Saurashtra News : મોરબીમાં 24 કલાકમાં 13 ઈંચ વરસાદથી ભારે ખાનાખરાબી
મોરબી જિલ્લામાં મેઘરાજાએ તાંડવ મચાવ્યું હોય તેમ 24 કલાકમાં 13 ઈંચ વરસાદ ખાબકી ગયો હતો. તેમાંય ટંકારામાં માત્ર 2 કલાકમાં જ 7 ઈંચ વરસાદથી તાલુકાના તમામ ડેમ, નદી-નાળા, વોંકળા બે કાંઠે વહેવા લાગ્યા હતા તો વાંકાનેરમાં 30 કલાકમાં 10 ઈંચ વરસાદ પડયો હતો.
મોરબી શહેર-તાલુકામાં બે દિવસમાં અનરાધાર મેઘ તાંડવથી અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા હતા. શહેરના વિવિધ વિસ્તારોમાં તારાજી સર્જાઈ હતી. બંધુનગર નજીક નેશનલ હાઈવે પર પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો હતો.
પંચાસર રોડ સ્થિત’ ઓઈલ મીલમાં પણ પાણી ઘુસ્યું હતુ તો માર્કેટીંગ યાર્ડમાં પાણી ભરાતા વેપારીઓમાં ચિંતા વધી હતી. બીજી તરફ મોરબીના માણેકવાડા ગામે બે કાચા મકાન ધરાશાયી થયા હતા, જો કે, કોઈ જાનહાની થઈ ન હતી.
ટંકારા તાલુકામાં ગત સવારથી જ આવી ચડેલી મેઘસવારીએ ધીમે ધીમે ગતિ પકડતા 26 કલાકમાં 14 ઈંચ વરસાદ ખાબકી ગયો હતો. આ સાથે મોસમનો કુલ વરસાદ 53 ઈંચથી વધુ થયો હતો. તાલુકાના આસપાસના ગામડાઓમાં પણ 10થી 12 ઈંચ વરસાદ નેંધાયો હતો. ટંકારા તાલુકા પંચાયત પાછળ આવેલા પૂરવઠાના ગોડાઉનમાં કામ કરતા 8 મજુરોને ગત મોડી રાત્રે સરકારી સ્ટાફે રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડયા હતા. બીજા બનાવમાં ટંકારા તાલુકાના ખીજડીયા રોડ પર આવેલી ફેક્ટરીમાં ચારે તરફ પાણી ફરી વળતા તેમાં ફસાયેલા 17 જેટલા મજુરોને સરપંચ ફિરોજભાઇ તથા યુવાનોએ રેસ્કયુ કર્યા હતા.
વાંકાનેરમાં ત્રીસ કલાકમાં 10 ઈંચ ઉપરાંત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં બે દિવસમાં 15 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જેને પગલે જડેશ્વર રોડ પર આવેલું વડસર તળાવ ઓવરફ્લો થયું હતુ તેમજ પાતાળેશ્વર મહાદેવ મંદિરમાં કેડ સમા પાણી ભરાયા હતા. આમરણ ચોવીસી પંથકમાં ગત શનિવારથી આજસુધીમાં 25 ઈંચ વરસાદ વરી ગયો હતો. ધુળકોટ, કોયલી, અંબાલા, પાડાબેકડ, બેલા, કોઠારીયા, ઉટબેટ, ફડસર સહિતના ગામ બેટમાં ફેરવાયા હતા. જ્યારે જામનગર-કંડલા કોસ્ટલ હાઈવે પર માનુગામના પાટિયા પાસે એક મોટું નાળું ધરાશાયી થતા વાહન વ્યવહાર બંધ થયો હતો. હાટકેશ્વર તળાવ પણ ઓવર ફ્લો થયું હતુ. આમરણ ગામે 112, ઝિંઝુડા ગામે 100, ઉટબેટ ગામે 25 લોકોનું સ્થળાંતર કરાયું હતુ.
મચ્છુ-2 ડેમના 18 દરવાજા ખોલવામાં આવતા માળિયા મીયાણા પંથકમાં કચ્છ હાઈવે બ્લોક કરી દેવામાં આવ્યોહ તો. જ્યારે તાલુકાનું ખીરઈ, હરિપર, ફતેપર, વિરવિદરકા સહિતના ગામ બેટમાં ફેરવાયા હતા અને સંપર્ક વિહોણા થયા હતા. માળિયા શહેરમાં નગરપાલિકા, મામલતદાર કચેરી સહિત નીચાણવાળા અનેક વિસ્તારો જળબંબાકાર થયા હતા.
રાયસંગપુર ગામે વોંકળામાં પિતા-પુત્ર તણાયા
મોરબી : મોરબી જિલ્લામાં ભારે વરસાદને પગલે અનેક તારાજી સર્જાઈ હતી. તેમાં હળવદ તાલુકાના રાયસંગપુર ગામે ઉપરવાસના વરસાદના કારણે હળવદથી રાયસંગપુર જવા રસ્તા પર આવેલો ઓકરો કાંઠે થયો હતો. દરમિયાન રાયસંગપુર ગામના નારાયણભાઈ બેચરભાઈ દલવાડી (ઉ.45) પોતાના પુત્રની પરીક્ષા આપવા હળવદ આવતા હતા ત્યારે 18 વર્ષનો શ્રીપાલ અને તેના પિતા બંને પાણીમાં તણાવા લાગ્યા હતા. બનાવની જાણ થતા આજુબાજુના લોકો ઘટના સ્થળે દોડી ગયા હતા. ત્યારબાદ હળવદ તાલુકા વિકાસ અધિકારી અમિતભાઈ રાવલ, ગામના સરપંચ તેમજ રાયસંગપુર ગામના આગેવાનો ઓકરા પાસે દોડી ગયા હતા. તરવૈયાની ટીમ, ટ્રેક્ટર અને રસિઓ સાથે રેસ્ક્યુ હાથ ધરીને બંન્નેની શોધખોળ શરુ કરવામાં આવી હતી.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


