CIA ALERT

varachha bank Archives - CIA Live

August 18, 2025
varachha-bank_india.jpeg
1min94

વરાછા બેંક દ્વારા સભાસદો અને ખાતેદારોની ઉપસ્થિતિમાં ડેપ્યુટી જનરલ મેનેજરશ્રી સુરેશભાઈ કાકડીયા નાં હસ્તે ધ્વજારોહણ કરી આઝાદીના પર્વની ઉજવણી કરી

ગુજરાતની સહકારી બેંકોમાં અગ્રગણ્ય એવી ધી વરાછા કો-ઓપ. બેંક લિ., સુરત દ્વારા વહીવટી કચેરી “સહકાર ભવન” સરથાણા ખાતે દેશના આઝાદીના ૭૯માં સ્વતંત્રતા પર્વની ધ્વજ વંદન કરીને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. બેંકનાં ખાતેદારો,સભાસદો અને સમાજ અગ્રણીઓની સવિશેષ ઉપસ્થિતિમાં બેંકના ડેપ્યુટી જનરલ મેનેજરશ્રી સુરેશભાઈ કાકડીયા દ્વારા ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. આ રાષ્ટ્ર પર્વની ઉજવણીમાં બેંકના AGM શ્રી શૈલેષભાઈ ભૂત તેમજ AGM શ્રી બીપીનભાઈ ચોવટિયા અને કર્મચારીઓ પણ જોડાયા હતા.

બેંકનાં ચેરમેનશ્રી ભવાનભાઈ નવાપરા દ્વારા સ્વતંત્રતા દિવસની શુભેચ્છા સાથે રાષ્ટ્ર સંદેશ આપતા જણાવ્યું હતું કે, વર્તમાન સમયે ભારત તમામ ક્ષેત્રે દુનિયામાં પોતાની શક્તિનું પ્રદર્શન કરી રહ્યું છે એ સંરક્ષણ નો વિષય હોય કે અંતરિક્ષમાં હોય તમામ ક્ષેત્રમાં ભારતનો વિકાસ ખૂબ ઝડપ થી વધી રહ્યો છે. આ ગતિશીલ પ્રગતિનો મુખ્ય આધાર દેશની યુવા શક્તિ છે. આ યુવા ધન ડ્રગ્સ જેવા દુષણોથી દૂર રહી રાષ્ટ્રની પ્રગતિમાં સહભાગી થાય તેવી અભ્યર્થના સાથે શુભેચ્છા પાઠવી હતી.

બેંકના જનરલ મેનેજરશ્રી વિઠ્ઠલભાઈ ધાનાણી દ્વારા તમામ કર્મચારીઓને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

બેંક દ્વારા આયોજીત દેશભક્તિના આ કાર્યક્રમમાં બેંકનાં ડેપ્યુટી જનરલ મેનેજરશ્રી સુરેશભાઈ કાકડીયાએ તમામને મોં મીઠું કરાવી અને સુદ્રઢ રાષ્ટ્ર નિર્માણમાં તમામ લોકો સહભાગી બને તેવી શુભેચ્છા પાઠવી હતી. અંતે કાર્યક્રમની આભાર વિધિ કરતા બેંકના આસિસ્ટન્ટ જનરલ મેનેજરશ્રી શૈલેષભાઈ ભૂત દ્વારા ઉપસ્થિત તમામનો સહ્રદય આભાર માની દરેકના મનમાં રાષ્ટ્રપ્રેમની ભાવના અવિરત ઝળહળતી રહે તેવી શુભેચ્છા પાઠવી હતી.

September 19, 2024
varachha-bank-scoba-1280x851.jpeg
1min239

ગુજરાતની પ્રગતિશીલ સહકારી બેંકોમાં અગ્રણ્ય બેંક એવી ધી વરાછા કો-ઓપરેટિવ બેંક લિ., સુરતને દક્ષિણ ગુજરાતની વેરી લાર્જ કેટેગરી ની બેન્કોમાં કુલ ત્રણ એવોર્ડ મળેલ છે. વર્ષ 2023-24 માટે “ફાઇનાન્સિયલ સ્ટેબિલિટી” તેમજ “પબ્લિક રિલેશન અને સોશિયલ એક્ટિવિટી” માં શ્રેષ્ઠ બેંક તરીકે વરાછા બેંકને સન્માનિત કરવામાં આવી છે. જ્યારે “પ્રોફેટીબીલીટી મેનેજમેન્ટ” માટે રનર્સ અપ એવોર્ડ સહિત કુલ ત્રણ એવોર્ડ પ્રાપ્ત થયા છે. તા. 17/09/2024 ના રોજ પંજાબ રાજ્યના અમૃતસર શહેર ખાતે દક્ષિણ ગુજરાત અર્બન કો-ઓપ. બેંક એસોસિએશન લિ. (સ્કોબા) તરફથી સ્કોબા પ્રાઇડ એવોર્ડ અર્પણ સમારોહ યોજવામાં આવ્યો હતો.

નેશનલ ફેડરેશન ઓફ કો-ઓપરેટિવ બેંકસ્ એન્ડ ક્રેડિટ સોસાયટી (નાફકબ), દિલ્હીના ચેરમેનશ્રી લક્ષ્મીદાસની ઉપસ્થિતિમાં એવોર્ડ સમારોહનું આયોજન થયું હતું. દક્ષિણ ગુજરાતની તમામ અર્બન કો-ઓપ. બેંકો વચ્ચે જુદી જુદી કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવ્યા હતા. તેમાં રાજ્યની પાંચમા ક્રમની અર્બન કો-ઓપ બેંક એવી વરાછા બેંકને ત્રણ ત્રણ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવી છે. વરાછા બેંક 29 વર્ષમાં 26 શાખાઓ સાથે રૂ|. 5000 કરોડથી વધુનો બિઝનેસ ધરાવે છે. જે સહકારી ક્ષેત્ર માટે ખૂબ ગૌરવની વાત છે.

આ પ્રસંગે સુરત જિલ્લા સહકારી સંઘના પ્રમુખ ભીખુભાઈ પટેલ સહિત દક્ષિણ ગુજરાતના 150 થી વધુ સહકારી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સમારોહમાં વરાછા બેંકના ચેરમેનશ્રી ભવાનભાઈ નવાપરા તેમજ બોર્ડ ઓફ મેનેજમેન્ટના ચેરમેનશ્રી કાનજીભાઈ ભાલાળા ઉપસ્થિત રહી નાફકબના ચેરમેનશ્રી લક્ષ્મીદાસના વરદ હસ્તે એવોર્ડ સ્વીકાર્યા હતા.

આ પ્રસંગે સકોબાના વાઈસ પ્રેસિડન્ટ શ્રી કાનજીભાઈ ભાલાળાએ દક્ષિણ ગુજરાતની સહકારી બેંકોના વિકાસને બીરદાવ્યો હતો અને વર્તમાન સમયમાં ટેકનોલોજી અને વ્યવસાયિક અભિગમ સાથે આગળ વધવાની જરૂરિયાત જણાવી હતી. સ્કોબાના પ્રેસિડન્ટશ્રી ગૌતમભાઈ વ્યાસ, વાઈસ પ્રેસિડન્ટશ્રી દેવાંગભાઈ ચોકસી અને પાસ્ટ પ્રેસિડેન્ટશ્રી મુકેશભાઈ ગજ્જર સહિત અગ્રણીઓએ વરાછા બેંકને શુભેચ્છા પાઠવી હતી.

મલ્ટી સ્ટેટ બેંકમાં દરજ્જો પ્રાપ્ત કરનારી વરાછા બેંક સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવામાં અગ્રેસર હોવાની સાથે સાથે અનેક જાગૃતિના અભિયાન થકી લોકજાગૃતિ માટેના કાર્ય કરતી રહી છે. બેંકના ચેરમેનશ્રી ભવાનભાઈ નવાપરા દ્વારા તમામ એવોર્ડ બેંકના ડિરેક્ટરશ્રીઓ, બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યો તેમજ સ્ટાફને સમર્પિત કર્યા હતા. વધુમાં જણાવ્યું હતું કે, વરાછા બેંક બેન્કિંગ સેવા અને વીમા સેવા પૂરી પાડી રહી છે. તદુપરાંત મ્યુચ્યુઅલ ફંડની સવિશેષ સેવા પણ બેંકનાં ગ્રાહકોને આપી રહી છે. એક જ સ્થળેથી તમામ સુવિધા થકી ખાતેદાર સરળતાથી તમામ સેવાનો પૂરતો લાભ મેળવી શકશે. તે અમારા માટે આનંદની વાત છે. આ હર્ષ ને ગૌરવની ક્ષણે તમામ ડિરેક્ટરશ્રીઓ, બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યો, તમામ સ્ટાફ તેમજ સભાસદો અને ખાતેદારોને હૃદયથી અભિનંદન પાઠવ્યા હતા.

