એસ એસ રાજામૌલીની ફિલ્મ RRR બોક્સ ઓફિસ પર તોફાન મચાવી રહી છે.
ફિલ્મ હવે 1000 કરોડની કમાણી કરનાર ફિલ્મોની ક્લબમાં સામેલ થઈ ગઈ છે.રામચરણ તેજા અને જુનિયર એનટીઆર અભિનિત ફિલ્મ તમામ રેકોર્ડ તોડી રહી છે.
આ પહેલા આમિર ખાનની દંગલ અને પ્રભાસની ફિલ્મ બાહુબલી 1000 કરોડની ક્લબમાં સામેલ થયેલી છે.બાહુબલીએ 1800 કરોડની લાઈફ ટાઈમ કમાણી કરી હતી.જ્યારે દંગલે 2024 કરોડ રુપિયા કમાણી કરી હતી.
RRRના કારણે જોહન અબ્રાહમની ફિલ્મ એટેક સુપર ફ્લોપપ સાબિત થઈ છે.RRRનુ હિન્દી વર્ઝન પણ 213 કરોડ રુપિયાની કમાણી કરી ચુકયુ છે.ત્રીજા સપ્તાહમાં પણ RRR બોક્સ ઓફિસ પર તરખાટ મચાવી રહી છે.
રણબીર કપૂર તથા આલિયા ભટ્ટના લગ્નની ચર્ચા અવાર-નવાર થતી હોય છે ત્યારે આ બંને પ્રેમી પંખીડા એપ્રિલમાં સગાઈ કરવાના છે અને ડિસેમ્બરમાં લગ્ન કરશે, એવી માહિતી મળી રહી હતી. જોકે, ફિલ્મી કાનાફૂસી દ્વારા મળી રહેલી માહિતી અનુસાર આ કપલ ડિસેમ્બરમાં નહીં, પરંતુ આ જ એપ્રિલમાં લગ્નબંધને બંધાશે પરિવારે તડામાર તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે.
લગ્ન સ્થળ પણ નક્કી કરી દેવામાં આવ્યું છે. રણબીર તથા આલિયા લૅવિશ હોટલમાં લગ્ન નથી કરવાના, પરંતુ કપૂર પરિવારના પૈતૃક ઘરમાં લગ્ન કરવાના છે. ચેમ્બુર સ્થિત આવેલા RK (રાજ કપૂર) હાઉસમાં તેઓ ફેરા ફરશે. રણબીર કપૂરે જ આ ઘરમાં લગ્ન કરવાનું નક્કી કર્યું છે. ઉલ્લેખનીય છે કે રણબીરના પેરેન્ટ્સ રિશી કપૂર તથા નીતુ સિંહે 1980માં 20 જાન્યુઆરીના રોજ આ ઘરમાં લગ્ન કર્યા હતા.
કપૂર તથા ભટ્ટ પરિવારે લગ્નમાં 450 મહેમાનોને આમંત્રણ આપવાનું નક્કી કર્યું છે. આ લગ્નમાં બોલિવૂડની અનેક જાણીતી હસ્તીઓ સામેલ રહેશે તેમ માનવામાં આવી રહ્યું છે. કપૂર પરિવાર એપ્રિલ એન્ડમાં લગ્ન કરવા માગતો હતો, પરંતુ ભટ્ટ પરિવારે મિડ એપ્રિલમાં લગ્ન કરવાનું નક્કી કર્યું છે. આલિયા ભટ્ટના નાના નરેન્દ્ર નાથ રાઝદાનની તબિયત નરમ-ગરમ રહેતી હોવાથી પરિવાર જેમ બને તેમ જલ્દી લગ્ન લેવાય તેમ ઈચ્છે છે.
રણબીર અને આલિયા 4 વર્ષથી વધુ સમયથી રિલેશનશિપમાં છે. બંને એકબીજાના પરિવારની સાથે સારું બોન્ડિંગ શૅર કરે છે. રણબીરની માતા નીતુ સિંહ અને બહેન રિદ્ધિમા કપૂર સાહનીને આલિયા ઘણી પસંદ છે તો રણબીર પણ અવારનવાર આલિયાના પરિવાર સાથે જોવા મળતો હોય છે.
૨૦૧૬માં લિક થયેલા કરચોરી વિશેના વૈશ્ર્વિક ‘પનામા પૅપર કૌભાંડ’ મામલે ઐશ્ર્વર્યા રાય બચ્ચનની સોમવારે ઍન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરૅટ (ઇડી) સમક્ષ હાજર થઇ હતી અને ઇડીના અધિકારીઓએ એની છ કલાક સુધી પૂછતાછ કરી હોવાની માહિતી સૂત્રોએ આપી હતી. ફેમા કાયદા હેઠળ ઐશ્ર્વર્યાની પૂછતાછ કરવામાં આવી હતી અને ઐશ્ર્વર્યાએ આપેલા જવાબો નોંધવામાં આવ્યા હતા.
ઇડીના અધિકારીઓ સમક્ષ ઐશ્ર્વર્યાએ કેટલાક દસ્તાવેજો પણ રજૂ કર્યા હતા. નવી દિલ્હીના જામ નગર હાઉસ ખાતે આવેલા ઇડીના કાર્યાલયમાં ઐશ્ર્વર્યાની સાંજે ૭ વાગ્યા સુધી પૂછતાછ કરવામાં આવી હતી.
વોશિંગ્ટનના ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટોના એક જૂથે ૨૦૧૬માં વિશ્ર્વના નેતાઓ અને ખ્યાતનામ વ્યક્તિઓ દ્વારા વિદેશની કંપનીઓ તથા સંપત્તિમાં કરેલા બેનામી રોકાણની માહિતી જાહેર કરી હતી અને એ ‘પનામા પૅપર કૌભાંડ’ના નામે ઓળખાય છે. એમાંથી કેટલીક વ્યક્તિઓનું રોકાણ કાયદેસરનું પણ છે.
લિક કરાયેલી માહિતીમાં ભારત સાથે સંકળાયેલા ૪૨૬ કેસની વિગતો છે. ૨૦૧૬-૧૭થી ઇડી બચ્ચન કુટુંબની આ કેસમાં સંડોવણી વિશે તપાસ કરી રહી છે. આ અગાઉ અભિષેક બચ્ચનને પણ પૂછતાછ માટે બોલાવવામાં આવ્યો હતો.
અવારનવાર પોતાનાં ભડકાઉ વિધાનોથી વિવાદોમાં રહેનારી અભિનેત્રી કંગના રણૌતને આજે પંજાબમાં કિસાનોનાં પ્રચંડ વિરોધનો સામનો કરવો પડયો હતો. આજે તે મનાલીથી મુંબઈ જતી વખતે કીરતપુર સાહેબ ટોલ પ્લાઝા પાસે કારમાં પહોંચી ત્યારે કિસાનોનાં ટોળાએ તેનાં કાફલાને રોકી લીધો હતો. આ દરમિયાન નારાબાજી અને સૂત્રોચ્ચાર સાથે ખેડૂતો કંગના માફી માગે તેવી માગણી કરતાં રહ્યાં હતાં.
તનાવ વધતાં પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આશરે બે કલાકનાં હંગામા બાદ આખરે કંગનાએ માફી માગી લીધા બાદ તેને ત્યાંથી જવા દેવામાં આવી હતી.
દેખાવકાર કિસાનોનું કહેવું હતું કે, એકથી વધુ વખત કંગનાએ ખેડૂતો માટે ગેરશબ્દો ભાંડયા છે. જ્યાં સુધી તે માફી ન માગે ત્યાં સુધી તેને આગળ જવા નહીં દેવાં માટે ખેડૂતો મક્કમ રહ્યા હતાં.’
ક્રૂઝ-ડ્રગ્સમાં પકડાયેલા આર્યન ખાનને જામીન મળ્યાના એક દિવસ પછી બોમ્બે હાઇ કોર્ટે શુક્રવારે ‘ઓપરેટિવ ઓર્ડર’ જાહેર કર્યો હતો. આર્યન ખાન પર જામીનની ૧૪ શરતો લાદવામાં આવી હતી. પાંચ પાનાંના ઓર્ડરમાં હાઇ કોર્ટે ક્હ્યું હતું કે આર્યન ખાન અને અન્ય બે સહઆરોપી વતી પર્સનલ બોન્ડ અને સ્યોરિટી રજૂ કરવાની રહેશે.
તેણે વિશેષ એનડીપીએસ કોર્ટ સમક્ષ પાસપોર્ટ જમા કરવા પડશે. વિશેષ કોર્ટ પાસેથી પરવાનગી લીધા વગર તેઓ ભારત છોડી નહીં શકે અને દર શુક્રવારે તેણે એનસીબીની ઓફિસમાં હાજર થવું પડશે. આ ત્રણે દ્વારા જો શરતોનો ભંગ થશે તો એનસીબી વિશેષ કોર્ટ સમક્ષ જામીન રદ કરવાની અરજી કરી શકશે તેવું કોર્ટે ક્હ્યું હતું.
કોર્ટના આદેશમાં કહેવામાં આવ્યું હતું કે ‘પ્રત્યેક અરજદારો/આરોપીઓએ એક લાખ રૂપિયાનો પર્સનલ બોન્ડ આપવો પડશે અને તેટલી જ રકમની એક અથવા વધુ સ્યોરિટી જમા કરાવવી પડશે. પુરાવાઓ સાથે છેડછાડ અથવા સાક્ષીઓ પર વ્યક્તિગત રીતે અથવા કોઇના દ્વારા પ્રભાવિત કરવાનો ઓરોપીઓએ પ્રયત્ન કરવો નહીં,’ તેવું હાઇ કોર્ટે કહ્યું હતું.
મુંબઇ છોડવા અગાઉ આરોપીઓએ એનસીબીને જાણ કરવી પડશે. કેસમાંના અન્ય આરોપીઓ અથવા આવી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હોય તેવા કોઇ સાથે આ ત્રણેય સંપર્ક કરી શકશે નહી તેવું હાઇ કોર્ટે કહ્યું હતું. ‘એકવાર અદાલતી કાર્યવાહી શરૂ થશે તે પછી અરજદારો/આરોપીઓએ કાર્યવાહીમાં વિલંબ કરાવવાનો પ્રયત્ન કરવો નહીં,’ તેવું હાઇ કોર્ટે કહ્યું હતું. અરજી આપવાના કારણો સહિતનો વિગતવાર આદેશ આગામી સપ્તાહમાં આપવામાં આવશે તેવું જજે કહ્યું હતું.
ડ્રગ્સ કેસમાં ફસાયેલો શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની જામીન અરજી અંગે તા.27મી ઓક્ટોબર 2021ના રોજ પણ કોઇ નિર્ણય આવ્યો ન હતો. બોમ્બે હાઈકોર્ટે આર્યનના જામીન અંગે સુનાવણી આજે તા.28 ઓક્ટોબરને ગુરુવાર માટે મુલતવી રાખી છે. આજે તા.28મી ઓક્ટોબરને ગુરુવારે બપોરે 2.30 વાગ્યા પછી કોર્ટમાં સુનાવણી શરૂ કરવામાં આવશે. સુનાવણી ટળતાં આર્યનને આર્થર રોડ જેલમાં રાત વિતાવવી પડી હતી.
આર્યન ખાનની જામીન અરજી અંગે તા.27મી ઓક્ટોબરે સુનાવણી પૂરી થઈ ગઈ હતી. વકીલ અમિત દેસાઈ અને મુકુલ રોહતગીએ જજ સાંબ્રે સમક્ષ જામીનની તરફેણમાં કોર્ટમાં તેમની દલીલો રજૂ કરી હતી. તા.27મીએ કોર્ટમાં અરબાઝ મર્ચન્ટનો કેસ લડી રહેલા વકીલ અમિત દેસાઈએ આર્યન ખાનના જામીનનો પક્ષ રાખીને પોતાની દલીલો શરૂ કરી હતી. જ્યારે આર્યનના વકીલ મુકુલ રોહતગીએ પણ એનસીબી દ્વારા આર્યનની ધરપકડના આધાર પર વાત મૂકી હતી.
વકીલ અમિત દેસાઈએ જામીનની તરફેણમાં દલીલ કરતાં કહ્યું કે, તમે આર્યન ખાનનો અરેસ્ટ મેમો જુઓ. NCB પાસે ધરપકડ માટે નક્કર પુરાવા નથી. ધરપકડ એવા ગુના માટે કરવામાં આવી છે જે બન્યો જ નથી. અરબાઝ પાસેથી માત્ર 6 ગ્રામ ચરસ મળી આવ્યું હતું. NCB જે ષડયંત્રની વાત કરી રહ્યું છે તેને સાબિત કરવા માટે NCBએ કોર્ટ સમક્ષ વોટ્સએપ ચેટ રજૂ કરી છે. આ ચેટ્સને ધરપકડ સાથે કોઈ લેવાદેવા નથી. 65B હેઠળ કોર્ટમાં એનસીબીના આ પૂરાવા માન્ય નથી.
