CIA ALERT

ટ્રેન્ડિંગ Archives - Page 16 of 44 - CIA Live

March 26, 2022
medicine-1.jpg
1min450

આગામી નવા હિસાબી વર્ષના આરંભથી જ એટલે કે એપ્રિલ મહિનાથી અમલમાં આવે એ રીતે જુદી જુદી 800થી વધારે જીવન જરૂરી દવાઓના ભાવમાં 5થી 10 ટકા સુધીનો વધારો કરવાના સત્તાવાર સંકેતો મળ્યા છે. જે દવાઓના ભાવ વધવાના છે તેમાં તાવ, હૃદય રોગ, હાઈ બ્લડ પ્રેશર, ચામડીના રોગ તેમજ એનીમિયાની સારવારમાં ઉપયોગમાં લેવાતી દવાઓ પણ સામેલ છે.

NPPA દ્વારા શિડ્યુલ ડ્રગ્સ માટે કિંમતોમાં 10.7 ટકા સુધીના વધારાને મંજૂરી આપવામાં આવી છે.

એપ્રિલ 2022થી જ પેઈન કિલર અને એન્ટી બાયોટિક જેમ કે પેરાસિટામોલ, મેટ્રોનિડાઝોલ જેવી જરૂરી દવાઓ મોંઘી થઈ જશે. કેન્દ્ર સરકારે શિડ્યુલ ડ્રગ્સની કિંમતોમાં વધારાને મંજૂરી આપી દીધી છે. નેશનલ ફાર્મા પ્રાઈસિંગ ઓથોરિટીના જણાવ્યા અનુસાર, આ દવાઓના ભાવ WPI ના આધારે નક્કી કરવામાં આવ્યા છે. શિડ્યુલ ડ્રગ્સમાં જરૂરી દવાઓનો સમાવેશ થાય છે અને તેની કિંમતો પર નિયંત્રણ હોય છે. આ પ્રકારની દવાઓના ભાવ મંજૂરી વગર વધારી શકાતા નથી. જે દવાઓના ભાવ વધવાના છે તેમાં કોરોનાના મધ્યમથી લઈને ગંભીર લક્ષણો વાળા દર્દીઓની સારવારમાં ઉપયોગમાં લેવામાં આવતી દવાઓ પણ સામેલ છે.

સિરપ અને ઓરલ ડ્રોપ સાથે અનેક અન્ય દવાઓ અને મેડિકલ એપ્લિકેશનમાં ઉપયોગમાં લેવાતા ગ્લિસરિનના ભાવ 263 ટકા અને પોપીલન ગ્લાઈકોલની કિંમત 83 ટકા વધી ગઈ છે. ઈન્ટરમીડિએટ્સના ભાવ 11 ટકાથી 175 ટકા સુધી વધી ગયા છે. ખર્ચમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખઈને ગત વર્ષે 2021ના અંતમાં ફાર્મા ઈન્ડસ્ટ્રી દ્વારા કેન્દ્ર સરકારને દવાઓના ભાવ વધારવાનો આગ્રહ કરવામાં આવ્યો હતો.

March 26, 2022
IPL_2022.jpg
1min587

૨૦૧૧માં આઇપીએલની શરૂઆત થયા બાદ પ્રથમ વાર એવું બનશે જ્યારે ૧૦ ટીમો  ટી-૨૦ સ્પર્ઘા માટે મેદાનમાં ઉતરશે. દર વખતની આઠ ટીમોમાં આ વખતે લખનઊ સુપર જાયન્ટ્સ અને ગુજરાત ટાઇટન્સનો ઉમેરો થશે. ૧.૭ અબજ યુએસ ડૉલરનો નાણાકીય વ્યવહાર ધરાવતી આ ટુર્નામેન્ટ હવે ખરા અર્થમાં ગ્લોબલ બની ગઇ છે. 