October 5, 2023
Cia_business_news-1280x936.jpg
1min339

ગુજરાતની અગ્રણી સહકારી બેંક એવી ધી વરાછા કો ઓપરેટિવ બેન્ક સુરતને દક્ષિણ ગુજરાતની લાર્જ કેટેગરીની બેંકોમાં કુલ ત્રણ એવોર્ડ મળેલ છે. વર્ષ ૨૦૨૨-૨૩ માટે બિઝનેસ ગ્રોથ, ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી, પ્રોફેટીબીલીટી એન્ડ મેનેજમેન્ટ સહિત સ્કોબાના ત્રણ રનર્સ અપ એવોર્ડ થી જ્યારે પબ્લિક રિલેશન માં શ્રેષ્ઠ બેંક તરીકે વરાછા બેંકને સન્માનિત કરવામાં આવી છે. આજે ભુવનેશ્વર ખાતે દક્ષિણ ગુજરાત અર્બન કો-ઓપ. બેંક ફેડરેશન તરફથી સ્કોબા પ્રાઈડ એવોર્ડ અર્પણ સમારોહ યોજવામાં આવ્યો હતો.

કેન્દ્ર ના કાપડ મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના એક્સ રીજિયોનલ ડિરેક્ટરશ્રી પ્રકાશચંદ્ર સાહુ ની ઉપસ્થિતિમાં એવોર્ડ સમારોહનું આયોજન થયું હતું. દક્ષિણ ગુજરાતની ૧૭ સહિત કુલ ૨૮ કો-ઓપ. બેંકો વચ્ચે જુદી જુદી કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવ્યા હતા. તેમાં રાજ્યની છઠ્ઠા ક્રમની અર્બન કો-ઓપ.બેંક એવી વરાછા બેંક ને પબ્લિક રિલેશન માં પ્રથમ તેમજ ટોટલ બિઝનેસ ગ્રોથ, ફાઇનાન્સિયલ સ્ટેબિલિટી તેમજ પ્રોફિટીબીલીટી એન્ડ મેનેજમેન્ટ માં ત્રણ રનર્સ અપ એવોર્ડ આપવામાં આવ્યા છે. વરાછા બેંક ૨૮ વર્ષમાં ૨૬ શાખાઓ સાથે આશરે કુલ રૂ. ૫૦૦૦ કરોડનો બિઝનેસ ધરાવે છે. જે સહકારી ક્ષેત્ર માટે ખૂબ ગૌરવની વાત છે.

આ પ્રસંગે સુરત જિલ્લા સહકારી સંઘના પ્રમુખશ્રી ભીખુભાઈ પટેલ સહિત દક્ષિણ ગુજરાતના ૧૫૦ જેટલા સહકારી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સમારોહમાં વરાછા બેંકના ચેરમેન શ્રી ભવાનભાઈ નવાપરા, વાઇસ ચેરમેન શ્રી જી.આર.આસોદરિયા, બોર્ડ ઓફ મેનેજમેન્ટના ચેરમેન શ્રી કાનજીભાઈ ભાલાળા, ડિરેક્ટર શ્રી પી.બી. ઢાકેચા, શ્રી પ્રભુદાસભાઈ પટેલ, શ્રી જે.કે. પટેલ, શ્રી રાજુભાઈ બાંભરોલીયા, શ્રી કાંતિભાઈ મારકણા તેમજ શ્રીમતી વિમળાબેન વાઘાણી અને શ્રીમતી શારદાબેન લાઠીયા ઉપસ્થિત રહી અને એવોર્ડને સ્વીકાર્યા હતા.

આ પ્રસંગે સ્કોબાના વાઇસ પ્રેસિડન્ટશ્રી કાનજીભાઈ ભાલાળાએ દક્ષિણ ગુજરાતની સહકારી બેંકોના વિકાસને બિરદાવ્યો હતો અને વર્તમાન સમયમાં જો ટકવું હશે તો ટેકનોલોજી અને વ્યવસાયિક અભિગમ સાથે આગળ વધવાની જરૂરિયાત જણાવી હતી. સ્કોબાના પ્રેસિડન્ટ શ્રી ગૌતમભાઈ વ્યાસ, વાઇસ પ્રેસિડન્ટશ્રી દેવાંગભાઈ ચોકસી અને પાસ્ટ પ્રેસિડેન્ટ શ્રી મુકેશભાઈ ગજ્જર સહિત અગ્રણીઓએ વરાછા બેંકને શુભેચ્છા પાઠવી હતી.

