‘ક્યાર’ વાવાઝોડાની અસર : ગુજરાતનો દરિયો તોફાની
ગુજરાતના કિનારે ત્રાટકનાર સંભવિત વાવાઝોડા ક્યારની અસરના લીધે અરબી સમુદ્રમાં તોફાની પવન ફૂંકાઈ રહ્યો છે. પવનના કારણે બપોરે ગીર સોમનાથમાં એક બોટ ઊંધી વળી ગઈ હતી તો બીજી તરફ ભારે પવનના કારણે ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા સાવચેતીના પગલાંના ભાગરૂપે બેટદ્વારકા જતી ફેરી સર્વિસ બંધ કરાઈ હતી. દ્વારકાથી બેટદ્વારકા વચ્ચે નિત્ય ફેરી સર્વિસ ચાલે છે, જોકે પવનના કારણે સ્થિતિ વણસે અને કોઈ જાનહાનિ ન થાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
બીજી બાજુ ક્યાર વાવાઝોડું સક્રિય થયું છે અને પશ્ર્ચિમ-ઉત્તર દિશામાં અરબી સમુદ્રમાં આગળ વધી રહ્યું છે. ક્યારની અસરના લીધે અરબી સમુદ્રમાં ૧૨૦-૧૩૦ કિમી.ની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. હવામાન વિભાગની જાણકારી મુજબ ક્યાર દરિયામાં દર ૬ કલાકે ૧૨ કિ.મી. આગળ વધી રહ્યું છે. ક્યારના લીધે ગુજરાતના બંદરો પર બે નંબરનું સિગ્નલ લગાવાયું છે. સરકાર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે, જ્યારે ગુજરાતના કેટલાક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેશે.
ગીર સોમનાથના ઉનાના દરિયામાં બે બોટે જળસમાધિ લીધી છે. ઉનાના સૈયદ રાજપરાની બે બોટ દરિયામાંથી પરત આવતા સમયે ડૂબી હતી. જ્યારે ભારે પવનના કારણે એક બોટ કિનારે ઊંધી વળી ગઇ હતી. જ્યારે ગિરિમથક સાપુતારામાં પણ તોફાની પવન ફૂંકાયો હતો. સાપુતારાના વાતાવરણમાં પલટો આવતા વાવાઝોડાની સ્થિતિનું નિર્માણ થયું છે. સાપુતારામાં આજે અચાનક હવામાનમાં પલટો આવ્યો હતો અને વરસાદી માહોલ વચ્ચે સુસવાટા સાથે પવન ફૂંકાયો હતો.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now