કોવિડને કારણે સર્જાયેલ પરિસ્થિતિ બે વર્ષે કાબુમાં આવતા હવે સ્ટેડિયમોમાં પ્રેક્ષકોના કલબલાટ વચ્ચે મૅચો રમવાનો આનંદ જ કંઇ ઓર હશે. જોકે, સાવચેતીના પગલારૂપે સ્ટેડિયમની ક્ષમતા હોય તેના ૨૫ ટકાને જ તેમાં પ્રવેશ મળશે. નવી ટીમના આગમન સાથે અગાઉ ૬૦ મૅચો રમાતી હતી એમાં ઉમેરો થઇને હવે ૭૪ મૅચો રમાશે. પૂરા બે મહિના આ મૅચો રમાતી રહેશે. 

ગયા વર્ષે કોવિડ-૧૯ના કારણે મૅચો પડતી મૂકવી પડી હતી અને ચાર મહિના બાદ યુએઇમાં જઇને 
પૂર્ણ કરવી પડી હતી તેવું આ વખતે નહીં થાય. બધી મૅચો મહારાષ્ટ્રના ચાર ગ્રાઉન્ડોમાં જ રમાશે. આ ગ્રાઉન્ડ્સમાં મુંબઇના ત્રણ અને પુણેના એક ગ્રાઉન્ડ્સનો સમાવેશ થાય છે. આમ કરવાથી લાંબી હવાઇ યાત્રાઓ ટાળી શકાશે. રોહિત શર્માની કૅપ્ટેન્સી હેઠળ મુંબઇ ઇન્ડિયન્સ માટે વર્ષોથી આ બધા ગ્રાઉન્ડ્સ હોમપીચ સમાન છે તો શું તેમને તેનો માનસિક લાભ મળશે તેવી વાત પણ ચર્ચાઇ રહી છે. 

આઇપીએલ બાદ ઑસ્ટ્રેલિયામાં વર્લ્ડકપ રમાવાનો હોવાથી ઘણા ભારતીય ખેલાડીઓનું ભાગ્ય પણ આ ટુર્નામેન્ટ દરમ્યાન ઘડાશે. 

ભારતીય ટીમને અત્યાર સુધી મળેલા અવ્વલ ખેલાડીઓમાંના એક અને વિકેટકીપર કમ બૅટ્સમેન મહેન્દ્રસિંહ ધોની આ વખતે માત્ર ખેલાડીની રૂએ રમશે. ચેન્નઇ સુપર કિંગ્સની કૅપ્ટન્સી રવીન્દ્ર જાડેજાને સોંપાઇ છે જે ધોનીના માર્ગદર્શન હેઠળ સુકાની તરીકે ઘડાશે. ઉલ્લેખનીય છે કે ૧૫ ઑગસ્ટ ૨૦૨૦ના દિવસે ૪૦ વર્ષીય ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી. આ ટુર્નામેન્ટ તેના માટે ફેરવેલ ટુર્નામેન્ટ બની રહે તો નવાઇ નહીં. 
ઐયર, કે. એલ. રાહુલ અને હાર્દિક પંડ્યાને કપ્તાન તરીકે કાબેલિયત બતાવવાની તક 

દિલ્હી કેપિટલ્સને પ્રથમ વાર ફાઇનલમાં લઇ જનાર ઐયરને ખભામાં ઇજા થયા પછી બાજુ પર મૂકી દેવાયો હતો. તેણે ફરી ઑક્શનમાં જવાનું નક્કી કરતાં તેને કોલકતા નાઇટ રાઇડર્સ દ્વારા ખરીદી લેવાયો હતો. તાજેતરમાં તેણે ટીમ ઇન્ડિયા વતી રમીને સારું પ્રદર્શન કર્યું છે. 

ટીમ ઇન્ડિયામાં  ઐયરનો સાથીદાર રહી ચૂકેલા હાર્દિક પંડ્યા ઘૂંટણની ઇજાને કારણે નિયમિત રીતે બૉલિંગ કરી શકતો ન હતો જેને લીધે ટીમમાંથી સ્થાન ગુમાવવું પડ્યું હતું, પરંતુ હવે સૌપ્રથમ વાર મેદાનમાં ઉતરનાર ‘ગુજરાત ટાઇટન્સ’ના સુકાનીપદે રહીને તેણે પોતાને સાબિત કરવો પડશે. 

ગુજરાત ટાઇટન્સની જેમ લખનઊ સુપર જાયન્ટ્સ પણ પ્રથમવાર મેદાનમાં ઊતરશે જેનું સુકાનીપદ કે. એલ. રાહુલ સંભાળશે જોઇએ તે કેવું કાઠું કાઢે છે.

