
ચંદીગઢથી દિબ્રુગઢ જઈ રહેલી દિબ્રુગઢ એક્સપ્રેસ-15904 (Dibrugadh Express Derailed) પાટા પરથી ખટી પડી હતી. મળી રહેલી પ્રાથમિક માહિતી અનુસાર એક્સપ્રેસ ટ્રેનના પાંચથી છ ડબા ટ્રેક પરથી ઉતરી ગયા હતા. આવી પરિસ્થિતિમાં અનેક પ્રવાસીઓને ઈજા થઈ હોવાના અને ચાર પ્રવાસીના મૃત્યુ થયા છે અને હજી પણ બચાવ કાર્ય ચાલી રહ્યું છે.
હાલમાં જ બે-ત્રણ દિવસ પહેલાં જ આપણે રેલવેના એક એવા નિયમ વિશે વાત કરી હતી કે જેમાં રેલવે સ્ટેશન પર ઈજાગ્રસ્ત થયેલાં પ્રવાસીની સારવાર કરાવવાની જવાબદારી રેલવેની છે, પછી એ પ્રવાસીએ ટિકિટ લીધી હોય કે ના લીધી હોય. આજે અમે અહીં તમને રેલવેના એક આવા જ બીજા નિયમ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. રેલવે તમને 45 પૈસામાં ઈન્શ્યોરન્સ આપે છે અને આ ઈન્શ્યોરન્સ પોલિસી એક મહત્ત્વની ભૂમિકા ભજવે છે. જોકે, મોટા ભાગના લોકોને આ ઈન્શ્યોરન્સ વિશે જાણકારી નથી હોતી. આ પોલિસી હેઠળ મળનારું કવર ઈન્શ્યોરન્સ કંપની દ્વારા ઈજાગ્રસ્ત કે દુર્ઘટનાનો ભોગ બનનારા પ્રવાસીની સ્થિતિ અનુસાર આપવામાં આવે છે.
આઈઆરસીટીસી (IRCTC) દ્વારા આ નિયમ અંગે આપવામાં આવેલી માહિતી અનુસાર રેલવે એક્સિડન્ટમાં 45 પૈસાવાળી ટ્રાવેલ પોલિસી હોલ્ડ ખરીદનારા પેસેન્જરનું મૃત્યુ થાય છે તો 10 લાખ રૂપિયાનો ઈન્શ્યોરન્સ કંપની દ્વારા એ પેસેન્જરના પરિવાર (નોમિની)ને આપવામાં આવે છે.
જો પેસેન્જરને કાયમી સંપૂર્ણ અપંગત્વ આવે છે ત્યારે પણ 10 લાખ રૂપિયાનું વળતર ચૂકવવામાં આવે છે. જ્યારે સ્થાયી આંશિક વિકલાંગતા આવે તો 7,50,000 રૂપિયાનું વળતર ચૂકવવામાં આવે છે. ઈજા થનારને 2,00,000 રૂપિયાનું વળતર ચૂકવવામાં આવે છે અને મૃતદેહના પરિવહન માટે આશરે 10,000 રૂપિયાનું વળતર ચૂકવવામાં આવે છે. આઈઆરસીટીસી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આ ટ્રાવેલ પોલિસી હેઠળ બેનેફિશિયરીને જરૂરી ડોક્યુમેન્ટ જમા કરાવવાના 15 દિવસની અંદર ક્લેમ સેટલ કરવામાં આવે છે.
ટૂંકમાં કહેવાનું થાય તો હવે જ્યારે તમે પણ આઈઆરસીટીસી પર ઓનલાઈન ટિકિટ બુક કરાવો છો તો 45 પૈસાનું આ ઈન્શ્યોરન્સ ખરીદવાનું ભૂલશો નહીં. ઓનલાઈન ટિકિટ બુક કરાવતી વખતે આ ઈન્શ્યોરન્સ ખરીદવાનું ઓપ્શનલ હોય છે, પણ જો તમે આ ખરીદી લેશો તો તમને ચોક્કસ જ ફાયદો થઈ રહ્યો છે.