
જાપાનના નવ નિયુક્ત વડાપ્રધાન Sanae Takaichi સાને તાકાઈચીએ ઇતિહાસ રચી દીધો છે. તેઓના નેતૃત્વ નીચેની જાપાનની સત્તારૂઢ પાર્ટી ચૂંટણીમાં બે તૃતીયાંશ બહુમતિ તરફ આગળ વધી રહી છે. તેઓના વિજય સાથે તેઓના રૂઢીવાદી એજન્ડાને મજબૂત જનાદેશ મળી ગયો છે. હજી સુધીમાં પ્રાપ્ત થયેલા આંકડા પ્રમાણે જાપાનની સંસદનાં નીચલા સદનમાં તાકાઈચીએની લિબરલ ડેમોક્રેટિક પાર્ટી (એલડીપી)નાં નેતૃત્વ નીચેના ગઠબંધને નીચલા ગૃહની ૪૬૫ માંથી ૩૫૨ સીટ જીતી છે. એકલી LDP એલડીપીએ જ ૩૧૬ની બહુમતી પ્રાપ્ત કરી છે.
જાપાનના સૌથી પહેલા મહિલા વડાપ્રધાન બન્યા પછી માત્ર ચાર જ મહિનામાં ચૂંટણી યોજાવી, તેઓએ સ્પષ્ટ જનાદેશ માગ્યો હતો. તેઓએ કહ્યું હતું કે જો તેઓની પાર્ટી બહુમતી પ્રાપ્ત કરી ન શકે, તો તેઓ પદત્યાગ કરશે. સ્નેપ-ઇલેકશન તેઓ માટે મોટો જુગાર હતો. પરંતુ તેમાં જબ્બર બહુમતી સાથે, તેઓ સફળ થયા હતા.
૨૦૨૪માં એલડીપીએ સંસદના બંને ગૃહમાં બહુમતી ગુમાવી હતી અને કોમીટો પાર્ટી સાથેનું ગઠબંધન તૂટી ગયું હતું. દશકો જૂનું આ ગઠબંધન તૂટતા એલડીપીને ધક્કો તો લાગ્યો જ હતો.
ચૂંટણી પરિણામો દર્શાવે છે કે, તાકાઈચીની વ્યકિતગત લોકપ્રિયતાએ જ પાર્ટીને સહાય કરી હતી. તેઓની પાર્ટીનું એપ્રૂવલ રેટિંગ મહદઅંશે ૭૦ ટકા ઉપર જ રહ્યું છે.
સાને તાકાયીચીને પોતાની જનતાનો સપોર્ટ તે સમયે મળ્યો છે કે જ્યારે જાપાન અને ચીનના સંબંધો વચ્ચે તણખા ઝરી રહ્યા છે. અત્યારે બંને દેશો વચ્ચેના સંબંધો તળીએ જઈ પહોંચ્યા છે. તાકાઈચીએ તાજેતરમાં જ કહ્યું હતું કે, ‘જો ચીન તાઈવાન સામે કોઈ લશ્કરી કાર્યવાહી કરશે તો જાપાન તેમાં હસ્તક્ષેપ કરશે જ. તાઈવાન એક સ્વતંત્ર અને લોકશાહીવાદી દ્વિપ છે. ચીન તેની ઉપર પોતાનો દાવો કરે છે. તેવામાં તાકાઈચીના આ નિવેદનથી ચીન-જાપાન વચ્ચે તંગદિલી વધી ગઈ છે અને બંને દેશો એકબીજા સામે શત્રુતાપૂર્ણ કાર્યવાહી અને બયાનબાજીમાં પડી ગયા છે. હવે કેટલાક તારણો જોઈએ :
(૧) જાપાની મતદાતાઓ, તાકાઈચીની સીધીસાદી, મહેનતુ ઇમેજથી આકર્ષાયા છે. પરંતુ તેમના તીવ્ર રાષ્ટ્રવાદી વિચારો અને સંરક્ષણ પર વજન આપવાના નિવેદનોને લીધે ચીન ગિન્નાયું છે.
(૨) તેઓ સૈન્યની ક્ષમતા અને લશ્કરી ખર્ચ બંને વધારવા માગે છે. વાત સીધી છે. તેઓ ચીનનો વધતો પ્રભાવ રોકવા માગે છે.
(૩) તાકાઈચી વડાપ્રધાન પદે નિશ્ચિત થયા કે લગભગ તુર્ત જ ટ્રમ્પ અને મોદીએ તેઓને વધાઈ આપી હતી. પરંતુ ચીને તુર્તજ વધાઈ પણ આપી નથી.
(૪) જાપાને સંરક્ષણ ખર્ચમાં જબરજસ્ત વધારો કર્યો છે. તેથી ખીજાયેલા ચીને કહ્યું છે કે જાપાન સામે રાજદ્વારી રીતે જવાબ આપશે. હવે બંને દેશો વચ્ચે વ્યાપાર અને નિવેશના મુદ્દાઓ પર ક્ષેત્રીય સ્તરે ટકરાવ થશે તે નક્કી છે. બંને વચ્ચે પ્રતિસ્પર્ધા પણ વધશે. સંભવ તે પણ છે કે માત્ર ચીન જાપાન સંબંધો જ નહીં પરંતુ સમગ્ર એશિયાનો સંરક્ષણ માહોલ બદલાઈ શકે.
(૫) કેટલાક એક્ષપર્ટસ કહે છે કે, હવે સંપૂર્ણ બહુમતી મળ્યા પછી તાકાઈચી ચીન સામેનું વલણ થોડુ નરમ પણ કરે. તેઓએ મતદાન પૂર્વે એએફપીને જણાવ્યું હતું કે, હવે તેઓને ૨૦૨૮ સુધી ચૂંટણી વિષે ચિંતા કરવાની જરૂર નથી. જ્યારે હવે પછીની ચૂંટણી યોજાશે, તો જાપાન માટે શ્રેષ્ઠ હકીકત તે બની રહેશે કે તે ચીન સાથે સંબંધો સુધારવા ઉપર ધ્યાન આપે.

