ભારતમાં માળખાગત સુવિધા વિકસાવવા સરકાર 5 વર્ષમાં ₹102 લાખ કરોડનું સરકારી ઇન્વેસ્ટમેન્ટ
નાણાપ્રધાન નિર્મલા સીતારામને 2019ના અંતિમ દિવસ, તા.31મી ડિસેમ્બરના રોજ જાહેરાત કરતા જણાવ્યું હતું કે ભારતમાં માળખાગત સુવિધાઓ વિકસાવવા માટે આગામી પાંચ વર્ષમાં કેન્દ્ર સરકાર ₹102 કરોડના ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં રોકાણ કરશે. પગલાનો હેતુ પ્રોજેક્ટ્સની પ્રગિતને ઝડપી બનાવવાનો છે. તેમણે કોર્પોરેટ બોન્ડ માર્કેટ સેગમેન્ટમાં વધુ પગલાંનું વચન આપ્યું હતું. ઉપરાંત, યોજનાને ટેકો આપવા માટે કોન્ટ્રાક્ટને લાગુ કરવા પર પણ ભાર મૂક્યો હતો.
સીતારામને કહ્યું હતું કે, “અમે આગામી પાંચ વર્ષ માટે ₹102 લાખ કરોડના પ્રોજેક્ટ્સ માટે કટિબદ્ધ છીએ. ટૂંક સમયમાં વધુ ₹3 લાખ કરોડના પ્રોજેક્ટ્સ ઉમેરાશે.” નાણાપ્રધાનના જણાવ્યા અનુસાર વીજ, રેલવે, શહેરી સિંચાઈ, મોબિલિટી, શિક્ષણ અને આરોગ્યના ક્ષેત્રની પસંદગી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસના ભાષણમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે ₹100 લાખ કરોડના રોકાણનું વચન આપ્યું હતું. જેના અમલ માટે સીતારામને આર્થિક બાબતોના સચિવ અતનુ ચક્રવર્તીની દેખરેખ હેઠળ ટાસ્ક ફોર્સની રચના કરી છે, જે ભારતને 5 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવવાના સરકારના લક્ષ્યાંકને પૂરું કરવાની દિશામાં ઇન્ફ્રા પ્રોજેક્ટ્સ માટેની યોજના તૈયાર કરશે.
નાણાપ્રધાને જણાવ્યું હતું કે, “પ્રોજેક્ટ્સની પ્રગતિ પર નજર રાખવા ઓનલાઇન ડેશબોર્ડ અને ડેટા રૂમ તૈયાર કરવામાં આવશે. ઉપરાંત, 2020ના બીજા અર્ધવાર્ષિક ગાળામાં વૈશ્વિક રોકાણકારોની બેઠક બોલાવાશે. જેમાં તમામ હિસ્સેદારોને એક સ્થાને એકત્ર કરવામાં આવશે.” તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સના સમયસર અમલ માટે મોનટરિંગનું વિસ્તૃત માળખું તૈયાર થઈ રહ્યું છે. પ્રોજેક્ટ્સને અમલીકરણની ઝડપના મૂલ્યાંકનને ધ્યાનમાં રાખીને ઉમેરવામાં આવશે અથવા પડતા મુકાશે.”
સીતારામને જણાવ્યું હતું કે, “ચાર મહિનાના ટૂંકા ગાળામાં 70 હિસ્સેદારો સાથે ચર્ચા કર્યા પછી ટાસ્ક ફોર્સે ₹102 લાખ કરોડના પ્રોજેક્ટ્સ અલગ તારવ્યા છે. આગામી કેટલાક દિવસમાં વધુ પ્રોજેક્ટ્સ ઉમેરાયા પછી આંકડો ₹105 લાખ કરોડે પહોંચશે.” ટાસ્ક ફોર્સે વિસ્તૃત અહેવાલમાં વિવિધ સેક્ટર્સ અંગેની ચાવીરૂપ પોલિસીમાં જરૂરી ફેરફાર તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા અમલમાં આવનારા અન્ય આર્થિક સુધારા અંગે ભલામણો કરાઈ છે. આ સુધારામાં FDI નીતિને વધુ ઉદાર બનાવવી, કરારો લાગુ કરવાના માળખામાં સુધારો, વિવાદનું ઝડપી રિઝોલ્યુશન સહિતની બાબતોનો સમાવેશ થાય છે.
નાણાપ્રધાને જણાવ્યું હતું કે, “નાગરિકોનું જીવન વધુ સરળ બનાવવા તેમજ ઉદ્યોગજગત માટે ‘ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ’ની દિશામાં પગલાં લેવાશે. ₹102 લાખ કરોડના અંદાજિત મૂડી ખર્ચમાંથી ₹42.7 લાખ કરોડ (42 ટકા)ના પ્રોજેક્ટ્સ અમલીકરણના તબક્કામાં છે. ₹32.7 લાખ કરોડ (32 ટકા)ના પ્રોજેક્ટ્સના કોન્સેપ્ટ પર કામ થઈ રહ્યું છે. જ્યારે બાકીના પ્રોજેક્ટ્સ વિકાસના તબક્કામાં છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now