March 25, 2022
yogi.jpg
1min385

યોગી આદિત્યનાથ ગુરુવારે કેન્દ્રના ગૃહ પ્રધાન અમિત શાહ તથા ભાજપના ટેકેદાર પક્ષોના નેતાઓની હાજરીમાં સર્વાનુમતે ઉત્તર પ્રદેશમાં ભાજપ વિધાનસભા પક્ષના નેતાપદે ચૂંટાયા હતા. લખનઊના લોકભવનમાં ભાજપ વિધાનસભા પક્ષની બેઠકમાં મુખ્ય પ્રધાનપદે આદિત્યનાથની બીજી ટર્મ નિશ્ર્ચિત બન્યા પછી ભાજપના કેન્દ્રીય નિરીક્ષક રઘુબર દાસ, નિષાદ પાર્ટીના નેતા સંજય નિષાદ અને અપના દલ (એસ)ના નેતા આશિષ પટેલે સરકારને સમર્થનના પત્રો રાજ્યપાલ આનંદીબેન પટેલને સુપરત કર્યા હતા. ત્યાર પછી યોગી આદિત્યનાથ પણ રાજ્યપાલને મળ્યા હતા. હવે ભાજપના સ્ટાર પરફોર્મર નેતા યોગી આદિત્યનાથ શુક્રવારે અટલ બિહારી વાજપાયી સ્ટેડિયમમાં બીજી ટર્મ માટે મુખ્ય પ્રધાનપદના શપથ લેશે. 

ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં બીજી વખત વધુ ભવ્યતાથી વિજય પ્રાપ્ત કરનારા ભાજપના સ્ટાર પરફોર્મર નેતા યોગી આદિત્યનાથ શુક્રવારે બીજી ટર્મ માટે મુખ્ય પ્રધાનપદના શપથ લેશે. શુક્રવારના સમારંભ માટે લખનઊના અટલ બિહારી વાજપેયી ક્રિકેટ સ્ટેડિયમની સુંદર અને ભવ્ય સજાવટ કરવામાં આવી છે. રોશનીની ઝાકઝમાળના આયોજન સાથેના સ્ટેડિયમ તરફ જતા માર્ગ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ અને મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથના મોટા કટ આઉટ્સ ગોઠવવામાં આવ્યા છે. ૫૦,૦૦૦ લોકોના સમાવેશની ક્ષમતા ધરાવતા સ્ટેડિયમમાં વિવિધ રાજ્યોના ભાજપના કાર્યકરોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. ત્રિ-સ્તરીય સુરક્ષા માટે રાજ્યના પોલીસ દળના ૮૦૦૦ જવાનો ઉપરાંત પ્રોવિન્શિયલ આર્મ્ડ કૉન્સ્ટેબ્યુલરી (પીએસી), સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (એસટીએફ) અને એન્ટિ-ટેરરિસ્ટ સ્કવૉડના જવાનોને પણ ગોઠવવામાં આવ્યા છે. 

શપથવિધિમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ, ભાજપશાસિત રાજ્યોના મુખ્ય પ્રધાનો અને ભાજપના ટોચના નેતાઓ ઉપરાંત અગ્રણી સાધુ-સંતો અને ઉદ્યોગપતિઓ હાજર રહેશે. આ સમારંભ માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચૅરમૅન મુકેશ અંબાણી સહિત વેપાર-ઉદ્યોગ ક્ષેત્રના ૬૦ મહારથીઓને આમંત્રણો આપવામાં આવ્યા છે. તે ઉપરાંત મુખ્ય પ્રધાને અયોધ્યા, મથુરા અને વારાણસીના ધાર્મિક મહાનુભાવો સહિત ૫૦થી વધારે સાધુ-સંતોને વ્યક્તિગત રીતે આમંત્રણો મોકલ્યા છે.

