ દીપે પ્રથમ ઈનિંગમાં ચાર અને બીજી ઈનિંગમાં છ એમ ટેસ્ટમાં કુલ ૧૦ વિકેટની સિદ્ધિ પણ મેળવી હતી.

કોઈ પણ ખાસ અપેક્ષાઓના ભાર વિના ઈંગ્લેન્ડ પ્રવાસે આવેલી ભારતની યુવા ટીમે સ્ટોક્સની ‘બાઝબોલ’ના વ્યુહને આંચકો આપતાં પાંચ ટેસ્ટની શ્રેણીમાં ૧-૧થી બરોબરી મેળવી લીધી છે. હવે શ્રેણીની ત્રીજી ટેસ્ટ મેચ તારીખ ૧૦મી જુલાઈ ને ગુરુવારથી લોર્ડ્ઝના મેદાન પર શરૂ થશે, જેમાં બુમરાહનું પુનરાગમન થવાનું છે.

પ્રથમ ઈનિંગમાં ૧૮૦ રનની લીડ બાદ ભારતે બીજી ઈનિંગ છ વિકેટે ૪૨૭ રને ડિકલેર કરી હતી. આ સાથે ઈંગ્લેન્ડને જીતવા માટે ૬૦૮ રનનો પડકાર મળ્યો હતો. જેની સામે ઈંગ્લેન્ડે ચોથા દિવસે જ ત્રણ વિકેટે ૭૨ રન કર્યા હતા. આજે પાંચમા અને આખરી દિવસે ભારતીય બોલરોએ વિકેટ ઝડપવાનો સિલસિલો જારી રાખ્યો હતો. વિકેટકિપર બેટસમેન જેમી સ્મિથે ૮૮ રન સાથે લડત આપી હતી. બુમરાહના સ્થાને ટીમમાં સમાવાયેલા આકાશ દીપે શાનદાર દેખાવ કરતાં છ વિકેટ ઝડપી હતી. સુંદરે ઈંગ્લેન્ડના કેપ્ટન સ્ટોક્સની નિર્ણાયક વિકેટ મેળવી હતી. સીરાજની સાથે જાડેજા-પ્રસિધ ક્રિશ્નાએ પણ એક-એક વિકેટ મેળવી હતી.

June 25, 2025
ind-vs-eng.png
1min35

શુભમન ગિલના સુકાનમાં ભારતીય ટીમનો અહીં મંગળવારે શરમજનક પરાજય થયો હતો. ઇંગ્લૅન્ડે (ENGLAND) 371 રનનો પડકારરૂપ લક્ષ્યાંક પાંચ વિકેટના ભોગે મેળવી લીધો હતો. એ સાથે, ભારતે વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC)ની નવી સીઝનમાં હાર સાથે આરંભ કર્યો છે, જ્યારે બ્રિટિશરોએ 373/5ના સ્કોર સાથે વિજય મેળવીને પાંચ મૅચની સિરીઝમાં 1-0થી સરસાઈ લીધી છે. બેન સ્ટૉક્સના સુકાનમાં ઇંગ્લૅન્ડે ઍન્ડરસન-તેન્ડુલકર ટ્રોફીની પ્રથમ મૅચ પોતાના નામે કરી લીધી.
બીજા દાવમાં બેન ડકેટ (149 રન) તેમ જ સૌથી અનુભવી બૅટ્સમૅન જૉ રૂટ (53 અણનમ), કૅપ્ટન બેન સ્ટૉક્સ (33 રન) અને વિકેટકીપર જૅમી સ્મિથ (44 અણનમ)ના સૌથી મોટા યોગદાન હતા. સ્મિથે વિનિંગ સિક્સર ફટકારી હતી.

ભારતીય ટીમમાં પહેલા દાવમાં ત્રણ અને બીજા દાવમાં બે એમ કુલ મળીને પાંચ સેન્ચુરી થઈ હોવા છતાં ભારતે પરાજય જોવો પડ્યો. ભારતની અસરહીન બોલિંગ પહેલી જ મૅચમાં ઉઘાડી પડી ગઈ. બેઉ દાવમાં ભારતે નીચલી હરોળમાં ધબડકો (પ્રથમ દાવમાં 41 રનમાં સાત વિકેટ અને બીજા દાવમાં 31 રનમાં છ વિકેટ) જોયો જે છેવટે પરાજય માટેનું મોટું કારણ બન્યો. ભારતીય (INDIA) ટીમે ઇન્ફૉર્મ લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર અર્શદીપ સિંહને અવગણીને ખાસ કરીને શાર્દુલ ઠાકુર અને મોહમ્મદ સિરાજ પર ભરોસો રાખ્યો, પણ તેઓ મૅચમાં કુલ મળીને માંડ બે-બે વિકેટ લઈ શક્યા. શાર્દુલ બૅટિંગમાં પણ કામ ન લાગ્યો. તેણે મૅચમાં કુલ પાંચ જ રન કર્યા હતા. કરુણ નાયર પણ ફ્લૉપ રહ્યો અને તેના સ્થાને નીતીશ રેડ્ડીને લીધો હોત તો તે બોલિંગમાં પણ પાર્ટ-ટાઇમ બોલર તરીકે કામ લાગ્યો હોત.

