એવિયેશન રેગ્યુલેટર DCGAએ એરપોર્ટ અને હવાઈ મુસાફરી દરમિયાન માસ્ક ન પહેરનારાઓની સામે કડક વલણ અપનાવ્યું છે. તેમણે કહ્યું છે કે જે મુસાફરોએ માસ્ક નહી પહેર્યુ હોય તેમને અનિયંત્રિત ગણવામાં આવશે અને વિમાનનું ટેક ઓફ થાય તે પહેલા તેમને ફ્લાઈટમાંથી બહાર નીકાળવામાં આવશે.
તાજેતરમાં કોરોનાના કેસોમાં થયેલો વધારો જોતા આ સૂચનાઓ જાહેર કરવામાં આવી છે. DCGAએ બુધવારના રોજ એટલે કે આજે જણાવ્યું કે, CISFના જવાન માસ્કના નિયમનો અમલ કરશે. જો કોઈ પણ મુસાફર આ નિયમોને અનુસરવાની ના પાડશે તો તેને વિમાનના ટેક ઓફ પહેલા જ ઉતારી શકાશે.
ઉલ્લેખનીય છે કે DCGAની આ ગાઈડલાઈન દિલ્હી હાઈકોર્ટ તરફથી કોવિડ સુરક્ષાના ઉપાયોનું પાલન કરવાની ના પાડતા મુસાફરો સામે કડક પગલા લેવાના આદેશ બાદ આવી છે. હાઈકોર્ટે 3 જૂનના રોજ પોતાના આદેશમાં કહ્યું હતું કે, કોરોના મહામારી હજું સમાપ્ત થઈ નથી અને જો મુસાફરો વારંવારના રીમાઈન્ડર છતાં પણ પ્રોટોકોલનું પાલન કરવાની ના પાડતા હોય તો તેમની સામે સ્વાસ્થ્ય મંત્રાલય અને DCGAની ગાઈડલાઈન પ્રમાણે પગલા લેવા જોઈએ.
કોર્ટે કહ્યું હતું કે આવા મુસાફરોને ‘નો ફ્લાય લિસ્ટ’માં મૂકી શકાય છે અથવા આગળની કડક કાયદેસર કાર્યવાહી માટે સુરક્ષા એજન્સીઓને સોંપી શકાય છે. કોર્ટે જણાવ્યું હતું કે અમારી વિચારણા પ્રમાણે આ જ સાચું પગલું હશે કારણકે હજુ કોરોના મહામારી સમાપ્ત નથી થઈ અને ફરીથી તેનું જોર વધી રહ્યું છે.