ઍર સ્ટ્રાઇક શંકા,લશ્કરનું અપમાન છે: મોદી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય હવાઇદળ દ્વારા પાકિસ્તાનના બાલાકોટમાંની ત્રાસવાદી છાવણીઓ પર કરાયેલા હુમલા અંગે શંકા વ્યક્ત કરનારા હરીફ રાજકીય પક્ષોના નેતાઓની આકરી ટીકા કરતા શુક્રવારે જણાવ્યું હતું કે ભારતે કરેલા હવાઇ હુમલા અંગે શંકા વ્યક્ત કરનારા લોકો આપણા લશ્કરનું અપમાન કરી રહ્યા છે. મોદીએ કૉંગ્રેસની વિદેશમાંની બાબતો સંભાળતા સામ પિત્રોડાની ટીકા કરતા ટ્વીટ કર્યું હતું કે મુંબઈ પરના ત્રાસવાદી હુમલા બાદ ભારત હવાઇ હુમલા કરી શક્યું હોત, પરંતુ હવે આ રીતે જવાબ આપવાનો સમય આવી ગયો છે.
મોદીએ જણાવ્યું હતું કે કૉંગ્રેસ પક્ષ પોતાના શાસનકાળમાં ત્રાસવાદી પરિબળોને જડબાતોડ જવાબ આપવાની અનિચ્છા ધરાવતો હતો, પરંતુ હવે ‘નવું ભારત’ છે અને અમે ત્રાસવાદીઓ જે ભાષામાં સમજે છે એમાં જવાબ આપવામાં માનીએ છીએ.
જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં કેન્દ્રીય અનામત પોલીસ દળના 40 જવાનને શહીદ કરનારો હુમલો ચૂંટણીમાં મત મેળવવા માટેનું ‘ષડ્યંત્ર’ ગણાવનારા સમાજવાદી પક્ષના નેતા રામ ગોપાલ યાદવની પણ મોદીએ આકરી ટીકા કરી હતી.
દરમિયાન, કેન્દ્રના પ્રધાન અરુણ જેટલીએ સામ પિત્રોડાની ભારતીય હવાઇદળના હુમલાને લગતી ટિપ્પણીને ‘કમનસીબ’ અને પાકિસ્તાન માટે ‘આશીર્વાદ’ સમાન ગણાવી હતી.
જેટલીએ જણાવ્યું હતું કે દુનિયામાં ભારત સિવાય કોઇપણ દેશ ત્રાસવાદીઓ અને દુશ્મનો પરની સર્જિકલ સ્ટ્રાઇકની ટીકા નથી કરતો.
સમાજવાદી પક્ષના વડા અખિલેશ યાદવે જણાવ્યું હતું કે દેશના સશસ્ત્ર દળોનાં બલિદાનની સામે ક્યારેય સવાલ ઉઠાવવો ન જોઇએ, પરંતુ કેન્દ્ર સરકારે પોતે જ ‘ભારતીય લશ્કર’ હોવાનો દેખાવ કરવો ન જોઇએ.
તેમણે જણાવ્યું હતું કે લોકશાહીમાં રાજકારણીઓને સવાલો કરવાનો જનતાનો મૂળભૂત અધિકાર છે.
ભારતીય જનતા પક્ષના પ્રમુખ અમિત શાહે જણાવ્યું હતું કે વિરોધ પક્ષોના નેતાઓના દિલ ત્રાસવાદીઓ માટે ધડકે છે, જ્યારે અમારું હૃદય ત્રિરંગા માટે ધબકે છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
