કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)ના 7 કરોડ મેમ્બર્સ માટે સારા સમાચાર છે. શ્રમ સચિવ સુમિતા ડાવરાએ કરેલી જાહેરાત મુજબ, શ્રમ તથા રોજગાર મંત્રાલય વર્તમાનમાં ભારતના કાર્યબળને શ્રેષ્ઠ સેવા આપવા માટે આઈટી સિસ્ટમને શાનદાર બનાવવાની પ્રક્રિયામાં છે. ઈપીએફઓ મેમ્બર્સને 2025માં કેટલીક શાનદાર સુવિધા મળી શકે છે. તેઓ એટીએમ દ્વારા પૈસા ઉપાડી શકશે.
શ્રમ તથા રોજગાર મંત્રાલયના સચિવ સુમિત્રા ડાવરાએ કહ્યું, અમે પીએફની આઈટી સિસ્ટમને સુધારી રહ્યા છીએ. આ પહેલા પણ અમે અનેક સુધારા કર્યા હતા. જેનાથી ક્લેમમાં તેજી આવી છે અને સેલ્ફ ક્લેમમાં વધારો થયો છે. પીએફમાંથી બિનજરૂરી પ્રક્રિયાઓને હટાવી દેવામાં આવી છે. અમારી મહત્ત્વકાંક્ષા અમારા ઈપીએફઓના આઈટી ઈન્ફ્રાસ્ટ્રક્ચરને અમારા બેંકિંગ સિસ્ટમને સમાન સ્તર પર લાવવાની છે. જાન્યુઆરી 2025માં તમને મોટા સુધારા જોવા મળશે. જ્યારે અમારી પાસે ઈપીએફઓમાં આઈટી 2.1 એડિશન હશે ત્યારે દાવેદાર, લાભાર્થી સીધા એટીએમના માધ્યમથી દાવો કરી શકશે. સિસ્ટમ વધુ એડવાન્સ થવાથી તમે કેટલાક અન્ય સુધારા જોઈ શકશો.
જાણકારી મુજબ, ઈપીએફઓ પીએફના પૈસા ઉપાડવા માટે એક નવું કાર્ડ જાહેર કરશે. જેનાથી એટીએમના માધ્યમથી સરળતાથી પૈસા ઉપાડી શકાશે. જોકે કુલ જમા રકમના 50 ટકા રૂપિયા જ ઉપાડી શકાશે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનના સક્રિય સબ્સ્ક્રાઈબર્સની સંખ્યા 7 કરોડથી વધારે છે.
નોકરી દરમિયાન તમે પીએફ ફંડ આંશિક કે પૂર્ણ રીતે ઉપાડવાની મંજૂરી નથી. જો તમે ઓછામાં ઓછા એક મહિનાથી બેકાર હો તો તમે પીએફ બેલેન્સના 75 ટકા સુધીની રકમ ઉપાડી શકો છો. બે મહિનાની બેરોજગારી બાદ તમે પૂરી રકમ ઉપાડી શકો છો.
એફબીઆઇએ આપેલા રિપોર્ટના આધારે સમગ્ર દેશમાં સીબીઆઇની દરોડાની કાર્યવાહી કરવામાં આવી
૩૦ વધુ શંકાસ્પદ યુવકોની અટકાયત કરીને કોમ્પ્યુટર , લેપટોપ, મોબાઇલ ફોન, ડાયરી સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો
અમેરિકાના નાગરિકોને ભારતમાંથી કોલ કરીને છેતરપિંડી કરવાના મામલે ફેડરેશન બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન (એફબીઆઇ) દ્વારા રિપોર્ટ આપવામાં આવ્યો હતો. જે અનુંસધાનમાં સીબીઆઇએ દેશમાં એક સાથે 350 જેટલા સ્થળો પર દરોડાની કાર્યવાહી કરી હતી. જે અનુસંધાનમાં અમદાવાદમાં 20 જેટલા કોલ સેન્ટર દરોડા પાડીને 30 જેટલા વ્યક્તિઓની અટકાયત કરીને પુછપરછ શરૂ કરવામાં આવી છે.
સીબીઆઈના દેશભરમાં દરોડા
દેશના હૈદરાબાદ, મુંબઇ, કોલકત્તા, દિલ્હી, બેંગાલુરૂ અને અમદાવાદ સહિતના શહેરોમાં ચાલતા કોલ સેન્ટરથી અમેરિકામાં કોલ કરીને નાગરિકો પાસેથી મોટા પ્રમાણમાં છેતરપિંડી કરવામાં આવતી હોવાના કિસ્સા અંગે એફબીઆઇએ ભારત સરકારને રિપોર્ટ સોંપ્યો હતો. જેમાં એફબીઆઇએ ટેકનીકલ એનાલીસીસના આધારે કેટલાંક લોકેશન અને વિગતો આપી ગતી. જેના આધારે સીબીઆઇની ટીમ દ્વારા છેલ્લાં એક મહિના દરમિયાન ટેકનોલોજીના ઉપયોગથી સમગ્ર દેશમાં 350 જેટલા ગેરકાયદેસર કોલ સેન્ટરના લોકેશન મેળવ્યા હતા.
