આજે રાષ્ટ્રપતિ ભવનમાં નરેન્દ્ર મોદી Govt 2.0ની શપથવિધિ, જાણો કોને કોને આમંત્રણ ?
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના પ્રધાનમંડળના ગુરુવારે યોજાનારા શપથવિધિ સમારંભમાં દેશ-વિદેશના વિવિધ ક્ષેત્રના અંદાજે 8,000 મહેમાન હાજર રહેવાના છે.
રાષ્ટ્રપતિભવનના પ્રવક્તા અશોક મલિકે બુધવારે જણાવ્યું હતું કે ગુરુવારે રાતે 7 થી 8.30 વાગ્યા સુધી યોજાનારા શપથવિધિ સમારંભમાં આટલી મોટી સંખ્યામાં કદાચ સૌપ્રથમ વખત મહેમાનો હાજર રહેવાના છે. ભોજન સમારંભ રાતે 9 વાગ્યે શરૂ થશે.
રાષ્ટ્રપતિભવનના ફોર કૉર્ટ ખાતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંંદ મોદી અને પ્રધાનોને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવશે. આ સ્થળે મોદી બીજી વખત શપથ લેશે.
સ્પૉટર્સ ક્ષેત્રના રાહુલ દ્રવિડ, સાઇના નેહવાલ, પી. ટી. ઉષા, અનિલ કુંબલે, જવાગલ શ્રીનાથ, પુલેલ્લા ગોપીચંદ, દીપા કરમાકર, ફિલ્મ ક્ષેત્રના રજનીકાંત, શાહરુખ ખાન, કંગના રનોટ, સંજય ભણસાલી, કરણ જોહર, ઉદ્યોગપતિઓમાં રતન તાતા, મુકેશ અંબાણી, ગૌતમ અદાણી, અજય પિરામલ, આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળના અધ્યક્ષ ક્રિશ્ર્ચિયન લેગાર્ડ, અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ બિલ ગેટ્સને આમંત્રણ અપાયું છે.
મોરિશસના વડા પ્રધાન પ્રવિંદકુમાર જગન્નાથ, કિર્ગીઝસ્તાનના પ્રમુખ સૂરોનબય જીનબેકોવ, બંગલાદેશના પ્રમુખ અબ્દુલ હમીદ, શ્રીલંકાના પ્રમુખ મૈત્રીપાલ સિરીસેના, નેપાળના વડા પ્રધાન કે. પી. શર્મા ઓલી, મ્યાનમારના પ્રમુખ યુ. વિન મિન્ટ, ભુતાનના વડા પ્રધાન લોટય ત્શેરિંગ આ કાર્યક્રમમાં હાજર રહેવાના છે.
શપથવિધિ સમારંભ આશરે 90 મિનિટ ચાલશે અને તે પછી મહેમાનોને રાત્રિભોજન પીરસાશે.
રાષ્ટ્રપતિભવનમાં રાષ્ટ્રપતિ દ્વારા યોજાનારા ભોજન સમારંભમાં ‘દાળ રાયસીના’, પનીર ટીક્કા, રાજભોગ, લેમન ટાર્ટ સહિત અનેક વાનગીઓ હશે. ભોજનની પહેલાં નાસ્તો પણ અપાશે. દાળ રાયસીનાની મુખ્ય સામગ્રી લખનઊથી લવાઇ છે.
કૉંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધી, યુપીએનાં અધ્યક્ષા સોનિયા ગાંધી અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન મનમોહન સિંહ પણ આ કાર્યક્રમમાં હાજર રહેશે.
ઓડિશાના મુખ્ય પ્રધાન નવીન પટનાયક અને પશ્ર્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ મોદીના શપથવિધિ સમારંભમાં ગેરહાજર રહેવાની જાહેરાત કરી હતી.
દક્ષિણના ફિલ્મ અભિનેતાઓ – રજનીકાંત અને કમલ હસન પણ આ સમારંભમાં હાજર રહેવાના છે.
નરેન્દ્ર મોદીની વડા પ્રધાનપદની 30મી મેએ યોજાનારી શપથવિધિમાં બંગલાદેશ, ભુતાન, ભારત, મ્યાનમાર, નેપાળ, શ્રીલંકા, થાઇલેન્ડનો સમાવેશ કરતા સંગઠન – બૅ ઑફ બંગાળ ઇનિશિયેટિવ ફૉર મલ્ટિ-સૅક્ટરલ ટૅક્નિકલ એન્ડ ઇકૉનૉમિક કૉઑપરેશન (બીઆઇએમએસટીઇસી)ના સભ્ય દેશના વડાઓ, શાંઘાઇ કૉઑપરેશન ઑર્ગેનાઇઝેશનના હાલના વડા કિર્ગીસ્તાનના પ્રમુખ અને મોરિશસના વડા પ્રધાન સહિત વિદેશના અનેક મહાનુભાવને આમંત્રણ અપાયું છે, પરંતુ પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનને આમંત્રણ નથી અપાયું.
બંગલાદેશનાં વડાં પ્રધાન શેખ હસીના આ સમય દરમિયાન અન્ય ત્રણ વિદેશની યાત્રાએ જવાના હોવાથી તેઓ મોદીના શપથવિધિ સમારંભમાં હાજર રહી નહિ શકે.
બંગલાદેશના મુક્તિસંગ્રામને લગતી બાબતોના પ્રધાન એ. કે. એમ. મોઝામ્મેલ હક મોદીના શપથવિધિ સમારંભમાં બંગલાદેશ સરકારના પ્રતિનિધિ તરીકે હાજર રહેશે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now