
: ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોને ગુરુવારે દિલ્હીમાં આયોજિત ‘એઆઈ ઈમ્પેક્ટ સમિટ’માં હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે ભારત અને ફ્રાન્સ વચ્ચે થયેલી રાફેલ ફાઈટર જેટની ડીલ અંગે મોટું નિવેદન આપ્યું હતું.
જ્યારે મેક્રોનને રાફેલ અંગે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે, ‘મને સમજાતું નથી કે લોકો આની ટીકા કેમ કરે છે. આનાથી તમારા દેશને જ મજબૂતી મળી છે.’ તેમણે 114 રાફેલ લડાયક વિમાનોની ડીલનો બચાવ કરતા તેના પર થઈ રહેલી ટીકાઓને ફગાવી દીધી છે. મેક્રોને વધુમાં ઉમેર્યું હતું કે આ ફાઈટર જેટ્સ ભારતને સૈન્ય રીતે વધુ શક્તિશાળી બનાવે છે અને બંને દેશો વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવે છે.
મેક્રોને સ્પષ્ટતા કરી હતી કે આ સોદાનું વ્યાવસાયિક પાસું દસોલ્ટ એવિએશન અને ભારત સરકાર વચ્ચેના સંવાદનો એક ભાગ છે. તેમણે આશ્ચર્ય વ્યક્ત કરતા કહ્યું કે આ ડીલ ભારતને મજબૂત બનાવે છે, વ્યૂહાત્મક સંબંધો વધારે છે અને ભારતમાં વધુ રોજગાર પણ પેદા કરે છે, તો પછી તેની ટીકા કેવી રીતે થઈ શકે?
ભારત-ફ્રાન્સ સંરક્ષણ સહયોગની પ્રશંસા કરતા મેક્રોને ખાતરી આપી હતી કે તેઓ આ બાબતે અત્યંત પ્રતિબદ્ધ છે કે રાફેલમાં મહત્તમ ભારતીય ભાગોનો ઉપયોગ કરવામાં આવે અને વધુમાં વધુ મહત્વના સાધનોનું ઉત્પાદન ભારતમાં જ થાય. તેમણે ટાટા-એરબસ ડીલનું ઉદાહરણ આપતા કહ્યું કે અમે રાફેલના કિસ્સામાં પણ એવું જ કરીશું અને તમે અમારા પર વિશ્વાસ રાખી શકો છો.
નોંધનીય છે કે, મેક્રોનનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે એક સપ્તાહ પહેલા જ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની આગેવાની હેઠળની સંરક્ષણ સંપાદન પરિષદ (DAC) એ 114 રાફેલ વિમાનોની ખરીદીને મંજૂરી આપી હતી. અંદાજે 3.25 લાખ કરોડ રૂપિયાની આ મેગા ડીલને મેક્રોનની ભારત મુલાકાત પહેલા જ લીલી ઝંડી મળી હતી.

