જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
રિપોર્ટ તા.21 માર્ચ 2024 સવારે 9 કલાકે
સુરત હીરા બુર્સના સ્થાપક અને સર્વેસર્વા એવા કિરણ જેમ્સના વલ્લભભાઇ એસ. લાખાણી (પટેલ)એ સુરત હીરા બુર્સના ચેરમેન પદેથી રાજીનામુ ધરી દીધાના સમાચાર વાયુવેગે પ્રસરતા આ સમગ્ર મામલો સુરત, મુંબઇ સહિત સમગ્ર વિશ્વના અમેરીકા, બેલિજ્યમ, દુબઈ જેવા દેશોના હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોમાં ભારે ચર્ચાસ્પદ બન્યો છે. દેશ વિદેશના હીરા ઉદ્યોગકારોમાં સુરત હીરા બુર્સને લઇને છેલ્લા 12 કલાકથી અનેક તર્ક વિતર્કો થઇ રહ્યા છે. સુરત હીરા બુર્સના ભાવિનું શું, આગામી મે 2024થી સુરત હીરા બુર્સને વેગવતું બનાવવાની યોજના આગળ કેવી રીતે વધારવામાં આવશે આવા અનેક સવાલો સુરત હીરા બુર્સમાં ઓફિસ ધરાવતા લોકોમાં થઇ રહ્યા છે.
વલ્લભભાઇ પટેલના રાજીનામા પછી હવે શું? એ મુદ્દે ચર્ચા વિચારણા કરવા માટે આજે તા.21મી માર્ચ 2024ના રોજ સાંજે 6 કલાકે સુરત હીરા બુર્સની કોર કમિટી, મેનેજિંગ કમિટીની મિટીંગ યોજવામાં આવી છે.
- આજે ગુરુવારે સાંજે મળી રહેલી સુરત હીરા બુર્સની કોર કમિટીની મિટીંગમાં શું થઇ શકે?
- વલ્લભભાઇ પટેલને સુરત ડાયમંડ બુર્સના ચેરમેન પદે ટકી રહેવા માટે સમજાવવામાં આવશે. પરંતુ, જો તેઓ રાજીનામું પાછું નહીં ખેચવા માટે અડગ રહેશે તો
- સુરત હીરા બુર્સના નવા ચેરમેન તેમજ પ્રમુખ તરીકે કોણ જવાબદારી અદા કરશે એ ઉદ્યોગપતિઓના નામો આજની મિટીંગમાં નક્કી કરવામાં આવશે.
Reported on 20 March 2024 at 7.00pm
સુરત હીરા બુર્સના ચેરમેન પદેથી કિરણ જેમ્સના વલ્લભભાઇ પટેલનું રાજીનામું, હીરા બુર્સનું ભાવિ ડામાડોળ
રૂ.3700 કરોડના જંગી ખર્ચે તૈયાર થયેલા વિશ્વના સૌથી મોટા ઓફિસ બિલ્ડીંગ તરીકે ખ્યાતિપ્રાપ્ત સુરત હીરા બુર્સના પાયાના પથ્થર એવા ચેરમેન કિરણ જેમ્સના માલિક વલ્લભભાઇ એસ. લાખાણીએ બુર્સના ચેરમેન પદેથી રાજીનામુ આપી દીધું હોવાની વિગતો મોડી રાત્રે સાંપડી છે. સુરત હીરા બુર્સનું સુકાન હવે રાજ્યસભાના નવનિર્વાચીત સભ્ય અને એસ.આર.કે.ના ગોવિંદભાઇ ધોળકીયા અને લાલજીભાઇ પટેલ સંભાળશે એમ જાણવા મળે છે.
વલ્લભભાઇ પટેલે સુરત હીરા બુર્સના ચેરમેન પદેથી રાજીનામું આપી દીધું હોવાના સમચાાર વહેતા થતાં જ સુરત અને મુંબઇના હીરા ઉદ્યોગપતિઓમાં સોંપો પડી ગયો છે. હવે શું થશે હીરા બુર્સનું. વિશ્વના સૌથી મોટા ઓફિસ બિલ્ડીંગ તરીકે ગણના પામી રહેલા સુરત હીરા બુર્સમાં વિશ્વનું સૌથી મોટું હીરા બજાર વિકસાવવાની આખી યોજના હાલ ઘોંચમાં પડી જવા પામી છે.
સુરત હીરા બુર્સના સ્વપ્નદ્રષ્ટા મનાતા વલ્લભભાઇ એસ. લાખાણીએ રાજીનામું ધરી દીધું હોવાની બાબતે ડાયમંડ બુર્સની મેનેજિંગ કમિટીના કોઇપણ ઉદ્યોગપતિ સભ્ય કશું બોલવા તૈયાર નથી. સાથે જ સુરતના ટોચના હીરા ઉદ્યોગપતિઓમાં એવી ચર્ચાઓ ગરમાગરમ રીતે થઇ રહી છે કે હવે સુરત હીરા બુર્સના ભાવિનું શું, તા.17મી ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જેનું ઉદઘાટન કર્યું હતું એ સુરત હીરા બુર્સનું ભાવિ હાલ તો ડામાડોળ થઇ ગયેલું જણાય છે.