પહેલા દાવમાં યશસ્વી, જાડેજાએ કુલ ચાર કૅચ છોડ્યા હતા. બુમરાહની બોલિંગમાં કૅચ છૂટ્યા એમ છતાં તેણે પાંચ વિકેટ લીધી હતી, પણ એ પર્ફોર્મન્સ પર પણ પાણી ફરી વળ્યું. રિષભ પંતની બન્ને દાવની સેન્ચુરી એળે ગઈ. મંગળવારે પણ યશસ્વીથી એક કૅચ છૂટ્યો હતો. કૅચ છોડવાની હારમાળાએ ભારતની હારને નોતરું આપી દીધું એમ કહીએ તો પણ ખોટું નથી.

June 24, 2025
image-16.png
1min55

ભારતના વિકેટકિપર બેટ્સમેન રિષભ પંત અને ઓપનર કે.એલ. રાહુલે બીજી ઈનિંગમાં સદી ફટકારતાં ઈતિહાસ રચી દીધો હતો. આ સાથે ઈંગ્લેન્ડ સામેની પ્રથમ હેડિંગ્લે ટેસ્ટમાં ભારત તરફથી કુલ પાંચ સદી નોંધાઈ હતી. ભારતના ૯૩ વર્ષના ટેસ્ટ ઈતિહાસમાં આ પ્રથમ વખત છે કે, જ્યારે એક જ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા તરફથી પાંચ સદી નોંધાઈ હોય તેવી ઘટના બની હતી. રસપ્રદ બાબત એ છે કે, રોહિત-કોહલી જેવા ધુરંધરોની નિવૃત્તિ બાદની પ્રથમ ટેસ્ટમાં જ યુવા બેટ્સમેનોએ કૌવત બતાવતા ઐતિહાસિક સીમાચિહ્ન હાંસલ કર્યું હતુ. 

હેડિંગ્લે ટેસ્ટમાં ચોથા દિવસે ભારતની બીજી ઈનિંગમાં કે.એલ. રાહુલે ૧૩૭ રન અને રિષભ પંતે ૧૧૮ રન નોંધાવ્યા હતા. અગાઉ ભારતની પ્રથમ ઈનિંગમાં ઓપનર જયસ્વાલે ૧૦૧, કેપ્ટન શુબ્મન ગીલે ૧૪૭ અને રિષભ પંતે ૧૩૪ રન નોંધાવ્યા હતા. ભારતે આ સાથે ઈંગ્લેન્ડ સામેની પ્રથમ હેડિંગ્લે ટેસ્ટમાં ૩૫૦થી વધુની કુલ સરસાઈ મેળવી લેતા મેચ પર પકડ જમાવી હતી. પંતે બંને ઈનિંગમાં સદી ફટકારનારા ભારતના સૌપ્રથમ વિકેટકિપર બેટ્સમેન તરીકેનો રેકોર્ડ પણ સર્જ્યો હતો. જ્યારે કે.એલ. રાહુલ ઈંગ્લેન્ડની ભૂમિ પર સૌથી વધુ સદી ફટકારનારો ભારતીય ઓપનર બન્યો હતો. 

ભારતે આ સાથે હરિફ ટીમના મેદાન પરની ટેસ્ટમાં પાંચ સદી નોંધાવનારા ઓસ્ટ્રેલિયા પછીના બીજા દેશ તરીકેનો રેકોર્ડ પણ સર્જ્યો હતો. અગાઉ આવી સિદ્ધિ ૧૯૫૫માં વિન્ડિઝના જમૈકામાં રમાયેલી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોએ મેળવી હતી. જ્યારે એક જ ટેસ્ટમાં એક જ ટીમ તરફથી પાંચ સદી નોંધાઈ હોય તેવી ઘટના ૧૧ વર્ષ પછી બની હતી. છેલ્લે ૨૦૧૪માં પાકિસ્તાને ઓસ્ટ્રેલિયા સામે અબુ ધાબીમાં આવો રેકોર્ડ સર્જ્યો હતો. આ સિવાય  વર્ષ ૨૦૦૧માં પાકિસ્તાને બાંગ્લાદેશ સામે મુલતાન ટેસ્ટમાં, ૨૦૦૭માં ઈંગ્લેન્ડે વિન્ડિઝ સામે લોર્ડ્ઝમાં અને ૨૦૧૩માં શ્રીલંકાએ બાંગ્લાદેશ સામેની ગોલ ટેસ્ટમાં આવો રેકોર્ડ સર્જ્યો હતો.

