આવકવેરા વિભાગે સોમવારે ઇ-એસેસમેન્ટ સ્કીમ લોન્ચ કરી હતી જેમાં કરદાતા અને તેના એસેસિંગ ઑફિસર વચ્ચે કોઇ કડી રહેશે નહીં. રેવેન્યુ સેક્રેટરી અજય ભૂષણ પાંડેએ નેશનલ ઇ-એસેસમેન્ટ સેન્ટર (એનઇએસઇ) લોન્ચ કર્યું હતું અને શરૂઆતમાં નવી સ્કીમ હેઠળ ૫૮,૩૨૨ કેસની પસંદગી કરવામાં આવી હતી.

આ યોજનાના અમલ માટે આઇટી વિભાગના ૨,૬૮૬ અધિકારીઓને નિમવામાં આવ્યા છે. એસેસમેન્ટ વર્ષ ૨૦૧૮-૧૯ માટે ઇ-નોટિસો મોકલી આપવામાં આવી છે. કરદાતાઓને તેમના નોંધાયેલા ઇ-ફાઇલિંગ એકાઉન્ટ અને ઇમેઇલ ચેક કરવાની સૂચના આપવામાં આવી છે અને ૧૫ દિવસમાં જવાબ આપવા જણાવવામાં આવ્યું છે. પાંડેએ પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે, સ્ક્રુટિની માટે જેમનો પણ કેસ પસંદ કરવામાં આવ્યો હોય તેઓ બધા ડૉક્યુમેન્ટ્સ ઓનલાઇન ફાઇલ કરી શકશે જે તે કેસના એસેસમેન્ટ અધિકારી પણ ડ્રો કરીને પસંદ કરવામાં આવશે. આમાં એસેસમેન્ટ અધિકારી અને કરદાતા વચ્ચે કોઇ સંપર્ક ન હોવાથી ફેસલેસ એસેસમેન્ટ સ્કીમ કહેવામાં આવે છે અને નાણાં પ્રધાન સીતારામને જુલાઇમાં પોતાના બજેટ પ્રવચનમાં આ અંગેની જાહેરાત કરી હતી.તેમણે તે વખતે કહ્યું હતું કે વર્તમાન પ્રણાલિમાં કરદાતા અને આવકવેરા અધિકારી વચ્ચે સંપર્ક થતો હોવાથી કેટલીક અનિચ્છનીય પ્રવૃત્તિ થવાની સંભાવના છે. આવી પ્રવૃત્તિ નિવારવા ફેસલેસ એસેસમેન્ટ સ્કીમ તબક્કાવાર દાખલ કરવામાં આવશે.
























