CIA ALERT
24. April 2024

ક્રાઇમ Archives - Page 2 of 32 - CIA Live

August 17, 2022
drugs.jpg
2min298

– ગુજરાત એટીએસ અને મુંબઇ એન્ટી નાર્કોટિક્સ સેલનું ઓપરેશન

– સાવલી નજીક મોક્સી ખાતેની કેમિકલ ફેક્ટરીમાંથી 225 કિલો અને પાનોલી જીઆઇડીસીની કંપનીમાંથી 513 કિલો એમડી ડ્રગ્સ સાથે 7ની અટકાયત

– દેશના યુવાધનને બરબાદ કરવાનું ષડયંત્ર ઝડપાયું

સાવલી,અંક્લેશ્વર : વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મોક્સી ગામે નેક્ટર કેમ નામની કેમિકલ કંપનીમાં ગુજરાત એટીએસની ટીમે દરોડો પાડીને એમડી ડ્રગ્સનો ૨૨૫ જથ્થો ઝડપી પાડયો છે આ ડ્રગ્સની કિમત આંતર રાષ્ટ્રીય બજારમાં આશરે ૧,૧૨૫ કરોડ થાય છે. બીજી બાજુ મુંબઇની એન્ટી નાર્કોટિક્સ સેલના વરલી યુનિટે ભરૂચ જિલ્લામાં પાનોલી જીઆઇડીસીની એક કંપની પર દરોડો પાડીને ૫૧૩ કિલો એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડીને સાતની અટકાયત કરી છે. આમ આ ડ્રગ્સની કિંમત ૧૦૨૬ કરોડ થાય છે. ગુજરાતમાં એક જ દિવસમાં આશરે ૨૧૫૧ કરોડની કિંમતનું આશરે ૭૩૮ કિલો એમડી ડ્રગ્સ ઝડપી પાડયું છે. આમ દેશના યુવાધનને ડ્રગ્સના રવાડે ચડાવી બરબાદ કરવાનું ષડયંત્ર ઝડપી પાડયું છે.

ગુજરાત એ.ટી.એસ.ને માહિતી મળી હતી કે,વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મોક્સી ગામે એક ફેક્ટરીમાં એમ.ડી.ડ્રગ્સનું ઉત્પાદન થાય છે. જેથી,એ.ટી.એસ.ની ટીમે મોક્સી ગામે આવેલી નેક્ટર કેમ નામની કંપનીમાં દરોડો પાડયો હતો.કંપનીમાંથી કોઇ ભાગી ના જાય તે માટે કંપનીને ચારે તરફથી ઘેરી લેવામાં આવી હતી.કંપનીમાં તપાસ કરતા  એમ.ડી.ડ્રગ્સનો  શંકાસ્પદ જથ્થો મળી આવ્યો હતો.જેથી,ફોરેન્સિક નિષ્ણાંતની ટીમને  સ્થળ પર બોલાવીને તપાસ કરાવવામાં આવી હતી.પ્રાથમિક તપાસ દરમિયાન પકડાયેલો જથ્થો એમ.ડી.ડ્રગ્સ હોવાનું  જણાઇ આવ્યું હતું.પોલીસે ૨૨૫ કિલો એમ.ડી.ડ્રગ્સ કિંમત ૧,૧૨૫ કરોડનું જપ્ત કર્યુ છે.ડીવાય.એસ.પી.કે કે પટેલે જણાવ્યું હતું કે,ફેક્ટરીમાં એમ.ડી.ડ્રગ્સનો જથ્થો રાખવામાં આવ્યો  હતો.આ ડ્રગ્સનો જથ્થો અન્ય કોઇ સ્થળેથી તૈયાર થઇને અહીંયા સંગ્રહ કરવામાં આવ્યો હતો.એમ.ડી.ડ્રગ્સનો જથ્થો ક્યાં તૈયાર કરવામાં આવ્યો હતો ? તે અંગે તપાસ ચાલી રહી છે.ફેક્ટરીમાંથી કંપનીના માલિક પીયૂષ  પટેલ અને એક કર્મચારી હાજર મળી આવ્યા હતા.તેઓની પૂછપરછ ચાલી રહી છે.ગુજરાતના ઇતિહાસમાં એમ.ડી.ડ્રગ્સનો આ સૌથી મોટો જથ્થો છે.આ કંપની વિવિધ પ્રકારના કેમિકલનું ઉત્પાદન કરે છે.અને કોરોના કાળમાં કોરોના સંબંધિત કેમિકલનું ઉત્પાદન થતું હતું.

પરંતુ, તેની આડમાં એમ.ડી.ડ્રગ્સ બનાવવામાં આવતું હોવાની જાણકારી મળી હતી.પરંતુ,રેડ પછી આ જગ્યાનો ગોડાઉન  તરીકે ઉપયોગ થતો હોવાનું જાણવા મળ્યું છે.

પાનોલી જીઆઇડીસીની કંપનીમાંથી 513 કિલો ડ્રગ્સ જપ્ત

ભરૂચ જિલ્લાના અંક્લેશ્વર નજીક પાનોલી જીઆઇડીસીની એક ફાર્મા કંપનીમાંથી મુંબઇની એન્ટી નાર્કોટિક્સ સેલના વરલી યુનિટે દરોડો પાડી અંદાજે ૫૧૩ કિલો એમડી ડ્રગ્સ ઝડપી પાડયું છે. આ ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય કિંમત રૃા.૧૦૨૬ કરોડ આંકવામાં આવી રહી છે.

મુંબઇની એન્ટી નાર્કોટિક્સ સેલના વરલી યુનિટ દ્વારા ગઇરાતે ભરૂચ જિલ્લા પોલીસની મદદ મેળવી પાનોલી જીઆઇડીસીની ઇન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ કંપનીમાં દરોડો પાડયો હતો. દરોડા દરમિયાન પ્રતિબંધિત એમડી ડ્રગ્સનો વિપુલ જથ્થો મળી આવ્યો હતો, જે પાવડર તેમજ પ્રવાહી સ્વરૂપે હતો.

આ સમગ્ર કાર્યવાહી અંગે જોકે પોલીસ તંત્રે કોઇ સતાવાર વિગતો જાહેર કરી નથી, હાલ પોલીસે સમગ્ર કાર્યવાહીમાં એક મહિલા સહિત સાત લોકોની અટકાયત કરી છે. વડોદરા જિલ્લામાં સાવલી નજીક મોક્સી ગામે નેક્ટર કેમ કંપનીમાં ગુજરાત એટીએસ દ્વારા જે દરોડો પાડીને અંદાજે ૨૦૦ કિલો એમડી ડ્રગ્સ પકડી પાડયું તેની સાથે સાથે પાનોલી જીઆઇડીસી ખાતેની કંપનીમાં પણ દરોડા પાડતા રાજ્યમાં સંભવત પ્રથમ વખત આટલી મોટી માત્રામાં પ્રતિબંધિત એમડી ડ્રગ્સ પકડી પાડવામાં આવ્યું છે.

આ કંપની પાનોલી જીઆઇડીસીમાં ડાઇઝ અને ડાઇ ઇન્ટરમીડિયેટના નામે ૫ વર્ષ અગાઉ શરૂ થઇ હતી, જેમાં રૂપિયા ૪૪૨ લાખનું રોકાણ કરવામાં આવ્યું હતું. હવે જ્યારે આ કંપનીમાંથી રૂપિયા ૧૦૨૬ કરોડનું એમડી ડ્રગ્સ ઝડપાયું છે, તેનાથી સ્થાનિક ઉદ્યોગ જગત પણ ચોંકી ઊઠયું છે.

ભૂતકાળમાં ગુજરાત એટીએસે પાનોલી જીઆઇડીસીની મીરા કેમિકલની  આડમાં એમડી ડ્રગ્સનું ઉત્પાદન થતું હોવાનો પર્દાફાશ કર્યો હતો.

દરમ્યાન તપાસ એજન્સી દ્વારા ડ્રગ્સ કયાં મોકલવામાં આવનાર હતું, ક્યારથી ડ્રગ્સનું નેટવર્ક ચાલે છે, તે અંગે માહિતી મેળવવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

વધુમાં મળતી માહિતી પ્રમાણે આ કંપનીમાંથી એમડી ડ્રગ્સ મુંબઇ, કર્ણાટક તેમજ ગોવા મોકલવામાં આવતુ હતું. મુંબઇ નાર્કોટિક્સ વિભાગની ટીમે મુંબઇના નાલા સોપારા ખાતેથી હાલ એક ડ્રગ પેડલરને ઝડપી પાડયો હતો તેની પૂછપરછમાં પાનોલીમાં એમડી ડ્રગ્સ બનતું હોવાની વિગતો બહાર આવ્યા બાદ ગત રાત્રિથી ગુજરાતમાં બે ઠેકાણે દરોડા પાડયા હતા.

તપાસ ટીમે ૮૧૨ કિલો કરતા વધારે સફેદ પાવડર જપ્ત કર્યો હતો. જે એમડી(મેફેડ્રોન) ડ્રગ્સ તૈયાર કરવામાં વપરાય છે. આ ઉપરાંત ૩૯૭ કિલો કરતા વધારે છીકણી રંગના ટુકડા કબજે કર્યા છે. જે પણ આ ડ્રગ્સ તૈયાર કરવામાં  વપરાય છે. આમ, કુલ ૧૨૧૮ કિલો કરતા વધારે વજનનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેની કુલ કિંમત ૨૪૩૫ કરોડ થાય છે.

પાનોલીની કંપનીનો માલિક દિક્ષિત કેમેસ્ટ્રીમાં માસ્ટર ડિગ્રી ધરાવે છે

એન્ટી નાર્કોટિક્સ સેલના ડેપ્યુટી કમિશનર દત્તા નલાવડેના જણાવાયા મુજબ પાનોલી યુનિટનો માલિક ગિરિરાજ દિક્ષિત કેમેસ્ટ્રીમાં માસ્ટર ડિગ્રી ધરાવે છે. તા.૩ ના રોજ નાલા સોપારામાં ૭૦૦ કિલો એમડી ડ્રગ્સ, પ્રતિબંધિત સિન્થેટિક ડ્રગનો જથ્થો ઝડપી પાડયો હતો. જેની કિંમત ૧૪૦૦ કરોડ થાય છે. શમસુલ્લાહ ઓબેદુલ્લાહ ખાન (૩૮), અયુબ ઇઝહાર અહેમદ શેખ (૩૩), રેશમા સંજયકુમાર ચંદન (૪૯), રિયાઝ અબ્દુલ સતાર મેમણ (૪૩), પ્રેમ પ્રકાશ પ્રશાંતસિંહ (૫૨) અને કિરણ પવારને રેડ દરમિયાન ઝડપી પાડયા હતા દિક્ષિતની ફેક્ટરીમાંથી મુંબઇના પેડલર્સ અને આજુબાજુના વિસ્તારોમાં માલ સપ્લાય થતો હતો. દિક્ષિત અને તેના સાગરીતોએ પ્રયોગો કરીને એમડી ડ્રગ્સની ફોર્મ્યુલા વિકસાવી હતી.

August 9, 2022
srikant_tyagi.jpg
1min253

–  શ્રીકાંત નોઈડાની સોસાયટીમાં મહિલા સાથે ગેરવર્તણૂક મામલે ફરાર હતો

નોઈડાની ગ્રાન્ડ ઓમેક્સ સોસાયટી (Grand Omaxe Society)માં મહિલા સાથે ગેરવર્તણૂક કરનારા કથિત નેતા શ્રીકાંત ત્યાગી (Srikant Tyagi)ની પોલીસે ધરપકડ કરી લીધી છે. ત્યાગી સાથે પોલીસે 3 લોકોની મેરઠથી ધરપકડ કરી છે. શ્રીકાંત નોઈડાની સોસાયટીમાં મહિલા સાથે ગેરવર્તણૂક મામલે ફરાર હતો. આ પહેલા નોઈડા પોલીસે ગેંગસ્ટરની કાર્યવાહી કરી તેના પર 25 હજારનું ઈનામ પણ જાહેર કર્યું હતું.  

મળતી માહિતી પ્રમાણે શ્રીકાંત ત્યાગી સતત પત્ની અને વકીલ સાથે વાત કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. તેના કારણે જ પોલીસને તેના લોકેશનની જાણકારી મળી હતી. ત્યારબાદ પોલીસે મેરઠથી તેની ધરપકડ કરી છે. 

પોલીસે મંગળવારે તેની પત્નીને બીજી વખત કસ્ટડીમાં લીધી હતી. આ અગાઉ પોલીસે શુક્રવારે પણ ત્યાગીની પત્નીને કસ્ટડીમાં લઈ 24 કલાક સુધી પૂછપરછ કરી હતી. 

આ પહેલા નોઈડા પોલીસે ગેંગસ્ટરની કાર્યવાહી કરી તેના પર 25 હજારનું ઈનામ પણ જાહેર કર્યું હતું. આરોપીને શોધવા માટે નોઈડા પોલીસની 8 ટીમો 3 રાજ્યમાં તેને શોધી રહી હતી. સોમવારે સોસાયટીમાં તેમના મકાનમાં ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું. આરોપીઓ પર દબાણ લાવવા માટે GST ટીમે ભાંગેલમાં તેની દુકાનો પર પણ દરોડા પાડ્યા હતા.

July 30, 2022
socialmedia1-900px.jpg
1min255

– કેરળ હાઇકોર્ટે જાતિવાદી કોમેન્ટ કરનારાની અરજી ફગાવી

– જાતિનું અપમાન કરતી ટિપ્પણી કરી ત્યારે પીડિતા ત્યાં હાજર નહોતી: યૂટયુબરની દલીલોને હાઇકોર્ટે ફગાવી

નવી દિલ્હી : સોશિયલ મીડિયા પર પોસ્ટ કે કોમેંટ આડેધડ થતી હોય છે, જેમાં જાતિ આધારીત કોમેંટ કે પોસ્ટ પણ કરવામાં આવતી હોય છે. જોકે હવેથી કોઇ જાતિ આધારીત પોસ્ટ કે કોમેંટ થાય તો તેવા કેસમાં એસસી, એસટી કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી શકે છે. હાલ આ જ પ્રકારનો એક મામલો કેરળ હાઇકોર્ટમાં ચાલી રહ્યો છે. 

કેરળ હાઇકોર્ટમાં એક યૂટયૂબર દ્વારા અરજી કરવામાં આવી છે. જેની સુનાવણી ચાલી રહી છે. 

અરજદાર યૂટયૂબર દ્વારા એક ઇન્ટરવ્યૂમાં એસસી, એસટી સમાજની એક મહિલા સામે કથિતરુપે અપમાનજનક નિવેદન આપવામાં આવ્યું હતું. આ નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ થતા વાઇરલ થઇ ગયો હતો. જે બાદ આરોપીની ધરપકડ કરી લેવામાં આવી હતી. હવે આરોપી દ્વારા કેરળ હાઇકોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરવામાં આવી છે. 

જોકે કેરળ હાઇકોર્ટે આરોપી યૂટયૂબરની જામીન અરજીને ફગાવી દીધી છે. આ દરમિયાન જ્યારે કોર્ટમાં દલિલો ચાલી રહી હતી ત્યારે આરોપીએ એવો તર્ક આપ્યો હતો કે પીડિતા મારા આ ઇન્ટરવ્યૂ અને મે કોમેંટ કરી ત્યારે તે હાજર નહોતી. તેથી એસસી, એસટી એક્ટ અંતર્ગત આ મામલે કેસ જ નથી બનતો. 

July 28, 2022
harsh.jpg
1min295

ગુજરાત લઠ્ઠાકાંડમાં મોતનો બિનસત્તાવાર આંકડો 75થી વધુ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે હવે આ મામલે ગૃહ વિભાગ એક્શનમાં આવ્યુ છે. ગૃહ વિભાગે SP કક્ષાના 2 અધિકારીઓની બદલી કરી છે તથા PSI સહિત 5 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બોટાદ SP કરન રાજ વાઘેલા અને અમદાવાદ ગ્રામ્ય એસપી વીરેંદ્રસિંહ યાદવની બદલી કરવામાં આવી છે. બોટાદના DYSP એસ.કે.ત્રિવેદીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને ધોળકાના DYSP એન.વી.પટેલને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બરવાળાના PSI ભગીરથ સિંહ વાળા અને કરાયારાણપુરના PSI શૈલેન્દ્ર સિંહ રાણાને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. 

ધોળકા તથા બોટાદમાં DYSP એન.વી.પટેલ (ધોળકા) તથા DYSP એસ.કે.ત્રિવેદી (બોટાદ)ની ફરજ દરમિયાન આ વિસ્તારમાં ઝેરી કામિકલ યુક્ત દારૂનું મોટા પાયે બોટાદના બરવાળા, રાણપુર તાલુકો તથા અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના વિવિધ વિસ્તારોમાં વેચાણ થતાં ઝેરી કેમિકલ યુક્ત દારૂ પીવાના કારણે આશરે 42 (સત્તાવાર આંકડો) (બિનસત્તાવાર આંક 75) થી વધુ વ્યક્તિઓના મોત થયા છે. ગુજરાતમાં દારૂબંધીની નીતિ અમલમાં છે તેમ છતાં તેમના કાર્યવિસ્તારમાં મોટા પાયે ઝેરી કેમિકલ યુક્ત દારૂની હેરાફેરી રોકવામાં તેમજ તેનું વેચાણ અને સેવનને રોકવામાં નિષ્ફળ રહ્યા છે જે તેમની ફરજમાં ગંભીર નિષ્કાળજી તેમજ નિષ્ઠાનો અભાવ દર્શાવે છે તેથી બંને DYSP એન.વી.પટેલ (ધોળકા) તથા એસ.કે.ત્રિવેદી (બોટાદ)ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

આ સસ્પેન્ડ કરાયેલ DYSP એસ.કે.ત્રિવેદી અને એન.વી.પટેલ ફરજ મોકૂફી દરમિયાન ગુજરાત રાજ્ય સેવા નિયમો 1971ના નિયમ-15ની જોગવાઈ પ્રમાણે તેઓ કોઈ સ્થળે નોકરી સ્વીકારી શકશે નહીં કે ધંધો રોજગાર કરી શકશે નહીં. અને જો તેઓ ધંધો કે, રોજગાર કરતા પકડાશે તો તેઓની આવી વર્તણૂક નિયમો પ્રમાણે ગેરવર્તણૂક ગણાશે અને તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. તથા તેઓ નિર્વાહભથ્થા અંગે દાવો કરી શકશે નહીં.

July 19, 2022
hariyana.jpg
1min318

– હરિયાણાના ગૃહમંત્રી અનિલ વિજે કહ્યું હતું કે, આરોપીઓ સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે, ભલે ગમે તેટલી પોલીસ તૈનાત કરવી પડે

હરિયાણામાં ખનન માફિયાઓની બેફામતા ફરી એકવાર સામે આવી છે. જાણકારી અનુસાર, નૂહમાં ખનન માફિયાઓએ DSP પર ગાડી ચડાવી દીધી હતી. જેના કારણે DSP સુરેન્દ્ર વિશ્નોઈનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

જણાવવામાં આવી રહ્યું છે કે, DSP સુરેન્દ્ર વિશ્નોઈ તાવડુ ખાતે તૈનાત હતા. તેઓ તાવડુના પહાડમાં ગેરકાયદે ખનન થતું હોવાની બાતમી આધારે દરોડો પાડવા ગયા હતા. કાર્યવાહી દરમિયાન DSP સુરેન્દ્ર સિંહ વિશ્નોઈએ ખનન સ્થળ પર પથ્થર ભરેલી ટ્રકને રોકવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં તેઓને ડમ્પર વડે ટક્કર મારવામાં આવી હતી અને આ કારણે DSPનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

કહેવામાં આવી રહ્યું છે કે, તેમને સવારે 11:00 વાગ્યે માઈનિંગની માહિતી મળી હતી. ત્યારબાદ તે પોતાના સ્ટાફ સાથે 11:30 વાગ્યે પહોંચી ગયા હતા. જ્યારે પોલીસ ત્યાં પહોંચી તો તેમને જોઈને ખનન માફિયાઓએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો અને આ દરમિયાન ડીએસપીને ટક્કર મારવામાં આવી હતી.

હરિયાણાના ગૃહમંત્રી અનિલ વિજે કહ્યું હતું કે, આરોપીઓ સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે. ભલે ગમે તેટલી પોલીસ તૈનાત કરવી પડે, અમે કોઈને બક્ષશું નહીં અને આકરી કાર્યવાહી કરશું.

આ ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. પોલીસે આરોપીની શોધખોળ હાથધરી હતી અને આરોપીને ઝડપી પાડેલ છે. આ ઘટના બાદ પોલીસ વિભાગમાં ફળભળાટ મચી ગયો છે. આઈજી અને નુહના એસપી ઘટનાસ્થળે પહોંચી ગયા છે. ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.

હરિયાણામાં ખનન માફિયાઓ દ્વારા ઉદ્ધતાઈનો આ પહેલો કિસ્સો નથી પરંતુ અગાઉ પણ આવી અનેક ઘટનાઓ સામે આવી છે. આ અગાઉના કિસ્સાની વાત કરવામાં આવે તો, સોનીપત ખાતે ગેરકાયદેસર ખાણકામ સાથે સંકળાયેલી ટોળકીએ સ્પેશિયલ એન્ફોર્સમેન્ટ ટીમ પર જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં સૈનિકને માર મારીને ઘાયલ કરવામાં આવ્યો હતો અને ASIનો યુનિફોર્મ ફાડી નાખવામાં આવ્યો હતો.

July 16, 2022
cbi.jpg
1min321

સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI)ની ટીમ દ્વારા ગાંધીનગરના નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાના રિજનલ ઓફિસર દિગ્વિજય મિશ્રા અને ચીફ જનરલ મેનેજર (ટેકનિકલ)ની 10 લાખ રૂપિયા લાંચ લેવાના કેસમાં Dated 15/7/22 ધરપકડ કરવામાં આવી છે. CBIના ઓફિસરે જણાવ્યું હતું કે, અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસવે પ્રોજેક્ટ માટે મિશ્રા દ્વારા GHV Indiaના પ્રતિનિધિ પાસેથી લાંચ લેવામાં આવી હતી. આ ઉપરાંત સીબીઆઈની ટીમને દિગ્વિજય મિશ્રાના ઘરે સર્ચ ઓપરેશન દરમિયાન 20 લાખ રૂપિયા રોકડા પણ મળી આવ્યા હતા.

CBIએ પોતાના સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, 109 કિમી લાંબાા અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસવે પ્રોજેક્ટ માટે કંપનીની ભલામણ કરી હોવાની ફરિયાદ મળ્યા બાદ દિગ્વિજય મિશ્રા સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. આ ઉપરાંત CBIની ટીમ દ્વારા લાંચ કેસમાં સંડોવાયેલાં GHV India Private લિમિટેડના પ્રતિનિધિ TP સિંહની પણ મુંબઈથી ધરપકડ કરવામાં આવી છે.

CBI દ્વારા પોતાના નિવેદનમાં વધુમાં જણાવ્યું હતું કે, દિગ્વિજય મિશ્રા, GHV Indiaના MD જાહિદ વિજાપુરા, તેમના પ્રતિનિધિ સિંહ, શિવપાલસિંહ ચૌધરી, અમદાવાદના ન્યૂ ઈન્ડિયા કોન્ટ્રાક્ટર્સ એન્ડ ડેવલપર્સ પ્રાઈવેટ લિમિટેડના MD, તેમના પ્રતિનિધિ અંકુર મલ્હોત્રા, RB સિંહ, ગાંધીનગરમાં MKC ઈન્ફ્રાસ્ટ્રક્ચર જનરલ મેનેજર ઉપરાંત અજાણ્યા સરકારી અધિકારીઓ અને પ્રાઈવેટ વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.

CBIએ વધુમાં જણાવ્યું હતું કે, એવો આરોપ હતો કે, મિશ્રા અને અન્યો તેમના કાર્યક્ષેત્ર હેઠળ આવતાં NHAIના પ્રોજેક્ટ્સમાં કામ કરી રહેલી કંપનીઓના પ્રતિનિધિઓ સાથે ગેરકાયદે પ્રવૃતિઓમાં જોડાયેલાં હતા, જેમ કે આ કંપનીઓને પૂર્ણતાનું સર્ટિફિકેટ આપવામાં, બિલની પ્રક્રિયામાં વગેરે જેવી કામગીરીમાં તરફેણ કરવામાં આવતી હતી.

લાંચની લીધી હોવાની પુષ્ટિ થતાં જ CBIની ટીમે મિશ્રાના ઘરે રેડ પાડી હતી અને મિશ્રાની ધરપકડ કરી હતી, જેમની પર આરોપ છે કે, તેઓએ કંપનીના પ્રતિનિધિ TP સિંહ પાસેથી લાંચ લીધી હતી. સિંહને પણ કસ્ટડી હેઠળ લઈ લેવામાં આવ્યા છે. મિશ્રાની ધરપકડ કર્યાં બાદ સીબીઆઈ દ્વારા ગાંધીનગર, અમદાવાદ, પુને, દિલ્હી અને ચંદીગઢ સહિત 14 સ્થળો પર સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. સીબીઆઈ ઓફિસરે જણાવ્યું કે, ગાંધીનગર સ્થિત મિશ્રાના ઘરે સર્ચ ઓપરેશન દરમિયાન સીબીઆઈની ટીમે લાંચના 10 લાખ રૂપિયા સહિત 20.50 લાખ રૂપિયા રોકડા જપ્ત કર્યાં હતા.

સીબીઆઈ ઓફિસરે જણાવ્યું કે, કંપનીના ચાલુ પ્રોજેક્ટ જેવા કે, પેકેજ-1 (અમદાવાદ-ધોલેરા 0 કિમી-22 કિમી), પેકેજ-2 (અમદાવાદ-ધોલેરા 22 કિમી-48.52 કિમી) અને RE વોલ (reinforced earth wallનો ઉપયોગ માટીને બાજુથી ટકાવી રાખવી, જેથી તેને કેરેજવેની બંને બાજુએ વિવિધ સ્તરે જાળવી શકાય), પેકેજ 3 કન્સ્ટ્રક્શન (અમદાવાદ-ધોલેરા 48.52 કિમી-71.06 કિમી) માટે EOT (Extension of Time) (વધારેનો સમય આપવો) જેવી ભલામણો માટે કંપનીના ઓફિસર અને પ્રતિનિધિઓ મિશ્રાના સંપર્કમાં હતા.

CBIના સૂત્રોએ જણાવ્યું હતું કે, GHVના પ્રતિનિધિઓ લાંચ આપવા માટે ગાંધીનગર સ્થિત મિશ્રાના ઘરે ગયા હતા. આ ઉપરાંત સૂત્રોએ એમ પણ જણાવ્યું હતું કે, મિશ્રાને લાંચની રકમ ચૂકવવા માટે GHVના પ્રતિનિધિઓ દ્વારા અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઓ પાસેથી પૈસા એકત્ર કરવામાં આવી રહ્યા હતા.

June 9, 2022
nupur-1280x1195.jpg
1min268

પયગંબર મોહમ્મદ વિરુદ્ધ કથિત ટિપ્પણી કરવા બદલ ભાજપમાંથી સસ્પેન્ડ કરાયેલા નુપુર શર્માની મુશ્કેલી વધી ગઈ છે. દિલ્હી પોલીસે ભાજપના પૂર્વ પ્રવક્તા નુપુર શર્મા અને દિલ્હી ભાજપના પૂર્વ નેતા નવીન કુમાર જિંદાલ સહિત સોશિયલ મીડિયા પર નફરત ફેલાવવા બદલ કેટલાક લોકો વિરુદ્ધ FIR નોંધી છે. જેમાં ભાજપની પૂર્વ પ્રવક્તા નૂપુર શર્મા અને દિલ્હી ભાજપના પૂર્વ નેતા નવીન કુમાર જિંદલનું નામ પણ સામેલ છે. દિલ્હી પોલીસે બુધવારે જણાવ્યું હતું કે, તેમણે કેટલાક લોકો સામે કેસ નોંધ્યો છે જેઓ કથિત રીતે નફરતના સંદેશાઓ ફેલાવી રહ્યા છે એટલે કે હેટ મેસેજ ફેલાવી રહ્યા છે. જુદા જુદા જૂથોને ઉશ્કેરી રહ્યા છે અને એવી સ્થિતિ સર્જી રહ્યા છે કે, જે જાહેર શાંતિ અને વ્યવસ્થા જાળવવા માટે હાનિકારક છે.

દિલ્હી પોલીસે જણાવ્યું કે, સ્પેશિયલ સેલના ઈન્ટેલિજન્સ ફ્યુઝન એન્ડ સ્ટ્રેટેજિક ઓપરેશન યુનિટે નુપુર શર્મા અને નવીન જિંદાલ સહિત લગભગ 9 લોકો વિરુદ્ધ FIR નોંધી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે  FIRમાં નૂપુર શર્મા, નવીન કુમાર જિંદલ, શાદાબ ચૌહાણ, સબા નકવી, મૌલાના મુફ્તી નદીમ, અબ્દૂર રહેમાન, ગુલઝાર અંસારી, અનિલ કુમાર મીણા અને પૂજા શકુનનું નામ સામેલ છે. આ બધા પર ઉશ્કેરણીજનક નિવેદન દ્વારા માહોલ ખરાબ કરવાનો આરોપ છે. 

ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ કેપીએસ મલ્હોત્રાએ જણાવ્યું હતું કે, FIR વિવિધ ધર્મો વિરુદ્ધ નિવેદનોથી સંબંધિત છે. મલ્હોત્રાએ જણાવ્યું હતું કે, યુનિટ સાયબર સ્પેસ પર અશાંતિ પેદા કરવાના ઈરાદાથી જૂઠી અને ખોટી માહિતીને પ્રોત્સાહન આપવામાં વિવિધ સોશિયલ મીડિયા સંસ્થાઓની ભૂમિકાની તપાસ કરશે. તમને જણાવી દઈએ કે, ટીવી ડિબેટમાં કથિત વિવાદાસ્પદ ધાર્મિક ટિપ્પણી માટે ભાજપ નેતા નૂપુર શર્માને સસ્પેન્ડ કરવાના વિવાદ વચ્ચે આ મામલે સામે આવ્યો છે. આ અગાઉ નૂપુર શર્માની વિરુદ્ધ મુંબઈમાં પણ FIR નોંધવામાં આવી ચૂકી છે. 

પયગંબર મોહમ્મદ પર કથિત ટિપ્પણી બાદ નૂપુર શર્માને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. જેને લઈને દિલ્હી પોલીસે FIR નોંધી હતી અને નૂપુર શર્મા તથા તેમના પરિવારને સુરક્ષા પૂરી પાડી હતી. નુપુર શર્માએ તેમને મળી રહેલી ધમકીઓનો હવાલો આપતા પોલીસને સુરક્ષા પ્રદાન કરવાની વિનંતી કરી હતી.

May 24, 2022
singla.jpg
1min287
Punjab Minister Vijay Singla Sacked By Bhagwant Mann Over Corruption  Charge, Arrested

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને રાજ્યના આરોગ્ય મંત્રી વિજય સિંગલાને પોતાના પદ પરથી હટાવી દીધા છે. ભ્રષ્ટાચારના આરોપોને કારણે વિજય સિંગલાને તેમના પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. જોકે, ગણતરીના કલાકોમાં જ આપના પૂર્વ સ્વાસ્થ્યમંત્રી સિંગલાની ધરપકડ કરવામાં આવી છે.  

મુખ્યમંત્રીએ કહ્યું કે, “હું મંત્રી સામે કડક કાર્યવાહી કરી રહ્યો છું. હું તેમને કેબિનેટમાંથી હટાવી રહ્યો છું, મુખ્યમંત્રીએ એક વીડિયો સંદેશમાં દાવો કર્યો હતો કે સિંગલાએ પોતે ખોટુ કામ કર્યું હતુ તે સ્વીકાર્યું હતુ. 

વધુમાં કહ્યું કે, અમારી તપાસમાં જાણવા મળ્યું છે કે સ્વાસ્થય મંત્રી અરજીઓ મંજૂર કરવા 1%ના કમિશનની માંગણી કરી રહ્યાં હતા. 

AAP પાર્ટી અને ભગવંત માને ચૂંટણી પ્રચાર દરમિયાન રાજ્યમાંથી ભ્રષ્ટાચારને સંપૂર્ણપણે નાબૂદ કરવાનું વચન આપ્યું હતું. તે જ સમયે, હવે ભ્રષ્ટાચારના આરોપી મંત્રીને તેમના પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે.

તે જ સમયે, AAP પાર્ટીએ કહ્યું કે આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલના ભ્રષ્ટાચાર વિરોધી મોડલ અનુસાર મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. AAP સાંસદ રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે, તેમની પાર્ટી એકમાત્ર એવી પાર્ટી છે જે ભ્રષ્ટાચારના આધાર પર પોતાના લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે પ્રમાણિકતા, હિંમત અને પ્રામાણિકતા ધરાવે છે. અમે આવુ દિલ્હીમાં જોયું, હવે પંજાબમાં જોઈ રહ્યા છીએ. 

May 11, 2022
surat_police.jpg
1min467

પાસપોર્ટ કે વિઝા વગર ભારતમાં ઘૂસણખોરી કરતા 6 બાંગ્લાદેશી નાગરિકોને સુરતના રેલવે સ્ટેશન પાસેથી ઝડપી પાડવામાં આવ્યા છે. આ બાંગ્લાદેશી નાગરિકોના ડુપ્લિકેટ આધાર કાર્ડ બનાવનારની પણ પોલીસે ધરપકડ કરી લીધી છે. પોલીસે ત્રણ મહિલા અને ત્રણ પુરુષ મળી કુલ 6 બાંગ્લાદેશીને ઘૂસણખોરી કરતા ઝડપી પાડયા છે તેમજ 4 વોન્ટેડ જાહેર કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

સુરત રેલવે પોલીસનો સ્ટાફ આજે પેટ્રોલિંગમાં હતો એ દરમિયાન સુરત રેલવે સ્ટેશન પર ત્રણ મહિલા અને ત્રણ પુરુષો શંકાસ્પદ હાલતમાં ફરી રહ્યા હતા. દરમિયાન પોલીસની નજરમાં આવતા આ 6 લોકો બાંગ્લાદેશથી સુરત આવ્યા હોવાનું જણાવતા પોલીસ ચોંકી ઉઠી હતી. આ મામલે તપાસ કરતા તેઓની પાસે કોઈ પાસપોર્ટ કે વિઝા મળી આવ્યા ન હતા અને ઘૂસણખોરી કરી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે હાલમાં આયન ત્રણ રસ્તા પાસે બાંગ્લાદેશ ખાતે રહેતા પરવેઝ આઇબા મીરડા, નયોન મોસીયર મૌલા, બીસ્ટી અખ્તર આફતર સોરદાર, ફાતેમા ખાનુન અનવર મૌલા તથા ફરઝાન ઉર્ફે બીઠી રૂકોલ ફોરાજીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તેમજ બારડોલીના ઉપલી બજાર પાસે રહેતા અને ખોટું આધારકાર્ડ બનાવનાર જાબીર ફીરોઝ પટેલની પણ પોલીસે ધરપકડ કરી આવા ખોટા દસ્તાવેજો બનાવી આપનારને વોન્ટેડ જાહેર કર્યા છે.

સુરત રેલવે પોલીસને પૂછપરછમાં જણાવ્યું હતું કે, ગેરકાયદેસર રીતે તેઓ ભારતની બોર્ડર ક્રોસ કરી હતી. તેઓ પાસે કોઈ પાસપોર્ટ કે વિઝા ન હતા. તેઓની પાસેથી ઇન્ડિયાના આધારકાર્ડ મળી આવ્યાં હતાં તે ખોટી રીતે બનાવ્યા હતા. આ મામલે ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. ત્રણેય મહિલાને દેહ વ્યાપારના ધંધામાં ધકેલવાની શક્યતા પણ રહેલી છે. આ ગુનામાં 4ને વોન્ટેડ જાહેર કરાયા છે. 

May 5, 2022
fenil.jpg
1min502

સમગ્ર ભારતમાં ચકચાર મચાવનાર સુરતના પાસોદરા વિસ્તારમાં ગઇ તા.12મી ફેબ્રુઆરી 2022ના રોજ ગ્રીષ્મા નામની યુવતિની હત્યાના કેસમાં આરોપી ફેનિલને સુરતની કોર્ટે આજે તા.5મી મે 2022ના રોજ ફાંસીની સજા આપતો હુકમ કર્યો છે.

આજે તા.5મી મેએ ગ્રીષ્મા હત્યા કેસમાં સજાનું એલાન થવાનું હોવાથી સુરતની કોર્ટમાં બંને પક્ષના વકીલો સાથે ગ્રીષ્માના પરિવારજનો હાજર હતા. મનુસ્મૃતિના શ્લોકથી ચુકાદાની શરૂઆત કરતા જજે કહ્યું હતું કે, દંડ દેવો સરળ નથી, પણ આ રેરેસ્ટ ઓફ રેર કેસ છે. ત્યાર બાદ ફાંસીની સજા ફટકારવામાં આવી છે.

સરકાર પક્ષના વકીલ નયન સુખડવાલાએ જણાવ્યું હતું કે કોર્ટે ફેનિલ ગોયાણીને સજા સંભળાવી છે. ફેનિલને મૃત્યુદંડની સજા કરી છે. બેને મારી નાખવાના પ્રયાસના કેસમાં પણ સજા ફટકારી છે. ભોગ બનનારને વળતર મળે એવી પણ પ્રક્રિયા કરી છે.

સજાનું એલાન થઇ ગયા બાદ કોર્ટ પરિસરમાં ગ્રીષ્માના પિતાએ પત્રકારો સમક્ષ પહેલી પ્રતિક્રિયા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ગ્રીષ્માને ન્યાય મળ્યો છે. અમારી તમામ માગણી પૂર્ણ થઈ છે. અમને ન્યાયપ્રક્રિયા પર સંપૂર્ણ વિશ્વાસ છે. પોલીસથી લઈને મદદ કરનારા તમામ નેતાઓનો આભાર.