અમદાવાદમાં શંકાસ્પદ 30 વ્યક્તિની અટકાયત
અમદાવાદમાં 20થી વધુ કોલ સેન્ટર સક્રિય હોવાની બાતમીને આધારે વસ્ત્રાલ, ઓઢવ પાસેના રીંગ રોડ, થલતેજ, ગોતા, બોપલ સહિતના વિસ્તારોમાં દરોડાની કાર્યવાહી કરી હતી. જેમાં 30 વધુ શંકાસ્પદ યુવકોની અટકાયત કરીને કોમ્પ્યુટર , લેપટોપ, મોબાઇલ ફોન, ડાયરી સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જે અંગે તપાસ કરવા માટે સીબીઆઇના ગુજરાત એકમની વિશેષ ટીમને સક્રિય કરવામાં આવી છે.
ભારતના UPI માર્કેટમાં phonepeએ પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે. તાજેતરમાં જ નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)એ જાહેર કરેલા આંકડાઓ અનુસાર, Phonepeએ ઓગસ્ટમાં ભારતમાં UPI માર્કેટનો અડધા કરતાં પણ વધુનો હિસ્સો કબજે કર્યો છે. PhonePe એ Walmartની માલિકીની અમેરિકન કંપની છે, જે ભારતમાં Google Pay અને Paytmને ટક્કર આપીને સ્પર્ધા કરી રહી છે. Google Pay પણ અમેરિકન માલિકીની કંપની છે, જ્યારે Paytm ભારતીય કંપની છે. જોકે, RBIએ લાદેલા પ્રતિબંધ બાદ Paytmનું UPI માર્કેટ ઘણું ઘટી ગયું છે.
NPCIએ ઓગષ્ટમાં જાહેર કરેલા આંકડાઓ જોવામાં આવે તો, ઓગસ્ટમાં ભારતના UPI માર્કેટમાં રૂ. 20,60,735.57 કરોડના વ્યવહારો થયા હતા. આ લગભગ 14.96 અબજના વ્યવહારો થયા છે. તેમાંથી 10,33,264.34 કરોડ રૂપિયાના વ્યવહારો એકલા PhonePe દ્વારા થયા છે. તેની સંખ્યા 7.23 અબજથી વધુ છે. જો થયેલા કુલ વ્યવહારોના આંક પર નજર કરીએ, તો PhonePeનો બજાર હિસ્સો 48.36 ટકા છે, જ્યારે UPI પેમેન્ટની કિંમતની દ્રષ્ટિએ બજાર ભાગીદારી 50.14 ટકા જેટલી છે.
PhonePe – 48.39 ટકા Google Pay – 37.3 ટકા paytm – 7.21 ટકા
ઓગસ્ટમાં મહિનામાં Google Payએ રૂ. 7,42,223.07 કરોડના રૂપિયાની કિંમતના 5.59 અબજ UPI પેમેન્ટ કર્યા હતા, જ્યારે Paytm એ રૂ. 1,13,672.16 કરોડના વ્યવહારો કર્યા હતા. આ સમયગાળા દરમિયાન Google Payનો બજાર હિસ્સો લગભગ 37.3 ટકા રહ્યો છે, જ્યારે Paytmનો બજાર હિસ્સો 7.21 ટકા રહ્યો છે. NPCIના જુલાઈના ડેટા અનુસાર PhonePeનો માર્કેટ શેર લગભગ 48 ટકા છે. Google Payનો બજારહિસ્સો 37 ટકા હતો અને Paytmનો બજાર હિસ્સો 7.82 ટકા હતો.
તાજેતરમાં ગુજરાત પોલીસે સાયબર ક્રાઈમનો ભોગ બનેલા હજારો મધ્યમવર્ગીય લોકોની પીડાને ઘટાડવા માટે એક મોટો પ્રયાસ કર્યો છે. સાયબર ક્રાઇમની તપાસમાં પીડિતોના સહયોગને કારણે અગાઉ લોક થઇ ગયેલા 28,000 બેંક ખાતાઓ હવે અનફ્રીઝ કરવામાં આવ્યા છે. બેંકખાતાઓ અનફ્રીઝ થવાથી પીડિતોને મોટી રાહત મળી છે.
આ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિગતો આપી હતી. ગુજરાત પોલીસ દ્વારા સાયબર ક્રાઇમની અસરકારક તપાસના પરિણામે 28 હજાર જેટલા બેંક ખાતાઓ અનફ્રીઝ કરવામાં આવ્યા છે. 2024માં રિફંડ કરાયેલી રકમની ટકાવારી 46.42% છે, જે 2023માં માત્ર 17.93% હતી. 30 જૂન, 2024 સુધી હોલ્ડ પર રાખવામાં આવેલી કુલ રકમ ₹114.90 કરોડ છે અને 2024 માટે રિફંડ કરાયેલી રકમ ₹53.34 કરોડ છે.
પોલીસે એકાઉન્ટ ફ્રીઝ કરવા અંગેની તેમની પોલિસીમાં પણ સુધારો કર્યો છે. નવી પોલિસી અસરકારક રીતે ગુના નિવારણ અને નિર્દોષ પક્ષો પર નાણાકીય બોજ ઘટાડવા વચ્ચે સંતુલન જાળવવા માટેનું એક મહત્વપૂર્ણ પ્રથમ પગલું છે, જે કુલ રકમને બદલે ખાતાના એ ભાગને ફ્રીઝ કરે છે જે છેતરપિંડીથી અસરગ્રસ્ત હોય. તેઓ હવે આખા અકાઉન્ટને બદલે માત્ર છેતરપિંડી સાથે સંકળાયેલી ચોક્કસ રકમને જ ફ્રીઝ કરશે. આ ફેરફારનો હેતુ મધ્યમ-વર્ગની વ્યક્તિઓ પરના નાણાકીય તણાવને ઘટાડવાનો છે, જેઓ આખું બેંક અકાઉન્ટ લોક થઈ જવાના કારણે મોટી મુશ્કેલીનો સામનો કરે છે.
ઓથોરિટીએ વિનંતી કરી છે કે જેમને પણ એવું લાગતું હોય કે તેમના બેંક ખાતાઓ ભૂલથી ફ્રીઝ કરવામાં આવ્યા છે તેઓ સાયબર ક્રાઈમમાં તેમની બિન-સંડોવણી દર્શાવતા પુરાવા સાથે આગળ આવે. એક પછી એક કેસના આધારે આ ખાતાઓની સમીક્ષા કરવામાં આવશે અને ત્યારબાદ આવા ખાતાઓને શક્યતઃ અનફ્રીઝ કરવામાં આવશે. ખાતા ફ્રીઝ કરવા અંગેના અભિગમમાં સુધારો કરીને તેમજ પીડિતોને આગળ આવવા માટે પ્રોત્સાહિત કરીને, ઓથોરિટી અસરગ્રસ્ત વ્યક્તિઓ પર તાત્કાલિક નાણાકીય અસર અને સાયબર ક્રાઈમના વ્યાપક મુદ્દા બંને પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.
દુનિયાભરની એરલાઇન્સને લગતા સર્વરમાં મોટી ખામીના અહેવાલ સામે આવ્યા હતા. માહિતી અનુસાર ટેક્નિકલ ખામીને કારણે વિમાનોના સંચાલનમાં તકલીફ ઊભી થઈ છે. અનેક કંપનીઓના વિમાનો ઉડાન ભરી શકી રહ્યા નથી.
માઈક્રોસોફ્ટના સર્વર ડાઉનને કારણે સૌથી વધુ અસર અમેરિકામાં થઈ છે, અત્યાર સુધીમાં 200થી વધુ ફ્લાઈટ્સ કેન્સલ કરવામાં આવી છે. આ ઉપરાંત વિશ્વના સૌથી વ્યસ્ત એરપોર્ટ પૈકીના એક સિંગાપોરના ચાંગી એરપોર્ટ પર ચેક-ઈન પ્રક્રિયા મેન્યુઅલી શરૂ કરવામાં આવી રહી છે. હાલ 74 ટકા યુઝર્સને માઇક્રોસોફ્ટના સ્ટોરમાં લોગિન કરવામાં મુશ્કેલી પડી રહી છે. તો 26 ટકા યુઝર્સને માઇક્રોસોફ્ટ એપમાં સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.
કયા કયા દેશોમાં કેવી કેવી ખામીઓ સર્જાઈ ?
માઈક્રોસોફ્ટ આઉટેજને કારણે અનેક દેશોની એરલાઈન્સ સેવા ખોરવાઈ ગઈ છે. જેમાં સ્પેનિશ હવાઈ સેવાઓને પણ અસર થઈ છે. તો ઓસ્ટ્રેલિયાની ન્યૂઝ ચેનલ એબીસીના પ્રસારણને પણ અસર થઈ છે. ત્યારે સ્પાઇસજેટે એક નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે અમે હાલમાં અમારા સેવા પ્રદાતા સાથે ટેકનિકલ પડકારોનો અનુભવ કરી રહ્યા છીએ, જે બુકિંગ, ચેક-ઇન અને બુકિંગ કાર્ય સહિતની ઓનલાઈન સેવાઓને અસર કરી રહી છે. આ કારણે, અમે એરપોર્ટ પર મેન્યુઅલ ચેક-ઇન અને બોર્ડિંગ પ્રક્રિયાઓ સક્રિય કરી છે.
