ઇલેકટ્રોનિક ને આઇ ટી રાજયમંત્રી રાજીવ ચંદ્શેખરે કહયું હતું કે ડિજિટલ ચુકવણા બાબતે ભારતે હરણફાળ પ્રગતિ ભરી છે. ભારત આ બાબતે વિકસિત દેશોને પણ દિશા આપી શકે છે. ત્યાં સુધી કે જર્મની જેવો વિકસિત દેશ પણ ડિજીટલ પધ્ધતિ ડીબીટી ચુકવણામાં ભારત કરતા પાછળ છે. આઇ ટી મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા મુજબ 2021-22મા રોજ 90 લાખથી વધુ ડીબીટી ભુગતાન કરવામાં આવ્યા હતા.જેનાથી 9.5 કરોડ લાભાર્થીઓને ફાયદો મળ્યો હતો.
એટલું જ નહી રોજ સરેરાશ 28.4 કરોડ ડિજિટલ ટ્રાન્જેકશન થાય છે. આ ટ્રાન્જેકશન વિશ્વમાં સૌથી વધારે છે. ડીજીટલ ટ્રાન્જેકશન મામલે ભારત ચીન કરતા પણ આગળ છે. ચીન ભારત પછી બીજા ક્રમે જયારે અમેરિકા ત્રીજા ક્રમે છે. આમ ડિજીટલ ટ્રાન્જેકશન બાબતે ભારત માત્ર વિકાસશીલ જ નહી વિકસિત દેશો માટે પણ ઉદાહરણ રુપ બન્યો છે. પીએમ સન્માન નીધિ યોજના અંર્તગત 9.5 કરોડ લાભાર્થીઓના બેંક ખાતામાં એક જ બટન કલિકથી એક જ દિવસમાં 1900 કરોડ રુપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. આછી એક કલીકમાં 9.5 કરોડ જેટલા ટ્રાન્જેકશન થાય છે.
પ્રાપ્ત માહિતી અનુસાર 2021-22ના વર્તમાન વર્ષમાં 8800 કરોડ ડિજીટલ ભુગતાન ટ્રાન્જેકશન થયા છે. વર્તમાન વર્ષમાં કુલ 566 લાખ કરોડ રુપિયાનું ડિજિટલ ટ્રાન્જેકશન થયું છે. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના જણાવ્યા અનુસાર યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (યુપીઆઇ)ના માધ્યમથી આ વર્ષે ઓગસ્ટ મહિનામાં 10.72 લાખ કરોડ રુપિયાના 6.57 અબજ ડિજીટલ ટ્રાન્જેકશ થયા છે. જે ગત જુલાઇ મહિનાની સરખામણીમાં 4.62 ટકા વધારે છે.
– જાતિનું અપમાન કરતી ટિપ્પણી કરી ત્યારે પીડિતા ત્યાં હાજર નહોતી: યૂટયુબરની દલીલોને હાઇકોર્ટે ફગાવી
નવી દિલ્હી : સોશિયલ મીડિયા પર પોસ્ટ કે કોમેંટ આડેધડ થતી હોય છે, જેમાં જાતિ આધારીત કોમેંટ કે પોસ્ટ પણ કરવામાં આવતી હોય છે. જોકે હવેથી કોઇ જાતિ આધારીત પોસ્ટ કે કોમેંટ થાય તો તેવા કેસમાં એસસી, એસટી કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી શકે છે. હાલ આ જ પ્રકારનો એક મામલો કેરળ હાઇકોર્ટમાં ચાલી રહ્યો છે.
કેરળ હાઇકોર્ટમાં એક યૂટયૂબર દ્વારા અરજી કરવામાં આવી છે. જેની સુનાવણી ચાલી રહી છે.
અરજદાર યૂટયૂબર દ્વારા એક ઇન્ટરવ્યૂમાં એસસી, એસટી સમાજની એક મહિલા સામે કથિતરુપે અપમાનજનક નિવેદન આપવામાં આવ્યું હતું. આ નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ થતા વાઇરલ થઇ ગયો હતો. જે બાદ આરોપીની ધરપકડ કરી લેવામાં આવી હતી. હવે આરોપી દ્વારા કેરળ હાઇકોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરવામાં આવી છે.
જોકે કેરળ હાઇકોર્ટે આરોપી યૂટયૂબરની જામીન અરજીને ફગાવી દીધી છે. આ દરમિયાન જ્યારે કોર્ટમાં દલિલો ચાલી રહી હતી ત્યારે આરોપીએ એવો તર્ક આપ્યો હતો કે પીડિતા મારા આ ઇન્ટરવ્યૂ અને મે કોમેંટ કરી ત્યારે તે હાજર નહોતી. તેથી એસસી, એસટી એક્ટ અંતર્ગત આ મામલે કેસ જ નથી બનતો.
ભારત સરકારે ટેલીકોમ ક્ષેત્રે સૌથી મોટા ક્રાંતિકારી પગલાં એવા 5G સ્પેક્ટ્રમ માટે વિવિધ ફ્રિકવન્સીમાં કુલ 72 ગીગાહર્ટ સ્પેક્ટ્રમ વેચવા કાઢી છે. આ સ્પેક્ટ્રમથકી સરકારને કુલ રૂ.4.30 લાખ કરોડની આવક થશે એવો અંદાજ હતો પણ તા.26 જુલાઈથી શરૂ થયેલા અને ચાર દિવસ, 23 રાઉન્ડ પછી કંપનીઓએ જે બોલી લગાવી છે એ જોતા અપેક્ષા કરતા ઘણી ઓછી રકમ સરકારના હાથમાં આવશે એવી શક્યતા છે.
5G સ્પેક્ટ્રમ માટે આટલી ઓછુ બિડિંગ થવાના બે કારણો છે. એક, આ ટેકનોલોજી માત્ર સ્પેક્ટ્રમ ખરીદી લેવાથી પૂર્ણ થતી નથી. ગ્રાહકને ઘરે-ઘરે, શેરી-ગલીમાં સેવા આપવા માટે નેટવર્કમાં જંગી રોકાણ કરવું પડે એવી શક્યતા છે. બીજું, મોટા ભાગની કંપનીઓ પાસે અત્યારે હાથ ઉપર સ્પેક્ટ્રમ ઉપલબ્ધ છે અને વર્તમાન 4G સેવામાં તેનો પૂરો ઉપયોગ થઇ રહ્યો નથી. ત્રીજું, એરટેલ અને વોડાફોન આઈડિયા ઉપર જંગી દેવું છે. વોડાફોન આઈડિયા તો છેલ્લા ત્રણ વર્ષથી ભારતના કોર્પોરેટ ઈતિહાસમાં સૌથી મોટી ખોટ કરતી કંપની છે ત્યારે આટલી આક્રમકતાથી સ્પેક્ટ્રમ ખરીદે એવી શક્યતા નહિવત જોવા મળી રહી છે.
ચાર દિવસના અંતે કેન્દ્ર સરકારને જે કુલ રકમ મળે એવી શક્યતા છે તેની રકમ રૂ.1,49,823 કરોડ જ છે. કેન્દ્ર સરકારે સ્પેક્ટ્રમની ખરીદી ક્યાં સર્કલમાં કોણે કરી, કોની બોલી વિજેતા થઇ તેની જાહેરાત નિલામી પૂર્ણ થયા પછી જ જાહેર કરવાની હોવાથી કંપની આધારિત માહિતી ઉપલબ્ધ હવે પછી જ બનશે.
5G સ્પેક્ટ્રમ રાઉન્ડ અનુસાર કેટલી બોલી લાગી
દિવસ
એક દિવસમાં કેટલી બોલી રૂ. લાખ કરોડ
દિવસના અંતે અત્યારસુધીની બોલી રૂ. લાખ કરોડ
૨૬ જુલાઈ
૧.૪૫૦
૧.૪૫
૨૭ જુલાઈ
૦.૦૪૫
૧.૪૯
૨૮ જુલાઈ
૦.૦૧૭
૧.૫૦
૨૯ જુલાઈ
૦.૦૨૩
૧.૫૦
સ્પેક્ટ્રમની નિલામીના ચાર દિવસ અને ૨૩ રાઉન્ડની બોલી લાગ્યા પછી એટલું સ્પષ્ટ છે કે કંપનીઓ માત્ર જેટલી જરૂરીયાત છે એના માટે જ બિડિંગ કરી રહી છે. 5Gની નિલામીમાં અત્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જિયો માટે, ભારતી એરટેલ, વોડાફોન આઈડિયા અને ગૌતમ અદાણીની અદાણી ડેટા સર્વિસ લીમીટેડ એમ ચાર જ કંપની બિડિંગ કરી રહી છે. વળી, અદાણીએ ગ્રાહકો માટે નહિ પણ માત્ર પોતાના જૂથ માટે, પોતાના વ્યવહાર માટે અને તેના ટેકનોલોજી સાહસની જરૂરીયાત માટે જ લાયસન્સ ખરીદ્યું છે. આ ઉપરાંત, અદાણીએ માત્ર ગુજરાત સર્કલનું જ લાયસન્સ ખરીદ્યું હોવાથી અન્ય રાજ્યોમાં તે બિડિંગ કરી શકે નહી તે પણ જાણવું જરૂરી છે.
5G સેવાઓ માટે ગીગાહર્ટઝ જેમ ઓછા તેમ નાના સેલ સાઈટ કે નાના ટાવરથી આંતરિક વિસ્તારમાં સેવાઓ આપવી શક્ય બને છે. દૂરના વિસ્તારો માટે સૌથી ઉંચી ફ્રિકવન્સીનું સ્પેક્ટ્રમ જોઈએ છે. અત્યારે ચાલી રહેલી બિડિંગમાં સૌથી ઓછી અને સૌથી વધુ ફ્રિકવન્સીના બિડિંગમાં જ સ્પર્ધા જોવા મળી રહી છે.
જેમકે 26 હર્ટઝની ફ્રિકવન્સી માટે દરેક રાજ્યમાં દરેક સર્કલમાં ભારે બોલી જોવા મળી રહી છે. એવી જ રીતે 3300 હર્ટઝની ફ્રિકવન્સી માટે પણ દરેક સર્કલમાં બોલી લાગી છે. નીચી ફ્રિકવન્સી માટે 600 હર્ટઝમાં કોઈ બીડ નથી, 700 હર્ટઝમાં એક કે બે બીડ જોવા મળી રહી છે. તો ઉપરની ફ્રિકવન્સીમાં 2600 અને 21૦૦માં કોઈ ખરીદવાવાળું નથી. સામે 17૦૦ અને 18૦૦ હર્ટઝમાં જરૂર અનુસાર એટલે કે જ્યાં કંપનીઓને જરૂર છે એટલા સર્કલમાં જ માંગ જોવા મળી રહી છે.
મોબાઈલ સેવાઓમાં સૌથી ઝડપી ડેટા ટ્રાન્સફર શકય હોય તેવી પાંચમી જનરેશન (5G) સેવાઓ દેશમાં ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતેથી પ્રારંભ થશે. આ સેવાઓ દેશને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમર્પિત કરશે અને તા.15 ઓગસ્ટના રોજ દેશની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે શરૂ થશે એવું જાણવા મળી રહ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાલ કિલ્લા ઉપર સ્વતંત્રતા દિવસની ઉજવણી બાદ ગુજરાત આવશે અને સેવાઓનો પ્રારંભ કરે તેવી શક્યતા છે.
દેશમાં 5G સેવાઓ માટે સ્પેક્ટ્રમની નિલામી આ સપ્તાહમાં શરૂ થવાની છે અને તેમાં રિલાયન્સ જીયો, વોડાફોન આઈડિયા અને એરટેલ ઉપરાંત અદાણી જૂથે પણ બિડિંગ કરવા માટે રસ દાખવ્યો છે.
જોકે, અદાણીએ આ સ્પેક્ટ્રમ ખરીદી માત્ર એન્ટરપ્રાઇસ સેવાઓ આપવા માટે જ કરવાની જાહેરાત કરી છે એટલે ગ્રાહકોને તો માત્ર ત્રણ કંપનીઓ તરફથી જ સેવા મળશે.
લોંચ પહેલા ગુજરાતમાં 5G સેવાઓનું ટેસ્ટિંગ ગાંધીનગર, જામનગર અને વડોદરામાં થયું હતું. જામનગર ખાતે રિલાયન્સ જીયો અને ગાંધીનગર ખાતે વોડાફોન દ્વારા ટેસ્ટ થયા હતા.
વડાપ્રધાન મોદી આ સેવા શરૂ કરે એ પહેલા વોડાફોન અને જીયો યુદ્ધના ધોરણે તેના લોંચ માટે તૈયારી કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ગાંધીનગર ખાતે આવેલા મહાત્મા મંદિરમાં આ સેવાઓ શરૂ કરવા માટે અત્યારે કામગીરી થઇ રહી છે.
અત્યારે કોઈ કંપની પાસે 5Gની સેવા માટે સ્પેક્ટ્રમ ઉપલબ્ધ નથી. નિલામી પછી વિજેતા કંપનીઓને તાકીદે સ્પેક્ટ્રમ ફાળવવા માટે PMO અને ટેલિકોમ ડિપાર્ટમેન્ટ કામગીરી કરી રહ્યા છે જેથી તા.15 ઓગસ્ટના તેનું લોંચિંગ થઈ શકે.
ભારતમાં આકસ્મિક કહો કે કોઈ કોન્સપીરન્સી કહો, છેલ્લા બે મહિનામાં અને ખાસ કરીને છેલ્લા બે સપ્તાહમાં વિમાનોમાં ટેક્નિકલ ખામીઓની વણજાર થઈ રહી છે. સ્પાઈસજેટનો આ ઘટનાક્રમ અટક્યો તો બાદમાં ઈન્ડિગો, એર એશિયા અને એર ઈન્ડિયા સાથે આ પ્રકારની ઘટનાઓ બની રહી છે.
હવે આજે મળતી માહિતી પ્રમાણે GO FIRSTની વધુ એક ફલાઇટને અકસ્માત નડ્યો છે. અહેવાલ અનુસાર દિલ્હી-ગુવાહાટી જઇ રહેલી ગો-એર ફ્લાઇટની વિન્ડશિલ્ડ વચ્ચે હવામાં તિરાડ પડી ગઇ હતી. ખરાબ હવામાનને કારણે એરક્રાફ્ટ દિલ્હી પરત ન ફર્યું અને જયપુરમાં સુરક્ષિત રીતે ડાયવર્ટ કરવામાં આવ્યુ હતુ.
અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ૨૪ કલાકમાં જ આ જ ગો ફર્સ્ટ ની એરલાઇન્સ સાથે આ ત્રીજી ઘટના છે.
છેલ્લા કેટલાક મહિનાઓથી વિમાનોમાં ઉડાન દરમિયાન અચાનક ટેકનિકલ ખામીઓ વધી ગઈ છે. સ્પાઈસજેટમાં એક મહિનામાં ઓછામાં ઓછી 8 આવી ઘટનાઓ સામે આવી છે. આ ઘટનાક્રમને ધ્યાને રાખીને દેશના એવિએશન સેફ્ટી રેગ્યુલેટર DGCAએ સ્પોટ ચેકિંગ કર્યું અને ઘણી ખામીઓ જોવા મળી છે.
DGCA એ એરલાઈન્સને નવી સૂચના જારી કરીને કહ્યું છે કે, દરેક ફ્લાઈટ પહેલા નક્કી કરેલા નિયમોનું પાલન કરવું પડશે. એરલાઈન્સને સમસ્યાને સુધારવા માટે 28 જુલાઈ સુધીનો સમય આપવામાં આવ્યો છે.
ભારતમાં પણ ઇન્ટરનેટની સ્પીડને વધારતો નિર્ણય કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. હવેથી ભારતમાં પણ ૫-જી ઇન્ટરનેટ સ્પીડ મળશે. કેન્દ્ર સરકારે ૫-જી સ્પેક્ટ્રમની હરાજી પર મોહર મારી દીધી છે. નિષ્ણાતોના મતે ભારતમાં ૫-જી આવવાથી હવે હાલ જે ૪-જી છે તેના કરતા ૧૦ ગણી વધુ સ્પીડ મળશે. ટેલિકોમ કંપનીઓ પણ લાંબા સમયથી ૫-જી સ્પેક્ટ્રમની હરાજીની રાહ જોઇ રહી હતી.