જ્યારે વકીલ મુકુલ રોહતગીએ સુનાવણી દરમિયાન જામીન મંજૂર કરવાની હિમાયત કરતાં કહ્યું હતું કે, આરોપી ગ્રાહક ન હતો, આરોપી પાસેથી કોઈ વસૂલાત (નશીલા પદાર્થ) થઇ નથી. તેણે ડ્રગ્સનું સેવન પણ કર્યું ન હતું, તેથી તેની ધરપકડ જ ખોટી હતી.
દક્ષિણના સુપરસ્ટાર રજનીકાન્તને સોમવારે દેશના સર્વોચ્ચ દાદાસાહેબ ફાળકે ફિલ્મ એવૉર્ડથી નવાજવામાં આવ્યો હતો. ૬૭મા નેશનલ ફિલ્મ એવૉર્ડ સમારોહમાં ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુના હસ્તે રજનીકાન્તને આ એવૉર્ડ આપવામાં આવ્યો હતો. રજનીકાન્તને ૫૧મો દાદાસાહેબ ફાળકે એવૉર્ડ આપવામાં આવ્યો હતો.
મનોજ બાજપેયી, કંગના રનૌત અને ધનુષને શ્રેષ્ઠ અભિનય બદલ એવૉર્ડ આપવામાં આવ્યો હતો. નવી દિલ્હીના વિજ્ઞાનભવન ખાતે રજનીકાન્તે ઉપરાષ્ટ્રપતિ એમ. વોકૈયા નાયડુના હાથે આ એવૉર્ડ સ્વીકાર્યો હતો.
ફિલ્મ ઉદ્યોગમાં પ્રવેશ કર્યો તે અગાઉ રજનીકાન્ત બસ ડ્રાઈવર તરીકે કામ કરતા હતા. રજનીકાન્તે તેના જૂના બસ ડ્રાઈવર મિત્રને આ એવૉર્ડ સમર્પિત કર્યો હતો. આ બસ ડ્રાઈવર મિત્રએ જ રજનીકાન્તને ફિલ્મમાં કામ કરવાનું સૂચન કર્યું હતું.
રજનીકાન્તની પ્રથમ ફિલ્મ અપૂર્વ રાગાન્ગલના દિવંગત નિર્માતા-નિર્દેશક કે. બાલાચંદર, ભાઈ સત્યનારાયણ રાવ તેમ જ અન્ય નિર્માતા, નિર્દેશક, થિયેટર માલિકો, ટૅક્નિશિયન અને પ્રશંસકોને દાદાસાહેબ ફળકે એવૉર્ડ સમર્પિત કર્યો હતો.
અસૂરન ફિલ્મમાં કરેલા અભિનય બદલ શ્રેષ્ઠ અભિનેતાનો એવૉર્ડ મેળવનાર જમાઈ ધનુષ સાથે રજનીકાન્તે એવૉર્ડ સમારોહમાં હાજરી આપી હતી. રજનીકાન્તની પત્ની લતા અને ધનુષ સાથે પરણેલી પુત્રી ઐશ્ર્વર્યાએ પણ આ સમારોહમાં હાજરી આપી હતી.
બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની જામીન અરજી કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે. આર્યન ઉપરાંત વધુ બે આરોપી અરબાઝ અને મુનમુન ધમેચાની અરજી પણ ફગાવી દેવામાં આવી છે. આર્યન ખાનના વકીલ સતીશ માનશિંદે હવે સેશન્સ કોર્ટમાં જામીન માટે અપીલ કરશે. હાલમાં આર્યનને આર્થર રોડ જેલમાં રાખવામાં આવશે.
મળતી માહિતી અનુસાર, સતીશ માનશિંદેએ મેજિસ્ટ્રેટ કોર્ટમાં વચગાળાના જામીન માટે અરજી કરી હતી, જેને ફગાવી દેવામાં આવી છે. મેજિસ્ટ્રેટ કોર્ટમાં આ અંગે જણાવવામાં આવ્યું કે, તેને આ કેસ સાંભળવાનો અને જામીન પર કાર્યવાહી કરવાનો અધિકાર નથી. આ મામલો સેશન્સ કોર્ટનો હતો, તેથી આર્યન અને અન્યના વકીલોએ સેશન્સ કોર્ટમાં જવું જોઈએ. સેશન કોર્ટમાં એનડીપીએસ એક્ટ હેઠળ જામીન અરજી કરવી પડશે. આવી સ્થિતિમાં હવે સતીશ માનશિંદે સહિત અન્ય વકીલો સેશન્સ કોર્ટમાં જામીન માટે અરજી કરશે.
