CIA ALERT

STT Archives - CIA Live

February 2, 2026
stt-on-fo.png
2min11

નાણા પ્રધાન નિર્મલા સીતારામન જાણે કે શેર બજારના વર્ગથી નારાજ હોય એમ દરેક સમયે શેર બજારના ટ્રેડરો, ઈન્વેસ્ટરોને નારાજ કરતા રહી આ વખતે પણ દુ:ખદ આશ્ચર્ય સર્જયું છે. યુવા વર્ગને બરબાદીના માર્ગ પર લઈ જતાં અટકાવવાના એકમાત્ર સંભવિત શુભઈરાદાથી ફયુચર્સ એન્ડ ઓપ્શન્સ ( એફ એન્ડ ઓ)માં સિક્યુરિટીઝ ટ્રાન્ઝેકશન ટેક્ષ (એસટીટી)માં કરાયેલા તીવ્ર વધારો એફ એન્ડ ઓ ટ્રેડરો માટે ઓવરડોઝ સાબીત થવાના પ્રત્યાઘાતે આજે શેર બજારની તબિયત લથડી ગઈ હતી.

નાણા વર્ષ ૨૦૨૬-૨૭ માટેના કેન્દ્રિય બજેટમાં નાણા પ્રધાન નિર્મલા સીતારામને એફ એન્ડ ઓ સોદા પરના એસટીટીમાં એકઝાટડે ૧૦૦થી ૧૫૦ ટકાનો વધારો ઝીંક્યો છે. ફયુચર્સ સોદા પરનો એસટીટી ૦.૦૨ ટકાથી વધારીને ૦.૦૫ ટકા કર્યો છે. જ્યારે ઓપ્શન્સ પ્રીમિયમ અને ઓપ્શન એક્સરસાઈઝ પરના એસટીટી દરને વધારીને ૦.૧૫ ટકા કરવાની જોગવાઈ કરી છે. અત્યારે પ્રીમિયમ પર એસટીટી ૦.૧૦ ટકા અને ઓપ્શન એક્સરસાઈઝ પર ૦.૧૨૫ ટકા એસટીટી લાગુ છે.

કેન્દ્ર સરકારને એક તરફ નાણા વર્ષ ૨૦૨૫-૨૬માં સિક્યુરિટીઝ ટ્રાન્ઝેકશન ટેક્ષ (એસટીટી) થકી રૂ.૭૮,૦૦૦ કરોડ એકત્ર થવાનો અંદાજ હતો, જો કે બજારની ડામાડોળ સ્થિતિના કારણે વાસ્તવિક એક્ત્રિકરણનો અંદાજ ઘટીને હવે રૂ.૫૭,૦૦૦ કરોડ જેટલો મૂકાઈ રહ્યો છે. સમીક્ષકોના મતે એસટીટીમાં વધારાથી કેન્દ્ર સરકારને આવક વધવાને બદલે ઘટવાની શકયતા હવે જોવાઈ રહી છે.

એસટીટીમાં વધારાના પરિણામે એક તરફ સ્ટોક એક્સચેન્જો બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઈ) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ) તેમ જ કોમોડિટી એક્સચેન્જ મલ્ટિ કોમોડિટી એક્સચેન્જ (એમસીએક્સ) પર થતાં ટ્રેડિંગ વોલ્યુમમાં મોટો ઘટાડો થવાનો અને એના પરિણામે એક્સચેન્જોની આવક ઘટવાનો અંદાજ છે. જ્યારે બીજી બાજુ ફયુચર્સ એન્ડ ઓપ્શન્સ (એફ એન્ડ ઓ)માં જંગી ટ્રેડિંગ વોલ્યુમ ધરાવતા બ્રોકિંગ હાઉસો એન્જલ વન, ગ્રો, ઝેરોધા, મોતીલાલ ઓસ્વાલ, કોટક સિક્યુરિટીઝ સહિતની આવકને ફટકો પડવાના નેગેટીવ પરિબળે આજે આકરાં પ્રત્યાઘાત બજારમાં પડયા હતા.

ઉલ્લેખનીય છે કે, સેબીના જાન્યુઆરી ૨૦૨૬ના બુલેટીન મુજબ ઈક્વિટી ડેરિવેટીવ્ઝ માર્કેટમાં ડિસેમ્બર ૨૦૨૫માં માસિક ધોરણે ઈક્વિટી ફયુચર્સ અને ઓપ્શન્સ પ્રીમિયમના સરેરાશ દૈનિક ટર્નઓવર (એડીટી)માં એનએસઈ પર ૧૧ ટકાનો ઘટાડો અને બીએસઈ પર ૮ ટકાનો ઘટાડો નોંધાયો છે.

જો કે, વાર્ષિક તુલના ડિસેમ્બર ૨૦૨૪ની સરખામણીએ ઓપ્શન્સ પ્રીમિયમ માટે એડીટીમાં ૧૧ ટકાનો વધારો અને ઈક્વિટી ફયુચર્સ માટે એડીટીમાં પાંચ ટકાનો વધારો નોંધાયો છે. સરેરાશ દૈનિક ટર્નઓવર પણ ડેરિવેટીવ્ઝ સેગ્મેન્ટમાં ઘટીને રૂ.૨૮૦ લાખ કરોડનું નોંધાયું હતું, જે જૂન ૨૦૨૩ના ૪૪૨ લાખ કરોડની તુલના સૌથી નીચું નોંધાયું હતું. માસિક ધોરણે ડિસેમ્બર ૨૦૨૫ મહિનામાં નવેમ્બરની તુલનાએ ટ્રેડિંગ વોલ્યુમમાં ૩૭ ટકાનો ઘટાડો નોંધાયો હતો.

બજારના નિષ્ણાંતોના મતે એક તરફ ટ્રેડિંગ વોલ્યુમમાં ઘટાડો થઈ રહ્યો છે, એવામાં નાણા મંત્રીએ ફયુચર્સ એન્ડ ઓપ્શન્સ (એફ એન્ડ ઓ)માં સિક્યુરિટીઝ ટ્રાન્ઝેકશન ટેક્ષ (એસટીટી)માં તીવ્ર વધારો કર્યો છે, જે બજારના સેન્ટીમેન્ટને વધુ ખરાબ કરશે અને શેર બજારોમાં ઈક્વિટીમાં ટ્રેડિંગ વોલ્યુમમાં આગામી દિવસોમાં વધુ ઘટાડો થવાની અને એના પરિણામે સરકારની એસટીટીની આવકમાં પણ ઘટાડો થવાની પૂરી શકયતા રહેશે.

છેલ્લા આઠ નાણા વર્ષમાં એસટીટીની આવક

નાણા વર્ષએક્ત્રિકરણ
(રૃ.કરોડમાં)
૨૦૧૮-૧૯રૃ.૧૧,૫૨૮
૨૦૧૯-૨૦રૃ.૧૨,૩૭૪
૨૦૨૦-૨૧રૃ.૧૬,૯૨૭
૨૦૨૧-૨૨રૃ.૨૩,૧૯૧
૨૦૨૨-૨૩રૃ.૨૪,૯૬૦
૨૦૨૩-૨૪રૃ.૩૩,૭૭૮
૨૦૨૪-૨૫રૃ.૫૫,૦૦૦
*૨૦૨૫-૨૬રૃ.૭૮,૦૦૦