– હરિયાણાના ગૃહમંત્રી અનિલ વિજે કહ્યું હતું કે, આરોપીઓ સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે, ભલે ગમે તેટલી પોલીસ તૈનાત કરવી પડે
હરિયાણામાં ખનન માફિયાઓની બેફામતા ફરી એકવાર સામે આવી છે. જાણકારી અનુસાર, નૂહમાં ખનન માફિયાઓએ DSP પર ગાડી ચડાવી દીધી હતી. જેના કારણે DSP સુરેન્દ્ર વિશ્નોઈનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
જણાવવામાં આવી રહ્યું છે કે, DSP સુરેન્દ્ર વિશ્નોઈ તાવડુ ખાતે તૈનાત હતા. તેઓ તાવડુના પહાડમાં ગેરકાયદે ખનન થતું હોવાની બાતમી આધારે દરોડો પાડવા ગયા હતા. કાર્યવાહી દરમિયાન DSP સુરેન્દ્ર સિંહ વિશ્નોઈએ ખનન સ્થળ પર પથ્થર ભરેલી ટ્રકને રોકવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં તેઓને ડમ્પર વડે ટક્કર મારવામાં આવી હતી અને આ કારણે DSPનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
કહેવામાં આવી રહ્યું છે કે, તેમને સવારે 11:00 વાગ્યે માઈનિંગની માહિતી મળી હતી. ત્યારબાદ તે પોતાના સ્ટાફ સાથે 11:30 વાગ્યે પહોંચી ગયા હતા. જ્યારે પોલીસ ત્યાં પહોંચી તો તેમને જોઈને ખનન માફિયાઓએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો અને આ દરમિયાન ડીએસપીને ટક્કર મારવામાં આવી હતી.
હરિયાણાના ગૃહમંત્રી અનિલ વિજે કહ્યું હતું કે, આરોપીઓ સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે. ભલે ગમે તેટલી પોલીસ તૈનાત કરવી પડે, અમે કોઈને બક્ષશું નહીં અને આકરી કાર્યવાહી કરશું.
આ ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. પોલીસે આરોપીની શોધખોળ હાથધરી હતી અને આરોપીને ઝડપી પાડેલ છે. આ ઘટના બાદ પોલીસ વિભાગમાં ફળભળાટ મચી ગયો છે. આઈજી અને નુહના એસપી ઘટનાસ્થળે પહોંચી ગયા છે. ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.
હરિયાણામાં ખનન માફિયાઓ દ્વારા ઉદ્ધતાઈનો આ પહેલો કિસ્સો નથી પરંતુ અગાઉ પણ આવી અનેક ઘટનાઓ સામે આવી છે. આ અગાઉના કિસ્સાની વાત કરવામાં આવે તો, સોનીપત ખાતે ગેરકાયદેસર ખાણકામ સાથે સંકળાયેલી ટોળકીએ સ્પેશિયલ એન્ફોર્સમેન્ટ ટીમ પર જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં સૈનિકને માર મારીને ઘાયલ કરવામાં આવ્યો હતો અને ASIનો યુનિફોર્મ ફાડી નાખવામાં આવ્યો હતો.