યોગગુરુ બાબા રામદેવ, અભિનેતા અનુપમ ખેર અને ફિલ્મ ‘કાશ્મીર ફાઇલ્સ’ના દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રીને પણ આમંત્રણો આપવામાં આવ્યા છે. સમાજવાદી પક્ષના પ્રમુખ અખિલેશ યાદવ અને તેમના સાથી રાષ્ટ્રીય લોકદળના પ્રમુખ જયંત ચૌધરીએ યોગી આદિત્યનાથ સરકારના શપથવિધિમાં સામેલ નહીં થવાનો નિર્ણય જાહેર કર્યો છે.

March 24, 2022
jadeja.jpg
1min370

ચેન્નઈ સુપર કિંગ્સે 14 વર્ષમાં પહેલી વાર કેપ્ટન બદલ્યો છે. મહેન્દ્ર સિંહ ધોનીએ ચેન્નઈ સુપર કિંગ્સની કેપ્ટનશિપ છોડી દીધી છે. હવે તેના સ્થાને રવીન્દ્ર જાડેજા ટીમનું નેતૃત્વ કરતો જોવા મળશે. જાડેજા 2012થી ચેન્નઈ સુપર કિંગ્સ ટીમનો ભાગ છે. માહીની કેપ્ટનશિપમાં ચેન્નઈએ 4 વખત આઈપીએલનો ખિતાબ પણ જીત્યો છે. જ્યારે આ વખતે ચેન્નઈની ટીમે જાડેજા અને ધોની સહિત 4 ખેલાડીઓને રિટેન કર્યા હતા.

જાડેજાને ફ્રેન્ચાઇઝીએ રૂ. 16 કરોડમાં રિટેન કરીને જાણે એવો સંકેત પણ આપ્યો હતો કે ધોનીના સ્થાને તે કેપ્ટન હોઈ શકે છે. તો બીજી બાજુ ધોનીને આ સિઝન માટે રૂ. 12 કરોડ મળ્યા હતા. જોકે અગાઉ પણ એવી અટકળો હતી કે જાડેજાને કેપ્ટન બનાવવામાં આવી શકે છે. તેના સિવાય મોઈન અલીને 8 કરોડ અને ઋતુરાજ ગાયકવાડને 6 કરોડમાં રિટેન કરવામાં આવ્યો હતો.

March 24, 2022
corona_restrictions.png
1min552

કોરોના ઇન્ફેક્શનના નવા દરદીઓની સંખ્યામાં નહીંવત્ સંખ્યા અને ઘટતા જતા કેસને ધ્યાનમાં રાખતાં કેન્દ્રના ગૃહ મંત્રાલયે કોવિડ નિયંત્રણ માટેના તમામ નિયમો અને નિયંત્રણો પર પૂર્ણવિરામ મૂક્યું છે. ફક્ત સાર્વજનિક સ્થળે ફેસ માસ્ક પહેરવાનું અને ફિઝિકલ ડિસ્ટન્સિંગ જાળવવાનું ચાલુ રાખવાનું રહેશે. વર્ષ ૨૦૨૦ના માર્ચ મહિનામાં રોગચાળો ફેલાતાં લૉકડાઉન અને કોવિડ એપ્રોપ્રિયેટ બિહેવિયરના જે નિયમો તથા સાર્વજનિક નિયંત્રણો જાહેર કરવામાં આવ્યા હતા, એ હટાવવામાં આવ્યા છે. આ બાબતનો પત્ર રાજ્યોના મુખ્ય સચિવોને મોકલવામાં આવ્યો છે. 

કોવિડ સંબંધી નિયંત્રણો રદ કરવાની જાહેરાત કરતા કેન્દ્ર સરકારના ગૃહ સચિવ અજય ભલ્લાએ જણાવ્યું હતું કે છેલ્લા ૨૪ મહિનામાં રોગચાળા પર નિયંત્રણ માટે નોંધપાત્ર પ્રમાણમાં ક્ષમતા કેળવી શકાઈ છે. ડાયાગ્નોસ્ટિક્સ, સર્વેલન્સ, કૉન્ટૅક્ટ ટ્રેસિંગ, ટ્રીટમેન્ટ, વૅક્સિનેશન, 

