‘સુપર અમ્પાયર’ ટૉફેલનો ઘટસ્ફોટ : ઇંગ્લેડને એક રન વધુ આપ્યો અમ્પાયરોએ
અમ્પાયરોએ નિયમ પ્રમાણે ઓવરથ્રોમાં ઇંગ્લૅન્ડને છ નહીં, પણ પાંચ રન આપવા જોઈતા હતા
ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ અમ્પાયર અને એક સમયે વિશ્ર્વભરના ક્રિકેટ-અમ્પાયરોમાં નંબર વન (સુપર અમ્પાયર) કહેવાતા સાયમન ટૉફેલે ગઈ કાલે કહ્યું હતું કે ‘રવિવારે વર્લ્ડ કપમાં ન્યૂ ઝીલૅન્ડ સામેની અત્યંત રસાકસીભરી ફાઇનલમાં મેદાન પરના અમ્પાયરોએ એક ઓવરથ્રો સંબંધમાં ઇંગ્લૅન્ડને પાંચ રનને બદલે છ રન આપીને નિર્ણય લેવામાં ભૂલ કરી હતી. દેખીતી રીતે એ ભૂલ જ હતી.’
ટૉફેલના આ નિરીક્ષણ સંદર્ભમાં ક્રિકેટની સંચાલક આઇસીસી (ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ)એ કોઈ જ પ્રતિક્રિયા નહોતી આપી.
ફાઇનલ ટાઇ થઈ એ પહેલાંની મુખ્ય મૅચની આખરી ઓવરમાં ઇંગ્લૅન્ડે જીતવા ૩ બૉલમાં ૯ રન બનાવવાના હતા. ટ્રેન્ટ બૉલ્ટની એ નિર્ણાયક ઓવરના ચોથા બૉલમાં બેન સ્ટૉક્સે દોડીને એક રન લીધો હતો અને પછી બીજો રન પણ પૂરો કર્યો ત્યારે માર્ટિન ગપ્ટિલના ઓવરથ્રોમાં બૉલ સીધો સ્ટૉક્સના બૅટને વાગ્યો હતો જેમાં બૉલ સીધો બાઉન્ડરી લાઇનની બહાર પહોંચી જતાં અમ્પાયરે એ બૉલમાં કુલ ૬ રન (૨+૪) આપ્યા હતા. ત્યાર પછી બે બૉલમાં બ્રિટિશ ટીમે ત્રણ રન બનાવવાના હતા અને બે બૉલમાં બરાબર ત્રણ રન થતાં મૅચ ટાઇ થઈ હતી. ત્યાર પછીની સુપર ઓવર પણ (૧૫-૧૫ રનથી) ટાઈ થઈ હતી અને છેવટે ઇંગ્લૅન્ડને ન્યૂ ઝીલૅન્ડ કરતાં વધુ બાઉન્ડરી ફટકારી હોવાથી નિયમ મુજબ વિજેતા જાહેર કરાયું હતું.
જોકે, ભૂતપૂર્વ ‘સુપર અમ્પાયર’ ટૉફેલે કહ્યું છે કે ‘આઇસીસીના નિયમ ૧૯.૮ મુજબ ફીલ્ડરના હાથમાંથી બૉલ છૂટે ત્યારે જ ઓવરથ્રો શરૂ થયો કહેવાય. જો કોઈ ફીલ્ડરથી ઓવરથ્રો થઈ જાય અને એમાં જો એ ફીલ્ડરના હાથમાંથી ઓવરથ્રો પહેલાં બૉલ છૂટે એ અગાઉ બૅટ્સમેનો દોડીને રન લેવા માટે ક્રોસ ન થયા હોય તો તેમનો એ રન ગણતરીમાં નથી લેવાતો. જોકે, રવિવારની લૉર્ડ્સની ફાઇનલમાં બેન સ્ટૉક્સ અને આદિલ રશીદે બીજો રન દોડવા એકમેકને ક્રોસ કરે એ પહેલાં ડીપમાંથી ગપ્ટિલના હાથમાંથી બૉલ છૂટી ગયો હતો. એ જોતાં, નિયમ મુજબ સ્ટૉક્સ-રશીદે દોડેલો બીજો રન ગણતરીમાં ન લેવાય અને ઇંગ્લૅન્ડને કુલ ૬ (૨+૪)ને બદલે પાંચ (૧+૪) રન મળે. જો બેઉ બૅટ્સમેનો આ સ્થિતિમાં એકમેકને ક્રોસ ન કર્યા હોય તો એ રન પૂરો થયો ન ગણાય. બીજું, તેઓ એક જ રન દોડ્યા હોવાથી સ્ટૉક્સ પાંચમા બૉલમાં સ્ટ્રાઇકર્સ-એન્ડને બદલે નોન-સ્ટ્રાઇકર્સ એન્ડ પર હોવો જોઈતો હતો.’
જોકે, ટૉફેલે ફાઇનલના અમ્પાયરોની થોડી તરફેણ પણ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ‘અમ્પાયરો નિયમના તેમના અર્થઘટનને આધારે નિર્ણય લેતા હોય છે અને અમે સામાન્ય રીતે તેમના નિર્ણયો પર કોઈ કમેન્ટ નથી કરતા. ક્યારેક ગરમાગરમીમાં અમ્પાયરથી ખોટો નિર્ણય લેવાય પણ ખરો.’
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now