એએસજી સિંહે પોતાની દલીલમાં કહ્યું હતું કે, એ વાત પર જરૂર ધ્યાન આપવું જોઇએ કે લોકો કેટલી સરળતાથી વાતોમાં આવી જાય છે અને શું આનાથી પુરાવા સાથે છેડછાડ થઇ શકે છે? તેમણે જણાવ્યું હતું કે આ કોઇ આઇસોલેટિડ કેસ નથી, આવામાં જામીનને કારણે કેસની તપાસ પર અસર પડી શકે છે.
મુંબઈની મેજિસ્ટ્રેટ કોર્ટે આર્યન ખાન અને અન્ય સાત લોકોને ડ્રગ્સ કેસમાં 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા હતા. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) દ્વારા ક્રુઝ શિપ પર કથિત રેવ પાર્ટી દરમિયાન દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં ઘણા લોકો પર ડ્રગ્સ લેવા અને તેની દાણચોરીમાં સામેલ હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. આ કેસમાં આર્યન અને અન્ય કેટલાકની ધરપકડ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, ગૌરી ખાનનો આજે 8 ઓક્ટોબરે 51મો જન્મદિવસ છે. ગૌરી માટે તો તેના પોતાના જન્મદિવસ પર દીકરાને જામીન મળી જાય એ જ તેના માટે બેસ્ટ ગિફ્ટ હશે, પરંતુ આર્યનને જામીન મળ્યા નહીં. નોંધનીય છે કે, ગૌરીના બર્થડે પર મન્નતમાં પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, જોકે આર્યનની ધરપકડ બાદ આ સેલિબ્રેશન કેન્સલ કરાયું છે.
મુંબઇ બંદર નજીક મુંબઈ-ગોવા કોર્ડેલિયા ક્રૂઝ શિપ પર ચાલી રહેલી ડ્રગ્સ પાર્ટીનો પર્દાફાશ કરનારી નાર્કોટિક્સ ક્ધટ્રોલ બ્યૂરો (એનસીબી)ની ટીમે બોલીવૂડના અભિનેતા શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાન સહિત ત્રણ જણની ધરપકડ કરી હતી. એનસીબીની ટીમે શનિવારે રાતે ક્રૂઝ પરથી બે મહિલા સહિત આઠ જણને તાબામાં લીધા હતા અને તેમની પાસેથી વિવિધ પ્રકારનાં ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યા હતા. દરમિયાન ધરપકડ કરાયેલા ત્રણેયને કોર્ટમાં હાજર કરવામાં આવતાં તેમને એક દિવસની એનસીબી કસ્ટડી ફટકારાઇ હતી. દરમિયાન રાત્રે વધુ પાંચ લોકોની ધરપકડ કરાઈ હતી જેમાં ઈસ્મિત સિંહ, મોહક જયસ્વાલ, ગોમિત ચોપડા, નુપૂર સતિજા અને વિક્રાંત છોકરની પણ ધરપકડ કરવામાં આવી હતી.
એનસીબીના મુંબઈ ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેના નેતૃત્વ હેઠળ અધિકારીઓની ટીમ મળેલી માહિતીને આધારે શનિવારે સાંજે મુંબઈ બંદરેથી નીકળેલી કોર્ડેલિયા ક્રૂઝ શિપ પર પહોંચી ગઇ હતી. દરમિયાન મધદરિયે પહોંચેલી ક્રૂઝ શિપ પર ડ્રગ્સ પાર્ટી શરૂ થયા બાદ એનસીબીની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.
NCBએ મધરાતે આર્યન ખાન, મુનમુન ધામેચા, નુપૂર સતિજા, ઇસ્મિત સિંહ, મોહક જસવાલ, વિક્રાંત છોકર, ગોમિત ચોપડા અને અરબાઝ મર્ચન્ટને તાબામાં લીધાં હતાં. તેમની પાસેથી ચરસ, કોકેઇન, એમડી (મેફેડ્રોન), એમડીએમએ અને એકસ્ટસી જેવા ડ્રગ્સ મળી આવ્યા હતા. તમામને બાદમાં એનસીબીની દક્ષિણ મુંબઈમાં આવેલી ઓફિસમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં કલાકો સુધી તેમની પૂછપરછ કરવામાં આવી હતી. તાબામાં લીધેલા આઠેય જણ મોટા ઘરના નબીરાઓ હોવાથી એનસીબીની ઓફિસે તેમના વકીલોનું આવવાનું શરૂ થઇ ગયું હતું.