કેન્દ્ર સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે ૫-જી સર્વિસને ટૂંક સમયમાં રોલઆઉટ કરવામાં આવશે. અને ૭૨ ગીગાહર્ટ્ઝના સ્પેક્ટ્રમની હરાજી ૨૦ વર્ષ માટે કરવામાં આવશે. હાલ ભારતમાં ૪-જી નેટવર્ક છે. જોકે તેમ છતા અન્ય દેશોની સરખામણીએ સ્પીડ ઘણી જ ઓછી છે. એવામાં હવે ૫-જી આવી જવાથી વધુ સ્પીડ વાળા ઇન્ટરનેટનો ઉપયોગ થઇ શકશે. એક્સપર્ટનું કહેવું છે કે ૫-જી મદદથી યૂઝર્સ માત્ર કેટલીક સેકંડમાં જ ફુલ એચડી મૂવી ડાઉનલોડ કરી શકશે. જ્યારે અપલોડ સ્પીડની વાત કરીએ તો ૫-જી નેટવર્ક ૧જીબીપીએસ સુધીની ડાઉનલોડ સ્પીડ ઉપલબ્ધ કરાવી શકશે. હાલ ૪-જીમાં આ સ્પીડ ૫૦એમબીપીએસ સુધીની છે. ૫-જી સ્પેક્ટ્રમની હરાજી જુલાઇના અંત સુધીમાં શરૂ થઇ જશે. આ હરાજી ૨૦ વર્ષ માટે કરવામાં આવશે. જેમાં ૬૦૦, ૭૦૦, ૮૦૦, ૯૦૦, ૧૮૦૦, ૨,૧૦૦ અને ૨૩૦૦ મેગાહર્ટ્ઝ બેંડની લો રેંજના સ્પેક્ટ્રમ, ૩૩૦૦ મેગાહર્ટ્ઝ બેંડના મધ્યમ રેંજના સ્પેક્ટ્રમ અને ૨૬ ગીગાહર્ટ્ઝ બેંડના હાઇરેંજ વાળા સ્પેક્ટ્રમ સામેલ છે. ડિજિટલ કનેક્ટિવીટી સરકારના મુખ્ય પ્રોજેક્ટ જેમ કે ડિજિટલ ઇંડિયા, સ્ટાર્ટ અપ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા વગેરે મહત્વપૂર્ણ યોજનાઓનો હિસ્સો છે. વર્ષ ૨૦૧૫ પછી દેશભરમાં ૪-જી ટેક્નોલોજીનો વિસ્તાર થયો. જેનાથી ડિજિટલ કનેક્ટિવિટી વધી ગઇ છે. આજે દેશમાં ૮૦ કરોડ ગ્રાહકો બ્રોડબેંડ સાથે જોડાયેલા ે. આ આંકડો વર્ષ ૨૦૧૪માં માત્ર ૧૦ કરોડ જ હતો. નોંધનીય છે કે ૫-જીની હરાજી માટે સ્પેક્ટ્રમની કિમત ૪.૩૧ લાખ કરોડ રૂપિયા રાખવામાં આવી છે. ઇન્ટરનેટની પાંચમી જનરેશનને ૫-જી તરીકે ઓળખવામાં આવે છે. આ એક વાયરલેસ બ્રોડબેંડ ઇન્ટરનેટ સેવા છે. જે તરંગોના માધ્યમથી હાઇસ્પીડ ઇન્ટરનેટ સેવા આપે છે. ૧૯૮૦ના દસકામાં વિશ્વમાં પ્રથમ જનરેશન એટલે કે ૧-જી ઇન્ટરનેટ સેવાનો પ્રારંભ થયો હતો. જેનો ઉપયોગ ૧૯૯૨-૯૩ સુધી થયો હતો. જ્યારે ૨-જીની શરૂઆત ૧૯૯૧માં થઇ હતી. બાદમાં ૨૦૦૧માં ૩-જી અને ૪-જીની શરૂઆત થઇ હતી. જ્યારે વિશ્વમાં ૨૦૧૦માં જ ૫-જીની શરૂઆત થઇ ગઇ હતી, એટલે કે ભારતમાં આ સેવાનો પ્રારંભ થવામાં ૧૧ વર્ષ લાગ્યા.
5G નેટવર્કના ફાયદા
સ્પીડ : પ-જી ઇન્ટરનેટનો સૌથી મોટો ફાયદો તેની સ્પીડ છે, હાલ જે ૪-જીની સ્પીડ મળી રહી છે તે ૧૦૦એમબીપીએસ સુધીની હોય છે. ૫-જીમાં તે ૧૦ ગણી વધી જશે. હાલ લો બેંડ ૫-જી ઉપલબ્ધ કરાશે જેની સ્પીડ ૧થી ૨જીબીપીએસ સુધીની રહેશે. ૧૦થી ૨૦ સેકંડમાં બે જીબી સુધીની ફિલ્મ ડાઉનલોડ થઇ શકશે.
કવરેજ : ૪-G નેટવર્ક હાલ મોટા ભાગના વિસ્તારોમાં ઉપલબ્ધ છે જોકે તેમ છતા અંતરિયાળ વિસ્તારોમાં હજુ તેનો લાભ નથી પહોંચ્યો, ૫-જીના માધ્યમથી ટેલીકોમ કંપનીઓને નેટવર્ક રેંજ વધારવામાં મદદરુપ થઇ શકે છે.
4કે વીડિયો કોલ : હાલ જેટલી સ્પીડ છે તેના કરતા ૧૦ગણો વધારો થશે જેનાથી યૂઝર્સ હાઇ ક્વોલિટી, અલ્ટ્રા હાઇ રિઝોલ્યૂશન અને ૪કે વીડિયો કોલ્સ કરી શકાશે. વધારે સારી કનેક્ટિવિટી અને કોલિંગ સુવિધા મળશે. એચડી ક્વોલિટીના ઓડિયો અને વીડિયો કોલિંગ કરી શકાશે. ઓનલાઇન ગેમિંગમાં ફાયદો થશે.
ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ ટેલિગ્રામે એક નવું ફીચર શરૂ કર્યું છે. નવા ફીચરથી હવે યુઝર્સ મેસેજિંગ એપથી જ ક્રિપ્ટો પેમેન્ટ પણ કરી શકશે.
આ નવી સર્વિસિસ સાથે યુઝર્સ અન્ય ટેલિગ્રામ યુઝર્સોને ટેલિગ્રામની જ ક્રિપ્ટોકરન્સી ટોનકોઇન-TONCOIN મોકલી શકે છે. આ માટે કોઈ ટ્રાન્ઝેક્શન ફી પણ નહિ ચૂકવવી પડે. આ ક્રિપ્ટો પેમેન્ટ સર્વિસિસ માટે કંપનીએ ઓપન નેટવર્ક (TON) બ્લોકચેન વિકસાવ્યું છે. આ ફીચર અંગે કંપનીએ કહ્યું કે આ સર્વિસ સાથે યુઝર્સને લાંબા વોલેટ એડ્રેસ આપવાની જરૂર નહીં પડે અને તેના કન્ફરમેશનની પણ રાહ જોવી પડશે નહીં.
લગભગ 55 કરોડ લોકો ટેલિગ્રામનો ઉપયોગ કરે છે.
કંપનીએ અગાઉ ક્રિપ્ટો ટોકન અને પેમેન્ટ સિસ્ટમ લાવવાની યોજના બનાવી હતી પરંતુ ઓસ્ટ્રેલિયા સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન (SEC) તરફથી કાનૂની પડકાર મળ્યા બાદ આ યોજના કોરણે મૂકવામાં આવી હતી.
ટેલિગ્રામ વર્ષ 2019મા SECના રડાર હેઠળ આવ્યું જ્યારે ટેલિગ્રામે પોતાનું ટોકન ડેવલપ કરવા માટે 1.7 અબજ ડોલરનું ભંડોળ એકત્ર કર્યું હતુ. SECએ તેને ગેરકાયદેસર ટોકન ઓફર ગણાવ્યું હતું. આ પછી ટેલિગ્રામે SECને દંડ આપીને રોકાણકારોને મૂડી પરત કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
ટ્વિટરે શેરધારકોને ટ્રાન્ઝેક્શનની ભલામણ કરવા બોર્ડ મીટિંગ બાદ સોમવારે Dated 25th April 2022, મોડી રાત્રે $44 બિલિયનના સોદાની જાહેરાત કરી હતી. ઈલોન મસ્કે ગયા અઠવાડિયે માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટરને $44 બિલિયનમાં ખરીદવાની ઓફર કરી હતી. મસ્કએ કહ્યું કે તે ટ્વિટર ખરીદવા માંગે છે કારણ કે તેને નથી લાગતું કે તે મુક્ત અભિવ્યક્તિના પ્લેટફોર્મ તરીકે તેની સંભવિતતા અનુસાર આગળ વધી રહ્યું છે. ટ્વીટર ખરીદવાની ઓફર કરી ત્યારથી જ મસ્ક કંપની પર આ ડીલ માટે દબાણ કરી રહ્યા હતા. વોલ સ્ટ્રીટ જર્નલના સમાચાર અનુસાર, ડીલને લઈને મસ્ક અને ટ્વિટર વચ્ચે બેઠક થઈ હતી. ત્યારથી નક્કી કરવામાં આવ્યું હતું કે ટ્વિટરે મસ્કની ઓફર સ્વીકારવાનું મન બનાવી લીધું છે.