હૉસ્પિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વગેરે બાબતોની સક્ષમતાને કારણે શક્તિ અને આક્રમકતાથી  રોગચાળાનો પ્રતિકાર કરી શકાયો હતો. હવે આ બીમારી વિશે લોકોમાં જાણકારી પણ વ્યાપક રીતે ફેલાઈ છે. રોગચાળા સંબંધી પરિસ્થિતિમાં એકંદરે સુધારો તેમજ રોગચાળાના પ્રતિકારની સરકારી તંત્રની સજ્જતા ધ્યાનમાં લેતાં નેશનલ ડિઝાસટર મૅનેજમેન્ટ ઑથોરિટીએ કોવિડ નિયંત્રણ માટે ડિઝાસ્ટર મૅનેજમેન્ટ ઍક્ટની જોગવાઈઓનો અમલ ૩૧ માર્ચથી અમલમાં આવે એ રીતે રદ કરવામાં આવ્યો છે. કોવિડ નિયંત્રણ બાબતે હવે ગૃહ મંત્રાલય નવો હુકમ બહાર નહીં પાડે.

છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના નવા વધુ ૧૭૭૮ કેસ નોંધાયા હતા. આ સાથે જ દેશમાં કોરોનાના કેસની સંખ્યાનો કુલ આંક વધીને ૪,૩૦,૧૨,૭૪૯ થઈ ગયો હતો.  ૨૪ કલાકમાં દેશમાં કોરોનાને કારણે વધુ ૬૨ જણનાં મોત થયાં હતાં. આ સાથે જ દેશમાં કોરોનાને કારણે મૃત્યુ પામનારાંઓનો આંક વધીને ૫,૧૬,૬૦૫ થઈ ગયો હતો. દેશમાં કોરોનાનો રિકવરી રેટ ૯૮.૭૫ રહ્યો હતો. સાજા થનારા દર્દીઓની સંખ્યા વધીને ૪,૨૪,૭૩,૦૭૫ થઈ છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાની વૅક્સિનના ૧૮૧.૮૯ કરોડ કરતા પણ વધુ ડૉઝ આપી દેવામાં આવ્યા હોવાનું બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું.

કેન્દ્રે 23/3/22 સ્પષ્ટતા કરી હતી કે કોવિડ-૧૯ના દરદીઓમાં ઘટાડો થઇ રહ્યો હોવા છતાં ફેસ માસ્ક પહેરવાનું અને અવારનવાર હાથ ધોવાનું ચાલુ રાખવું પડશે.

કેન્દ્રના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે ફેસ માસ્ક પહેરવા અને હાથની સફાઇ રાખવા અગાઉ અપાયેલી સૂચનામાં કોઇ ફેરફાર નથી કરાયો. માસ્ક નહિ પહેરવાની છૂટ અપાઇ હોવાનું કહેતો મીડિયા અહેવાલ ખોટો છે.
કેન્દ્રના ગૃહ સચિવ અજય ભલ્લાએ બધા રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને લખેલા પત્રમાં સંબંધિત જાણકારી આપી હતી.

March 24, 2022
kovind.jpg
1min396

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ  બે દિવસના ગુજરાત પ્રવાસે છે. આજે ગુરુવાર, તા.24મી માર્ સવારે ૧૦ વાગ્યે ભારતીય વાયુસેનાના વિમાનમાં રાષ્ટ્રપતિ અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. એરપોર્ટ પર તેમનું રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત, મુખ્યપ્રધાન  ભૂપેન્દ્ર પટેલ અને અમદાવાદના મેયર કિરીટ પરમારે સ્વાગત કર્યું હતું. ત્યાંથી તેઓ ગાંધીનગર ખાતે રાજભવન જવા રવાના થયા છે. તેઓ ૧૧ વાગ્યે વિધાનસભામાં બજેટસત્રની બેઠકમાં વિધાનસભ્યોને સંબોધન કરશે. આજે તા.24મી માર્ચ 2022ની રાત રાજભવનમાં રોકાયા બાદ આવતી કાલે તા.25મી માર્ચે સવારે જામનગર જવા રવાના થશે.

આવતી કાલે રાષ્ટ્રપતિ INS વાલસુરામાં આયોજિત નૌસેનાના કાર્યક્રમમાં હાજરી આપશે. જ્યાં નૌસેનાના ૧૫૦ જવાનો ગાર્ડ ઑફ ઑનર આપશે. આ પ્રસંગે ચીફ ઑફ નેવલ સ્ટાફ એડમિરલ હરિકુમાર સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહેશે.

