
ગુજરાતની અગ્રણી સહકારી બેંક એવી ધી વરાછા કો ઓપરેટિવ બેન્ક સુરતને દક્ષિણ ગુજરાતની લાર્જ કેટેગરીની બેંકોમાં કુલ ત્રણ એવોર્ડ મળેલ છે. વર્ષ ૨૦૨૨-૨૩ માટે બિઝનેસ ગ્રોથ, ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી, પ્રોફેટીબીલીટી એન્ડ મેનેજમેન્ટ સહિત સ્કોબાના ત્રણ રનર્સ અપ એવોર્ડ થી જ્યારે પબ્લિક રિલેશન માં શ્રેષ્ઠ બેંક તરીકે વરાછા બેંકને સન્માનિત કરવામાં આવી છે. આજે ભુવનેશ્વર ખાતે દક્ષિણ ગુજરાત અર્બન કો-ઓપ. બેંક ફેડરેશન તરફથી સ્કોબા પ્રાઈડ એવોર્ડ અર્પણ સમારોહ યોજવામાં આવ્યો હતો.
કેન્દ્ર ના કાપડ મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના એક્સ રીજિયોનલ ડિરેક્ટરશ્રી પ્રકાશચંદ્ર સાહુ ની ઉપસ્થિતિમાં એવોર્ડ સમારોહનું આયોજન થયું હતું. દક્ષિણ ગુજરાતની ૧૭ સહિત કુલ ૨૮ કો-ઓપ. બેંકો વચ્ચે જુદી જુદી કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવ્યા હતા. તેમાં રાજ્યની છઠ્ઠા ક્રમની અર્બન કો-ઓપ.બેંક એવી વરાછા બેંક ને પબ્લિક રિલેશન માં પ્રથમ તેમજ ટોટલ બિઝનેસ ગ્રોથ, ફાઇનાન્સિયલ સ્ટેબિલિટી તેમજ પ્રોફિટીબીલીટી એન્ડ મેનેજમેન્ટ માં ત્રણ રનર્સ અપ એવોર્ડ આપવામાં આવ્યા છે. વરાછા બેંક ૨૮ વર્ષમાં ૨૬ શાખાઓ સાથે આશરે કુલ રૂ. ૫૦૦૦ કરોડનો બિઝનેસ ધરાવે છે. જે સહકારી ક્ષેત્ર માટે ખૂબ ગૌરવની વાત છે.
આ પ્રસંગે સુરત જિલ્લા સહકારી સંઘના પ્રમુખશ્રી ભીખુભાઈ પટેલ સહિત દક્ષિણ ગુજરાતના ૧૫૦ જેટલા સહકારી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સમારોહમાં વરાછા બેંકના ચેરમેન શ્રી ભવાનભાઈ નવાપરા, વાઇસ ચેરમેન શ્રી જી.આર.આસોદરિયા, બોર્ડ ઓફ મેનેજમેન્ટના ચેરમેન શ્રી કાનજીભાઈ ભાલાળા, ડિરેક્ટર શ્રી પી.બી. ઢાકેચા, શ્રી પ્રભુદાસભાઈ પટેલ, શ્રી જે.કે. પટેલ, શ્રી રાજુભાઈ બાંભરોલીયા, શ્રી કાંતિભાઈ મારકણા તેમજ શ્રીમતી વિમળાબેન વાઘાણી અને શ્રીમતી શારદાબેન લાઠીયા ઉપસ્થિત રહી અને એવોર્ડને સ્વીકાર્યા હતા.
આ પ્રસંગે સ્કોબાના વાઇસ પ્રેસિડન્ટશ્રી કાનજીભાઈ ભાલાળાએ દક્ષિણ ગુજરાતની સહકારી બેંકોના વિકાસને બિરદાવ્યો હતો અને વર્તમાન સમયમાં જો ટકવું હશે તો ટેકનોલોજી અને વ્યવસાયિક અભિગમ સાથે આગળ વધવાની જરૂરિયાત જણાવી હતી. સ્કોબાના પ્રેસિડન્ટ શ્રી ગૌતમભાઈ વ્યાસ, વાઇસ પ્રેસિડન્ટશ્રી દેવાંગભાઈ ચોકસી અને પાસ્ટ પ્રેસિડેન્ટ શ્રી મુકેશભાઈ ગજ્જર સહિત અગ્રણીઓએ વરાછા બેંકને શુભેચ્છા પાઠવી હતી.
મલ્ટી સ્ટેટ બેંકમાં દરજ્જો પ્રાપ્ત કરનારી વરાછા બેંક સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવામાં અગ્રેસર હોવાની સાથે સાથે અનેક જાગૃતિના અભિયાન થકી લોક જાગૃતિ માટેના કાર્યો કરતી રહી છે. વધુમાં બેંકના ચેરમેન શ્રી ભવાનભાઈ નવાપરાએ જણાવ્યું હતું કે, વરાછા બેંક બેન્કિંગ સેવા અને વીમા સેવા પૂરી પાડી રહી છે. તદુપરાંત હાલમાં મ્યુચ્યુઅલ ફંડની સવિશેષ સેવા શરૂ કરવામાં આવી છે. જે થકી બેંકના ખાતેદારોને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ માટે અન્ય કસે જવાની જરૂર નથી. એક જ સ્થળેથી તમામ સુવિધા થકી ખાતેદાર સરળતાથી તમામ સેવાનો પૂરતો લાભ મેળવી શકશે. જે અમારા માટે આનંદની વાત છે. આઝાદીના અમૃત પર્વ નિમિત્તે બેંક દ્વારા અમૃત નિધિ બચત યોજના અમલમાં મુકવામાં આવી છે. જેમાં ૭૭૭ દિવસ માટે ૮ ટકા વ્યાજ દર ચૂકવવામાં આવશે. જે વાર્ષિક અસરકારક વ્યાજ દર ૮.૬૩ ટકા થાય છે. આ ઉપરાંત બેંક દ્વારા વિધવા બહેનો અને દિવ્યાંગ લોકોને મદદરૂપ થવા માટે થાપણની ગંગા બચત યોજના અને દિવ્યાંગ બચત યોજના અમલમાં મૂકી છે. જેનો મહત્તમ લાભ લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો.