સોમવારથી એટલે કે ૨૬ સપ્ટેમ્બરથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. પ્રાચીન ભારતીય પરંપરામાં માતા દુર્ગાને શક્તિની દેવી માનવામાં આવે છે. આ નવ દિવસ તેમના વિવિધ સ્વરૂપોની પૂજા, અર્ચના અને સ્તુતિ કરવામાં આવે છે. માતા દુર્ગાના નવ અલગ-અલગ સ્વરૂપોની પૂજા એટલે નવરાત્રીનો તહેવાર. માતા દુર્ગાએ સમયાંતરે તેમના નવ અવતાર લીધા છે. દરેક અવતારનું પોતાનું મહત્વ છે.
કોરોના વાયરસના કારણે બે વર્ષથી સુરત, વડોદરા, અમદાવાદ, રાજકોટ જેવા શહેરોમાં ફક્ત શેરી ગરબા નાના આયોજનમાં થઇ શક્યા હતા. બે વર્ષમાં ગરબા ફક્ત વર્ચ્યુઅલી જ સંભળાતા અને રમાતા હતા. પરંતુ આ વર્ષે જગદંબા, માં અંબે માતાની કૃપાથી કોરોનાનું સકંટ નથી કે નિયંત્રણો નથી, આથી કોરોના પહેલાની પરિસ્થિતિની જેમ જ સુરત સહિત ગુજરાતના જાણિતા વેન્યુઝ, ગરબા ગ્રાઉન્ડસ પર ગ્રાન્ડ સ્કૅલ પર નવરાત્રીનું આયોજન થયું છે.
ગુજરાતમાં જ્યાં પારંપરિક રીતે નવરાત્રિ આજે પણ જીવે છે ત્યાં તહેવારનું હાર્દ સમાયેલું છે અને મુંબઈની માયાનગરીમાં મૉડર્ન ટચ સાથેની કમર્શિયલ ઝાકઝમાળવાળી નવરાત્રિની પણ પોતાની મજા છે.
સૌથી અગત્યની વાત એ છે કે 25 લાખથી વધુ સુરતીઓ પોતાના ઘરઆંગણે જ ગરબા દોઢીયા રમશે
સુરતમાં બે વર્ષના અંતરાય બાદ બીગ સ્કેલ પર પ્રોફેશનલ નવરાત્રીના આયોજનોની સંખ્યા 15 જેટલી છે. સૌથી વધુ પ્રોફેશનલ નવરાત્રીના આયોજન વરાછા, કતારગામ, અમરોલી વિસ્તારમાં થયા છે. એ પછી અઠવાલાઇન્સ, વેસુમાં આયોજિત થયા છે. પરંતુ, સૌથી મહત્વની વાત એ છે કે પ્રોફેશનલ નવરાત્રીના આયોજનોમાં માંડ એકાદ ટકા લોકો ગરબે ઘૂમવા જતા હોય છે બાકીના સુરતીઓ તો પરિવાર સમેત પોતાના ઘરઆંગણે યોજાતા ગરબા ઉત્સવમાં જ ગરબે ઘૂમવાનું પસંદ કરશે તદુપરાંત શહેરમાં આવેલા માતાજીના મંદિર પરિસરોમાં યોજાતા ગરબા પણ સૌથી વિશેષ આકર્ષણ જોવા મળે છે. સુરતમાં પ્રોફેશનલ ગરબા ગ્રાઉન્ડમાં જનારા લોકોની સંખ્યા પ્રતિ ગ્રાઉન્ડ દસ હજાર મૂકવામાં આવે તો પણ માંડ એકાદ લાખ લોકો પ્રોફેશનલ નવરાત્રીમાં જોવા મળી શકે પરંતુ, સૌથી વધુ લોકો તો શહેરની સોસાયટીઓ, એપાર્ટમેન્ટ્સ, રો હાઉસ, કલબ હાઉસ વગેરેમાં થતી નવરાત્રીમાં જ પબ્લિક વધુ જોવા મળશે.
બે વર્ષ બાદ ફરી નવરાત્રીની ઉજવણી તેના મૂળ રુપમાં થવાની છે. ત્યારે ખેલૈયાઓ અને ગાયકો બહુ જ ઉત્સાહિત છે. એક બાજુ ખેલૈયાઓ સંપુર્ણ તૈયારી કરી લીધી છે તો બીજી તરફ ગાયકોએ પણ કમર કસી છે.