Brexit : EU માંથી બ્રિટન અલગ
બ્રિટનની યુરોપિયન યુનિયન (EU)માંથી નીકળવાની ઈચ્છા 4 વર્ષની મથામણ બાદ પૂરી થઈ છે. 31 જાન્યુઆરીએ રાત્રે 11 વાગ્યે (ગ્રીનવિચ મીન ટાઈમ) બ્રિટન યુરોપિયન યૂનિયનમાંથી અલગ થઈ ગયું. આ પહેલા EU સંસદે બ્રેગ્ઝિટ કરારને મંજૂરી આપી દીધી હતી. આ કરારને બ્રિટિશ પીએમ બોરિસ જોનસને 2019ના અંતે ઈયૂના 27 નેતાઓ સાથે વાતચીત કર્યા બાદ અંતિમ રૂપ આપ્યું હતું. બ્રિટને જૂન-2016માં થયેલા જનમત સંગ્રહમાં બ્રેગ્ઝિટને મંજૂરી આપી હતી.
બ્રિટનની યુરોપિયન યૂનિયનમાંથી બહાર થવાની પ્રક્રિયાને બ્રેગ્ઝિટ (Brexit) કહેવામાં આવે છે. ઈયૂમાં 28 યુરોપિયન દેશોની આર્થિક અને રાજકીય ભાગીદારી છે. બીજા વિશ્વ યુદ્ધ બાદ આર્થિક સહયોગ વધારવા માટે ઈયૂની રચના કરવામાં આવી હતી. એ વખતે એવો વિચાર હતો કે, જે દેશો સાથે વેપાર કરશે તે આંતરિક યુદ્ધથી બચી શકશે. ઈયૂનું ચલણી નાણું યૂરો છે જેનો ઉપયોગ 19 સભ્ય દેશો કરે છે. બ્રિટન 1973માં ઈયૂ સાથે જોડાયું હતું.
યુરોપિયન યૂનિયનમાં બ્રિટનનું ક્યારેય સાંભળવામાં આવતું નહોતું, ઊલટાનું બ્રિટનના લોકોની જિંદગી પર ઈયૂનું નિયંત્રણ વધારે હતું. ઈયૂએ વેપાર માટે બ્રિટન પર ઘણી શરતો લાદી હતી. બ્રિટનની રાજકીય પાર્ટીઓને લાગ્યું કે વર્ષની અરબો પાઉન્ડ સભ્ય ફી આપવા છતાં બ્રિટનને ખાસ ફાયદો થતો નથી. એટલે જ બ્રેક્ઝિટની માગ ઉઠી હતી. બ્રેગ્ઝિટથી બ્રિટિશ અર્થવ્યવસ્થાને દર વર્ષે 53 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થશે.
હાલમાં થયેલા એક સંશોધનમાં જણાવાયું છે કે, ઈયૂથી બહાર થયા બાદ બ્રિટનમાં વસ્તુઓ અને સુવિધાઓ પર ટેક્સ લાગશે. વસ્તુઓ અને સુવિધાઓ મોંઘી થતાં લોકોનો ખર્ચો વધશે. જેના કારણે આવક ઘટશે અને નાગરિકોનું 45 હજાર કરોડનું નુકસાન થશે. બ્રિટનના દરેક વ્યક્તિ પર 68 હજાર રૂપિયાનો બોજો પડશે. થોડા દિવસ પહેલા જ બ્લૂમબર્ગના રિપોર્ટમાં 2016-2020 સુધી 18.9 લાખ કરોડ રૂપિયા નુકસાનનું અનુમાન લગાવવામાં આવ્યું છે. હાલ નુકસાન 12 લાખ કરોડ રૂપિયા પર પહોંચ્યું છે.
બ્રિટન અલગ થવાથી યુરોપિયન યૂનિયનની અર્થવ્યવસ્થા પર પણ અસર થશે. હાલ વૈશ્વિક અર્થવ્યવસ્થામાં ઈયૂની ભાગીદારી 22 ટકા છે જે બ્રિટનની એક્ઝિટ બાદ 18 ટકા થઈ જશે. ઈયૂની વસ્તીમાં પણ 13 ટકા ઘટાડો આવશે. ઈયૂમાં જર્મનીનો જીડીપી 20 ટકાથી વધીને 25 ટકા અને ફ્રાંસનો જીડીપી 15થી વધીને 18 ટકા થશે. અમેરિકા પણ ફાયદામાં રહેશે. બ્રિટન ઈયૂની અર્થવ્યવસ્થામાં 1.50 લાખ કરોડ રૂપિયાનું યોગદાન આપે છે. ઈયૂ હવે બ્રિટનને કોઈ છૂટછાટ પણ નહીં આપે.
બ્રિટનમાં રોકાણ કરનારો ભારત ત્રીજો સૌથી મોટો દેશ છે. બ્રિટનમાં 800થી વધુ ભારતીય કંપનીઓ છે, જે 1.10 લાખ લોકોને રોજગારી આપે છે. બ્રિટિશના ચલણી નાણાં પાઉન્ડની કિંમત ઘટવાથી આ કંપનીઓના નફા પર અસર થશે. યુરોપે નવા નિયમ બનાવ્યા તો ભારતીય કંપનીઓએ નવા કરાર કરવા પડશે. જેના કારણે ખર્ચ વધશે અને અલગ-અલગ દેશોના નિયમ-કાયદાનો સામનો કરવો પડશે. બ્રિટન સાથે મુક્ત વેપાર કરાર (FTA) થઈ શકે છે. જેનાથી ભારતની નિકાસ વધી શકે છે. અગાઉ આ મામલે ઈયૂ સાથે સમજૂતી થઈ શકી નહોતી.
બ્રિટન સેન્ટ્રલ માર્કેટ છે. પોર્ટુગલ, ગ્રીસ જેવા ઘણા દેશો ત્યાં સામાન લેવા જાય છે. બ્રિટન સાથે FTA થવાથી ભારતને વિશાળ બજાર મળશે. જો કે, બ્રિટન 2020ના અંત સુધી ઈયૂની આર્થિક વ્યવસ્થામાં રહેશે પણ નીતિઓ મામલે કોઈ દખલ નહીં કરે અને ઈયૂનું સભ્ય પણ નહીં બને.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now