June 15, 2025
image-8.png
1min71
  • સાઉથ આફ્રિકાનો 27 વર્ષ બાદ આઇસીસી ટ્રોફી જીતવાનો રેકોર્ડ
  • ઓસ્ટ્રેલિયા14મી આઇસીસી ટ્રોફીની ફાઈનલ રમતાં ચોથી વખત પરાજીત : સાઉથ આફ્રિકા છેલ્લે 1998માં ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યું હતું

સાઉથ આફ્રિકાએ ક્રિકેટના ઈતિહાસમાં મેજર અપસેટ સર્જતાં ડિફેન્ડિંગ ચમ્પિયન ઓસ્ટ્રેલિયાને ફાઇનલમાં પાંચ વિકેટથી હરાવીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ જીતી લીધી હતી. લોર્ડ્ઝમાં રમાયેલી ટેસ્ટમાં ચોથા દિવસે સાઉથ આફ્રિકાએ જીતવા માટેના ૨૮૨ના ટાર્ગેટને માર્કરામના ૧૩૬ રનની યાદગાર ઈનિંગને સહારે પાંચ વિકેટ ગુમાવીને પાર પાડયો હતો. આ સાથે સાઉથ આફ્રિકાએ પહેલીવાર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયન બનવાનો રેકોર્ડ સર્જવાની સાથે સાથે ૨૭ વર્ષ બાદ આઇસીસીની મેજર ટ્રોફી જીતવાની ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી હતી. નોંધપાત્ર છે કે, મેજર ટુર્નામેન્ટમાં ખરા સમયે જ ફસકી પડવા માટે બદનામ સાઉથ આફ્રિકા છેલ્લે ૧૯૯૮માં આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યું હતુ, જે ત્યારે નોકઆઉટ ટુર્નામેન્ટ તરીકે ઓળખાતી હતી.

ફાઈનલ જીતવા માટે હોટફેવરિ ટ મનાતી ઓસ્ટ્રેલિયાની ટીમને આઈસીસીની ૧૪મી ફાઈનલમાં માત્ર ચોથી વખત હારનો સામનો કરવો પડયો હતો અને તેઓએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયન તરીકેનો તાજ પણ ગુમાવી દીધો હતો. સાઉથ આફ્રિકાના કેપ્ટન બવુમાએ તેની કેપ્ટન્સીમાં તમામ ૧૦ ટેસ્ટમાં અજેય રહેવાની સિદ્ધિ પણ હાંસલ કરી હતી, જેમાંથી નવ ટેસ્ટ સાઉથ આફ્રિકા જીત્યું હતુ અને એક ટેસ્ટ ડ્રો રહી હતી.

લોર્ડઝમાં રમાયેલી ફાઈનલમાં સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને ઓસ્ટ્રેલિયાને બેટિંગમાં ઉતાર્યું હતુ. રબાડાએ પાંચ વિકેટ ઝડપતાં ઓસ્ટ્રેલિયા ૨૧૨માં અને કમિન્સે છ વિકેટ ઝડપતાં સાઉથ આફ્રિકા ૧૩૮માં ખખડયું હતુ. રબાડા અને એનગિડીએ અનુક્રમે ૪ અને ૩ વિકેટ મેળવતા ઓસ્ટ્રેલિયાની બીજી ઈનિંગ ૨૦૭માં સમેટાતા સાઉથ આફ્રિકાને જીતવા માટે ૨૮૨નો ટાર્ગેટ મળ્યો હતો.

જેને સાઉથ આફ્રિકાએ ૮૩.૪ ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને પાર પાડયો હતો. માર્કરામે ૧૩૬ રનની યાદગાર ઈનિંગ રમી હતી. કેપ્ટન બવુમાના ૬૬ તેમજ બેડિંગહામના અણનમ ૨૧ રન હતા.

