પાકની હવાઇસીમા ભારતીય ફ્લાઇટ્સ માટે ૩૦મી મે સુધી બંધ રહેશે
પાકિસ્તાને ભારતીય ફ્લાઇટ્સ માટે પોતાની હવાઇસીમા ૩૦મી મે સુધી નહિ ખોલવાનો બુધવારે નિર્ણય લીધો હતો.
ભારતીય હવાઇદળે ૨૬મી ફેબ્રુઆરીએ પાકિસ્તાનના બાલાકોટમાંના ત્રાસવાદી સંગઠન જૈશે મહંમદની છાવણીઓ પર હુમલા કર્યો તે પછી પાકિસ્તાને પોતાની હવાઇસીમા ભારતીય વિમાનો માટે સંપૂર્ણ બંધ કરી દીધી હતી.
આમ છતાં, પાકિસ્તાને નવી દિલ્હી, બેંગકોક અને ક્વાલા લમ્પુર માટેની ફ્લાઇટ્સ સિવાયના ફ્લાઇટ્સ માટે પોતાની હવાઇસીમા ૨૭મી માર્ચે ખોલી હતી.
પાકિસ્તાનના એક ઉચ્ચ સરકારી અધિકારીએ સંબંધિત માહિતી આપતા જણાવ્યું હતું કે પાકિસ્તાનના સંરક્ષણ મંત્રાલય અને મુલકી ઉડ્ડયન મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓની બુધવારે બેઠક મળી હતી અને તેમાં ભારતીય ફ્લાઇટ્સ પરના પ્રતિબંધને ૩૦મી મે સુધી લંબાવવાનો નિર્ણય લેવાયો હતો.
તેમણે જણાવ્યું હતું કે પાકિસ્તાનની સરકાર હવે પોતાની હવાઇસીમામાંના ભારતીય ફ્લાઇટ્સ પરના પ્રતિબંધ અંગે ૩૦મી મેએ ફેરવિચારણા કરશે.
પાકિસ્તાનના વિજ્ઞાન અને ટેક્નૉલૉજી વિભાગના પ્રધાન ફાવદ ચૌધરીએ ચાલુ સપ્તાહના પ્રારંભમાં જણાવ્યું હતું કે અમારી સરકાર ભારતમાંની સામાન્ય ચૂંટણી પૂરી થવાની રાહ જોઇ રહી છે અને ત્યાં સુધી આ સ્થિતિ જેમ છે એમ રખાશે.
ભારતે પણ પાકિસ્તાની ફ્લાઇટ્સ પર આવો પ્રતિબંધ મૂક્યો હોવાથી પાકિસ્તાને બેંગકોક, ક્વાલા લમ્પુર ખાતેની પોતાની અનેક ફ્લાઇટ રદ કરી હતી.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now