ઈલોન મસ્કે પોતાના સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે ‘લોકશાહી સુદ્રઢ રીતે ચાલે તે માટે ફ્રી સ્પીચ એટલે કે વાણી સ્વાતંત્ર્યનું મહત્વ ખૂબ જ છે, અને ટ્વિટર તે ડિજિટલ ટાઉન સ્ક્વેર છે.’
ટ્વિટરને ખરીદવાની ડીલ ફાઈનલ થઈ રહી હોવાની અટકળો વચ્ચે ટેસ્લાના ચીફ ઈલોન મસ્કનું ટ્વિટ વધુને વધુ વાયરલ થઈ રહ્યું છે. આ ટ્વીટ બાદ વિદેશી મીડિયામાં અહેવાલ આવ્યા છે કે ટ્વિટર ખરીદવા પર અંતિમ મહોર લાગી ગઈ છે. તો ટ્વિટરે પણ પોતાના નિવેદનમાં આ દાવાની પુષ્ટી કરી છે.
વિશ્વના સૌથી ધનિક વ્યક્તિઓમાંના એક ટેસ્લાના માલિક ઈલોન મસ્કે આખરે ટ્વિટર ખરીદી લીધું છે. આ ડીલ અંગેની માહિતી કંપની દ્વારા આપવામાં આવી હતી. કંપનીએ કહ્યું કે આ ડીલ 44 બિલિયન યુએસ ડોલર એટલે કે લગભગ 3368 બિલિયન રુપિયામાં કરવામાં આવી છે. લોકપ્રિય સોશિયલ નેટવર્કિંગ સાઈટ ટ્વિટરને ખરીદવા માટે ઈલોન મસ્ક સાથેના સોદા વચ્ચે ટ્વિટરે કહ્યું કે એકવાર એક્વિઝિશન પ્રક્રિયા પૂર્ણ થઈ જાય તે પછી તે ખાનગી માલિકીની કંપની બની જશે. આ દરમિયાન ટેસ્લા ચીફનું એક ટ્વિટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. આ ટ્વીટ પછી નિષ્ણાતો માની રહ્યા છે કે બંને કંપનીઓ વચ્ચે ડીલ પૂર્ણ પણે થઈ ગઈ છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે દુનિયાના સૌથી ધનિક વ્યક્તિઓમાંના એક ઈલોન મસ્ક ટ્વિટર પર હવે કબ્જો ધરાવે છે.
અત્યાર સુધી ડોર્નિયરનો ઉપયોગ સેના માટે જ થતો હતો, ડોર્નિયર વિમાનની પ્રથમ કોમર્શિયલ ફલાઇટ આસામના ડિબૂ્રગઢથી અરૃણાચલના પાસીઘાટની વચ્ચે સંચાલિત થશે
કેન્દ્ર સરકારના નિયંત્રણવાળી ક્ષેત્રીય એરલાઇન્સ અલાયન્સ એર દેશમાં નિર્મિત ડોર્નિયર વિમાનનું પ્રથમ વખત કોર્મશિયલ ફલાઇટમાં ઉપયોગ કરવા જઇ રહી છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે તા.11મી એપ્રિલ 2022ના રોજ જણાવ્યું હતું કે ડોર્નિયર ૨૨૮ વિમાનનો ઉપયોગ ડિબ્રુગઢથી પાસીઘાટની વચ્ચે તા.12મી એપ્રિલ 2022થી કમર્શિયલ ફલાઇટ માટે કરવામાં આવશે. ભારતમાં બનેલા ડોર્નિયર પ્લેનનો સૌથી પહેલી વખત નાગરીક ઉડ્ડયન માટે ઉપયોગ શરૂ કરવામાં આવી રહ્યો છે.