એનસીબીએ ડ્રગ્સ પાર્ટી પ્રકરણે એનડીપીએસ એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો અને રવિવારે સાંજના આર્યન ખાન, તેના મિત્ર અરબાઝ મર્ચન્ટ તેમ જ મુનમુન ધામેચાની ધરપકડ કરાઇ હતી.
એનસીબીના જણાવ્યા અનુસાર આ કાર્યવાહી દરમિયાન ૧૩ ગ્રામ કોકેઇન, પાંચ ગ્રામ એમડી, ૨૧ ગ્રામ ચરસ, એમડીએમએની ૨૨ ગોળી તથા ૧.૩૩ લાખની રોકડ જપ્ત કરવામાં આવી હતી. ધરપકડ બાદ ત્રણેયને મેડિકલ માટે હોસ્પિટલમાં લઇ જવાયા હતા અને બાદમાં સાંજે કોર્ટમાં હાજર કરાયા હતા. આર્યન ખાન વતી જાણીતા એડવોકેટ સતીશ માનેશિંદે કોર્ટમાં હાજર રહ્યા હતા.
બોલીવુડ એક્ટર સોનુ સૂદના ઘરે dt 14/9/21, મંગળવારે ઈનકમ ટેક્સ વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. સોનુ સૂદના મુંબઈમાં આવેલા અનેક ઠેકાણે ઈનકમ ટેક્સ વિભાગની આ કાર્યવાહી તા.15મી સપ્ટેમ્બરે પણ જારી હતી. દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને મળ્યા પછી હાથ ધરાયેલી આ કાર્યવાહીને બદલાની રાજનીતિ સાથે સરખાવવામાં આવી રહી છે.
જાણવા મળ્યા મુજબ, અકાઉન્ટ બુકમાં ગરબડના આરોપો પછી આઈટીની ટીમોએ સોનુ સૂદ અને તેની કંપનીઓ સાથે સંલગ્ન 6 સ્થળોએ સર્વે કર્યો છે.
થોડા દિવસ પહેલા દિલ્હી સરકારે સોનુ સૂદને સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે સંલગ્ન કાર્યક્રમનો બ્રાન્ડ એમ્બેસડર બનાવ્યો છે. આ દરમિયાન તે આમ આદમી પાર્ટીમાં સામેલ થવાની અટકળો પણ થઈ હતી. જેના પર સોનુ સૂદે કહ્યું હતું કે, દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે તેની કોઈ રાજકીય વાતચીત નથી થઈ.
કોરોના કાળમાં લગાવાયેલા લોકડાઉન દરમિયાન સોનુ સૂદે પ્રવાસી મજૂરોને તેમના ઘરે પહોંચાડવાનું સૌથી પહેલું બીડું ઉઠાવ્યું હતું. તે પછી સતત દેશભરના લોકોની મદદ કરતો રહ્યો છે. ઘણા રાજ્યોની સરકારોએ સોનુ સાથે કામ કરવા માટે હાથ મિલાવ્યા છે, જેમાં પંજાબ અને દિલ્હી સરકાર સામેલ છે. તે ઉપરાંત સોનુ ગુડવર્કર જોબ એપ, સ્કોલરશિપ પ્રોગ્રામ પણ ચલાવે છે. દેશમાં 16 શહેરોમાં ઓક્સીજન પ્લાન્ટ પણ લગાવી રહ્યો છે. કોરોના દરમિયાન કરાયેલા સોનુના માનવીય કામો માટે ફેન્સ તેને દેવદૂત કહે છે. સપ્ટેમ્બર 2002માં સુદને કોરોના મહામારી દરમિયાન તેના માનવીય કામો માટે સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમે 2020 એસડીજી સ્પેશયલ હ્યુમેનિટેરિયન એક્શન એવોર્ડ આપ્યો હતો. હાલ તે દેશના દરેક લોકો માટે સૂદ ચેરિટી ફાઉન્ડેશન ચલાવી રહ્યો છે.
સોનુ હિંદી, તેલુગુ, ક્ન્નડ અને તમિલ ફિલ્મોમાં કામ કરી ચૂક્યો છે. ટૂંક સમયમાં જ તે એક પીરિયડ ડ્રામા પૃથ્વીરાજમાં જોવા મળશે. તે ઉપરાંત તે તેલુગુ એક્શન-ડ્રામા આચાર્યમાં પણ કામ કરી રહ્યો છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.