June 14, 2025
image-6.png
1min111

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ના ત્રીજા રાઉન્ડ (2023-25)ની ફાઇનલ મેચમાં દક્ષિણ આફ્રિકા ઐતિહાસિક જીતથી માત્ર 69 રન દૂર છે. લોર્ડ્સમાં રમાઈ રહેલા આ મુકાબલામાં ઓસ્ટ્રેલિયાએ દક્ષિણ આફ્રિકાને 282 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ત્રીજા દિવસે એટલે કે 13 જૂનના રોજ દક્ષિણ આફ્રિકાએ બે વિકેટ ગુમાવીને 213 રન બનાવી લીધા છે, જેનાં કારણે તે જીતની નજીક પહોંચી હતી. જેમાં એઈડન માર્કરામ 102 રન અને કેપ્ટન ટેમ્બા બાવુમા 65 રન બનાવીને અણનમ રહ્યા હતા અને હવે ચોથા દિવસે તેમની પાસેથી જીતની આશા રાખવામાં આવી રહી છે.

હેમસ્ટ્રિંગની ઇજા છતાં બાવુમાનો જુસ્સો પ્રસંશનીય

એઇડન માર્કરામે 159 બોલમાં 11 ફોર ફટકારી છે. તેમજ ટેમ્બા બાવુમાએ 121 બોલમાં 5 ફોર ફટકારી છે. બાવુમા અને માર્કરામે અત્યાર સુધીમાં ત્રીજી વિકેટ માટે 232 બોલમાં 143 રનની ભાગીદારી કરી છે. માર્કરામે રન ચેઝ દરમિયાન સેન્ચુરી ફટકારી છે, પરંતુ હેમસ્ટ્રિંગની ઇજા છતાં બાવુમાએ જે જુસ્સો બતાવ્યો તે પ્રશંસનીય છે. બાવુમાની આ શાનદાર ઇનિંગ સામે એઇડન માર્કરામની સેન્ચુરી પણ ફિક્કી લાગે છે.

1998માં નોકઆઉટ ટ્રોફી (હવે ચેમ્પિયન્સ ટ્રોફી) જીત્યા પછી દક્ષિણ આફ્રિકાએ એક પણ વાર ICC ટાઇટલ જીત્યું નથી. જ્યારે દક્ષિણ આફ્રિકાએ છેલ્લે ICC ટાઇટલ જીત્યું હતું, ત્યારે ટીમના ક્રિકેટરો માર્કો જેન્સન અને ટ્રિસ્ટન સ્ટબ્સનો જન્મ પણ થયો ન હતો. દક્ષિણ આફ્રિકાની ટીમ છેલ્લા અમુક વર્ષોમાં સેમિફાઇનલ કે ફાઇનલમાં પહોંચી છે, પરંતુ ટ્રોફી જીતી શકી નથી.

ફાઇનલમાં, ઓસ્ટ્રેલિયન ટીમ ટોસ હારી ગઈ અને પ્રથમ બેટિંગ કરી. તેની પ્રથમ ઇનિંગમાં 212 રન બનાવ્યા. જવાબમાં, પેટ કમિન્સની 6 વિકેટે દક્ષિણ આફ્રિકાની પ્રથમ પારી માત્ર 138 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. ત્યારબાદ પ્રથમ ઇનિંગના આધારે, કાંગારૂ ટીમને 74 રનની લીડ મળી. ત્યારબાદ ઓસ્ટ્રેલિયાએ તેની બીજી પારીમાં 207 રન બનાવ્યા અને દક્ષિણ આફ્રિકા સામે 282 રનનો ટાર્ગેટ રાખ્યો.

June 10, 2025
dhoni.jpg
1min58

ભારતના પૂર્વ કેપ્ટન અને મહેન્દ્ર સિંહ ધોનીને ICCએ સન્માનિત કર્યું છે. ધોનીને ICC હોલ ઓફ ફેમ 2025 માં સામેલ કરવામાં આવ્યો છે. તે આ સન્માન મેળવનારો 11મો ભારતીય ક્રિકેટર છે. નોંધનીય છે કે, 2004 માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યા પછી, ધોનીએ 2007 માં T20 વર્લ્ડ કપમાં ભારતનું નેતૃત્વ કર્યું અને ટીમને વિજય અપાવ્યો. તેણે 2011 માં ODI વર્લ્ડ કપ અને 2013 માં ચેમ્પિયન્સ ટ્રોફી જીતી. ધોનીની કેપ્ટનશીપ હેઠળ, ભારતીય ટીમ 2009 માં પહેલીવાર ICC ટેસ્ટ રેન્કિંગમાં ટોચના સ્થાને પહોંચી હતી. તેણે 2020માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી.

