OBC અનામત : મહારાષ્ટ્ર વિધાનસભામાં ધમાલ : BJPનાં 12 વિધાયક સસ્પેન્ડ
મહારાષ્ટ્ર વિધાનસભાનાં ચોમાસું અધિવેશનનાં આજે પ્રથમ દિવસે જ ઓબીસી અનામત મુદ્દે ભારે ધમાલ મચી ગઈ હતી અને હંગામો કરનારા ભાજપનાં 12 વિધાયકોને એક વર્ષ માટે સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા હતાં. પહેલા ભાજપનાં ધારાસભ્યોએ સદનનાં દાદરે બેસીને નારાબાજી કરી હતી અને પછી સ્પીકરનાં કક્ષમાં જઈને અધિકારીઓ સાથે ધક્કામુક્કી કરીને દુર્વ્યવહાર કર્યો હોવાનો આરોપ મૂકાયો હતો. જેને પગલે તેમને વિધાનસભામાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતાં.

રાજ્યનાં સંસદીય કાર્યમંત્રી અનિલ પરબે ભાજપનાં આ વિધાયકોને સસ્પેન્ડ કરવાની માગણી કરતો પ્રસ્તાવ વિધાનસભામાં મૂક્યો હતો અને તેને ધ્વનિમતથી પસાર કરી નાખવામાં આવ્યો હતો. જે 12 ધારાસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમાં સંજય કુટે, આશીષ શેલાર, અભિમન્યુ પવાર, ગિરીશ મહાજન, અતુલ ભટકલકર, પરાગ અલવાની, હરીશ પિંપલે, યોગેશ સાગર, જયકુમાર રાવત, નારાયણ કુચે, રામ સતપુતે અને બંટી ભાંગડિયાનો સમાવેશ થાય છે. આ તમામને હવે એક વર્ષ સુધી મુંબઈ અને નાગપુરમાં વિધાનમંડળ પરિસરમાં પ્રવેશની અનુમતિ પણ મળશે નહીં.
આ ધમાચકડી પછી રાજ્યનાં પૂર્વ મુખ્યમંત્રી અને વિપક્ષી નેતા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે, વિપક્ષી સદસ્યોની સંખ્યા ઘટાડવા માટે આ ખોટો આરોપ મૂકાયો છે. ભાજપ દ્વારા સ્થાનિક સ્વરાજમાં ઓબીસી અનામત મુદ્દે સરકારનું જૂઠાણું ઉજાગર કર્યુ હોવાથી આ કાર્યવાહી કરવામાં આવી છે. શિવસેનાનાં ધારાસભ્યોએ જ અપશબ્દો વાપર્યા હતાં. ફડણવીસે આગળ કહ્યું હતું કે, તેઓ પોતે જ ભાજપનાં વિધાયકોને સ્પીકરની ચેમ્બરમાંથી બહાર લઈ આવ્યા હતાં. ભાજપનાં કોઈ વિધાયકે પીઠાસન અધિકારીને અપશબ્દો કહ્યા નથી. શેલારે માફી માગી લીધા બાદ મામલો સમાપ્ત થઈ ગયો હતો. આ પહેલા એનસીપીનાં નેતા અને મંત્રી નવાબ મલિકે ભાજપનાં સદસ્યો ઉપર ભાસ્કર જાધવ સાથે ગેરવર્તનનો આરોપ લગાવવામાં આવ્યો હતો અને આ મુદ્દે વિધાનસભાની કાર્યવાહી પણ ચાર વખત સ્થગિત રહી હતી.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