March 24, 2022
bank-strike.jpg
1min422

એક તરફ માર્ચ એન્ડિંગ, નાણાંકીય વર્ષ 2021-22નું અંતિમ સપ્તાહ અને તેમાં પણ બેંકોની હડતાળને કારણે સુરત સમેત સમગ્ર ગુજરાતમાં ધંધા-રોજગાર કરનારાઓ મોટી મુશ્કેલીમાં મૂકાય જાય તેવી સ્થિતિ છે. જાહેર ક્ષેત્રની બેંકોના કર્મચારીઓએ તા.28 અને 29મી માર્ચે જાહેર ક્ષેત્રની બેંકોના થઇ રહેલા ખાનગીકરણની વિરુદ્ધ હડતાળની જાહેરાત કરી છે. એ પહેલાના બે દિવસ તા.26મીએ ચોથો શનિવાર અને તા.27મીએ રવિવાર એમ બે રજાઓ છે. આમ, બેંકીંગ કામકાજ કુલ ચાર દિવસ બંધ રહેશે અને તેના કારણે હિસાબી વર્ષના અંતમાં અનેક લોકો મુશ્કેલીમાં મૂકાય એવી સ્થિતિ હોઇ, બેંકોએ ગ્રાહકોને સત્વરે તેમના ડિલિંગ્સ પૂર્ણ કરી દેવા માટે પણ સૂચવ્યું છે.

મહા ગુજરાત બેન્ક એમ્પ્લોઈઝ અસોસિએશન(MGBEA)ના સભ્યો દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે, સરકાર દ્વારા પ્રસ્તાવિત જાહેર ક્ષેત્રની બેન્કોના હિતમાં ન હોય તેવી નીતિઓનો વિરોધ કરવા માટે દેશભરમાં હડતાળ કરવામાં આવે છે. MGBEAના એક અનુમાન અનુસાર, બે દિવસ બેન્કો બંધ રહેવાને કારણે લગભગ 20,000 કરોડના ટ્રાન્ઝેક્શન પ્રભાવિત થઈ શકે છે.

નાણાંકીય વર્ષનો અંત એટલે કે 31મી માર્ચ સાવ નજીક છે. MGBEAના જનરલ સેક્રેટરી જનક રાવલ જણાવે છે કે, જાહેર ક્ષેત્રની બેન્કોનું ખાનગીકરણ કરવાના સરકારના આ ઈરાદા વિરુદ્ધ અમારો વિરોધ ચાલુ રહેશે. સરકારી બેન્કોના તંત્રને મજબૂત બનાવવાના પ્રયાસો કરવાના સ્થાને સરકાર લોકોના પૈસા ખાનગી કંપનીઓના હાથમાં આપવાની વાતો કરી રહી છે. આ સિવાય અમારા અસોસિએશન દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે કોન્ટ્રાક્ટ પર કામ કરી રહેલા કર્મચારીઓને કાયમી કર્મચારી તરીકે રાખવામાં આવે.

March 22, 2022
boieng_737-1280x720.jpg
1min534

ચીનમાં થયેલી દુર્ઘટનાને  પગલે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિયેશને ભારતીય વિમાની કંપનીઓનાં બોઇંગ ૭૩૭ વિમાનો પર ચાંપતી નજર રાખવા આદેશ આપ્યો છે. સ્પાઇસજેટ, વિસ્તારા અને ઍર ઇન્ડિયા એક્સપ્રેસ બોઇંગ ૭૩૭ વિમાનો ધરાવે છે. ડીજીસીએના વડા અરુણ કુમારે કહ્યું હતું કે વિમાનોની સુરક્ષા ગંભીર બાબત છે અને અમે સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. ચાઇના ઇસ્ટર્ન ઍરલાઇન્સ દ્વારા તમામ બોઇંગ ૭૩૭-૮૦૦ વિમાનોનું ઉડ્ડયન અટકાવી દીધું છે. બોઇંગ ૭૩૭ મેક્સ વિમાન બોઇંગ ૭૩૭-૮૦૦નું ઍડ્વાન્સ્ડ વર્ઝન છે અને બન્નેને ૭૩૭ સિરીઝમાં ગણવામાં આવે છે.