દક્ષિણ આફ્રિકાની સૌથી મોટી બેંક પ્રભાવિત
હાલમાં આ ટેક્નિકલ ખામીને કારણે બ્રિટિશ રેલ્વેએ તેની તમામ સેવાઓ બંધ કરી દીધી છે. ઈન્ડિગોએ કહ્યું છે કે હાલમાં અમારી સિસ્ટમ્સ માઈક્રોસોફ્ટ આઉટેજથી પ્રભાવિત છે, જે અન્ય કંપનીઓને પણ અસર કરી રહી છે. આ સમય દરમિયાન, બુકિંગ, ચેક-ઇન, તમારા બોર્ડિંગ પાસની તેમજ ઍક્સેસ અને કેટલીક ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ શકે છે. ભારતની રાજધાની દિલ્હી એરપોર્ટ પર ઓનલાઈન સેવાઓ ઠપ થઈ ગઈ છે. અને સર્વરની ખામીને કારણે સેવાઓ પ્રભાવિત થઈ છે. દક્ષિણ આફ્રિકાની સૌથી મોટી બેંક કેપિટેક પણ આ સમસ્યાથી પ્રભાવિત થઈ છે.
યુરોપમાં રાયનએરે કહ્યું છે કે નેટવર્કની ખામીને કારણે ફ્લાઇટ્સ સંચાલનને અસર થઇ છે. મુસાફરોને ફ્લાઇટમાં સવાર થતાં પહેલાં રાયનએર એપ પર ફ્લાઇટ્સના અપડેટ્સ ચકાસતા રહેવા કહેવાયું છે. બ્રિટનમાં રેલવે સિસ્ટમ પણ પડી ભાંગી છે. માઈક્રોસોફ્ટ આઉટેજના કારણે રેલવે કંપનીઓએ મુસાફરોને કહ્યું છે કે તેઓને ચાલતી ટ્રેનોમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આઉટેજને કારણે સ્કાય ન્યૂઝ ચેનલ બંધ કરવી પડી હતી. લંડન સ્ટોક એક્સચેન્જમાં પણ કામકાજ બંધ થઈ ગયું છે.
માઈક્રોસોફ્ટમાં ગ્લોબલ ટેકનિકલ ખામી સર્જાતા ઓસ્ટ્રેલિયા સરકાર હરકતમાં આવી છે. સરકારે આ મુદ્દે ઈમરજન્સી બેઠક બોલાવી છે. મહત્ત્વનું છે કે ઓસ્ટ્રેલિયામાં પણ એરલાઈન્સ, સુપર માર્કેટ, મોલ અને મીડિયા સેવાઓ પર અસર થઈ છે. અહીં ABC ન્યૂઝ ચૅનલમાં ખામી સર્જાતા બંધ થઈ હતી.
અમે સેવાઓમાં સતત સુધારો કરી રહ્યા છીએ : માઈક્રોસોફ્ટ
સર્વરમાં ખામીન પર માઈક્રોસોફ્ટનું મોટું નિવેદન સામે આવ્યું. માઈક્રોસોફ્ટે કહ્યું કે અમે સેવાઓમાં સતત સુધારાના પ્રયાસો કરી રહ્યા છીએ. અમને આ ખામીની જાણ થઈ છે. અનેક ટીમ કામે લાગી છે. અમે આ ખામીનું કારણ જાણવાના પ્રયાસો પણ કરી રહ્યા છીએ.
અમેરિકાની ફ્રન્ટિયર એરલાઇન્સ સૌથી વધુ પ્રભાવિત
માઈક્રોસોફ્ટના સર્વરમાં ખામીને લીધે અમેરિકાની ફ્રન્ટિયર એરલાઇન સૌથી વધુ પ્રભાવિત થઇ છે. તેણે એક નિવેદન જાહેર કરીને જણાવ્યું કે સર્વરમાં ખામીને લીધે 131 ફ્લાઈટો રદ કરવામાં આવી છે. જ્યારે 200થી વધુ ફ્લાઈટ મોડી પડી હતી. આ ખામીને લીધે અમેરિકાની ઈમરજન્સી સર્વિસને પણ અસર થઇ હતી.
વિશ્વની જાણીતી ટીવી ન્યૂઝ ચેનલ પણ બંધ થઈ
માઈક્રોસોફ્ટની આ એરરને કારણે બ્રિટનની જાણીતી સ્કાય ન્યૂઝ પણ ઓફ એર થઈ ગઈ હતી. તો બીજી બાજુ લંડન સ્ટોક એક્સ્ચેન્જમાં પણ આ એરરને કારણે ટેકનિકલ ખામી સર્જાતા અસર થઈ છે. જ્યારે ઓસ્ટ્રેલિયા અને અમુક અન્ય દેશોમાં સુપર માર્કેટ અને મોલમાં પણ સેવાઓ પ્રભાવિત થઈ હોવાના સમાચાર મળી રહ્યા છે.
કયા કયા ક્ષેત્રો પર અસર થઇ?
આ ખામી ક્યારે સર્જાઈ?
