CIA ALERT
June 2, 20211min417

CBSE-CISCE બૉર્ડની Std.12ની પરીક્ષા રદ

Share On :

દેશભરમાં કોરોનાની મહામારીને કારણે નિર્માણ પામેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સીબીએસઈ બૉર્ડની બારમા ધોરણની પરીક્ષા રદ કરવાનો સરકારે મંગળવારે નિર્ણય લીધો હતો.

કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સીઆઈએસસીઈ બોર્ડે પણ બારમા ધોરણની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો હોવાનું બોર્ડના સેક્રેટરી ગેરી અરથાનુ કહ્યું હતું.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક કહ્યું હતું કે વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને તેમ જ વિદ્યાર્થીઓ અને વાલીઓની બેચેનીનો અંત આણવા આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદ હેઠળ મળેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

સીબીએસઈ બૉર્ડ નિર્ધારિત સમયમર્યાદામાં પરિણામ તૈયાર કરવા પગલાં લે એવો નિર્ણય પણ બેઠકમાં લેવામાં આવ્યો હતો.

અનેક રાજ્યોમાં કોરોનાના કેસમાં થયેલા વધારા અને ભવિષ્યમાં આરોગ્ય સંબંધિત સમસ્યા ઊભી થવાની આશંકા વચ્ચે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવતાં મોદીએ કહ્યું હતું કે વિદ્યાર્થીઓનું આરોગ્ય અને તેમની સુરક્ષા સર્વોપરી છે અને તેની સાથે કોઈ સમાધાન કરવામાં નહીં આવે.

સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં મોદીને એમ કહેતા ટાંકવામાં આવ્યા હતા કે વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોની બેચેનીનો અંત આણવો જોઈએ અને આવી તણાવપૂર્ણ પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓને પરીક્ષા આપવાની ફરજ ન પાડવી જોઈએ.

મોદીએ ભારપૂર્વક કહ્યું હતું કે સંબંધિત લોકોએ વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો માટે સંવેદનશીલતા દર્શાવવી જોઈએ.

સમીક્ષા બેઠકમાં અધિકારીઓએ રાજ્ય સરકાર સહિત, વાલીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવેલા અભિપ્રાય અને કરવામાં આવેલી વ્યાપક ચર્ચાવિચારણાની વિગતો રજૂ કરી હતી.

આ વિગતોની સમીક્ષા કર્યા બાદ સીબીએસઈ બૉર્ડની બારમા ધોરણની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું તેમણે કહ્યું હતું.

કોરોનાની મહામારીએ શૈક્ષણિક વર્ષ પર વિપરીત અસર કરી હોવાનું જણાવતાં મોદીએ કહ્યું હતું કે બૉર્ડની પરીક્ષાએ વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોમાં તીવ્ર બેચેની ઊભી કરી હતી જેનો અંત આણવાની જરૂર હતી.

આ પરિસ્થિતિમાં સ્વાભાવિક રીતે જ વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો આરોગ્ય અંગે ચિંતિત હતા એમ જણાવતાં મોદીએ ભારપૂર્વક કહ્યું હતું કે આવી તણાવપૂર્ણ સ્થિતિમાં વિદ્યાર્થીઓને પરીક્ષા આપવાની ફરજ ન પાડવી જોઈએ.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :