ગુજરાતના જે વિસ્તારોમાં ભાજપ ક્યાંય નબળો જણાઈ રહ્યો હોય એવા વિસ્તારોમાં પીએમ મોદી રેલી અને સભાઓ યોજીને માહોલ ભાજપ તરફી કરવાનો પૂરેપૂરો પ્રયાસ કરી રહ્યાં છે. એના જ ભાગરૂપે વડાપ્રધાન મોદી તા.30 ઓક્ટોબરથી 3 દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યાં છે.
વડાપ્રધાન મોદી 30 ઓક્ટોબરે બપોરે વડોદરામાં રોડ શો કર્યા બાદ લેપ્રસી ગ્રાઉન્ડ પહોંચશે અને ત્યાં વેપારીઓ અને ઉદ્યોગપતિઓને સંબોધન કરશે. આ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદી ગુજરાતમાં રક્ષા ક્ષેત્રે કરોડોના રોકાણની જાહેરાત પણ કરશે. વડોદરાના કાર્યક્રમ બાદ તેઓ કેવડિયા રવાના થશે. જ્યાં રાત્રિ રોકાણ કરશે.” વડાપ્રધાન મોદી 31 ઓક્ટોબરે સવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર સરદાર પટેલને નમન કરી કેવડિયા માં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેશે.
કેવડિયાથી વડોદરા એરપોર્ટ અને ત્યાંથી અમદાવાદ એરપોર્ટ પહોંચશે. અમદાવાદથી થરાદ જવા રવાના થશે. થરાદમાં કરોડોના વિકાસ કાર્યોની ભેટ આપશે. જનસભાને સંબોધન બાદ વડાપ્રધાન અમદાવાદ પરત ફરશે અને ગાંધીનગર રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરશે.
વડાપ્રધાન મોદી 1 નવેમ્બરે સવારે સચિવાલયથી માનગઢ જવા રવાના થશે. માનગઢમા’ જનસભાને સંબોધન કરશે. માનગઢ થી વડાપ્રધાન બપોરે જાંબુઘોડા પહોંચશે જ્યાં નવી મેડિકલ’ કોલેજ સહિતના કરોડોના વિકાસ કાર્યોની ભેટ આપશે. જંગી જનસભાને વડાપ્રધાન સંબોધન કરશે. જાંબુઘોડાથી વડાપ્રધાન ગાંધીનગર પરત ફરશે.
ગાંધીનગર મહાત્મા મંદિરથી ભાજપના કાર્યકરોને વર્ચ્યુઅલ સંબોધન કરશે. તમામ 182 વિધાનસભા બેઠકો પર ભાજપના દિવાળી સ્નેહમિલન કાર્યક્રમને વડાપ્રધાન સંબોધશે. સ્નેહમિલન કાર્યક્રમ બાદ રાત્રે વડાપ્રધાન મોદી દિલ્હી જવા રવાના થશે.