ICC એ આ અંગે જણાવ્યું હતું કે, ‘દબાણમાં શાંત સ્વભાવ અને અજોડ વ્યૂહાત્મક કુશળતા તેમજ ટૂંકા ફોર્મેટમાં અગ્રણી ખેલાડી તરીકે જાણીતા, મહાન ફિનિશર, લીડર અને વિકેટકીપર તરીકે મહેન્દ્ર સિંહ ધોનીના વારસાને ICC ક્રિકેટ હોલ ઓફ ફેમમાં સામેલ કરીને સન્માનિત કરવામાં આવ્યો છે.’

ધોનીએ આ અંગે કહ્યું કે, ‘ICC હોલ ઓફ ફેમમાં નામ મેળવવું એ એક સન્માનની વાત છે, જે વિવિધ પેઢીઓ અને વિશ્વભરના ક્રિકેટરોના યોગદાનને માન્યતા આપે છે. આવા સર્વકાલીન મહાન ખેલાડીઓ સાથે તમારું નામ હોવું એ એક અદ્ભુત અનુભૂતિ છે. આ એવી વસ્તુ છે જે હું હંમેશા યાદ રાખીશ.’

ICC હોલ ઓફ ફેમમાં સામેલ ભારતીય ક્રિકેટરોની યાદી

સુનીલ ગાવસ્કર

બિશેન સિંહ બેદી

કપિલ દેવ

અનિલ કુંબલે

રાહુલ દ્રવિડ

સચિન તેંડુલકર

વીનુ માંકડ

ડાયના એડુલજી

વીરેન્દ્ર સેહવાગ

નીતુ ડેવિડ

એમએસ ધોની

ICC એ હોલ ઓફ ફેમ 2025 માં પાંચ પુરુષ અને બે મહિલાઓ સહિત સાત ક્રિકેટરોનો સમાવેશ કર્યો છે. ધોની ઉપરાંત, ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઓપનર મેથ્યુ હેડન, દક્ષિણ આફ્રિકાના પૂર્વ બેટર હાશિમ અમલા અને પૂર્વ કેપ્ટન ગ્રીમ સ્મિથ, ન્યૂઝીલેન્ડના પૂર્વ કેપ્ટન ડેનિયલ વેટોરીને પણ સન્માનિત કરવામાં આવ્યા. આ ઉપરાંત પાકિસ્તાન મહિલા ક્રિકેટ ટીમની પૂર્વ કેપ્ટન સના મીર અને ન્યૂઝીલેન્ડની પૂર્વ ક્રિકેટર સારાહ ટેલરને પણ સામેલ કરવામાં આવ્યા છે.

June 4, 2025
rcb.jpg
3min71

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)એ IPL 2025માં ઇતિહાસ રચી દીધો છે. RCBની ટીમ ફાઇનલ મેચમાં પંજાબ કિંગ્સને 6 રનથી હરાવી IPL 2025ની ચેમ્પિયન બની ગઇ છે. ઈન્ડિયન પ્રીમિયર લીગની 18મી સિઝનની ફાઈનલ મેચ આજે અમદાવાદ ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી. જેમાં પંજાબ કિંગ્સે ટોસ જીતીને રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂને બેટિંગ આપી હતી. મેચમાં RCBએ પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 190 રન બનાવ્યા હતા. આ મેચમાં RCBની શરૂઆત સારી નહોતી. જો કે, જ્યારે પંજાબ 190 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરી તો RCBના બોલર્સે શાનદાર પ્રદર્શન કરીને પંજાબને 20 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર માત્ર 184 રન જ બનાવી શકી હતી. આ શાનદાર જીત સાથે RCB IPLના 17 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત ચેમ્પિયન બની ગઇ છે.

આઈપીએલની ફાઈનલમાં જીત થતાંની સાથે જ બેંગલુરૂ ટીમનો ખેલાડી વિરાટ કોહલી રડી પડ્યો હતો. આઈપીએલના 17 વર્ષના ઇતિહાસમાં પહેલી વખત બેંગલુરૂ ચેમ્પિયન બન્યું છે. વિરાટ કોહલીએ જીત બાદ કહ્યું કે, ડિવિલિયર્સને રિટાયર થયાને ભલે ચાર વર્ષ થયા પણ મેં કહ્યું હતું કે, આ ટીમ હજુ પણ તારી એટલી જ છે જેટલી અમારી છે. આજે અમારી સાથે ટ્રોફી ઉંચકવામાં તે પણ પૂરેપૂરો હકદાર છે. મારું દિલ બેંગલુરૂની સાથે છે. મારી આત્મા બેંગલુરૂની સાથે છે અને આ તે ટીમ છે જેના માટે હું પોતાની છેલ્લી આઈપીએલ મેચ સુધી રમીશ. એક ખેલાડી તરીકે તમે મોટી જીતનું સપનું જુઓ છો અને તે સપનું પૂર્ણ ન થઈ શકે. આજે હું એક બાળકની જેમ ઊંઘવા જઈ રહ્યો છું.

કૃણાલ પંડ્યા 2017 અને 2025 એમ બે IPLની ફાઇનલમાં પ્લેયર ઑફ ધ મેચ અવોર્ડ જીતનારો એકમાત્ર ખેલાડી બન્યો

IPL 2025માં પ્લેયર ઓફ ધ મેચ બનેલા કૃણાલ પંડ્યાએ કહ્યું કે, ‘પરિસ્થિતિ જોઇને શીખવું એ મારી સૌથી મોટી તાકાત એ છે, મેં હંમેશા મારી અંતરાત્મા અને સહજતાને ટેકો આપ્યો છે. જ્યારે હું આરસીબીમાં જોડાયો ત્યારે મેં કહ્યું કે મને ટ્રોફી જીતવાનું ખૂબ ગમે છે. મને ખુશી છે કે મેં જે કહ્યું હતું તે હકીકતમાં કરી શક્યો. ખૂબ સારું રહ્યું – 10 વર્ષ, 4 IPL ટ્રોફી. મેં હાર્દિકને પણ ફોન પર કહ્યું હતું કે, પંડ્યા પરિવારમાં 10 વર્ષમાં 9 IPL ટ્રોફી હશે.’

પ્રિયાંશ આર્યની કમાલ, ડેબ્યૂ IPL સિઝનમાં સૌથી વધુ રન બનાવનારો અનકેપ્ડ ભારતીય બેટર બન્યો

IPL 2025ની ફાઇનલ મેચમાં પંજાબ કિંગ્સના બેટર પ્રિયાંશ આર્યએ 19 બોલમાં 24 રન બનાવ્યા હતા. આ સાથે જ પ્રિયાંશ આર્યએ એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. પ્રિયાંશ આર્ય IPL 2025માં 475 રન બનાવીને ડેબ્યૂ IPL સિઝનમાં સૌથી વધુ રન બનાવનારો અનકેપ્ડ ભારતીય બેટર બની ગયો છે. અગાઉ આ રેકોર્ડ દેવદત્ત પડીકલના નામે હતો. પડીકલે IPL 2020માં 473 રન બનાવીને આ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.

IPLની સિંગલ સીઝનમાં સૌથી વધુ છગ્ગા ફટકારનારો કેપ્ટન બન્યો શ્રેયસ અય્યર

IPL 2025ની ફાઇનલમાં પંજાબ કિંગ્સનો કેપ્ટન શ્રેયસ અય્યર 2 બોલમાં 1 રન બનાવીને આઉટ થઇ ગયો હતો. જો કે, ફાઇનલમાં ખરાબ પ્રદર્શન કર્યો હોવા છતા આ સિઝનમાં શ્રેયસ અય્યરના નામે એક મોટો રેકોર્ડ સર્જાયો છે. શ્રેયસ અય્યર આઇપીએલના એક સીઝનમાં સૌથી વધુ છગ્ગા ફટકારનારો કેપ્ટન બની ગયો છે. શ્રેયસે આઇપીએલ 2025માં કુલ 39 છગ્ગા ફટકાર્યા છે. અગાઉ આ રેકોર્ડ વિરાટ કોહલીના નામે હતો. તેણે વર્ષ 2016માં કેપ્ટન તરીકે એક સીઝનમાં RCB માટે 38 છગ્ગા ફટકાર્યા હતા.

પંજાબ કિંગ્સની ઈનિંગ (184 રન / 7 વિકેટ – 20 ઓવર)

1) પ્રિયાંશ આર્ય (24 રન – 19 બોલ)
2) પ્રભસીમરન સિંહ (26 રન – 22 બોલ)
3) શ્રેયસ અય્યર (1 રન – 2 બોલ)
4) જોશ ઈંગ્લિસ (39 રન – 23 બોલ)
5) નેહલ વઢેરા (15 રન – 18 બોલ)
6) માર્કસ સ્ટોઈનિસ (6 રન – 2 બોલ)
7) અઝમતુલ્લાહ ઓમરઝઈ (1 રન – 2 બોલ)

રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂની ઈનિંગ (190 રન / 9 વિકેટ – 20 ઓવર)

પંજાબના બોલર્સ સામે RCBના બેટર્સ લાચાર નજરે પડ્યા છે. બેંગલુરૂની ટીમે 9 વિકેટ ગુમાવીને પંજાબને 191 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

1) ફિલ સોલ્ટ (16 રન – 9 બોલ)
2) મયંક અગ્રવાલ (24 રન – 18 બોલ)
3) રજત પાટીદાર (26 રન – 16 બોલ)
4) વિરાટ કોહલી (43 રન – 35 બોલ)
5) લિયામ લિવિંગસ્ટન (25 રન – 15 બોલ)
6) જિતેશ શર્મા (24 રન – 10 બોલ)
7) રૂમારિયો શેફર્ડ (17 રન – 8 બોલ)
8) કૃણાલ પંડ્યા (4 રન – 5 બોલ)
9) ભુવનેશ્વર કુમાર (1 રન -2 બોલ)

પંજાબે ટોસ જીતીને બેંગલુરુને આપી હતી બેટિંગ

બેંગલુરૂ વિરૂદ્ધ ફાઈનલમાં પંજાબના કેપ્ટન શ્રેયસ અય્યરે ટોસ જીતીને પહેલા બોલિંગનો નિર્ણય લીધો હતો. બંને ટીમોએ પ્લેઇંગ 11માં કોઈ ફેરફાર કર્યો ન હતો.

બંને ટીમોની પ્લેઇંગ 11

રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂઃ ફિલ સોલ્ટ, વિરાટ કોહલી, મયંક અગ્રવાલ, રજત પાટીદાર (કેપ્ટન), લિયામ લિવિંગસ્ટોન, જીતેશ શર્મા (વિકેટકીપર), રૂમારિયો શેફર્ડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, યશ દયાલ, જોશ હેઝલવુડ.

પંજાબ કિંગ્સ: પ્રિયાંશ આર્ય, જોશ ઈંગ્લિસ (વિકેટકીપર), શ્રેયસ ઐયર (કેપ્ટન), નેહલ વઢેરા, શશાંક સિંહ, માર્કસ સ્ટોઈનિસ, અઝમતુલ્લાહ ઓમરઝઈ, કાઈલ જેમિસન, વિજય કુમાર વિશાક, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ.

ક્લોઝિંગ સેરેમનીમાં શંકર મહાદેવન સ્ટેજ પર

IPL 2025ના ક્લોઝિંગ સેરેમનીમાં પ્રખ્યાત ગાયક શંકર મહાદેવને પરફોર્મ કર્યું. શંકર મહાદેવન સાથે તેમના પુત્રો શિવમ અને સિદ્ધાર્થ મહાદેવન પણ હાજર રહ્યા હતા. સ્ટેડિયમ ભારત માતા કી જયના નારાથી ગુંજી ઉઠ્યું હતું. સ્ટેડિયમમાં ‘જો લક્ષ્ય હૈ તેરા, લક્ષ્ય કો હર હાલ મેં પાના હૈ’, ‘સબસે આગે હોંગે હિન્દુસ્તાની’, ‘વંદે માતરમ્’, ‘કંધો સે મિલતે હે કંધે કદમો સે કદમ મિલતે હે’ જેવા રાષ્ટ્રભક્તિના ગીતો ગાઈને માહોલ બનાવી દીધો છે. આખું અમદાવાદ સ્ટેડિયમ દેશભક્તિમાં ડૂબેલું લાગે છે. ‘જય હો’ ગીત સાથે ક્રૂએ ભારતીય સેનાને સન્માન આપ્યું.

સુનકે આરસીબી પ્રત્યે દર્શાવ્યો પ્રેમ

સુનકે કહ્યું કે, મારા લગ્ન બેંગલુરૂ પરિવારમાં થયા છે.જેથી આરસીબી મારી ટીમ છે. મેં કન્નડ ભાષામાં મારી પત્ની સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. મારા સાસુ-સસરાએ મારા લગ્ન બાદ મને આરસીબીની જર્સી ગિફ્ટ કરી હતી.

આઈપીએલમાં બેંગલુરૂ અને પંજાબ વચ્ચે અત્યારસુધી 36 મેચ રમાઈ છે. જેમાં બંને ટીમ 18-18 વખત વિજયી રહી છે. પંજાબ કિંગ્સ સામે આરસીબીનો સર્વોચ્ચ સ્કોર 241 રનનો રહ્યો છે. જે તેણે ગતવર્ષે બનાવ્યો હતો. બીજી બાજુ બેંગલુરૂ સામેની મેચમાં પંજાબ ટીમનો સર્વોચ્ચ સ્કોર 232 રન રહ્યો છે. જે 2011માં બનાવ્યો હતો.

