ભાજપના ચૂંટણી વોરમાંથી જોશી આઉટ, જયા ઇન
વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશીને ચૂંટણી નહીં લડવાનો સંદેશો આપી દેવાયો
ભારતીય જનતા પક્ષે તેના સ્થાપક સભ્ય અને પીઢ નેતા એલ. કે. અડવાણી બાદ અન્ય એક સિનિયર નેતા મુરલી મનોહર જોશીને આ વખતની લોકસભાની ચૂંટણી નહીં લડવા જણાવ્યું છે.
85 વર્ષીય મુરલી મનોહર જોશી ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ અને લોકસભાના સભ્ય છે. મુરલી મનોહર જોશીની ઓફિસે આ વાતને સમર્થન આપ્યું છે. જોશીએ કાનપુરના મતદારોને સંબોધતું એક ટૂંકું નિવેદન બહાર પાડ્યું છે. જોશી 2014માં કાનપુરની સિટ પરથી વિજયી થયા હતા. જોશી આ વખતની લોકસભાની ચૂંટણી નહીં લડે એવો પક્ષની નેતાગીરીનો નિર્ણય જણાવતો સંદેશો ભાજપના મહામંત્રી રામલાલે જોશીને જણાવ્યો હતો, એવું નિવેદનમાં જણાવ્યું છે. જોશીએ નિવેદનમાં સ્પષ્ટ જણાવ્યું
છે કે કાનપુરના મતદારો માટે કાનપુર કે અન્ય કોઈ મતક્ષેત્રમાંથી ચૂંટણી લડવી નહીં એવો ભાજપના મહામંત્રી રામલાલે મને સંદેશો પાઠવ્યો છે. તેમણે 2014માં વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે 2009માં પોતે જીતેલી વારાણસીની બેઠક ખાલી કરી આપી હતી.
ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી અને એલ. કે. અડવાણી સાથે બે દાયકાથી વધુ સમય માટે ભાજપની ઓળખ બની રહેલા મુરલી મનોહર જોશી ભાજપના આ નિર્ણય સામે સમાધાનપૂર્વકનું વલણ અપનાવે છે કે નહીં તે જોવાનું રહે છે.
પક્ષના ઘણા નેતાઓ ચૂંટણી લડવાથી દૂર રહ્યાં છે. અલબત્ત જેમને ટિકિટ અપાઈ નથી એવા કોઈ નેતા પક્ષની નેતાગીરીની આકરી ટીકા કરી નથી.
ભાજપના નેતાઓ એવું જણાવે છે કે પીઢ નેતાઓએ યુવાન નેતાઓ માટે માર્ગ મોકળો કરવો એવો પક્ષનો ‘સૈદ્ધાંતિક નિર્ણય’ છે.
ભાજપે અડવાણી ઉપરાંત શાંતાકુમાર, બી. સી. ખંદુરી, કારિયા મુન્ડા, કાલરાજ મિશ્રા, બિજોયા ચક્રવર્તી જેવા 80 વર્ષથી મોટી વયના નેતાઓને ટિકિટ આપી નથી.
જયાપ્રદાએ ભાજપમાં એન્ટ્રી
લોકપ્રિય અભિનેત્રી તથા પૂર્વ સાંસદ જયાપ્રદા મંગળવારે ભાજપમાં જોડાઈ ગયા છે. જયાપ્રદાએ રાજકીય કારકિર્દીની શરૂઆત એન.ટી. રામારાવના પક્ષ તેલુગુદેશમ દ્વારા કરી હતી. 1996માં જયાપ્રદા આંધ્રપ્રદેશના રાજ્યસભાના સભ્ય બન્યા હતા. તેલુગુદેશમમાં ચંદ્રાબાબુ સાથે વિખવાદ સર્જાતા જયાપ્રદા સમાજવાદી પક્ષમાં જોડાયા હતા. તેઓ 2004 તથા 2009માં રામપુર બેઠક પરથી વિજયી બન્યા હતા. 2019ની લોકસભાની ચૂંટણીમાં જયાપ્રદા
રામપુર બેઠક પર ભાજપા તરફથી ઉમેદવારી કરે તેવી સંભાવના જણાય છે. સમાજવાદી પક્ષ તરફથી રામપુર બેઠક પર પાર્ટીના સશક્ત નેતા આઝમખાન ઉમેદવારી કરશે. આઝમખાન અને જયાપ્રદા વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા વિખવાદને પરિણામે આઝમખાનને જયાના કટ્ટર પ્રતિસ્પર્ધી માનવામાં આવે છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કાર્યશૈલીથી પ્રભાવિત થઈ ભાજપમાં જોડાઈ રહ્યા હોવાનું જણાવતા જયાપ્રદાએ ભાજપ સાથેનું જોડાણ તેમના જીવનની મહત્ત્વની પળ ગણાવી હતી.
જયાપ્રદા સમાજવાદી પક્ષના અમરસિંહના અતિ નિકટની વિશ્ર્વાસુ વ્યક્તિ હોવાથી પક્ષના અમરસિંહના સમર્થનમાં ખૂલીને બહાર આવવા અમરસિંહ બાદ તેમની પણ 2010માં સમાજવાદી પક્ષમાંથી હકાલપટ્ટી કરવામાં આવી હતી. અમરસિંહ તથા જયાપ્રદાએ ભેગા મળી 2011માં રાષ્ટ્રીય લોકમંચની સ્થાપના કરી હતી. બાદમાં જયાપ્રદાએ રાષ્ટ્રીય લોકદળ તરફથી 2014ની ચૂંટણીમાં બિજનોરથી ઝંપલાવ્યું હતું. જેમાં તેમણે પરાજયનો સામનો કરવો પડ્યો હતો.
જયાપ્રદા ભાજપના વરિષ્ઠ નેતા ભૂપેન્દ્ર યાદવ અને અનિલ બલૂનીની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