March 22, 2022
petrol-diesel-1.jpg
1min361

137 દિવસ પછી ફરી એકવાર પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો છે. મંગળવારથી પેટ્રોલની કિંમતમાં પ્રતિ લિટર 80 પૈસા અને ડીઝલની કિંમતમાં પણ પ્રતિ લિટર 80 પૈસાનો વધારો થયો છે. આ સાથે ગેસના સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો થયો છે. દિલ્હીમાં મંગળવારે પેટ્રોલની કિંમત 96.21 રૂપિયા પ્રતિ લીટર પહોંચી ગઈ છે, જ્યારે ડીઝલની કિંમત 87.47 રૂપિયા થઈ ગઈ છે.

ભાવમાં વધારો થતા Suratમાં પેટ્રોલનો ભાવ 95.93 પ્રતિ લિટર થઈ ગયો છે જ્યારે ડીઝલનો પ્રતિ લીટર ભાવ 89.96 રૂપિયા થઈ ગયો છે. પાછલા વર્ષે નવેમ્બરમાં પેટ્રોલના ભાવમાં વધારો થયા બાદ ભાવ સ્થિર છે. જોકે, પશ્ચિમ બંગાળ સહિત કેટલાક રાજ્યોમાં ચૂંટણી પછી સપ્ટેમ્બરના અંતિમ દિવસમાં જે વધારો શરુ થયો હતો તે દિવાળી સુધી યથાવત રહ્યો હતો. જે દરમિયાન પેટ્રોલમાં 8.15 રૂપિયા મોંઘું થયું હતું. જોકે, કેન્દ્ર સરકારે સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો હતો, જે બાદ રાજ્યો દ્વારા પણ તેમાં ઘટાડો કરવામાં આવતા પેટ્રોલના ભાવ 100ની અંદર આવ્યા હતા.

પાછલા વર્ષે 9.45 રૂપિયા મોંઘું થયું હતું ડીઝલ

પાછલા વર્ષે પેટ્રોલ કરતા ડીઝલના ભાવમાં વધારે તેજી જોવા મળી હતી. વ્યવસાયિક દ્રષ્ટિએ જોઈએ તો પેટ્રોલ કરતા ડીઝલ બનાવવું મોંઘું પડે છે. પરંતુ ભારતીય રિટેઈલ માર્કેટમાં પેટ્રોલ મોંઘું વેચાય છે અને ડીઝલ સસ્તું વેચાય છે. પાછલા વર્ષે 24 સપ્ટેમ્બરથી અહીં જે ડીઝલમાં આગ લાગવાની શરુ થઈ હતી, જે પછી એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો થતા ભાવ નીચા આવ્યા હતા. ડીઝલના ભાવમાં 24 સપ્ટેમ્બરથી દિવાળી સુધીમાં લગભગ 9.45 રૂપિયા મોંઘું થયું હતું.

પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો થવાની સાથે સરકારે LPG પ્રાઈઝમાં પણ વધારો કર્યો છે. સરકારે પ્રતિ સિલિન્ડર 50 રૂપિયાનો વધાારો કર્યો છે. હવે એક સિલિન્ડરની કિંમત 949.50 થઈ ગઈ છે. ઓક્ટોબર 2021 પછી 14.2 કિલો ઘરેલી વપરાશના સિલિન્ડર પર ભાવ વધ્યા છે.

5Kg LPG સિલિન્ડરે રૂપિયા 349 થયા છે અને 10Kg સિલિન્ડરના ભાવ 669 થયા છે. આ સિવાય 19Kg LPG સિલિન્ડરનો ભાવ 2000ને પાર કરીને 2003.50 થઈ ગયો છે.