છેલ્લા પાંચ મુકાબલાની વાત કરીએ તો આરસીબી સંપૂર્ણ રીતે પંજાબ કિંગ્સ પર હાવી બની શકે છે. છેલ્લી પાંચ મેચમાંથી ચાર વખત આરસીબી જીતી છે. તેણે ત્રણ મેચમાંથી બે વખત પંજાબને હરાવી છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર અત્યાર સુધી બેંગલુરૂ અને પંજાબ કિંગ્સ એક વખત જ આમને-સામને આવી છે. 2021માં આ સ્ટેડિયમમાં બંને વચ્ચે રમાયેલી મેચમાં પંજાબ ચાર વિકેટથી વિજયી રહી છે. જો કે, 2025ની આઈપીએલમાં પંજાબની હાર થઈ છે.

June 2, 2025
IPL-25-Final.png
1min89

ક્રિકેટનો મહાકુંભ કહેવાતી ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025ની ફાઈનલ આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. પંજાબ અને બેંગલૂરુ વચ્ચે સાંજે 7.30 કલાકથી મુકાબલો શરૂ થશે. આઈપીએલ ફાઈનલમાં પણ વરસાદનું વિધ્ન નડી શકે છે. અમદાવાદમાં રમાયેલી ક્વોલિફાયર-2માં પણ વરસાદ પડ્યો હતો અને મેચ વિલંબથી શરૂ થઈ હતી. આ સ્થિતિમાં જો આઈપીએલ 2025 ફાઈનલમાં વરસાદ પડે કે કોઈ અન્ય કારણોસર મુકાબલો ન રમાય તો ચેમ્પિયનનો નિર્ણય કેવી રીતે થશે તે જાણવું જરૂરી છે.

જો વરસાદ કે અન્ય કારણોસર 3 જૂને 5-5 ઓવરની રમત શક્ય ન બને તો મેચ રિઝર્વ ડે (4 જૂને) રમાશે. પરિણામ એક જ દિવસે આવે તે માટે બીસીસીઆઈએ વધારાનો 120 મિનિટનો સમય રાખ્યો છે. તેમ છતાં રિઝલ્ટ ન આવે તો મેચ રિઝર્વ ડે પર રમાશે. રિઝર્વ ડે પર મેચ જ્યાં અટકી હતી ત્યાંથી જ શરૂ થશે. વરસાદ રિઝર્વ ડેના દિવસે પણ આવે અને 5-5 ઓવરની રમત શક્ય ન બને તો ઈન્ડિયન પ્રીમિયર લીગના વિજેતાનો નિર્ણય સુપર ઓવરથી થઈ શકે છે.

જો સુપર ઓવર પણ ન થાય તો પોઈન્ટ ટેબલના આધારે વિજેતાનો નિર્ણય થશે. વર્તમાન સિઝનમાં પંજાબ કિંગ્સ પોઈન્ટ ટેબલમાં ટોચના સ્થાન પર છે. જ્યારે આરસીબી બીજા ક્રમે છે. આ સ્થિતિમાં પંજાબ કિંગ્સને વિજેતા જાહેર કરવામાં આવી શકે છે.

રવિવારે (1 જૂન, 2025) ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025ના ક્વોલિફાયર-2 મુકાબલામાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને 5 વિકેટથી હરાવ્યું હતું. પંજાબ કિંગ્સે 11 વર્ષ પછી IPL ની ફાઇનલમાં જગ્યા બનાવી છે. હવે 3 જૂને પંજાબ અને બેંગ્લોર વચ્ચે ફાઇનલ રમાશે.

રવિવારની મેચમાં પંજાબે ટોસી જીતીને મુંબઈને પહેલા બેટિંગ આપી હતી. જેમાં મુંબઇએ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 203 રન બનાવ્યા હતા. જેના જવાબમાં પંજાબે 19 ઓવરમાં 204 રનના લક્ષ્યાંકનો પીછો કર્યો હતો. કેપ્ટન શ્રેયસે છગ્ગો ફટકારીને ટીમને વિજય અપાવ્યો હતો. તેણે 41 બોલમાં 87 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ ઇનિંગમાં 5 ચોગ્ગા અને 8 છગ્ગાનો સમાવેશ થાય છે.