મલ્ટી સ્ટેટ બેંકમાં દરજ્જો પ્રાપ્ત કરનારી વરાછા બેંક સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવામાં અગ્રેસર હોવાની સાથે સાથે અનેક જાગૃતિના અભિયાન થકી લોક જાગૃતિ માટેના કાર્યો કરતી રહી છે. વધુમાં બેંકના ચેરમેન શ્રી ભવાનભાઈ નવાપરાએ જણાવ્યું હતું કે, વરાછા બેંક બેન્કિંગ સેવા અને વીમા સેવા પૂરી પાડી રહી છે. તદુપરાંત હાલમાં મ્યુચ્યુઅલ ફંડની સવિશેષ સેવા શરૂ કરવામાં આવી છે. જે થકી બેંકના ખાતેદારોને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ માટે અન્ય કસે જવાની જરૂર નથી. એક જ સ્થળેથી તમામ સુવિધા થકી ખાતેદાર સરળતાથી તમામ સેવાનો પૂરતો લાભ મેળવી શકશે. જે અમારા માટે આનંદની વાત છે. આઝાદીના અમૃત પર્વ નિમિત્તે બેંક દ્વારા અમૃત નિધિ બચત યોજના અમલમાં મુકવામાં આવી છે. જેમાં ૭૭૭ દિવસ માટે ૮ ટકા વ્યાજ દર ચૂકવવામાં આવશે. જે વાર્ષિક અસરકારક વ્યાજ દર ૮.૬૩ ટકા થાય છે. આ ઉપરાંત બેંક દ્વારા વિધવા બહેનો અને દિવ્યાંગ લોકોને મદદરૂપ થવા માટે થાપણની ગંગા બચત યોજના અને દિવ્યાંગ બચત યોજના અમલમાં મૂકી છે. જેનો મહત્તમ લાભ લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો.

April 2, 2022
Cia_business_news-1280x936.jpg
1min927

લોકો પોતાની મહામૂલી બચત રૂપી થાપણો જ્યાં ફિક્સ ડિપોઝીટ સ્વરૂપે મૂકતા હોય એ સૌથી વિશ્વસનીય બેંક ગણાતી હોય છે, વરાછા બેંકે ફિક્સ ડિપોઝીટ મેળવવામાં આખા રાજ્યમાં સૌથી વધુ ગ્રોથ હાંસલ કર્યો

હિસાબી વર્ષ 2021-22 પૂરું થતાંની સાથે જ બેંકો અને ફાઇનાન્સીયલ સંસ્થાઓએ પોતપોતાના વાર્ષિક સરવૈયા રજૂ કરવા માંડ્યા છે. પરંતુ, આજે બહાર આવેલી ગુજરાત રાજ્યની સહકારી બેંકોની વાર્ષિક સ્થિતિનો અભ્યાસ કરતા એ વિગત પણ બહાર આવી કે ગત હિસાબી વર્ષમાં કોરોનાની બીજી અને ત્રીજી લહેરની અસર વર્તાઇ હોવા છતાં સુરતની સહકારી બેંકોએ જબરદસ્ત ગ્રોથ સાથે વિકાસ સાધ્યો છે. સુરતની વરાછા કો.ઓ. બેંક ફિક્સ ડિપોઝિટ મેળવવામાં 16.87 ટકા ગ્રોથ સાથે સમગ્ર ગુજરાતની બેકોમાં થાપણ મેળવવામાં નંબર વન બની છે. એવી જ રીતે સુરતની જ પ્રાઇમ કો.ઓ. બેંકે સૌથી વધુ એડવાન્સીઝ એટલે કે ધિરાણ આપવામાં વિક્રમ કર્યો છે.

સુરત અને ગુજરાતની બેંકોએ ગત હિસાબી વર્ષમાં સાધેલી પ્રગતિ અંગે મળતી માહિતી મુજબ 31મી માર્ચ 2021ના રોજ પૂરા થયેલા હિસાબી વર્ષમાં સુરતની વરાછા બેંકે કુલ 2200.47 કરોડની થાપણો (ફિક્સ ડિપોઝીટ્સ) મેળવી હતી. તા.31મી માર્ચ 2022ના રોજ પૂરા થયેલા વર્ષ દરમિયાન આ બેંકે થોપણો મેળવવામાં 16.87 ટકાના ગ્રોથ સાથે કુલ 2571.76 કરોડની થાપણો મેળવીને લોકોનો વિશ્વાસ કેળવ્યો છે. થાપણો મેળવવામાં 16.87 ટકા ગ્રોથ આખા રાજ્યની તમામ સહકારી બેંકો પૈકી કોઇ બેંક હાંસલ કરી શકી નથી.

વરાછા બેંકે થાપણો મેળવવામાં ગ્રોથરેટ તો હાંસલ કર્યો છે પરંતુ, રૂપિયાની દ્રષ્ટીએ પણ સૌથી વધુ રૂ.371.29 કરોડની થાપણો મેળવીને સમગ્ર સુરતમાં પહેલો ક્રમ હાંસલ કર્યો છે.

એવી જ રીતે એડવાન્સીઝ, ધિરાણ (લોન-ફાઇનાન્સ)ની વાત કરીએ તો પ્રાઇમ કો.ઓ.બેંકે મેદાન માર્યું છે. મળતી માહિતી મુજબ પ્રાઇમ બેંક ધિરાણ આપવામાં અગાઉના વર્ષની તુલનાએ તાજેતરમાં પૂર્ણ થયેલા હિસાબી વર્ષ દરમિયાન 32.52 ટકાનો ગ્રોથ હાંસલ કર્યો છે. પ્રાઇમ બેંકે 2020-21માં કુલ 840.75 કરોડનું ધિરાણ કર્યું હતું જ્યારે 2021-22માં 1162.93 કરોડનું ધિરાણ કર્યું છે. પ્રાઇમ બેંક ન સિર્ફ સુરતમાં બલ્કે સમગ્ર રાજ્યમાં ધિરાણ આપવામાં સૌથી વધુ ગ્રોથ રેટ હાંસલ કરનારી બેંક બની છે.

ગુજરાતની સહકારી બેંકોનું 2021-22 હિસાબી વર્ષનું સરવૈયુ

થાપણો અને ધિરાણ બન્નેમાં પીપલ્સ બેંક ત્રીજા ક્રમે

સુરત સૌથી જૂની અને મોટી જ બેંક નહીં બલ્કે ગુજરાત અને હવે તો મલ્ટી સ્ટેટ શિડ્યુલ્ડ બેંક બની ચૂકેલી સુરત પીપલ્સ કો.ઓ. બેંક તાજેતરમાં પૂર્ણ થયેલા 2021-22ના હિસાબી વર્ષમાં થાપણો મેળવવામાં અને ધિરાણ આપવામાં વરાછા બેંક, પ્રાઇમ બેંક પછી ત્રીજા ક્રમે ઉતરી ગઇ છે. 2020-21ની તુલનામાં 2021-22માં પીપલ્સ બેંકની થાપણો (ફિક્સ્ડ ડિપોઝીટ)માં ફક્ત 1.43 ટકાનો ગ્રોથ એટલે કે સમગ્ર વર્ષ દરમિયાન પીપલ્સ બેંક અગાઉના વર્ષ કરતા ફક્ત રૂ.75.43 કરોડની જ થાપણો મેળવી શકી છે. તેની સરખામણીએ વરાછા બેંકને 371.29 કરોડની વધુ થાપણો અને પ્રાઇમ કો.ઓ. બેંકને 156.98 કરોડની વધુ થાપણો તેમના આગલા વર્ષના પરફોર્મન્સની સરખામણીએ મળી છે. એવી જ રીતે પીપલ્સ બેંક ધિરાણ આપવામાં પણ પછડાઇને ત્રીજા ક્રમે સરકી ગઇ છે. પીપલ્સ બેંકે ધિરાણ આપવામાં 12.33 ટકા ગ્રોથ કર્યો છે. જ્યારે પ્રાઇમ કો.ઓ. બેંકે 32.52 ટકા અને વરાછા બેંકે 18.04 ટકા ગ્રોથ અગાઉના વર્ષના ધિરાણમાં મેળવ્યો છે.

આખા ગુજરાતની સહકારી બેંકોનું 2021-22ના હિસાબી વર્ષનો તુલનાત્મક અભ્યાસ