March 21, 2022
patidar.jpg
1min376

2015માં રાજ્યમાં થયેલા પાટીદાર અનામત આંદોલન વખતે અમદાવાદમાં પોલીસ દ્વારા નોંંધવામાં આવેલા 10 કેસ પરત ખેંચી લેવાની રાજ્ય સરકારે જાહેરાત કરી છે. અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં નોંધાયેલા 2 કેસ ઉપરાંત, નરોડા, રામોલ, બાપુનગર, સાબરમતી, નવરંગપુરા, શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 1-1 કેસ અને ક્રાઈમ બ્રાંચમાં નોંધાયેલો એક કેસ પરત ખેંચી લેવાનું રાજ્ય સરકારે જાહેર કર્યું છે. 

હાર્દિક પટેલ સામે નોંધાયેલા બે કેસ પણ પરત ખેંચવાની તૈયારી ચાલી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, હાર્દિકે એક મહિના પહેલા ચેતવણી આપી હતી કે જો 23મી માર્ચ સુધીમાં સરકારે પાટીદારો સામેના કેસ પરત ના ખેંચ્યા તો આખા રાજ્યમાં આંદોલન શરુ કરવામાં આવશે.

હાર્દિક પટેલ સામે રાજદ્રોહ ઉપરાંત, જાહેરનામાનો ભંગ કરવા સહિતના કેસો નોંધાયેલા છે. વિસનગરમાં MLAની ઓફિસમાં તોડફોડ કરવાના કેસમાં નીચલી કોર્ટ તેમને સજા પણ ફટકારી ચૂકી છે, અને હાલ હાઈકોર્ટમાં આ મામલો પેન્ડિંગ છે. અમદાવાદના જે 10 કેસ પરત ખેંચવાની જાહેરાત કરાઈ છે, તેમાં આરોપીઓની સંખ્યા કેટલી છે તેની ચોક્કસ વિગતો બહાર નથી આવી શકી. આ કેસમાંથી સાત અમદાવાદની સેશન્સ કોર્ટમાં જ્યારે ત્રણ મેટ્રોપોલિટન કોર્ટમાં ચાલી રહ્યા હતા. રામોલ પોલીસ સ્ટેશનમાં હાર્દિક સામે નોંધાયેલા કેસને પાછો ખેંચવાનો હુકમ 15 એપ્રિલના રોજ કરવામાં આવશે.

પાટીદાર આંદોલન દરમિયાન અમદાવાદ, સુરત સહિતના શહેરોમાં વ્યાપક ભાંગફોડ તેમજ આગજનીની ઘટનાઓ બની હતી. વસ્ત્રાલમાં ટોળું તોફાની બનતાં પોલીસે ફાયરિંગ પણ કર્યું હતું, જેમાં પિતા-પુત્રના મોત નીપજતાં લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. આ ઉપરાંત, બાપુનગરમાં પણ થયેલી ધમાલ બાદ શ્વેતાંગ પટેલ નામના એક યુવકનું પોલીસ કસ્ટડીમાં મોત થયું હતું. રાજ્યના અલગ-અલગ હિસ્સામાં બનેલી ઘટનાઓમાં કુલ 14 પાટીદાર યુવકોના મોત થયા હતા. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસતા કેન્દ્રિય દળોને પણ બોલાવવા પડ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, 25 ઓગસ્ટ 2015ના રોજ અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં હાર્દિક પટેલે મોટી રેલીનું આયોજન કર્યું હતું, જેમાં લાખો પાટીદારો ઉમટી પડ્યા હતા. હાર્દિક પટેલે તે વખતે GMDC ગ્રાઉન્ડમાં જ ધરણા યોજવાની જાહેરાત કરતાં પોલીસે ટોળાંને વિખેરવા માટે જોરદાર લાઠીચાર્જ કર્યો હતો, અને હાર્દિકની અટકાયત કરી હતી. તે વખતે સમગ્ર રાજ્યમાં તોફાનો ફાટી નીકળ્યા હતા. રાજ્યમાં શાંતિ બહાલ કરવા માટે ખુદ પીએમ મોદીએ તે વખતે અપીલ કરી હતી. પાટીદાર આંદોલનને કાબૂમાં લેવામાં નિષ્ફળ ગયેલા તત્કાલિન સીએમ આનંદીબેન પટેલે થોડા સમયમાં જ પોતાની ખુરશી પણ ગુમાવવી પડી હતી, અને 2017માં થયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપનું પર્ફોમન્સ સૌથી ખરાબ રહ્યું હતું.