અલાયન્સ એરને આ ડોર્નિયર વિમાન ગયા સપ્તાહમાં જ હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (એચએએલ) પાસેથી મળ્યું છે. ઉલ્લેખનીય છે કે અલાયન્સ એરે ૧૭ સીટોવાળા બે ડોર્નિયર ૨૨૮ વિમાનોને લીઝ પર લેવા માટે ફેબ્રુઆરી 2022માં એચએએલ સાથે સમજૂતી કરી હતી.
એરલાઇન્સે જણાવ્યું હતું કે આ ડોર્નિયર વિમાનની પ્રથમ કોમર્શિયલ ફલાઇટ આસામના ડિબૂ્રગઢથી અરૃણાચલ પ્રદેશના પાસીઘાટની વચ્ચે મંગળવારે સંચાલિત કરવામાં આવશે.
દેશમાં જ નિર્મિત કોઇ વિમાનનો કોમર્શિયલ ફલાઇટ તરીકે ઉપયોગ કરવાની આ પ્રથમ ઘટના હશે.અત્યાર સુધી ડોર્નિયર ૨૨૮ વિમાનનો ઉપયોગ ફક્ત સૈન્ય ઉદ્દેશ માટે કરવામાં આવે છે. આ ફલાઇટના ઉદ્ઘાટન સમયે ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયા, અરૃણાચલ પ્રદેશના મુખ્યપ્રધાન પેમા ખાંડુ, આસામના મુખ્યપ્રધાન હિમાંત બિશ્વા શર્મા હાજર રહેશે.
પર્મેનેન્ટ એકાઉન્ટ નંબર (પેન) અને આધાર વચ્ચે ૩૧મી માર્ચ ૨૦૨૨ સુધીમાં લિન્ક કરવામાં નહીં આવે તો ૧૦૦૦ રૂપિયા દંડ થશે, તેવું આવકવેરા વિભાગે બુધવારે જણાવ્યું હતું. ધ સેન્ટ્રલ બોર્ડ ઑફ ડિરેક્ટ ટેક્સિસે (સીબીડીટી) પેન અને આધારને લિન્ક કરવા માટેની અંતિમ તારીખ ઘણીવાર લંબાવી છે. જેમના પેન કાર્ડ આધાર સાથે લિન્ક કરવામાં આવ્યા ન હોય તેમના પેન કાર્ડ ૩૧મી માર્ચ ૨૦૨૩ પછી રદ થઇ જશે. પેન અને આધાર ૩૦ જૂન, ૨૦૨૨ સુધીમાં લિન્ક કરવામાં આવશે. તેમને ૫૦૦ રૂપિયાની લેટ ફી લાગશે અને તે પછી લિન્ક કરાવનારાઓ માટે ૧૦૦૦ રૂપિયા સુધીમો દંડ થશે. સીબીડીટીએ બુધવારે એક પરિપત્ર બહાર પાડી આ બાબતમાં જાણકારી આપી હતી. ૩૧ માર્ચ, ૨૦૨૩ સુધી આધાર-પેન લિન્કીંગ ઓથોરિટી સમક્ષ કરદાતા આધારની માહિતી રજુ કરી શકશે. આવા કરદાતાઓએ લેટ ફી આપવાની રહેશે. સીબીડીટીએ વધુમાં કહ્યું હતું કે ‘૩૧મી માર્ચ, ૨૦૨૩ સુધી કરદાતાઓએ આધારની માહિતી રજુ ન કરી હોય તો ઇન્કમ ટેક્સ રિર્ટન ભરવા અથવા રિફંડ પ્રક્રિયા માટે જુનો પેનકાર્ડ કાર્યરત રહેશે. ૩૧મી માર્ચ, ૨૦૨૩ પછી આવા કરદાતાઓના પેન રદ થઇ જશે અને તેમણે પેન રજુ નહીં કરવાના કાયદા હેઠળ જે હોય તે પરિણામ ભોગવવા પડશે,’ તેવું સીબીડીટીએ કહ્યું હતું.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.