આ ખામી તાજેતરની ક્રાઉડ સ્ક્રાઈક અપડેટ બાદ આવી છે. તેમાં ખામી સર્જાતા મોટી સંખ્યામાં લોકોને અસર થઈ છે. માઈક્રોસોફ્ટે આ મામલે જાણકારી શેર કરી હતી. શુક્રવારે સવારે તેની ક્લાઉડ સર્વિસિઝ અવરોધિત થવાને કારણે દુનિયાભરમાં અનેક વિસ્તારોમાં ખામી સર્જાઈ હતી. તેના કારણે એરલાઈન્સની ઉડાનો પ્રભાવિત થઇ હતી. ભારત, અમેરિકા સહિત અનેક દેશોમાં વિમાનોની ઉડાનો પર આ આઉટેજની અસર દેખાઈ.
કયા કયા દેશોમાં અસર થઇ?
અમેરિકાના અનેક ભાગોમાં ઈમરજન્સી સેવા 911 ને અસર થઈ છે. અમેરિકા ઉપરાંત ઓસ્ટ્રેલિયા અને જર્મનીમાં પણ બેન્કિંગ, ટેલીકોમ, મીડિયા આઉટલેટ અને એરલાઈન્સની સેવાઓ પ્રભાવિત થઈ છે. ઓસ્ટ્રેલિયાના નેશનલ સાઈબર સિક્યોરિટી કોઓર્ડિનેટરે કહ્યું કે દેશમાં આજે બપોરે મોટાપાયે અનેક કંપનીઓની સેવાઓ પ્રભાવિત થઇ હતી.
ભારત અને અમેરિકા સહિત દુનિયાભરની અનેક એરલાઇન્સ વિમાન સેવાઓ ઠપ થઈ ગઈ છે. માઈક્રોસોફ્ટના સર્વરમાં ખામીઓને કારણે ઉડાન સેવાઓ પ્રભાવિત થઈ છે. અનેક કંપનીઓના વિમાન ઉડાન ભરી શકી રહ્યા નથી. સ્પાઈસજેટ અને ઈન્ડિગોએ પણ આ પ્રકારની સમસ્યાનો હવાલો આપ્યો હતો. ફક્ત વિમાન સેવાઓ જ નહીં પણ અનેક દેશોમાં બેન્કિંગ સેવાઓથી લઈને ટિકિટ બુકિંગ અને સ્ટોક એક્સચેન્જ ઉપર પણ અસર થઇ છે.
ક્રાઉડ સ્ટ્રાઈકે ભૂલ સ્વીકારી!
માહિતી અનુસાર ક્રાઉડ સ્ટ્રાઈકે ભૂલ સ્વીકારી હતી અને તે આ ખામીની તપાસ કરી રહી છે. આ મામલે વધુ માહિતી આપતા જણાવ્યું કે અમને આ એરરની માહિતી મળી છે. તે વિન્ડોઝની મોટાભાગની સિસ્ટમમાં દેખાઈ રહી છે. ઘણાં યૂઝર્સ તેના વિશે ફરિયાદ કરી રહ્યા છે. આ ખામીને કારણે લાખો યૂઝર્સ પ્રભાવિત થયા છે. અનેક યૂઝર્સ ફરિયાદ કરી રહ્યા છે કે તેમની સિસ્ટમ કાં તો શટડાઉન થઈ છે કે પછી તેમને બ્લૂ સ્ક્રિન દેખાઈ રહી છે. તેની અસર પ્રમુખ બેન્ક, ઈન્ટરનેશનલ એરલાઈન્સ, જીમેઈલ, એમેઝોન અને બીજી ઈમરજન્સી સર્વિસ પર થઇ રહી છે.
શું છે આ ખામીનું કારણ?
માહિતી અનુસાર સાઈબર સિક્યોરિટી પ્લેટફોમર્ ક્રાઉડ સ્ટ્રાઈકમાં ખામીને કારણે સેવાઓ પ્રભાવિત થઈ છે. ઈન્ડિગો અને સ્પાઈસજેટ જેવી એરલાઈન્સ કંપનીઓ કહે છે કે સર્વરમાં ખામીને કારણે જ સેવાઓ ઠપ છે. એરપોર્ટ પર ચેક ઈન અને ચેક આઉટ સિસ્ટમ ઠપ થઈ ગઇ છે. બુકિંગ સેવા પણ પ્રભાવિત થઇ છે. જેના લીધે સૌથી વધુ અમેરિકન વિમાન સેવા પર અસર થઇ છે.
ત્રણ જુલાઈ-2024થી પ્રીપેડ અને પોસ્ટપેડ મોબાઈલ ટેરિફની કિંમતો વધારવામાં આવી છે. દેશની ત્રણ મુખ્ય ટેલીકૉમ કંપનીઓ રિલાયન્સ જિયો, ભારતી એરટેલ અને વોડાફોન આઈડિયા (Reliance Jio, Bharti Airtel and Vodafone Idea)એ મોબાઈલ ટેરિફમાં 25 ટકા સુધીનો વધારો કર્યો છે. હવે આ મામલે કોંગ્રેસે મોદી સરકાર પર ગંભીર આક્ષેપ કર્યો છે. કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલા (Randeep Surjewala)એ કેન્દ્ર સરકાર પર આક્ષેપ કર્યો છે કે, ‘મોદી સરકારે 109 કરોડ મોબાઈલ યુઝર્સ (Mobile Users) પર વાર્ષિક 34,824 કરોડ રૂપિયાનો બોજો નાખ્યો છે.’
