ગુજરાતમાં હવે આગામી દિવસોમાં મહિલાઓની છેડતી કરનારાં, વ્યાજખોરો, જુગારીયાં અને સાયબર આરોપીઓ સામે પાસ હેઠળ કાર્યવાહી કરીને જેલના સળીયા પાછળ ધકેલી દેવામાં આવશે.
રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ગુજરાતની શાંત, સલામત અને સુરક્ષિત રાજ્યની આગવી ઓળખને વધુ સુદ્રઢતાથી આગળ ધપાવવાની નેમ સાથે પાસા’ કાયદામાં મહત્વપૂર્ણ સુધારાઓ કરવાનો નિર્ણય કર્યો છે. મુખ્ય પ્રધાને પાસા કાયદાનો વ્યાપ વધુ વિસ્તારીને હવે સાયબર ક્રાઇમ આચરનારા, નાણાં ધીરધાર સામે ગેરકાયદે વ્યાજના હપ્તા વસૂલવા સહિત શારીરિક હિંસા તેમજ ધમકી આપવી, જાતિય ગુનાઓ-જાતિય સતામણી જેવી અસાસાજિક પ્રવૃત્તિઓને પણ આવરી લઇ આવા ગુનેગારોને કડક સજા માટે પાસા એકટમાં સુધારાઓ કરવાનું શસ્ત્ર અપનાવવા નો નિર્ધાર કર્યો છે.
રૂપાણી પ્રવર્તમાન સાયબર ટેકનોલોજીને લગતા ગૂનાઓ સહિત જાતિય સતામણી જેવા ગુનાઓના વધતા પ્રમાણને કડક હાથે ડામી દેવા પાસા’ એકટમાં સુધારાના વટહુકમની દરખાસ્ત રાજ્ય પ્રધાન મંડળની આગામી બેઠકમાં લાવવાના છે. અત્યારે ગુજરાત રાજ્યમાં અસામાજિક તત્વોની પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા ૧૯૮પથી ગુજરાત અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવા બાબત અધિનિયમ (પાસા) ૧૯૮પ અમલી છે.
આ અધિનિયમ અંતર્ગત પાસાના કાયદામાં જે જોગવાઇઓ છે તે મુજબ આઈપીસી તથા આર્મ્સ એકટ હેઠળના ગુનાઓ આચરનારી વ્યકિત, ભયજનક હોય તેવી વ્યકિત, ખાનગી અને સરકારી મિલકત પચાવી પાડે તેવા પ્રોપર્ટી ગ્રેબર વ્યકિત તેમજ કેફી દ્રવ્યોની હેરાફેરીમાં સંડોવાયેલા તેવા ડ્રગ ઓફન્ડર્સ, જુગારનો અડ્ડો ચલાવનારા, દેહવિક્રય જેવા અનૈતિક વેપાર સાથે જોડાયેલ ગૂનેગાર વ્યકિતઓ, ગૌવંશની હત્યા અને ગૌ માસની હેરાફેરી કે વેચાણ કરનારા લોકો તથા દારૂનો ગેરકાયદે ધંધો કરનારા બૂટલેગર વ્યકિતઓ વિરૂદ્ધ પાસા કાયદાની જોગવાઇનો ઉપયોગ કરી અટકાયત કરી શકાય છે..
હવે, આધુનિક બદલાતી ટેકનોલોજીમાં વિશ્વ સાથે ગૂનાખોરીની પ્રવૃત્તિઓમાં પણ ટેકનોલોજી આધારિત ગૂનાઓ-સાયબર ક્રાઇમનું પ્રમાણ વધ્યું છે તેમજ જાતિય સતામણીના ગૂનાઓ પણ વધ્યા છે ત્યારે આ ગૂનાઓ સહિતના ગૂનાઓ ડામવામાં પાસા’ કાયદાની જોગવાઇઓમાં આ સુધારો શસ્ત્ર બનશે. રાજ્યમાં જાતીય ગુનાઓનું પ્રમાણ ઘટે અને મહિલાઓને વધુ સુરક્ષીત કરી શકાય તે આશયથી પાસાના કાયદામાં જે જોગવાઇઓ હતી તેને વધુ વિસ્તારવામાં આવી છે.
ભારતીય ફોજદારી અધિનિયમ ૧૮૬૦ની વિવિધ કલમો તેમજ પોક્સોના કાયદા હેઠળના શિક્ષાપાત્ર ગુનો કરે, કે એવો પ્રયાસ કરે, કે તેમાં મદદગારી કરે તેવી વ્યક્તિઓનો હવે પાસા કાયદાની સજા પાત્ર વ્યકિતમાં અલગથી સમાવેશ કરવામાં આવ્યો છે. આ અધિનિયમમાં સુધારો થવાથી જુગારની પ્રવૃતિ આચરનાર, સાયબર ગુનેગારો, વ્યાજખોરી તથા જાતીય સતામણીના ગુના જેવા ગુનેગારો સામે પાસાની કાર્યવાહી થઇ શકશે.