આપઘાત કરવા જઇ રહેલી મહિલાને સમયસર ઉગારતી ૧૮૧ અભયમ હેલ્પલાઇન
હતાશ મહિલાને કૂનેહપૂર્વક સમજાવીને ૧૮૧ અભયમે નવજીવન આપ્યું
૧૮૧ મહિલા હેલ્પલાઈન ટીમ મહિલાઓ માટે આધાર સમાન બની રહી છે. વિકટ પરિસ્થિતિમાં સ્ત્રીઓની વ્હારે આવીને અભયમે ઉમદા કામગીરી બજાવી છે. સુરતમાં તાજેતરમાં જ બનેલા એક કિસ્સામાં સુરત અભયમ ટીમે ફરીવાર એક મહિલાને ત્વરિત મદદ પહોચાડીને મહિલાઓ ની સંકટમોચક હોવાનો પરિચય આપ્યો છે. એક જાગૃત્ત વ્યક્તિએ ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન પર કૉલ કરી જણાવ્યું કે એક મહિલા રેલવે ટ્રેક પર ગુમસુમ બેઠી છે, કદાચ તે આત્મહત્યા કરવાના ઈરાદાથી રેલ્વે ટ્રેક પર બેઠી હોય એવું તેના હાવભાવ પરથી જણાઈ આવે છે. અમે તેને સમજાવીને ઊભી કરી, પરંતુ વારંવાર રેલવે ટ્રેકમાં જવા પ્રયત્ન કરે છે.
કોલ મળતાની સાથે જ કતારગામ સ્થિત અભયમ રેસ્કયુવાન તાત્કાલિક દર્શાવેલ સ્થળે પહોંચીને મહિલાને મળીને તેને સાંત્વના આપી નરમાઈથી પૂછપરછ કરતા તેણે પોતાની આપવીતી જણાવી હતી. તેણે કહ્યું કે તેનું નામ રીમાબેન (નામ બદલ્યું છે) છે. પોતાના પતિ અને સંતાનો સાથે સપરિવાર પર્વત પાટિયા વિસ્તારમાં રહે છે. તેના મોટા દીકરાના લગ્ન આગામી ૧૫મી તારીખે થવાના છે. લગ્નના ખર્ચને પહોંચી વળવા નાણાની જરૂરિયાત હોવાથી ગાંધીધામમાં રહેતા સંબંધી પાસે ઉછીના પૈસા લેવા માટે વાત કરતા તેમણે નાણા આપવા માટે ખાતરી આપી હતી. આમ, લગ્ન પહેલા તેઓએ પૈસાની મદદ કરવાની હા પાડી હતી, પરંતુ લગ્નની તારીખ નક્કી થતા અમે પૈસા લેવા ગયા તો સંબંધીએ અમને ઘસીને ના પાડી દીધી કે ‘પૈસાની વ્યવસ્થા મારાથી થઈ શકી નથી, તમે બીજેથી શોધી લો.’
સંબંધી પાસેથી આવો જવાબ મળશે તેવી કલ્પના પણ તેમણે કરી ન હતી. ઘેરી ચિંતામાં મૂકાઈ ગયેલા આ દંપતિને કઈ રસ્તો ન સુઝતા રીમાંબેને હવે ‘આત્મહત્યા કરવા સિવાય કોઈ માર્ગ ન હોવાનું પ્રતિત થતાં રેલવે ટ્રેક પર આપઘાત કરવાનું નક્કી કરી ઘરેથી નીકળી ગયા હતા. ટ્રેકની પાસે જતાં આવતા રાહદારીઓએ તેને સમજાવીને રોકી રાખી હતી. અને બાદમાં ૧૮૧ પર સંપર્ક કર્યો હતો.
મહિલા હેલ્પલાઇનના કાઉન્સેલરે તેમને ખૂબ જ ધીરજથી સાંત્વના આપીને આપઘાતના વિચારો મનમાંથી કાઢી મૂકવાનું સમજાવી તથા આપઘાત કરવાથી સમસ્યાનું નિરાકરણ થઈ શકે નહીં, પરંતુ ઉલટાની સમસ્યામાં વધારો થશે એમ કહીને હૈયાધારણા આપી હતી. આવા અવિચારી પગલાથી સંતાનો નોંધારા થઇ જશે તેમજ પતિ અને પરિવાર વધુ મુશ્કેલીમાં મુકાઈ જશે.
સમજાવટથી મહિલાને પોતાની ભૂલ સમજાઈ હતી. મહિલાએ પરિવાર પાસે જવાની ઈચ્છા વ્યક્ત કરતા તેને પરિવાર પાસે પહોંચાડવામાં આવી હતી. અભયમ દ્વારા પરિવારના સભ્યોને આવી પડેલી મુશ્કેલીનો હિંમતથી સામનો કરવા અને લગ્નની નાણાકીય જરૂરિયાત માટે બીજો વિકલ્પ શોધી પ્રસંગને સુખરૂપ પાર પાડવા અનુરોધ કરી સમજાવવામાં આવ્યા હતા.
આમ, અભયમના ધીરજપૂર્વકની કામગીરીથી એક મહિલાનો જીવ બચાવી શકાયો હતો. અભયમ સેવાનો મૂળ હેતુ આ રીતે મહિલાઓને જીવન ટૂંકાવવાનું અંતિમવાદી પગલું ભરતા રોકવાનો છે. ભૂતકાળમાં પણ સંખ્યાબંધ મહિલાઓને આ હેલ્પલાઈન થકી જ નવજીવન મળ્યું છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