સુરજેવાલાએ પ્રેસ કોન્ફરન્સ યોજી કહ્યું કે, ‘ત્રણ અને ચાર જુલાઈના રોજ દેશની ત્રણ ટેલીકૉમ કંપનીઓએ મોબાઈલ ટેરિફની કિંમતો વધારી છે. ત્રણેય સેલ ફોન કંપનીઓ રિલાયન્સ જિયો, ભારતી એરટેલ અને વોટાફોન આઈડિયાનો માર્કેટ શેર 91.6 ટકા છે અને તેમના 109 કરોડ સેલ ફોન યુઝર્સ છે. મોદી સરકારની મંજૂરી બાદ આ કંપનીઓએ ટેરિફમાં વાર્ષિક 34,824 કરોડ રૂપિયાનો બોજો ગ્રાહકો પર નાખી દીધો છે.’
રણદીપ સુરજેવાલાએ ટ્રાઈના રિપોર્ટને ટાંકીને કહ્યું કે, ‘ટેલીકૉમ કંપનીઓ પોતાના યુઝર્સો પાસેથી 31 ડિસેમ્બર-2023 સુધીમાં દર મહિને સરેરાશ 152.55 રૂપિયા કમાતી હતી. રિલાયન્સ જિયોએ ટેરિફ રેટમાં 12થી 27 ટકા, એરટેલે 11થી 21 ટકા અને વોડાફોન આઈડિયાએ 10-24 ટકાનો વધારો કર્યો છે.’
તેમણે આક્ષેપ કર્યો છે કે, ત્રણેય કંપનીઓએ પરામર્શ કરીને 72 કલાકની અંદર મોબાઈલ ટેરિફ વધારવાની જાહેરાત કરી હતી. આ ટેરિફ વધારાથી રિલાયન્સ જિયોને 17,568 કરોડ રૂપિયા, એરટેલને 10,704 કરોડ રૂપિયા અને વોડાફોન આઈડિયાને વાર્ષિક 6552 કરોડ રૂપિયાની કમાણી થશે.
કોંગ્રેસે મોબાઈલ ટેરિફમાં વધારા મુદ્દે સરકારને ઘણા પ્રશ્નો કર્યા છે. પાર્ટીએ પૂછ્યું છે કે, ‘92 ટકા બજાર હિસ્સો ધરાવતી ટેલિકોમ કંપનીઓને એકતરફી રૂ.34,824 કરોડનો ટેરિફ વધારવાની મંજૂરી કેવી રીતે આપવામાં આવી? શું સરકાર અને TRAI 109 કરોડ યુઝર્સ પ્રત્યેની તેમની ફરજ અને જવાબદારીથી દૂર થઈ ગયા છે? શું મોબાઈલ ટેરિફમાં વધારો લોકસભા ચૂંટણીના અંત સુધી મોકૂફ રખાયો હતો? શું સરકાર કે ટ્રાઈએ કંપનીઓની કેપિટલ એક્સપેન્ડિચરની જરૂરિયાતો પર અભ્યાસ કર્યો છે કે નહીં?
૬ ખર્વ યેન એટલે કે ૯.૯ અબજ ડોલર મૂલ્યની નવી નોટો બજારમાં મુકી: ૧૦૦૦૦ યેનના નવી નોટો પર એક વ્યવસાયી શિબુસાવા એઇઇચુનું ચિત્ર
ટોક્યોની નિહોનબાશિ સ્થિત બેંક ઓફ જાપાને ૨૦ વર્ષ પછી પહેલીવાર નવું ચલણ બહાર પાડયું છે. બેંક ઓફ જાપાનના ગર્વનર ઉએદા કાજુઓએ જણાવ્યું હતું કે બેંક પહેલા દિવસે ૧૬ ખર્વ યેન એટલે કે ૯.૯ અબજ ડોલર મૂલ્યની નવી નોટો બજારમાં બહાર પાડશે. કેન્દ્રી. બેંક દ્વારા નાણાકિય સંસ્થાનોને નવી નોટોના બંડલ સોપવામાં આવ્યા હતા.
૧૦૦૦૦ યેનના નવી નોટો પર એક વ્યવસાયી શિબુસાવા એઇઇચુનું ચિત્ર છે જેમને આધુનિક જાપાનની અર્થ વ્યવસ્થાના જનક માનવામાં આવે છે. તેમને જુદા જુદા ૫૦૦ જેટલા વ્યવસાયોની શરુઆત અને વિકાસ કર્યો હતો. ૫૦૦૦ યેનની નવી નોટો પર ત્સુદા ઉમેકોની તસ્વીર છે. જે શિક્ષણ જવા માટે વિદેશ જવાની મહિલાઓમાંની એક હતી. ૧૦૦૦ યેનની નવી નોટો પર કિતાસાતો શિબાસાબુરોનું ચિત્ર છે. કિતાસાતો એક જીવાણુ વિજ્ઞાાની હતા જે ટેટનસનો ઇલાજ શોધ્યો હતો.
