મસૂદ અઝહરને ગ્લોબલ ત્રાસવાદી જાહેર કરાયો
સંયુક્ત રાષ્ટ્રસંઘ (યુનો)એ બુધવારે (01/05/2019) પાકિસ્તાનમાંના જૈશે મહંમદના વડા મસૂદ અઝહરને ‘વૈશ્ર્વિક ત્રાસવાદી’ જાહેર કર્યો હતો. અગાઉ, ચીને મસૂદ અઝહરને બ્લૅકલિસ્ટ કરવાની (કાળી યાદીમાં મૂકવાની) દરખાસ્ત સામે પોતાના દ્વારા ટૅક્નિકલ કારણ આપીને ઊભું કરાયેલું વિધ્ન દૂર કરતા માર્ગ મોકળો થયો હતો.
સંયુક્ત રાષ્ટ્રસંઘમાંના ભારતના કાયમી પ્રતિનિધિ અને રાજદૂત સૈયદ અકબરુદ્દીને ટ્વીટ કર્યું હતું કે અમે મસૂદ અઝહરને વૈશ્ર્વિક પ્રતિબંધ માટેની યાદીમાં મૂકવા માટેની કાર્યવાહીમાં ટેકો આપનારા દેશોના આભારી છીએ.
સંયુક્ત રાષ્ટ્રસંઘની સલામતી સમિતિએ મસૂદ અઝહરને વૈશ્ર્વિક ત્રાસવાદી જાહેર કરતા હવે તેની અસ્કયામત સ્થગિત કરાશે અને તેના પર (અન્ય દેશમાં) મુસાફરી કરવા પર તેમ જ તેને શસ્ત્રો અને ભંડોળ આપવા પર પ્રતિબંધ મુકાશે. ફ્રાંસ, યુકે અને અમેરિકાએ મસૂદ અઝહરને વૈશ્ર્વિક ત્રાસવાદી જાહેર કરવાની દરખાસ્ત રજૂ કરી હતી. ચીન આ દરખાસ્ત સામે ટૅક્નિકલ કારણ રજૂ કરીને અવારનવાર વિઘ્ન નાખતું હતું. સંયુક્ત રાષ્ટ્રસંઘની પ્રતિબંધ મૂકતી સમિતિના સભ્યો સર્વસંમતિથી નિર્ણય લે છે.
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગેંગ શુઆંગે પણ તાજેતરમાં બીજિંગ ખાતે જણાવ્યું હતું કે અમે મસૂદ અઝહરને વૈશ્ર્વિક ત્રાસવાદી જાહેર કરવાની દરખાસ્તનો મુદ્દો સલાહમસલતથી જલદી ઉકેલીશું.
અગાઉ, ચીને જૈશે મહંમદના વડાને બ્લેકલિસ્ટ કરવાની દરખાસ્ત સામે છેલ્લે 13મી માર્ચે વિઘ્ન નાખ્યું હતું અને તે પસાર થતાં અટકાવી હતી.
મસૂદ અઝહરને વૈશ્ર્વિક ત્રાસવાદી જાહેર કરવા માટેની ચોથી દરખાસ્ત 13મી માર્ચે રજૂ કરાઇ હતી. જૈશે મહંમદના વડા સામે આંતરરાષ્ટ્રીય સ્તરે કાર્યવાહી કરવા સંયુક્ત રાષ્ટ્રસંઘમાં છેલ્લાં દસ વર્ષથી પ્રયાસ થઇ રહ્યા છે. ભારતે આવી એક દરખાસ્ત 2009માં જાતે રજૂ કરી હતી અને તે પછી 2016માં આવી વધુ એક દરખાસ્ત અમેરિકા, ફ્રાંસ અને યુકેના ટેકાથી રજૂ કરાઇ હતી.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now