જાપાનની ચલણી નોટોમાં નવીનત્તમ હોલોગ્રામ તકનીક સામેલ કરવામાં આવી છે.આથી નકલી નોટ બનાવવી શકય બનશે નહી.જાપાનના નેશનલ પ્રિન્ટિંગ બ્યૂરોના જણાવ્યા અનુસાર દુનિયામાં પહેલી વાર ચલણી નોટો પર હોલોગ્રામ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. નોટોમાં થ્રીડી જોવા મળે છે જેનાથી સુરક્ષા ફિચર્સ મજબૂત બનશે.
ફેક રિવ્યુથી ગ્રાહકો છેતરાય નહીં તે માટેના કાયદા આજથી અમલમાં આવી રહ્યા છે. ફેક રિવ્યુ માત્ર ઇ-કોમર્સની સાઇટો માટે હોય છે એવું નથી હોતું. ફિલ્મોના રિવ્યુ આપનારા પણ ખોટા રિવ્ય ુઆપતા હોય છે.
ગ્રાહકો રિવ્યુના કારણે છેતરાય નહીં તે માટે ડિપાર્ટમેન્ટ ઓફ કન્ઝ્યુમર્સ સાથે અન્ય ખાતાઓએ મળીને ઓનલાઇન કન્ઝ્યુમર રિવ્યુ માટેના સ્ટાન્ડર્ડ નક્કી કર્યા છે. આ ધારાધોરણોને દરેક ઇ-કોમર્સ સાઇટે ફરજિયાતપણે અપનાવવા પડશે. નહીં અપનાવનારાઓ સામે દંડની જોગવાઇ છે. ખોટા રિવ્યુની સામે ગ્રાહક ફરિયાદ કરી શકશે. રિવ્યુ લખનારે પોતાનો ફોન નંબર સહિતની માહિતી તેમજ સરનામું આપવું પડશે. ખોટા રિવ્યુ લખનાર કોઇ પોતાનો ફોન કે સરનામું આપવા તૈયાર નહીં થાય.
સરકારે ખોટા રિવ્યુની સિસ્ટમને ડામવા નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. ઇ-કોમર્સની સાઇટ પર કામ કરનાર કોઇ વ્યક્તિ રિવ્યુ ના લખી શકે. જેણે પ્રોડક્ટ ખરીદી હોય તે જ રિવ્યુ લખી શકે. રિવ્યુ લખવા માટે ઇ-કોમર્સની સાઇટો કોઇ થર્ડ પાર્ટીનો ઉપયોગ નહીં કરી શકે. એટલે કે તેમના વતી બીજું કોઈ રિવ્યુ લખી નહીં શકે. હાલ ફેક રિવ્યુ્ બંધ કરવાનું સ્વૈચ્છિક છે, પરંતુ સરકાર તેને ફરજીયાત બનાવવાનું વિચારી રહી છે. આટલું વાંચ્યા પછી ગ્રાહકો સમજી ગયા છે કે મોટા ભાગના રિવ્યુ તેમને ફસાવવા માટે ઊભા કરાતા હતા.
એલોન મસ્કે ટ્વીટરની કમાન સંભાળી ત્યારથી કંપનીમાં ઉથલપાથલ ચાલી રહી છે. ભારતમાં એલોન મસ્કે કંપનીના સમગ્ર સ્ટાફને હટાવી દીધો છે. લગભગ 250 લોકોને નોકરીમાંથી બહાર કરી દેવામાં આવ્યા છે. એટલું જ નહીં હવે એલોન મસ્કે આખી કંપનીના 50% લોકોને કાઢી નાખ્યા છે. જેના કારણે 7,500 લોકોએ નોકરી ગુમાવી છે. એલોન મસ્કે ટ્વિટર પર કબજો કર્યાના એક અઠવાડિયાની અંદર ઘણી મોટી કાર્યવાહી કરી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે 50% કર્મચારીઓની તાત્કાલિક અસરથી છટણી કરવામાં આવી છે. તેઓનો ઈમેલ અને કંપનીના કોમ્પ્યુટરનો એક્સેસ છીનવી લેવામાં આવ્યો છે.
વિશ્વની દિગ્ગજ સોશિયલ મીડિયા કંપની ટ્વિટર તરફથી આવી તાબડતોડ છટણીને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. કંપનીના કર્મચારીઓ દ્વારા પણ છટણીની પુષ્ટિ કરવામાં આવી છે. યુ.એસ. અને કેનેડામાં ટ્વિટરના પબ્લિક પોલિસી ડાયરેક્ટર મિશેલ ઓસ્ટિનએ ટ્વિટ કર્યું કે, આજનો દિવસ એ સમાચાર સાથે શરૂ થાય છે કે ટ્વિટરમાં મારી સફર પૂરી થઈ ગઈ છે. મારૂ દિલ તુટી ગયું. હું તેને સ્વીકાર નથી કરી શકતો. એલોન મસ્કે છટણી અંગે ટ્વીટ કર્યું કે, ટ્વિટરમાં છટણી વિશે ઘણી વાતો થઈ રહી છે. દુર્ભાગ્યની વાત એ છે કે, આ એવા સમયે કરવામાં આવી રહ્યું છે જ્યારે કંપનીને દરરોજ 4 મિલિયન ડોલરનું નુકશાન થઈ રહ્યું છે તેથી બીજો કોઈ વિકલ્પ નહોતો.
આ મોટી છટણી પહેલા ટ્વીટરે કર્મચારીઓને ઓફિસ આવવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો. તેઓને તેમના ભવિષ્યની રાહ જોવા અને જે નિર્ણય લેવામાં આવશે તેના આધારે કાર્ય કરવાનું કહેવામાં આવ્યું હતું. સોમવાર સુધી કર્મચારીઓને ઓફિસ જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. જોકે, સોમવાર પહેલા જ આ મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. બરતરફ કરાયેલા ટ્વિટરના ભૂતપૂર્વ કર્મચારીએ કહ્યું કે, ‘લોકોની સાથે જે રીતે વર્તન કરવામાં આવી રહ્યું છે તે અત્યંત અમાનવીય છે.’ તે કોઈ પણ કિંમતે પૈસા બચાવવા માંગે છે. એલોન મસ્કે ટ્વિટરને 44 બિલિયન ડોલરમાં ખરીદ્યું છે અને એવું માનવામાં આવે છે કે, તે બચતના માર્ગ પર છે અને નાણાંની ચૂકવણી કરવા માટે મોટા પાયે છટણી કરી રહ્યા છે.
દેશમાં 5G સર્વિસ 1લી ઓક્ટોબરથી લોંચ થવા જઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1લી ઓક્ટોબરના રોજ ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસમાં 5G સેવા લોંચ કરશે. મીડિયા અહેવાલો પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતમાં એશિયાના સૌથી મોટા ટેકનોલોજી એક્ઝિબિશન ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસમાં 5G સેવાનો શુભારંભ કરાવશે.
ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસને એશિયામાં સૌથી મોટો ટેલિકોમ, મીડિયા અને ટેકનોલોજી ફોરમ માનવામાં આવે છે. તેને સંયુક્ત રીતે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (Dot) અને સેલ્યુલર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (COAI) દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે. 5Gની ઝડપ (સ્પીડ) 4G કરતાં 10 ગણી વધારે હશે. તેમા મોટા વિડિયો ગણતરીની સેકન્ડમાં જ ડાઉનલોડ કરી શકાશે. તેની સ્પીડનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે એક ફિલ્મને ડાઉનલોડ કરવામાં 4G નેટવર્ક પર છ મિનિટનો સમય લાગે છે,જે 5G નેટવર્ક પર આ કામ ફક્ત 20 સેકન્ડમાં જ થઈ જશે.
અત્યાર સુધી દેશમાં લોકો 4G નેટવર્કનો ઉપયોગ કરી રહ્યા છે. હવે 5Gના આગમન બાદ લોકોને હાઈ સ્પીડ ઈન્ટરનેટની સુવિધા મળવા લાગશે. તેનાથી સમય બચશે તેમ જ અનેક એપ્લિકેશનનો સરળતાથી ઉપયોગ કરી શકાશે. 5Gની મદદથી ગ્રાહકોનો અનુભવ અગાઉની તુલનામાં ઘણો સારો રહેશે, તે એક વર્ગ કિલોમીટરમાં આશરે એક લાખ સંચાર ઉપકરણોને સપોર્ટ કરશે.
5Gના આગમન બાદ મોબાઈલની દુનિયા સંપૂર્ણપણે બદલાઈ જશે. 5Gની સ્પીડ 4G કરતાં 10 ગણી વધારે છે. 5Gના આગમનને લીધે ઓટોમેશન વધી જશે. અત્યાર સુધી બાબત ફક્ત શહેરો પૂરતી મર્યાદિત હતી તે ગામો સુધી પહોંચી જશે. ઈન્ટરનેટ ઓફ શિંગ્સ તથા ટેકનોલોજી IOT તથા રોબોટીક્સની ટેકનોલોજીને નવી પાંખ મળશે. દેશના અર્થતંત્રને ફાયદો થશે અને ઈ-ગવર્નન્સનું વિસ્તરણ થશે. કારોબાર, શિક્ષણ, હેલ્થ તથા કૃષિ ક્ષેત્ર જેવા સેક્ટરમાં ક્રાંતિ આવશે. 4G નેટવર્ક પર સરેરાશ ઈન્ટરનેટ સ્પીડ 45MBPS હોય છે પણ 5G નેટવર્ક પર તે વધીને 1000 MBPS સુધી પહોંચી જશે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.